સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસના તમામ આરોપી નિર્દોષ છૂટી ગયા છે, જેમાં બી.જે.પી.ના અધ્યક્ષ અમિત શાહનો પણ સમાવેશ થાય છે. ચુકાદો અપેક્ષિત હતો એટલે કોઈને ય એમાં આંચકો લાગ્યો નથી કે આશ્ચર્ય થયું નથી. હવે અમિત શાહે અને બીજા આરોપીઓએ ભગવાનને પ્રાર્થના કરતા રહેવું જોઈએ કે દિલ્હીની વડી અદાલતમાં સજ્જન કુમારના કેસનો ખટલો સાંભળનારા ન્યાયમૂર્તિઓ જેવા કોઈ ન્યાયમૂર્તિઓ સાથે પનારો ન પડે અને બાકીની જિંદગી હેમખેમ પૂરી થઈ જાય.
આમ કહેવા પાછળ કારણ છે. ભારતમાં ન્યાયતંત્ર અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ન્યાય નથી કરતાં, વ્યક્તિગત રીતે પ્રામાણિક અને ખુદ્દાર અધિકારીઓ અને જજો ન્યાય કરે છે. વ્યવસ્થામાં એવા કેટલાક લોકો આવી જાય છે જે હાર્યા વિના, વેચાયા વિના કે ડર્યા વિના નિર્દોષ લોકોને ન્યાય અપાવવા માટે ઝઝૂમે છે. તેમનો અંતરાત્મા તેમને જંપવા દેતો નથી. સામે પક્ષે રાજકીય પરિસ્થિતિ બદલાય છે ત્યારે ડરીને મૂંગા થઈ ગયેલા લોકો બોલવા લાગે છે. એટલા માટે બાકીની જિંદગી હેમખેમ પસાર થઈ જાય એ માટે પ્રાર્થના કરતા રહેવું જરૂરી છે.
અદાલતોમાં કોઈ નિર્દોષ છૂટી જાય એનો અર્થ એવો નથી કે આરોપીઓ સો ટકા નિર્દોષ હતા. આપણે કાયદાના રાજ્યમાં શ્રદ્ધા રાખીને જીવવાનું છે અને ન્યાયતંત્ર તેની કરોડરજ્જુ છે એટલે અદાલત જે ફેંસલો આપે એ આપણે એક વફાદાર નાગરિક તરીકે કબૂલ કરવું રહ્યું. માત્ર પેલી શંકાની સોય મનમાં સળવળે છે. શંકા કરવા માટે કેટલાં ઉદાહરણો આપવાં? ૧૯૮૪ના દિલ્હીના સિખોનો નરસંહાર, ૧૯૮૯માં થયેલો ભાગલપુરનો હત્યાકાંડ, ભોપાલ ગેસગળતર, ૧૯૯૩માં મુંબઈમાં થયેલાં કોમી હુલ્લડો, કંધમાલ, ગુજરાત, મુઝફ્ફરનગર, માલેગાંવ, મક્કા મસ્જિદ, સમજૌતા એક્સપ્રેસ કેટકેટલા ઘૃણાસ્પદ અને શરમજનક બનાવો બન્યાં છે જેમાં નિર્દોષ લોકોને નથી ન્યાય મળ્યો અને ગુનેગારોને સજા થઈ નથી. સરકાર કોઈની પણ હોય, ન્યાય થતો નથી. મહારાષ્ટ્રમાં ડૉ. નરેન્દ્ર દાભોલકર નામના રેશનાલિસ્ટની હત્યા ૨૦૧૩માં થઈ હતી, જ્યારે રાજ્યમાં કૉન્ગ્રેસની સરકાર હતી. એ પછી કૉન્ગ્રેસે એક વરસ શાસન કર્યું હતું, પરંતુ આરોપીઓ પકડાયા નહોતા. આવી જ રીતે ગોવિંદ પાનસરે, કુલ્બુર્ગી અને ગૌરી લંકેશની હત્યાઓ થઈ ત્યારે પણ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કૉન્ગ્રેસની સરકારો હતી.
માટે કહેવું પડે છે કે આવા રાજકીય લાભાલાભથી પ્રેરાઈને થતા ગુનાઓમાં આરોપીઓ નિર્દોષ છૂટી જાય, એનો અર્થ એવો નથી કે તેઓ નિર્દોષ હતા. નસીબ સારા હોય તો હેમખેમ જિંદગી પૂરી કરીને ઉપર જતા રહે અને સજ્જન કુમારની જેમ નસીબ ફૂટેલા હોય તો દિલ્હીની વડી અદાલતના જજો જેવા જજો ભટકાઈ જાય અને જતી જિંદગીએ જેલમાં પણ જવું પડે. એટલા માટે નિર્દોષ છૂટેલા મહામાનવોએ કમસેકમ આજીવન પ્રાર્થના કરતી રહેવી.
એમ લાગે કે સોહરાબુદ્દીન એનકાઉન્ટરનો ચુકાદો આપનારા જજ એસ.જે. શર્મા સંવેદનશીલ માણસ છે. તેમણે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલાઓનાં પરિવારજનોની ન્યાય નહીં કરી શકવા બદલ માફી માગી છે. તેમણે કહ્યું છે કે સી.બી.આઈ. આરોપીઓ સામે કેસ જ સ્થાપિત કરી શકી નથી. અધ્ધર પુરાવાઓ વિનાના આરોપોમાં સજા કેવી રીતે કરવી અને કોને કરવી? સરકારી વકીલે ૨૧૦ સાક્ષીઓની જુબાની લીધી હતી જેમાંથી ૯૨ સાક્ષીઓ પાછળથી ફરી ગયા હતા. જે સાક્ષીઓ ફરી ગયા એ ગુનો સાબિત કરવા માટે ચાવીરૂપ સાક્ષીઓ હતા. એ સાક્ષીઓ શેને કારણે ફરી ગયા એ સમજવા માટે આઇન્સ્ટાઇનના દિમાગની જરૂર નથી. જજે સરકારી વકીલના વખાણ કર્યા છે અને કહ્યું છે કે જ્યારે સાક્ષીઓ ફરી જાય અને સી.બી.આઈ. મજબૂત તપાસ કરીને કેસ સ્થાપિત કરીને ન આપે ત્યાં બિચારા વકીલ શું કરે?
ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં અદાલતો છેલ્લે આવે છે. એ પહેલાં જ તપાસકર્તાઓ કેસનું કાસળ કાઢી નાખે છે. સરખી તપાસ કરે નહીં, સમયસર તપાસ કરે નહીં, પુરાવાઓનો નાશ થવા દે, સાક્ષીઓ ફરાર થઈ જાય, કોઈનાં રહસ્યમય મૃત્યુ થાય, સાક્ષીઓ ફરી જાય, કાચા આરોપનામાં હોય અને એ પછી પણ જો કોઈ જજ સક્રિયતા અને સ્વતંત્રતા બતાવે તો જજોની બદલીઓ થાય અને જરૂર પડે તો જજોનું પણ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થાય, જેમ સોહરાબુદ્દીન કેસનો ખટલો સાંભળનારા જજ લોયાનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. આટઆટલાં ગાબડાં પછી ખટલો અદાલતમાં ચાલે ત્યારે જજ શું ચુકાદો આપે? જજ જો મહત્ત્વાકાંક્ષી હોય તો અનુકૂળ ચુકાદો આપીને પ્રમોશન મેળવી લે અને જો સંવેદનશીલ હોય તો માફી માગી લે. સજ્જન કુમાર જેવા ચમત્કાર તો ત્યારે બને જ્યારે રાજકીય તખતો પલટાયો હોય અને બીજી બાજુ જજ અને તપાસકર્તા અધિકારીઓની કુંડળી મેચ થઈ જાય. હજુ એક વાત. તપાસકર્તા અધિકારીઓ પુરાવાઓને રફેદફે કરે છે તેનો નાશ નથી કરતા. તેઓ તેની લાંબા ગાળાની કિંમત જાણે છે.
આમ પ્રારંભમાં કહ્યું એમ જે ચુકાદો આવ્યો છે એનાથી કોઈને ય આંચકો નથી લાગ્યો કે નથી આશ્ચર્ય થયું. બધું જ અપેક્ષા મુજબ બન્યું છે. બસ, હવે બાકીની જિંદગી હેમખેમ પસાર થઈ જાય એની પ્રાર્થના નિર્દોષ મહાનુભાવોએ કરતા રહેવું જોઈએ.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 24 ડિસેમ્બર 2018