ધર્મની વાત કરીને પણ સુખી રહી શકતા અમીશ ત્રિપાઠી સામે સાંપ્રદાયિકતાની વાત કરનારાં અરુંધતીને લોકો સુખે જીવવાં નથી દેતા. વાત બે લેખકોની, એમની રચનાઓની અને એમનાં ચાહકોની.
બંન્નેનાં નામની શરૂઆત અક્ષર ‘અ’ પરથી થાય છે. બંન્ને જણને ચાહનારાઓની સંખ્યા મોટી છે એટલું જ નહીંં પણ એમની ટીકા કરનારાઓનો વર્ગ પણ બહુ મોટો છે. એક એવી વ્યક્તિ છે જેને ‘વિવાદ કે કોન્ટ્રોવર્સી’ શબ્દ સાથે કંઇ કરતાં કંઇ જ લેવા દેવા નથી, તો બીજી વ્યક્તિ એવી છે જેને ‘વિવાદ’ સાથે જ્ન્મજન્માંતરનો સંબંધ હોય એવું લાગે છે. છેલ્લા કેટલાક સમયથી બંન્ને સતત ચર્ચામાં છે. એક જણ કરોડો રૂપિયા કમાય છે તો બીજું કરોડોમાં ય ન ખરીદી શકાય એવું સન્માન વિશ્વ સ્તરે મેળવે છે. આ બંન્ને જણ કોઇ રાજકારણીઓ નથી પણ લેખકો છે.
અહીં વાત થઇ રહી છે અમીશ ત્રિપાઠી અને અરુંધતી રોયની! મને ખબર છે કે અહી ંલખાયેલા બીજા નામથી પોતાની જાતને હિંદુ ‘વાદી’ કહેવડાવનારાઓનાં નાકનું ટીચકું ચઢી જશે, પણ હવે કોઇનાં નાકને સારું લગાડવા તો વાત અટકાવી નહીંં શકાય. (હિંદુ કોઇ વાદ છે જ નહીંં એ એક ધર્મ છે, ધર્મ એટલે કે સમાજમાં અમુક નિયમોને માર્ગે જીવવાની રીત શીખવતું શાસ્ત્ર -ધમ્મ, જેની ગૌતમ બુદ્ધે પણ વાત કરી છે) અમીશ ત્રિપાઠી જેણે આઇ.આઇ.એમ.માંથી અભ્યાસ કર્યો છે, ખૂબ સફળ બેંકર રહી ચુક્યાં છે અને પછી તેમની પર શંકરનો આશીર્વાદ ફળ્યો જેના પરિણામે તેમણે ‘શિવા ટ્રીયોલોજી’ હેઠળ ત્રણ પુસ્તકો લખ્યાં અને હવે તેમણે રામનો ઉદ્ધાર કરવાનું નક્કી કર્યું છે. આજે આ બંન્ને વ્યક્તિઓની વાત એક લેખક તરીકે પહેલાં અને પછી વ્યક્તિત્વની દ્રષ્ટિએ કરવી છે જેનું મૂળ કારણ એ કે બંન્ને જણનાં નવાં પુસ્તકો આ સમયમાં લોંચ થઇ રહ્યાં છે. અમીશ ત્રિપાઠીનું પુસ્તક ‘સીતા – ધ વોરિયર ઓફ મિથીલા’ લોંચ થઇ ચુક્યું છે અને અરુંધતી રોયનું પુસ્તક ‘ધ મિનીસ્ટ્રી ઑફ અટમોસ્ટ હેપ્પીનેસ’ આવતા અઠવાડિયે લોંચ થવાનું છે. આ બંન્ને લેખકોનાં ઇન્ટરવ્યુઝ, પુસ્તકોની ચર્ચા અને અરુંધતીનાં કેસમાં કોન્ટ્રોવર્સીની અત્યારે મોસમ ચાલે છે.
અમીશ ત્રિપાઠીની વાત કરવાની મજા એટલા માટે છે કારણ કે એમણે હિંદુ ધર્મકથાઓની રજૂઆત આજની પેઢી સમજી અને વાંચી શકે એ રીતે કરવાનો નિર્ણય લીધો. એમનાં લખાણોમાં એક પ્રકારની મુક્તતા છે. શંકર કે રામની વાત એ રીતે નથી થતી કે વાંચતા વાંચતા એકવાર ઊભા થઇને મંદિરે માથું ટેકવી આવવાનું મન થાય, પણ છતાં ય ભગવાનના અસ્તિત્વને કાં તો પડકારનારા કાં તો આંધળું અનુસરણ કરનારા સમયમાં એકવાર આ બધાં ભગવાનોને માણસ તરીકે જોવાની કરુણા ભલભલા માણસમાં આવી જાય છે. માણસ જ્યારે ક્યાંક અટકે કે અકળાય ત્યારે બોલતો હોય છે, ‘હું કંઇ ભગવાન થોડો છું’. અમીશનાં લખાણોનો ભગવાન જાણે એમ કહેવા માગે છે, ‘હું ય માણસ છું યાર, થોડું કન્સેશન તો આપો’. ભગવાનની આ વાણીથી તમારે ચમકવાની જરૂર નથી કારણ કે અમીશનાં લખાણોની મજા આમાં જ તો છે. ભલભલાં ભગવાન તમારી સામે, તમારી સાથે બેસીને પોતાની વાત કરતાં હોય એવું લખાણ એટલે અમીશનાં પુસ્તકો. શિવ પુરાણને સરળતાથી રજૂ કરવાનું શ્રેય અમીશને જાય છે. અમીશનાં પુસ્તકોમાં ફિક્શન પણ એટલું જ છે પણ એની રજૂઆત કોઇને પણ તકલીફ આપે એવી નથી હોતી. સસ્તું અને સરળ લખીને ટોચ પર પહોંચી જનારા કેટલાક ભક્ત પ્રકારનાં લેખકોની સરખામણીએ અમીશનું સ્તર બહુ ઊંચું છે. આ લખવું પડે છે કારણ કે એ પ્રકારનાં ‘ભગતો’ અને અમીશ એક રીતે એકબીજાનાં સમકાલીન છે. મને એમ કહેવામાં ચોક્કસ આનંદ થાય છે કે અમીશને મળવાનો એનો વિગતવાર ઇન્ટરવ્યુ કરવાનો મોકો મને સાંપડ્યો છે. એનાં લખાણોનો તર્ક, ક્લાસિક્સ વાંચનારાઓને ગળે નહીંં ઉતરે પણ વાસ્તવિકતા એ છે કે માયથોલોજીની ઊંડી સમજ ધરાવનારા અમીશે ભારે ભરખમ ગ્રંથોનું સરળીકરણ અને વાર્તાકરણ ગમી જાય એ રીતે કર્યાં છે. અમીશનાં કુટુંબમાં સંસ્કૃત ધર્મ ગ્રંથોનાં અભ્યાસનું વાતાવરણ હતું અને એ કેળવણી લેખે લગાડવામાં એમણે જરા ય પાછી પાની નથી કરી. રામની વાર્તા રજૂ કર્યા પછી તાજેતરમાં લોંચ થયેલાં પુસ્તકમાં સીતાની વાત છે પણ સતી સીતાની નહીંં વોરિયર એટલે કે લડવૈયા તરીકે સીતાને રજૂ કરાઇ છે. વ્યક્તિ તરીકે સરળ, નમ્ર અને હસમુખા અમીશ કર્મનાં સિદ્ધાંતની વાત, વાર્તાઓ સાંભળવાની માણસની મહેચ્છાની વાત અને વિવાદોથી દૂર રહી શકવાની પોતાની આવડત અંગે બહુ સિટકતાથી બોલે છે. ધર્મ વિશે લખીને પણ અધર્મીઓથી – એટલે કે તોડફોડિયાં તત્ત્વોથી દૂર રહી શકવામાં અમીશનાં વ્યક્તિત્વની નિર્ભેળતા વર્તાય છે. એમનું સ્પષ્ટ કહેવું છે કે, ‘હું વિવાદ ખડાં કરવા માટે નથી લખતો, એટલે વિવાદ ખડાં નથી થતાં.’
જેની સાથે કોઇ વિવાદ સંકળાયેલો નથી એવા અમીશની વાત પછી હવે જેની સાથે માત્ર વિવાદો જ સંકળાયેલાં છે એવાં અરુંધતી રોયની વાત કરીએ. વીસ વર્ષ પહેલાં ‘ગૉડ ઑફ ધી સ્મોલ થિંગ્ઝ’ પુસ્તકે વિશ્વસ્તરે નામના મેળવી. પુસ્તકોનાં પુરસ્કારમાં જેને સર્વોચ્ચ કહી શકાય તેવું મેન બુકર પ્રાઇઝનું સન્માન આ પુસ્તકને મળ્યું. એમાં રહેલી ભારતીયતા ત્યારે પણ લોકોને સ્પર્શી ગઇ હતી અને આજે પણ એ પુસ્તકની ફ્લેવર લોકોમાં તાજી છે. અમીશ અને અરુંધતીમાં રહેલી કેટલીક સામ્યાતાઓ અને ઘણાં તફાવતો વચ્ચેમાંનો એક તફાવત એ પણ છે કે અમીશે ૨૦૧૦માં પહેલું પુસ્તક બહાર પાડ્યુ ંઅને આ વર્ષે એમનું પાંચમું પુસ્તક પ્રકાશિત થયું. અરુંધતી રોયે ૧૯૯૭માં પુસ્તક લખ્યું, બુકર પ્રાઇઝ મેળવ્યું અને પછી સીધું ૨૦૧૭માં પુસ્તક પ્રકાશિત કર્યું. જો કે એમનું ફેન ફોલોઇંગ ઘટ્યું તો નથી જ. જેને કટ્ટરવાદીઓ ગાળો આપે છે, એવાં સેક્યુલર્સ અને તાર્કિક વિચારસરણીવાળાં લોકોની સંખ્યા પણ વધી છે.
વળી બંન્ને લેખકોનો બીજો બહુ દેખીતો તફાવત એ છે કે અમીશે ક્યારે ય કોઇ પણ પ્રકારનાં એક્ટીવિઝમમાં ભાગ નથી લીધો જ્યારે અરુંધતી રોયે બે પુસ્તકો વચ્ચેનાં વીસ વર્ષમાં એક્ટીવિસ્ટ તરીકે પોતાનો અવાજ લોકોનાં કાન સુધી પહોંચે એ માટે કોઇ પણ મુદ્દો જતો નથી કર્યો. નર્મદા બચાવો આંદોલનથી માંડીને ગુજરાત રાયટ્સથી લઇને હ્યુમન શિલ્ડનાં મુદ્દે અરુંધતી રોયે પોતાના વિચારો નિડરતાથી રજૂ કર્યાં છે. સરકારને અરુંધતી રોય સામે ખોબલેખોબલાં વાંધો છે પણ એનાથી અરુંધતી રોયને લગીરેક ફરક નથી પડ્યો. એમનાં પ્રકાશિત થનારાં પુસ્તક ‘ધ મિનીસ્ટ્રી ઓફ અટમોસ્ટ હેપીનેસ’માં પણ એવાં પાત્રોની વાત છે જે હાંસિયામાં ધકેલાઇ ગયાં છે પણ પોતાની જિંદગીની કેડી કંડારે છે. પહેલાં પુસ્તકમાં જાતિ ભેદ અને શોષણની વાત છે તો બીજાં પુસ્તકમાં સામાજિક દૃષ્ટિકોણની વાત છે. એક હિજડાની વ્યથા, કટ્ટરવાદીઓનો ઉદય, ફેમિનીઝમનાં પ્રશ્નો, આદિવાસીઓની સમસ્યાઓ, કાશ્મીરની સ્વતંત્રતા અને ભોપાલ ગેસ દૂર્ઘટના જેવી બાબતો વણી લેવાઇ છે. અંજુમ નામનો હિજડો કઇ રીતે ૨૦૦૨નાં રમખાણોમાં કબ્રસ્તાનમાં જઇને વસે છે અને પોતાનાં જેવાં તરછોડાયેલાં લોકોની સાથે એક ત્યાં પોતાની દુનિયા રચે છેની પૃષ્ઠભુમિ પર આખી વાર્તા રચાયેલી છે.
સમાજની સંકૂલતા આ પુસ્તકનાં પાત્રોમાં છતી થાય છે. અરુંધતી રોય વિશે તાજેતરમાં જ પરેશ રાવલે ટિપ્પણી કરી હતી અને ઘણી હોહા પછી વાસ્તવિકતા બહાર આવી કે મૂળે કોઇ તદ્દન ખોટા ન્યુઝ રિપોર્ટને આધારે આ વિવાદ છેડાયો હતો. જો કે અરુંધતીને માથે માછલાં પહેલીવાર નથી ધોવાયાં. લેખક તરીકે સ્થાપિત થયાં પછી અરુંધતી રોય એ એક માત્ર રોલમાં નથી રહ્યાં. બુદ્ધિજીવીઓનાં અવાજ તરીકે એમણે વધારે ઘેરી અને આકરી ઓળખ કેળવી. પોતાનાં વિચાર નિર્ભિક પણ રજુજૂકરી શકે, સુંદર હોય, સ્વતંત્ર હોય, બુદ્ધિશાળી હોય એવી સ્ત્રીઓ આમ પણ ભારતની પિતૃસત્તાક માનસિકતાને બહુ પસંદ નથી આવતી. લોકો ભલે બબડાટ કર્યા કરે પણ જે રીતે તસલીમા નસરીનની મહત્તા આજે પણ છે એ જ પ્રમાણે અરુંધતી રોય પણ અડીખમ રહેશે. એમને તટસ્થતામાં નહીંં પણ જે સાચું છે એની પડખે ઊભા રહેવામાં રસ છે. ન્યુટ્રલ હોવું અને સ્ટેન્ડ લેવું એ બંન્નેમાં જેટલો ફેર છે એટલો જ ફરક ખુરશી પર બેસીને અરુંધતીની ટીકા કરનારાઓમાં અને સામી છાતીએ બધી જ કડવાશ ઝીલનારાં અરુંધતીમાં છે.
મુદ્દો એ છે કે અમીશ અને અરુંધતી બંન્નેની આગવી લોકપ્રિયતા છે. બંન્ને મજાનું લખે છે અને એમને જરૂર વાંચવા જોઇએ. વિવાદોની હાજરી કે ગેરહાજરીથી પુસ્તકોની પસંદગીમાં ફેર ન પડવો જોઇએ. વિચારધારા એક તરફ અને વાર્તાકાર બીજી તરફ છે. સાક્ષી ભાવની અગત્યતા જેને સમજાશે એ જ અલગ અલગ પ્રકારની વાંચન સામગ્રીને ન્યાય આપવા સક્ષમ હોય છે.
બાય ધી વેઃ
જ્યારે આ લખવાની શરૂઆત કરી ત્યારે બંન્ને નામ ‘અ’ પરથી શરૂ થાય છે લખ્યું પછી એક સેકંડ માટે મનમાં એમ પણ વિચાર આવ્યો કે વાચકો ક્યાંક એમ ન માની બેસે કે અહીં શ્રી અરવિંદ (કેજરીવાલ) અને અમિત ભાઇ (શાહ)ની વાત કરવાની છે!! જો કે આ બંન્નેનાં હેટર્સ અને લવર્સ ઓછાં નથી, પણ અરવિંદના ખાતામાં અણગમાનું બેલેંસ દિવસે દિવસે વધી રહ્યું છે. અમીતભાઇના માલમે તો એવું છે કે જેમ સલમાન ‘ભાઇ’ સામે કોઇ આંગળી નથી ઉઠાવતું એમ આ ‘ભાઇ’ સામે પણ કોઇ આંગળી ઉઠવવાનો પ્રયાસ નથી કરતું, મૂળે શું કે સાહેબની રહેમ નજર હોય તો જરા સાચવવું પડે.
https://www.facebook.com/chirantana.bhatt/posts/1322742971114042
‘બહુશ્રુત’ નામક લેખિકાની કોલમ, ‘રવિવારીય’ પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 04 જૂન 2017