ગાંધીજી સરલાદેવીને પરણવા ઇચ્છતા હતા એવી ગમ્મત કરીને વિનોદ ભટ્ટે ભયંકર ગેરસમજ ઊભી કરી છે. (દિવ્ય ભાસ્કર – બીજી જુલાઈ, ૨૦૧૭) આ સ્થિતિમાં તેમનાં સંબંધની સ્પષ્ટતા અને સાચી સમજ કેળવવી જરૂરી છે. સરલાદેવી ચૌધરાણી, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનાં ભાણેજ હતાં. તેઓ નીવડેલાં ગાયિકા હતાં. ૧૯૧૯ના ઑક્ટોબરમાં લાહોર મુકામે તેઓ ગાંધીજીના પરિચયમાં આવ્યાં હતાં. ગાંધીજી તેમનાથી પ્રભાવિત હતા. સરલાદેવી પોતે અસહકાર-આંદોલન વખતે સ્વદેશી ચળવળમાં સક્રિય રહ્યાં હતાં. તેમના પતિ રામભજદત્ત પંજાબના નેતા હતા અને ૧૯૧૯ના એ દિવસોમાં તેઓ જેલમાં હતા. રામભજદત્ત જેલમાંથી મુક્ત થઈને આવ્યા ત્યારે ગાંધીજીએ ‘આનંદિત પતિ-પત્નીની જોડી’ને વધામણી આપી હતી. સરલાદેવીને ગાંધીજી પ્રત્યે ઘણું આકર્ષણ હતું, જેને ડૉ. સુશીલા નય્યરે ‘માલિકીહક’ શબ્દથી ઓળખાવ્યું છે. ગાંધીજી અને સરલાદેવીનો સંબંધ આધ્યાત્મિક સંલગ્નતાનો હતો, જેને અમુક ટીકાકારોેેે ‘લગ્ન’માં ખપાવી મન ફાવ્યું અર્થઘટન કરતા રહ્યા છે.
ગાંધીજીએ સરલાદેવીને ૧૯૨૦ના ડિસેમ્બરમાં એક લાંબો પત્ર લખીને ઊર્ધ્વગામી આત્મિક સંબંધનો મર્મ પ્રગટ કર્યો હતો; જે આ મુજબ છે : તમારા પ્રત્યેના પ્રેમનું હું પૃથક્કરણ કરી રહ્યો છું. આધ્યાત્મિક પત્નીનો ચોક્કસ અર્થ મને સ્પષ્ટ થયો છે. બે વિજાતીય વ્યક્તિઓ વચ્ચેની એ તેવી ભાગીદારી છેે અને તેમાં શારીરિક સંબંધનો સંપૂર્ણ છેદ ઊડી જાય છે, તેથી આ ભાગીદારી ભાઈબહેન અને પિતાપુત્રી વચ્ચે સંભવિત છે.
ગાંધીજી પ્રગટ કે અપ્રગટ વાસના વિનાની સાજેદારીમાં આદર્શ ભૂમિકા ઇચ્છતા હતા. “આધ્યાત્મિક ભાગીદારો આ જીવનમાં કે ભાવિ જીવનમાં કદી શરીરથી વિવાહિત ન હોઈ શકે … વિચારની હું જે પવિત્રતા હું ધરાવું છું, તેના કરતાં મને મારામાં અત્યંત ઊંચા પ્રકારની પવિત્રતાની જરૂર છે” એમ કહ્યા પછી શારીરિક આસક્તિમાંથી મુક્ત રહેવાના પડકારને સહજ રીતે આત્મસાત્ કરનાર ગાંધીજીએ જ લખ્યું છે કે .. “મારી સમજ પ્રમાણે આપણો સંબંધ ભાઈબહેનનો છે.”
ગાંધીજીની ગેરવાજબી ટીકા કે મશ્કરી કરનારે એટલું તો સમજી લેવું જોઈએ કે તેઓ જેના વિશે લખે છે તે માણસ; સમગ્ર માનવજાતિનો સેવક હતો. દેશ, ધર્મ, પ્રદેશ, ભાષા, જાતિની સંકુચિતતાથી પર હતો. સતત નવું શીખવું એ તેની પ્રકૃતિ હતી. પોતાના દરેક વર્તનને વિશે આત્મમંથન, સ્વમૂલ્યાંકન અને ક્ષણેક્ષણની જાગૃતિ તેના માટે સ્વાભાવિક સહજધર્મ હતો. ‘મરતાં પણ સત્ય ના છોડવું’ની કાંટાળી કેડી પર ચાલેલા મનુષ્ય વિશે પૂર્વાપર સંદર્ભ વગર, અભ્યાસ વગર, માત્ર સ્મૃિતના આધારે સાંભળેલી વાતો પરથી લખી પાડવાથી ભોળા વાચકોમાં ગેરસમજ ઊભી થાય છે. આપણા વર્તમાનમાં ગાંધીજીને વિશે ટીકાત્મક લખવાથી સરકાર પણ રાજી થશે, એવું માનનારા મુગ્ધાત્માઓની સંખ્યા ઓછી નથી.
સરલાદેવીનું ૧૯૪૫માં નિધન થયું હતું. સ્વદેશીની ચળવળ વખતની સક્રિયતા બાદ ધીમે-ધીમે તેઓ જાહેર પ્રવૃત્તિથી ખસતાં ગયાં હતાં. ગાંધીજીએ આત્મકથામાં સરલાદેવી વિશે ન લખીને કોઈ ગંભીર ક્ષતિ નથી કરી. છેવટના અઢી દાયકા પહેલાં ‘આત્મકથા’ લખાઈ છે. બાકીની ખુલ્લી કિતાબ જેવી વાતો માટે ‘મહાદેવભાઈની ડાયરી’થી લઈ ગાંધીજીનો ‘અક્ષરદેહ’, ‘પૂર્ણાહુતિ’ સુધીના સંદર્ભો છે. ગાંધીજીના અસંખ્ય પત્રો ‘આત્મકથા’નો વિસ્તાર જ છે.
E-mail:gandhinesamajo@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2017; પૃ.13