ભગતસાહેબ સાથેના મારા જીવનના પ્રસંગો યાદ કરી ધન્યતા અનુભવું છું. એમાંથી હું શીખ્યો છું કે, મહાનતાનું ગૌરવ નમ્રતાની અભિવ્યક્તિમાં કેટલું મહાનતમ હોય છે.
એલ.એ. શાહ લૉ – આટ્ર્સ કૉલેજમાં નવા જુનિયર અધ્યાપક તરીકે દાખલ થયેલા એ કૉલેજનું અધ્યાપક-રતન ભગતસાહેબ. પરીક્ષાના સમયે બધા અધ્યાપકને સુપરવિઝનની કામગીરી સોંપાય, તેમ મને સોંપાયેલી. મારા આશ્ચર્ય વચ્ચે મારા સુપરવિઝનખંડમાં ભગતસાહેબ પણ હતા! એક તીક્ષણ નજરયુક્ત નિરીક્ષકની કામગીરી બજાવતા હતા. મેં તેમને વિનંતી કરી સમગ્ર કામગીરી સંભાળવા તૈયારી બતાવી. જવાબમાં નિર્ણયાત્મક ઇન્કાર.
પરીક્ષાકાર્ય પૂરું કરી (કે અધૂરું મૂકી એક વિદ્યાર્થી ઉત્તરવહી ટેબલ પર નાખી ક્લાસ બહાર જતા હતા. ભગતસાહેબે લગભગ ઝાપટ મારી એને ઊભો રાખી કહ્યું : આ રીતે ટેબલ પર નાંખી ન જવાય. સાહેબને હાથમાં આપવી પડે.’ ઊઘડો લીધા પછી ઉત્તરવહી ટેબલ પર વ્યવસ્થિત મૂકાવી, પછી જ જવા દીધો.
બીજો પ્રસંગ એક બસની મુસાફરીનો છે. અ.મ્યુ.ટ્રા.સ.ની બસમાં મુસાફરી વખતે ભગતસાહેબની પાછળ હું તેમની જેમ ઊભો હતો. એક ભાઈ પાછળથી ધક્કો મારી આગળ જવાની કોશિશ કરતા હતા. ભગત સાહેબની શિસ્તથી આ કેમ સાંખ્યું જાય? એમણે એને રોકી ચાલુ બસે શિસ્તના પાઠ ભણાવવાનું શરૂ કર્યા. પેલો ઠોઠ વિદ્યાર્થી પોતાનું ઊતરવાનું સ્ટૅન્ડ આવે તેની આતુરતાપૂર્વક રાહ જોતો હતો. એના સ્ટૅન્ડ પર બસ ઊભી રહે, તે પહેલાં સાહેબને હાથ જોડી ઊતરવા માટે વિનંતી કરતો કરતો માંડ છૂટ્યો. અધ્યાપકનો જીવ, વિદ્યાર્થી ગમે ત્યાં મળે, જ્ઞાન પીરસે જ પીરસે.
*
ત્રીજો પ્રસંગ અત્યંત રમૂજી છતાં રસપ્રદ. ભગતસાહેબના સ્વભાવને ભરપૂર પ્રકટ કરે તેવો.
એક જમાનામાં કૃષ્ણ સિનેમાની બાજુમાં ચેતના રેસ્ટોરન્ટ હતી. ચેતનાના ઢોંસા પ્રખ્યાત. એવી જ ઢોંસાની પ્રખ્યાત ભદ્રના કોર્ટ વિસ્તારમાં સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ.
એ દિવસે ભગતસાહેબ કોઈ મિત્ર સાથે ઢોંસાની લિજ્જત માણવા આવ્યા હશે. મિત્ર સામે નિરાંતે વાત થઈ શકે, માટે ફૅમિલીરૂમમાં દાખલ થવા જતા હતા, ત્યારે વેઇટરે તેમને રોકી કહ્યું : સાહેબ, આ ફૅમિલીરૂમ છે. પછી તો ભગદસાહેબ ઝાલ્યા ન રહ્યા. તેમણે What is Family-નો અર્થ સમજાવવા માંડ્યા. Two Friend’s Can’t make Family? જેવા (ચોક્કસ અંગ્રેજી શબ્દોની ભૂલ મારી છે.) પ્રશ્નાર્થ કરી વેઇટરને ‘ફૅમિલી’ની વ્યાખ્યાની છણાવટ શરૂ કરવી. વેઇટર મૂંઝાયેલો હતો. ગલ્લા પર બેઠેલી વ્યક્તિને આ વક્તવ્યની ઝાંખી થઈ હશે એટલે દોડતો આવ્યો. વેઇટરને આઘો કરી સાહેબને માનભેર ફૅમિલીરૂમમાં બેસાડ્યા. એ વ્યક્તિને ફૅમિલીની વ્યાખ્યાની ખબર હશે કે નહીં, તેની મને ખબર નથી, પણ મને મોડે મોડે પણ એ વ્યાખ્યા સમજાવેલી! આવા સરળહૃદયી ભગતસાહેબને વંદન.
એમની પંક્તિ યાદ કરું : આપણો ઘડીક સંગ…’ ના, ભગતસાહેબ ‘ઘડીક’ સંગ નહીં. જો હોય તો, જનમોજનમનો સંગ. કમસે કમ જીવતે જીવ તો નહીં જ ભુલાય.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2018; પૃ. 10