ભારતનું રાજકારણ સ્નો વ્હાઇટ અને સેવન ડ્વાર્ફ્સની વાર્તા જેવું છે, 2014 પછી આ સ્નો વ્હાઇટનું પાત્રમાં કૉન્ગ્રેસમાંથી ભા.જ.પા. આવી ગઇ બાકી વહેંતિયાઓ તો એ જ બધા રહ્યા.
એક સાવ સીધું ગણિત એમ છે કે ઘરમાં ખાવાનું ન ભાવતું હોય, ભાવતું ધરાર ન બનતું હોય કોઇ પોતાનું સાંભળતું નથી એવું લાગવા માંડે અને પાડોશી જો સહેજ વ્હાલથી બોલાવે તો ભલભલું છોકરું ત્યાં જવાનું વધારે પસંદ કરે. બસ કંઇક આવું જ કંઇ અત્યારે આપણા દેશમાં ચાલી રહ્યું છે. કૉન્ગ્રેસના પંજામાં જુવાનીની હસ્તરેખાઓ જાણે ઝાંખી પડી રહી છે. પાડોશીને ત્યાં બધે બધા નથી ધસી રહ્યા પણ પાડોશી એટલે કે ભા.જ.પા.ને કૉન્ગ્રેસના ગઢનાં કાંગરા ખરે એમાં મજા તો આવવાની જ. હવે આમાં કૉન્ગ્રેસે બાજુવાળા મજા લે છે એનો ગુસ્સો કરવાને બદલે આપણે ત્યાં શું તકલીફ છે એ જોવાની જરૂર છે. સચીન પાયલટવાળા મુદ્દામાં સ્પષ્ટતાથી એ બહાર આવ્યું કે કૉન્ગ્રેસ પાર્ટીમાં કેન્દ્ર કે રાજ્ય સ્તરે નવી પેઢીને મોકો નથી અપાઇ રહ્યો અને આ તરફ ભા.જ.પ. પોતાના પેઢીના પરિવર્તનનાં બીજા તબક્કા તરફ આગળ વધી રહ્યો છે જેમાં ત્રીસ ટકા નવા ચહેરા હશે.
ભા.જ.પા.માં વરીષ્ઠોને બૅકસ્ટેજ ખસેડી દેવાની પ્રેક્ટિસ નરેન્દ્ર મોદી સત્તા આરુઢ થયા ત્યારથી છે. તેઓ જે યુવા નેતાઓને આગળ ધરે છે એ બધેબધાં પરફેક્ટ છે કે નહીં એ ચર્ચા કરવા માટે આ લેખ નથી લખાઇ રહ્યો અને માટે જ એ જોવું રહ્યું કે કૉન્ગ્રેસમાં યુવા નેતા કહી જેમના પણ નામો સતત આપણે માથે મરાય છે એમાંના બધા ય પચીસ વર્ષથી તો એન્ટી એજિંગ ક્રિમ વાપરવા માંડ્યા હશે. જે શિલા દીક્ષિત તેમના કરતાં ઘણા યુવાન એવા કેજરીવાલથી દિલ્હીમાં 2013માં હારી ગયાં એ શિલા દીક્ષિતને કૉન્ગ્રેસે 2017માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવવાના હવાતિયાં માર્યા. અનુભવ એળે નથી જતો એ ખરું પણ સલાહમાં પણ એ અનુભવ એટલો જ કામ લાગી શકે છે જેટલો તમે એને સત્તામાં કામ લાગશે એમ વિચારીને ધકેલતા હો છો અને પછી એ ગાડી પાટેથી ઊતરી જ જાય છે. મોટા ભાગના રાજ્યોમાં કૉન્ગ્રેસે વરીષ્ઠ નેતાઓની આંગળી ઝાલી છે. હવે ગમે કે ન ગમે પણ વાસ્તવિકતા એ છે કે સિત્તેરે પહોંચેલા માણસની આંગળી ઝાલીને ચાલી શકાય, દોડાય તો નહીં જ અને સત્તા તો દોટ છે, રેસ છે કૂચ છે. કૉન્ગ્રેસ નજીકના ભવિષ્યમાં યુવા કેન્દ્રી મતદારોમાં અપ્રસ્તુત અને અસુસંગત બની જાય એવા બધાં જ લક્ષણો છે પણ તકલીફ એ છે કે કૉન્ગ્રેસના પ્રોઢ થઇ ગયેલા યુવા નેતાઓ જે પોતાના પરિવારની ગાદી પર લટકી રહ્યા છે તેમને કદાચ મોતિયો થયો છે તે આ લક્ષણો તેમને નથી દેખાતા.
ગયા વર્ષે રાહુલ ગાંધીએ જ્યારે કૉન્ગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું ત્યારે તેમણે કૉન્ગ્રેસના વરીષ્ઠ નેતાઓને ખુલ્લો પત્ર લખ્યો હતો કે તેમને બધાને પોતાના સંતાનોને પાર્ટીમાં ઘુસાડવામાં વધારે રસ છે અને એટલા માટે જ રાજસ્થાન કે મધ્યપ્રદેશમાં તેઓ બેઠકો જીતી ન શક્યા. હવે વરીષ્ઠ નેતાઓને યુવા નેતાઓની મહત્ત્વાકાંક્ષા નડે છે. રાજકારણ એક જંગ છે, જંગમાં સત્તામોહ કે મહત્ત્વાકાંક્ષા ન રહે તો એ ગમે એટલી તલવારો ખખડે એ અંતે તો પોકળ જ હોય છે. કૉન્ગ્રેસમાં જેટલા નેતાઓ છે તે બધા દિલ્હી સ્થિત છે અને તેઓ પોતાના પ્રદેશમાં જરાય પ્રસ્તુત નથી એમ કહીએ તો કંઇ ખોટું નથી પણ તો ય તેઓ કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીનો હિસ્સો છે. મણિશંકર ઐય્યર જેવા વરીષ્ઠ નેતાઓ પક્ષમાં લોકશાહી નથીની વાત કરે તો તેમને માથે પણ માછલાં ધોવાયાં. એક સમયે આ જ મણિશંકર ઐય્યર મમતા બેનર્જી સાથે હાથ મિલાવવા તૈયાર થઇ ગયા હતા. કૉન્ગ્રેસની અવદશા ત્યારે જ છતી થઇ જ્યારે ચૂંટણીને થોડો સમય બાકી હોય અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા કે ભ્રષ્ટ નેતાઓની સાથે તે હાથ જોડે કારણ કે તે પક્ષને પૈસા આપી શકે તેમ છે. પરિવર્તન સ્વીકારવાની હિંમત બહુ જરૂરી છે. ઇંદિરા ગાંધીએ પણ પોતાના પિતાનો પક્ષ તોડીને કૉન્ગ્રેસ ઘડી હતી. કૉન્ગ્રેસના ઉત્તર પૂર્વનાં પ્રદ્યોત મનિક્યા બિક્રમ દેબબર્મા ત્રિપુરામાં કૉન્ગ્રેસના પ્રમુખ હતા, તેમની લીડરશીપ હેઠળ લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસને મત તો બહુ મળ્યા પણ રાહુલ ગાંધીએ કૉન્ગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું અને સમીકરણો બદલાઇ ગયા. મનિક્યા જલદી જ કૉન્ગ્રેસથી છૂટા પડી ગયા પણ ભા.જ.પા.માં ન જોડાયા.
કોઇ પક્ષ છોડે તેની પાછળ કારણ એ પણ હોય કે રાષ્ટ્રીય પક્ષ હોવા છતાં પ્રાદેશિક સ્તરે જીત્યા પછી પણ કશું નક્કર ન થાય ત્યારે જ પ્રાદેશિક સ્તરે હોય એ નેતાને મતદારો સામે લાળા ચાવવા પડે. પાડાને વાંકે પખાલીને ડામ દેવાતો હોય તો પખાલી પાડાને પડતો જ મૂકે. દિલ્હી કેન્દ્રિત થઇ ગયેલી કૉન્ગ્રેસ દેશના અન્ય રાજ્યોને મહત્ત્વ આપે તો કદાચ કંઇ ફેર પડે. ભૂતકાળ શા માટે વર્તમાનથી ભવ્ય છે તે સમજવું કૉન્ગ્રેસ માટે બહુ જ જરૂરી થઇ પડ્યું છે.
ભા.જ.પા.માં કંઇ બધું શ્રેષ્ઠ છે એમ છે જ નહીં. લૉર્ડ મેઘનાદ દેસાઇએ આપણા રાજ્યના રાજકારણ અંગે મજાનો દાખલો આપ્યો હતો. તેમના મતે ભારતનું રાજકારણ સ્નો વ્હાઇટ અને સેવન ડ્વાર્ફ્સની વાર્તા જેવું છે, 2014 પછી આ સ્નો વ્હાઇટનું પાત્રમાં કૉન્ગ્રેસમાંથી ભા.જ.પા. આવી ગઇ બાકી વહેંતિયાઓ તો એ જ બધા રહ્યા.
બાય ધી વેઃ
બ્રિટિશ લિબ્રલ પાર્ટીએ ૧૯મી સદીમાં બ્રિટનના રાજકારણ પર પકડ જમાવી હતી. બે મોટી પાર્ટીઓમાંથી બ્રિટિશ લિબ્રલ પાર્ટી ૧૯૦૬માં જોરદાર બહુમતીથી જીતી અને પછી આગામી સો વર્ષ સુધી તેનું પતન થયું. કૉન્ગ્રેસ એવા લોકોના હાથમાં છે જેમણે લોકસભાની એક ચૂંટણી ય નથી જીતી, અને એમને પાછું કશું જતું ય નથી કરવું. શશી થરૂર, મનીષ તિવારી, ગૌરવ ગોગોઇ, મિલિંદ દેવરા બધા કદાચ રાહ જુએ છે કે પ્રિયંકા ગાંધી આવે અને બધું બદલાય પણ પછી એના સંતાનો કૉન્ગ્રેસ ચલાવે એવું ય બનશે. ત્રણ સારા રાજાઓ અને દોઢસો વર્ષનાં પતનની કથા ક્યાં જઇને અટકશે ભગવાન જાણે. જો કૉન્ગ્રેસીઓ સમયસર જાગશે નહીં તો ક્યાંક જે બચ્યું છે એ ય ન ખરી પડે અને પછી આપણને નાગરિકોને સમજ પડે એ પહેલાં આપણે માત્ર એક પક્ષે ચાલતા દેશનાં સભ્યો ન બની જઇએ તો સારું કારણ કે લોકશાહી આપણી ઓળખ છે. આ લોકશાહી પર રાજકારણનું કફન ન બિછાય એ જરૂરી છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 જુલાઈ 2020