બગોદરાથી ફેદરાના રસ્તે, પહોળા થયેલા રસ્તાની ધારે નાનકડો ટુકડો જ કહેવાય એવું ખેતર. એમાં ઊભેલા ચાસિયા ઘઉં, ઓછા વરસાદને કારણે સાવ મરવાના વાંકે જીવતા છોડ પર ઉંબિયો (કણસલાં) માંડ માંડ જીવે એવા હાલ. બપોરના લગભગ ૨-૧૫ વાગ્યાના સુમારે બગોદરા વટી આંબળી મિટિંગ માટે જતાં જોયું તો એક આધેડ મહિલા હાથમાં ડૉલ અને ડબલાથી કંઈક છાંટે છે, પાછળ એક બાળક બીજા નાના ડબલામાં કંઈક લઈને આપવા આવતું દેખાયું. દૂરથી જોયું, ત્યારે લાગ્યું કે ચાસિયા ઘઉંમાં ખાતર કે દવા કેમ છાંટતાં હશે? પિયત વગર ખાતર કે દવા કેમ?
મહિલા ના તો દવા છાંટતી હતી, ના ખાતર, એ ડબલામાં ભરી લાવેલું પાણી છાંટતી હતી! ઢાળિયાથી, સ્પ્રિંકલરથી અને ડ્રીપથી થતી સિંચાઈ તો જોઈ, પરંતુ ડબલામાં પાણી લઈ, છાલકે છાલકે ખેતરમાં સિંચાઈ થાય તે કેવું ? ના, કોઈ નવી પદ્ધતિ નહીં, મજબૂરી હતી સાહેબ!
ભાલનો એ વિસ્તાર, ભૂગર્ભમાં સિંચાઈલાયક પાણી નહીં, નર્મદાનાં પાણી આવ્યાં નહીં, વરસાદ ઓછો, પાકનિષ્ફળતા ખમાય નહીં, ઘઉં સુકાય તો પરિવારનું તો આખું વરસ સુકાય. ધરતીની એટલી મહેર ખરી કે એ જમીનમાં છંટાયેલાં પાણીનો પણ ભેજ થોડો વધારે ટકે, એમાં ય જો રાતનો ઠાર ભળે, તો વળી એથી રૂડું શું? ઠાર પડશે ને ભેજ વધશે, ખાલી મરવાના વાંકે જીવતા ઘઉં જ નહીં, પરિવારનું આખું વરસ બચી જશે, એવી આશાએ સૂનાં ખેતરો વચ્ચે મા-બાળક કેટલી આશાએ પાણી છાંટતાં હતાં! એક નાનકડા ટુકડા-શા ખેતર પર જીવતા પરિવારની આ જિજીવિષા જ કહેવાયને? ટકી રહેવાની જિજીવિષા, આવતી કાલ ઊજળી થશે એવી આશા અને વિશ્વાસ જ તો કહેવાય.
ગાડી ચલાવતાં-ચલાવતાં આખા રસ્તે એ જ દૃશ્ય દેખાય. માનસિક ગડમથલ કે આ કોની નિષ્ફળતા? ખેડૂતોના હામીઓ હોવાનો દાવો કરતા નેતાઓની, સમાજની કે સરકારની? એક નાનકડા ટુકડા પર સ્વમાનભેર જીવવા જરૂરી એવી ખેતીની લઘુત્તમ જરૂરિયાત સમું પાણી આટલાં વરસે ય કેમ નથી પહોંચ્યું? આધેડવયની માતા અને નાનું બાળક ડોલ, ડોલ પાણીએ પોતાનું ખેતર સીંચે, પરિવારનું પેટ ભરવા જ તો! એવડા ટુકડામાંથી પરિવારનું જ માંડ પેટ ભરાય ત્યાં વેચીને નફો કમાવવાની તો કલ્પના ય એમને ક્યાંથી આવે?
એ નાનકડું બાળક જે માતાને ડબલે ડબલે ક્યાંક દૂરથી પાણી લાવી આપે છે, એનાં સપનાં શું હશે? આવું વેઠતું બાળક, મર્યાદિત ટુકડા ઉપર નભતાં પરિવારનું બાળક, એનાં સપનાં ય કેટલાં વિકસવાનાં? સૌની સામૂહિક નિષ્ફળતા છતાં ઉમાશંકર જોશીએ વર્ણવેલા ભૂખ્યાજનનો જઠરાગ્નિ જાગે ને દાવાનળ પ્રગટે, તો કોણ જવાબદાર? અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝૂમતા આવાં કેટલાં પરિવારો ગુજરાતમાં હશે? એમને જી.ડી.પી., ગ્રોથ, એફ.ડી.આઈ., ડિમોનેટાઇઝેશન, કૅશલેસ ઇકોનૉમી, નૅગૅટિવ ઇન્કમટૅક્ષ સાથે સાત પેઢીયે ય, સ્નાનસૂતકનો ય કોઈ સંબંધ ખરો?
શનિવાર (તા. ૨૧-૧-૧૭)ની બપોરે જોયેલું દૃશ્ય ખસતું નથી, એકધારી સહિયારી છતાં ય ધરાર નિષ્ફળતાની અનુભૂતિ જતી નથી. વારેવારે સામે આવીને પૂછે છે કે મારે કેમ ડબલે ડબલે સિંચાઈ કરવી પડે ? મારા બાળકને રમવાની ઉંમરે આમ ખેતરે, છોડવે છોડવે પાણી કેમ છાંટવું પડે છે ? તમારે સ્પ્રિંક્લર ને ડ્રિપ જોઈએ ને અમારે માઇનોર-સબ માઇનોર, જે આપો એના ઢાળિયા ય નહીં? અમારે ડબલે ડબલે છોડ સિંચવાના? અમારી આટલી તે અવગણના શીદને? અને નાના ખેડૂત, નાના માણસ, પણ માણસ તો છીએને? તમારે પાણી બચાવવું છે. ભલે, પણ અમારે તો વરસ બચાવવું છે, જીવવું છે!
લાગે છે કે, છેવાડાના માણસ સાથેનો સંબંધ કપાઈ ગયો છે. હું ય એ જ સમૂહનો થઈને રહી ગયો, જેને રોટલા કરતાં રોટલાના ઘાટ ને ઘડતરની ચિંતા વધારે છે.
રોજરોજનાં આંદોલનો જોઈ કોઈને લાગે કે આમને પ્રસિદ્ધિ મેળવવાની ટેવ પડી ગઈ છે, સ્ટંટ કરે છે. શું કરવું? કાયર થઈને નિષ્ફળતા સ્વીકારી બેસી જવું કે તમામ અવરોધો વચ્ચે અંતિમ ક્ષણ સુધી લડી લેવું?
E-mail : sagar45rabari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 02 ફેબ્રુઆરી 2017; પૃ. 20