વડાપ્રધાને તાજેતરમાં જ ખાનગીકરણની જોરદાર હિમાયત કરતાં કહ્યું છે કે સરકારે ધંધામાં ન રહેવું જોઈએ. એમ લાગે છે કે સરકાર હવે બધું ખાનગી કરવા માંગે છે. જો કે, ગુજરાત સરકાર તો ઘણી વહેલી ખાનગીકરણને રવાડે ચડેલી છે, ખાસ કરીને શિક્ષણને મામલે. ગુજરાત સરકાર વડા પ્રધાનના નિર્ણયને ઘણી વહેલી પામી ગઈ હોય તેમ ખાનગી સ્કૂલોને ઉત્તેજન અને લાઇસન્સની લહાણી કરતી આવી છે ને સરકારી સ્કૂલો બંધ કરતી ગઈ છે. સરકારને બીજી ઘણી જવાબદારીઓ છે એટલે તે સ્કૂલો ખોલવા કરતાં બીજા ધંધામાં પડે તો વધારે નફો કરી શકે તે સમજી શકાય તેવું છે. સરકાર એ પામી ગઈ છે કે અંગ્રેજી માધ્યમની પ્રાથમિક સ્કૂલો પોતે ચલાવે એના કરતાં ખાનગી સ્કૂલોને ઉત્તેજન આપે તો એ પણ બે પાંદડે થાય. એમાં બીજો લાભ એ કે અંગ્રેજી માધ્યમની કે ઈવન ગુજરાતી માધ્યમની સરકારી સ્કૂલો ખોલવાની ને તેને ચલાવવાની ટાઢે પાણીએ ખસ જાય.
2013-14માં અંગ્રેજી માધ્યમની સરકારી સ્કૂલો 88 હતી તે 2018-19માં 170 પર પહોંચી છે, એની સામે અંગ્રેજી માધ્યમની ખાનગી પ્રાથમિક સ્કૂલો 2013-14માં 1,873 હતી તે 2018-19માં 3,559 થઈ છે. મતલબ કે 6 વર્ષમાં અંગ્રેજી માધ્યમની ખાનગી પ્રાથમિક સ્કૂલો લગભગ ડબલ થઈ છે, એની સામે સરકારી સ્કૂલો પણ લગભગ ડબલ થઈ છે, પણ તેની સંખ્યા ઓછી છે. છેલ્લા ત્રણેક મહિનાના સમાચાર એવું કહે છે કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 6,000 સરકારી શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. એક તરફ ખાનગી સ્કૂલો 6 વર્ષમાં ડબલ થાય ને બીજી તરફ 6,000 સરકારી સ્કૂલો બંધ થાય એ બે વચ્ચે તાલમેળ બેસાડવાનું મુશ્કેલ છે. ગુજરાતમાં શિક્ષણનું પ્રમાણ ઘટ્યું છે કે સ્કૂલો બંધ કરવી પડે? જો એવું છે તો ખાનગી સ્કૂલો બંધ કેમ નથી થતી? ઓન ધ કોંટ્રેરી ખાનગી સ્કૂલોનો વ્યાપાર તો ધમધોકાર ચાલે છે. ખરેખર તો એ વધારે મોંઘી પડે છે, તો એ બંધ થવી જોઈએ તેને બદલે સસ્તી છે તે સરકારી સ્કૂલો બંધ થાય છે.
એનું સરકારી લૉજિક એવું હોઈ શકે કે સરકારી સ્કૂલો બંધ થતી જાય તો નવી સ્કૂલની જરૂરિયાતો પૂરી કરવા ખાનગી સ્કૂલો ખોલવાનું અનિવાર્ય થઈ પડે અને ખાનગીને “ખાંડ-ઘી” મળી રહે, વધારામાં સરકારને માથેથી જવાબદારી જાય. બીજું લૉજિક એ હોઈ શકે કે અંગ્રેજી માધ્યમ તરફની ઘેલછાને કારણે એ તરફ ધસારો રહે ને એને લીધે ગુજરાતી માધ્યમની શાળાઓમાં સંખ્યા ઘટે ને એ સ્કૂલો બંધ કરવામાં પરિણમે. આ વાત પ્રમાણીને શૈક્ષણિક મંડળો દ્વારા સરકારને રજૂઆતો થતી રહે છે. રાજ્ય શાળા મહામંડળના મંત્રીએ શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે સરકારે ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી માધ્યમના વર્ગો શરૂ કરવા જોઈએ. અંગ્રેજી માધ્યમની શાળાઓની માંગ વધી રહી છે ને નવી શાળાઓ ખોલવાનું મુશ્કેલ છે ત્યારે જે જૂની ગુજરાતી માધ્યમની શાળાઓ છે એમાં અંગ્રેજી માધ્યમના વર્ગો શરૂ કરવાની સરકાર મંજૂરી આપે તો અંગ્રેજી માધ્યમની જરૂરિયાત પૂરી થઈ શકે. ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં અંગ્રેજી માધ્યમના વર્ગોની શરૂઆત થાય તો અંગ્રેજી શિક્ષણથી ગુજરાતના લાખો બાળકો વંચિત રહી જાય છે તે સ્થિતિમાં સુધારો થઈ શકે. વિદ્યાર્થીઓ વંચિત એટલે રહી જાય છે, કારણ સરકાર અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક સ્કૂલો ખોલવા બાબતે ઉદાસીન છે. જો સ્કૂલો ખોલવાનું ના પરવડતું હોય તો સરકારે ગુજરાતી માધ્યમની જૂની સ્કૂલોમાં અંગ્રેજી માધ્યમનો વર્ગ શરૂ કરવાની મંજૂરી આપવી જોઈએ એવી રજૂઆત છે.
આમાં યુક્તિ હોઈ શકે. અંગ્રેજી માધ્યમનો વર્ગ ગુજરાતી માધ્યમમાં શરૂ થાય ને સમય જતાં ગુજરાતી માધ્યમમાં સંખ્યા ઘટે તો તે વર્ગ બંધ થાય ને એની જગ્યાએ અંગ્રેજી માધ્યમનો વર્ગ આવીને ગોઠવાઈ જાય ને એમ આખી શાળા જતે દિવસે અંગ્રેજી માધ્યમમાં કન્વર્ટ થાય. આમ જ થાય એવું નહીં, પણ આમ ન જ થાય એવું પણ નહીં.
આવી ભલામણો પરદેશમાં અંગ્રેજી સ્કૂલો ખોલવાની હોય તેમ થતી રહે છે. આવી રજૂઆતો વખતે એ ભૂલી જવાય છે કે આપણે ગુજરાતમાં રહીએ છીએ અને ગુજરાત તે ઈંગ્લેન્ડ હોય તેમ અહીં અંગ્રેજી માધ્યમની હિમાયત થાય છે. અંગ્રેજીની ગુલામી છૂટતી નથી એ દુ:ખદ છે. એ સાચું છે કે અંગ્રેજી વૈશ્વિક ભાષા છે અને વૈશ્વિક વ્યવહારોમાં સંડોવાવું અનિવાર્ય થયું હોય તો અંગ્રેજી સારું હોય એ અનિવાર્ય છે. એક ભાષા તરીકે અંગ્રેજીનું મહત્ત્વ હોય જ, પણ માતૃભાષાનું કોઈ મહત્ત્વ હોય કે પછી આપણે અંગ્રેજીની ગુલામી માનસિકતા ધરાવતા ગુજ્જુઓ અંગ્રેજીને જ ગુજરાતની માતૃભાષા કરવા કમર કસી રહ્યાં છીએ તે નથી સમજાતું. અંગ્રેજોની ગુલામીમાંથી છૂટીને આપણે અંગ્રેજીની ભાટાઈ કરવા નીકળ્યા છીએ ને એની શરમ પણ નથી. સરકાર તો અંગ્રેજો પેદા કરવા ખાનગી રાહે અંગ્રેજી માધ્યમનો મહિમા કરે, પણ સાડા છ કરોડ ગુજરાતીઓ ગુજરાતીનું ઉઠમણું કરવા ઉતાવળા બને એ આઘાતજનક છે. એમાં સરકારની સાથે શાળા મંડળો ને સંસ્થાઓ પણ હાજિયો પુરાવે તે કેવળ ને કેવળ શરમજનક છે.
આપણને લાખો બાળકો અંગ્રેજી શિક્ષણથી વંચિત રહી જાય તેની ચિંતા થાય છે, પણ ગુજરાતી તરફની ઉદાસીનતાથી આપણું રૂંવાડું પણ ફરકતું નથી ને પ્રશ્ન તો એ છે કે કયાં ને કોના લાખો બાળકો અંગ્રેજીથી વંચિત રહી જાય છે? ગુજરાતે હવે અંગ્રેજો જ જન્માવવા માંડ્યા છે કે શું? એ ખરું કે કોઈ પણ અંગ્રેજીથી વંચિત ન જ રહેવું જોઈએ, પણ ગુજરાતીથી પણ વંચિત ન રહેવું જોઈએ એ માનસિકતા આપણે કેમ કેળવી શકતા નથી? અંગ્રેજીની જોડણી ખોટી ન લખાય એની કાળજી જરૂર રાખીએ, પણ ગુજરાતી જોડણીની કાળજી પણ લેવાય એ કેમ આપણને સૂઝતું નથી? વાલીઓ અને શિક્ષકો અંગ્રેજી જેટલી જ કાળજી ગુજરાતી બાબતે બાળકોની લે છે ખરા? કોઈ વિદેશી અંગ્રેજીની જેટલી કાળજી લે એટલી જ બીજી ભાષા તરીકે ગુજરાતીની પણ લે છે. એ લોકો ગુજરાતીને નથી કરતાં એટલી અપમાનિત આપણે ગુજરાતીઓ, ગુજરાતીને કરીએ છીએ. કોઈ મરાઠી, કોઈ બંગાળી, કોઈ કન્નડ પોતાની ભાષાને એટલી હીન નથી સમજતા જેટલા ગુજરાતીઓ ગુજરાતીને સમજે છે. ફેસબુક પર, વોટ્સએપ પર કે અન્ય માધ્યમોમાં સાહિત્ય તરીકે જે ગુજરાતી પીરસાય છે તેમાં પીઠ થાબડ પ્રવૃત્તિ અને ઘોર અજ્ઞાન જ પ્રગટ થાય છે એ જોઈએ તો સમજાય કે ગુજરાતીની શી દશા ને દિશા છે?
આપણે સમજવું જોઈએ કે અન્ય રાજ્યની પ્રજાને વૈશ્વિક ભાષા તરીકે અંગ્રેજીની જરૂર છે જ, પણ એ લોકો માતૃભાષાને બાજુએ મૂકતા નથી. આ આછકલાઈ કદાચ ગુજરાતીઓમાં જ છે. એમાં સરકારને જ ગુજરાતીનું મહત્ત્વ હૈયે ન વસતું હોય તો દેખીતું છે કે પ્રજા માટે અંગ્રેજીની ભાટાઈ કરવાનું જ બાકી રહે. અંગ્રેજી માધ્યમમાં ભણવાથી જ આપણે જગત સામે ટકી શકીશું એવી ખર્ચાળ ને સંકુચિત ભાવના ગુજરાતીઓમાં જ છે. એ તપાસવા જેવું છે કે અન્ય માતૃભાષા હોય એવા પ્રદેશમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ વધારે છે કે ગુજરાતમાં? ગુજરાત એમાં મોખરે હોય તો નવાઈ નહીં ને છતાં ગુજરાતીમાં તો છે જ, અંગ્રેજીમાં પણ ગુજરાત પાછળ પડે છે.
એ સાચું કે જગત ઝડપી અને સાંકડું થયું છે. ટેક્નોલોજી અને વિજ્ઞાન અને અન્ય ક્ષેત્રો સાથે કદમ મિલાવવા અંગ્રેજી મહત્ત્વનું છે તેની ના જ નથી, પણ તેનો અર્થ ગુજરાતીનું અપમાન કરીને આગળ વધવું એવો નથી. માત્ર અંગ્રેજી જ શીખવાની વાત હોય તો તે બરાબર નથી. ભાષા વધારે આવડે તો તે હાનિકર્તા છે એવું ક્યાં ય લખેલું નથી. કમસે કમ ઉચ્ચતર માધ્યમિક સુધી માતૃભાષા, રાષ્ટ્રભાષા અને આંતરરાષ્ટ્રીયભાષા ભણાવવાનું ફરજિયાત થાય તો એમાં કોઈ નુકસાન નથી. એ દિશામાં સરકારે ગંભીર થવાની જરૂર છે.
સાચું તો એ છે કે આપણે નકલખોર, પ્રભાવિત થનારી વામણી પ્રજા છીએ. આપણને સ્વમાન, સ્વાર્થ આગળ ભાગ્યે જ મહત્ત્વનું લાગ્યું છે. એ આપણી કમનસીબી છે કે અંગ્રેજીના મોહમાં આપણે આપણું સાહિત્ય, ગુજરાતી ભાષાનો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ, આપણી કલા, લોકકલા, લોકસાહિત્ય એમ બધું જ દાવ પર લગાવવા બેઠાં છીએ. આપણો ઇતિહાસ હવે ઈતિહાસકારો લખતા નથી, સરકારના માણસો લખે, શીખવે છે. ઇતિહાસના ચરિત્રો રાજકીય લાભ મેળવી આપે એ રીતે લાંબાં, ટૂંકાં કરાય છે, નહિતર એવું કેમ બને કે રાષ્ટ્રપિતા વામણા લાગે એ હદે સરદારને વિરાટ બતાવાય?
માધ્યમ કોઈ પણ હોય, માતૃભાષાથી તે વધારે મહત્ત્વનું ત્યારે જ બને જો આપણામાં સ્વમાન અને ભાષાપ્રીતિ ખૂટતાં હોય. ભાષાનાં ઝનૂનની વાત નથી અહીં, પણ માતૃભાષાને બાજુએ મૂકનાર, માતાને જ બાજુએ મૂકે છે તે કહેવાની જરૂર નથી. માને બાજુએ મૂકીને માસીને મા બનાવવા દીકરો તૈયાર થાય તો જ ગુજરાતીને બાજુએ મૂકીને અંગ્રેજીને માતૃભાષા બનાવી શકાય. સામાન્ય સંજોગોમાં કોઈ પણ સ્વમાની દીકરો માસીને મા ન માને. માને?
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 ફેબ્રુઆરી 2021