હૈયાને દરબાર
પાશ્ચાત્ય દેશોમાં પાનખર પૂરબહારમાં ખીલે છે. ઓક્ટોબર-નવેમ્બર એ ફોલ સીઝન. લાલ-લીલાં-પીળાં પાંદડાં અદ્ભુત સૌંદર્ય સર્જે છે. પરંતુ એ સૌંદર્ય પણ ક્ષણજીવી છે. શિયાળો બેસતાં જ પાંદડાં એક પછી એક ખરવા લાગે છે અને વૃક્ષ જાણે નિર્વસ્ત્ર, શુષ્ક અને નિર્જીવ ભાસે છે! જ્યારે પણ પાનખરનું દૃશ્ય નજરે ચડે ત્યારે કવિ અનિલ જોશીનું લાજવાબ ગીત યાદ આવ્યા વિના રહે નહીં. એ ગીત એટલે ‘મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી મને પાનખરની બીક ના બતાવો.’ પહેલી વાર સાંભળ્યું ત્યારથી જ મનમાં વસી ગયું હતું. ગીતમાં ગજબની ખુમારી છે! નિર્ભયતાની વાત છે! મારી ડાળખીમાં પાંદડાં જ નથી એટલે પાનખરની મને બીક નથી. જેની પાસે સમૃદ્ધિ હોય એને ગુમાવવાની બીક હોય. અહીં તો વૃક્ષ પોતે જ કહે છે કે મારી પાસે તો કંઈ છે જ નહીં, પછી મને શાની બીક!
આ ગીતમાં સૂરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ કલાકારનું સ્વરાંકન અને કંઠ હોય પછી તો પૂછવું જ શું? જાણે એક અલગ દુનિયામાં પહોંચી જવાય છે. કવિના ભાવ અને સ્વભાવને સમજીને સ્વરાંકન થાય ત્યારે ભાવકના હૃદયને સ્પર્શે છે. થોડી હતાશા સાથે જ બડી ખુમારીનો અહેસાસ કરાવી જાય છે આ ગીત. મૂળ રેકોર્ડમાં મનહર ઉધાસે ગાયેલું આ ગીત જાહેર કાર્યક્રમોમાં પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે વધુ પ્રચલિત થયું.
કુદરતે અમૂલ્ય એવી પાનખર મોકલી છે. વસંતનો જેમ વૈભવ હોય છે એમ પાનખરનું આગવું સૌંદર્ય છે. આપણું મન એને કઈ રીતે સ્વીકારે છે તેના પર બધો આધાર છે. ગીતમાં નિર્ભયતા અને વૃક્ષની સંવેદનાની વાત પ્રગટ થઈ છે. અધૂરપમાં મધુરપ ભરવાની વાત કવિએ ખૂબ સરસ રીતે કરી છે.
માણસની સંવેદના અને વિચારધારા જ છેવટે એ કેવો માણસ છે એ છતું કરતી હોય છે. માણસના વિચારો એ બીજું કંઈ નથી પણ એનામાં જીવતી સંવેદનાનું પ્રતિબિંબ છે. સંવેદના વરતાઈ આવે અને સંવેદનહીનતા પરખાઈ જાય. વનસ્પતિ અને વૃક્ષમાં ય આ સંવેદના જોવા મળે છે. આજનાં લીલાં પર્ણો આવતી કાલે પીળાં બનીને એક દિવસ ખરી જવાનાં છે. આપણા જીવનનું પણ આવું જ છે. સમયાંતરે માણસ પર્ણની જેમ પીળો પડતો જાય છતાં એણે વયના એ સૌંદર્યને પણ માણવાનું છે. જૂનાનો ત્યાગ અને નવાના આવિષ્કારની તૈયારી રાખવાની છે. આપણે સૌએ પ્રકૃતિ પાસેથી ઘણું શીખવા જેવું છે.
આ ગીત વિશે અનિલ જોશીએ સરસ સ્મૃતિઓ વહેંચી. "ઘણાં વર્ષ પહેલાં મારું અતિ લોકપ્રિય ગીત, ‘મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી, મને પાનખરની બીક ના બતાવો …’ મેં લખ્યું ત્યારે એના સહુથી પહેલા શ્રોતા ભાઈ (નાથાભાઈ જોશી) હતા. મને સપનામાં ઘણી વાર પંક્તિ સૂઝે જે હું સવારે ઊઠીને તરત ટપકાવી લઉં. આ ગીતની પંક્તિ ગોંડલની અમારી અગાસીમાં સૂઝી હતી. એક સાંજે હું કાગળ ઉપર લખેલું એ ગીત લઈને ભાઈ પાસે ગયો. સાંજનો સમય હતો. ભાઈ બહારની પરસાળમાં સૂતા હતા. હું એમની પાસે જઈને બેઠો. ભાઈ કહે : ‘કવિતા લખાય છેને? સંભળાવ.’ મેં ભાઈને ‘મારી કોઈ ડાળખી…’માં ગીત સંભળાવ્યું. આખું ગીત સાંભળ્યા પછી ભાઈ થોડી વાર મૌન થઇ ગયા. થોડીવારે મને કહ્યું, ‘અનિલ, હવે તું એવું ગીત લખ કે મારી સહુ ડાળખીમાં ભરપૂર પાંદડાંઓ છે છતાં મને પાનખરની બીક નથી લાગતી. આપણી પાસે કશું જ ના હોય તો પછી એની બીક શું કામ લાગે? આપણી પાસે બધો જ વૈભવ હોય છતાં એ જતો રહેવાની બીક ના લાગે એની જ મજા છે.’ એ દિવસોમાં હું યંગ હતો. મેં એવું ગીત લખવાનાં ખૂબ ફાંફાં માર્યાં પણ લખી શક્યો નહિ. ભાઈની ગેરહયાતીમાં એવું ગીત અનાયાસે લખાયું તે ભાઈને અર્પણ કર્યું હતું. એ ગીત છે :
હું તો પાંદડાંથી હર્યુંભર્યું લીલુંછમ્મ ઝાડ
મને પાનખરની બીક નથી લાગતી
પાનખર તો બે ઘડીની મહેમાન કહેવાય,
ભલે આવે ને જાય અને બેસે
જંગલમાં એક એક ઝાડવાં ઊભાં છે
જાણે બોધિવૃક્ષ હોય એમ કૈંક કહેશે
હું તો અંધારે ઊડતો આગિયો કહેવાઉં
મને સૂરજની બીક નથી લાગતી.
કવિ અનિલ જોશીએ એમનાં સ્વરબદ્ધ થયેલાં ગીતો સંદર્ભે પુરુષોત્તમભાઈ વિશે એક સ્થાને યથોચિત લખ્યું છે, "કોઈ એવોર્ડ કરતાં પણ મૂઠી ઊંચેરો સ્વરકાર-ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાય છે. હું કિશોર અવસ્થામાં હતો ત્યારે એક ગુજરાતી ગીત મારા કાને પડ્યું હતું : ‘હવે સખી નહીં બોલું, નહીં બોલું રે, કદાપિ નંદ કુંવરની સંગે.’ આ ગીત લતા મંગેશકરે ગાયું હતું. સ્વરાંકન પુરુષોત્તમ ઉપાધ્યાયનું હતું. ગુજરાતે આંગળીના વેઢે ગણી શકાય એટલા સુંદર સ્વરકાર અને ગાયકો આપ્યા છે. સહુ પોતપોતાના સ્થાને પ્રતિષ્ઠિત છે, પરંતુ પુરુષોત્તમની એક આગવી મુદ્રા છે, જે બધાથી એને અલગ તારવે છે. પુરુષોત્તમે ‘મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી, મને પાનખરની બીક ના બતાવો’ ગીત કમ્પોઝ કરીને ગુજરાતને ઘેલું કરી દીધું. એક વાર અમેરિકામાં હું શોપિંગ માટે કોઈ મોલમાં ફરતો હતો ત્યારે એક ગુજરાતી પરિવાર પણ મોલમાં હતો. દૂરથી મને જોતાં જ મારા તરફ આંગળી ચીંધીને મારી ઓળખ આપતાં કહ્યું, ‘જુઓ, પેલા મારી કોઈ ડાળખીવાળા ભાઈ પણ મોલમાં આવ્યા છે.’ અહીં મેં જોયું કે મારું નામ જ ગીતમાં ઓગળી ગયું છે. લોકો ગીતની પંક્તિથી જ મને ઓળખે એ પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીતનો જાદુ છે. પુરુષોત્તમ નૈસર્ગિક કલાકાર છે. એના સ્વરાંકનમાં ચતુરાઈ નથી. બેગમ અખ્તર પણ એમની કલાને સન્માન આપે. સલામત-નજાકતઅલી પણ પુરુષોત્તમના ચાહક.
એક ગીતકાર તરીકે મારી પાસે પુરુષોત્તમનાં અનેક સ્મરણો છે. ૧૯૭૪-૭૯ના સમયમાં હું નવોસવો મુંબઈ ગયો ત્યારે મારી પાસે પરંપરાથી હટીને સાવ નવાં ગીતો હતાં. કોઈ સામયિકનો તંત્રી એને પ્રસિદ્ધ કરવા તૈયાર ન થાય એવાં ગીતો હતાં, પણ પુરુષોત્તમે મારું એક ગીત કમ્પોઝ કરીને એચ.એમ.વી.માં રેકોર્ડ કર્યું હતું, ‘નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે એટલે હું પાન નહીં તોડું’. આ ગીત ઉષા મંગેશકર પાસે ગવડાવ્યું હતું. ગીતના રેકોર્ડિંગ સમયે હું એચ.એમ.વી.ના સ્ટુડિયોમાં પહોંચ્યો ત્યારે પુરુષોત્તમે મારી ઓળખ એ ગીતના સાજિંદાઓ સાથે કરાવતાં કહ્યું, ‘આ હરિપ્રસાદ ચૌરસિયા ફ્લુટ વગાડશે અને સંતૂર પર શિવકુમાર શર્મા છે.’
એ ક્ષણે મને એવું ફીલ થયું કે એક ગુજરાતી ગીતનું આનાથી મોટું સન્માન બીજું કયું હોઈ શકે? એ ગીતની રેકોર્ડ બહાર પડી ત્યારે એ સાંભળીને લાભશંકર ઠાકર જેવા આધુનિક કવિ નાચવા લાગ્યા. લાભશંકર એના જીવનના અંત સુધી મારા આ ગીત ઉપર સતત લખતા રહ્યા અને નાચતા રહ્યા. આવું બધું લખવામાં હું મારી સ્વપ્રશંસા નથી કરતો, પણ પુરુષોત્તમભાઈની પ્રતિભાનું સન્માન કરું છું. પુરુષોત્તમે એ પછી ‘અમે બરફનાં પંખી’ જેવું ગીત કાંતિ મડિયાના યુગપ્રવર્તક નાટક માટે કમ્પોઝ કરીને હંસા દવે પાસે ગવડાવ્યું અને હજારો પ્રેક્ષકોની આંખ ભીની થઈ ગઈ હતી. આ ગીત પ્રેક્ષકોના રૂમાલ અને ટિશ્યુ પેપર સુધી પહોંચી ગયું એનો હું સાક્ષી રહ્યો છું. પુરુષોત્તમ ઉપાધ્યાયની આ કમાલ છે. હંસા દવેનો સ્વરોદય પુરુષોત્તમના સ્વરાંકનમાં વધુ નીખરી ઊઠ્યો.
સજ્જતા દ્વારા ભાવ અને સંવેદનને વિકસાવવામાં વધુ રસ દાખવતા અનિલ જોશી ગીતોમાં ભાષાની તાજપ, તળપદી ભાષાનો લય ઉપરાંત, પ્રતીકાત્મક ભાષામાં અભિવ્યક્તિ, ચિત્રાત્મક દૃશ્ય કલ્પનોની શ્રેણી તેમને સહેજે એક ઉત્તમ ગીત કવિ તરીકે સ્થાપી આપે છે. અનિલ જોશી દ્વારા પ્રયોજાયેલો શબ્દ ગીતને જુદો જ લય બક્ષે છે. પ્રકૃતિ, પ્રણય, માનવ સ્વભાવ-સંવેદન જેવા કાવ્યસર્જનના શાશ્વત વિષયોને આવરી લેતા સર્જક છે. તેમનાં ગીતોમાં જોવા જઈએ તો કાવ્યકસબ દ્વારા ભાષાની શક્તિનો પરિચય આપે છે, તો કેટલાંક ગીતોમાં તળપદી ભાષાના પ્રયોજનથી ગીતના લયમાં અભિવૃદ્ધિ થતી પણ જોવા મળે છે. અનિલ જોશીનાં અનેક ગીતો ખૂબ લોકચાહના પામ્યાં છે.
એ જ રીતે પુરુષોત્તમભાઇ એ ગુજરાતી સુગમસંગીતનો શ્વાસ છે. એમણે સ્વરકોકિલા લતા મંગેશકર અને બેગમ અખ્તર પાસે ગુજરાતી ગીત ગવડાવ્યાં. મોહમ્મદ રફી જેવા શ્રેષ્ઠ પાર્શ્વગાયકે ‘કહું છું જવાનીને …’ ગીતના રેકોર્ડિંગ સમયે એવું કહ્યું હતું કે ‘આપ કી ઉંગલિયોં મેં જો સ્વર બસતે હૈ વો મૈં નહીં ગા સકતા.’ આવા ઉત્તમ કવિ-સ્વરકારનાં ગીત ગુજરાતી સંગીતચાહકોને અત્યંત પસંદ આવે એમાં શી નવાઈ?
સુરેશ દલાલે વર્ષો પહેલાં પુરુષોત્તમભાઈ માટે જે કહ્યું હતું તે એકદમ સાચું છે : "પુરુષોત્તમ ઉપાધ્યાયના અવાજમાં મશાલનું અજવાળું નથી, પણ ઘીના દીવાનો ઉજાસ છે.”
ગુજરાતી ભાષા આ પ્રકારનાં સુંદર ગીતોથી અલંકૃત છે. આપણે નજીક જઈને એના સૌંદર્યને નીરખવું પડે.
મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી મને પાનખરની બીક ના બતાવો!
પંખી સહિત હવા ચાતરીને જાય એવું આષાઢી દિવસોમાં લાગે
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં પણ મારામાં ઝાડ હજી જાગે
માળામાં ગોઠવેલી સળી હું નથી મને વીજળીની બીક ના બતાવો!
મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી મને પાનખરની બીક ના બતાવો!
એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય કોઈ રાતી કીડીનો ય ભાર!
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય પડવાને છે કેટલી વાર?
બરફમાં હું ગોઠવેલું પાણી નથી મને સૂરજની બીક ના બતાવો!
મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી મને પાનખરની બીક ના બતાવો!
• કવિ : અનિલ જોશી • સ્વર-સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 29 ઑક્ટોબર 2020
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=658496