હિમાંશી શેલત દ્વારા લખાયું આત્મકથન ‘મુક્તિ-વૃત્તાંત’ પુસ્તક વાંચ્યું. શરૂઆતમાં ‘અસંખ્ય બન્ધન-માઝે મહાનંદમય લભિબ મુક્તિર સ્વાદ’ – રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિઓ મૂકી છે. ( અસંખ્ય બંધનોમાં જ હું તો મહાનંદમય મુક્તિનો સ્વાદ પ્રાપ્ત કરીશ.) આદર્શ જીવવાની મમત- જીદ સાથે મહાનંદમય મુક્તિનો સ્વાદ પ્રાપ્ત કરવા મથતા માનવ-માનવોની કથા, Ayn Rand દ્વારા લિખિત The Fountainhead and Atlas Shrugged, વાંચી જ હશે. હિમાંશી શેલત તો અહીં આત્મકથન સ્વરૂપે માણેલી મુક્તિનું વૃત્તાંત લખે છે. આત્મરતિથી અળગા રહી લખે છે, અનુભૂતિ આલેખે છે. જીદ સાથે જીવીને જીતવાની વાતોમાં સત્યનો રણકાર વાંચકને સહૃદયી બનાવે છે. મેં માણ્યું છે. આ પુસ્તકનાં લેખિકા હિમાંશીબહેન સાથે અંગત પરિચય જરા પણ નહીં. તેમનાં વાર્તાસર્જનનો પરિચય જરૂર. અંગત નહીં તેવા અજાણ્યાની વાત કરતું પુસ્તક માણ્યું તેની વાત કરવાનો આ ઉપક્રમ માત્ર ભાવક અનુભૂતિ છે.
આ આત્મકથન છે. સ્વયં સાથેનો સંવાદ છે. અને એટલે જ એ ક્રમવાર બનતાં બનાવો નથી. બાળપણની સચવાયેલી યાદને પ્રૌઢ વર્ણવે છે જે પુખ્તવયની સ્મૃિતઓ સાથે ભેળવાતી રહે છે. સંપર્કમાં આવેલ અને દૂરથી અધૂરાં જોયાં-જાણ્યાં છે તે બધાં પણ ક્યાંક અને કોઈક જગ્યાએ પ્રવેશે છે. સમયપરિવેશ છે તો મનમથામણ પણ છે. મનુષ્યજગત અને પ્રાણીજગત પણ છે. કથકે તે અસરો શી રીતે ઝીલી છે અને તેની વાતો અને સરખામણી પણ છે. જીવનની બાલ્યાવસ્થા કાચી માટી છે અને ત્યારે વ્યક્તિ સાથે અને સામે બનતી ઘટનાઓ અન્ય અવસ્થાઓ પર સઘન અને અમીટ છાપ મૂકી જતી હોય છે. મનઘડતરની આ અવસ્થા છે. સામાજિક પરિવેશ અને વ્યક્તિ કે વ્યક્તિસમૂહની અસરો બાળકને નવા ઉંબરે મૂકે છે. સમય અને પ્રવાહના ધસમસતા ઉંબરે. સહાય અને સથવારાના નવા પરિમાણ ઊભા થાય છે. ઉંબરો ઓળંગીને જે દિશામાં જવાનો નિશ્ચય થાય ત્યાર પછીની દશા વ્યક્તિ પર નિર્ભર છે. પ્રવાહ સામે જવું કે પ્રવાહ સાથે વહેતા લોકોમાંનું એક ન હોવાપણામાં લોપાઈ જવું. મુક્તિ સાપેક્ષ છે. કથક સ્વયં સંવેદનશીલ છે, વિચારક છે, કર્મઠ છે અને વિશેષ તો સંજોગો, પરિમાણ અને પરિમાણને સાક્ષીભાવે મૂલવી શકનાર પ્રતિભા પણ છે. આવી વ્યક્તિ આત્મકથન કરે ત્યારે આપણી સમક્ષ જે ભાવજગત રજૂ થાય છે તેમાંના વિશ્વમાં યથાશક્ય પ્રવેશ કરવાનો પણ ઉપક્રમ છે. આમ જોઈએ તો ‘કોઈના જીવનમાં શું થયું તેમાં આપણે શું, એવો ભાવ લોકોને હોય છે ?’ પરંતુ પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી આદિનાથે કહ્યું છે કે ‘નિર્વાણ મારા કહેવાથી નહીં મળે, પરંતુ એ માર્ગે જવાના મારા પુરુષાર્થનું અનુસરણ કરવાથી કદાચ પ્રાપ્ત થાય.’ મુક્તિ વૃત્તાંત વાચકને એ વૃત્તિ તરફ ગતિ-અનુસરણ આપે!!
૧૯૪૭ના સામાજિક પરિવેશથી જાણકાર લોકો, ન જાણતાને કહી શકે કે ‘બહુ ઓછું બદલ્યું છે.’ સ્થળની વાતોમાં ફેરફાર જરૂર થયાં જ હોય, પરંતુ એ સ્વીકારી લઈએ. “વાળને ચોંટેલી રજકણ ગણવા બેસે” એવો દોષ આપણે કરવો નથી. કથકે બાળપણના અનેક અનુભવની વાતો કહી છે તે માટીની કેળવણી હતી. તિલસ્મી અનુભવોની હતી. સંબંધોને અને તેના તકલાદીપણાને જાણવાની વય હતી. કુટુંબકબીલાના સંપર્ક અને તેમાંથી તથ્યો તારવવાની હતી. સામાજિક સંપર્કમાંથી અવનવાને વિસ્મયથી જાણવાની હતી. સ્ત્રીઓનું સમાજમાં સ્થાન અને અધિકાર જાણવાની હતી. શબ્દપ્રેમ કરવાની અને કેળવવાની હતી. ફ્રેંચ સર્જક સાર્ત્રનાં સાથી અને સશક્ત લેખિકા સીમોં દ્દ બુવાના પ્રભાવની હતી. પ્રાકૃત અને નૈસર્ગિક વૃત્તિઓ મનને ગમતી હોય તેમ છતાં શુદ્ધ, બૌદ્ધિક, તર્કબદ્ધ વિચારો અને તેવાં સંપર્કના પ્રભાવે તે વાસ્તવ ન બની શકે તે પરિમાણ પામવાની વય. તેમ છતાં દેખાવને બાહ્ય અલંકારોથી શણગારવાથી દૂર રહેવાની સહજ સમય. અનુભવ મનને માંજી રહે પછી માટી ચાકડે ચઢે છે. કથક ૨૧ વર્ષની નાની વયે કોલેજમાં નોકરી મેળવે છે. એ જ સમયમાં સંસાર વ્યવહારમાં ઘરના વડીલે જવાબદારી ઉપાડવી જોઈએ એવું તારસ્વરે ફરિયાદ કરવાનું તેમને મન થાય છે. નિયમિત આવકની જરૂરિયાત સમજાય છે. કોલેજમાં ભણાવવા જતાં સ્કર્ટ નહીં સાડી પહેરવી જોઈએ – કારણની ચર્ચા વ્યર્થ.
સમાધાન કરવું નથી છતાં સંજોગ જે કરાવે ત્યારે નાછૂટકે પણ સમજણ સાથે માર્ગ શોધવાની માનસિકતા અકબંધ. લગ્ન નથી કરવા. દાદા, બા, ભાઈ, સગાં, સંબંધીઓ, પડોશ અને પુસ્તકોનો સતત સહવાસ જ્ઞાનપીઠ સમાન. ભણાવતા ભણવાનું મળ્યું. સાહિત્ય સર્જકોનાં સર્જન અને અંગત જીવનના અભ્યાસને લીધે સાહિત્યિક સંસર્ગ રહ્યો. અનુભવનું ભાથું અને વિચાર લઢણ તો હતાં લખવાનું શરુ થયું. સારા સામયિકમાં પહેલી વાર્તા છપાણી. આત્મશ્રદ્ધા વધી. સિદ્ધિઓ આત્મરતિમાં પ્રગટ ન થાય તેની ખેવના રાખી. સાથે ‘ પ્રકૃતિએ ખાસ નરમ ન કહી શકાય એવી હું જરૂર પડે તો ઉગ્ર અને આક્રમક બની શકતી’ તો ૧૯૯૪માં સૂરતમાં પ્લેગ ફાટી પડ્યો ત્યારે એક વાત સમજાણી કે ‘જેમ આપણને શહેરની, તેમ શહેરને ય આપણી જરૂર પડે. ખરે વખતે મોં સંતાડી પલાયન થવાય નહીં. અમે બુકાની બાંધી નીકળી પડતાં.’ આ સમયે જ માનવ ઓળખનું એક સત્ય લાધે છે. “માણસ બાબત અભિપ્રાય આપવામાં, કે ન્યાય તોળવામાં, અધીરા ન થવું.” માણસમાં સારપ અને નઠારાપણાનો અંદાજ પણ મુશ્કેલ. ‘એ એની ભીતર ઘણી શક્યતાઓ ધરબીને બેઠો હોય છે.'
મુક્તિ, કલ્પના વિહાર અને જીવન વ્યવહાર, આદર્શ અને વાસ્તવિકતાનો અનુભવ નવા રહેઠાણ અને સહજીવનમાં નંદવાતા લયમાંથી મેળવે છે. ‘વલસાડ-અબ્રામાના નવા ઘરનો ઉમંગ પૂરો થયો હતો, અને જીવન એનો લય શોધવામાં અટવાતું હતું.’ અંતે સમસ્યાઓથી ઉગરવાનો માર્ગ ‘જાતને સંકોરી’ લેવામાં કે સમતુલા સાધી ‘સ્વસ્થ રહેવાનું રસાયણ મારે પોતે ખોળવાનું.’ અજંપો શેનો ? ‘ઊગતા દિવસની સાથે અજંપાનાં અઢળક કારણોની હારમાળા.’ ‘અસંધિગ્ધ ખુલાસો મળે છે. હું માત્ર મારા ભાગનું જ જીવી એમ ક્યાં થયું છે ?’ સમસ્યા માત્ર વ્યક્તિની નહીં સમષ્ટિની છે. ‘દુનિયાના ઝાઝા ખૂણા અંધારા અને પીડાદાયક રહેવાના તે રહેવાના.’ અસંધિગ્ધ ખુલાસા મળે છે. એક પ્રકરણને અંતે મુક્તિ ટાગોરની બે પંક્તિ ટાંકે છે :
આછે દુ:ખ, આછે મૃત્યુ, વિરહદહન લાગે,
તબુઓ શાંતિ, તબુ આનંદ, અનંત જાગે.
અને મુક્તિ કહે છે કે ‘એમ ટાગોર કહી શકે તેવું આપણાથી ક્યાં કહેવાય છે ?’ બસ એ જ ગતિ અને પડકાર છે.
અને મને મુક્તિ-વૃત્તાંત એમ જ સમજાયું છે.
e.mail : Kanubhai.suchak@gmail.com