સ્વરાજ કયારે? જળ, જમીન ને જંગલ જનતાનાં બને ત્યારે!
સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે: દેશમાં કોઈ કોઈ જાગ્રત ને કૃતજ્ઞ વર્તુળો આજે લોકમાન્ય તિલકને એમની પુણ્યતિથિએ સંભારશે ત્યારે આ શબ્દો વળી તાજા થશે. પણ ૧૯૨૦માં ગયેલા લોકમાન્યનાં આ વચનો આજે ૨૦૦૯માં કેવા અનુભવાય છે? હમણાં કહ્યું કે આ શબ્દો તાજા થશે. પણ બને કે કોઈ જખમ તાજો થાય અને ગરીબનું, આમ આદમીનું, સૌનું સ્વરાજ હજુ કેટલે એ સવાલ દૂઝતા જખમ જેવો અનુભવાય.
દૂખતી રગ કહો, દૂઝતો જખમ કહો, એ શોધવા લાંબે જવું પડે એમ નથી. હજુ બેચાર દિવસ પર જ ગુજરાત રાજયના માનવ અધિકાર પંચે એના હેવાલમાં કહ્યું છે કે સામાન્ય માણસને એફઆઇઆર દાખલ કરવામાં પડતી મુશ્કેલીનો કોઈ છેડો જણાતો નથી. આ પંચ વિશે રાજય સરકારનીયે ભૂમિકા વિલક્ષણ છે. એને ન તો પૂરતો સ્ટાફ ફાળવાયો છે, ન તો રાજય સરકારે પંચ પરના બિનસરકારી સભ્યોની હજુ નિમણૂક પણ કરી છે. બલકે, હકીકત તો એ છે કે દેશમાં ગુજરાત જ એકમાત્ર, રિપીટ, એકમાત્ર એવું રાજય છે જયાં આવી નિમણૂક થઈ નથી. ‘નંબર વન’ આને જ કહેતા હશે, ન જાને. જોકે ખરી નંબર વનાઈ તો વર્તમાન સત્તાપક્ષના જ એક પૂર્વમુખ્યમંત્રીએ દાખવી હતી: નાગરિક સ્વાતંત્ર્ય સંગઠને રાજયમાં હજુયે માનવ અધિકાર પંચ કેમ રચાતું નથી એ વાતે સતત રજૂઆત કરી ત્યારે એમણે કહ્યું હતું કે સરકારના ગૃહ ખાતામાં એક માનવ અધિકાર સેલ છે જ. વીરા મોરા, ગૃહ ખાતા સામે ફરિયાદ કરવા મારે કયાં જવું એ તો કહો.
મુદ્દે, સરકારોના જિન્સ અને હોર્મોન્સમાં જ કદાચ પક્ષનિરપેક્ષપણે આવું કાંક પડેલું ને પેંધેલું છે. હમણાં રાહુલ ગાંધીએ યુવક કોંગ્રેસના આગેવાનોને ઠીક આદેશ આપ્યો કે તમારી ગાડીઓને માથેથી કે આગળના ભાગેથી ખાસ મોભાસૂચક સંકેતો (બેકન્સ) કાઢી નાખો. એટલું તો સમજો કે આપણે લોકનું કામ કરીએ છીએ અને લોકમોઝાર એમના જેવા થઈને રહેવાનું છે. રાહુલ ગાંધીએ આવું કહેવાની નોબત આવી એનો માયનો સીધોસાદો એ છે કે રાજકારણી માત્ર, ખાસ તો સત્તાકારણી માત્ર, પોતાને એ કાયદાથી પર ને ઉપર માને છે. આ વલણની વિકત પરાકાષ્ઠા આપણને કટોકટીના દિવસોમાં જોવા મળી હતી જયારે એટર્ની જનરલે સર્વોચ્ચ અદાલત સમક્ષ એ મતલબનું કહ્યું હતું કે અમે (સરકાર) કોઈનું ખૂન કરીએ તોપણ કામ ચલાવવાનો સવાલ ઊભો થતો નથી, કેમ કે અત્યારે મૂળભૂત અધિકારો (તેમજ હેબિયસ કોર્પસ સુઘ્ધાં) સ્થગિત છે. રાજય સરકારે અનુગોધરા કાંડની મીલીભગત મનમાનીને છાવરવાનો જે ઉધમ કર્યોતે પણ આ જ ફ્રિકવન્સી પરની બીના છે.
જોકે સ્વરાજની વાતને આમ કેવળ પોલીસ વહેવારમાં જ ખતવીને પૂરી ન કરી શકાય. એ તો માનો કે શરૂઆત માત્ર છે. ખરેખર તો જે જે બધું પ્રજાનું છે એને પદરના ગરાસની પેઠે ઓળવવાની આખેઆખી સરકારી પેરવી તપાસ માગી લે છે. અરુણ શૌરીએ કયારેક ઇન્દિરાઈના સંદર્ભમાં ‘સ્ટેટ એઝ પ્રાઇવેટ એસ્ટેટ’ એવી યાદગાર નુક્તેચીની કરી હતી. પણ આપણી વિકલ્પભૂખ તે પછી પણ ખરેખાત ભાંગી તો નથી. લાંબે કયાં જઈએ ઘરઆંગણે કાંકરિયાની કિલ્લેબંધીની જ વાત લો ને. જનહિત યાચિકાને પગલે હાઈકોર્ટે અમદાવાદ મહાનગરપાલિકા પર નોટિસ ફટકારી છે અને જવાબ માગ્યો છે. પણ મુદ્દાની વાત એ છે કે સામાન્ય માણસના સહજ આનંદને સરકાર કોઈ પણ ખાનગી મૂડીતંત્રની જેમ પોતાના આવકના સાધન તરીકે, કોઈ માલિક જેમ વસૂલે તેમ જ જુએ છે.
વાસ્તવમાં ખરી વાત તો એ છે કે કોંગ્રેસ અને ભાજપ સહિત રાજકીય-શાસકીય અગ્રવર્ગનો ખાસો મોટો હિસ્સો રહયું નથી. એક ફ્રેન્ચ લેખકે, હું ધારું છું આનાતોલ ફ્રાન્સે, આબાદ કહ્યું હતું કે સરકારો શ્રીમંતોના પૈસે અને ગરીબોના મતે ચાલે છે. જોકે નવી વ્યવસ્થામાં સરકાર ને શ્રીમંતો ઘણે અંશે વધુ ને વધુ એકાકાર થતા ચાલ્યા છે, એય સાચું.
યોજનાઓ થાય છે, જરૂર થાય છે. સુધારાની કોશિશ થાય છે, જરૂર થાય છે. રહી રહીને સર્વસમાવેશક વિકાસ (ઇન્કલુઝિવ ગ્રોથ)નું શબ્દડાકલું ધૂણે છે, જરૂર ધૂણે છે. માહિતીનો અધિકાર અને રોજગાર યોજના સારાં પગલાં છે, જરૂર સારાં પગલાં છે. તો વાંધો શું છે, તમે કહેશો અને કદાચ જાતે જ જવાબ પણ આપશો કે એના અમલનું શું. બને કે કોઈને રાજીવ ગાંધીની એ સહૃદય સ્વીકૃતિ પણ સાંભરી આવે કે રૂપિયે પંદર પૈસા માંડ પહોંચે છે.
ના, સાહેબ, વાત માત્ર આટલી જ નથી. તમે કદાચ કહેશો કે ગરીબીની રેખાની વ્યાખ્યા બદલીને લોકોને એટલી જ ગરીબીએ રેખાની ઉપર ચડાવવાનો ખેલ ચાલે છે. પેલું કહે છે ને કે લાઇઝ, ડેમ લાઇઝ એન્ડ સ્ટેટિસ્ટિક્સ-એવું જ કાંક! કબૂલ. ત્રિવાર કબૂલ. પણ ફરી કહું કે વાત માત્ર આટલી જ નથી.
તો પછી શું છે, તમે પૂછશો. ભાઈ, હમણાં મને જે યોજનાઓ ગમ્યાની જિકર કરી અગર તો કાંકરિયાને મુદ્દે કોર્પોરેશન પર નોટિસ ગયાનો હવાલો આપ્યો એ તો ખરા સવાલનું એક દશાંશમું ટોચકું પણ નથી. જળ, જમીન ને જંગલ પર જનતાનો અધિકાર છે એ પાયાના ખયાલથી ચાતરીને સાંસ્થાનિક સમયમાં તે ત્રણે જે રીતે સુવાંગ રાજય હસ્તક ચાલી ગયાં અને સરકાર હાડે કરીને આમજનતાવિરોધી કાવતરું બની રહી એ સંસ્કાર હજુ કયાં છૂટયો છે? ભલા આદમી, સરકારનું કલ્યાણ-રાજય-સ્વરૂપ એ તમારા પર કોઈ ઉપકાર નથી, એણે જનતાનું જે ઓળવી લીધું છે એ બધા સામે આ ઉપચારો ફૂંકતા અને ફોલતા, ફોલતા અને ફૂંકતા ઉદરથી વિશેષ નથી.
ગુજરાત વિધાનસભામાં નિયમવશ રજૂ કરેલો સીએજી હેવાલ લાગટ ત્રીજે વરસે પણ સુજલામ્ સુફલામ્ યોજનામાં જીવતે જગતિયાના ફરિયાદ કરે છે એ તો જાણે કે સમજયા, પણ એનું એક માર્મિક અવલોકન એ છે કે ખેતીની જમીનનું ઉધોગ અને વાણિજયના હેતુસર મોટા પાયે રૂપાંતર થઈ રહ્યું છે. સાહેબો, જરી સબૂરીથી વિચારો. આમાં રૂપાંતર ઓછું અને ઉઠાંતર ઝાઝું એવો ઘાટ છે. શાસક પક્ષના જ એક ધારાસભ્ય, નામે કલસરિયાએ ખાનગી કંપનીને ગામોનાં ગામોની જમીન આપી દેવા સામે ઝંડો ઉપાડયો છે એનો માયનો સમજાય છે? કશીક મીલીભગત સાથે સરકાર બધું ઓળવવા સારુ ઉધોગશાહો પર મહેરબાન છે. ગામોગામ, ગોચરની જમીનો અગોચર કેમ થતી ગઈ, કોઈ તો પૂછો, કોઈ તો બોલો.
સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે એમ લોકમાન્યે બુલંદીથી કહ્યું હતું. ૧૯૨૦માં એમની અર્થીને ગાંધીએ ખભો આપ્યો ત્યારે અસહકારની આબોહવામાં સ્વરાજની વ્યાખ્યા વિસ્તરી રહી હતી. આઝાદ થયા અને તે પછી ત્રીસે વરસે, ૧૯૭૭માં જનતા રાજયારોહણ સાથે એને બીજા સ્વરાજ તરીકે ઓળખાવવાનું બન્યું એ પણ ઠીક જ હતું. પણ હવે જે સમજાય છે તે તો એ છે કે પૂર્ણ સ્વરાજ હજુ આગે, ઓર આગે છે. સ્વરાજ કયારે? જળ, જમીન ને જંગલ જનતાનાં બને ત્યારે. સ્વરાજનું સમરાંગણ કદાપિ સૂનું ન હોઈ શકે, કેમ કે એ સતત ચાલતી લડત છે.