ગાંધીજીએ 61 વર્ષે જે ટુકડીની આગેવાની લીધી હતી એમાં 20 વર્ષ સુધીના 14 અને 21 વર્ષથી 35 વર્ષ સુધીના 53 સાથી હતા
અત્યંત જાણીતી હસ્તીઓ અને ઘટનાઓની એક નિયતી હોય છે— ભારતમાં તો ખાસઃ તેમના વિશે બધાએ સાંભળ્યું હોય, તેમને પૂજવામાં કે ઊજવવામાં આવતાં હોય, પણ પ્રાથમિક માહિતીથી આગળ મોટા ભાગના લોકોને જવાની જરૂર લાગતી ન હોય. કારણ કે, મોટા ભાગના લોકોના જીવનમાં એ વ્યક્તિ કે ઘટના ઇતિહાસના પેપરની ટૂંકનોંધ કે ખાલી જગ્યાથી વિશેષ મહત્ત્વ ધરાવતી ન હોય. મીઠાના વેરાના વિરોધમાં અને એ નિમિત્તે અંગ્રેજ સરકારને હચમચાવવા માટે ગાંધીજીએ કરેલી દાંડીકૂચ એવી જ એક ઘટના છે.
1930ની 12મી માર્ચની સવારે 6:20 કલાકે ગાંધીજી સાબરમતી આશ્રમથી નીકળ્યા, ત્યારે તેમણે ચોઘડિયું કે મુહૂર્ત જોવડાવ્યું ન હતું. પાકા ધાર્મિક-આસ્તિક ગાંધીજી ઇશ્વરની માન્યતા સાથે વળગેલી અંધશ્રદ્ધાથી સદંતર દૂર હતા. 78 અહિંસક સૈનિકો અને 79મા ગાંધીજી — આ બધામાં ગાંધીજીની ઉંમર સૌથી વધારે, 61 વર્ષ હતી. (ગાંધી શતાબ્દી નિમિત્તે દાંડીકૂચ વિશે પુસ્તક લખનાર કલ્યાણજી મહેતા અને ઇશ્વરલાલ દેસાઈએ કૂચ કરનાર સાથીઓનો કુલ આંકડો 80 આપ્યો છે અને તેમની યાદી પણ આપી છે. પરંતુ આધારભૂત ગાંધીસાહિત્યમાં તે આંકડો 78નો છે.) સૈનિકોમાં ગાંધીજીના પુત્ર મણિલાલ ગાંધી (38 વર્ષ) અને પૌત્ર કાંતિ (હરિલાલના પુત્ર, 20 વર્ષ) સામેલ હતા. આખી ટુકડીમાં ત્યાર પછી પણ જાણીતાં બન્યાં હોય એવાં નામ ત્રણ જ ગણી શકાયઃ પંડિત નારાયણ ખરે (42 વર્ષ, દાંડીકૂચના ચિત્રમાં હાથમાં તાનપૂરા સાથે દેખાતા), વાલજી ગોવિંદજી દેસાઈ (ગાંધીવાદી) અને સૌથી વધારે જાણીતા બનેલા ગાંધીજીના મંત્રી, ડૉ. સુશીલા નાયરના ભાઈ, ‘ધ લાસ્ટ ફેઝ’ના દળદાર ચાર ગ્રંથોના લેખક પ્યારેલાલ (30 વર્ષ).
ગાંધીજીમાં આત્મવિશ્વાસની જરા ય કમી ન હતી. એટલે જ, તે પોતપોતાની રીતે સમર્થ એવા નેતાઓને (પોતાનું સ્થાન જોખમાઈ શકે એવી ચિંતા વિના) સાથે રાખી શક્યા. દાંડીકૂચમાં તેમણે 61 વર્ષે અને ચાલતા જવામાં — એટલે કે શારીરિક કસોટીમાં— જે ટુકડીની આગેવાની લીધી હતી એ ટુકડીમાં 20 વર્ષ સુધીના 14 અને 21 વર્ષથી 35 વર્ષ સુધીના 53 સાથી હતા. સૌથી મોટા રામજીભાઈ વણકર 45 વર્ષના એટલે કે ગાંધીજીથી ખાસ્સા 16 વર્ષ નાના હતા. કૂચ ગુજરાતનાં બે મથક વચ્ચે હતી, ભાગ લેનારા મોટા ભાગે મુંબઈ પ્રાંતના (વર્તમાન ગુજરાત-મહારાષ્ટ્રના), પણ તેનું સ્વરૂપ રાષ્ટ્રીય રહે તે માટે સંયુક્ત પ્રાંત (ઉત્તર પ્રદેશ), બિહાર, ઉત્કલ (ઓરિસ્સા), બંગાળ, પંજાબ, રાજપૂતાના (રાજસ્થાન), સિંધ, કેરળ, (પછીનું) આંધ્ર પ્રદેશ, કર્ણાટક જેવા પ્રાંતોનું પણ પ્રતિનિધિત્વ કૂચમાં હતું. હિંદુઓ ઉપરાંત મુસ્લિમ, ખ્રિસ્તી, દલિત અને નેપાળી યાત્રી તેમાં સામેલ હતા. એક ભાઈ નામે હરિદાસ મજુમદાર વિસ્કોન્સિન(અમેરિકા)માં એમ.એ, પીએચ.ડી. થઈને તાજા જ આવ્યા હતા ને તે કૂચમાં જોડાયા. સ્ત્રીઓને ઘરનાં બંધનોમાંથી બહાર કાઢનાર ગાંધીજીએ દાંડીકૂચમાં બહેનોને કેમ સામેલ ન કરી, તેનો જવાબ કૂચ પહેલાંની છેલ્લી જાહેર સભામાં આપ્યો. તેમણે કહ્યું કે બહેનો માટે હજી વાર છે. આ વખતે મારે આપણા જુવાનો અને આધેડોને માથાં ફોડાવતાં અને છાતીમાં ગોળીઓ ઝીલતાં શીખવવું છે. બ્રિટિશ સરકારને હું શેતાની સરકાર કહું છું. છતાં તેનામાં બહેનો ઉપર લાઠી અને ગોળી નહીં ચલાવવાની સભ્યતા રહેલી છે એમ હું માનું છું. એટલે બહેનોને દાખલ કરીને મારે તેમની ઓથે ભાઈઓને બચાવી લેવા નથી …
દાંડીકૂચ પહેલાં ગાંધીજીની ધરપકડ થશે એવી જોરદાર હવા હતી. સરકારે કૉન્સ્ટેબલની ઉપરના દરેકને સૉલ્ટ ઑફિસરનો હોદ્દો આપ્યો હતો. એ લોકો ગેરકાયદે મીઠાનું ઉત્પાદન અટકાવી શકે અને એવું કરનારની ધરપકડ કરી શકે. પરંતુ વાઇસરૉય ઇર્વિનને જાસૂસી ખાતા તરફથી એવા ખબર મળ્યા હતા કે ગાંધી આટલું લાંબું અંતર ચાલશે તો વચ્ચે જ ઢળી પડશે. એટલે તેમણે બ્રિટનના ગૃહમંત્રીને વધામણી ખાધી હતી કે ગાંધીની તબિયત સારી નથી. એ રોજ કૂચ કરશે તો રસ્તામાં જ મૃત્યુ પામશે ‘અૅન્ડ ઇટ વુડ બી એ વૅરી હૅપી સૉલ્યુશન’ (અને એવું થશે તો નિરાંત થશે.
પણ વાઇસરૉયની આશાઓ ફળી નહીં. ગાંધીજીની ધરપકડ કરવાની થાય તો તરત કરી શકાય એ માટે, સરકારે 28 વર્ષની લાંબી નોકરી ધરાવતા દેશી ડૅપ્યુટી કલેક્ટર દુર્લભજી દેસાઈને કૂચની સાથે રાખ્યા હતા. પરંતુ એ નોબત આખી કૂચ દરમિયાન આવી નહીં. કૂચ ખેડા જિલ્લામાં પ્રવેશી ત્યારે ખેડાના અંગ્રેજ કલેક્ટરે સાથે રહેલા ડૅપ્યુટી કલેક્ટર દુર્લભજીને કહ્યું કે કૂચ પર મનાઈહુકમ આપો. ત્યારે દુર્લભજીએ તેમને જ્ઞાન આપ્યું કે અમદાવાદમાં કોનું રાજ છે? અંગ્રેજનું. ત્યાં કલેક્ટર પણ હતા અને બધાના ઉપરી જેવા કમિશનર પણ. એ કોઈએ ધરપકડ ન કરાવી, તો તમે શા માટે માટે જોખમ વહોરો છો?
આમ, ધરપકડની વાત ટળી. દાંડી પહોંચીને કાયદાનો ભંગ કર્યા પછી કરાડી મુકામેથી ગાંધીજીની અડધી રાતે ધરપકડ થઈ ત્યારે તેના વિરોધમાં દુર્લભજી દેસાઈએ રાજીનામું આપી દીધું. કલ્યાણજી મહેતા – ઇશ્વરલાલ દેસાઈએ તેમના પુસ્તક ‘દાંડીકૂચ’માં આ પ્રસંગ નોંધીને લખ્યું છે કે દુર્લભજી દેસાઈ આગળ જતાં ગુજરાતમાં પ્રધાન બનેલા (‘નવજીવન’ના ટ્રસ્ટી) ઠાકોરભાઈ દેસાઈના કાકા થાય.
ધરપકડની શક્યતાઓ વચ્ચે કૂચના પાંચમા દિવસે ગાંધીજીએ આણંદમાં કહ્યું, ‘આ નીકળેલો કાફલો નાટકી નથી. થોડા દિવસનો એ ચટકો નથી. એ મરીને પણ પોતાની પ્રતિષ્ઠા સિદ્ધ કરી આપશે …’ એ વિધાન દાંડીકૂચના અંતે થયેલા રાષ્ટ્રવ્યાપી સત્યાગ્રહમાં લોકોએ સાચું પાડી બતાવ્યું. ધરાસણામાં મીઠાની ફૅક્ટરી પર કરેલી કૂચમાં સત્યાગ્રહીઓએ જે શિસ્તબદ્ધ ઢબે પોલીસનો માર વેઠ્યો, તે ‘ગાંધી’ ફિલ્મનું જ નહીં, ગુજરાતના-ભારતના ઈતિહાસનું અવિસ્મરણીય દૃશ્ય છે.
25 દિવસમાં આશરે 329 કિલોમીટરનું અંતર કાપીને પાંચમી અૅપ્રિલના રોજ ગાંધીજી સાથીદારો સાથે દાંડી પહોંચ્યા. (ક્યાંક 241 માઇલ એટલે કે 385 કિલોમીટર અંતર મળે છે. છતાં 329 કિલોમીટરના હિસાબે પણ રોજની 13 કિલોમીટરની સરેરાશ થઈ — 61વર્ષની વયે.) પાંચસોથી પણ ઓછા માણસની વસ્તી ધરાવતા દાંડીમાં ખાદીધારી સિરાજુદ્દીન શેઠે ગાંધીજીને આવકાર્યા અને પોતાના બંગલામાં ઉતાર્યા (જ્યાં હવે રાષ્ટ્રીય સ્મારક છે). છઠ્ઠી અેપ્રિલે દાંડીકૂચની સમાપ્તિ પછી ગાંધીજી એ જ વિસ્તારમાં રહ્યા, પણ સાથીદારોને પોતપોતાના ઠેકાણે જવાની રજા આપી. કારણ કે પ્રાંતોમાં પણ લડત ફેલાઈ ચૂકી હતી.
એકાદ મહિને, 5 મેની રાત્રે દોઢ વાગ્યે કરાડીથી ગાંધીજીની ધરપકડ થઈ. ત્યાં સુધીમાં ગાંધીજી આસપાસનાં ગામડાંમાં જતા હતા. તેમાં 9 અૅપ્રિલના રોજ ભીમરાડની મુલાકાત દરમિયાન જમીન પરથી મીઠું ઉપાડતા ગાંધીજીનો ફોટો (ખોટી રીતે, દાંડીકિનારાની તસવીર તરીકે) અત્યંત પ્રસિદ્ધ બન્યો.
જેલો ઉભરાઈ ગયા પછી અંગ્રેજ સરકારને ગાંધીજી સાથે, પહેલી વાર તેમને બરાબરીના દરજ્જે સ્વીકારીને, સમાધાન કરવાની ફરજ પડી. મુલાકાત વખતે વાઇસરૉય ઇર્વિને સમાધાનના માનમાં ચાનો વિવેક કર્યો. ત્યારે ગાંધીજીનું પીણું હતું લીંબુપાણી અને અંદર ચપટી મીઠું.
સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપતાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 11 માર્ચ 2018