સમગ્ર યુરોપમાં પ્રતિક્રિયાવાદી રાજકારણે માથું ઊંચક્યું છે. આના મૂળમાં ઇસ્લામ માટેનો કાલ્પનિક ભય છે. આતંકવાદીઓ કાલ્પનિક ભયને વાસ્તવિક ભયમાં રૂપાંતરિત કરીને પશ્ચિમ એશિયા અને યુરોપને બે છાવણીમાં વહેંચી નાખવા માગે છે જેથી ઇસ્લામ અને ક્રિશ્ચિયાનિટી વચ્ચેનું જેહાદ ને ક્રુઝેડનું અધૂરું, અનિર્ણીત રહેલું યુદ્ધ છેલ્લી વાર નિર્ણાયક રીતે લડી લેવાય
બ્રિટનમાં આતંકવાદીઓએ ત્રણ મહિનામાં આ ત્રીજો હુમલો કર્યો છે. આ વરસમાં પહેલો હુમલો વેસ્ટમિન્સ્ટરમાં કર્યો હતો જેમાં ચાર વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી અને બીજા કેટલાક લોકો ઘાયલ થયા હતા. એ પછીની બીજી ઘટના ઘણી ગંભીર હતી જેમાં મૅન્ચેસ્ટરમાં ચાલી રહેલી મ્યુિઝકલ કૉન્સર્ટના સ્થાને હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બાવીસ જણ માર્યા ગયા હતા અને ૫૯ જણ ઘાયલ થયા હતા. ત્રીજી ઘટનામાં શનિવારે લંડન બ્રિજ પર ચાલી રહેલા લોકો પર હુમલો થયો હતો જેમાં સાત જણ માર્યા ગયા હતા. સમગ્ર યુરોપની વાત કરીએ તો યુરોપમાં છેલ્લાં બે વરસમાં પંદર જેટલી આતંકવાદી ઘટનાઓ બની છે જેમાંથી ચાર ઘટનાઓ મોટી સંખ્યામાં લોકોના જાન લેનારી ગંભીર હતી.
લંડનમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટમૅચ રમવાની હતી એને ધ્યાનમાં રાખીને આતંકવાદીઓએ હુમલો કર્યો હતો એવી એક થિયરી છે. બીજી થિયરી એવી છે કે ૮ જૂને બ્રિટનમાં આમની સભાની ચૂંટણી યોજાઈ રહી છે એને ધ્યાનમાં રાખીને આતંકવાદીઓએ હુમલો કર્યો છે. લોકો ડરના માર્યા મતદાન કરવા ઓછા બહાર નીકળે એ એક કારણ અને બીજું આતંકવાદને નાથવામાં નિષ્ફળ નીવડવા માટે મતદાતાઓ શાસક રૂઢિચુસ્ત પક્ષને દંડે એ બીજું કારણ. બ્રિટિશ રૂઢિચુસ્ત પાર્ટી મુસલમાનોના પ્રશ્ને અનુદાર છે. આ બે થિયરીમાંથી મૅચવાળી થિયરી ખાસ ગળે ઊતરે એવી નથી. આતંકવાદી હુમલાઓના કારણે રૂઢિચુસ્ત પક્ષનો પરાજય થાય એમ પણ માની લેવાની જરૂર નથી. ઊલટું મજૂર પક્ષના સમર્થક મતદાતાઓ આતંકવાદ વિશે આકરી ભૂમિકા લેનારા રૂઢિચુસ્ત પક્ષને મત આપે એવું પણ બને. રૂઢિચુસ્ત પક્ષનાં વડા પ્રધાનપદનાં ઉમેદવાર થેરેસા મેની સરખામણીમાં મજૂર પક્ષના વડા પ્રધાનપદના ઉમેદવાર જેરેમી કોર્બિન તો આજના યુગમાં કલ્પના પણ ન થઈ શકે એટલી હદે લિબરલ છે. આટલા ઉદારમતવાદી માણસને મજૂર પક્ષ પણ સહન કરી શકશે કે કેમ એ વિશે શંકા કરવામાં આવી રહી છે ત્યારે બ્રિટનના મતદાતાઓ મજૂર પક્ષને મત આપીને કોર્બિનને વડા પ્રધાન બનાવશે તો એ આજના યુગનું મોટું આશ્ચર્ય હશે.
અનેક લોકો એમ માને છે કે ટાર્ગેટ યુરોપ છે. ભારતના ગૃહપ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે ભારતની અંદર ઘૂસીને કરવામાં આવતા આતંકવાદી હુમલાઓમાં ઘટાડો થયો છે. તેમણે તો મોદી સરકારની અને ગૃહપ્રધાન તરીકે તેમની પોતાની સફળતાનો જશ લેવા માટે આમ કહ્યું છે, પરંતુ હકીકત એ છે કે આતંકવાદીઓના નેટવર્કે પૂર્વની જગ્યાએ પશ્ચિમ તરફ નજર દોડાવી છે. અત્યારે યુરોપ તેમનો મુખ્ય ટાર્ગેટ હોય એમ લાગે છે. જ્યાં આપણા કરતાં અનેકગણી ટાઇટ સિક્યૉરિટી છે ત્યાં લગભગ ઉપરાઉપરી હુમલા થઈ રહ્યા છે. આનો અર્થ એ થયો કે કોઈ સિક્યૉરિટી ફૂલપ્રૂફ નથી અને બીજો અર્થ એ થયો કે આતંકવાદીઓ સિક્યૉરિટી નેટવર્ક તોડવાની ક્ષમતા ધરાવે છે. હવે પછી અમેરિકા પણ આતંકવાદીઓનું નિશાન બને તો આશ્ચર્ય નહીં.
યુરોપને ટાર્ગેટ બનાવવાનું મુખ્ય કારણ ઇસ્લામોફોબિયા છે. યુરોપની સમગ્ર પ્રજા ઇસ્લામ અને મુસલમાનોથી ડરેલી છે. આનો રાજકીય લાભ ત્યાંના રાજકીય પક્ષો અને રૂઢિચુસ્ત નેતાઓ ઉઠાવે છે અને તેઓ વધારે ડરાવે છે. સમગ્ર યુરોપમાં પ્રતિક્રિયાવાદી રાજકારણે માથું ઊંચક્યું છે. આના મૂળમાં ઇસ્લામ માટેનો કાલ્પનિક ભય છે. દેખીતી વાત છે કે જ્યાં ડરનારા વધુ હોય ત્યાં ડરાવનારા પણ વધુ હોય. આતંકવાદીઓ કાલ્પનિક ભયને વાસ્તવિક ભયમાં રૂપાંતરિત કરીને પશ્ચિમ એશિયા અને યુરોપને બે છાવણીમાં વહેંચી નાખવા માગે છે જેથી ઇસ્લામ અને ક્રિશ્ચિયાનિટી વચ્ચેનું જેહાદ અને ક્રુઝેડનું અધૂરું અને અનિર્ણીત રહેલું યુદ્ધ છેલ્લી વાર નિર્ણાયક રીતે લડી લેવાય. આમ પણ પશ્ચિમ એશિયા અને યુરોપ પાડોશમાં છે. અત્યારે જે સભ્યતાના સંઘર્ષની રણભૂમિ આકાર લઈ રહી છે એ યુરોપમાં આકાર લઈ રહી છે.
યુરોપની પ્રજાની સરખામણીમાં ભારતની પ્રજાએ વધારે પરિપક્વતા બતાવી છે. યુરોપની સરખામણીમાં ભારત પર અનેકગણા મોટા આતંકવાદી હુમલાઓ થયા છે; પરંતુ ભારતની પ્રજાએ એવો કોઈ ભય નથી અનુભવ્યો, કાલ્પનિક ભય તો બહુ દૂરની વાત છે. આજે હુમલો થાય અને કાલે જાણે કે કંઈ બન્યું જ ન હોય એમ લોકો કામે લાગી જાય. કાલ્પનિક શંકાના આધારે નિર્દોષ મુસલમાનોને રંજાડવામાં આવ્યા હોય એવી તો ભાગ્યે જ કોઈ ઘટના બની હશે. બાકી અમેરિકામાં નાઇન ઈલેવન પછી સિખોને મુસલમાન સમજીને મારવામાં આવતા હતા. આમ પ્રજા જ્યારે ભયભીત થઈને મનોમન અને એ પછી રસ્તા પર મોરચા ખોલવા માંડે ત્યારે સભ્યતાઓનું યુદ્ધ આસાન બની જતું હોય છે અને એ જ તો ઇસ્લામિસ્ટો ઇચ્છે છે.
શનિવારે ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ પરથી મીડિયાને સંબોધતાં બ્રિટિશ વડાં પ્રધાન થેરેસા મેએ કહ્યું હતું કે હવે ઘણું થયું, બ્રિટન હવે પછી બીજો હુમલો ખમી જવા તૈયાર નથી. વડા પ્રધાન છે અને ચૂંટણી માથે છે એટલે આમ કહેવું પડે. બાકી ત્રણ મહિનામાં ત્રણ હુમલા એ જ મોટી ગંભીર બાબત છે. દરમ્યાન બ્રિટનના દરેક રાજકીય પક્ષે સરકારને ટેકો આપ્યો છે અને તમામ પક્ષોએ મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકો માટે સહાનુભૂતિ વ્યક્ત કરવા એક દિવસ ચૂંટણીપ્રચાર થંભાવી દીધો છે. ચૂંટણી આડે હવે ચાર દિવસ રહ્યા છે. બ્રિટનમાં એક વાર ચૂંટણી જાહેર થઈ જાય એ પછી એને અટકાવવાની કોઈ જોગવાઈ નથી. ચૂંટણીનાં પરિણામો શું આવશે એના તરફ જગતની કુતૂહલ દૃષ્ટિ મંડાયેલી રહેશે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 05 જૂન 2017