Opinion Magazine
Number of visits: 9846551
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—228

દીપક મહેતા|Opinion - Opinion|23 December 2023

આવાં હતાં ૧૮૩૮ના મુંબઈનાં બંદર, લોકો, અને ઘરો              

“અને અમે મુંબઈના બારામાં દાખલ થયાં. સૂરજના પ્રકાશમાં દરિયાનાં પાણી ઝગારા મારતાં હતાં. નાળિયેરી અને ખજૂરીનાં ઝુંડોથી ઘેરાયેલા મુંબઈના ટાપુઓ સાડીનો છેડો માથે બાંધીને બહાર નીકળેલી હિન્દી સ્ત્રીઓ જેવા લાગતા હતા. બારામાં ઊભેલાં વહાણોના ફરફરતા શઢ એ જાણે એ સ્ત્રીઓના હવામાં ઊડતા પાલવ ન હોય! આ બધું આકર્ષક હતું જ. અને એટલે જ તો મુંબઈની ધરતી પર પગ મૂકવાની ઈચ્છા વધુ પ્રબળ બનતી જતી હતી.”

આ શબ્દો લખાયા છે આજથી ૧૮૫ વરસ પહેલાં, છેક ૧૮૩૮માં, અને પ્રગટ થયા હતા ૧૮૩૯માં છપાયેલા પુસ્તકમાં. બે ભાગમાં પ્રગટ થયેલા એ પુસ્તકનું નામ છે Western India in 1938. પુસ્તકમાં આજના મહારાષ્ટ્ર અને ગુજરાતનાં કેટલાંક સ્થળો વિષે લખાયું છે – આગંતુક વિદેશીની ટાઢીબોળ કલમથી નહિ, પણ એક હિન્દુસ્તાનપ્રેમી અંગ્રેજ મહિલાની ઉષ્માભરી કલમ વડે. એ મહિલા તે કોણ? જરા ધીરજ રાખો, પ્રિય વાચક. એમને વિષે પણ વાત કરશું, આગળ જતાં.

મુંબઈનું બંદર ૧૮૫૦ના અરસામાં 

હા, લેખિકા તરત ઉમેરે છે : બારામાંથી દેખાતા મુંબઈનું ચિત્ર પહેલી નજરે આકર્ષક લાગે તેવું નથી. બલકે શહેર ઝાઝું દેખાતું જ નથી. દેખાય છે દરિયાની લગોલગ આવેલા કિલ્લાની ઊંચી ઊંચી દીવાલો. અને એની બહારના મેદાનમાં તાણેલી સૈનિકોની ધોળી ધોળી રાવટીઓ. આંખો જરા તાણીને જોઈએ તો દેખાય કોલાબનો નાનકડો ટાપુ, નાળિયેરીઓથી ઢંકાયેલો. અને દેખાય એ નાળિયેરીઓને વીંધીને ઉપર ઊઠતી કોલાબાની દીવાદાંડી.

મુંબઈના બારામાં દાખલ થાવ એટલે દેખાય જાતજાતના નાના-મોટા મછવા. શઢવાળી અને વગરની હોડીઓ. દરિયાનાં મોજાં સાથે હાલકડોલક થતી શઢવાળી હોડીઓ ઘૂમટો તાણીને જતી હિંદુ સ્ત્રીઓ જેવી લાગતી હતી. ધક્કા પર ઊભેલાં વહાણોમાં કાં મુસાફરોની ચડઉતર ચાલુ હોય, કાં માલસામાનની. કોઈ હોડીમાં નાળિયેર અને કેળાં ભરેલાં હોય, તો કોઈમાં અનાજની ગુણો. તો કોઈ કોઈ હોડીમાં ચાર પડદા નાખીને નાની કેબિન જેવું બનાવ્યું હોય. તેમાં દાખલ થવાનો દરવાજો પવનમાં ઊડે ત્યારે દેખાય અંદર બેઠેલી સ્થૂળકાય પારસણ, ગાલીચા પર પલાંઠી વાળીને બેઠેલી. 

વહાણ નાંગરે કાં એપોલો બંદરે, કાં કસ્ટમ હાઉસના બંદરે. રેશમી પડદાવાળી, લીલા રંગની પાલખીઓ ઊંચકીને ભોઈ લોકો હાંફળાફાંફળા દોડતા હોય. પરસેવે રેબઝેબ કૂલીઓ આવીને મધમાખીની જેમ ઝળુંબવા લાગે અને ‘સામાન મને જ આપજો, મને જ આપજો’ એમ કરગરવા લાગે. એમાં ય જો મુસાફર સૈનિક હોય તો તો જોઈ લો જે તાશેરો થાય. મુસલમાન નોકરોની અનુભવી આંખ આવા સૈનિકોને તરત પારખી કાઢે અને એની આસપાસ ટોળે વળી મોટે મોટેથી બૂમો પાડવા લાગે : ‘સાહેબ! તમારા નોકર તરીકે મને જ રાખી લો. તમારાં નાનાં મોટાં બધાં કામ કરીશ,’ અલબત્ત, ‘સાહેબ’ જવાબ આપતાં વાર લગાડે તો એ લોકો તરત તેમને પડતા મૂકીને બીજા ‘સાહેબ’ની શોધમાં દોટ મૂકે. 

તમે ધક્કા પર ઊતરો એટલે સૌથી પહેલું ધ્યાન ખેંચે ઠેર ઠેર ખડકાયેલી રૂની ગાંસડીઓ. રૂને દબાવીને ગાંસડીઓ બનાવવા માટેના ‘સ્ક્રૂ’ અને ગાંસડીઓને વહાણમાં ચડાવવા માટેની ક્રેનો. આ બધી ગાંસડીઓ અહીંથી ગ્રેટ બ્રિટન જવાની. ત્યાંની મિલોમાં તેનું કાપડ બનશે. અને પછી એ જ કાપડ મોંઘા ભાવે વેચવા માટે પાછું અહીં આવશે! બંદરની બહાર નીકળો એટલે તમને હાશકારો થાય, મોકળી, શાંત જગ્યા જોવા મળે. એસ્પ્લનેડ પર બાંધેલા ઘાટીલા બંગલા અને સૈનિકોની સફેદ રાવટીઓ. દરિયાને સમાંતર આવેલો આ મજાનો રસ્તો મુંબઈનાં ફેશનેબલ સ્ત્રી-પુરુષો માટે સાંજે ‘હવા ખાવાનું’ સ્થળ બની રહે છે. અહીં તમને નફકરા થઈને ટહેલતા યુવાનો જોવા મળે, ભારે ગારા સાડીઓ પહેરેલી પારસી સ્ત્રીઓ જોવા મળે. કોઈ પગપાળા, કોઈ ઘોડેસવાર થઈને, તો કોઈ વળી એક કે બે ઘોડા જોડેલી ગાડીમાં હોય. અને હા, તેમની ગાડીઓ ‘દેશી’ નહિ, ગ્રેટ બ્રિટનમાં બનેલી હોય, હોં! જો કે ગ્રેટ બ્રિટનમાં ગાડીઓને જોડાતા જાતવાન, ઊંચી ઓલાદના ઘોડાઓ જોયા હોય તેમને આ અરબી ઘોડા ટટ્ટુ જેવા લાગે. ગાડીવાન અને બીજા નોકરોએ જાડા કાપડના, એક સરખા રંગના ગણવેશ પહેર્યા હોય. જુદા રંગનો કમરબંધ અને માથે ચપટી પાઘડીઓ, રકાબી જેવી. કેસરી, ભૂરી કે જાંબલી રંગની પાઘડીઓ પરથી  સોનેરી કે રૂપેરી ઝૂલ ઝૂલતી હોય. પણ કપડાંનો આ બધો ઠઠારો કરનારા આ બધા નોકરો કાં ઉઘાડા પગે ચાલતા હોય કે કાં તેમણે પગમાં જૂનાં ઘસાઈ ગયેલાં ચપ્પલ પહેર્યાં હોય. 

એસપ્લનેડ – ૧૮૭૦ના અરસામાં 

  એસપ્લનેડની બાજુમાં લાકડાની નાની વાડની બીજી બાજુ મોટું મેદાન. લીલા છમ ઘાસવાળું. યહૂદીઓ, આરબો, અને બીજા એશિયન લોકોનું ફરવા માટેનું માનીતું સ્થળ. એ બધા પોતપોતાની ભાષામાં મોટે મોટેથી વાતો કરતા હોય. અઠવાડિયામાં બે વાર અહીં સાંજે મિલિટરી બેન્ડ વાગતું હોય છે ત્યારે આ બધી જાતના લોકો ટોળે વળીને એ સાંભળતા હોય. આપણા દેશમાં જોવા મળતા સૌથી સારા રસ્તાઓ કરતાં આ એસપ્લનેડ રોડ જરા ય ઊતરે તેવો નથી. તેની અઆસપસનો વિસ્તાર પણ ખૂબ રળિયામણો છે. 

પણ બસ. તમે આગળ વધીને મુંબઈના દેશીઓના રહેણાકના વિસ્તારમાં પગ મૂકો એટલે તો જ્યાં જુઓ ત્યાં ખાડા ટેકરા, કચરાના ઢગલા. વિના કારણ અહીંથી તહીં દોડાદોડી કરતા લગભગ નાગા છોકરાઓ! બજારોમાં જ્યાં ત્યાં ગંદા પાણીનાં ખાબોચિયાં. ખાવાની વસ્તુઓના ખૂમચા પર માખીઓ બણબણતી હોય. ઘરાકો અને વેપારીઓ બૂમો પાડીને ભાવતાલ અંગે રકઝક કરતા હોય. રવિવારની સાંજે એસપ્લનેડ હોય સાવ ઉજ્જડ. કારણ તે દિવસે લોકો ‘બ્રીચ કેન્ડી’ ફરવા જાય. 

અહીંથી ફોર્ટ તરફ જતા રસ્તાની વચમાં માર્ક્સ વેલેસ્લીનું ખૂબ સરસ પૂતળું મૂક્યું છે. પણ તેની આસપાસના વિસ્તારમાં દિવસ આખો લોકોની ભાગદોડ ચાલતી હોય અને શોરબકોર. ભાડે મળતી અસંખ્ય ‘બગીઓ’ અહીં લાઈન બંધ આખો દિવસ ઊભેલી જોવા મળે. તેની બાજુમાં હોય બે પૈડાંવાળી ગાડીઓની હાર. અડધો ક્રૂકશેંક રોડ આવાં વાહનોથી ભરેલો હોય. અને આ બધાંની વચ્ચેથી પસાર થતી હોય ભારથી લદાયેલી બળદ ગાડીઓ. ઘણી વાર નાના છોકરાઓ આ બળદ ગાડીની પાછળ લટકીને ‘મફતિયા મુસાફરી’નો આનંદ માણતા હોય.

ઉનાળો આવે એટલે એસપ્લનેડનો દેખાવ ફરી જાય. ઠેર ઠેર નાનાં મોટાં કામચલાઉ ઘરો ઊભાં થઈ જાય. દરિયા કિનારાની નજીક ઊભા કરેલાં આ બધાં ઘરોમાં દરિયાની ઠંડી હવા ફરફરતી હોય. દરેક ઘરની આસપાસ લીલાં ઝાડપાન અને વેલા રોપ્યાં હોય જે સુંદરતા ઉપરાંત ઠંડકમાં ય વધારો કરે. તેનો બીજો લાભ એ કે બપોરે અને સાંજે તડકો ઘરની અંદર ન પ્રવેશે. આ કામચલાઉ બંગલા દરિયા કિનારાથી થોડે દૂર સીધી લાઈનમાં બાંધ્યા હોય. બે બંગલા વચ્ચે એક સરખી ખાલી જગ્યા. એ બન્યા હોય બાંબુ અને જાડા થેપાડા જેવા કપડાના. મુખ્ય ઘરથી થોડે દૂર ઓફિસ તરીકે વાપરવાનો નાનો બંગલો. બંનેની આજુબાજુ બગીચો. નવાઈની વાત એ છે કે દરિયા કિનારાની નજીક રહીને પણ આ બધાં ઝાડ-પાન-વેલા ખીલી શકે છે. નહિતર સાધારણ રીતે દરિયા કિનારે આવી વનસ્પતિ ટકી શકતી નથી. 

વરસાદ શરૂ થાય એ પહેલાં આ બધા કામચલાઉ બંગલા સમેટી લેવામાં આવે છે. આવતે વરસે ફરી કામ લાગે તેવી સામગ્રી સંભાળીને લઈ જવાય છે. આવો એક બંગલો બાંધવાનો ખરચ છ સોથી આઠ સો રૂપિયા જેટલો આવે છે. વરસાદ શરૂ થતાં પહેલાં તેમાં રહેતા લોકો ફોર્ટ, ગિરગામ, ભાયખળા, ચીંચપોકલી, જેવી જગ્યાએ આવેલાં પોતાનાં કાયમી ઘરોમાં રહેવા ચાલ્યા જાય છે. આ બધા વિસ્તારોમાં યુરોપિયનોએ પોતાનાં પાકાં, સુંદર ઘરો બાંધ્યાં છે.

***

આ લેખિકાની આંગળી પકડીને હજી તો ૧૮૩૮ના મુંબઈમાં ઘણું ફરવાનું છે. પણ એ પહેલાં હવે એ બાનુ વિષે થોડી વાત. ૧૮૧૧ના જાન્યુઆરીની ચોથીએ તેઓ જન્મ્યાં ત્યારે નામ પાડેલું મારિયન રિગવે. પછી થોમસ પોસ્ટાન્સ સાથે લગ્ન કરીને બન્યાં મિસિસ થોમસ પોસ્ટાન્સ. પતિના અવસાન પછી બીજાં લગ્ન કરીને બન્યાં મારીઆન યંગ. ૮૬ વરસની પાકટ વયે ૧૮૯૭ના ઓક્ટોબરની છઠ્ઠી તારીખે અવસાન.

પુસ્તકમાં મૂકેલાં લેખિકાનાં ચિત્રોમાંનું એક

બાવીસ વરસની ઉંમરે ૧૮૩૩ના ફેબ્રુઆરીની નવમીએ થોમસ પોસ્ટાન્સ સાથે લગન કીધાં. પતિ નોકરી કરતા હતા કંપની સરકારના હિન્દુસ્તાનમાંના લશ્કરમાં. હવાલદારની તદ્દન નીચી પાયરીથી શરૂ કરીને કેપ્ટનના પદ સુધી પહોંચેલા. ૧૮૩૩ના માર્ચમાં પતિ સાથે હિન્દુસ્તાન આવવા નીકળ્યાં. ૧૮૩૪માં પતિની બદલી કચ્છ થઈ એટલે પહોચ્યાં કચ્છ. આંખ-કાન ઉઘાડાં રાખીને ફર્યાં. ઘણી નોંધો કીધી, ચિત્રો દોર્યાં. અને પછી ૧૮૩૯માં કચ્છ વિષે પુસ્તક પ્રગટ કર્યું : Cutch, or Random Sketches. આ પુસ્તકને સારો આવકાર મળ્યો એટલે ૧૮૩૯માં બે ભાગમાં પ્રગટ કર્યું Western India in 1838. આ પુસ્તકની શરૂઆત તેમના મુંબઈ આગમનથી જ થાય છે. આ પુસ્તકમાં પણ પોતે દોરેલાં ચિત્રો મૂક્યાં છે. તેમાંનું એક આજે અહીં મૂક્યું છે. આ પુસ્તકનાં ઘણાં વખાણ થયાં. હિન્દુસ્તાન વિષે અંગ્રેજીમાં લખનારી લેખિકાઓની આગલી હરોળમાં તેમનું નામ મૂકાયું. જુદાં જુદાં સામયિકોમાં પ્રગટ થયેલા લેખો ભેગા કરીને અને સ્વતંત્ર રીતે લખીને બીજાં પુસ્તકો પ્રગટ કર્યાં. પછી તો તેમના પતિએ પણ પુસ્તકો લખ્યાં. બંનેનાં પુસ્તકોની જાહેર ખબર મેગેઝીનોમાં બાજુ બાજુમાં પ્રગટ થવા લાગી. પણ ત્યાં તો ૧૮૪૬માં પતિનું અણધાર્યું અવસાન થયું. મિસિસ પોસ્ટાન્સ ઇન્ગલન્ડ પાછાં ફર્યાં. ૧૮૪૮માં બીજાં લગન કર્યાં, વિલિયમ હેન્રી યંગ સાથે. યંગ હતા ડોક્ટર અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં જ નોકરી કરતા હતા. તેમની સાથે લેખિકા માલ્ટા અને તુર્કસ્તાન ગયાં અને એ મુસાફરીઓ વિષે પણ પુસ્તકો લખ્યાં. તેમનું ૧૮૫૭માં પ્રગટ થયેલું છેલ્લું પુસ્તક પણ હિન્દુસ્તાન વિષે હતું. અને એ અર્પણ કર્યું હતું ‘મારી જિંદગીના સૌથી સુખી દિવસો મેં જેમની સાથે ગાળ્યા છે એવા મારા હિન્દી મિત્રોને.’

હિન્દ અને હિન્દુસ્તાનીઓનાં મિત્ર એવાં આ લેખિકા સાથે મુંબઈમાં ફરવાનું આવતે અઠવાડિયે પણ ચાલુ.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 23 ડિસેમ્બર 2023)

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૨૨) : ‘સંયોગાત્’ 

સુમન શાહ|Opinion - Opinion|23 December 2023

સુમન શાહ

‘સંયોગ’-ને વિશેનો બીજો મહત્ત્વનો ફલિતાર્થ એ છે કે ‘સંયોગ’ કદી એના સિદ્ધ રૂપમાં હોતો નથી. સર્જકે કૃતિના પાઠ રૂપે લખેલો ‘સંયોગ’ પણ પૂરો સિદ્ધ એટલા માટે નથી કે તેનો ભોક્તા પેલો ભાવક હજી પધાર્યો નથી હોતો. દેખીતું છે કે ‘સંયોગ’ ભાવક વડે ઉદ્ભાવિત થાય ત્યારે જ પૂર્ણ રૂપેણ સિદ્ધ થયો ગણાય. 

જે કાળે કવિ વડે મુખેથી બોલાઇને કાવ્યપઠન થતું હશે તે કાળે તત્ક્ષણે ભાવકની શક્તિમતિ અનુસાર ‘સંયોગ’ સિદ્ધ થતો હશે એમ માનવું સદોષ નથી. પણ ‘સંયોગ’-ની અનિવાર્યતા ભાવક છે, એ સત્ય છે. આપણા જમાનામાં કૃતિ ‘ડેડ પ્રિન્ટ’ રૂપે મળે છે, ત્યારે તો એ સત્ય સવાયું સત્ય પુરવાર થાય છે.

ટૂંકમાં, મારું મન્તવ્ય છે કે ભરતવ્યાખ્યાયિત ‘સંયોગાત્’-માં સમગ્ર સાહિત્યતન્ત્ર – ટોટલ લિટરરી સિસ્ટમ – આવી જાય છે : એક તરફથી, એ કવિકર્મ છે તો બીજી તરફથી, ભાવકકર્મ છે. પહેલી વાર જોતાં લાગે કે ‘સંયોગ’ વડે સાહિત્યકૃતિ રચાઈ, પરન્તુ બીજી વાર જોતાં લાગે કે એ જ ‘સંયોગ’ વડે ભાવક માટે રસાનુભવ સંભવ્યો.  

‘સંયોગાત્’-ની આ સમાન્તરે પ્રભવતી ગુણધર્મિતા – પૅરેલલ ફન્કશન – તરફ આપણા વિદ્વાનોનું ધ્યાન નથી ગયું.

એક બીજો પ્રશ્ન પણ વિચારણીય છે : ‘સંયોગાત્’-નું અસ્તિત્વ કેવાક રૂપમાં છે? એટલે કે, એનું ‘ઑન્ટોલૉજિકલ સ્ટેટસ’ શું છે? 

સંયોગ રાસાયણિક – કૅમિકલ – પ્રકારના હોય છે, જેમાં સંયોજ્ય ઘટકો પોતાના ગુણધર્મો ગુમાવે છે અને કોઈ નવ્ય રૂપમાં જુદી જ ગુણધર્મિતા માટે હમ્મેશને માટે બદલાઈ જાય છે. કામચલાઉ દાખલો, દૂધ અને મેળવણથી બનતું દહીં. 

બીજું, સંયોગ યાન્ત્રિક – મિકેનિકલ – પ્રકારના હોય છે, જેમાં સંયોજ્ય ઘટકો પોતાના ગુણધર્મો ગુમાવ્યા વિના, સ્વ રૂપે ટકીને, બદલાયા વિના, જુદી જ ગુણધર્મિતા ધારણ કરે છે. કામચલાઉ દાખલો, બારસાખ અને બારણાં. બન્ને બદલાયા વિના બંધ-ઉઘાડપરક ધર્મ બજાવે છે.

જાણવું જરૂરી એ છે કે સાહિત્યકૃતિમાં વિભાવાદિનો આવો રાસાયણિક સંયોગ હોય છે કે યાન્ત્રિક? હું ઉત્તર આપવાની કોશિશ કરું : 

ભાષા બોલાય છે, સાંભળીને ગ્રહાય છે, એનો અર્થ એ કે ભાષા સામયિક છે – ટૅમ્પોરલ. પણ ભાષા લખાય છે, વાંચીને ગ્રહાય છે, એનો અર્થ એ કે ભાષા અવકાશપરક અથવા સ્થળપરક પણ છે – સ્પાસિયલ. 

એટલે ભાષાના દ્રવ્યથી રચાયેલો વિભાવાદિનો સંયોગ પણ સામયિક તેમ જ સ્થળપરક, બન્ને છે. 

રંગમંચ, સન્નિવેશ, અને તે પર અભિનય કરતો નટચમૂ એમ દર્શાવે છે કે સંયોગ સ્થળપરક છે.  

વિભાવાદિ સામયિક છે કેમ કે પોતાના મૂળ ગુણધર્મો ગુમાવતા નથી પણ રસપ્રક્રિયા ખાતર તેને જતા કરે છે. 

એટલે જ દુષ્યન્ત-શકુન્તલા હૂબહૂ દેખાય છે પણ પળ-બેપળ પછી તેઓ કાન્ત-કાન્તા અનુભવાય છે. એટલું જ નહીં, કાન્ત-કાન્તા વચ્ચે પ્રણયની ચાટૂક્તિઓ જે સ્થળે જે સમયે થઈ તેનું તેમ જ ચાટૂક્તિઓની ભાષાનું પણ તિરોધાન થઇ જાય છે. 

જે કંઇ વિશિષ્ટ લેખન કે નાટ્ય હતું – પર્ટિક્યુલર, એ સર્વસાધારણ – જનરલ કે યુનિવર્સલ રૂપ પામે છે, જેને માટે આપણે કહેતા હોઈએ છીએ કે કલાનો આવિષ્કાર થયો. 

કલાનો આવિષ્કાર દૃશ્ય નથી હોતો, પણ કલા હમેશાં વ્યંજિત થતી હોય છે. કલાના એવા વ્યંજક આવિષ્કારની સત્તાએ કરીને સ્તો જર્મન કવિ ગ્યુઇથે “શાકુન્તલ”-ને માથે મૂકીને નાચી શકેલા. દર્શન કે વાચન પછી કોઈપણ અધિકારી આમ નાચી ઊઠતો હોય છે; એની ગ્યુઇથેની બની એવી વારતા નથી બનતી, એટલું જ ! 

જુઓ ને, આધુનિક નાટકોમાં તો વિભાવાદિને વિશેનું દૃષ્ટિબિન્દુ જ બદલાઈ ગયેલું. રતિ સ્થાયીભાવનાં આલમ્બન દુષ્યન્ત-શકુન્તલા હૂબહૂ હોવાં જ જોઈએ એ વાત પર ચૅંકડી મુકાઈ ગયેલી. તેઓ સારા અનુભાવક હોય, વ્યભિચારી ભાવો વ્યક્ત કરી શકે, એટલે કે એવા સમર્થ અભિનયકાર હોય, તો બસ છે. ઉદ્દીપન વિભાવની જરૂરત પર પણ ચૅંકડી મુકાઈ ગયેલી. કાલિદાસે વર્ણવ્યા મુજબનો લતામણ્ડપ ઊભો કરવો અનિવાર્ય નથી. 

તાત્પર્ય એ કે કૃતિ યુનિવર્સાલિટી હાંસલ કરે ને કલા રૂપે અનુભવની વસ્તુ રૂપે સંસારમાં પ્રસરે એ જ કલાસર્જનનું ધ્યેય હોય છે. 

મારા આ ઉત્તરના અંકે કરવાજોગ સાર બે છે : ૧ : ‘સંયોગાત્’ રસનિષ્પત્તિપ્રક્રિયા તો છે જ પણ કલાનુભવની જનક એ એક પૂર્વપ્રક્રિયા પણ છે : ૨ : રસ માત્ર અનુભાવ્ય છે અને હમેશાં વ્યંજિત અથવા ધ્વનિત થાય છે. 

એને તેથી, આનન્દવર્ધનપ્રણીત ધ્વનિસમ્પ્રદાયને રસસમ્પ્રદાયની અનિવાર્ય પૂર્તિ રૂપે જોવાની જરૂરત છે. અભિનવગુપ્ત બન્નેના અધ્યેતા રહ્યા હતા તે કેટલું સૂચક અને પ્રેરણદાયી છે ! 

હું એમ પણ કહેવા માગું છું કે ‘સંયોગ’-ના આ સ્વરૂપ અને કાર્યનો વિચાર રસસૂત્રના એ પ્રાચીન ટીકાકારોને પણ આવેલો છે, અલબત્ત, એમની પોતાની રીતભાતમાં. એક અછડતી નજરે એમની જ રીતેભાતે જોઈ લઈએ :   

અભિનવગુપ્તે લોલ્લટ, શંકુક અને ભટ્ટનાયકનાં મન્તવ્યો રજૂ કરીને વિશદ સમીક્ષા કરી છે. એમાં વીગતે ઊતરવાની અત્રે જરૂરત નથી; માત્ર સાર ગ્રહણ કરીએ : 

લોલ્લટ વિભાવાદિને સ્થાયી સાથે જોડે છે, તેને સ્થાયી ચિત્તવૃત્તિનું કારણ ગણે છે, અને  અનુભાવોને કાર્યરૂપ ગણે છે. પરન્તુ અનુભાવ જો કાર્યરૂપ હોય તો એને રસના કારણોમાં કેવી રીતે ગણાવાય? મારા મતે સ્પષ્ટ એ થાય છે કે લોલ્લટે સ્થૂળ કાર્યકારણ ભાવ કલ્પીને વિભાવાદિના જોડાણને ‘યાન્ત્રિક’ ગણી લીધું છે. 

શંકુકે લોલ્લટના અર્થઘટન સામે વાંધો ઉઠાવતાં કહ્યું છે કે ઉપચિત એટલે કે એકત્ર કરેલા સ્થાયીને રસ ન કહેવાય. કેમ કે એવું કરવા જતાં, ભાવોને અભિધેય, એટલે કે કહેવા યોગ્ય, ગણવા પડે, અને તેને દોષ કહેવાય. કેમ કે, ચોખ્ખું છે કે એમ કરવાથી રસન કે આસ્વાદન થઇ જ ન શકે. હું દાખલો આપું કે ‘આ સાંજ કેવી સુન્દર છે’ એ વાક્યનો અર્થબોધ થાય, પણ એથી કરીને રસાનુભવ થોડો થાય? 

શંકુક ઉમેરે છે કે ઉપચિત સ્થાયીને રસ માનીએ તો પણ કશો ઉપકાર નહીં થાય; અને એમ પણ કહે છે કે ઉપચયમાં પણ મન્દ, મન્દતર, મન્દતમ એમ કોટિઓ હોય છે. જેમ કે, શોક પ્રારમ્ભે તીવ્ર હોય છે, પણ પછી એમાં તનુતા અને મન્દતા આવે છે અને ભાવોનો અપચય થાય છે. ક્રોધ, ઉત્સાહ, અને રતિ સ્થાયીભાવોની અનુક્રમે અમર્ષ, દૃઢતા, અને સેવન વગેરે પોષક સામગ્રીનો જો વિપર્યય કરવામાં આવે તો એ ભાવોનો હ્રાસ થાય છે. શંકુકના આ વિચારો એમ સૂચવે છે કે ‘સંયોગ’-ને તેઓ ‘સામયિક’ અથવા ‘અવકાશપરક’ ગણીને ચાલ્યા છે. પણ વિભાવોને કારણ, અનુભાવને કાર્ય, અને વ્યભિચારીને સહચારી લેખે છે. મતલબ, તેઓ ‘સંયોગ’-ને ‘યાન્ત્રિક’ ગણીને પણ ચાલ્યા છે. 

ભટ્ટનાયકનું મન્તવ્ય છે કે રસ નથી તો પ્રતીત થતો, નથી ઉત્પન્ન થતો, કે નથી એની અભિવ્યક્તિ થતી – રસો ન પ્રતીયતે નોત્પદ્યતે નાભિવ્યજ્યતે. 

ભાવકને રસની પ્રતીતિ બે પ્રકારે જ થઈ શકે છે, પરગત કે સ્વગત. પરગત તે દુષ્યન્ત વગેરે; પાત્રગત અથવા દુષ્યન્તનો અભિનય કરનાર, નટગત. પરગત માની લઈએ, તો એ ભાવ સાથે ભાવકને શી લેવાદેવા? એ બાપડો ઉદાસીન થઈ જશે. એથી જુદું એ કે પ્રતીતિને સ્વગત માની લઈએ, તો કરુણ રસમાં ભાવકને દુ:ખનો જ અનુભવ થશે. ભટ્ટનાયક ઉમેરે છે કે રસપ્રતીતિવિષયક આ દોષ રસઉત્પત્તિ (રસને વિશેનો લોલ્લટનો ઉત્પત્તિવાદ) વિશે પણ એટલા જ સંભવિત છે. પરન્તુ રસ અભિવ્યક્ત થાય છે, એમ પણ ન કહેવાય કેમ કે અભિવ્યક્તિ એની થઈ શકે જેનો પહેલાં અનુભવ થયો હોય. રસપ્રતીતિ અને રસઉત્પત્તિના દોષ રસઅભિવ્યક્તિ વિશે પણ એટલા જ સંભવિત છે.

ભટ્ટનાયક રસાનુભવના ત્રણ તબક્કા કલ્પે છે : અભિધાવ્યાપાર, ભાવકત્વવ્યાપાર અને ભોગીકૃતિ. તેઓ એમ પણ કહે છે કે આ ત્રણ વૃત્તિઓ છે. શબ્દની અભિધાશક્તિથી ભાવકને દુષ્યન્ત શકુન્તલા લતામણ્ડપ વગરેનો અર્થબોધ થાય છે. ભાવકત્વવ્યાપારથી રસ ભાવિત થાય છે – કાવ્યનો પ્રસંગ હોય ત્યારે, રચના દોષરહિત અને ગુણાલંકારયુક્ત હોય છે તેથી; અને નાટકનો પ્રસંગ હોય ત્યારે, ચાર પ્રકારના અભિનયથી. આ એક સ્વરૂપનો સાધારણીકરણ-વ્યાપાર છે. એથી ભાવકના મોહ રૂપી અજ્ઞાનનું નિવારણ થઈ જાય છે અને વિભાવાદિનું સાધારણીકરણ થઈ જાય છે. એ રસ ભોગવાય છે, તેથી ભોગીકૃતિ; એ ત્રીજી વૃત્તિ છે. એથી સત્ત્વગુણનો ઉદ્રેક થાય છે. અને સ્વપ્રકાશાનન્દ ચિન્મય સંભવે છે, સ્વસંવેદનાની વિશ્રાન્તિ અનુભવાય છે, અને એનો આસ્વાદ બ્રહ્માનન્દ સમકક્ષ હોય છે. 

અભિનવગુપ્ત કહે છે, પોતે ભટ્ટનાયકના તેમ જ ભટ્ટ લોલ્લટના મતને નથી સ્વીકારી શકતા. શંકુક વિશે કહે છે કે – અમે એ નથી જાણતા કે પ્રતીતિ ઇત્યાદિથી ભિન્ન ભોગ તે વળી શું. વિષયની પ્રતીતિને જ ભોગ કહેવાય. એમના મતે રસની પ્રતીતિ જ નથી થતી, તો એનો ભોગ તો થાય જ શી રીતે? અને જો કહો કે રસન અથવા આસ્વાદન થાય છે, તો એ પણ પ્રતીતિ જ છે ને ! અભિનવગુપ્તે આ વિષયને વિસ્તારથી ચર્ચ્યો છે. પણ પૂછે છે આટલું કે – તો રસનું પરિશુદ્ધ તત્ત્વ કયું? કહે છે, મુનિએ દર્શાવ્યું છે એથી કોઈ નવી વાત નથી કરવી – કાવ્યાર્થોને ભાવિત કરવા છે. કાવ્યાર્થ જ રસ છે – કાવ્યાર્થાન્ ભાવયન્તિ ઇતિ I તત્કાવ્યાર્થોરસ: I 

[મારો એક બીજો લેખ, “મુનિ ભરતના ‘રસસૂત્ર’-ના અધ્યયન-અધ્યાપનકારો જોગ”, મારા “સિદ્ધાન્તે કિમ્” (૨૦૦૯) પુસ્તકમાં છે, જોવા વિનન્તી.] 

= = =

(12/22/23: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ત્રણ રચના

Tran Rachana, દેવિકા ધ્રુવ|Poetry|23 December 2023

૧. 

દોસ્ત

તારી સાથે ચાલી નીકળવાની
ન તો કોઈ ઉતાવળ છે;
ન કોઈ અધીરાઈ.
ગમે ત્યારે આવજે ને?
ટાઢ, તાપ કે વરસાદ,
સાંજ, સવાર કે રાત,
ગમે ત્યારે, ગમે ત્યાં,
તું આવીશ ત્યારે તૈયાર રહીશ.
કશી આનાકાની નહિ કરું.
તું ચોક્કસ આવીશ,
એની તો ખાત્રી છે જ!
વિધાન પાળવામાં,
તારી તોલે કોઈ ન આવે.
કદાચ એટલે જ તો,
તારું માન છે, સ્વીકાર છે.
ફરી કહું છું,
ગમે તેવાં અધૂરાં કામો
પડતાં મૂકીને પણ આવીશ.
અરે, ઘોડે ચડીને આવવાની
તને છૂટ છે, જા !
પણ દોસ્ત,
એક વિનંતિ કરું ?
ભવ્યતાથી આવજે હોં !
મને અને સૌને ગમે
તે રીતે આવજે.
યાદગાર રીતે આવજે.
કોઈ નિશ્ચિત તો નહિ,
પણ થોડી આગાહી આપજે.
જેથી સજધજ થઈ,
તારી રાહ જોવાય.
આરતી ઉતારી, તારું
સન્માન થાય, જન્મની જેમ જ;
દોસ્ત, યમરાજ !

(૨)

વંટોળ

 છંદઃ શિખરિણીઃ સોનેટ

ફરે, ઘૂમે,ઊડે, સતત મનની ખીણ મહીં એ,
કદી સૂતી જાગે સળવળ થઈ ખૂબ ઝબકે.
વળી સ્પર્શે, ખેંચે, રજકણ વિચારોની ચમકે.
અને ઘેરે શબ્દે, નીરવ રજનીનાં વનવને.
ચડે વંટોળે એ ઘમરઘમ ઘૂમે વમળ શું,
ઊંચે નીચે થાતું, સઘળું વલવાતું હૃદયનું.

પછી ધીરે આવે સરવર પરે શાંત જલ થૈ
મઢી ચારેકોરે મખમલ સમી સેજ બિછવે.
ભળે એવું ધીમે જલકમલ જેવું સ્થિર કશું
કહું, પૂછું ત્યાં તો પરવશપણે ખેંચતું બધું.
મિટાવી ચિંતાઓ, કરકમલ લેખિની ધરીને,
જગાવી શક્તિ સૌ તનમન શ્વસે પ્રાણ દઈ દે.

કશું ના જાણું હું, કલમ કરતાલે રણકતું,
અહો, કેવી લીલા કવનકણથી એ શમવતું..

 (૩)  

અતિનાજુક

નાજુકમાં નાજુક,

અતિ નાજુક સંવેદના.

ગર્ભાય છે મનના ઉદરમાં!

ત્યાં જ એનો આકાર બંધાય છે.

સતત શ્વસે છે એ.

એના હવા, પાણી ને પ્રકાશ

પીડા, વેદના ને યાતના!

એક જોરદાર ધક્કો

ને પછી પ્રસવે છે,

એક બળૂકી કવિતા.

ઊછરે છે, મોટી થાય છે,

ને પછી ફેંકાય છે પ્રકાશનના બજારમાં!

એના અડ્ડાઓમાં અટવાય છે.

સોનાની એ સંવેદનાઓ

તરાશે છે ને તલાશે છે .. એક ખરા ઝવેરીને.

દિવસ ને રાત .. અહર્નિશ..

ને … ફરીથી એ જ સિલસિલો..

એ જ હવા .. પાણી .. પ્રકાશ…

પીડા, વેદના, યાતના..

ને એ જ કવિતા.

પ્રગટ : ’સાહિત્યિક સંરસન -૩’
e.mail : ddhruva1948@yahoo.com

Loading

...102030...904905906907...910920930...

Search by

Opinion

  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved