ગયા રવિવારે [12.07.2020], ૧૦૧ વર્ષની ઉંમરે અવસાન પામેલા ગુજરાતી કટાર-લેખક નગીનદાસ સંઘવીએ બહુ બધા લોકોએ પ્યારથી શ્રદ્ધાંજલિઓ આપી એનું કારણ એમનું લખાણ કે વિચારો ન હતા (ગુજરાતીઓ મૂળભૂત રીતે પબ્લિક ઈન્ટેલેકચ્યુઅલ વિરોધી છે). બહુ જૂજ લોકોએ એમના બૌદ્ધિક કામની નોંધ લીધી, પણ મોટાભાગના લોકો તેમની શતાયુ ઉંમરથી અભિભૂત હતા. એ પણ કોઈ નાની સિદ્ધિ નથી. ૧૦૦ વર્ષ જીવવું એ આપણે ત્યાં હજુ નવાઈનો વિષય નથી, પરંતુ આપણે હવે જે ભેળસેળવાળી આધુનિક જીવન શૈલીમાં જીવીએ છે, તેમાં એક વ્યક્તિ સંપૂર્ણપણે તંદુરસ્ત અને મનદુરસ્ત હોય, તે વાત દુર્લભ બનતી જાય છે.
નગીનદાસ સંઘવીની બૌદ્ધિક ક્ષમતાને જેમ આપણે સમજવાની કોશિશ નથી કરી, તેમ તેમની શતાયુને પણ 'ચમત્કાર'ના ખાનામાં મૂકીને આપણે આગળ વધી ગયા છીએ. આપણે અટકીને તેની વાત કરવા જેવી છે, કારણ કે નગીનદાસ સંઘવીની બૌદ્ધિક ક્ષમતા ૧૦૦ વર્ષ સુધી અકબંધ હતી તેનું કારણ તેમની જીવન શૈલીમાં છે. માત્ર શરીરથી લાંબુ જીવવાની વાત નથી. બહુ ઓછા લેખકો મોટી ઉંમરે મનથી તંદુરસ્ત હોય છે. કાં તો તે લખવાના નામે ઢસરડો કરીને વાચકો પર ત્રાસ ગુજારતા હોય છે (કારણ કે બીજો વિકલ્પ નથી) અથવા અનેક શારીરિક-માનસિક બીમારીઓનો ભોગ બનીને આસપાસમાં લોકોને કનડતા હોય છે.
સંઘવી સાહેબ આ બન્ને મોરચે સફળ રહ્યા, અને આપણે એમાંથી ઘણું શીખવા જેવું છે. મોટાભાગના લોકો એવું માને છે કે બુદ્ધિ અચળ છે. મતલબ કે તમે એને લઈને પેદા થાવ છો અથવા એકવાર વિકસાવી લો, પછી તે કાયમ માટે સ્થાયી થઈ જાય, પરંતુ હકીકતમાં બુદ્ધિ નિરંતર ચાલતી પ્રક્રિયા છે, અને તમે તમારી આદતો, આહાર, નિત્યક્રમ, સંબંધો, પ્રયાસો, માનસિકતા અને વાતાવરણમાં જેમ જેમ બદલાવ લાવો, તેમ તેમ તમારું મગજ થોડાં-થોડાં વર્ષોએ નવેસરથી 'રચાતું' રહે, અને તમારી બુદ્ધિ તે પ્રમાણે વધતી રહે, નવી સ્થિતિને અનુકૂળ થતી રહે. મોટા ભાગના લેખકો અમુક વર્ષો પછી અથવા મોટી ઉંમરે બેવકૂફીઓ કરવા લાગી જાય છે અને ખુદની જ બુદ્ધિની બેઇજ્જતી કરવા લાગી જાય છે, કારણ એ કે તેમણે તેમનાં મગજનું રિ-વાયરિંગ કરવાનું બંધ કરી દીધું છે. 'સાઠે બુદ્ધિ નાઠે' એટલા માટે જ આવી છે.
ભારતમાં સરેરાશ આયુષ્ય ૬૮.૩ વર્ષ છે, પરંતુ જાપાનના ઓકીનાવા આઈલેન્ડમાં દુનિયાની સૌથી લાંબુ જીવતી પ્રજા રહે છે. ઓકિનાવા જાપાનની દક્ષિણ દિશામાં અનેક આઈલેન્ડનો સમૂહ છે, જેને સૂચક રીતે ‘અમર લોકોની જમીન’ કહેવાય છે. અહીં અત્યાર સુધી ત્યાં ૬૦૦ લોકો એવા મળ્યા છે, જે ૧૦૦ વર્ષથી ઉપરની ઉંમરના છે. દુનિયામાં લાંબુ જીવવાવાળા લોકોની આ સૌથી વધુ સંખ્યા છે. તેમાંથી ત્રીજા ભાગના લોકો ૯૭ વર્ષની વય સુધી સ્વતંત્ર રીતે જીવતા હતા. મતલબ કે તેઓ જાતે જ બધું કામ કરતા હતા અને પોતાની સંભાળ રાખતા હતા. બાકી દુનિયાના લોકોની સરખામણીમાં ઓકિનાવાના લોકોની વયવૃદ્ધિ ધીમી છે અને તેમને હૃદયરોગની બીમારી થવાની તકો ૮૦ ટકા ઓછી છે. અહીં હૃદયરોગ, સ્ટ્રોક, કેન્સર અને ડાયાબિટીસનો દર દુનિયામાં સૌથી ઓછો છે. ૧૯૭૦ સુધી ત્યાં એકપણ દવાખાનું ન હતું, કારણ કે ગામલોકો ભાગ્યે જ બીમાર પડતા હતા.
તો, ઓકિનાવાના આ બડી નહીં, પણ લાંબી જિંદગીવાળા બાબુ મોશાયોનું રહસ્ય શું છે? સાદો જવાબ એ છે કે એ રોજ દારુ પીને ચકનાચૂર થઇ જતા નથી. તમાકુ ખાતા-પીતા નથી. ડબ્બામાં ભરેલાં અથાણાં કે પિત્ઝા, બર્ગર, સેન્ડવીચ ઝાપટતા નથી. પૈસા કમાવાની લાહ્યમાં સ્ટ્રેસ અને અનિન્દ્રાનો ભોગ બનતા નથી. તેમણે નશીલા પદાર્થો શોધ્યા નથી કે સોફામાં બેસી રહીને ટેલિવિઝન જોયા કરવાનું શીખ્યા નથી. વાહનોના નામે હજુ ય સાઈકલો ફેરવે છે અને પગપાળા ચાલે છે. તેમણે હજુ બે બેડરૂમ-હોલ-કિચનના ફ્લેટ કે વૃદ્ધાશ્રમો બાંધ્યા નથી. અને હા, ‘ચાલશે, ફાવશે અને ગમશે’ એ તેમનો જીવનમંત્ર છે – એ લોકો ગુસ્સો, પીડા, ભય અને ઉચાટને ગળી જાય છે.
તેમની આ તંદુરસ્તી અને મનદુરસ્તીનું રહસ્ય ‘ઇકિગાઈ’ નામની ધારણામાં છે. આપણે જેમ સહજ વાતચીતમાં કહીએ છીએ કે ‘મારે શાંતિ જોઈએ છે’ અથવા ‘મારે સુખ જોઈએ છે,’ તેવી રીતે ઓકિનાવાના લોકો ‘મારી ઈકીગાઈ ક્યાં છે?’ અથવા ‘તમને ઇકિગાઈ મળી?’ તેવા સવાલો પૂછે છે. ઇકિગાઈ જાપાનીઝ લોકોના લાંબા અને સુખી જીવનની ફિલોસોફી છે. ઇકિગાઈ બે શબ્દોથી બન્યો છે; ઇકિ (જીવન) અને ગાઈ (ઉદેશ્ય). તમે કોણ છો અને શા માટે જીવો છો, તે બે સવાલોના જવાબમાં દરેકની ઇકિગાઈ નક્કી થાય છે. ઓકિનાવાના લોકોની જીવન ફિલોસોફીમાં એક સવાલ હોય છે: સવારે ઊઠવાનું પ્રયોજન શું? આના જવાબમાં તેમની ઇકિગાઈ છે. વ્યાપક સંદર્ભમાં, તેને જીવનનો ઉદેશ્ય અથવા જીવનનો આનંદ લેવાનું પ્રયોજન પણ કહી શકાય.
ઇકિગાઈ આપણે જે પણ કામ કરીએ છીએ, તેના ગૌરવ પર ભાર મૂકે છે – ચાહે તે ખેતરમાં હળ ચલાવવાનું હોય કે ચિત્રો દોરવાનું હોય. કામ પ્રત્યેના આવા સમર્પિત અભિગમથી આપણી અંદર જે વિશેષતા છે, તે બહાર આવે છે અને તેની સાથે આપણે કામને કઈ રીતે જોઈએ છીએ, તેની પર પણ અસર કરે છે. ઇકિગાઈની ફિલોસોફી પ્રમાણે, કામ કરવાનું લક્ષ્ય પૈસા કમાવાનું નથી, બલકે કામ પોતે જ એક લક્ષ્ય છે. હિંદુ કર્મના સિદ્ધાંત પ્રમાણે, કામ કરવું જ્યારે સર્વોચ્ચ લક્ષ્ય બની જાય, ત્યારે એ સુખ અને સંતોષનું સાધન બની જાય છે.
જાપાનના સેન્ડાઈની તોહોકુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઓસાકા શહેરના ૫૦ હજાર રહેવાસીઓનો અભ્યાસ કરીને તારણ આપ્યું હતું કે જે લોકોએ તેમના જીવનમાં ઇકિગાઈને શોધી હતી, તેમનું સ્વાસ્થ્ય ઉત્તમ હતું અને હૃદય સંબંધી બીમારીઓ ઓછી હતી તેમ જ તેઓ વધારે સક્રિય હતા અને જીવનનો આનંદ વધુ માણતા હતા.
તમે જો જાપાનના રાજ કપૂર ગણાતા ફિલ્મ સર્જક અકીરા કુરોસાવાની ફિલ્મોના શોખીન હો, તો તેમની એક જાણીતી ફિલ્મ ‘ઇકિરુ’માં કાન્જી વતાનાબે નામના મધ્ય-વયસ્ક વિધુર માણસની કહાની છે. તેને ત્રણ દાયકાની કંટાળાજનક સરકારી નોકરી પછી અચાનક ભાન થાય છે કે તેની પાસે જીવવા માટે એક જ વર્ષ બચ્યું છે, અને તે તાબડતોબ જીવન જીવવાનો હેતુ શોધવા લાગી જાય છે. ‘ધ ડેથ ઓફ ઇવાન ઈલિચ’ નામની નવલકથા આધારિત આ ફિલ્મનું ટાઈટલ ‘ધ લાઈફ ઓફ કાન્જી વતાનાબે’ હતું, પરંતુ કુરોસાવાએ તેનું નામ ‘ઇકિરુ’ રાખ્યું, જેનો અર્થ થાય છે ‘જીવવું.’ તેના પરથી જ ઇકિગાઈ શબ્દ આવ્યો છે – જેને ખરેખર ઉત્તમ જીવવું હોય, તેણે તેની ઇકિગાઈ શોધવી જોઈએ.
નગીનદાસ સંઘવીએ ‘ચિત્રલેખા’ સામાયિકમાં હિરેન મહેતાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, "હું લાંબુ જીવ્યો છું, અને ખાતરીપૂર્વક કહું છું કે બહુ આનંદથી જીવ્યો છું. અનેક ચઢાવ-ઊતાર જોયા છે. વેઠ્યું પણ ઘણું છે, પરંતુ એવું તો અનેક લોકોની સાથે થાય છે. મને તેની ફરિયાદ નથી. હું પહેલવાન નથી. માણસ સરખી રીતે જીવે, તો આપણું શરીર લાંબું લાંબું જીવવા સર્જાયું છે. અકુદરતી જીવન, આખા દહાડાની હાયવોય, વધારે પડતી અપેક્ષા, એના માટેનો સંઘર્ષ વગરે શરીરને નુકશાન પહોંચાડે છે. આપણું શરીર એક ટીમની જેમ કામ કરે છે. મારા શરીરના બધાં અંગો એકમેક સાથે સરખો સંવાદ સાધીને રહે છે એટલે હું લાંબું જીવી શક્યો છું.”
આ સંવાદ નગીનદાસ સંઘવીની ઇકિગાઈ હતી.
(જાપાનીઝ ફિલોસોફી ‘ઈકિગાઈ’ પર ટૂંકમાં જ આર.આર. શેઠ તરફથી પુસ્તક આવી રહ્યું છે.)