Opinion Magazine
Number of visits: 9846587
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મામા નાથાલાલ દવેનાં સ્મરણો  

સરયૂ મહેતા-પરીખ|Opinion - Opinion|9 January 2024

ગુજરાતી સાહિત્યના ગાંધીયુગ (૧૯૧૫-૧૯૪૫) દરમિયાન અનેક કવિઓ ગાંધીજીની અસર તળે આવ્યા અને તેની સીધી અસર તેમનાં જીવન-કવન પર પડી. તે સમુદાયમાં ચાર ભાવનગરી કવિજનો કૃષ્ણલાલ શ્રીધરાણી, પ્રેમશંકર ભટ્ટ, પ્રહ્લાદ પારેખ અને નાથાલાલ દવેનો સમાવેષ થાય. ચારેયનો જન્મ ૧૯૧૧-૧૯૧૨ના અરસામાં એટલે તે સૌ સમવયસ્ક.

નાથાભાઈનાં કવયિત્રી ભાણી સરયૂ મહેતા-પરીખ એક કવિજન તેમ જ આત્મજન તરીકે કવિનું અહીં નીજ જીવન દર્શન રજૂ કરે છે.   

— કનક રાવળ

•••

સરયુ મહેતા-પરીખ

અમારું બાળપણ નાનાજી વૈદ ભાણજી કાનજી અને મામાના વિરભદ્ર અખાડા સામેના ઘરમાં પાંગરેલું. નિર્દોષ ભોળી આંખો પૂજ્ય મામાને અહોભાવથી નિહાળતી. એ સમયે ભાવનગરની બહાર હોવાથી, જ્યારે પણ અમારે ત્યાં એ આવતા, ત્યારે ખાસ પ્રેમપૂર્વક મારાં બા તૈયારી કરતાં હોય એ જોવાનો લ્હાવો હતો.

હું આઠેક વર્ષની હતી તે દિવસોમાં મેં ઊભો સોમવાર કરેલો. મામાને લોકોની સમજ્યા વગર અંધશ્રદ્ધાથી વ્રતો કરવાની રીત સામે સખત અણગમો હતો. મારો હાથ ખેંચીને નીચે બેસાડી દેવાની રમત-રકઝકની યાદ આવતાં હજી પણ મારા ચહેરા પર હાસ્ય ફરકે છે. ખાદીનાં સફેદ વસ્ત્રો, ગોરો વાન અને સુંદર ચહેરાવાળા મારા મામા, નવલકથાના નાયક જેવા દેખાતા. ઘણી વખત કવિ સંમેલન, શિબીરમાં કે અમારી શાળામાં કવિતાની સુંદર રજૂઆત પછી શ્રોતા ગણની પ્રશંસા સાંભળીને મામા માટે ગૌરવનો અનુભવ થતો.

પાઠ્યપુસ્તકમાં ‘પિંજરના પંખીની વાત’, ‘મૌસમ આવી મહેનતની’ એમની સહજ ઓળખાણ માટે પૂરતું હતું. વિનોબાજીની ભાવનગરની મુલાકાત વખતે મામાનાં લખેલાં ગીતો ગવાયેલાં. વિરાણી સ્પર્ધા હોય કે અન્ય કોઈ પ્રસંગ, હું મામાની રચનાઓ, ‘અષાઢના તારા રે, આભ ભરીને ઊગિયા શા?’ કે ‘આજ આભમાં આનંદ ના સમાય રે, ઢળે રૂપેરી ચાંદની’ સમાં ગીતો સૌને ગમશે એ વિશ્વાસ સાથે ગાતી.

નાથાલાલ દવે

મારા પતિ દિલીપના કુટુંબમાં મામા ઘણી વખત કાવ્યરસ વહેંચતા અને અમે હજી પણ સાથે ગાઈ ઊઠીએ ‘હવામાં આજ વહે છે ધરતી કેવી ખુશખુશાલી’.

મારાં બા, ભાગીરથી, એક બાલિકા વધૂ, ચાર ચોપડી પણ પૂરી નહીં કરેલ અને ગામડામાં ગૃહ સંસારમાં મૂંઝાતાં હતાં, ત્યારે તેમના ભાઈ કવિ નાથાલાલ દવે બહેન ભાગીરથીને સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચવા મોકલતાં, જે એમને આત્મશ્રદ્ધા અને જાગૃતિના રસ્તે દોરી ગયાં, અને અઢાર વર્ષની ઉંમરે બાએ ફરી ભાવનગરની શાળામાં ભણવાનું શરૂ કરી કોલેજ સુધી અભ્યાસ કરી, હાઈસ્કૂલમાં શિક્ષિકા બન્યાં. નાનાજી અને પરિવારનાં લગભગ બધાં સભ્યોના વિરોધ સામે ટકી રહેવા એમને અમારા મામાનો સતત સહારો હતો.

એક પ્રસંગે હું હતાશ થયેલી ત્યારે મારી સામે સ્થિર નજર કરી મામાએ કહેલું, “Be brave.” એ બે શબ્દો મને ઘણી પરિસ્થિતિઓમાં આજે ય આવીને મનમાં ગુંજતા અને હિંમત આપતા રહ્યા છે.

મામા ક્યારેક બગીચામાંથી ફૂલ લઈ આવી મામીને આપતા કે એમની લગ્નતિથિને દિવસે કંકુની ડબ્બી અને લાલ સાડી આપતાં હોય એવી રસિક પળો જોઈ છે. તેમ જ મામી બપોરે રસોઈમાંથી પરવારીને આવે ત્યારે મામાએ એમને માટે પાથરણું, ઓશિકું, છાપું અને ચશ્માં તૈયાર કરીને રાખ્યાં હોય કે પુત્ર અરવિંદને વાર્તા કહેતા હોય, એવી એવી કાળજીની પળો પણ અનેક જોઈ છે. ધીરુભાઈ-પ્રફુલ્લા, નીરુભાઈ, શારદા, અરવિંદ અને નીપાએ જે રીતે પ્રસન્નતાથી માતા અને નાથામામાની સંભાળ લીધેલી એ કૌટુંબિક સહકારનો અસાધારણ દાખલો છે. પૌત્રી કવિતાએ મામાના જીવનમાં સુખ પાથર્યું છે.

એક સફળ અને સહાનુભૂતિ ભર્યા કવિ હૃદય મામાની સુવાસ મારા અને મુનિભાઈના અંતરમાં સદાય મીઠી યાદ બનીને રહી છે. અમારા જીવનના ઘડતરમાં અમારા નાથાલાલમામાની પ્રેમાળ ઓથને ઈશ્વરકૃપા સમજી આભાર.

રુદિયાથી રુદિયા તણા પાકા થઈ ગ્યા રેણ,
જ્યાં જ્યાં સાજન સંચરે પાછળ ફરતાં નેણ.

°

કવિશ્રી નાથાલાલ દવેના કાવ્યસંગ્રહ ખોલું છું અને વિવિધ વિષયો પરની રચનાઓથી ભાવવિભોર થઈ જવાય છે. મામા જીવનકાળ દરમ્યાન તેમની મૈત્રીભર્યા સ્વભાવને લીધે અનેક પ્રસંગોમાં, સભાઓમાં, પોતાની રચનાઓનો આસ્વાદ આપી ગયા છે… તેનો આનંદ છે.

‘કાલિંદી’ કાવ્યસંગ્રહમાં રાષ્ટ્રકવિ ઝવેરચંદ મેઘાણીના અને ‘જાહ્નવી’માં આચાર્ય ડોલરરાય માંકડના બે બોલ સમાવિષ્ટ છે.

શામળદાસ કોલેજમાં અભ્યાસ અને શરૂઆતની નોકરીના સમયે ભાવનગરમાં તેમને અનેક કવિ મિત્રો હતા. રાષ્ટ્રીયકવિ ઝવેરચંદ મેઘાણી નજીકમાં રહેતા અને મામાના પહેલા કાવ્યસંગ્રહ ‘કાલિંદી’માં તેમની નોંધ છે. કવિ નાથાલાલ દવેના મિત્રોમાં, પ્રજારામ રાવળ, મુકુંદભાઈ પારાશર્ય, હસિત બુચ, ભાનુભાઈ શુક્લ. જો કે, થોડા નામ તેમના મિત્રોની યાદીને ન્યાય નહીં આપી શકે. ૧૯૬૦ની આસપાસ, સંત વિનોબા ભાવેની ભૂદાનયજ્ઞ યાત્રા દરમ્યાન અને સર્વોદય સંમેલનમાં કવિ નાથાલાલનાં ગીતો ગવાતાં. મારી નાનપણની યાદોમાં, નાથાલાલમામા, મારાં બા, કવયિત્રી ભાગીરથી મહેતા, શારદા અને હું સર્વોદય સંમેલન અને ગુજરાતી સાહિત્ય પરિષદમાં અમદાવાદ ગયાં, ત્યારે ઉમાશંકર જોશી અને બીજા ઘણા સાહિત્યકારોને મળતા જોયેલાં.

મામા શાળા અધિકારી હતા અને પછી અન્ય નોકરીને અંગે પરિવાર સાથે બહારગામ રહેતા હોવાથી ભાવનગર રજાઓમાં આવતા. ભાવનગરના ઉનાળાની બપોરે અમે ૯થી ૧૨ વર્ષનાં પિતરાઈ ભાઈ-બહેનો ‘શું કરવું’ની વિમાસણમાં હતાં. ત્યાં, એક દડો હાથમાં આવતા દિવાલ પર ઠોકવાની રમત માંડી. થોડીવારમાં ગુસ્સાભર્યો તોયે … મુલાયમ અવાજ નાથામામાનો આવ્યો, “અરે અત્યારે અમે સૂતા હોઈએ, આમ અવાજ કરવાનો?” અને અમારું ટોળું પાછલાં બગીચામાં ગાયબ થઈ ગયું.

ઘણાને ખબર નહીં હોય, પણ મામા શ્રીઅરવિંદ અને માતાજીનાં પરમ શિષ્ય હતા. તેઓ ઘણી વખત પોંડિચેરી જઈને રહેતા. એ વર્ષ અમારા કુટુંબ માટે મુશ્કેલ હતું. નાના જીવનમામા, જે મુંબઈમાં વકીલ હતા, તેમનું અને છ મહિના પછી નાથામામાના સૌથી મોટા પુત્ર ગોવિંદભાઈનું અવસાન થયેલ. ૨૨ વર્ષના ગોવિંદભાઈ ભાવનગરમાં double typhoid માંદગીમાં સપડાયા. એ સમયે મામા પોંડિચેરી ગયા હતા. બીજે દિવસે જ શ્રી માતાજીએ કહ્યું કે, “તું ઘરે પાછો જા.” મામા આવ્યા અને તેમના હાથમાં ગોવિંદભાઇનું અવસાન થયું. મામાનું ઋજુ હૃદય કુમળી ઉંમરમાં ગુમાવેલ મોટી દીકરી શારદા અને દીકરાની યાદમાં આળું હતું. તેમની બીજી દીકરીને શારદાના પ્રિય નામથી ઓળખીએ અને યાદ કરીએ છીએ.

*

નાથાલાલ દવે વિવિધ સ્થળે નોકરીના માધ્યમથી અનેકના જીવનને સ્પર્શી ગયા. નિવૃત્તિમાં નાથાલાલમામા ભાવનગરમાં સ્થાયી થયા પછી ઘણા કાવ્યસંગ્રહો અને વાર્તાસંગ્રહો પ્રગટ થયા. એ દરમ્યાન પ્રકાશિત ‘અનુરાગ’ કાવ્યસંગ્રહ આમુખમાં ડૉ. ઈશ્વરલાલ દવે લખે છે, “સુકુમાર પુષ્પોથી શોભતી લતા જેવા સૌંદર્યથી મંડિત ‘અનુરાગની’ કાવ્યરચનાઓ પ્રસન્નમધુર મુદ્રાથી અંકિત છે…” કટાક્ષકાવ્ય સંગ્રહ ‘ઉપદ્રવ’ના કવર પર નવલિકા સંગ્રહ ‘શિખરોને પેલે પાર’ વિશે શ્રી યશવંત શુક્લ અને શ્રી પીતાંબર પટેલના પ્રતિભાવો અને આગામી પુસ્તકોની યાદી છે.

મારા લગ્ન બાબત મારા પિતાશ્રીનો સખત વિરોધ હતો, કારણ દિલીપ વાણિયા અને અમે બ્રાહ્મણ! મેં પિતાને નારાજ ન કરવા દિલીપને ‘ના’ લખી દીધી. પરંતુ મામાની પાસે ગઈ તો તેમણે મને પૂછ્યું કે, ‘તારે દિલીપ સાથે લગ્ન કરવા છે?’

‘હા.’ તેમના સીધા સવાલનો મારાથી સીધો જવાબ અનાયાસ અપાઈ ગયો. પછી અમે ગુપ્ત રીતે લગ્નની યોજના કરી. બીજે દિવસે, હું અને ઇલાભાભી ખરીદી કરવા નીકળ્યાં, ત્યારે રસ્તામાં મામા મળી ગયા. મારો રડતો ચહેરો જોઈને કહ્યું, ‘BE BRAVE.’ આ બે શબ્દ મારા જીવનમાં દરેક સંઘર્ષ સમયે હિંમત આપે છે.

મા વગરના ઉછરેલાં, તેથી મોટાભાઈ તરીકે મારા મામાને તેમની નાની બહેન, મારાં બા ભાગીરથી પર વિશેષ સ્નેહ હતો. ભાણેજ મુનિભાઈ નાનપણથી કવિતા લખતા અને નાથુમામા સાથે લાગણીભરી નિકટતા હતી.

મુનિભાઈ વડોદરામાં સ્થાયી થયા અને હું અમેરિકા આવી ગયેલી, તેથી ભાવનગરમાં એકલા રહેતાં મારા બાને મામાની ઘણી હૂંફ રહેતી. મામાની ઉંમર લગભ ૮૦ની હતી, ત્યારે ભૂલી જવાની બીમારી શરૂ થઈ. ઘણીવાર રસ્તો ભૂલી જાય, વગેરે અનેક તકલીફો શરૂ થઈ હતી. બાને ઘરે, દિવસના એક કે બે વખત આવે. બા દૂધનો પ્યાલો આપે તે પીવે. ક્યારેક ફરી આવે, અને કહે કે, ‘ભાગુબે’ન દૂધ?’ બા કહે, ‘ભાઈ, તમે પી લીધું.’ ‘ભલે,’ કહીને ઘરે જતા રહે.

૧૯૯૩માં બાનું વડોદરામાં અવસાન થયું. અમેરિકા પાછા ફરવાનું હતું તેથી હું ભાવનગર મામા અને બીજાં સગાંને મળવા ગઈ હતી. મામા એવા જ શાંત અને ગૌરવવંતા દેખાતા હતા, મને જોઈને અજાણ્યા સાથે વાત કરતા હોય તેમ વાત કરી. મારા એ મામા જે હું અમેરિકાથી આવું કે, વહેલી સવારમાં પહેલા મળવા આવી પહોંચ્યા હોય, કે ગરમ જલેબી અને ગાંઠિયા લઈને આવીને અનેક વખત મને આશ્ચર્યાનંદમાં મૂકી દેતાં … એ મામાને, મારી ઓળખ આપવી …! આંખો સહેજે ભરાઈ આવી.

અઠવાડિયા પછી મુનિભાઈ ભાવનગર ગયા, અને બા ભાગીરથીબહેનનાં માનમાં બેસણું હતું. મામા મુનિભાઈની બાજુમાં નિર્લેપ ભાવે બેઠા હતા અને લોકો પોતાની બહેનને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તે જાણ ન હતી. બાની યાદમાં મુનિભાઈનું દિલ વ્યાકુળ હતું અને તેને મામાના ખભા પર માથું ઢાળી રડવું હતું. પણ બાજુમાં નજર કરી તો ત્યાં એક ખોવાયેલા સજ્જન બેઠા હતા ! મુનિભાઈનું હ્રદય કરુણતાથી તડપી ઊઠ્યું … ‘મારા મામા અહીં નથી.’

ત્યારબાદ, ત્રણ મહિનામાં મામા કવિ નાથાલાલ દવે પરલોકમાં કવિતા લખવા ચાલ્યા ગયા.

•••

મામા દિલથી Ever Young હતા. ૧૯૭૯માં પ્રગટ ‘ઉપદ્રવ’ કાવ્યસંગ્રહનું અર્પણ જોઈએ :

યુવા ગુજરાતને

તમારા ચહેરા ઉપર સ્મિત જે મધુ લહેરાય છે!
નેત્રો મહીં આનંદ કેરી ઝલક ચમકી જાય છે,
એ નિહાળી મન મહીં આશા નવી બંધાય છે,
કે તમારી મહેફિલ માંહે સૂર મુજ સંભળાય છે,
ને આપણી વચ્ચે સમજનો સેતુ એક રચાય છે.

એમની કેટલીક ગમતી કાવ્યકૃતિઓ :

ચાકડો  

કાચી રે માટીના ઘૂમે ઘડુલિયા
ધણી ઘડે જૂજવારે ઘાટ,
વાગે રે અણદીઠા એના હાથની
અવળી સવળી થપાટ—કાચી.

વ્હાલા! શીદને ચડાવ્યાં અમને ચાકડે?
કરમે લખિયા કાં કેર?
નિંભાડે અનગળ અગનિ ધગધગે,
ઝાળું સળગે ચોમેર—કાચી.

વેળા એવી વીતી રે વેદન તણી
ઊકલ્યાં અગનનાં અસ્નાન,
મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે
પાકાં પંડ રે પરમાણ—કાચી.

હરિએ હળવેથી લીધા હાથમાં,
રીજ્યા નીરખીને ઘાટ,
જીવને ટાઢક વળી તળિયા લગી
કીધા તેં અમથા  ઉચાટ—કાચી.

કવિના કાવ્યસંગ્રહ, ‘અનુરાગ’ ૧૯૭૩માં પ્રગટ આ કાવ્ય અંગે મારા ભાઈ મુનિભાઈનું રસદર્શન માણવું ગમશે. વડોદરા સ્થાયી ડૉ. મુનિભાઈ એચ. મહેતાને ‘પદ્મશ્રી’નું બીરુદ મળેલું છે : 

‘જીવનના ચાકડાનું આ ભજન બેનમૂન છે; અને જીવનમાં ડગલે ને પગલે વધુ સમજાતું જાય, ગમતું જાય. માનવીને ઘડનારો દરેકને નવા નવા ઘાટ આપે છે – ચાકડે ચડાવે છે – અવળી સવળી થપાટો મારે છે. અને પ્રત્યેક જીવને થાય છે કે, એવાં દુ:ખ આવે કે લાગે … ‘હે ભગવાન! કેમ આવી કસોટી? કેમ આવી વેદના આપી? ક્યાં છે આનો અંત?’ પણ દુ:ખ અને કસોટીમાંથી ઘડાઈને જ માણસ ‘પાકો’ ઘડો થાય છે. પુરુષાર્થથી માર્ગ કાઢે છે.

ભજનની ચરમ સીમામાં જાણે કોઈ તંબૂર લઈ સંધ્યા ટાણે શાંત સતોષથી ગાતું સંભળાય છે … 

‘હરિએ હળવેથી લીધા હાથમાં, રીજ્યા નીરખીને ઘાટ,
જીવને ટાઢક વળી તળિયા લગી કીધા તેં અમથા ઉચાટ.’

… એવો અનહદ નાદ સૂણાવી જાય છે.

•

રાત થઈ પૂરી ….

રજા ત્યારે હવે દિલબર! અમારી રાત થઈ પૂરી,
મશાલો સાવ બૂઝી, તેલ ખૂટ્યું, વાત થઈ પૂરી,
અમારી રાત થઈ પૂરી.

ભરાયો  જામ રાત્રિનો  ઉપર  તરતા હતા તારા,
ગયા ડૂબી બધા, ડૂબ્યો વળી મહેતાબ આસ્માને,
તમારો કંઠ થાક્યો, ગાન થંભ્યું, વાત થઈ પૂરી,
અમારી રાત થઈ પૂરી.

અનેરી એક રાત્રિની અમે માગી હતી મહોબત,
સવારે તો જવાનું  હા ! જુઓ વાગી રહી નોબત,
અમારી ઊપડી વણઝાર, હારો ઊંટની ચાલી,
અને છેલ્લી હવે પ્યાલી –

હવે છેલ્લી ચૂમી, ને ભૂલવી બેહિસ્તની ઝાંખી,
તમારા પેરની હિના, ગુલાબી હોઠની લાલી,
ભૂલી જાવી બદન કેરી અહા ! અણમોલ કસ્તૂરી,
સમી ખૂશ્બો અને સુરખી, તમારી આંખની ભૂરી,
અમારી રાત થઈ પૂરી.

જુઓ મસ્જિદમિનારે એ ઝલક આફતાબની આવી;
પુકારે બાંગ મુલ્લાં મસ્ત રાગે, વાત થઈ પૂરી,
અમારી રાત થઈ પૂરી.

અમે જઈશું ત્યહાં દિલબર! નહિ સાકી, નહિ શરબત,
ન આ ઝુલ્ફો તણી ખૂશ્બો, નહિ મ્હેફિલ, નહિ લિજ્જત,
અમે મિસ્કીન મુસાફર-ગાનના શોખીન-નહિ ઇજ્જત.
અમારા રાહ  જુદા ને છતાં આ દર્દ કાં થાતું?
તમારા  ગાનમાં ડૂબી જિગર મારું થયું ગાતું,
અને આ વાત  થઈ પૂરી.

[કાવ્ય સંગ્રહઃ  ‘પિયાબિન’  પાના# ૯૬]

•

હવામાં આજ …         

હવામાં આજ વહે  છે ધરતી કેરી ખુશખુશાલી,
મોડી રાતે મેઘ વિખાયો ભાર હૈયાનો કીધો ખાલી  – હવા.

ઝાકળબિંદુ પાને પાને તૂર્ણે તૂર્ણે ઝબકે જાણે
રાતે રંગીન નિહારિકા ધરતીખોળે વરસી ચાલી   – હવા.

રમતાં વાદળ ગિરિશિખરે મધુર નાની સરિત સરે
દૂર દિગંતે અધિર એનો પ્રીતમ ઊભો વાટ નિહાળી     – હવા.

રવિ તો રેલે ન્યારા સોનેરી સૂરની ધારા,
વિશળે ગગનગોખે જાય ગૂંથાતી કિરણ જાળી      – હવા.

મન તો જાણે જુઈની લતા ડોલે, બોલે સુખની કથા,
આજ ઉમંગે નવસુગંધે ઝૂલે એ તો ફૂલીફાલી      – હવા.

[‘પ્રણયમાધુરી’ કાવ્યસંગ્રહ]

••••••

કવિશ્રી નાથાલાલ  દવે  

જન્મ : 03 જૂન 1912 • મૃત્યુ : 25 ડિસેમ્બર 1993 − પિતાઃ વૈદ ભાણજી કાનજી દવે * માતાઃ કસ્તૂરબહેન * પત્નીઃ નર્મદાબહેન − અભ્યાસ: ૧૯૩૪ – બી.એ.; ૧૯૩૬ -એમ.એ.; ૧૯૪૩ – બી.ટી. − 

વ્યવસાય : શિક્ષણક્ષેત્રે શિક્ષક, આચાર્ય તેઓ ૧૯૫૬થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારીના પદ પર રહેલ અને શિક્ષણાધિકારી તરીકે સેવા આપી. છેલ્લે જી.બી.ટી.સી., માંગરોળમાંથી આચાર્ય તરીકે નિવૃત્ત (૧૯૭૦). ‘સરસ્વતી’ (૧૯૫૩–૧૯૫૬) અને ‘જીવનશિક્ષણ’ (૧૯૫૬–૧૯૫૭) એમ બે માસિકોનું તંત્રીપદ સંભાળેલું. કેટલોક સમય ‘ભાવનગર સાહિત્ય સભા’ના મંત્રી. ‘સાહિત્યભારતી’, ભાવનગરના અધ્યક્ષ.

સંયુક્ત કુટુંબનું મધુર વાતાવરણ, સાહિત્યકારોના પરિચય – તેઓની મૈત્રી; કવિવર ટાગોર, મહર્ષિ અરવિંદ અને ગાંધીજીના વ્યક્તિત્વનો પ્રભાવ; ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનું વાચન; સાહિત્યાનુરાગી શિક્ષકોનું પ્રોત્સાહન; સ્વાતંત્ર્ય ચળવળનું ઉત્તેજક વાતાવરણ; સમગ્ર ભારતનાં પ્રાકૃતિક સૌંદર્યસ્થાનોનાં પર્યટનો; સંગીતાદિ કલાઓ પ્રત્યે અભિરુચિ ઇત્યાદિ તેમની સર્જક પ્રતિભાને પ્રભાવિત કરનારાં પરિબળો છે.

નાથાલાલ દવે અનુગાંધીયુગના મહત્ત્વના કવિ-વાર્તાકાર છે. ‘કાલિંદી’ (૧૯૪૨), ‘જાહનવી’ (૧૯૬૧), ‘અનુરાગ’ (૧૯૭૩) અને ‘પિયા બિન’- (૧૯૭૮)નાં કાવ્યોમાં શુદ્ધ કવિતા પ્રત્યેનું વલણ અને સૌંદર્યાનુરાગ અનુભવાય છે. રમ્ય શબ્દચિત્રો, ભાવનું માધુર્ય, છંદો અને ગેય ઢાળો પરનું પ્રભુત્વ તથા લલિતમધુર કાવ્યબાની તેમનાં કાવ્યોને આસ્વાદ્ય બનાવે છે. નર્મમર્મ અને કટાક્ષજનિત હાસ્યથી ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરવામાં તેમનું મૂલ્યવાન પ્રદાન છે, મુખ્યત્વે ‘ઉપદ્રવ’ : ૧, ૨ (૧૯૭૪; ૧૯૭૯) અને ‘હળવે હાથે’(ઉપદ્રવ : ૩, ૧૯૮૨)માં એ કાવ્યો સાંપડે છે. મુક્તકસંગ્રહ ‘મુખવાસ’ (૧૯૮૩); ભક્તિકાવ્યોનો સંચય ‘આનંદધારા’ (૧૯૮૯), કવિવર ટાગોરનાં કાવ્યોના સુંદર પદ્યાનુવાદનો સંગ્રહ ‘રવીન્દ્ર-વૈભવ’ (૧૯૮૬), ‘પ્રીતનો ગુલાબી રંગ’ (૧૯૮૧), ‘ઉપહાર’ (૧૯૮૭), ‘ગાયે જા મારા પ્રાણ’ (૧૯૮૮) અને ‘પ્રણયમાધુરી’ (૧૯૯૧) તેમના અન્ય કાવ્ય-સંગ્રહો છે. જનજાગૃતિ, ચૂંટણી, દેશ-વિદેશની ઘટનાઓ, ગ્રામોત્કર્ષ અને ભૂદાનપ્રવૃત્તિ એ બાબતો પ્રત્યેની તેમની જાગરૂકતા ‘સ્વાતંત્ર્યપ્રભાત’ (૧૯૪૭), ‘જનતાને કંઠે’ (૧૯૫૨), ‘મહેનતનાં ગીત’ (૧૯૫૨), ‘લોકકંઠે’ (૧૯૫૩), ‘ભૂદાન યજ્ઞ’ (૧૯૫૯), ‘સોનાવરણી સીમ’ (૧૯૭૫), ‘હાલો ભેરુ ગામડે’ (૧૯૭૯), ‘ચુનાવ પર્વ’ (૧૯૭૯), ‘ભીની માટીની સુગંધ’ (૧૯૮૧), ‘સીમ કરે છે સાદ’ (૧૯૮૨), ‘જનજાગૃતિનો ઉત્સવ’ (૧૯૮૨), ‘ચુનાવ ચક્રવાત’ (૧૯૮૯) એ સંગ્રહોનાં કાવ્યોમાં તથા ‘વિરાટ જાગે’ (૧૯૪૮) નાટક તેમજ ‘ભૂદાન યજ્ઞ’(સંગીત-રૂપક, ૧૯૫૩)માં પ્રગટ થાય છે.

‘નવું જીવતર’ (૧૯૪૫), ‘ભદ્રા’ (૧૯૪૫), ‘ઊડતો માનવી’ (૧૯૭૭), ‘શિખરોને પેલે પાર’ (૧૯૭૭) અને ‘મીઠી છે જિંદગી’ (૧૯૮૩) તેમના વાર્તાસંગ્રહો છે. વિષયનું નોંધપાત્ર વૈવિધ્ય, રોચક વર્ણનો, પાત્રના સૂક્ષ્મ મનોભાવોનું આલેખન, વાર્તાકથનની સહજ ફાવટ અને સરળ,પ્રવાહી ગદ્ય – એ વિશેષતાઓથી આ વાર્તાઓ અત્યંત રસપ્રદ બની રહે છે.

‘શ્રી અરવિંદયોગદર્શન’ (૧૯૪૨) નલિનીકાન્ત ગુપ્તાના અંગ્રેજી પુસ્તકનો તથા ‘મુદ્રારાક્ષસ’ (૧૯૫૬) હરદયાલુસિંહ લિખિત કથાસારનો અનુવાદ છે. કવિ હરગોવિંદ પ્રેમશંકરનાં ‘રુબાઈયાત અને બીજાં કાવ્યો’ (૧૯૪૬), ‘ચંદ્રગુપ્ત મૌર્ય અને બીજાં કાવ્યો’ (૧૯૪૮) તથા નાટક ‘વેનવધ’(૧૯૪૭)નાં સંપાદનો તેમણે આપ્યાં છે. ‘સાહિત્યપરાગ’ (૧૯૩૮) અને શ્રી અંબાણી સાથે ‘સાહિત્ય પાઠમાલા ૧,૨,૩’ (૧૯૩૮) તેમનાં ગુજરાતી પાઠ્યપુસ્તકોનાં સંપાદન છે. તેમણે ચુનીભાઈ ભટ્ટ અને હીરાબહેન પાઠક સાથે ગ્રામસમાજની સચિત્ર વાચનપોથી ‘ચાલો વાંચતાં શીખીએ’ ૧, ૨, ૩ પણ આપી છે. ‘મોતી વેરાયાં ચોકમાં’ (૧૯૯૩) હાસ્યરસિક ટુચકાઓનું સંપાદન છે. ‘પ્રસ્થાન’ અને ‘ફૂલછાબ’(દૈનિક)માં તેમણે લખેલાં અવલોકનો અગ્રંથસ્થ છે.

તેમની કૃતિઓને આ પ્રમાણેનાં પારિતોષિકો પ્રાપ્ત થયેલાં હતાં : (૧) ગુજરાત રાજ્ય દ્વારા શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ તરીકે પુરસ્કૃત : ‘જાહનવી’, ‘અનુરાગ’; (૨) ૧૯૭૮થી ૧૯૮૪ના ગાળાની શ્રેષ્ઠ હાસ્યકૃતિ તરીકે ‘ઉપદ્રવ’ને ‘હસાહસ’ માસિક દ્વારા પ્રથમ પારિતોષિક; (૩) ‘રવીન્દ્ર-વૈભવ’ને શ્રેષ્ઠ પદ્યાનુવાદ માટે ડૉ. લાખાણી સુવર્ણચંદ્રક, (૪) ‘ભદ્રા’ને ન. મા. સુરતી પારિતોષિક; (૫) ‘શિખરોને પેલે પાર’ને ૧૯૭૦–૧૯૮૦ના દાયકાના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ તરીકે ‘સજની’ વાર્તામાસિક દ્વારા પારિતોષિક, ગુજરાત સરકારનું પારિતોષિક તથા જયંત ખત્રી ઍવૉર્ડ અને પુરસ્કાર; (૬) ‘મીઠી છે જિંદગી’ને પારેખ પુસ્તકાલય, વિસનગર દ્વારા ૧૯૮૩ના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ તરીકે પારિતોષિક.

− સંકલન – મુંજાલ મહેતા બોપલ, અમદાવાદ 

————————————

પ્રતિભાવો :

૧.

જીવન – મૃત્યુ

રૂઠતી પળોને સમેટતી હું  શ્વાસમાં,
દુઃખના દીવામાં સુખવાટ વણી બેઠી છું.

ઘૂઘવતા સાગરમાં નાનીશી નાવમાં,
હળવા હલેસાંથી હામ ધરી બેઠી છું.

ઓચિંતા ભમરાતી ડમરીની દોડમાં,
રજકણ બની અંક આકાશે ઊઠી છું.
અંજળના આંસુથી  આંખોની  આહમાં,
કરુણાનું કાજળ લગાવીને બેઠી છું.

ઉરના સન્નાટામાં  લાગણીના ગીતમાં,
ઝીણા ઝણકારને વધાવીને બેઠી છું.

આવે છે નક્કી, પણ ના કોઈ વાયદા,
ક્યારનીયે મુજને સજાવીને બેઠી છું.

સરી રહ્યો સથવારો મમતાના મેળામાં
આજે અજાણી, પરાઈ બની બેઠી  છું.

જીવન પ્રયાણમાં ને મંગલ માહોલમાં,
હંસ જાય ચાલ્યો, પિંજર થઈ બેઠી છું.
                                       

                                             − સરયૂ પરીખ 

૨. 

તમે, સરયુબહેન, જ્યોત જલાવી રાખી છે; thanks to you. તમે શબ્દને સુંદર દેહ આપ્યો છે. પૂ. પપાજીનાં વ્યક્તિત્વને શબ્દોથી જીવંત કરી દીધું છે. ખૂબ ખૂબ આભાર. પૂ. પપાજી અનેકવાર મને કહેતા કે સુંદર વાંચો, વિચારો ને સુંદર મૌલીક લખો. 

− નીપા અરવિંદ દવે

Austin, Texas.    
e.mail : SaryuParikh@yahoo.com
https://saryu.wordpress.com

Loading

માસ્તરો છે, મજૂરો નથી !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 January 2024

રવીન્દ્ર પારેખ

કોણ જાણે કેમ પણ, ગુજરાતનાં શિક્ષણ મંત્રીઓની, વાઇસરોય જેવી માનસિકતા બદલાતી નથી. આમ તો તેઓ વિનંતીઓ જ કરતા હોય છે, પણ તેનું ‘ગુજરાતી’ હુકમથી થોડુંક જ છેટું રહી જતું હોય છે. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અધ્યાપક રહી ચૂક્યા છે, પણ સૌથી વધુ અનુદાર તેઓ કદાચ શિક્ષકો પરત્વે છે. રાજ્યમાં 32,000 કાયમી શિક્ષકોની ઘટ તો શિક્ષણ વિભાગ જ બતાવે છે, પણ તે ઘટ પૂરવાને બદલે, મંત્રીઓ, છે તે શિક્ષકોને બીજી જવાબદારીઓમાં જોતરીને, વર્ગશિક્ષણથી દૂર કેમ રાખી શકાય તેની જ વેતરણમાં રહેતા હોય છે. શનિવારના જ સમાચાર છે કે રાજ્યના શિક્ષકો હવે પ્રાકૃતિક ખેતીની પ્રચાર-પ્રસારની કામગીરીઓમાં જોતરાશે. રાજ્યના શિક્ષણ મંત્રી ડિંડોરે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માસ્તરોનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે ને એ કામ અંગે તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે વિચાર વિમર્શ પણ કર્યો છે. એ બેઠકમાં વિવિધ શિક્ષક સંઘના હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા. આ હોદ્દેદારોને શિક્ષકોના ઉપયોગ સામે કોઈ વાંધો હોય એવું જણાયું નથી, એટલે તેઓ આ યોજનામાં સંમત હશે એવું માની શકાય. બને કે આમાં ‘સંઘ’ જ સંડોવાયો/સંડોવાયા હોય.

આવો જ બીજો ઉપક્રમ થોડા જ દિવસો પર અન્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ યોજ્યો છે. બન્યું એવું કે 2024ની શરૂઆતના પહેલા જ દિવસે દ્વારકાના રાણ ગામની અઢી વર્ષની દીકરી 100 ફૂટ ઊંડા બોરવેલમાં અકસ્માત ઊતરી જતાં, પ્રયત્ન છતાં બચાવી ન શકાઈ. એ વાતે વ્યથિત શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શિક્ષકોને ‘ગુરુજન’ કહીને એવો જાહેર વિનંતિપત્ર લખ્યો કે રાજ્યના અઢાર હજાર ગામડાંની ખુલ્લી જગ્યામાં આવેલા બિન ઉપયોગી બોર ખોળી કાઢી એને બંધ કરવાનું કામ ગુરુજનો ઉપાડી લે. આમ તો આ વિનંતી છે, પણ ‘ઉપાડી લ્યો’માં હુકમની ગંધ આવે છે. એ વાત જવા દઈએ ને આ વિનંતી જ હોય તો પણ, એ શિક્ષકોને કરવાની ન હોય, કારણ એ કામ શિક્ષકોનું નથી. બીજી વાત એ કે બોરવેલમાં પડી જવાની અનેક ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં, તેનો કાયમી ઉકેલ શોધવાને બદલે, શિક્ષકોમાં એનો ઉકેલ શોધવાનું, કોઈની ગરિમા જાળવનારું પણ નથી. ‘ગુરુજનો’ કહીને વિનંતી કરવાથી કોઈનું અપમાન ન થાય એવું નથી. અંગ્રેજો અપમાનિત કરવા વધુ વિવેકી થતા. કોઈ અતિવિવેકી થઈને કોઈ મંત્રીને, બોરવેલ શોધવાનું ને પૂરવાનું કહે ને એ જેમ, એવું કહેનારને ન શોભે એમ જ શિક્ષણ મંત્રી વિવેકી થઈને શિક્ષકો પાસેથી મજૂરોનું કામ લેવાની વાત કરે એ પણ અશોભનીય છે.

શિક્ષકોનું કાર્ય વર્ગશિક્ષણનું છે. કાયમી શિક્ષકોની ઘટને લીધે વર્ગશિક્ષણ (અ)ખાડે ગયું છે. કેટલી ય શાળાઓ એકાદ શિક્ષકથી જ ચાલે છે, એ સંજોગોમાં હજારો લાયકાત ધરાવતા શિક્ષકો નોકરીની રાહમાં બેઠા હોય ત્યારે, એવા શિક્ષકોને નિમણૂક આપીને વર્ગશિક્ષણ સુધારવાને બદલે શિક્ષણ વિભાગ શિક્ષકોને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં જોતરે એ શિક્ષણના હિતમાં કઈ રીતે છે તે સમજાતું નથી કે પછી ઈતર પ્રવૃત્તિ એ જ શિક્ષણ – એવી કોઈ વ્યાખ્યા નવી શિક્ષણ નીતિએ આપી છે? એવું હોય તો તેનો ખુલાસો શિક્ષણ વિભાગે કરવો જોઈએ.

શિક્ષકોની ઘટ વચ્ચે, વર્ગશિક્ષણ જોખમાતું રાખીને, શિક્ષકોને વધારાની 14 કામગીરીઓની વર્ષોથી ફરજ પડાય છે. શિક્ષકોને એટલા હાથવગા રાખવામાં આવે છે કે ચૂંટણી, વસ્તી ગણતરી, રસીકરણ જેવામાં ગમે ત્યારે ધકેલી શકાય. વચમાં તો મહામારી રોકવા કે તીડ ઉડાડવાં કે વસ્તી નિયંત્રણ અંગેનાં કામોમાં પણ શિક્ષકોને મોકલાતા હતા, પરિણામે વર્ગશિક્ષણ ખોરવાતું રહેતું હતું. આવામાં શિક્ષણ જ સરખું અપાતું ન હોય, ત્યાં ગુણવત્તાયુક્ત શિક્ષણની તો વાત જ શું કરવાની? એટલું છે કે શિક્ષકો શિક્ષણેતર કાર્યો કમને કરે છે કે ક્યારેક વિરોધ પણ કરે છે, પણ તેમનું કૈં ઉપજતું નથી. ઉપજતું એટલે નથી, કારણ કે તેમનાં યુનિયનના જ કેટલાક હોદ્દેદારો, ઉપરી અધિકારીઓની રહેમ નજરનો લાભ ખાટવા ઉપયોગ શિક્ષકોનો કરે છે. ટૂંકમાં, શિક્ષકોએ સરકારથી તો ખરું જ, યુનિયનથી પણ ડરવાનું આવે છે. તેઓ એવી ગ્રંથિથી પીડાય છે કે શિક્ષકથી ભણાવાય કે ન ભણાવાય તો પણ, ચૂંટણી, વસ્તી ગણતરી જેવાં કામો તો કરવાનાં જ છે ને ડરના માર્યા તેઓ તે કરે પણ છે.

આમ તો છેક 2003માં પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ શિક્ષણેતર કામો શિક્ષકો પાસેથી ન લેવાનો પરિપત્ર કરેલો છે, તે પછી એવો જ પરિપત્ર 2005માં શિક્ષણ વિભાગે પણ કરેલો છે. એ ઉપરાંત 2007થી સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપેલો છે કે વસતિ ગણતરી, ચૂંટણી કે રાષ્ટ્રીય આપત્તિ વખતે શિક્ષકોને ત્યારે જ કામે લગાડવા કે અન્ય કોઈ વિકલ્પ બચ્યો ન હોય. રાઇટ ટુ એજ્યુકેશનમાં પણ 2011માં એવી જોગવાઈ હતી કે બિનશૈક્ષણિક કામગીરીમાં શિક્ષકોનો ઉપયોગ ન કરવો કે 2014માં સરકારનાં શિક્ષણ વિભાગે પણ બિનશૈક્ષણિક કામગીરીમાં શિક્ષકોનો ઉપયોગ ન કરવા અંગે પરિપત્ર કરેલો છે, પણ, હજારો શિક્ષિત બેકારોનો આવાં કામો માટે ઉપયોગ કરવાનો વિકલ્પ હાથવગો હોવા છતાં સરકારને આવાં કામો માટે કેવળ શિક્ષક જ દેખાય છે. વર્ગશિક્ષણની કોઈ ચિંતા શિક્ષણ વિભાગે ભાગ્યે જ કરી છે ને કેટલાક શિક્ષકો પણ એવી ચિંતામાં બહુ પડતાં નથી, પણ જેમને બાળકોનું હિત હૈયે વસે છે તેઓ શિક્ષણેતર કામગીરીથી કચવાય છે ને આનો વિરોધ પણ કરે છે, પણ તેમનું ઉપજતું નથી.

ગયા જૂનમાં જ મોરબી જિલ્લાના શિક્ષકોએ રાજ્ય કારોબારીમાં 24 જેટલા પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમાં આચાર્યોની ઓનલાઈન કામગીરી ઓછી કરવા અંગેની રજૂઆત સિવાય શિક્ષણેતર કામગીરી અંગે બીજી રજૂઆતો થઈ ન હતી. આવું જ થાય છે. શિક્ષકોને અસર કરતી બાબતો અંગે રજૂઆત કરવામાં તેમના સંઘ મોળા પડે છે ને શિક્ષકોને માથે, નોકરીની ચિંતા જ લટકતી રહે છે.

વધારામાં ત્રીજી જાન્યુઆરીએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સૂરતમાં એવી ફરિયાદો ઊઠી છે કે મુખ્ય શિક્ષકો પિરિયડ લેવા વર્ગમાં જતાં નથી કે દૈનિક નોંધપોથી પણ લખતા નથી, એટલે શિક્ષણનું ભારણ અન્ય શિક્ષકો પર વધે છે ને એ સ્થિતિમાં તેમણે એક કે એકથી વધુ વર્ગો સંભાળવાનું આવે છે. એની સીધી અસર બાળકોનાં શિક્ષણ પર પડે છે. આમાં ચિત્ર એવું ઊભું થાય છે કે આચાર્યોને જાણે વર્ગશિક્ષણ અનુકૂળ આવતું નથી ને તેમને શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં જ રસ છે. એ પણ છે કે કેટલાક આચાર્યો ત્રણ પિરિયડ લે છે, એટલે ત્યાં શિક્ષકો પરનું ભારણ ઓછું રહે છે. જો કે, આ બાબતે સમિતિ કે શાસન એઝ યુઝવલ પૂરેપૂરા બેપરવા છે, પરિણામે શિક્ષકો અને આચાર્યો વચ્ચે ચડભડ ચાલ્યા કરે છે. એમ પણ લાગે છે કે શિક્ષકો અને આચાર્યો વચ્ચેનો પૂર્વગ્રહ પણ ક્યાંક ભાગ ભજવતો હોય. આચાર્યો મનમાની કરતાં હોય ને શિક્ષકોને ફરિયાદનું કારણ મળે એ શક્ય છે, બીજી તરફ આચાર્યોની વહીવટી જવાબદારીઓ જ એટલી હોય કે તે પરિપત્રોનો જવાબ આપવામાંથી કે ડેટા ભરવામાંથી જ ઊંચા ન આવતા હોય. પરીક્ષાનું, ઇન્સ્પેક્શનનું, પગાર પત્રક બનાવવાનું, વાલીઓના પ્રશ્નોનાં નિરાકરણનું કામ એટલું પહોંચતુ હોય કે ઈચ્છા છતાં આચાર્યોથી વર્ગમાં જવાતું ન હોય. એ સ્થિતિમાં આચાર્યનો વાંક કાઢવાનું યોગ્ય નથી. એ પણ સાચું કે આવા સંજોગોમાં શિક્ષકોનું વર્ગ સંભાળવાનું કામ પણ વધતું હોય. આવું હોય ત્યાં વધારાનો શિક્ષક સમિતિએ ફાળવવો જોઈએ, એવી જોગવાઈ પણ છે, પણ ખાટલે મોટી ખોડ એ કે કાયમી શિક્ષકોની ઘટ પૂરવાની જ સરકારની દાનત ન હોય, ત્યાં વધારાના શિક્ષકની તો અપેક્ષા જ શું રાખવાની?

આવી સ્થિતિમાં શિક્ષકો ને આચાર્યો કામ જ જેમ તેમ કરતાં હોય, ત્યાં શિક્ષણ મંત્રીઓ પ્રાકૃતિક ખેતીમાં કે બોરવેલ પૂરવામાં શિક્ષકોને જોતરવાની વાત જરા ય સંકોચ વગર કરતા હોય તો એમના વિવેક પર ભરોસો ક્યાંથી બેસે? સાચું તો એ છે કે એ વિવેક જ નથી, બલકે, શણગારાયેલો અવિવેક જ છે. વાસ્તવિક પરિસ્થિતિનો શિક્ષણ વિભાગને શરૂથી જ ખ્યાલ નથી. ખ્યાલ હોય તો કોઈ લવારે ચડે જ શું કામ? એમાં કોઈ શંકા નથી કે આખો શિક્ષણ વિભાગ તુક્કાઓમાં, દીવાસ્વપ્નોમાં ને શોષણમાં રાચે છે. એ દુ:ખદ છે કે ગુજરાતમાં શિક્ષણ અને શોષણ એકબીજાનાં પર્યાય થઈને રહી ગયાં છે ને એનો ભોગ નિર્દોષ બાળકો થઈ રહ્યાં છે. આવામાં ફરિયાદ પણ કોને કરવી, જ્યાં વાડ જ ચીભડાં ગળતી હોય …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 જાન્યુઆરી 2024

Loading

જો નવું અપનાવવું હોય તો ગળથૂથીમાં મળેલું છોડવું પડે, જે ઘડીકમાં છૂટતું નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|7 January 2024

કેટલાંક ગુણલક્ષણો કુદરત પાસેથી મળે છે અને કેટલાક સમાજ પાસેથી. પણ એક વિકલ્પ એ છે જે કુદરત કે સમાજ પાસેથી જે નથી મળતું, પણ આપણા માટે હિતકારી છે એ સ્વપ્રયત્ને અપનાવવું અને છોડવું

રમેશ ઓઝા

કેટલાંક સ્વભાવ લક્ષણો આપણે લઇને જન્મીએ છીએ. જેમ કે ભય, ક્રોધ, લોભ, મોહ, પ્રેમ, મૈથુન વગેરે. વતાઓછા પ્રમાણમાં દરેક મનુષ્યમાં આ લક્ષણો હોય છે. કેટલાંક લક્ષણો આપણો જન્મ જે સ્થળે, જે સમયે (જ્યોતિષની પરિભાષામાં નહીં) જે પરિવારમાં અને જે સમાજમાં થયો હોય ત્યાંથી જન્મતાની સાથે ધીરે ધીરે મળવા લાગે છે. ગુજરાતી ભાષામાં આને ગળથૂથીમાં મળેલાં લક્ષણો કહીએ છીએ. હિન્દુના ઘરમાં જન્મેલું બાળક હિન્દુ બને અને મુસલમાનનાં ઘરમાં જન્મેલું બાળક મુસલમાન બને. આ જે બનવાની પ્રક્રિયા છે એ સંસ્કાર છે અને તે ચોક્ક્સ સામાજિક પરિવેશમાંથી એની મેળે આપોઆપ વગર પ્રયાસે મળવા લાગે છે. આપણે કેટલી બધી ચીજો માટે ગર્વ અનુભવીએ છીએ? હિન્દુ હોવા માટે, મુસલમાન હોવા માટે, જૈન હોવા માટે, બ્રાહ્મણ હોવા માટે, ચોક્કસ પ્રકારનાં બ્રાહ્મણ હોવા માટે, પટેલ હોવા માટે, લેઉઆ પટેલ હોવા માટે, ગુજરાતી હોવા માટે, ભારતીય હોવા માટે, પુરુષ હોવા માટે વગેરે વગેરે. આમાં ચોક્કસ પરિવેશમાં થયેલો જન્મ નિર્ણાયક હોય છે, આપણો એમાં કોઈ પુરુષાર્થ હોતો નથી. બ્રાહ્મણ માતાની કોખે જન્મેલો જીવ બ્રાહ્મણ હોવા માટે ગર્વ અનુભવશે પણ જો તે દલિત માતાની કોખે જનમ્યો હોત તો તે બ્રાહ્મણોની નિંદા કરતો હોત. ટૂંકમાં ચોક્કસ પરિવેશજન્ય સંસ્કારોનો લેપ એની મેળે ચડવા લાગે છે અને આપણે તેને આપણા જીવનનો અવિભાજ્ય હિસ્સો માનવા લાગીએ છીએ. તેને માટે પ્રાણ લેતાં અને પ્રાણ આપતાં પણ કેટલાક લોકો સંકોચ કરતા નથી. પણ યાદ રહે, આમાં તમારો કોઈ પુરુષાર્થ નથી, એ એક અકસ્માત છે.

હવે તમે જો ધર્મોનો અભ્યાસ કર્યો હશે તો એમાં જોવાં મળ્યું હશે કે ધર્મગ્રંથો અને ધર્મગુરુઓ જન્મ સાથે સ્વભાવમાં મળેલાં લક્ષણોની વાત કરશે પણ કૌટુંબિક સામાજિક પરિવેશમાંથી મળેલાં લક્ષણોની વાત લગભગ નહીં કરે. તેઓ લોભ, મોહ, ક્રોધ, વિષયાક્તિ છોડવાની વાત કરશે અને તે સાથે પ્રેમ કરવાની વાત કરશે, અહિંસાની વાત કરશે, કરુણાની વાત કરશે, સત્યની વાત કરશે. ઊલટું કેટલાંક હિંદુ ધર્મગ્રંથો અને ધર્મગુરુઓ તો કહે છે કે આ ધરતી પર શ્રેષ્ઠ ભૂમિ ભારતવર્ષ છે, એમાં શ્રેષ્ઠ હિન્દુ છે, હિંદુઓમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ પુરુષ છે. જેણે આગલા જન્મમાં પૂણ્ય સંચિત કર્યું હોય તેને જ માત્ર ભારતમાં હિન્દુ બ્રાહ્મણ પુરુષ તરીકે જન્મ મળે છે. પ્રમાણ માટે અહીં હું આદિ શંકરાચાર્યનાં પ્રસિદ્ધ ‘વિવેકચૂડામણી’નો બીજો શ્લોક ટાંકું છું : 

जंतूना नरजन्म दुर्लभमत: पुंस्त्वं ततो विप्रता

तस्माद्वैदिकधर्ममार्गपरता विद्वत्तमस्मात्परम् ।

आत्मानात्मविवेचनं स्वनुभवो ब्रह्मात्मना संस्थिति:

मुक्तिर्नो शतजन्मकोटिसुकृतै: पुण्यैयविना लब्धते ।। 

(જીવોમાં નરજન્મ (નર, નારી નહીં) દુર્લભ છે અને એમાં વળી બ્રાહ્મણ નર અને એ પણ વૈદિક ધર્મ પાળનારો નર હોય અને તે જો શાસ્ત્રાભ્યાસ કરીને આત્મા અનાત્મા વચ્ચે વિવેક કરી શકતો હોય અને બ્રહ્મમાં લીન રહેતો હોય તો તો પૂછવું જ શું! આવું ભાગ્ય शतजन्मकोटि સો કરોડ જન્મોમાં સારાં કૃત્યો મળે તેને જ મળે) 

શંકરાચાર્ય કહે છે કે આત્મા અનાત્મા વચ્ચે વિવેક કરી જાણનારો અને બ્રહ્મમાં લીન રહેનારો પાછો વૈદિકધર્મી બ્રાહ્મણ નર તો હોવો જ જોઈએ. બ્રહ્મલીન વૈદિકધર્મી, બ્રાહ્મણ અને પુરુષ એમ ત્રણ લાયકાત ધરાવતો હોવો જોઈએ. આ વિસંગતી છે અને આવી વિસંગતતા દરેક ધર્મમાં જોવા મળશે. ધર્મ, ધર્મગ્રંથો અને ધર્મગુરુઓ માનવીએ રચેલાં સંસ્કારજગતને માન્યતા આપે છે.

તો વાતનો સાર એ કે ધર્મગ્રંથો અને ધર્મગુરુઓ ઈશ્વરે આપેલાં સ્વભાવલક્ષણોને વધારવા ઘટાડવાની વાત કરે છે પણ સામાજિક પરિવેશમાંથી એટલે કે ગળથૂથીમાં મળેલાં લક્ષણોનો પુરસ્કાર કરે છે.  સ્ત્રી પુરુષની સેવા કરે એ તેનો ધર્મ છે, અછૂત સવર્ણોની સેવા કરે એ તેનો ધર્મ છે, બ્રાહ્મણને ભૂદેવ તરીકે પૂજ્ય ગણવા એ ગૈર બ્રાહ્મણોનો ધર્મ છે અને સ્વર્ગ ચોક્ક્સ ધર્મનો સ્વીકાર કરવાથી જ મળે એ વિધર્મીઓ સ્વીકારે એ તેમનો ધર્મ છે અને એમાં જ તેનું કલ્યાણ છે. કોઈ પણ ધર્મના ગ્રંથો અને ધર્મગુરુઓના વચનો જોઇ જાવ, દરેક જગ્યાએ એક કે બીજા સ્વરૂપમાં આ વાત જોવા મળશે.

આમ કેટલાંક ગુણલક્ષણો કુદરત પાસેથી મળે છે અને કેટલાક સમાજ પાસેથી. પણ એક ત્રીજો વિકલ્પ પણ છે અને એ છે જે કુદરત કે સમાજ પાસેથી જે નથી મળતું, પણ આપણા માટે હિતકારી છે એ વિવેક કરીને સ્વપ્રયત્ને અપનાવવું અને છોડવું. જો કુદરત કે પરિવેશ એ બંનેમાંથી કોઈ જગ્યાએથી ન મળતું હોય તો તેને વિકસાવવું. જેમ કે દરેક પ્રકારની સમાનતા, ન્યાય, એક માણસે બીજા માણસને આપવો જોઇતો માનવીય આદર, પોતાનો નિર્ણય પોતે લેવાનો અને પોતે ઇચ્છે એ મુજબ જિંદગી જીવવાનો અંગત માનવીય અધિકાર, ભિન્ન વિચાર સાંભળવા જેટલી સહિષ્ણુતા, દાદાગીરીની જ્ગ્યાએ સંવાદ, કોઇ પણ સમાજવિશેષ અને તેની માન્યતાઓથી નિરપેક્ષ માત્ર નાગરિકને કેન્દ્રમાં રાખતું હોય એવું માનવકેન્દ્રી તેમ જ માનવલક્ષી જવાબદાર રાજ્યતંત્ર વગેરે ગુણો નથી માણસ લઈને જન્મતો કે નથી તે જન્મ સાથે ગળથૂથીમાં મળતાં. આ મૂલ્યો અપનાવવાં પડે છે અને એ પણ સમજીવિચારીને પ્રયાસપૂર્વક.

હવે બને છે એવું કે પુરુષ ભગવાને બનાવ્યો અને પુરુષ શ્રેષ્ઠ છે અને સ્ત્રીએ પુરુષનો હુકમ પાળવો જોઈએ એ સમાજે શીખવાડ્યું, પણ માનવતાવાદીઓ કહે છે કે સ્ત્રી અને પુરુષ સમાન છે. તેઓ પુરુષને શ્રેષ્ઠ હોવાની પુરુષગ્રંથિ છોડવાની અને સ્ત્રીઓને ખુદ્દારી સાથે જીવવાની સલાહ આપે છે. આવી જ સલાહ તેઓ બ્રાહ્મણોને અને દલિતોને આપશે. તેઓ પુરુષપ્રધાન સમાજની જગ્યાઓ માનવીય સમાજ રચવાની વાત કરે છે.

પણ આમાં કેટલાકનો ગરાસ લૂંટાય છે અને એટલે તેઓ અસ્મિતાનો આશારો લઈને અસ્મિતાઓનું રાજકારણ કરે છે. અસ્મિતાઓનો આશારો લેનારાઓ માનવીય ગૌરવને નકારતા હોય છે.

આ સાવ નવી વાત છે જે નથી કુદરત પાસેથી મળતી કે નથી ગળથૂથીમાં મળતી પણ વ્યાપક માનવીય હિત માટે માનવીએ વિવેક કરીને વિચારીને વિકસાવી છે. છેલ્લાં પાંચસો છસો વરસ દરમ્યાન માણસે આ મૂલ્યો વિકસાવ્યાં છે જેને આધુનિક માનવીય મૂલ્યો તરીકે ઓળખાવવામાં આવે છે.

અહીં આપણી સામે સમસ્યા પેદા થાય છે. જો નવું અપનાવવું હોય તો ગળથૂથીમાં મળેલું છોડવું પડે અને જે છોડવાનું છે એ આપણી અંદર ઊંડે સુધી ધરબાયેલું છે. ડીપ કાસ્ટીંગ થયેલું છે. ઘડીકમાં છૂટતું નથી. વિશ્વમાં આધુનિક માનવમૂલ્યો વિકસ્યાં ત્યારથી માણસ જાત સાથે ઝઘડી રહ્યો છે. કેટલાક લોકો ધરાર છોડવા માગતા નથી. કેટલાક લોકો આધુનિકતાનો પ્રતિકાર કરે છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 07 જાન્યુઆરી 2024

Loading

...102030...885886887888...900910920...

Search by

Opinion

  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved