Opinion Magazine
Number of visits: 9457798
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બ્રોમાન્સ: રોમાન્સથી નીચે અને મિત્રતાથી ઉપર

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 August 2023

રાજ ગોસ્વામી

માણસોએ જ્યારથી સંગઠિત સ્વરૂપે રહેવાનું શરૂ કર્યું, ત્યારથી તેમના વચ્ચે, અંગત અને સાર્વજનિક, અનેક પ્રકારના સંબંધો કેળવાયા છે. એ દરેક સંબંધનાં નિશ્ચિત નામ પણ છે, જેથી તે સંબંધનું ચારિત્ર્ય નક્કી કરી શકાય. દોસ્ત અથવા મિત્ર પણ એક આગવા સંબંધનો ઘોતક શબ્દ છે. અંગ્રેજીમાં તેના માટે ફ્રેન્ડ શબ્દ છે. 21મી સદીમાં, અંગ્રેજીમાં, એક નવો સંબંધ ‘બ્રોમાન્સ’ આવ્યો છે. એમાં બે શબ્દો છે, ‘બ્રો’ (બ્રધર) અને ‘રોમાન્સ.’

રોમેન્ટિક સંબંધ કરતાં આ જુદા પ્રકારનો સંબંધ છે, જેમાં બે પુરુષો વચ્ચે તીવ્ર આત્મીયતા હોય છે. 1990ના દાયકામાં, ડેવિડ કાર્ની નામના એક લેખકે, સ્કેટબોર્ડની રમત માટેના બિગ બ્રધર મેગેઝિનમાં, પહેલીવાર આ શબ્દ પ્રયોજ્યો હતો. 2005માં, હોલિવૂડની ફિલ્મોએ તેને પ્રચલિત બનાવ્યો હતો. આપણે ત્યાં કરણ જોહરની ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘દોસ્તાના’માં પહેલીવાર બ્રોમાન્સ બતાવવામાં આવ્યો હતો.

સમાજ કેવી રીતે બદલાઈ રહ્યો છે તેનો આ શબ્દ સાબિતી છે. 2017માં, યુ.કે.ની બેડફોર્ડશાયર અને વિન્ચેસ્ટર યુનિવર્સિટીના સંયુક્ત એક અભ્યાસમાં, એરિક એન્ડરસન નામના પ્રોફેસરે લખ્યું હતું કે, “સમાજમાં સમલૈંગિકો પ્રત્યેની નફરતમાં થઇ રહેલા ઘટાડાના કારણે બ્રોમાન્સ પ્રચલિત થયો છે. આજના યુવાનો પુરુષત્વની રૂઢિચુસ્ત માન્યતામાં બંધાઈને રહેવા માંગતાં નથી.” નવી પેઢીના લોકોમાં મિત્રો વચ્ચે ઘનિષ્ઠ સંબંધની સ્વીકૃતિ વધી છે. 

બ્રોમાન્સ મેલ-બોન્ડિગ છે. તે રોમાન્સથી નીચે અને મિત્રતાથી ઉપર છે.  બ્રોમાન્સ ભલે પશ્ચિમનો વિચાર લાગે, પરંતુ ભારતીય પરંપરામાં આ પ્રકારના ભાવવાળા સંબંધની નવાઈ નથી. દેશના જાણીતા માયોથોલોજીસ્ટ દેવદત્ત પટ્ટનાયક કહે છે કે પશ્ચિમની સંસ્કૃતિમાં વયસ્ક લોકો વચ્ચે સ્નેહની અભિવ્યક્તિને હેટ્રોસેકસ્યુઅલ કે હોમોસેકસ્યુઅલના અર્થમાં જ જોવામાં આવે છે. ભારતીય સૌંદર્યશાસ્ત્રમાં તેને શૃંગાર ભાવ અને સખા ભાવ કહે છે.

આપણી ભાષામાં બ્રોમાન્સ એટલે યારાના અથવા દોસ્તાના. અમિતાબ બચ્ચન અને અમઝદ ખાનની મિત્રતા પર એક ફિલ્મ આવી હતી, તેનું નામ ‘યારાના’ હતું. અમિતાભ અને શત્રુઘ્ન સિંહાની મિત્રતા પરની ફિલ્મનું નામ ‘દોસ્તાના’ હતું. અભિષેક બચ્ચન અને જોન અબ્રાહમની આ જ નામની ફિલ્મમાં બ્રોમાન્સને વધુ ઘનિષ્ઠ બતાવવામાં આવ્યો હતો. અગાઉ, ફિલ્મ ‘શોલે’માં, ‘દિલ ચાહતા હૈ’માં, ‘અંદાજ અપના અપના’માં અને ‘જિંદગી મિલેગી ના દોબારા’માં મેળ-બોન્ડિગ બતાવવામાં આવ્યું હતું.

મિત્રતાના પર્યાય તરીકે વાપરતા યાર શબ્દમાં તો એટલી ઘનિષ્ઠતાનો ભાવ છે કે સ્ત્રીના પ્રેમીને યાર અને એ પ્રેમને યારબાજી કહેવાય છે. તેના બદલે, સખા શબ્દ વધુ શુદ્ધ છે અને બ્રોમાન્સથી વધુ નજીક છે. મહાભારતમાં કૃષ્ણ અને અર્જુન વચ્ચે સખાભાવ હતો, જેમાં બંને એકબીજાનું સન્માન કરતા હતા અને એક બીજા પ્રત્યે હમદર્દી રાખતા હતા. મહાભારતમાં કૃષ્ણની ઓળખાણ જ સખા તરીકેની છે. તે અર્જુન ઉપરાંત રાધાના, સુદામાના અને દ્રૌપદીના પણ સખા છે. પુરાણોમાં, ઈશ્વરનું સન્માન કરવા માટે બે પ્રકારના ભાવની વાત છે; ભક્તિ ભાવ અને સખા ભાવ.

પશ્ચિમ અને ભારત વચ્ચે એક બીજો પણ ફર્ક છે. તમે યુરોપ-અમેરિકા જાવ, તો ત્યાં સાર્વજનિક સ્થાનો પર સ્ત્રી-પુરુષ એકબીજાના હાથમાં હાથ નાખીને ફરતાં જોવાં મળશે, પરંતુ બે પુરુષો એકબીજાના હાથ નહીં પકડે. ભારતમાં બે મિત્રો એકબીજાના હાથ પકડીને ચાલતા હોય તેવું દૃશ્ય  અત્યંત સામાન્ય છે.

ઉપર કહ્યું તેમ, પશ્ચિમમાં શારીરિક સ્પર્શને ઈતરલૈંગિક કે સમલૈંગિક તરીકે જ જોવામાં આવે છે. ભારતમાં, લૈંગિક ભાવ વગર પણ સંબંધ હોય છે તે ધારણા સદીઓ જૂની છે. એટલા માટે બે મિત્રો (અને સ્ત્રી મિત્રો પણ) દરિયા કિનારે કે બગીચામાં એક બીજાનો હાથ પકડીને સહૃદયતાનો ભાવ વ્યક્ત કરતાં હોય તે આમ વાત છે.

2018માં, વિન્સેન્ટ ડોલમેન નામનો એક બ્રિટિશ ફોટોગ્રાફર ભારતના પ્રવાસે આવ્યો હતો. તેને દિલ્હી-મુંબઈની સડકો પર પુરુષ મિત્રો હાથમાં હાથ પકડીને ઊભા હોય, ચાલતા હોય કે બેઠા હોય તે જોઇને અજીબ લાગ્યું હતું. પછી તેને ધીમે ધીમે સમજાયું કે ભારતમાં આ તો બહુ સહજ છે. એ પછી તેણે એવા મિત્રોના ફોટો પાડવાનું શરૂ કર્યું હતું. તેનું એક એક્ઝીબીશન ‘ધ શો ઓફ હેન્ડ્સ’ નામથી યોજાયું હતું.

તે લખે છે, “હું ભારતમાં આઠથી નવ વાર ફર્યો હતો અને મેં કાયમ પુરુષોને એક બીજાના હાથ પકડેલા જોયા હતા. મને એ દૃશ્ય સુંદર લાગ્યું હતું (આ લેખ સાથે વિન્સેન્ટે પાડેલી એક તસ્વીર છે). એ મિત્રતા અને પ્રેમની અભિવ્યક્તિ હતી. દુનિયામાં આજે તેની બહુ જરૂર છે. પશ્ચિમના સમાજોમાં પુરુષો આવી રીતે પ્રેમ નથી બતાવતા. અમે નાના હોઈએ ત્યારે મિત્રનો હાથ પકડીએ છીએ, પરંતુ વયસ્ક થયા પછી તેની પર નિષેધ આવી જાય છે. આવી તસ્વીરો બતાવીને મારે પશ્ચિમના સમાજને કહેવું હતું કે, “જુવો, આપણે શું ગુમાવ્યું છે?”

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 06 ઑગસ્ટ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ખોટી રકમના દાખલાનો સાચો જવાબઃ કોમી હિંસા અને ધ્રુવીકરણ નહીં વહીવટ અને આર્થિક સમાનતાને અગ્રિમતા 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|6 August 2023

હિંદુ હિતને સાચવવા માટે કોમી ધ્રુવીકરણ કરવું જરૂરી નથી, કાયદાકીય અને સામાજિક પગલાં લેવાય તો પણ એ તો થઇ જ શકે છે.

ચિરંતના ભટ્ટ

મણિપુરમાં ચાલી રહેલી અરાજકતાને ત્રણ મહિના થયા છે અને હવે ભારતીય જનતા પાર્ટીનું જ્યાં શાસન છે તેવું બીજું રાજ્ય ભડકે બળી રહ્યું છે. પાટનગરની નજીક, વળી એવા શહેરની પણ નજીક જ્યાં મોટામસ કોર્પોરેટ્ જાયન્ટ્સ છે ત્યાં આ રમખાણો થઇ રહ્યાં છે. હરિયાણાનો નૂહ જિલ્લો જે મેવાત તરીકે પણ ઓળખાય છે, તેમાં થયેલી હિંસાની આગ ગુડગાંવ સુધી પહોંચી છે. આ જે પણ થઇ રહ્યું છે તે રાજકીય છે એ વાત પણ હવે નવી નથી રહી, કોમી રમખાણો હંમેશાં રાજકીય કારણોસર જ થતાં આવ્યાં છે અને આજે પણ એમ જ થાય છે. કઠે એવી બાબત એ છે કે અત્યારે જ થઇ રહ્યું છે તે કેન્દ્ર સરકારની નજીક, જ્યાં તેમનું શાસન રાજકીય સ્તરે પણ છે ત્યાં થઇ રહ્યું છે. આ રમખાણોમાં વિરોધ પક્ષનો હાથ છે એવું કહેનારા, આ બધું જ ચૂંટણી લક્ષી છે વગેરે દોષારોપણનો ખેલ તો આ બધી દુર્ઘટનાઓની સમાંતર ચાલતો જ રહે છે. ધ્રુવીકરણ એ રાજકારણનું બીજું નામ છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. આપણા દેશની વિવિધતાનો હાથા તરીકે ઉપયોગ કરીને તેની એકતાનો ભંગ થઈ રહ્યો છે, થતો આવ્યો છે.

અહીં મુદ્દો એ નથી કે કાઁગ્રેસ કે ભા.જ.પા.માંથી કોનો વાંક કાઢવો અને કેટલો કાઢવો પણ મુદ્દો એ છે કે શાસક પક્ષ તરીકે ભા.જ.પા.એ કાયદો અને વ્યવસ્થા જાળવવાને મામલે વધારે જવાબદાર વર્તન કરવાની જરૂર છે. જ્યાં અરાજકતા ફેલાય ત્યાં 144ની કલમ લાગુ કરી દેવાથી અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાથી ઉકેલ નથી આવવાનો. શાસક પક્ષ તરીકે ભા.જ.પા.એ એ ગણતરી રાખવી જ પડે કે જો કોમી રમખાણો ધાર્યા કરતાં વધારે ફેલાય તો કઈ દિશામાં જઈ શકે છે, અને તે રોકવા શું કરવું જોઇએ. વળી એક વાર તણખામાંથી ભડકો થાય તો એને બને એટલો જલદી ઠારી દેવા માટે કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ જે થવું જોઇએ એની સૂઝ, સજ્જતા બન્ને હોવા જરૂરી છે. ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાથી કે આમ જનતા – જે રમખાણોમાં રહેંસાય છે તેમની પર મર્યાદાઓ નાખવાથી જે ખેપાનીઓ છે એ અટકવાના તો નથી જ. મણિપુરમાં જે થઇ રહ્યું છે તેને ત્રણ મહિના થયા અને એનો ઉકેલ હાથવગો છે એવું માનવાનું કોઇ કારણ નથી. હરિયાણાના નુહમાં જે થયું છે તે સમયસર કાબૂમાં આવે એ ભા.જ.પા.ની રાજકીય છબી માટે પણ જરૂરી છે.

ભા.જ.પા. માટે આ ઊંચે બંધાયેલા દોરડા પર ચાલવા જેવી સ્થિતિ છે કારણ કે સંઘ પરિવાર સાથે બગાડાય એમ નથી. વળી હિંદી પટ્ટાના ત્રણ રાજ્યોમાં ચૂંટણી માથે છે અને આવતા વર્ષે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી છે. આ બધું માથે હોય ત્યારે ધ્રુવીકરણનો રાવણ ધૂણે, કોમી હિંસા થાય એ ભા.જ.પા.ને ન પોસાય કારણ કે તેની સીધી અસર અર્થતંત્ર પર પણ પડે છે. વળી હરિયાણાનો નૂહ જિલ્લો જે અચાનક જ લોકજીભે ચઢી ગયો છે, ત્યાં આસપાસાના કોર્પોરેટ ઑફિસિઝ ધરાવતાં શહેરો જેવી નોકરીઓ કે સવલતો નથી જ. સાવ કલાકના અંતરે આવેલાં બે સ્થળો વચ્ચે આર્થિક દૃષ્ટિએ આટલો બધો ભેદ હોય ત્યારે તે બન્ને સ્થળોના પ્રશ્નો પણ સાવ જુદા હોય. ગુરુગ્રામ કેન્દ્ર સરકારના આર્થિક સમીકરણોની નજીક છે, ભૌગોલિક રીતે પણ અને ભા.જ.પા. પણ સારી પેઠે જાણે છે કે કોમી હિંસાને જો લાંબી ચાલી જશે તો બધું થાળે પાડતા નાકે દમ આવશે. વળી સાહેબને તો 2002નો અનુભવ પણ છે.

ભા.જ.પા. જો ભારતની સૌથી મોટી રાજકીય પાર્ટી હોય તો તેણે કાયદો અને વ્યવસ્થાને તથા આર્થિક ખાઇને ઓછી કરવાની પહેલને જ અગ્રિમતા આપવી જોઇએ. બીજું કોઇપણ લક્ષ્ય ભા.જ.પા. માટે નિશાન ચૂક સાબિત થઇ શકે છે. ભા.જ.પા.ને પોતાનો હિંદુત્વનો મુદ્દો આગળ વધારવામાં કોઇ ઉતાવળ નથી કરવી, પણ સંઘ જેવી સંસ્થાઓને સ્વાભાવિક રીતે જ આ બાબતો ઝડપથી આગળ વધે એમાં રસ હોય. હિંદુ હિતને સાચવવા માટે કોમી ધ્રુવીકરણ કરવું જરૂરી નથી, કાયદાકીય અને સામાજિક પગલાં લેવાય તો પણ એ તો થઇ જ શકે છે. ધ્રુવીકરણ બે ધારી તલવાર છે અને બન્ને પક્ષે આચરાતી પ્રક્રિયા પણ કારણ કે ભા.જ.પા. વિરોધપક્ષો જ્યારે લઘુમતીને ટેકો આપે ત્યારે દેકારો કરે અને વિરોધપક્ષો સી.એ.એ. સામે અવાજ ઉઠાવે. સરકારે સી.એ.એ.ની વાત આગળ ન વધારી અને સંઘ પરિવારની ફટકી ગઈ કારણ કે તેમને થયું કે આ તો લઘુમતીની ઇચ્છા પ્રમાણે બધું થયું. આવામાં ભા.જ.પા.ને હિંદુત્વના એકીકરણ માટે ધ્રુવીકરણનો ટેકો લેવો પડે છે, પણ વાસ્તવિકતા એ પણ છે કે એક હદ પછી આવું રાજકારણ બહુ લાંબુ ચાલતું નથી.

સારો વહીવટ, મહત્ત્વના આર્થિક મુદ્દાઓ પર કામગીરી, બેરોજગારી જેવા પ્રશ્નોનો ઉકેલ, મોંઘવારી વગેરે પર કામ થશે તો જ અંતે તો નક્કર લાગશે. નારાબાજીથી પેટ નથી ભરાતું, લોકો ભલે કંઇપણ કહે પછી તે નારાબાજી કરનારા હોય કે બૌદ્ધિક ચર્ચા કરનારા કે પછી થોડાઘણા રૂપિયા લઇને પથ્થરમારો કરનારા લોકો હોય – જો તેમની પાસે કામ હશે, તે પોતાનો નિર્વાહ સારી રીતે ચલાવી શકતા હશે, ગજવાં પર બોજ નહીં હોય તો એક સ્વસ્થ સ્વચ્છ લોકશાહીમાં અને લોકશાહી ઢબે જેટલા સવાલ સરકાર સામે થવા જોઇએ એ જ થશે. રેલી, સરઘસ, મૉબ લિન્ચિંગ કે ધ્રુવીકરણમાં આમ જનતાની પ્રાથમિકતા જ નથી. વડા પ્રધાન આ જાણે છે પણ સંઘની ગતિ ક્યારેક સરકારની ગતિ કરતાં વધારે હોય છે એમાં ખાળે ડૂચા અને દરવાજા મોકળા વાળી હાલત થઇ જાય છે.

આ વર્ષે ઓક્સફામના એક રિપોર્ટમાં ભારતમાં પ્રવર્તમાન આર્થિક અસમાનતાની વાત કરાઈ જે કોવિડ-19 રોગચાળા પછી વધી છે. આવકમાં ફેરફાર, સ્થળ અને જાતિ અનુસાર કમાણીનાં સાધનોમાં ભેદ, જી.એસ.ટી.ની સંકુલતા જેવા પાસા આ માટે જવાબદાર છે. ધનિકો વધારે ધનિક બન્યા છે અને ગરીબો વધારે ગરીબ. ધનિકો પર વધુ ટેક્સ લાદવો અને ગરીબો પર ઘટાડવાની કોઈ પહેલ થાય તો સામાજિક-આર્થિક ઉન્નતિની શક્યતા વધે તેવું આ રિપોર્ટમાં સૂચવાયું છે. ભા.જ.પા.એ પણ આ મુદ્દાઓ પર વિચારવાની જરૂર છે. જરૂરી છે કે બ્રાન્ડ ભા.જ.પા. ભાગલા કરે તેવી નહીં પણ સર્વાંગી હોય. આ માટે તેણે પહેલાં તો એક હિંદુ પક્ષ તરીકેની લઘુમતિનું પ્રતિનિધિત્વ કરવાની પોતાની મર્યાદાઓ સમજવી જરૂરી છે.

નૂહમાં જે પણ થયું તેને પ્રથમ દૃષ્ટિએ સ્વીકારવાને બદલે તેને વસ્તુલક્ષી રીતે નાણવું જરૂરી છે.  આ જિલ્લો સંવેદનશીલ માત્ર મુસલમાનોની વસ્તીને કારણે નથી, પણ ત્યાં ઘણાં વર્ષોથી રોહિંગ્યા પણ આવીને વસેલા છે અને તબલિગી જમાતે કટ્ટરપંથી માહોલ પણ ખડો કર્યો છે.  બેરોજગાર યુવકોમાં સરકાર પ્રત્યે રોષ ફેલાવવામાં આમાંના કેટલાક તત્ત્વોએ પણ ભાગ ભજવ્યો છે. જ્યારે શનિ-રવિમાં રમખાણો થયાં ત્યારે પોલીસ અધિકારો પોતાની ફરજ પર હતા જ નહીં, આવી સંવેદનશીલ ‘યાત્રા’ નીકળવાની હોય અને પોલીસની ગેરહાજરી હોય તો તે વહીવટી નિષ્ફળતા છે એ સ્વીકારવું પડે. રોહિંગ્યાઝ, જિલ્લામાં રેઢિયાળ વહીવટ તંત્ર અને આઇ.એ.એસ. અધિકારીઓની ગેરહાજરીએ નૂહમાં લબકી રહેલા અંગારાની આગ બનાવી છે. આવામાં આર્થિક સ્થિરતા અને સમાનતા લાવવા માટે વહીવટની મજબૂત પકડ અને રોજગારીના તક જેવા વિકલ્પો પર સરકાર કામ કરે તો કંઇ ફાયદો થાય.

બાય ધી વેઃ

૨૦૦૨ના રમખાણો પછી ગુજરાતમાં ફરી અશાંતિ ન થાય એ માટે નરેન્દ્ર મોદી અને તેની સરકારે બનતું બધું જ કર્યું છે.  વિશ્વાસની અછત પૂરી કરવી એ કેન્દ્ર સરકાર માટે સૌથી અગત્યનો મુદ્દો હોવો જોઇએ પછી તે પોતાના હિંદુ મતદાતાઓ તરફ હોય કે લઘુમતી માટે હોય. ધ્રુવીકરણ ઘોંઘાટ છે કોઇ પહેલ કે ઉકેલ નથી અને માટે જ ભા.જ.પા.એ ધ્રુવીકરણથી દૂર રહી વહીવટ પર ધ્યાન આપવું જરૂરી છે. આપણે 5 ટ્રિલિયન ડૉલર્સનું અર્થતંત્ર બનવું હોય તો નારાબાજી અને હિંસાથી દૂર રહીને જ બની શકાશે. ધર્મનો હથિયાર તરીકે ઉપયોગ કરતા બધા જ રાજકીય પક્ષોએ અટકવું પડશે કારણ કે ભારતની વિવિધતા તેની શક્તિ છે તેમાં ફૂટ પડાવનારા બધા જ સ્વાર્થી સત્તાધીશો છે જેમને વહીવટમાં એક ટકા જેટલો પણ રસ નથી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ઑગસ્ટ 2023

Loading

આ ધરતી પરનું એક માત્ર દયાજનક પ્રાણી છે માણસ

રમેશ ઓઝા|Opinion - Opinion|6 August 2023

રમેશ ઓઝા

લોકસભાની અને ઉત્તરનાં કેટલાંક મહત્ત્વનાં રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ નજીક છે એટલે કોમી હુલ્લડો તો જાણે થવાનાં છે. કર્ણાટકની વિધાનસભાની ચૂંટણી પહેલાં સતત કોમી હુલ્લડો થતાં હતાં અને ટીપુ સુલતાન ભારતની મોટી સમસ્યા હતી. અત્યારે લોકો ટીપુને ભૂલી ગયા છે અને કોમી હુલ્લડો પણ બંધ થઈ ગયાં છે. કર્ણાટકમાં હિંદુ આવતી ચૂંટણી સુધી સુરક્ષિત છે.

એકની એક ઘટના, એકના એક સ્વરૂપમાં, એકના એક સંજોગોમાં હજાર વાર બને અને છતાં ય લોકો તેને સાચી માને અને દોરવાય એ તો માનવમસ્તિષ્કની કમાલ જ કહેવાય. કૂતરાને તુતુ કરીને બોલાવો અને પછી દોડીને આવેલા કૂતરાને ખાવાનું ન આપો તો એ વધુમાં વધુ બે વાર આવશે અને છેતરાશે, ત્રીજીવાર નહીં આવે. પણ આ ધરતીનું સૌથી અકલમંદ પ્રાણી માણસ વારંવાર આવશે અને છેતરાશે. છેતરાયા પછી પણ છેતરાશે. સાંપ્રત સત્તાકીય રાજકારણ, સાંપ્રત ધર્મકારણ (કે ધાર્મિકતા) અને સાંપ્રત અર્થકારણ માનવીની વારંવાર છેતરવાની અને છેતરાયા પછી પણ માથું ઊંચું રાખીને ફરીવાર છેતરાવાની ક્ષમતા પર આધારિત છે. આ વિરલ ક્ષમતા આ ધરતી પર માત્ર સૌથી બુદ્ધિશાળી પ્રાણી જ ધરાવે છે.

માટે જે. કૃષ્ણમૂર્તિ નામના વીતેલી સદીના અનોખા અને મૌલિક ફિલસૂફે કહ્યું હતું કે માનવીય સંકટનું મૂળ એનાં મસ્તિષ્કમાં છે. માણસ આ ધરતીપરનું એક માત્ર દયાજનક પ્રાણી છે જે પોતાની જાતને છેતરે છે અને જાણતો હોવા છતાં છેતરે છે. છેતરાયા પછી પણ છેતરે છે. સૌથી બુદ્ધિમાન પ્રાણીની આ શોકાંતિકા છે. શા માટે માણસ પોતાની જાતને છેતરે છે, જાણતો હોવા છતાં છેતરે છે અને છેતરાયા પછી પણ છેતરે છે? આનું કારણ છે ભય. માનવી આ ધરતી પરનું અત્યંત અસુરક્ષિત ભયભીત પ્રાણી છે અને એ ટોળાંમાં સુરક્ષા શોધે છે. દેખીતી રીતે જે તે ઓળખનાં ટોળાં રચનારાઓ તેનો લાભ લે છે. ફેર એન્ડ લવલી વાપરનારો એક શાણી જમાતનો સભ્ય છે, તેને ગોરા થતાં આવડે છે, તેને એવો અહેસાસ કરાવવામાં આવે છે; પછી ભલે એ આખી જિંદગી ફેર એન્ડ લવલી વાપર્યા પછી પણ ગોરો ન થાય.

ભારતમાં અંગ્રેજો આવ્યા એ પછી હિંદુ અને મુસલમાનો વચ્ચે કોમી હુલ્લડો શરૂ થયાં. એ પહેલાં ધાર્મિક પ્રશ્ને મનદુઃખ, ઝઘડા કે વિખવાદની ઘટનાઓ બનતી હતી, પણ જેને આપણે હુલ્લડ કહીએ છીએ એવી ઘટનાઓ નહોતી બનતી. મનદુઃખ અને ઝઘડા માનવીય હોય છે, પરિવારમાં પણ આવું બનતું હોય છે, જ્યારે હુલ્લડ શુદ્ધ રાજકીય હોય છે. એની પાછળ એજન્ડા હોય છે. ભારતમાં હિંદુ અને મુસલમાનો વચ્ચે અંતર વધારવાનો અંગ્રેજોનો એજન્ડા હતો. અંતર વધે તો એકતા સ્થાપિત ન થાય અને એકતા સ્થાપિત ન થાય તો પરસ્પર અવિશ્વાસની સ્થિતિમાં આપણું હોવું તેમના માટે અનિવાર્ય બની જાય. બન્ને કોમને એમ લાગવું જોઈએ કે આપણા (અંગ્રેજો) થકી તેઓ સુરક્ષિત છે.

અને એવું બન્યું પણ ખરું. હિંદુ અને મુસલમાનને એક સાથે એક જ ઘટના દ્વારા અસુરક્ષાનો અહેસાસ કરાવવા કોમી હુલ્લડો શરૂ થયાં. કોમી હુલ્લડો માટે આટલી તરકીબ વિકસાવવામાં આવી હતી :

૧. ધાર્મિક જુલૂસ ઉપર પત્થરમારો થાય. 

૨. મસ્જિદની નજીક નમાજને સમયે વાજિંત્ર વગાડવાની ઘટના બને. 

૩. મંદિરમાં ગોમાંસ અને મસ્જિદમાં ડુક્કરનું માંસ ફેંકવામાં આવે. 

૪. ગાયની કતલ કરવાની કે કતલ કરવા લઈ જવાની ઘટના બને. નજર સામે કતલ થાય એ જરૂરી નથી, હાહાકાર થાય એટલું પૂરતું છે.

બસો વરસથી આ ચાર પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે, એક સરખી બને છે, એક હજાર વખત બની હશે અને દરેક વખતે કેટલાક લોકો રસ્તા પર ઉતરી પડે છે. ક્યારેક વળી મંદિર, મસ્જિદ કે ઇદગાહની જમીનને લઈને ઝઘડો પેદા કરવામાં આવે. ભારતમાં કોમી હુલ્લડનું શાસ્ત્ર અને તંત્ર એવું છે જેમાં કોઈ વિકાસ થયો નથી અને છતાં જેને જોઈએ છે તેને ફળ આપે છે. અંગ્રેજોને ફળ મળ્યું અને હવે એ લોકોને ફળ મળી રહ્યું છે જેઓ કોમી રાજકારણ કરે છે.

જે લોકો કોમી હુલ્લડ વખતે ઉશ્કેરાઈ જાય છે તેને ક્યારે ય પ્રશ્ન પણ નહીં થતો હોય કે બસો વરસથી એક સરખાં કારણે, એક સરખાં સંજોગોમાં એક હજાર કરતાં વધુ વખત હુલ્લડો થયાં હશે અને તેમાં કોઈ કોમને આજ સુધી કોઈ ફાયદો નથી થયો પણ કોઈકને જરૂર ફાયદો થઈ રહ્યો છે. એ જ તો ખૂબી છે માનવમસ્તિષ્કની. તેને એવો પણ પ્રશ્ન થતો નથી કે લોકોનો ગુસ્સો કોઈક ત્રીજું નક્કી કરે એટલો સમય ટકે અને સક્રિય રહે. કોઈક ઈચ્છે ત્યારે ગુસ્સો આવે, કોઈક ઈચ્છે ત્યારે ગુસ્સો ભડકે, કોઈક ઈચ્છે એટલો સમય ગુસ્સો ટકે અને કોઈક ઈચ્છે ત્યારે ગુસ્સો શાંત થઈ જાય. વાત એમ છે કે માણસને છેતરાવું ગમે છે કારણ કે તે ભયભીત છે અને તેને ટોળાંમાં રહેવું છે. કોઈ માણસ ક્રીમ લગાડીને ગોરો થયો નથી અને કોઈ માણસને અમુક બ્રેન્ડનું ઓઈલ વાપરવાથી માથામાં વાળ ઉગ્યા નથી, પણ છતાં ય વાપરે છે અને છેતરાય છે. એટલે તો કોમી હુલ્લડનું બસો વરસથી અવિકસિત શાસ્ત્ર હજુ ફળ આપે છે.

માનવી દયાજનક પ્રાણી છે અને ટોળાંનો માનવી હજુ વધુ દયાજનક છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ઑગસ્ટ 2023

Loading

...102030...901902903904...910920930...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved