યુદ્ધનાં રહસ્યો વર્ષો સુધી બહાર આવતાં નથી અને જ્યારે બહાર આવે છે ત્યારે એમાંથી એક જ અંતિમ સત્ય પ્રગટ થાય છે કે યુદ્ધ શાસકોએ પોતાની જરૂરિયાત માટે માથે માર્યું હતું. તો પછી ગુરમેહર કૌરે ખોટું શું કહ્યું છે? અપરાધ તેનો એટલો જ છે કે તેણે માતેલા સાંઢોને લલકાર્યા છે. એટલે તો હજારગણાં ડેસિબલમાં દેશપ્રેમનાં ડાકલાં વાગી રહ્યાં છે
નરેન્દ્ર મોદી જ્યારે સોળે સૂરત ઇન્દિરા ગાંધીને અનુસરી રહ્યા છે ત્યારે તેમણે ઇન્દિરા ગાંધીને થયેલા અનુભવમાંથી ધડો લેવો જોઈએ. ૧૯૭૧માં લોકસભાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીની કૉન્ગ્રેસે બે-તૃતીયાંશ બહુમતી મેળવી હતી અને ૪૫ ટકા પૉપ્યુલર વોટ્સ મેળવ્યા હતા. ૧૯૭૧ના ડિસેમ્બર મહિનામાં બંગલા દેશના યુદ્ધમાં ભારતના થયેલા વિજય પછી ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતા આસમાને પહોંચી હતી. તેઓ સાક્ષાત્ દુર્ગા તરીકે ઓળખાવા લાગ્યાં હતાં. ૧૯૭૨માં યોજાયેલી કેટલાંક રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં કૉન્ગ્રેસે સપાટો બોલાવ્યો હતો. એ સમયે કોઈને એમ નહોતું લાગતું કે ઇન્દિરા ગાંધીને કોઈ દાયકો-બે દાયકો હાથ પણ લગાડી શકશે. માત્ર વાણીવિલાસ નહીં, પાકિસ્તાનને ચીત કરીને ઇન્દિરા ગાંધી છવાઈ ગયાં હતાં.
એ પછી કોઈએ કલ્પના પણ નહોતી કરી એમ ઇન્દિરા ગાંધીનો સમય બદલાવા લાગ્યો હતો. આનું મુખ્ય કારણ હતું ભક્તો અને ભક્તિ. ચલતા પુર્જા કૉન્ગ્રેસીઓ સમજી ગયા હતા કે મૅડમને ભક્તો અને ભક્તિ ગમે છે. જે હજી વધુ નીચ હતા તેમને સમજાઈ ગયું હતું કે જો ભક્તિગાન વારંવાર અને જોરશોરથી કરવામાં આવે તો કરવામાં આવેલાં પાપ પણ નષ્ટ થઈ જાય છે. કોઈની મજાલ છે કે ભક્ત કૉન્ગ્રેસીને હાથ લગાડે? કેટલાક કૉન્ગ્રેસીઓ ઇન્દિરા ગાંધીની કિચન કૅબિનેટમાં ગોઠવાઈ ગયા, કેટલાક મૅડમના ખાસ ગણાવા લાગ્યા, કેટલાક દ્વારપાળ બની ગયા અને બીજા કેટલાક ઇન્દિરા ગાંધીના દરવાજે પગલુછણિયાં બનીને ગોઠવાઈ ગયા. આટલા કોઠા ઓળંગો તો જ મૅડમ સુધી પહોંચી શકાય. સજ્જનોએ મળવાનું જ માંડી વાળ્યું. આનું પરિણામ એ આવ્યું કે મૅડમને બહાર લોકો શું વિચારે છે એની જાણ જ નહોતી થતી. તેમના કાને એ જ વાત આવતી હતી જે મૅડમ સાંભળવા માગતાં હતાં.
ખુશામતખોરીની આ સ્થિતિએ માતેલા સાંઢ પેદા કર્યા. તેઓ જોરજોરથી ભક્તિગાન ગાતાં હતા અને કાયદો હાથમાં લઈને પોતાનો ઉલ્લુ સીધો કરતા હતા. જો જરાક કોઈ વિરોધ કરે તો સાંઢ વધારે જોરથી આરતી ઉતારતા હતા અને વિરોધીઓના કપાળે ગરીબવિરોધી, મૂડીવાદી, અમેરિકન એજન્ટ, CIAના એજન્ટ જેવાં લેબલો ચોડતા હતા. લેબલ ત્યારે પણ ચોડવામાં આવતાં હતાં જેમ આજે ચોડવામાં આવે છે. માત્ર લેબલનાં નામ બદલાઈ ગયાં છે. સમકાલીન સાંઢ દેશદ્રોહી અને રાષ્ટ્રદ્રોહીનાં લેબલ લગાડે છે અને સાહેબને રાજી રાખે છે.
નરેન્દ્ર મોદીએ એક વાત સમજી લેવી જોઈએ કે લોકપ્રિયતાના સ્કેલ પર તેઓ ઇન્દિરા ગાંધી કરતાં ક્યાં ય પાછળ છે. તેમણે ૪૫ ટકા વોટ અને બે-તૃતીયાંશ બહુમતી મેળવી હતી, જ્યારે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં BJPને સાદી બહુમતી અને માત્ર ૩૧ ટકા વોટ મળ્યા હતા. તેમણે બીજી વાત એ સમજી લેવી જોઈએ કે મીડિયા ખરીદી શકાય છે, મીડિયાને ચૂપ નથી કરી શકાતાં. ઇન્દિરા ગાંધી ઇમર્જન્સી લાદીને મીડિયાને ચૂપ કરી શક્યાં હતાં, જે સવલત નરેન્દ્ર મોદી પાસે ઉપલબ્ધ નથી. મીડિયાના અનેક પ્રકાર છે અને એ ઓપન ર્સોસ પ્લૅટફૉર્મ છે. એ પ્લૅટફૉર્મનો ઉપયોગ વિરોધ કરનારાઓ કરે છે. ત્રીજી વાત તેમણે એ સમજી લેવી જોઈએ કે થોડા લોકોને લાંબો સમય મૂર્ખ બનાવી શકાય છે, પરંતુ બધાને બધો સમય મૂર્ખ નથી બનાવી શકાતા. માણસના ચિત્તમાં ક્યારે પ્રશ્નો અને શંકાઓ પેદા થવા લાગે છે એ માપવાનો કોઈ અંતિમ માપદંડ નથી. ભોળા ભક્તો નિષ્ક્રિય થવા લાગ્યા છે એ જોઇને ચાલુ ભક્તો વધારે ભક્તિનું પ્રદર્શન કરે છે જેથી પ્રભુને એમ ન લાગે કે ઘંટારવ ધીમો પડી રહ્યો છે. ઇન્દિરા ગાંધીને થયેલા અનુભવના આધારે ચોથી વાત તેમણે એ સમજી લેવી જોઈએ કે એકાધિકારશાહીનું વલણ ધરાવતા અભિમાની માણસને અંદરના લોકો જ નિષ્ક્રિય બનીને ડુબાડે છે. તેઓ વિરોધ નથી કરતા, માત્ર સલાહ આપવાનું અને કામ કરવાનું બંધ કરી દે છે અને એ પણ ઘણું મોટું નુકસાન પહોંચાડે છે.
આ પૃષ્ઠભૂમિમાં દિલ્હીમાં રામજસ કૉલેજમાં જે ઘટના બની એનું આકલન કરવું જોઈએ. ગયા બુધવારે [22 ફેબ્રુઆરીએ] રામજસ કૉલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન વચ્ચે સંઘર્ષ થયો હતો. એ ઘટના પછી દિલ્હી યુનિવર્સિટીની બીજી એક કૉલેજ લેડી શ્રીરામ કૉલેજની વિદ્યાર્થિની ગુરમેહર કૌરે પોતાના ફેસબુકની વૉલ પર બે પોસ્ટર હાથમાં રાખીને પોસ્ટ કરી હતી. એક પોસ્ટમાં લખ્યું હતું કે હું ABVPની ગુંડાગીરીથી ડરતી નથી અને યુનિવર્સિટીના બીજા અનેક વિદ્યાર્થીઓ મારી સાથે છે. બીજા પોસ્ટરમાં લખ્યું હતું કે પાકિસ્તાને મારા પિતાનો જીવ નહોતો લીધો, યુદ્ધે લીધો હતો. ગુરમેહરના પિતા લશ્કરમાં હતા અને પાકિસ્તાન સાથેના યુદ્ધમાં શહીદ થયા હતા. એ પછી ગુરમેહર પર કટક ઊતર્યું હતું એ ત્યાં સુધી કે કેન્દ્રના ગૃહખાતાના રાજ્યપ્રધાન કિરેન રિજિજુ પણ હંમેશ મુજબ એમાં જોડાઈ ગયા હતા. વીરેન્દર સેહવાગ નામના ક્રિકેટરે ટ્વીટ કરીને લખ્યું હતું કે ક્રિકેટમાં ડબલ સેન્ચુરી મેં નહોતી કરી, મારા બૅટે કરી હતી.
મૂળમાં માતેલા સાંઢો મોકો જોઈને કાયદો હાથમાં લઈને આતંક મચાવી રહ્યા છે જેમ ઇન્દિરા ગાંધીના સમયમાં બનતું હતું. એને ખુશામતખોરો દેશપ્રેમના વાઘા પહેરીને વરખ ચડાવે છે અને ગુંડાગીરીનો બચાવ કરે છે. કેન્દ્રના ગૃહપ્રધાન નાગરિકોને સુરક્ષા આપવાની જગ્યાએ નસીહત આપે છે અને ડરાવે છે. ઇન્દિરા ગાંધીના સમયમાં ઓમ મહેતા નામના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન આવું કરતા હતા. ઇતિહાસનું જાણે કે આબેહૂબ પુનરાવર્તન થઈ રહ્યું છે.
હકીકતમાં એક દેશના જવાનને બીજો દેશ ચાહી-કરીને મારતો નથી. જવાનો યુદ્ધના કારણે મરે છે એ સનાતન સત્ય છે. બીજું, કોઈ દેશ કબૂલ કરતો નથી કે એણે આક્રમણ કર્યું હતું. યુદ્ધ કરનાર બન્ને દેશ એકબીજા પર આક્રમણ કરવાનો આરોપ મૂકે છે અને પોતાએ સ્વરક્ષણ માટે લડવું પડ્યું હતું એમ કહે છે. આ જગતમાં કોઈ દેશ યુદ્ધમંત્રાલય ધરાવતો નથી, બધા દેશ સંરક્ષણમંત્રાલય જ ધરાવે છે. યુદ્ધ એક રહસ્યમય ઘટના છે. એનાં રહસ્યો વર્ષો સુધી બહાર આવતાં નથી અને જ્યારે બહાર આવે છે ત્યારે એમાંથી એક જ અંતિમ સત્ય પ્રગટ થાય છે કે યુદ્ધ શાસકોએ પોતાની જરૂરિયાત માટે માથે માર્યું હતું. તો પછી ગુરમેહર કૌરે ખોટું શું કહ્યું છે? અપરાધ તેનો એટલો જ છે કે તેણે માતેલા સાંઢોને લલકાર્યા છે. એટલે તો હજારગણાં ડેસિબલમાં દેશપ્રેમનાં ડાકલાં વાગી રહ્યાં છે.
વધારે મોડું થાય એ પહેલાં નરેન્દ્ર મોદીએ ચેતવાની જરૂર છે. ક્યાંક એવું ન બને કે ઇન્દિરા ગાંધીના ઇતિહાસનું સંપૂર્ણ પુનરાવર્તન થાય. ૧૯૭૭ની લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસ તો હારી ગઈ હતી, ઇન્દિરા ગાંધી ખુદ હારી ગયાં હતાં.
ઇન્દિરા ગાંધીને થયેલા અનુભવના આધારે નરેન્દ્ર મોદીએ એ વાત સમજી લેવી જોઈએ કે એકાધિકારશાહીનું વલણ ધરાવતા અભિમાની માણસને અંદરના લોકો જ નિષ્ક્રિય બનીને ડુબાડે છે. તેઓ વિરોધ નથી કરતા, માત્ર સલાહ આપવાનું અને કામ કરવાનું બંધ કરી દે છે અને એ પણ ઘણું મોટું નુકસાન પહોંચાડે છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 01 માર્ચ 2017