મારી પેઢીના 40sના લોકોએ કદાચ એક પ્રાર્થના સ્કૂલમાં ચોક્કસ કરી હશે …'અસત્યો માંહેથી …’ — આ પ્રાર્થનાના સર્જક કવિ એટલે શ્રી નાન્હાલાલ … PK Davda સાહેબની એક પોસ્ટમાંથી એક અદ્દભુત ફોટોગ્રાફ, અને પાછળની કલાત્મક સ્ટોરી, જાણવા મળી. તેમના જ શબ્દો કૉપી-પેસ્ટ કરું છું …
− અનિલ વ્યાસ
૧૯૩૬-‘૩૭ની આસપાસની આ વાત છે.
એક દિવસ જગન મહેતા જૂહુના દરિયા કિનારે લટાર મારતા હતા અને એમની નજર એક વૃદ્ધ દંપતી ઉપર પડી. જગન મહેતાના મનમાં એકાએક ‘ફ્લૅશ’ થયો, આ તો કવિ નાનાલાલ અને માણેકબા! એમનાં પત્ની! અહીં જૂહુના દરિયાકિનારે ક્યાંથી? એમની આ જીવનસંધ્યા છે અને સંધ્યાકાળે જ ‘સખી’ સાથે સમુદ્રકિનારે ફરવા આવે છે. એમની આ તસવીર પાડી લીધી હોય તો?
એ સંધ્યા તો વીતી ગઈ, પણ બીજી સંધ્યાએ જગન મહેતા કૅમેરા લઈને હાજર થઈ ગયા. સારી વાર રાહ જોયા પછી, કવિ ધીમી ચાલે આવતા દેખાયા. એક હાથમાં વૉકિંગ સ્ટિક અને બીજો હાથ વૃદ્ધા પત્નીના ખભે.
કવિએ સ્મિત કર્યું : ‘અરે ભાઈ, હવે આ ઉંમરે અમારા ફોટા કેવા ! હવે તો અમે …’ એમણે ડૂબતા સૂરજ તરફ લાકડી ચીંધી. ભીની રેતી પર કવિના પગલાંના નિશાન બરાબર ઊઠે તેવી રીતે, અને ડૂબતા સૂરજના તેજને લીધે પાછળ તરફ પડતા પડછાયાને ઝડપી લેવા, જગન મહેતાએ પાછળથી એમની તસવીરો લીધી. પછી નામ આપ્યું, “જલધિતટે કવિ.”
‘કુમાર’માં એ ફોટો છપાયો અને આ ચિત્ર અમર બની ગયું. કવિની જીવનસંધ્યા અને આકાશી સંધ્યાનું એવું તો અદ્દભુત સંયોજન એ ફોટોગ્રાફમાં ઊતર્યું, એ માત્ર નિર્જીવ ચિત્રને બદલે કાગળ પર છાયાંકિત કવિતા બની ગઈ. ખુદ કવિ નાનાલાલ અને માણેકબા રાજી થયાં.
ઉઘાડા પગે અને લાકડીના ટેકે દરિયા કિનારાની ભિની રેતીમાં ચાલતા કવિ શ્રી નાનાલાલની આ ઐતિહાસિક તસ્વીર છે. તસ્વીરમાં રેતીનો વિશાળ પટ ખાસ ધ્યાન ખેંચે છે. જે સમયની આ તસ્વીરો છે, એ સમયમાં કેમેરા આજના જેવા શક્તિશાળી ન હતા. એ સમયે તસ્વીરોને Edit કરવાની પણ કોઈ ટેકનીક ન હતી. ત્યારે હોમાયબાનુ અને જગન મહેતાએ લીધેલી તસ્વીરો જોઈ વાહ વાહ બોલી જવાય છે.
(સૌજન્ય : પી.કે. દાવડાના વર્ડપ્રેસ બ્લોગ ગાંધીજીના ફોટોગ્રાફર : જગન મહેતા પરથી)
https://davdanuangnu.wordpress.com/2017/12/27/ગાંધીજીના-તસ્વીરકાર-જગન-2/
27 ડિસેમ્બર 2017