વડીલોની લાચાર સ્થિતિના હૃદયદ્રાવક કિસ્સાઓથી અખબાર ભરાયેલું છે, ત્યારે પોતાની હયાતીમાં પુત્રના નામે સંપત્તિ અને ઘરબાર ન કરવાં તથા પોતાની ક્ષમતા અને શક્તિ પણ સાચવીને રાખવી એ વાત હજી પણ સમજી લો તો પાછલી જિંદગી સારી જશે
ગયા અઠવાડિયે અખબારોમાં સિનિયર સિટિઝન્સ એટલે કે વડીલોની લાચાર સ્થિતિના કેટલા બધા કિસ્સાઓ એક જ સપ્તાહમાં જોવા-વાંચવા મળ્યા. હૉસ્પિટલમાં દીકરા-દીકરીની રાહ જોતી મા, બીજા એક કિસ્સામાં વષોર્થી વૃદ્ધાશ્રમમાં રહેતાં એક ગુજરાતી સિનિયર સિટિઝન માના પણ એ જ હાલ છે તો ત્રીજા એક કિસ્સામાં મહારાષ્ટ્રના એક નાનકડા ગામના ત્રણ-ત્રણ દીકરાઓનાં મા-બાપ વૃદ્ધાવસ્થામાં અને બીમાર હોવા છતાં મજૂરી કરીને અને ભીખ માગીને પેટ ભરે છે.
એક સ્ત્રીને તેનો પુત્ર ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ આવ્યો અને હૉસ્પિટલમાં જમા કરાવવા માટેના રૂપિયા ATMમાંથી કઢાવવા જાઉં છું કહીને ગયો તે ગયો. પછી દેખાયો જ નથી. એ મા અને હૉસ્પિટલ પણ એ ભાગેડુ દીકરાની રાહ જોઈ રહી છે! દરમ્યાન માની આંખો વારંવાર ભીની થઈ જાય છે. તે દીકરાના નામની માળા જપ્યા કરે છે. એ સ્ત્રીએ કહ્યું કે દીકરો તેને ત્રણ-ચાર દિવસે એક વાર જમવા આપતો હતો. જે દીકરા માટે મા પોતાનું ઘર વેચીને તેની સાથે ભાડાના ઘરમાં રહેવા આવી હતી એ ઘર પણ દીકરાએ ખાલી કરી નાખ્યું છે તેમ ત્યાંના પાડોશીઓ પાસેથી જાણવા મળ્યું છે.
આ સ્ત્રીએ એક જમાનામાં ‘પાકિઝા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેના સમાચાર વાંચીને ફિલ્મ બિરાદરીના બે સજ્જનો હૉસ્પિટલમાં પહોંચી ગયા અને તેનું બિલ ભરી દીધું. કોઈ ઓલ્ડ એજ હોમમાં તેની રહેવાની વ્યવસ્થા કરવા માટે તેઓ પ્રયત્નો કરી રહ્યા છે.
એક અન્ય કિસ્સામાં કર્જતના એક વૃદ્ધાશ્રમમાં બાર-બાર વર્ષથી રહેતાં બ્યાંસી વર્ષનાં એક ગુજરાતી મહિલા પણ દીકરાની રાહ જુએ છે. જિંદગીની સાંજ ઢળી ગઈ છે, પછી આ અંતિમ દિવસો પોતાના દીકરા સાથે ગાળવાની તેમને ઝંખના છે. પરંતુ દીકરાનો સંપર્ક નથી થઈ શકતો! પતિના અવસાન બાદ દીકરાનાં ઊજળાં ભવિષ્ય માટે આ માએ કેટલા ય ઢસરડા કર્યા, નોકરી કરી, પારકાં કામ કર્યાં અને દીકરો પ્રેમલગ્ન કરીને ઠરીઠામ થયો એમ લાગ્યું; પરંતુ એ તો આ કમનસીબ સ્ત્રીનો ભ્રમ હતો. ગૃહકંકાસ, બીમારી જેવી બીજી અનેક દુ:ખદ ઘટનાઓએ તેમનો પીછો ન છોડ્યો. છેલ્લાં વીસ વર્ષથી દીકરાના ઘર અને જીવન બન્નેમાંથી બહાર થઈ ગયેલાં આ વૃદ્ધાને હજી પણ દીકરા પ્રત્યેની મમતા વળગેલી છે. તેઓ કહે છે દીકરાનું મોઢું જોઈને ભલે મોત આવે!
આ માને મળવા તેનો દીકરો તો નથી આવ્યો, પણ કેટલાક સજ્જન અને સહૃદય ગુજરાતી વેપારીઓ આ માના દીકરા બનીને ભેટસોગાદ લઈને તેમને મળવા પહોંચી ગયા ત્યારે એ વૃદ્ધાના ચહેરા પર સંતોષનું સ્મિત જરૂર ફરક્યું હતું.
ત્રીજો કિસ્સો જે મા-બાપનો છે તેમને તો ત્રણ-ત્રણ દીકરાઓ છે. મહારાષ્ટ્રના શિરુર જિલ્લાના કર્ડે ગામના આ ખેડૂત પિતા પાસે એક જમાનામાં ઓગણીસ એકર જમીન હતી. પરંતુ ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં પિતાએ એ જમીન પોતાના ત્રણેય દીકરાઓમાં સરખે ભાગે વહેંચી દીધી અને એ માટેની કાનૂની પ્રક્રિયા શરૂ કરી. ત્યારે દીકરાઓ પાસેથી વચન મળેલું કે અમે તમને દર મહિને પાંચ-પાંચ હજાર રૂપિયા આપીશું. અને બે મહિના સુધી એ રકમ પિતાને મળી પણ ખરી, પરંતુ જેવી જગ્યા કાયદેસર રીતે તેમના નામ પર થઈ ગઈ કે પિતાને રૂપિયા મળતા બંધ થઈ ગયા! ટીબીનો દરદી બાપ દીકરાઓના ઘરે ગયો તો આભો જ બની ગયો! જમીન મળ્યા પહેલાં મીઠું-મીઠું બોલનાર દીકરાઓનાં વાણી અને વર્તન બે ય તદ્દન બદલાઈ ગયાં હતાં. બાપને એકના ઘરેથી બીજાના ઘરે ધક્કા ખવડાવ્યા, પણ રૂપિયા ન આપ્યા. પરિણામે એ ઓગણીસ એકર જમીનનો મૂળ માલિક આજે દાડિયા મજૂરી કરીને પોતાનું અને પત્નીનું પેટ ભરે છે અને કામ ન મળે એ દિવસે મંદિરની બહાર બેસીને ભીખ માગીને પૂરું કરે છે.
આ વૃદ્ધ દંપતીને પોતાની સાથે થયેલી છેતરપિંડીનો ખ્યાલ આવતાં તેમણે અદાલતમાં દીકરાઓ સામે ભરણપોષણ માટે અપીલ કરી છે. આ કેવી વિડંબના છે, દાતા (દેનાર) ખુદ માગનાર બની ગયો છે! આજે આપણા સમાજમાં અનેક વડીલોની આવી લાચાર સ્થિતિ છે. લાગણીમાં તણાઈ જઈને સંતાનો માટે ઓવરડુઇંગ કરી નાખે છે અને પછી પોતાને માટે હાથમાં કટોરો લઈ માગવાનો સમય આવે છે. મને થાય છે કે વડીલો ક્યાં સુધી આવી મૂર્ખાઈ કરતા રહેશે? વર્ષોથી દરેક મીડિયા પર આવા કિસ્સાઓ વાંચતા-સાંભળતા અને જોતા આવ્યા છીએ. એવા દરેક કિસ્સાને અંતે એક વણમાગી સલાહ અપાઈ હોય છે, જેનો એક જ સૂર હોય છે : વડીલો પોતાના જીવતેજીવ પોતાની મૂડી પોતાની પાસે જ રાખે. જે કંઈ સંતાનોને આપવાનું હોય એ પોતાના મરણ પછી જ મળે એવી પાકી સૂચના અને વ્યવસ્થા કરે એટલું જ નહીં, સમાજમાંથી કે પરિચિત વર્તુળમાંથી પણ આ અગમચેતી અવારનવાર ઊઠતી જ રહે છે. એમ છતાં વડીલો લાગણીમાં અને સંતાનમોહમાં કે સંતાનો પરના ભરોસામાં ખેંચાઈને પોતાની જિંદગીભરની મૂડી તેમના હવાલે કરી દે છે ત્યારે હકીકતમાં તેઓ પોતાની બાકી બચેલી જિંદગીને દાવ પર લગાવી દે છે.
માત્ર ભૌતિક સંપત્તિની જ આ વાત નથી, શારીરિક અને માનસિક શક્તિને પણ આ વાત લાગુ પડે છે. કેટલાં ય મા-બાપ સંતાનોના ભણવા માટે, તેમને પરદેશ મોકલવા માટે કે તેમને સેટલ કરવા માટે પોતાની વધતી ઉંમર કે ઘટતી શક્તિની ઉપેક્ષા કરીને પણ જાત ઘસતા રહે છે. તેમના મનમાં એક જ ઉમ્મીદ હોય છે : છોકરાઓ ભણીગણીને સેટ થઈ જાય ત્યાં સુધીની જ તકલીફ છે. એક વાર એ લોકો સેટલ થઈ જાય એટલે આપણે નિરાંતે આરામથી રહીશું. પરંતુ આવી નિરાંત અને આરામ ભોગવવાનું કેટલાં મા-બાપોના નસીબમાં હોય છે? બહુ થોડાં. તો લેસન નંબર ટૂ : મા-બાપ પોતાની શક્તિ અને ક્ષમતા પોતાના જીવનની સમી સાંજ માટે બચાવીને રાખે. એ વખતે એનર્જી લેવલ ડાઉન હશે. ત્યારે આ સાચવેલી શક્તિ અને ક્ષમતા કામ લાગશે અને પોતાની બચત પર નિર્ભર હશે એ મા-બાપ વૃદ્ધાવસ્થામાં ખુમારીભેર રહી શકશે. સંતાનો પર પ્રેમ હોય, તેમના માટે ઘણુંબધું કરવાનું મન થાય – એવી બધી વાતો બરાબર છે, પણ એ જ સંતાનોને છેક સુધી એવાં અડોરેબલ રહેવા દેવાં હોય તો ઉપર કહી એવી સ્વ-સંભાળ અને સ્વ-સાવચેતી અનિવાર્ય છે. સરવાળે એ સૌના સુખની ચાવી છે.
સૌજન્ય : ‘સોશ્યલ સાયન્સ’ નામક લેખિકાની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 06 જૂન 2017