પૃથ્વી ફરતી થઈ ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધારે અશાંતિ કદાચ આજના સમયમાં છે. એ ઘટે એવું હાલના સંજોગોમાં જણાતું નથી. જેને આપણે રામરાજય કહીએ છીએ એવું રાજ તો રામના વખતમાં પણ ન હતું. રામ રાજા થવાના હતા એ સમયમાં જ એમને ભાગે વનવાસ આવ્યો. વનમાં પણ ઠરવાનું ઓછું જ બન્યું. રાવણ સીતાનું હરણ કરી ગયો અને પછી તો એની સાથે યુદ્ધ થયું. અયોધ્યા પાછા આવવાનું બન્યું. રામરાજ્યની શરૂઆત થાય ન થાય ત્યાં તો નિર્દોષ સીતાનો ત્યાગ કરવાનું બન્યું. એને નસીબે તો ફરી વનવાસ જ આવ્યો. એ પછી સીતા ધરતીમાં સમાઈ અને રામે સરયૂ નદીમાં જળસમાધિ લીધી. આમાં કેટલું સુખ ભગવાન હોવા છતાં રામને ભાગે આવ્યું તે વિચારવાનું રહે.
મહાભારતમાં પાંડવો વિજયી બન્યા, પણ એ વિજય પાંડવોને ખાસ ફળ્યો નહીં. જે રાજ્ય મેળવવા પાંડવો જીવનભર મથ્યા એ રાજ્ય છેવટે સંતાનોને સોંપીને નીકળી જવું પડ્યું. કૌરવોમાંથી કોઈ બચ્યું નહીં ને ધૃતરાષ્ટ્ર, વિદુર અને ગાંધારીએ પણ છેવટે તો વનને ખોળે જ રહેવાનું આવ્યું. છેવટે તો વન એ જ જીવન થયું. સાચું તો એ છે કે મહાભારતમાં શાંતિપર્વ છે, પણ શાંતિ નથી.
નજીકની સદીમાં જઈએ તો બે વિશ્વયુદ્ધો જગતે જોયાં. સંહાર એ જ આહાર બન્યો. જાપાન ખતમ થયું. બીજા અનેક દેશોએ પાયમાલી વહોરી. યુદ્ધ વગરની નીતિઓનો મહિમા થયો. યુદ્ધનું એવું છે કે જે જીતે છે તે પણ ઘણું ગુમાવે છે. જગતને એ ભાન થયું કે શાંતિ, શસ્ત્રથી શક્ય નથી.
ભારત સ્વતંત્ર થયું તે સાથે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ને એક નવો શત્રુ સ્વતંત્રતાની સાથે જ ઉમેરાયો. ચીન સાથે 1962માં યુદ્ધ થયું. ભારત હાર્યું. પાકિસ્તાન સાથે એકથી વધુ યુદ્ધો થયાં. એમાં જીતેલો પ્રદેશ ગુમાવવા સિવાય બીજી પ્રાપ્તિ ન હતી. એ સાથે જ પાકિસ્તાનની કનડગત આજ પર્યંત ચાલુ જ છે. તેણે ગિલગિટ, બાલ્ટિસ્તાન, જૂનાગઢ વગેરેને પાકિસ્તાનના પ્રદેશો ગણાવ્યા છે, પણ આવાં નાટકો ઝાઝું ટકતાં નથી. પાકિસ્તાનમાં સામાન્ય બુદ્ધિ સિવાય બધું જ છે. તેને સાઉદી ગંભીરતાથી લેતું નથી. તેણે પાકિસ્તાનનો એ વિવાદી નક્શો રદ્દ કર્યો છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઘણી બધી રીતે નાદાન છે એટલે જ જોખમી પણ છે.
બીજી તરફ વિશ્વ કક્ષાએ અમેરિકા ઈરાન, ઈરાક સાથે અગાઉ પણ બાખડતું જ રહ્યું છે. શાંતિના બધા પ્રયત્નો છતાં ચીન, પાકિસ્તાન સાથે ભારતનો ખટરાગ અટકતો નથી. આ ઉપરાંત પણ ક્યાંક યુદ્ધ ચાલે છે અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. અમેરિકા ભારતની પડખે ઊભું રહ્યું છે તેનો પણ ચીને વાંધો ઉઠાવ્યો છે. તાજો જ બનાવ એવો બન્યો છે કે ફ્રાન્સની એક શિક્ષિકાની એક મુસ્લિમ યુવકે હત્યા કરી. કારણ એટલું કે એ શિક્ષિકાએ પયગંબર સાહેબનાં કાર્ટૂન્સ વિદ્યાર્થીઓને બતાવ્યા અને વાત તેમના પેરંટ્સ સુધી પહોંચી. પરિણામ શિક્ષિકાની હત્યામાં આવ્યું. એને ફ્રાન્સના રાષ્ટૃપ્રમુખે આતંકી હુમલા તરીકે ઓળખાવ્યું ને બધા મુસ્લિમ દેશોએ એનો વિરોધ કર્યો તે ત્યાં સુધી કે ફ્રાન્સની કોઈ પણ ચીજવસ્તુઓનો પણ બહિષ્કાર કરવો.
બીજી તરફ અમેરિકામાં પ્રમુખીય ચૂંટણીની ઉત્તેજના છે તો ભારતમાં બિહારની ચૂંટણીને મામલે ભા.જ.પ. અને અન્ય પક્ષોના નેતાઓ વચ્ચે ગરમાટો છે જ. અનેક આર્થિક પછડાટો વચ્ચે ભારત બે છેડા ભેગા કરવા મથે છે ને અત્યારે તો લગભગ તમામ દેશોની ઈકોનોમી ન જોયેલું જુએ છે.
છેલ્લા વર્ષના અંતમાં ચીને જગતને કોરોનાની ભેટ આપી. જગતમાં આને કારણે 12 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. કોઈ પણ યુદ્ધમાં થયેલી ખુવારી જેવો જ ભયંકર આ આંકડો છે. ફેર એટલો જ છે કે અહીં શત્રુ દેખાયો નથી. આટલું ઓછું હોય તેમ યુરોપના દેશોમાં કોરોનાએ ફરી ઊથલો માર્યો છે ને સ્થિતિ કાબૂ બહાર જાય તેવું લાગે છે. યુરોપમાં એક જ અઠવાડિયામાં કોરોનાના 13 લાખ અને દુનિયામાં 20 લાખ કેસો નોંધાયા છે. સ્પેન, ઈટાલી, ફ્રાંસ જેવા દેશો ફરી લોકડાઉન અને કરફ્યુમાં સંડોવાય એવી સ્થિતિ ઊભી થઈ છે ને લોકો હવે ફરી ઘરમાં ગોંધાવા રાજી નથી, એ જ કારણે લોકો હિંસક વિરોધ નોંધાવી રહ્યા છે. ભારતની વાત કરીએ તો કોરોનાના 80 લાખથી વધુ કેસો થયા છે ને મૃત્યુ આંક 1.20 લાખ પર પહોંચ્યો છે. દિવાળી પછી સ્કૂલો શરૂ થઈ જાય તો તે વખતની કોરોનાની સ્થિતિની કલ્પના કરવાની રહે. ભારતમાં પણ કોરોનાનું બીજું મોજું આવી શકે એવું નિષ્ણાતોનું કહેવું છે.
કોરોનાને કારણે વૈશ્વિક અર્થકારણ સારું એવું ઘોંચમાં પડ્યું છે. આમ કરવાનું ચીનનું લક્ષ્ય પણ હતું, જેમાં તે મહદંશે સફળ પણ થયું છે. આ ઉપરાંત ધરતીકંપ, વરસાદ, સુનામી, વાવાઝોડા, આગ, જ્વાળામુખી વિસ્ફોટ જેવી કુદરતી આફતો તો માનવો પર તોળાયેલી રહે જ છે ને એ નિમિત્તે અનેક જીવો જોખમમાં પણ મુકાય છે, પણ આ બધું છતાં માણસ બીજા માણસને કનડવામાંથી ઊંચો આવતો નથી તે હકીકત છે.
આગલા અનુભવો અને ઈતિહાસમાંથી માણસ કૈં શીખતો નથી અથવા તો હેરાન થવા કે કરવાનો ઉપદેશ જ તે ગ્રહણ કરે છે એમ માનવાનું રહે. આજનું જગત જોતાં સમજાય છે કે તે અરાજકતાનો શિકાર છે. બોધપાઠ એટલો જ લેવાય છે કે બીજા પર વર્ચસ્વ સ્થાપો ને લોકોને એડી નીચે રાખો.
અસંતોષ આજનો રાજરોગ છે. કેન્સરનો ઈલાજ છે, અસંતોષનો નથી. નાનામાં નાના માણસથી માંડીને મોટાં મોટાં માથાં કેવી રીતે બધું કબજે કરવું ને બીજાના હક મારીને ટકવું એટલું જ જાણે છે.
યુદ્ધ, રોગચાળો, આફતોથી માણસ ડરે નહીં ને સામનો કરે એ અપેક્ષિત છે તે સાથે જ તે વધુ નમ્ર અને શાંતિપ્રિય બનવો જોઈએ, પણ એવું ખાસ જણાતું નથી. માણસ વધારેને વધારે ઉધ્ધત, નિષ્ઠુર અને અસહ્ય બની રહ્યો છે. તે શિક્ષિત હોય તો પણ વધારે ક્રૂર અને જંગલી થયો છે. નાની નાની વાતોમાં તે કોઇની પણ હત્યા કરી નાખતા અચકાતો નથી. દુર્ગુણો એ જ સદ્દગુણો હોય તેમ એ તામસી અને વિવેકહીન થઈ ગયો છે. સિદ્ધાન્ત, સત્ય, આદર્શ હવે પુસ્તકોમાં જ રહી ગયાં હોય એવી સ્થિતિ છે.
ટેકનોલોજીએ સમય અને અંતર ઘટાડી દીધાં છે. માણસની મહેનત ઓછી થઈ છે. સંપર્કો સહેલા થઈ ગયાં છે. આને લીધે માણસને નિરાંત મળવી જોઈએ, પણ એવું થતું નથી. માણસ વધુ વ્યસ્ત અને ત્રસ્ત થયો છે. સોશિયલ મીડિયા આજનું સર્જન છે, પણ તેમાં ઉપયોગ કરતાં દુરુપયોગ વધારે છે. સંપર્કોને કારણે સૌમ્યતા ને સૌજન્ય વધવાં જોઈતાં હતાં, પણ એવું થયું નથી. નગ્નતા ને દેખાડા વધ્યા છે. માધ્યમોના ઉપયોગથી શોષણ અને સંતાપ જ વધ્યાં છે. હત્યા – આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે.
આ બધાં પરથી એટલું સમજાય છે કે દરેક ક્ષેત્રમાં સત્તાનું પ્રાધાન્ય વધ્યું છે. કોઈ પણ રીતે સત્તા મેળવો અને તેના પર મરણિયા થઈને ટકી રહો એ એક માત્ર ઉદ્દેશ જીવનનું રહ્યું હોય એમ લાગે છે. કોઈ પણ યુદ્ધખોર માનસ આની આગળનું ભાગ્યે જ વિચારે છે. એ કોઈ સંસ્થા હોય કે મહાસત્તા હોય, સત્તા તેનું એક માત્ર લક્ષ્ય જણાય છે. એને કારણે મૂલ્યોનું સતત ધોવાણ થતું આવે છે. પ્રમાણિક્તા કે સત્ય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ દાવ પર લાગે છે. યુનો કે વિશ્વ આરોગ્ય સંસ્થાઓની છેલ્લા થોડા સમયની ગતિવિધિઓ જોઈશું તો તેના નિર્ણયો તટસ્થ ઓછા જ રહ્યા છે. એમની સ્થાપનાના જે હેતુઓ છે તે બદલાયેલા જણાય છે. કોરોના સંદર્ભે જોઈશું તો તેના ફેલાવા અને દવા કે રસી અંગેના ઉપાયો વિશ્વ આરોગ્ય સંસ્થાએ સૂચવ્યા છે તેમાં વિશ્વહિત કરતાં રાજકારણ વધુ જણાય છે.
રાજનીતિ આજે વિશ્વવ્યાપી બની છે અને તેના હેતુઓ ભાગ્યે જ સારા જણાય છે. એવું કેમ લાગે છે કે તમામ દેશો પોતાનું રાષ્ટ્રીય ચરિત્ર ગુમાવી રહ્યા છે અને નબળું જ ગુણવત્તા તરીકે પ્રાધાન્ય ભોગવે છે? આ વૈશ્વિક સ્વસ્થતા માટે સારી નિશાની નથી. આવનારી પેઢીને આપણે શું ભેટ આપવા માંગીએ છીએ? સત્ય, પ્રમાણિક્તા, નિષ્ઠા, સદ્દભાવ, અનુકંપા, સાધન શુદ્ધિ એનું કોઈ મૂલ્ય આપણામાં વસે છે કે આવનારા સમયમાં એની કોઈ કીમત નથી એટલે એનો ત્યાગ કરો એવું આપણે આવનારી પેઢીને શીખવવા માંગીએ છીએ તે નક્કી કરી લેવાનું રહે. અસ્તુ !
0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : “ધબકાર” દૈનિક, 30 ઑક્ટોબર 2020