દરેક યુગપુરુષની કમનસીબી છે કે વહેલા-મોડા એમના વિચારો અને સંસ્થાઓનું સરકારીકરણ થાય છે. બુદ્ધ અને ઈસુનું સરકારીકરણ ત્રણસો વરસે થયું, મોહમ્મદ પયગંબરનું સરકારીકરણ થતાં સો વરસ લાગ્યાં, પણ મહાત્મા ગાંધીનું સરકારીકરણ એમના મરણ પછી તરત જ શરૂ થઈ ગયું. પોતાના કાર્યક્રમને વેગ આપવા માટે ગાંધીજીએ સ્થાપેલી બિન-સરકારી સંસ્થા ખાદીગ્રામોદ્યોગ સંઘ હવે સંપૂર્ણપણે સરકારી બની ગઈ છે અને સરકારી તંત્ર પ્રમાણે જ એનું સંચાલન થાય છે.
જો કે આ વરસે ખાદીગ્રામોદ્યોગ સંઘે ખુશામતખોરીની તમામ મર્યાદા ઓળંગી કાઢી છે અને પોતાની ડાયરી તથા કૅલેન્ડરમાં આટલાં વરસથી છપાતા મહાત્મા ગાંધીના સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો મૂકવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી ખાદીના પ્રશંસક અને પ્રચારક છે. એમના પ્રચારને કારણે ખાદીના વેચાણમાં ૨૯ ટકાનો વધારો થયો છે, એવો લૂલો-પાંગળો બચાવ સંઘના વરિષ્ઠોએ કરવો પડ્યો છે, કારણ કે ગાંધીજીના સ્થાને કોઈને બેસાડવામાં આવે એ ભારતની જનતા સાંખી લેવાની નથી. સંઘની અને નરેન્દ્ર મોદીની ટીકાઓના વાવંટોળમાં હરિયાણાની ભા.જ.પ. સરકારના મંત્રી અનિલ વીજે અનોખો સૂર આલાપ્યો છે. એમણે કહ્યું : ગાંધીજીના ફોટાને કારણે ખાદીની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે અને મોદી વધારે સારા પ્રચારક છે. ચલણીનોટ પર ગાંધીજીનો ફોટો મુકાયો, ત્યારથી ભારતીય ચલણનું વારંવાર અવમૂલ્યાંકન કરવું પડ્યું છે.’
અનિલ વીજ પર ચોતરફથી ફિટકારનો વરસાદ વરસ્યો. ભા.જ.પે., હરિયાણા સરકારે એમને ઉતારી પાડ્યા, પણ વીજસાહેબની ટીકા કરવાની ખાસ કશી જરૂર નથી. સામાજિક અને શૈક્ષણિક બાબતોમાં અતિશય પછાત હરિયાણા રાજ્યના મંત્રીઓ આવા બેફામ બકવાસ માટે કુખ્યાત છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની માનસિકતામાં ગાંધીજીને ગોઠવી શકાય તેમ નથી. સંઘ પરિવાર, ભા.જ.પ. અને નરેન્દ્ર મોદી ગાંધીજીનું બહુમાન કરે છે, કારણ કે ગાંધીજીની ઉપેક્ષા કરનારા ભારતીય રાજકારણમાંથી બાજુએ ફેંકાઈ જાય છે. રૂસી સામ્યવાદી પક્ષના ખાંધિયા ભારતના સામ્યવાદી પક્ષે ૧૯૨૬માં ગાંધીજીનું અપમાન કરવાનો ભારી દંડ ભોગવવો પડ્યો છે. અનિલ વીજને એમના બકવાસની સખત સજા કરવામાં ન આવે, ત્યાં સુધી સંઘ પરિવાર અને ભા.જ.પ.ની પ્રામાણિકતા પુરવાર થવાની નથી.
વડા પ્રધાનનો ફોટો મૂકવામાં ખાદીગ્રામોદ્યોગ સંઘે બે-ત્રણ ગંભીર ભૂલ કરી છે. નરેન્દ્ર મોદી ખાદી પહેરે છે અને ખાદીનો અનુરોધ કરે છે, પણ એમણે કદી રેંટિયો કાંત્યો હોય એવું જોવા-જાણવા મળ્યું નથી. બીજું, આ સંઘ ખાદી અને ગ્રામોદ્યોગ બંને ક્ષેત્રમાં કામ કરે છે. વડા પ્રધાન નવા જમાના પ્રમાણે શહેરીકરણના, ઔદ્યોગિક વિકાસના ચુસ્ત ટેકેદાર છે અને એમને ગામડાંમાં કે ગ્રામોદ્યોગમાં કશો રસ નથી. પણ ખુશામતિયા લોકો આટલી સૂક્ષ્મતાથી કોઈ વાત વિચાર કરતા નથી.
છેલ્લાં કેટલાંક વર્ષથી ખાદી અને ખાદી વેચાણમાં સતત ઘટાડો થયો છે. અત્યારે પણ ખાદી જીવે છે. એ સરકારે આપેલી ગંજાવર સબસિડીના આધારે જીવે છે. ગરીબોને રોજી રોજી મળે, નવરાશમાં સમય બગાડતા ગ્રામવાસીઓ કામ કરતા થાય એવા હેતુથી શરૂ થયેલી ખાદીપ્રવૃત્તિ આજે શ્રીમંતો, સત્તાધારી માટે ફૅશન બની ગઈ છે અને ગાંધીજીનો મૂળ ઉદ્દેશ લગભગ નાશ પામ્યો છે.
[ચિત્રલેખા, ૩૦ જાન્યુઆરી, ૨૦૧૭માંથી સાભાર]
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2017; પૃ. 11