બી.બી.સી. સ્પેિશયલ:
દેશને સ્વતંત્ર કરવાની ચળવળમાં મહાત્મા ગાંધીનાં ધર્મપત્ની કસ્તૂરબા ગાંધી પાયાનો પથ્થર બની ઊભા રહ્યાં હતાં.
બા કદાચ એક માત્ર એવી વ્યક્તિ હતાં કે જે બાપુ સાથે અસહમતિ પણ દર્શાવી શકતાં અને બાપુની ભૂલો સામે આંગળી પણ ચીંધી શકતાં હતાં. કદાચ એટલે જ બા એ બાપુના ખરા અર્થમાં અર્ધાંગિની હતાં.
બા અને બાપુનું જીવન જે રીતે એકબીજાં સાથે વણાયેલું હતું. એ જ છાપ પોરબંદરમાં પણ જોવા મળે છે. જ્યાં બન્નેના જન્મસ્થળ આવેલાં છે, એકબીજાંની લગોલગ. સાવ નજીક.
કસ્તૂરબા ગાંધીના સ્મારક સુધી જવાનો રસ્તો ગાંધીજીના ઘરમાંથી જાય છે. કીર્તિમંદિરની પાછળ અત્યંત ગીચ મકાનો વચ્ચે કસ્તૂરબા ગાંધીનું ઘર આવેલું છે.
પણ ઘર સુધી પહોંચતા પહેલાં તમારે સ્થાનિકોએ ઘરની બહાર પાર્ક કરેલા ટૂ વ્હિલર્સ અને રસ્તા વચ્ચે બેસેલી ગાયોને પાર કરવી પડે.
જો જાણકાર સાથે ના હોય કે જાણકારી વગર અહીં આવ્યા હોય તો ભાગ્યે જ કોઈને ખ્યાલ આવે કે દેશના રાષ્ટ્રપિતાનાં અર્ધાંગિનીનું ઘર અહીં આવેલું છે.
હાલ કસ્તૂરબાના ઘરની હાલત કેવી છે?
પોરબંદરમાં આવેલું કસ્તૂરબા ગાંધીનું જન્મસ્થળ
આ વાત માત્ર સામાન્ય લોકો પૂરતી જ મર્યાદિત નથી. કીર્તિમંદિરની મુલાકાતે આવતા રાષ્ટ્રના મોટા નેતાઓ પણ કસ્તૂરબા ગાંધીના ઘરની મુલાકાત લેવાનું ટાળે છે અથવા તો ચૂકી જાય છે.
કસ્તૂરબાના ઘરના સ્મારક ચોકીદાર તરીકે ફરજ બજાવતા મધુભાઈ સાદિયા જણાવે છે ''આ પ્રકારના રાષ્ટ્રીય સ્મારકની 300 ફૂટ ફરતે કોઈ પણ જાતના બાંધકામને પરવાનગી આપવામાં નથી આવતી. પણ, અહીં પહેલાથી જ લોકો રહે છે એટલે કોને કહેવું?
''સ્મારક બહાર ક્યારેક ક્યારેક 15થી 20 જેટલી ગાયો બેઠી હોય છે અને કોઈ તેને ઊઠાવવાની જહેમત નથી કરતું. ક્યારેક આ ગાયોએ મુલાકાતીઓને શિંગડા મારી દીધા તો?''
''સ્મારકમાં ટોઇલૅટની કોઈ સુવિધા નથી. પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા નથી. અમે તો બહારથી પાણી લાવીને પીએ છે પણ જો કોઈ મુલાકાતીને પાણી પીવું હોય તો?''
મધુભાઈની ચિંતા એમના શબ્દોમાં જ નહીં પણ સ્મારકની હાલતમાં પણ ઉજાગર થાય છે.
જે ઓરાડામાં કસ્તૂરબાનો જન્મ થયો હતો એ ઓરડાને બાદ કરી દો તો સ્મારકના મોટાભાગના ઓરડાની સ્થિતિ વખાણવા લાયક નથી.
કેટલી ય જગ્યાએ પોપડા ઉખળવા લાગ્યા છે. તો છતની દિવાલો પર અમર થવા માટે અઢળક પ્રેમી-પંખીડાઓએ પોતાના નામનું ચિતરામણ કરી મુક્યું છે.
એ ઓરડો જ્યાં કસ્તૂરબા ગાંધીનો જન્મ થયો હતો.
કસ્તૂરબા અંગે વાત કરતા ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ ઉપ કુલપતિ સુદર્શન આયંગર બી.બી.સી.ને જણાવે છે, ''મોહન અને કસ્તૂરના લગ્ન થયા ત્યારે બન્નેની ઉંમર સમાન હતી.''
''કસ્તૂર ગુજરાતીમાં કહીએ તો 'જબરી', સત્યવાન, નિર્ભય, નીડર અને કોઈ પણ પ્રકારની જોહુકમી સહન ના કરનારી હતી.''
''આજે જે સ્ત્રીશક્તિકરણની વાત કરવામાં આવે છે, એ વાત કસ્તૂરે ખરા અર્થમાં સાર્થક કરી હતી.''
કસ્તૂરબા ગાંધીના સ્મારકની દેખરેખની જવાબદારી ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગ અંતર્ગત આવે છે.
સ્મારકની વર્તમાન સ્થિતિ અંગે બી.બી.સી.એ રાજ્ય પુરાતત્વવિભાગના ડિરેક્ટર વાય.એસ. રાવત સાથે વાત કરી.
રાવતે કહ્યું, ''સ્મારકમાં ટોઈલૅટની સુવિધા ના હોવાનું કારણ એ છે કે એ જગ્યા ખૂબ જ ગીચ છે. આજુબાજુ રહેવાસી મકાનો છે, એટલે ત્યાં કોઈ અન્ય બાંધકામ કરવું શક્ય નથી.''
બાકી રહી પાણીની સુવિધાની વાત તો આ અંગે અમે તપાસ કરીશું અને વ્યવસ્થા કરાવી દઈશું. એ ઉપરાંત અન્ય જે પણ સમસ્યાઓ છે એ ચકાસવા માટે અમારો ઇજનેર જઈ રહ્યો છે.''
ઘરની ભીંતમાંથી પણ પોપડા ઊખડી ગયા છે
બાપુની સરખામણીએ બાને ભલે ઓછું મહત્ત્વ અપાઈ રહ્યું હોય પણ ગાંધીજીના જીવનમાં બાનું અત્યંત મહત્ત્વ હતું.
કસ્તૂરબા અંગે વધુ વાત કરતા આયંગર ઉમેરે છે, ''બન્નેના જ્યારે લગ્ન થયા ત્યારે મોહનને રાતે અંધારામાં ડર લાગતો હતો. એ બીકણ હતો, શરમાળ હતો. એના દોષોને દૂર કરવામાં કસ્તૂરે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.''
''પુખ્ત થયા બાદ ભલે બાપુએ બાને ઘડ્યાં હોય પણ કિશોરાવસ્થામાં કસ્તૂરે ચોકક્સથી મોહનને ઘડ્યો હતો.''
ગાંધી દંપતી જાહેર જીવનમાં આવવાને બદલે જો સામાન્ય ગુજરાતી વણિક પરીવાર જ બની રહ્યું હોત તો ઘરનું સંચાલન બાએ જ કર્યું હોત.''
સ્મારકની સ્થિતિ માટે આયંગર આ પુરુષવાદી માનસિક્તાને કારણભૂત ગણાવે છે. તેઓ કહે છે, ''આપણે જે પ્રતિકો ઊભા કરીએ છે એમાં ક્યાંકને ક્યાંક પુરુષપ્રધાન માનસિક્તાને બળ મળતું હોય છે.''
''ગાંધી સ્મારકોમાં પણ એવું થાય છે કે બા કરતાં બાપુને વધુ પ્રાથમિક્તા અપાય છે.''
ઘરની ભીંત પર લોકોએ લખેલાં પોતાનાં નામ
કસ્તૂરબાની જન્મજયંતીએ મળનારી 'ગાંધી હેરિટેજ સાઇટ મિશન'ની બેઠકમાં બાના સ્મારકની વાત ઉઠાવવાનું તેઓ બી.બી.સી.ને આશ્વાસન પણ આપે છે.
ગાંધી વિચારસરણીમાં કાર્યરત ભદ્રાબહેન સવાઈએ બી.બી.સી.ને કહ્યું, લોકો ગાંધીજી કે કસ્તૂરબાનાં સ્મારકની મુલાકાત લે એનાથી વધુ જરૂરી છે એમના વિચારોને જીવનમાં ઊતારે.
તેમના જણાવ્યા અનુસાર, ''સમાજ અને સરકારે આ માટે સાથે મળીને કામ કરવું પડશે.''
આયંગર ઉમેરે છે, ''તેમના જીવનની વાત કરીએ તો બાપુ પોતે સદગૃહસ્થ થવા મથે છે. પણ, ગૃહસ્થી ટકાવવામાં બા મહત્ત્વની ભૂમિકા ભજવે છે.''
''સહન કરવાનું બાના ભાગે વધુ આવે છે અને છતાં બા દરેક જન્મમાં બાપુને જ પતિ તરીકે માગે છે.''
''બાનું વ્યક્તિત્વ અનેરું છે. બા માત્ર બાપુના પત્ની જ નથી. પણ, પત્નીથી ક્યાં ય વધુ છે. તેમનું એ વ્યક્તિત્વ ઓળખવું જોઈએ.’'
સૌજન્ય : બી.બી.સી. ગુજરાતી : https://www.bbc.com/gujarati/india-43138389