બી.જે.પી. અધ્યક્ષ અમિત શાહે એક ટી.વી.ચેનલ સાથેની મુલાકાતમાં બ.સ.પા. સુપ્રિમો માયાવતી ૨૦૧૯માં મજબૂર કેન્દ્ર સરકાર ઈચ્છે છે, તે અંગે કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કેમ મૌન છે તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે. તાજેતરમાં નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત ડોવાલે પણ આગામી દસ વરસ સુધી દેશમાં મજબૂત સરકાર જરૂરી છે, તેમ જણાવ્યું તે પછી દેશમાં મજબૂત સરકાર અને મજબૂર સરકાર અંગે ચર્ચા છેડાઈ છે.
અજિત ડોવાલ અને અમિત શાહ સંપૂર્ણ બહુમતીવાળી, એક જ પક્ષની સરકારને સ્થિર અને મજબૂત સરકાર માને છે. જો કોઈ પક્ષને પૂર્ણ બહુમતી ન મળી હોય અને એક કરતાં વધુ પક્ષોની મોરચા સરકાર કે જે સહયોગી પક્ષો પર નિર્ભર હોય તેવી સરકારને મજબૂત ન ગણતાં મજબૂર સરકાર કહેવામાં આવે છે. આવી સરકાર રાષ્ટ્રનો ઝડપી વિકાસ ન કરી શકે તેમ માનવામાં આવે છે.
આઝાદી પછીની પ્રથમ પાંચ ચૂંટણીઓમાં કૉન્ગ્રેસ પક્ષ ભારે બહુમતી મેળવીને સત્તામાં આવ્યો હતો. રાજ્યશાસ્ત્રના પંડિતોની ભાષામાં ૧૯૭૭ સુધી ભારતના રાજકારણમાં એક પક્ષ પ્રભાવ પ્રથા જોવા મળતી હતી. આજે જેને એક પક્ષી મજબૂત સરકાર કહી તરફેણ થઈ રહી છે તેવી તે સરકારો હતી. આ સમયમાં વિપક્ષમાં અનેક તેજસ્વી નેતાઓ હતા. પણ તેમની પાસે સંખ્યાબળ નહોતું. આ સમયમાં પહેલાં નહેરુનો અને પછી ઇંદિરા ગાંધીનો દબદબો હતો.
ઇંદિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી પછી ૧૯૭૭માં થયેલી ચૂંટણીઓમાં પ્રથમવાર દેશમાં બિનકૉન્ગ્રેસી સરકાર બની હતી. અનેક રાજકીય પક્ષોના શંભુ મેળાથી આ સરકાર રચાઈ હતી. મોરારજી દેસાઈના વડપણ હેઠળની આ સરકાર લાંબુ ન ટકી અને શ્રીમતી ગાંધી ફરી સત્તામાં આવ્યાં.
ભારતીય મતદારે કેન્દ્રમાં અને રાજ્યોમાં મજબૂત અને મજબૂર એમ બેઉ પ્રકારની સરકારોના અનુભવો કર્યા છે. આજે કેન્દ્રમાં એકમાત્ર ભારતીય જનતા પક્ષની સ્પષ્ટ બહુમતી સાથેની સરકાર સત્તામાં છે. પરંતુ ભૂતકાળમાં આ જ પક્ષની અટલબિહારી વાજપાઈના નેતૃત્વમાં સહયોગી પક્ષોના ટેકે સરકારો રચાઈ હતી અને તે ઠીક ઠીક ચાલી હતી. આવું જ નરસિંહરાવ સરકારની બાબતમાં પણ બન્યું છે. એટલે પાંચ વરસની મુદ્દત એક જ પક્ષની સરકાર પૂર્ણ કરે તેવું બન્યું નથી.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ મજબૂત સરકારના સમર્થનમાં રાષ્ટ્રીય સુરક્ષા અને ઝડપી આર્થિક વિકાસને ગણાવે છે. પરંતુ અહીં એ હકીકતોથી આખંમિચામણાં થઈ શકે તેમ નથી કે ૧૯૬૨નું ચીન સાથેનું યુદ્ધ કે તે પછીના પાકિસ્તાન સાથેના બંને યુદ્ધ સ્પષ્ટ બહુમતીવાળી એક જ પક્ષની મજબૂત સરકારોના વખતમાં થયાં હતાં. એટલે મજબૂત સરકાર હશે તો જ રાષ્ટૃીય સુરક્ષા જળવાય એમ બન્યું નથી. મોરચા સરકારોની કે અલ્પ બહુમતીની કેન્દ્રીય રાજવટમાં પણ રાષ્ટ્રીય સલામતી જળવાઈ રહી હતી. જ્યાં સુધી આર્થિક વિકાસને સંબંધ છે તે પણ મજબૂત સરકારોનો ઈજારો નથી. આરંભની ભારે બહુમતી ધરાવતી કૉન્ગ્રેસી સરકારોના ગાળાનો આર્થિક વિકાસ ધીમો હતો તે હકીકત છે. એટલે આર્થિક વિકાસ, પ્રગતિ અને સલામતી માટે સરકારોનું સ્થિર અને મજબૂત હોવું જરૂરી નથી.
બહુપક્ષીય અને સહયોગી પક્ષોના ટેકે ચાલતી સરકારો તેમની મુદ્દત પૂર્ણ કરી શકતી નથી અને અને સ્થિર નથી હોતી પણ તે આર્થિક વિકાસ, રાષ્ટ્રીય સલામતી અને નીતિ વિષયક બદલાવ સાધી શકતી નથી એ બાબત ખરી નથી. ૧૯૭૭માં રચાયેલી જનતા સરકાર એક અર્થમાં મજબૂત સરકાર નહોતી પણ તેણે ઇંદિરાઈ કટોકટીકાળના અનેક બંધારણીય સુધારા ઊલટાવ્યા હતા. રાજીવ ગાંધીની હત્યા પછી ૧૯૯૬ના ગાળાની દસમી લોકસભામાં નહેરુ ગાંધી ખાનદાન સિવાયના કૉન્ગ્રેસી વડાપ્રધાન નરસિંહરાવ પાસે પૂર્ણ બહુમતી નહોતી. પણ તેમણે ધરખમ આર્થિક સુધારા કર્યા જ હતા ને ? નરસિંહરાવ સરકારે જ નવી આર્થિક નીતિનો માર્ગ કંડાર્યો હતો, જેને દેશના અર્થતંત્રને નવો વળાંક આપ્યો હતો.
મજબૂત સરકારની વકીલાત કરનારાઓના મનમાં કદાચ એ બાબત પણ હશે જ અટલબિહારી વાજપાઈને માત્ર એક મત ન મળતાં તે સરકાર ટકાવી શક્યા નહોતા. તાજેતરમાં કર્ણાટકની વિધાનસભામાં બી.જે.પી. સૌથી મોટો પક્ષ છે પણ તેને અન્ય પક્ષોનો ટેકો ન મળતાં તેની સરકાર રચી શકાઈ નથી. એટલે પણ એક પક્ષની બહુમતી ધરાવતી મજબૂત સરકારની માંગ ઊઠી છે.
કેન્દ્રમાં જ્યારે જ્યારે સહયોગી પક્ષોનાં સમર્થનથી સરકારો રચાઈ છે ત્યારે તેમાં પૂરતું પ્રાદેશિક અને ભાષાકીય વૈવિધ્ય જોવાં મળ્યું છે. પ્રાદેશિક પક્ષોનાં સમર્થનના બદલામાં પ્રદેશના હિતનું વધુ ધ્યાન રાખવું પડે છે. વર્તમાન લોકસભામાં ભા.જ.પ.ને પૂર્ણ બહુમતી મળી છે. તેણે સાથી પક્ષોને સરકારમાં સામેલ તો કર્યા છે. પરંતુ શિવસેના અને અકાલી દળનું મોદી સરકાર અને વાજપાઈ સરકારમાં શું સ્થાન છે તેના આકલન પરથી જ મજબૂત સરકારની સાથી પક્ષો પ્રત્યેની દાનત જોઈ શકાય છે.
મજબૂત કરતાં મજબૂર સરકારો પાસે ગરીબો તરફી પગલાં વધારે સારી રીતે લેવડાવી શકાય છે એવો પણ અનુભવ છે. વી.પી. સિંઘની સરકાર ડાબેરી પક્ષો અને ભા.જ.પ. એમ પરસ્પર વિરોધી વિચારોના પક્ષોના સમર્થનથી અગિયાર જ મહિના શાસન કરી શકી હતી. પરંતુ આ જ સરકારે દેશમાં મંડલ કમિશન લાગુ પાડી અન્ય પછાત વર્ગોને અનામત આપવાનો અતિ મહત્ત્વનો નિર્ણય લીધો હતો. યુ.પી.એ. સરકાર પાસે પૂર્ણ બહુમતી નહોતી એટલે સાથી પક્ષોના દબાણથી જ તેણે મનરેગા, શિક્ષણ અને માહિતીના અધિકારના કાયદા કર્યા હતા.
કેરળમાં બહુપક્ષીય મોરચા સરકારોનો લાંબો ઇતિહાસ છે. જેણે ઘણાં સારાં કામો કર્યાં છે. ગુજરાતમાં અન્ય પછાતવર્ગોને અનામત આપવાનો નિર્ણય બાબુભાઈ પટેલની અલ્પ બહુમતીની એકપક્ષી નહીં એવી મજબૂર સરકારે કર્યો હતો. માર્ચ ૧૯૮૫ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માધવસિહ સોલંકીના નેતૃત્વમાં કૉન્ગ્રેસને વિક્રમી એવી ૧૮૨માંથી ૧૪૯ બેઠકો મળી હતી. ગુજરાતના રાજકીય ઇતિહાસની આ સૌથી મજબૂત સરકારના મુખ્યમંત્રીને ઓ.બી.સી. અનામત વધારાના પ્રશ્ને છ જ મહિનામાં સત્તા છોડવી પડી હતી. આ મજબૂત સરકાર પછી જ ગુજરાતમાં કૉન્ગ્રેસનાં વળતાં પાણી થયાં હતાં.
દેશને એકપક્ષની મજબૂત એવી આપખુદ સરકાર જોઈએ છીએ કે લોકો પ્રત્યે વફાદાર અને જવાબદાર એવી લોકતંત્રને મજબૂત કરનારી સરકાર જોઈએ છે, તે ખરો સવાલ છે.
e.mail : maheriyachandu@gmail.com