– નાગરિક, સરકાર અને અદાલત
– જૂન ૧૯૭૫, જૂન ૨૦૧૪ & કોઈ કોઈ વાર લાગે છે તો એવું કે કટોકટી ઘર ભાળી ગઈ તે ભાળી ગઈ …
હમણાં સન્માન્ય નાણાવટી-મહેતા કમિશને (એટલે કે એના સન્માન્ય વકીલે) ગુજરાત હાઈકોર્ટની દેવડીએથી વાજતેગાજતે પીછેકૂચ કરી, ત્યારે સહસા જૂના દિવસો યાદ આવી ગયા. જૂના પણ અને જૂનના પણ. ચારેક દાયકા પર, જૂન ૧૯૭૫માં, દેશે ઇંદિરાઈ કટોકટીનો આઘાતઆંચકો અનુભવ્યો હતો. મૂળભૂત અધિકારો ત્યારે મૂર્છિત હતા, અને એ અર્થમાં કાયદાનું શાસન લગભગ ગયા જેવું હતું. તે વખતે મેઈન્ટેનન્સ ઓફ ઇન્ડિયા સિકયુરિટી એક્ટ – એમ.આઈ.એસ.એ., મિસા -નું ચલણ હતું.
એમાં તમને કારણ આપ્યા વિના પકડી શકાતા. અલબત્ત, પકડનાર ઓથોરિટીને ખુદ ચોક્કસ કારણ સબબ પતીજ પડેલી હોવી જોઈએ એવી રસમ કલમ એની સાથે જોડેલી હતી. પણ કટોકટી પછી રચાયેલ શાહ તપાસ પંચનાં તારણો વાંચીએ ત્યારે સમજાય છે કે તંત્રે તો રાજકીય સત્તાના કહ્યે ખેલ પાડ્યો હતો અને પકડવા માટે કોઈ વાજબી કારણ છે કે કેમ તેનો ખાસા બધા કિસ્સાઓમાં આ ઓથોરિટી કને કોઈ ખુલાસો જ નહોતો. બહુ બહુ તો, તમે એમ કહી શકો કે તંત્રે ઉપલા માળ વાપર્યા વગર (અગર તો ભાડે આપીને) કામ લીધું હતું.
આ ઉપલો માળવાળો પ્રયોગ વખતે અવિવેકી લાગે તો મારે વેળાસર અને વિવેકસર કહેવું જોઈએ કે અંગ્રેજીમાં જેને ‘મિસએપિ્લકેશન/ નૉન એપિ્લકેશન ઓફ માઇન્ડ’ કહે છે તેવી એ દાસ્તાં હતી.
વાતની શરૂઆત જો કે આપણે સન્માન્ય નાણાવટી પંચના વિદ્વાન વકીલબાબુથી કરી હતી. સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટે પોતાના કેસ સબબ ૨૦૦૨ના કેટલાક ઈન્ટેલજિન્સ ડૉકયુમેન્ટ્સ જોવા દેવાની માગણી કરી હતી.
આ દસ્તાવેજી સામગ્રી ગુજરાત સરકારે પંચને સોંપેલી હતી, અને તે જોવા દેવી એવો હાઈકોર્ટનો આદેશ હતો. સંજીવ ભટ્ટ આદેશ આશ્વારૂઢ થઈ પંચમાંડવે પહોંચ્યા તો ખરા, પણ લીલે તોરણે પાછા ફર્યા, કેમ કે એમને કહેવામાં આવ્યું કે અમે (પંચ) હાઈકોર્ટ સમક્ષ આ આદેશ બાબત સમીક્ષા અરજી કરી રહ્યા છીએ. બુધવારે રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય ખુદ સહિતની ખંડપીઠ સમક્ષ સમીક્ષા અરજી નીકળવા વખતે જો કે જુદો જ ઘાટ ઊપસી રહ્યો હતો.
વકીલબાબુએ પરમ આદરપૂર્વક પીછેકૂચ કરી કે આવા મુદ્દે ઓક્ટોબર ૨૦૧૩ના આદેશની અમને કોઈ જાણ જ નહોતી. ભલાભાઈ, હાઈકોર્ટ રાજ્ય સરકારને આદેશ આપી ચૂકી હતી કે આ દસ્તાવેજો ગુપ્ત અને વર્ગીકૃત (સીક્રેટ એન્ડ કલાસફિાઈડ) છે એવી કોઈ ટેકનિકલ ટઈડપઈડમાં પડ્યા વિના તમે બતાવવા બંધાયેલ છો. પંચ, જેનું કામ સત્યને પ્રકાશમાં આણવાનું છે એને તો ઊલટાનું આ તરત પકડાવું જોઈતું હતું, પણ –
શુક્રવારનાં છાપાંમાં ટૂંકા ટૂંકા હેવાલોમાંથી આ પ્રશ્ને બધાં બિંદુઓ જોડવાનો મનોવ્યાયામ કરી રહ્યો હતો. ત્યારે સમાંતરપણ અક્ષરધામ ચુકાદાની ચહલપહલ પણ ચિત્તમાં ચાલી રહી હતી. એટલે સંજીવ હવે માંડવે બેઠો છે એટલો એક બોલ નાણાવટી જોગ રમતો મૂકીને અક્ષરધામ ચુકાદાની પણ થોડી વાત કરવા ઇચ્છું છું. આ ચુકાદો ગયે મહિને આવ્યો હતો પણ ગુજરાતના મુખ્યમંત્રી દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા હતા એના જશનશોરમાં આ ચુકાદો કોઈ કોઈ ઠેકાણે નોંધ લેવાયા છતાં લગભગ વણ ગાયો, વણચર્ચાયો રહી ગયો છે.
ગોધરા – અનુ ગોધરા ગુજરાતમાં જે બધું બન્યું એની સત્તાવાર તપાસ ‘ફૅકટફાઈન્ડિંગ’ કરતાં વધુ તો ‘ફિકશન’ છે એ તરજ ઉપર સાધિકાર પુસ્તક લખનાર મનોજ મિટ્ટાએ અલબત્ત આ કર્ણબધિર શોર વચાળે અક્ષરધામ ચુકાદાની સળેસળ નોંધ લીધી હતી એટલી એક દિલખુલાસ આસાએશને અવશ્ય અવકાશ છે. વાચકને યાદ આપીએ કે સારે અવસરે કેદીઓને છોડી મૂકવામાં આવે છે તેવું આ કિસ્સામાં અક્ષરધામના આરોપીઓ વિશે બન્યું હતું.
આ નજરે કોઈ કેસ ટકતો નહોતો કેમ કે રાજ્ય સરકારે ‘મગજનો જરાયે ઉપયોગ કર્યો ન હતો.’ સપ્ટેમ્બર ૨૦૦૨ની ઘટના પછી આખું એક વરસ એમ જ વહી ગયા બાદ, કારકિર્દીની ટોચે જેલમાં જ નિવૃત્તિ વહોરવાનો વિક્રમ ધરાવતા ડાહ્યાજી વણઝારાની મૌખિક સૂચનાના જાદુથી ટપોટપ શકમંદો પકડાઈ ગયા હતા અને એમના પર જે ઘડિયા મુકદમો ચાલ્યો એમાં ખુદ વણઝારાને જે સાક્ષી તરીકે કેમ રજૂ ન કરાયા તેવો પ્રશ્ન સર્વોચ્ચ અદાલતે પોતાનાં નિરીક્ષણોમાં પૂછયો છે. લાશના ખિસ્સામાંથી (બંદૂકની ગોળીથી પડેલાં કાણાં અને લોહી છાંટા છતાં) અક્ષરશ: અસ્ત્રીબંધ કાગળો નીકળ્યા.
એ પણ આ જાદુખેલનો એક ટપ્પો હતો. ‘કાલ્પનિક કથાવાર્તામાં પણ અક્કલ તો હોવી જ જોઈએ’ એમ કહેવા સાથે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે પોલીસે ઉપજાવેલી કાલ્પનિક કથાને સ્વીકારવી એટલે અક્કલનું દેવાળું ફૂંકવું. દેખીતી રીતે જે રાજ્ય સરકારે આખો કેસ મગજનો ઉપયોગ કર્યા વગર ઊભો કર્યો હતો. અદાલત તો એની મર્યાદામાં ‘નૉનએપિ્લકેશન ઓફ માઈન્ડ’ની વાત કરે, પણ નિસબત ધરાવતો નાગરિક બચાડો એમાં મિસએપિ્લકેશન’ પણ ભાળે તો એનો શો વાંક.
લાગે છે, કટોકટી ઘર ભાળી ગઈ તે ભાળી ગઈ ! આશા રાખું લાગતાવળગતાને ત્યારનો નાગરિક પરચો પણ યાદ રહે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, Jun 21, 2014