અલેક્ઝાન્ડર રડેલો ત્યારે વધારે 'ગ્રેટ' લાગેલો. હિટલરને પસ્તાવો થયેલો ત્યારે એ વધારે 'પાવરફુલ' લાગેલો
આતા માઝી સટકલી? ના.
૧ નવેમ્બર મારો ૮૦-મો જન્મદિવસ હતો. આ વાક્ય મેં ૬ નવેમ્બરે લખેલું. આજે ૧૭ નવેમ્બરે આ લેખ પ્રકાશિત કર્યો છે. હું ૮૦+ છું અને ૧૭ નવેમ્બર પણ ૧૭+ છે. હવે હું જો લખવા માગીશ કે ૮૦+ એટલે કેટલા, ૧૭+ એટલે કેટલા, તો મારાથી નહીં લખી શકાય. કેમ કે ગણતરી દરમ્યાન દરેક પ્લસ પર બીજા પ્લસ ઉમેરાતા ચાલશે ને છેવટે મારાથી હારી જવાશે. સમયને લખાણથી અંકિત કરીએ પણ એ તો ત્યારે ય દોડતો હોય છે. લખનારને હંફાવે, થકવી દે. એટલે, કોઇપણ લખાણ તત્ત્વાર્થમાં અધૂરું હોય છે. લાગે કે લખવું મિથ્યા છે. હા, પણ સાંભળો, આ પળ સુધી લખાણને વિશે અહીં જે કંઈક લખી શકાયું, એ તો સાચું છે !
પણ સાચું એટલે શું? જૂઠની સામેનું તે? તો જૂઠ શું? સાચ-જૂઠને હું તો ચેસનાં પ્યાદાં સમજું છે. ચેસ શરૂ થાય એટલે લડાઇ શરૂ થાય પણ પતે પછી એ જ પ્યાદાં એવી જ ઠાવકાઈથી નવેસર લડવાને ગોઠવાઈ જાય. સાચ અને જૂઠ વચ્ચેની લડાઈ એવી છે. સાચ-જૂઠ જેવું બીજું જોડકું છે, વિચાર-પ્રતિવિચાર, વિચારોનાં જૂથ-પ્રતિજૂથ. ક્યારેક પ્રતિ-જૂથો હુતુતુ રમતાં હોય. આ તરફનો બળિયો વિચાર સામા જૂથના કેટલાયને ટચ કરીને આઉટ કરી દે. પણ એનો ઘૂંટણ છોલાઇ ગયો હોય એટલે એના જૂથવાળા રમવાનું માંડી વાળે. પાટાપિંડીમાં લાગી જાય. વિચારોના ખેલને શબ્દના શીશામાં ઉતારવાનું કામ સહેલું નથી. લખનારને વિચારો પણ હંફાવે છે, થકવે છે.
ત્રીજું જોડકું છે, માહિતી અને જ્ઞાન – ઈન્ફર્મેશન ઍન્ડ નૉલેજ. બન્ને આમનેસામને નથી. તેમ છતાં, માહિતી કોઇ મોટું જ્ઞાન નથી. KBC-ને મિસ્ટર બચ્ચન ગર્જનાપૂર્વક 'જ્ઞાન કા દસવા અધ્યાય' કહે છે પણ 'યે રહા આપ કે સામને' પ્રશ્નો અને તેના 'બિલકુલ સહી' ઉત્તરો, જ્ઞાન નથી, માત્ર માહિતી છે. 'માહિતીયુગ'-માં જ્ઞાન સપાટી પર આવી ગયું એટલે 'ઈન્ફર્મેશન ઈઝ નૉલેજ' ભલે બોલીએ; બાકી, સ્વીકારીએ કે માહિતી તો જ્ઞાનની માત્ર શરૂઆત છે.
હકીકત અને સત્ય – ફૅક્ટ ઍન્ડ ટ્રુથ – ચૉથું જોડકું છે. ૧-૧૧-૧૯૩૯ મારા જીવનની પહેલી તારીખ હકીકત છે પણ એ અન્યોની પણ જન્મતારીખ છે. એ સર્વસામાન્ય હકીકત છે. એથી ખાસ કશું અનુભવાતું નથી. પણ ૮૦+ એક સ્પન્દન રૂપે મારાથી હર પળે અનુભવાતું સત્ય છે. હકીકતો સમજાય છે. સત્યો અનુભવાય છે. સત્યો મનુષ્યને સ્વસ્થ બનાવે છે. હકીકતો મનુષ્યને તટસ્થ બનાવે છે.
જો કે આજે મને 'તટસ્થતા', સંસ્કૃતમાં 'તાટસ્થ્ય', અંગ્રેજીમાં 'ઈન્ડિફરન્સ' કે હિન્દીમાં 'ઉદાસીનતા' કહેવાતો આ પદાર્થ બહુ સતાવી રહ્યો છે. વાજબી કારણ વિના સમ્બન્ધને છોડી ગયેલાઓની ઉદાસીનતા; ચૉક્કસ ડિફરન્સ વિના મૂંગા થઇ ગયેલાઓનું ઈન્ડિફરન્સ; તટ પર ઊભા રહીને તમાશો જોનારાઓની તટ-સ્થતા; એનાં દૃષ્ટાન્તો છે. તટસ્થ હોવું આમ સારું છે પણ એમાં ને એમાં વિકસ્યા કરવું સારું નથી. વ્યક્તિ ક્રમે ક્રમે જડ થઈ જાય છે. અરે પણ, આજે હું સમય-લેખન, સાચ-જૂઠ, માહિતી-જ્ઞાન, હકીકત-સત્ય બાબતે શી માથાકૂટો લઈ બેઠો છું? આતા માઝી સટકલી લાગે છે. જો કે, જો એમ જણાવી શકાય છે તો એ 'સટકલી' હોય? ના. વાત એટલી છે કે તાટસ્થ્ય સતાવે છે.
જુઓ, નેચર અથવા પ્રકૃતિ આપણાં સુખ-દુ:ખ પ્રત્યે તટસ્થ છે. આકાશ અતિ વિશાળ, પણ ખાલી ! એની આગળ શી આશા રાખવી? અમેરિકામાં, અહીં, પાનખર ચાલે છે – ફૉલ. શીતળ પવનો માઈલોની ઝડપે દોડતા હોય. દુર્નિવાર ઝંઝા. લીલાશનો નાશ થઇ રહ્યો છે. વૃક્ષોના રંગ બદલાઈ રહ્યા છે. કોઇ યલો કોઇ બ્રાઉન કોઇ લવન્ડર કોઇ હળદરિયું કોઇ કંકુવર્ણું કે કોઇ તપખીરિયું થઇ ગયું છે. એકાદ અઠવાડિયામાં એ રંગરંગીન પરિદૃશ્ય વિલાઈ જશે. દરેકનાં બધાં જ પર્ણ-પુષ્પ ખરી જવાનાં. પંખીઓના માળા ઉઘાડા પડી જવાના. વૃક્ષોનાં એ કાળિયાં કંકાલ, બસ, ઊભાં હશે. માણસોનાં દુ:ખ એ ક્યાંથી ફેડવાનાં? મેઘધનુષ જોઈને વર્ડ્ઝવર્થનું હૃદય પ્રસન્નતાથી કૂદવા લાગેલું. પણ કવિનો આભાર માનવા મેઘધનુષ નીચે ઊતરી આવેલું નહીં. આષાઢી મેઘે વિરહી યક્ષના દૂત થવાનું સ્વીકારેલું પણ એ તો કાલિદાસની સર્જકતાનું માન રાખવા. બાકી, વિરહમાં યક્ષ રડી-કકળીને મરી પણ જાય, તો મેઘને શું ! ધરતીકમ્પ અતિવર્ષા પૂર સુનામી વનદવ ચક્રવાત, પ્રકૃતિનાં એ સૌ સન્તાન, સ્વમાં મસ્ત, પણ પૃથ્વીવાસી જીવો માટે અતિ ક્રૂર. જાનહાનિ અને મકાનો-મિલકતોની બરબાદીની એમને કશી પરવા નહીં. નેચર ઈઝ સો ઈન્ડિફરન્ટ.
ડાહ્યાઓ મને કહેવાના – તાટસ્થ્ય વિશે વિચારવાનું બંધ કર ને ! દાર્શનિકો કહેવાના – ચિત્ત કો નિર્વિચાર કરો. જો કે એ આદેશ પણ એક વિચાર છે ! અને, નિર્વિચાર ચિત્તમાં લાગ જોઇને નવા વિચારો અને તેના પ્રતિ-વિચારો તો ઘૂસી જ જવાના ! ત્યારે શું? ત્યારે પણ એ જ સાંભળવા મળશે – ચિત્ત કો નિર્વિચાર કરો. સત્યમ્ વદ – ધર્મમ્ ચર – લવ ધાય નેબર, જેવાં સુવચનો પણ તટસ્થ છે. માણસ સુવચન પ્રમાણેનું વર્તન ન કરે તો સુવચનોને શું ! એ ગૅરન્ટી નથી આપતાં કે માણસ સત્યવાદી કે ધર્માચારી થઇ જ જશે. સત્ય વદવા જતાં અ-સત્ય જાગી ઊઠે, ધર્મ આચરવા જતાં અધર્મ ડા'વાં ભરે, પાડોશીને પ્રેમ કરવા જાઓ, મૉં ફેરવી લે, તો એ દુષ્પરિણામો અંગે સુવચનો કંઇ કરી શકે નહીં. ચિત્તને સદાકાળ નિર્વિચારી નથી કરાતું. સુવચનો ભાષિક હસ્તીઓ છે, બોલાય તો જ પ્રગટે. કહેવા-સાંભળવા માટે વપરાયા કરે – જસ્ટ ટુ પાસ ઑન, ઍન્ડ ઑન …
ગણિત અતિ તટસ્થ વિદ્યા છે. હકીકત વર્ણવે, ૧+૧ = ૨. કોઈ બે જણાંને લાગ્યા કરતું હોય કે એમની વચ્ચે કોઇ ત્રીજું છે; ગણિત એ સ્થિતિને ય વર્ણવી બતાવે. પણ ત્યારે એ વર્ણન પણ એક હકીકત હશે. હકીકતોનું સત્યમાં રૂપાન્તરણ કરવાનું સામર્થ્ય, માત્ર કલા પાસે છે. કલાઓ માણસને સત્ય લગી દોરી જાય. આયોનેસ્કોના એક નાટકમાં, પતિ-પત્નીના વર્તમાન જીવનમાં કોઇ એક ભૂતકાલીન વ્યક્તિ છે. બીજા બેડરૂમમાં કેટલા ય સમયથી શબરૂપે સૂતેલી છે. નાટકમાં એ હકીકત સત્યરૂપે વિકસે છે – શબનો પગ રંગમંચના એક છેડેથી બીજા છેડે થોડી થોડી વારે વિસ્તરતો બતાવાય છે. એ સત્યને પ્રેક્ષકો ધ્યાનથી નીરખતા રહીને રસપૂર્વક અનુભવતા હોય છે.
આ ત્રીજું ચિત્ર આયોનેસ્કોના એ નાટકનું છે. પતિ એની પત્નીને બેડરૂમમાં સૂતેલી વ્યક્તિ વિશે કંઇક કહે છે …
એટલે, કવિ કહે છે, નરસૈંયો કહે છે, એ સાચું છે કે 'સુખ-દુ:ખ મનમાં ન આણીએ ઘટ સાથે રે ઘડિયાં'. 'ઘટ' એટલે 'શરીર'. ગાઇએ એટલે અનુભવાય કે સુખ-દુ:ખ શરીરની સાથે જ ઘડાયાં છે ને એની સાથે જ રહેવાનાં છે. એ સત્ય ગળે ઊતરે અને એનો સાક્ષાત્કાર થાય. હકીકતો નહીં, સત્યના સાક્ષાત્કારો જ માણસના ભાવજગતને સામર્થ્યવાન બનાવે છે. તાટસ્થ્યને વરેલો બુદ્ધિબળિયો નહીં, હૃદયબળિયો જીવનસમૃદ્ધ છે. અલેક્ઝાન્ડર રડેલો ત્યારે વધારે 'ગ્રેટ' લાગેલો. હિટલરને પસ્તાવા થયેલા ત્યારે એ વધારે 'પાવરફુલ' લાગેલો. એટલે, 'તાટસ્થ્યો બધાં જાવ પીગળી' – એવું કવિત આજે મારી 'સટકલી' કવે છે …
= = =
"સાહિત્ય સાહિત્ય" : લેખ ક્રમાંક : 220 : તારીખ ૧૭/૧૧/૨૦૧૮
https://www.facebook.com/suman.shah.94/posts/2209579732406261