ચૂંટણીમાં આર્થિક ઉદારવાદ અને શાસનમાં સુધારણા પર સવાર છે ઓળખ આધારિત રાજકારણ
આપણે ભારતની વધુ એક ચૂંટણીમોસમમાં છીએ. જ્યારે પણ ચૂંટણીઓ આવે છે, ત્યારે હું એ વિચારીને નિરાશ થઈ જઉં છું કે આપણે સાચા, સ્વતંત્ર અને સુધારો ઇચ્છનારા ઉદાર નાગરિકોના બદલે ફરીથી ગુનેગારોને, લલચાવતી વાતો કરનારા ભ્રષ્ટ લોકોને અને રાજકીય વંશના વારસદારોને ચૂંટી કાઢીશું. આ વખતે તમિલનાડુમાં શશિકલા અને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ધક્કો પહોંચાડનારી જીત ચોખ્ખી છબિ ધરાવનારા ઉદારવાદીઓને નિષ્ફળતા દર્શાવે છે.
આ સમસ્યાના સમાધાન માટે મેં એક વખત આદર્શ ઉદારવાદી રાજકીય પક્ષની ભલામણ કરી હતી. 21મી સદીમાં યુવાવર્ગ, અપેક્ષાઓથી ભરેલો ભારત એવા બિનસાંપ્રદાયિક પક્ષના હકદાર છે, જે આર્થિક પરિણામો માટે અધિકારીઓના બદલે બજાર પર ભરોસો રાખે. સાથે સરકારી સંસ્થાઓમાં શાસન સુધારણા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતો હોય. બનવાજોગ છે કે તેને ઝડપથી ચૂંટણીમાં સફળતા ન મળે, પરંતુ તે શાસનમાં સુધારો કરવાનો મુદ્દો ચર્ચાને કેન્દ્રમાં લાવશે. ધીમે ધીમે તે લોકોમાં સાબિત કરી દેશે કે મુક્ત બજાર અને નિયમો દ્વારા સંચાલિત સરકાર જ જીવનસ્તરને ઊચું આણવાનો અને બધાની સમૃદ્ધિનો એક માત્ર સમજદારીપૂર્વકનો રસ્તો છે.
આ જ આધાર પર મારા મિત્ર સંજીવ સભલોકે 2013માં વિશુદ્ધ કહી શકાય તેવો ઉદારવાદી ‘સ્વર્ણ ભારત પક્ષ’ રચ્યો, પરંતુ તેને હજી વ્યાપક સમર્થન મળ્યું નથી. મને અપરાધભાવ થતો રહે છે કે મેં આના માટે પૂરતું યોગદાન ન આપ્યું અને મારા ઉદારવાદી મિત્ર આમાં સામેલ થયા. જ્યારે હું અમારી નિષ્ફળતા પર વિચારતો હતો, ત્યારે હું ચોંકાવનારા પરિણામો પર પહોંચ્યો. મને ખ્યાલ આવ્યો કે ઉદારવાદી સિદ્ધાંતો પર આધારિત પક્ષના જીતવાની લગભગ કોઈ શક્યતા નથી, જ્યાં સુધી તે કોઈ ‘જાણીતા’ પક્ષ સાથે જોડાણ ન કરે.
સસ્તા ભાવે વીજળી અને ભોજનના લોકાકર્ષક વાયદાઓ કરનારા ઉમેદવારો હંમેશાં એ ઉદારવાદીને હરાવી દેશે. કેમ કે તે અંગત ઉદ્યમ અને સ્પર્ધાની વાત કરતો હશે. મુક્ત બજારની વાત ચૂંટણીપ્રચારમાં લોકોના ગળે ઉતારવી અઘરી છે. કારણ કે બજારનો ‘અદૃશ્ય હાથ’ તેમને દેખાતો નથી, જ્યારે સરકારનો દેખાતો હાથ વધારે ચોખ્ખો દેખાવા લાગે છે. પરંતુ ‘ડાબેરી ઉદારવાદીઓ’ની સફળતાની શક્યતાઓ વધારે છે, કારણ કે તે સરકારને હસ્તક્ષેપ દ્વારા વ્યાપક કલ્યાણકારી રાજ્યની ભલામણ કરે છે. એટલા માટે ડાબેરી ઉદારવાદી કૉંગ્રેસ ચૂંટણી દરમિયાન રાહતોની વહેંચણીના મુદ્દાને કેન્દ્રિત કરીને દાયકાઓ સુધી પોતાની સત્તા જાળવી શક્યો.
પરંપરાગત ઉદારવાદ આર્થિક સ્વતંત્રતાના વાતારવણમાં દરેકને ઉપર આવવાની તક પૂરી પાડે છે. આ વ્યવસ્થામાં સરકાર પાસેથી એવું વાતાવરણ ઉપલબ્ધ કરાવવાની અપેક્ષા હોય છે, જેમાં કોઈ પણ વ્યક્તિ મુક્ત, પારદર્શક બજારમાં શાંતિપૂર્વક પોતાનાં હિત સિદ્ધ કરવાના માર્ગે આગળ વધી શકે. ત્યાર પછી ‘અદૃશ્ય હાથ’ ધીમે ધીમે ચારે તરફનું જીવનસ્તર ઊંચું ઉઠાવવામાં મદદ કરે છે અને લોકોને ગરિમાપૂર્ણ મધ્યમવર્ગીય જિંદગી તરફ દોરી જાય છે.
‘અદૃશ્ય હાથ’નો આ ખ્યાલ એડમ સ્મિથે આપેલો છે, જે પારંપરિક ઉદારવાદના સ્થાપકોમાંથી એક હતા. તેઓ માનતા હતા કે મુક્ત બજારમાં દરેક વ્યક્તિ પોતાના હિતની પાછળ દોડે છે, તો ‘અદૃશ્ય હાથ’ સમાજના સામુહિક હિતને સાકાર કરે છે. અલબત્ત, મતદાર એ નથી સમજી શકતો કે કેવી રીતે બિઝનેસ ચલાવવામાં સરકારના બદલે મુક્ત બજાર વધારે સારું છે. પરંપરાગત ઉદારવાદીઓ સાંસ્કૃિતક તેમ જ સામાજિક ઓળખ ધરાવતા પક્ષોમાં સામેલ થઈ ગયા. અમેરિકામાં તેઓ ‘લિબરલ રિપબ્લિકન’ અથવા ‘કન્ઝર્વેટિવ ડેમોક્રેટ’ બની ગયા છે, પરંતુ તેમણે આની કિંમત તરીકે ‘ગર્ભપાત વિરોધી’ ખ્રિસ્તી એજન્ડા તેમ જ રિપબ્લિકનોની ગન લોબી અને ડેમોક્રેટિક પાર્ટીના સખત, અક્ષમ શ્રમ સંગઠનોને સ્વીકારવા પડ્યાં.
બ્રિટનમાં માર્ગરેટ થેચરે પોતાના પક્ષ(અને દેશ)ને બજારના હિતમાં લાવવા માટે ટોરીના ‘પરંપરાગત અંગ્રેજીપણા’ના આદર્શોને સ્વીકારવા પડ્યા. ભારતમાં પણ અનેક ઉદારવાદીઓ મોદીના ‘વિકાસ’ એજન્ડાનું સમર્થન કરે છે, પરંતુ ભાજપની હિન્દુત્વવાદી સાંસ્કૃિતકતા સાથે તેમને કોઈ લેવાદેવા નથી. 2014ની ચૂંટણીમાં મોદીની ચમત્કારિક સફળતા ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ના ઉદારવાદી આહ્વાનનું જ પરિણામ હતું, જેણે મહત્ત્વાકાંક્ષી યુવાનો અથવા કૉંગ્રેસની લલચામણી નીતિઓથી નિરાશ લોકોને આકર્ષિત કર્યા.
આનું પરિણામ એ આવ્યું કે તેમણે ભાજપમાં આર્થિક ઉદારવાદીઓ માટે જગ્યા બનાવી અને ભાજપ પરિપક્વ થઈને જમણેરી ઝોકવાળો મધ્યમમાર્ગી પક્ષ બની થયો, જેમાં આર્થિક અને સાંસ્કૃિતક જમણેરી વિચારધારાનું સ્પષ્ટ વિભાજન હતું. જો કે, મોદી માર્ગરેટ થેચરની જેમ આર્થિક અને સંસ્થાકીય સુધારાઓ માટે વૈચારિક રૂપે પ્રતિબદ્ધ આદર્શ ઉદારવાદી નથી. તેઓ વ્યાવહારિક પરિસ્થિતિઓના આધારે સુધારા લાવે છે.
હજી પણ એ કહેવું ઉતાવળ ગણાશે કે મોદી ‘વિકાસ’ના વાયદાઓ પૂરા કરશે કે નહીં, પરંતુ જો તેઓ પોતાના ઉદારવાદી સમર્થકો જાળવી રાખવા ઇચ્છે છે, તો તેમણે પોતાના પક્ષની સાંસ્કૃિતક શાખાને કડક નિયંત્રણમાં રાખવી પડશે. પરંતુ લોકો ચૂંટણીમાં ગુનાઇત પૃષ્ઠભૂમિ ધરાવનારા લોકોને શા માટે ચૂંટે છે? 2014માં ચૂંટાયેલા સાંસદોમાંથી એક તૃતીયાંશની સામે ગુનાખોરીના કેસ ચાલી રહ્યા છે અને 20 ટકા સાંસદો પર તો હત્યા અને દુષ્કર્મ જેવા ગંભીર આરોપ પણ છે.
સ્પષ્ટ છે કે (543માંથી) 100 કરતાં વધારે કાયદો ઘડનારાઓ પર ગંભીર આરોપ લાગેલા છે. મિલન વૈષ્ણવ પોતાના નવા પુસ્તક ‘વ્હેન ક્રાઇમ પેઝ’માં લખે છે કે ગુનેગાર ચૂંટણીના અત્યંત ઊંચા ખર્ચ અને પક્ષના ભંડોળને સમૃદ્ધ કરવામાં બહેતર સાબિત થાય છે. મતદાર ‘ગુનેગારો’ની ‘કામ કરાવી લેવા’ની કાબેલિયતના કારણે તેમને ચૂંટે છે. કાયદો અને વ્યવસ્થા સાથે સંલગ્ન ફરિયાદો ઉકેલવામાં પોલીસના બદલે ‘ગુનેગાર’ સાંસદ વધારે કારગત નીવડે છે.
મને દુ:ખ છે કે કોઈ ઉદારવાદી પક્ષનું ન તો ભારતમાં કે ન બીજે ક્યાં ય કોઈ ભવિષ્ય છે. છેલ્લી ત્રણ સદીઓથી ઉદારવાદે જ ન્યાયોચિત રાજકીય કાર્યવાહીને સંચાલિત કરી છે. 20મી સદીમાં મહદંશે રાજકીય વિચારસરણીઓ તેના જ હકમાં રહી છે. ઉદારવાદે ભારતને સાંસ્થાનિક ગુલામીમાંથી મુક્તિ આપી છે, સામ્યવાદને જમીનદોસ્ત કરવામાં તેની જ ભૂમિકા હતી અને ભારતના આર્થિક સુધારાઓ પણ તેનાથી જ સંચાલિત થયા. આમ છતાં ઉદારવાદીઓએ આ સુધારાનું શ્રેય લીધું નથી અને એટલા માટે આપણે ચૂપકીદીથી સુધારા કરતાં રહ્યા છીએ. ઉદારવાદીઓ કોઈ સંત નથી, પરંતુ એ વાત શરમજનક છે કે સમૃદ્ધિના પક્ષમાં તર્કપૂર્ણ દલીલો કરવાના બદલે મતદારો માટે વંશ, ધર્મ અને જાતિગત ઓળખના આધારે કરવામાં આવેલી ભાવનાત્મક અપીલોનું મહત્ત્વ વધારે રહે છે.
(લેખક અને કોલમિસ્ટ)
e.mail : gurucharandas@gmail.com
સૌજન્ય : ‘ખાટલે મોટી ખોડ’, “દિવ્ય ભાસ્કર”, 01 માર્ચ 2017
લેખનો મૂળ અંગ્રેજી આધાર : http://blogs.timesofindia.indiatimes.com/men-and-ideas/why-classic-liberals-dont-win-elections-and-populists-do/