અનન્ય અર્ધવાર્ષિક “સાર્થક જલસો”ના નવા અંકમાંથી આ લેખ સાભાર ઉતાર્યો છે. લેખ એપ્રિલની અધવચ લખાયો હોઈ તે પછીના ઘટનાક્રમની ચર્ચા અહીં સ્વાભાવિક જ નથી. પરંતુ હાલના ઘટનાક્રમની પીછવાઈની રીતે એમાં ખાસી સામગ્રી પડેલી છે. વળી લેખક તરફથી આગામી અંક માટે તાજા કલમ પણ મળશે એ આનંદની વાત છે.
— “નિરીક્ષક” તંત્રી
આ વખતના 'સાર્થક જલસો'માં હું કોમવાદી બનવામાંથી કેમ બચ્યો તે વિશે લખવાની ગણતરી હતી. પરંતુ એ અરસામાં પાંચ વિધાનસભાનાં પરિણામ આવ્યાં. તેના પગલે ગુજરાતમાં આ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ ભીંત પર ચીતરાઈ ગયાં હોય તેવી રાજકીય નશાયુક્ત ઉજવણી જોવા મળી. એટલે ગુજરાત ભા.જ.પ.ની ઓછી અને ગુજરાત કાઁગ્રેસની ઘણીબધી વાતો કરવા જેવી લાગે છે.
છેલ્લાં ૨૭ વર્ષથી કાઁગ્રેસ સત્તાબહાર છે, તેના મૂળમાં ભા.જ.પ. કરતાં કાઁગ્રેસ પોતે જ વધારે જવાબદાર છે. એક જમાનામાં જ્યારે ગુજરાતમાં કાઁગ્રેસનો ડંકો વાગતો હતો અને ભા.જ.પ.નું અસ્તિત્વ હજી મંડાયું પણ નહોતું ત્યારે ગુજરાત કાઁગ્રેસની નેતાગીરી આજની કાઁગ્રેસની નેતાગીરી કરતાં ગુણાત્મક રીતે ઘણી જુદી હતી.
૧૯૮૦ પહેલાં મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય બન્યું ત્યારે ગુજરાતની લગભગ તમામ સરકારોનું નેતૃત્વ કહેવાતા સવર્ણો અને ઉજળિયાત લોકોએ કર્યું. જીવરાજ મહેતાથી માંડીને બાબુભાઈ જશભાઈ પટેલ સુધીની સરકારોમાં ચીમનભાઈ પટેલ અને બાબુભાઈને બાદ કરતાં લગભગ બધા જ મુખ્ય મંત્રી બ્રાહ્મણ હતા. દેશમાં પણ સત્તાનાં કેન્દ્રો લગભગ આ વર્ગો પાસે જ હતાં.
એચ.એલ. કૉમર્સ કૉલેજ પાસે અર્ચિતા ઍપાર્ટમેન્ટના નાનકડા ફ્લૅટમાં રહેતા કાઁગ્રેસી નેતા અને વિચક્ષણ રાજપુરુષ માધવસિંહ સોલંકીએ ૧૯૮૦ પછી ગુજરાતમાં એક નવી રાજનીતિ ઊભી કરી. તેમની સાથે પંખા વગરના ઘરમાં વ્યારા ખાતે રહેતા ઝીણાભાઈ દરજી, નવી બંધાઈ રહેલી જીવરાજ હૉસ્પિટલના કમ્પાઉન્ડની પ્લાસ્ટર વગરની ઓરડીમાં રહેતા રતુભાઈ અદાણી, મહંત વિજયદાસજી, વડોદરાની પોળમાં રહેતા સનત મહેતા, નવરંગપુરા ખાતે નાના ફ્લૅટમાં રહેતા પ્રબોધ રાવળ, નરસિંહ મકવાણા, ત્ર્યંબકલાલ દવે, પેથલજી ચાવડા અને એકાદ અપવાદને બાદ કરતાં સાદગીને વરેલા બિનપાટીદાર નેતાઓ જોડાયેલા હતા. આ સૌ પોતપોતાની રીતે પોતપોતાના ક્ષેત્રમાં નીવડેલા દિગ્ગજ રાજનેતાઓ હતા. ઊડીને આંખે વળગે તેવું પાટીદાર નેતૃત્વ નવનિર્માણ પછી ચીમનભાઈ પટેલની હકાલપટ્ટી બાદ કાઁગ્રેસમાં કોઈ જોવા મળતું નહોતું. માધવસિંહ સોલંકીના નામે એક રેકૉર્ડ તો વારંવાર દોહરાવવામાં આવે છે કે તેમણે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં વિધાનસભામાં સૌથી વધારે ૧૪૯ બેઠકો 'ખામ’ થિયરીના આધાર પર મેળવી આપી. પરંતુ બીજો એક, ગુજરાત વિધાનસભામાં કાઁગ્રેસને સૌથી ઓછી ૩૨ સીટો અપાવવાનો (૧૯૮૯માં) રેકૉર્ડ પણ માધવસિંહના નામે જ છે.
કથિત ઉજળિયાતો અને મહદ્અંશે પાટીદારોને 'ખામ’ થિયરીના ઉદ્ભવ પછી ચિક્કાર અપમાનબોધની પીડા સતાવતી હતી. ૧૯૮૧ અને ૧૯૮૪માં અનામતવિરોધી આંદોલનના મૂળમાં પણ આ જ અન્યાયબોધ હતો. ખાસ કરીને ૧૯૮૪માં માધવસિંહ સોલંકીના વખતમાં ગુજરાતવ્યાપી જે હિંસા થઈ તેમાં પાટીદારોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. મહેસાણામાં પાટીદાર ખેડૂત રેલીમાં સ્થાનિક ‘ખામ’ નેતા અને પ્રધાનના ઇશારે ખેડૂતોને ગોળીઓથી વીંધવામાં આવ્યા હતા, જેને કારણે કાઁગ્રેસ પ્રત્યેનો આક્રોશ આજે ૨૦૨૨માં પણ શમ્યો નથી.
આ જ ઘટનાઓના સમાંતરે દલિતો પર પણ ઠેર ઠેર સવર્ણોએ હુમલા કર્યા. ૨૫ જાન્યુઆરી, ૧૯૮૬ના રોજ ખંભાત તાલુકાના ગોલાણા ગામે ૩,૦૦૦ લોકોનાં ટોળાંએ ચાર દલિતોને રહેંસી નાખ્યા અને ૪૦ને ગંભીર રીતે ઘાયલ કર્યાની ઘટનાએ દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો હતો. પાટીદારો અને ઉજળિયાતોનો રોષ એટલો તીવ્ર હતો કે કાઁગ્રેસ હાઈ કમાન્ડે રોકડી ૧૪૯ બેઠકો વિધાનસભામાં લાવનાર માધવસિંહ સોલંકીની જગ્યાએ રાતોરાત અમરસિંહ ચૌધરીની વરણી કરીને તથા જસ્ટિસ દવે પંચ નીમી તેને ટાઢો પાડવાની કોશિશ કરી. આ આક્રોશની તકનો લાભ સીધો ભા.જ.પે. આંચકી લીધો.
અમરસિંહે ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્ય પ્રધાન થયા પછી તેમણે સવર્ણોની ગુમાવેલી મતબૅંક મેળવવા ભરપૂર કોશિશ કરી. ૧૯૮૬-૮૭-૮૮ના વિકરાળ ત્રણ દુષ્કાળોનો સારી રીતે સામનો કર્યો પણ તેનાથી માધવસિંહની વિદાય પછી કાઁગ્રેસનું રાજકીય ધોવાણ અટકવાના બદલે વધતું ચાલ્યું અને છેલ્લા ઉપાય તરીકે ૧૯૮૯માં વિધાનસભાની ચૂંટણી પહેલાં માધવસિંહના નામનું શસ્ત્ર ફરી અજમાવ્યું જે કરપીણ રીતે નિષ્ફળ નીવડ્યું. ૧૪૯ સીટોનો વિક્રમ તોડી સૌથી ઓછી ૩૨ બેઠકો સાચવવાનો વિક્રમ પણ માધવસિંહના નામે જમા બોલે છે.
૧૯૮૦થી ૧૯૯૦ના દશકામાં નવનિર્માણ આંદોલન થકી નાલેશી ભોગવનારા ચીમનભાઈ પટેલે પાટીદાર મતબૅંકને અંકે કરવાની ખાસ્સી કોશિશ કરી પણ જ્યારે ૧૯૮૯માં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભા.જ.પ. સાથે ગઠબંધન કર્યું તે પછી જ પાટીદાર મતબૅંકના સહારે કાઁગ્રેસનો નક્કર વિકલ્પ ઊભો થવાની દિશામાં એક હવા ઊભી થઈ અને ચીમનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ બિનકાઁગ્રેસી સરકારની રચના થઈ.
દિલ્હીમાં વી.પી. સિંહના વડા પ્રધાનપદ હેઠળની ભા.જ.પ. સાથેની સંયુક્ત સરકારને ભા.જ.પે. ટેકો પાછો ખેંચી લેતાં તેની સીધી અસર ગુજરાતમાં પણ થઈ. ચીમનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારમાંથી ભા.જ.પ.ની ફારગતી બાદ સરકાર ટકાવવા ચીમનભાઈએ કાઁગ્રેસનો ટેકો લઈ તેની ભાગીદારીથી સરકાર ચલાવી. ચીમનભાઈના અકાળે થયેલ અવસાન બાદ પાટીદાર રાજનીતિમાં વ્યાપેલી શૂન્યતા ભરવા ભા.જ.પે. કેશુભાઈ પટેલને આગળ ધરી ગુજરાતમાં કાઁગ્રેસનો નક્કર વિકલ્પ ઊભો કરવામાં સફળતા મેળવી.
ભા.જ.પ.ના જ દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની મહત્ત્વાકાંક્ષાનું ગ્રહણ નડતાં સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખની પરચૂરણ સરકારો ડામાડોળ ચાલવા છતાં ભા.જ.પે. વચગાળામાં પાટીદારો અને હિન્દુત્વના જોરે પોતાનો મજબૂત રાજકીય ખીલો ખોડી દીધો. બોફોર્સના મામલે ચિઠ્ઠીકાંડ થયા પછી તત્કાલીન વિદેશ પ્રધાન માધવસિંહને રાજીનામું આપવાની નોબત આવ્યા પછી તેઓ લગભગ રાજકીય અરણ્યવાસમાં ગયા તે પછી તો કાઁગ્રેસની OBC મતબૅંકમાં મોટું ગાબડું પડ્યું. કાઁગ્રેસમાં વિશ્વસનીયતાની આ કટોકટીનો પડદા પાછળ રહી રાજકીય વ્યૂહરચનાના કસબી નરેન્દ્ર મોદીની શક્તિઓનો ભા.જ.પે. ભરપૂર લાભ લીધો. પાટીદારો ઉપરાંત રામમંદિરના મુદ્દે હિન્દુત્વના જોરે સવર્ણો અને ઓ.બી.સી. મતસમૂહોમાં સૂક્ષ્મ સોશિયલ એન્જિનિયરિંગ દ્વારા નરેન્દ્ર મોદીએ કાઁગ્રેસ માટે રાજકીય જગા ન રહેવા દીધી.
આ દરમ્યાન કેશુભાઈની સરકારે જમીન ખરીદવાના ૮ કિલોમીટરની ત્રિજ્યાના નિયમને હટાવવાનો (પ્રતિ)ક્રાંતિકારી નિર્ણય કરી પાટીદારોને ન્યાલ કરી દીધા. તેનો અન્ય તવંગર સમૂહોએ પણ ભરપૂર લાભ લીધો. કાળક્રમે આ સમૂહો ભા.જ.પ.ની મજબૂત વોટબૅંક અને નોટબૅંક બન્યા.
૨૦૦૨ની ગોધરાની ઘૃણાસ્પદ ચિત્કારજન્ય ઘટનાનો માત્ર ઉલ્લેખ કરવો છે. આ ઘટનાએ આખા ગુજરાતના રાજકરણને ઉપરતળે કરી નાખ્યું. આ ઘટનાની ઓથે હિન્દુત્વની રાજનીતિનો પાયો ગુજરાતમાં મજબૂત રીતે ઊભો કરવાનું ‘શ્રેય’ નરેન્દ્ર મોદીને જાય છે. આ તબક્કે તેનાં નઠારાં અમાનવીય પાસાંનાં લેખાંજોખાં કરવાને બદલે, કોમવાદી માહોલ ઊભો કરી, મીડિયા અને માલેતુજારોના ટેકે આયોજનબદ્ધ રીતે ઊભી કરેલી પોતાની વિરાટ પ્રતિભાના ફળ રૂપે મોદીએ બેબાકપણે વડા પ્રધાનપદને આંબ્યું તે બાબત સૌ કોઈ જાણે છે. ગુજરાતની વાત કરીએ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ આ વરસોમાં કરેલું કાઁગ્રેસનું ધોવાણ અટકે અને તે તરત પુનર્જીવિત થાય તેવું અત્યારે તો કમ સે કમ વરતાતું નથી.
આ સ્થિતિ વચ્ચે ૨૦૧૫માં હાર્દિક પટેલ જેવા લબરમૂછિયા નવાસવા યુવાને ગુજરાત આખામાં પાટીદાર અનામતના નામે જે બૂંગિયો ફૂંક્યો તેનો સીધો ક્ષણિક રાજકીય લાભ કાઁગ્રેસને મળ્યો તો ખરો પણ તે જળવાઈ ન શક્યો.
અલ્પેશ ઠાકોરની ક્ષત્રિય સેના તથા જિજ્ઞેશ મેવાણીની દલિત ચેતનાનો આવિર્ભાવ ભલે પાટીદાર અનામત આંદોલનના રિઍક્શન રૂપે થયો હોય તો પણ આખરે આ ત્રણેયનો સીધો એકંદરે ફાયદો ૨૦૧૬ની સ્થાનિક સ્વરાજની તેમ જ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓમાં કાઁગ્રેસને થયો. અગમ્ય કારણસર શંકરસિંહે છેલ્લી ઘડીએ કાઁગ્રેસ સામે બળવો ન કર્યો હોત અને પાટીદાર આંદોલનના નેતાઓનાં ગેરવાજબી દબાણો પ્રમાણે રાહુલ ગાંધીએ વિધાનસભાની ટિકિટો ન ફાળવી હોત તો ગુજરાતમાં બિનભા.જ.પી. સરકાર રચાઈ શકી હોત.
હાર્દિક પટેલે અનામત આંદોલન શરૂ કર્યું ત્યારે તેમની સ્લેટ સાવ કોરી હતી. પિતાના સબમર્સિબલના ધંધા માટે નિમ્નમધ્યમવર્ગના હાર્દિક પટેલ વીરમગામ વિસ્તારનાં ગામોમાં જૂના રાજદૂત પર ફરતા હતા. ૧૯૮૦ પછીની ગુજરાતની રાજનીતિએ જે કરવટ બદલી અને પાટીદારો તે પછી સંપન્ન થયા છતાં આ સમૂહમાં અનામતના મામલે એક પ્રકારના ખરાખોટા અન્યાયબોધની પ્રબળ લાગણીને વાચા આપવાનું નિમિત્ત હાર્દિક પટેલ બન્યા. તેમાં પડદા પાછળથી પાટીદાર સમૂહોના ધનિકોએ છત્ર પૂરું પાડ્યું અને પાટીદાર સમાજના લડાયક મિજાજના અન્ય નવયુવાનો પણ હાર્દિકની સાથે કાચીપાકી સમજણ સાથે કૂદી પડ્યા. આ આંદોલન એવું પ્રબળ બન્યું કે ૨૫ ઑગસ્ટ, ૨૦૧૫ના રોજ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ પરની પાટીદારોની અભૂતપૂર્વ મેદનીએ દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચ્યું. 'ન્યૂયૉર્ક ટાઇમ્સ’ જેવા લબ્ધપ્રતિષ્ઠ અખબારે તો એક લાંબા તંત્રીલેખ દ્વારા ગુજરાતના આંદોલનની નોંધ લેવી પડી. આંદોલનની સફળતાના કેફમાં પાટીદાર ધનકુબેરોએ પણ નાણાં અને સાધનોનો ધોધ વહાવી દીધો. જૂના રાજદૂતને બદલે ઓડી, બી.એમ.ડબ્લ્યુ. કે મર્સિડિસમાં રાતોરાત આ ધનિકોએ ફરતા કરેલા હાર્દિક પટેલનું રાજકીય પોત પાતળું કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
ગુજરાતનાં પહેલાં મહિલા પાટીદાર મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને કોઈ પણ વાંકગુના વગર ઘરે બેસાડવાની ભા.જ.પ.ની આંતરિક ખટપટનું નિમિત્ત પણ જાણેઅજાણે હાર્દિક પટેલ બન્યા. તેમના મહત્ત્વાકાંક્ષી સાથી તરુણોની ઈર્ષ્યાનો પણ ભોગ બન્યા. તેને કારણે જ બકરાંની લીંડીઓની જેમ આંદોલન વીંખાઈ ગયું અને છેવટે તેને કાઁગ્રેસવાસી થઈ ખૂણો પાળવાની નોબત આવી. લાખ ઉધામા કરવા છતાં, રાહુલ ગાંધીની ગુડબુકમાં હોવા છતાં, હાર્દિકનો હજી કાઁગ્રેસમાં રાજકીય પત્તો પડતો નથી. હા, વગર મહેનતે આંદોલનના જોરે મળેલી તેમની આર્થિક સંપન્નતા નરી આંખે દેખાઈ શકે છે.
સમયાંતરે અલ્પેશ ઠાકોરના પણ એ જ હાલહવાલ થયા. આજે ય ખેતરોમાં છાપરાં ખોડી કાળી મજૂરી કરી પરસેવો પાડી જીવતર ટૂંકું કરવા મથતા ઠાકોર અને ગરીબ સમૂહો માટે જગુઆર ગાડીમાં બેસી ‘મારો ઠાકોર સમાજ, મારો ગરીબ સમાજ’ના નામે ગોકીરો મચાવતા અલ્પેશની અવદશા લગભગ હાર્દિક જેવી જ થઈને રહી. કાઁગ્રેસમાંથી કૂદકો મારી ભા.જ.પ. ભેગા થઈ લીલી શાહીના જોરે ઠાકોર સમાજનો ચહેરો બદલી નાખવાનાં તેમનાં રાજકીય શમણાંને ભા.જ.પે. જ ભાંગીને ભુક્કો કરી નાંખ્યાં છે.
ઉના હત્યાકાંડ પછી જિજ્ઞેશ મેવાણીના સંઘર્ષની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે એ વાત સાચી, પરંતુ છેવટે તેમણે પણ ધારાસભ્ય (અલબત્ત, રાહુલ ગાંધીની કૃપાથી) હોવા છતાં રાજકીય રીતે ટકવા સ્વાભાવિક ક્રમમાં કાઁગ્રેસની જ ચાળ પકડવી પડી છે. કાઁગ્રેસ પર પસંદગી ઢોળવાનું તેમનું કારણ એટલું જ કે ભા.જ.પ. તેમને વૈચારિક રીતે સહેજ પણ રાશ આવે તેમ નથી. તે એક ભરોસાપાત્ર દલિત રાજકીય ચહેરો હોવા છતાં આખો દલિત સમાજ તેમની પડખે હોય તેવું આજે તો વરતાતું નથી.
ગુજરાત કાઁગ્રેસમાં સત્યાવીસ વરસથી સંગીતખુરશીની રમત ચાલે છે. ઉપરના ત્રણેય નવા ઊભરતા રાજકીય ચહેરાઓને ગુજરાત કાઁગ્રેસનું નેતૃત્વ દાદ આપતું નથી. વસૂકી ગયેલી આ નેતાગીરી માટે મરવાના વાંકે જીવતી કાઁગ્રેસ મોટી રાજકીય મરણમૂડી છે. ગુજરાત કાઁગ્રેસને બેઠી ન થવા દેવાની આ ટોળકીએ ભા.જ.પ. પાસેથી સોપારી લીધી છે, તેવું આજે તો સૌ તટસ્થ નિરીક્ષકોને લાગે છે. તેમનાં અંગત રાજકીય-આર્થિક હિતો પણ આમાં જ સમાયેલાં છે.
કાઁગ્રેસહિતેચ્છુ, 'નયા માર્ગ’ના તંત્રી, સદ્ગત મિત્ર ઇન્દુભાઈ જાની તેમની કૉલમમાં દરેક હાર વખતે બળબળતા હૃદયે હંમેશાં લખતા કે કાઁગ્રેસે નક્કી કર્યું છે કે ‘હમ નહીં સુધરેંગે.’ ઇન્દુભાઈની વાત સો ટકા સાચી છે. તેમને કોઈ નવું નેતૃત્વ ઊભરવા દેવું જ નથી. તેમણે પોતે થઈને કાઁગ્રેસને ટકાવવા મહેનત હરગિજ કરવી નથી, સંઘર્ષ કરવો નથી, સંગઠન ઊભું થવા દેવું નથી. માત્ર અને માત્ર રાજકીય ઐયાશી જ કરવી છે. ‘ખુદ તો મરું હું ભલે પણ વૈધવ્ય અર્પું હું તને’ એ ધોરણે પક્ષની અંદર જ કાપાકાપી કરીને મોજ માણી રહ્યા છે. ગાંધી, નહેરુ, સરદારની વિચારધારાના વારસદાર હોવાનો ઠેકો લઈને ફરતા આ ગણ્યાગાંઠ્યા નેતાઓને આ વિચારધારા સાથે સહેજે પણ નહાવા-નિચોવાનો સંબંધ નથી. નિસબત છે માત્ર રાજકીય-આર્થિક હિતો અકબંધ રાખવાની, તે પણ ચાલુ ભાષામાં કહીએ તો ભા.જ.પ. સાથે 'સેટિંગ’ કરીને. ભા.જ.પ.ને પણ આમાં કોઈ ખોટનો સોદો લાગતો ન હોય એ સ્વાભાવિક છે. કાઁગ્રેસીઓ ભલે હવે સરદારનું નામ બોલતા થયા હોય, પણ હજી હમણાં સુધી સરદારને સિફતપૂર્વક કાઁગ્રેસે વખારે નાખ્યા હતા. આ મોકો બખૂબી ઝડપીને, નરેન્દ્ર મોદી સરદાર પોતાના જ હોય તેવો માહોલ ઊભો કરવામાં કામિયાબ નીવડ્યા છે. ગાંધી-સુભાષનો પણ એવો જ રાજકીય લાભ મોદી લેવાના. એમાં મોદીનો વાંક નથી. વાંક છે કાઁગ્રેસનો.
ગુજરાત કાઁગ્રેસના પુરખાઓ ઝીણાભાઈ દરજી, રતુભાઈ અદાણી, સનત મહેતા, મહંત વિજયદાસજી, નરસિંહ મકવાણા, પ્રબોધ રાવળ, નટવરલાલ શાહ, નવીનચંદ્ર રવાણી, રઉફ વલીઉલ્લા સહિતના નેતાઓ લોકોની નાડ પારખનારા નિસબતી છતાં અંગત જીવનમાં ધોરણસરની સાદગી સાથે જીવનારા રાજપુરુષો હતા. અત્યારે તો ઇસ્ત્રીટાઇટ કપડાંમાં સજ્જ થઈને, માંડવાના છાંયડે ખુરશીઓમાં ગોઠવાતા, કહેવાતા સંઘર્ષશીલ કાઁગ્રેસીઓનો જ ફાલ બચ્યો છે. હાલમાં જગદીશ ઠાકોર અને તે પહેલાં અનેક પ્રદેશ પ્રમુખો આવ્યા અને ગયા, પણ તેઓ હરગિજ સફળ ન થાય તેની પૂરતી કાળજી ગુજરાત કાઁગ્રેસની એક ટોળકી લે છે.
નેવુંના દાયકામાં પ્રદેશ કાઁગ્રેસની રાજકીય વગને વૈચારિક ધાર આપવાના કામમાં ગુજરાતમાં ડાબેરી ઝોક ધરાવતો એક બૌદ્ધિક સમૂહ ખૂબ જ સક્રિય હતો. ધરાતલનાં કર્મશીલ જૂથોને સક્રિયપણે લોકજાગૃતિ અને સંગઠનનાં ગુજરાતવ્યાપી કામોમાં જોતરવાનું કામ આ બૌદ્ધિક સમૂહોએ અસરકારક રીતે નિભાવ્યું હતું. તેમાં સક્રિય રહેલી બૌદ્ધિક પ્રતિભાઓમાં પ્રા. રજની કોઠારી, પ્રા. ઘનશ્યામ શાહ, પ્રા. હસમુખ પટેલ, હરુભાઈ મહેતા, ગિરીશ પટેલ, ઇન્દુકુમાર જાની, ડૉ. વિદ્યુત જોશી, રતિલાલ દવે, નરહરિ પરીખ, અચ્યુત યાજ્ઞિક, ભાનુભાઈ અધ્વર્યુ વગેરેનો સમાવેશ થતો હતો. આજે તો કાઁગ્રેસમાં આવા બૌદ્ધિક છત્રનો સાવ અભાવ છે. જે રડ્યાખડ્યા બે-ચાર બૌદ્ધિકો કાઁગ્રેસની પડખે દેખાય છે, તેમની હેસિયત સાવ જ સીમિત છે.
એક જમાનામાં સેવાદળ એ કાઁગ્રેસની કેડર (આર.એસ.એસ.ની જેમ) ઊભી કરવાનું મજબૂત માધ્યમ હતું. (આ લખનાર પણ ૫૦ વર્ષ પહેલાંના સેવાદળની પેદાશ છે.) આજે તો આ સેવાદળની ભૂમિકા આરવાળાં સફેદ ટોપી, શર્ટ અને પૅન્ટ પહેરી હાઈકમાન્ડના નેતાઓના આગમન સમયે માત્ર બ્યૂગલ અને બૅન્ડ વગાડવા પૂરતી સીમિત રહી છે.
સામા પક્ષે ગુજરાતમાં ૨૭ વર્ષથી અને દેશમાં સાત વર્ષથી એકધારી સત્તા ભોગવતાં ભા.જ.પ. અને આર.એસ.એસ. લગીરે જંપ વાળીને બેસતાં નથી. આમ તો હિન્દુત્વના ભગવા લૂગડે લપેટાયેલા રાષ્ટ્રવાદ અને જ્ઞાતિવાદનું સંમિશ્રણ મોદીને ફળ્યું છે. અગાઉ પણ વારંવાર કહેવાયું છે તેમ આ સંમિશ્રણના લોંદાને પકવવાનો ગુજરાત એ નિભાડો પુરવાર થઈ ચૂક્યું છે. ભા.જ.પ.થી છેટી રહેલી આદિવાસી અને દલિત મતબૅંકોને અંકે કરવા પણ એમણે છેલ્લાં વરસોમાં પાકું લેસન કર્યું છે. પરિણામે છેલ્લી (૨૦૧૯માં) લોકસભાની ચૂંટણીમાં ભા.જ.પ.ને ૪૨ ટકા આદિવાસી વોટ મળ્યા હતા. તેવી જ રીતે દલિતોના ૩૪ ટકા વોટ મળ્યા હતા, જે ૨૦૦૯ની ચૂંટણીમાં ૭ ટકા જ હતા. આમ, આદિવાસી અને દલિત મતોનું પ્રમાણ ૨૦૦૯થી ૨૦૧૯ સુધીમાં ભા.જ.પે. ઠીક ઠીક માત્રામાં હાંસલ કર્યું છે અને કાઁગ્રેસના પ્રતિબદ્ધ આદિવાસી અને દલિત મતોમાં ભા.જ.પે. ઠીક ઠીક ગાબડું પાડ્યું છે. અમારા આદિવાસી કાર્યક્ષેત્રમાં ભા.જ.પ./આર.એસ.એસ.ની નોંધપાત્ર સક્રિયતા છેલ્લાં તેર વરસથી એકધારી રીતે જોઈ શકાય છે. સામે પક્ષે કાઁગ્રેસનું એક ચકલું ય ફરકતું દેખાતું નથી. આખા ગુજરાતની લગભગ આ જ સ્થિતિ હશે, અને છે. મુસ્લિમ મતો ભા.જ.પ.ને ભાગ્યે જ મળે છે, પણ આડકતરી રીતે તેની કાળજી AIMIMના અસદુદ્દીન ઓવૈસી સભાનતાપૂર્વક નિભાવીને, ભા.જ.પ.નો રસ્તો સાફ કરી આપે છે.
આ પરિસ્થિતિમાં ગુજરાતની હાલની પરિસ્થિતિ પાંચ રાજ્યનાં પરિણામો પછી શું છે તે તપાસીએ.
પ્રથમ દૃષ્ટિએ તો લાગે છે કે ૨૦૨૨માં ભા.જ..પ ફરી સત્તાનું શિખર સહેલાઈથી સર કરશે. પરંતુ કેટલાક નિષ્ણાતોનો અભિપ્રાય આનાથી જુદો પડે છે. એક હકીકત તો પુરવાર થઈ ગઈ છે કે પાટીદાર મતોનું ચૂંટણી જીતવામાં ખૂબ જ મોટું મહત્ત્વ છે. ગુજરાતમાં પંદર ટકા જેટલા પાટીદારોમાં લેઉઆ પાટીદારોનું ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખૂબ મોટું પ્રભુત્વ છે. જ્યારે કડવા પાટીદારો મહદ્ અંશે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવે છે. ઐતિહાસિક હકીકત એ છે કે લેઉઆ પાટીદારો ઘણે અંશે સંગઠિત છે, જ્યારે કડવા પાટીદારો તેમના થોડાક સંપન્ન મોવડીઓનાં જૂથો દ્વારા દોરવાય છે. લેઉઆ પાટીદારોમાં સૌથી બિનવિવાદાસ્પદ મોટું નામ નરેશ પટેલનું છે. તે છેલ્લી બે-ત્રણ પેઢીથી આમ પણ ધંધાકીય રીતે ખૂબ સંપન્ન છે, જ્યારે કડવા પાટીદારોનાં જૂથોના નેતાઓ ભા.જ.પ.ના પ્રતાપે નવસંપન્નો છે.
બિનભા.જ.પી. સરકાર ગુજરાતમાં શક્ય છે જ તેવી ધારણાથી, નીવડેલા ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોર નરેશ પટેલને આગળ કરી પાટીદાર મતબૅંકમાં ગાબડું પડાવવા મેદાનમાં આવ્યા હતા. નરેશ પટેલ સહિત કાઁગ્રેસ અને બિનકાઁગ્રેસી રાજકીય નેતાઓ સાથે મુંબઈમાં ચૂંટણીલક્ષી મૅરેથોન બેઠકો તેમણે કરી. પાટીદારોની વોટબૅંક નરેશ પટેલના નેતૃત્વ હેઠળ ભા.જ.પ.માંથી ખસી જાય તો ભા.જ.પ.ને રાજકીય રીતે મોટો પડકાર ઊભો થઈ શકે, તેવું પ્રશાંત કિશોર સહિતના રાજકીય નિષ્ણાતો માને છે. તેથી જ પ્રશાંત કિશોરના પ્લાન છ પ્રમાણે નરેશ પટેલ કાઁગ્રેસમાં દાખલ થઈ મુખ્ય મંત્રીનો ચહેરો બને તો કાઁગ્રેસમાં ગુણાત્મક પરિવર્તન આવી શકે તેવી તેમની પાક્કી ધારણા હતી.
પરંતુ પ્રશાંત કિશોરના કાઁગ્રેસ સાથેના જોડાણ પર આ લખાય છે ત્યારે તો પૂર્ણવિરામ મુકાઈ ચૂક્યું છે. એવા સંજોગોની ધારણા કરીને વિચારાયેલા પ્લાન ‘B’ પ્રમાણે, ગુજરાતમાં ૧૯૭૫ની જેમ એક ત્રીજો મોરચો બને, જેનું નેતૃત્વ નરેશ પટેલ કરે. ગુજરાતમાં રાજકીય રીતે ઠીક ઠીક કાઠું કાઢી રહેલી નવીસવી આમ આદમી પાર્ટીને પણ નરેશ પટેલ હોય, તો આવા ત્રીજા મોરચાનો કોઈ છોછ ન રહે. ગુજરાતનાં કર્મશીલ જૂથો માટે પણ આ મોરચામાં મોકળાશ મળી શકે. કાઁગ્રેસ ઇચ્છે તો વિધિવત્ આ મોરચાનો ભાગ બની શકે અથવા તો કાઁગ્રેસનાં ઘણાં મોટાં માથાં આ ત્રીજા મોરચામાં જોડાય તેવી સંભાવનાઓ રહે.
અગાઉ જણાવ્યું તે રીતે ભૂતકાળમાં કાઁગ્રેસ પાસે કર્મશીલો અને બૌદ્ધિકોનું એક રાજકીય છત્ર હતું, તેમ ભા.જ.પ. પાસે પણ સંતો–મહંતો, કટાર લેખકો, કવિઓ અને કવયિત્રીઓનું એક મોટું પ્રચારમંડળ છે. તેમ છતાં જો નરેશ પટેલ ગુજરાતની આગામી ચૂંટણીઓમાં મન મૂકીને મેદાનમાં આવે તો ગુજરાતનું આખું ય ચિત્ર રસપ્રદ અને ચોંકાવનારું બને. બાકી તો ૧૯૮૦માં માધવસિંહે મેળવેલ ૧૪૯ બેઠકોનો વિક્રમ સી.આર. પાટિલના નેતૃત્વમાં અને વડા પ્રધાન અને ગૃહ પ્રધાનની ચિક્કાર સક્રિયતા સાથે સહેલાઈથી તોડી શકશે. તે પછી હાલનું પ્રદેશ કાઁગ્રેસનું રાજીવભવન ભાડે આપવાની નોબત આવશે.
આ લખતી વખતે મને એક પ્રસંગનું સ્મરણ થાય છે. મારા આદિવાસી ક્ષેત્રમાં આજથી ૧૫ વર્ષ પહેલાં અંતરિયાળ બાલારામ–અંબાજી રોડ પર વસતો એક આદિવાસી ડોકરો (ડોસો) ભીખા ડુંગાશિયા યાદ આવે છે. ભીખો ગાંધીજીની છેવાડાના માનવીની વિભાવનામાં એકદમ બંધબેસતું પાત્ર. એક હજાર ચોરસ ફૂટની જમીન પર નાની ખેતી કરીને વૃદ્ધ પત્ની સાથે જીવનગુજારો કરે. બહારની દુનિયા સાથે કોઈ પણ પ્રકારનો કોઈ જ સંપર્ક નહીં. હું ઘણી વખત તેના તૂટલાફૂટલા છાપરા નીચે બેસું. એક દિવસ વાતવાતમાં મેં મજાકપૂર્વક એને રાજકારણનો સવાલ પૂછ્યો.
અમારા આદિવાસી ક્ષેત્રમાં વયના બાધ વગર એકવચનથી થતાં સંબોધનોમાં એક પ્રકારનો અંગત સ્નેહ છલકાતો હોય છે. ભીખા ડોકરા (ડોસો) સાથેનો સંવાદ કંઈક આવો હતો :
સવાલઃ ડોકરા, થેમાં વોટ કીણી આલજ્યો?
ભીખોઃ બાવજી, વોટ તો હેમાં પેંજાને જ દેવા. એક વેળા કમળને આલજ્યો (પણ) દિલ્લી સરકારમાં કેમળે હરખું રાજ ને કેરજ્યું એટલે ફિરી પેંજાને જ આલજ્યો.
સવાલઃ કેમળે કીમ રાજ ને કરેજ્યું? પેંજાએ થેમાંને હું આલજ્યું.
ભીખોઃ વાત માંડે કે ગાંધી ડોકરો હેમરો નેતા હુતો. ઈણી કને રાજ કેરવાનું ડિબ્બૂ ઉણારે નેરુને, નેરુએ ઈણી સોરી ઇન્દ્રાને, ઇન્દ્રાએ ઉણાર સોરા રાજીયાને, રાજીયાએ ઈણી બાયડી હોનીયાને આલજ્યું. રુપ્ચ્યા સાપણારું આ ડિબ્બૂ હોનીયાએ કેમળવાળાને ને આલજ્યુને દો રાજ ને કેરી હકા. દો ડિબ્બૂ તો ઈમાડી હોનીયા પાંહે જ હે.
આ વાતચીતનો અર્થ એવો થાય છે કે અમે તો પંજાને જ વોટ આપીએ, પણ એક વાર કમળને વોટ આપ્યો. પણ કમળવાળા પછી હારી ગયા. કારણ કે ગાંધીજી દેશના નેતા હતા અને એમણે ડબ્બું (એક ડબલું) નહેરુને આપ્યું, નહેરુએ એમની દીકરી ઇન્દિરાને આપ્યું. ઇન્દિરાએ મરતી વખતે તેના છોકરા રાજીવ ગાંધીને તે આપ્યું, જે પાછળથી રાજીવનાં પત્ની સોનિયા પાસે આવ્યું. તે ડબલું સોનિયા પાસે જ રહ્યું અને કમળનાં ફૂલોવાળાને તેમણે ન આપ્યું. એટલે સત્તા પર આવ્યા છતાં સત્તા ખોવી પડી. આ ડબ્બું એટલે ચલણી નોટ છાપવાનું મશીન, એવું ભીખાકાકાને અભિપ્રેત હતું. વાત થોડા હસવા જેવી લાગે, પણ તેમાં પૂરો એક સંદેશ છે કે કાઁગ્રેસ ગાંધીજીનો વારસો અકબંધ રીતે સાચવવામાં ઊણી ઊતરી છે. સોનિયા ગાંધી પાસે હવે જે ડબલું રહી ગયું છે તે સાવ જ કટાઈ ગયું છે અને મોદીએ તેના પર સલ્ફ્યુરિક ઍસિડ નાખીને અડધુંપડધું ઓગાળી પણ દીધું છે. હાલની સ્થિતિ જોતાં ગાંધીના વારસાનું આ ડબલું કાઁગ્રેસ પાસેથી નામશેષ થઈ જશે એવું આમાંથી તારવી શકાય. હવે તો કાઁગ્રેસે પોતાના નવસર્જન માટે સોનિયા પાસેનું જૂનું ડબલું બદલી બીજા કોઈકને નવું ડબલું ઘડવાની જવાબદારી સોંપવી પડે. અન્યથા કાઁગ્રેસમુક્ત ભારત જોવાના દિવસો બહુ દૂર નથી.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2022; પૃ. 05-07 તેમ જ 10