Opinion Magazine
Number of visits: 9553023
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

GSTમાં રાહત આભાસી છે …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 September 2025

રવીન્દ્ર પારેખ

22 સપ્ટેમ્બર, 2025થી GST(ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ)માં 5 અને 18 ટકા એમ, બે જ સ્લેબ લાગુ થતાં સર્વત્ર રાહત રાહતનાં ઢોલનગારાં વાગી રહ્યાં છે ને સરકારે નવરાત્રિ સુધારી દીધી હોય તેવું વાતાવરણ છે. એ ખોટું છે, એવું નથી. 12 ટકા અને 28 ટકાના GST દરો નીકળી જતાં ટેકસનો બોજ ઘટ્યો છે એની ના જ નથી. વેપારી વર્ગને રાહત થઈ છે, તો ચીજવસ્તુઓમાં ભાવમાં ઘટાડો થતાં સામાન્ય લોકોને પણ સસ્તું મળવાની આશા બંધાઈ છે. સરકારે કયાં કારણે આ કર્યું એમાં ન પડીએ તો પણ, સરકારે એ કર્યું તે હકીકત છે. વડા પ્રધાને એમાં વધુ રાહત આપવાના સંકેતો પણ આપ્યા છે, તો એની રાહ જોઈએ. લોકોને તો ટેક્સમાં રાહત જોઈએ જ છે ને એ સાથે જ કર ભરવાની વિધિમાં પણ સરળતા રહે તે અપેક્ષિત છે.

જો કે, ખાટલે મોટી ખોડ તે પ્રજા તરીકે આપણી પ્રમાણિકતાની છે. વેપારી વર્ગ પોતે રાહત મેળવવા માંગે છે, પણ એનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માંગતા નથી. કારમાં ખરીદી નીકળી છે ને તેમાં ઘટેલા ટેક્સની અસર પણ જોવાય છે. આ ખરીદી નીકળવાનું એક કારણ આવી રહેલા તહેવારો પણ છે, એટલે ભાવ ઘટ્યા ન હોત તો પણ તહેવારોની ખરીદી તો નીકળી જ હોત ! ફરિયાદો એવી પણ છે કે લોકોને ઘટેલા GST દરનો લાભ મળી રહ્યો નથી. ઘણી વસ્તુઓ જૂના-મોંઘાં ભાવે જ વેચાઈ રહી છે. વેપારીઓની એક દલીલ એવી છે કે GST ઘટ્યો એ પહેલાં સ્ટોક, જૂના ભાવે ખરીદી લેવાયેલો. એને ઘટેલા દરોનો લાભ ન મળ્યો હોય તો એ વસ્તુઓ સસ્તી શું કામ વેચે? દેખીતું છે કે એ સ્ટોક તહેવારોને ધ્યાનમાં રાખીને ખરીદ્યો હશે, એટલે એ તો તહેવારો પૂરા થાય ત્યાં સુધી મોંઘા ભાવે જ વસ્તુઓ વેચશે. બને કે લોકોને GST ઘટાડાનો લાભ તહેવારોમાં નહીં મળે. નવો સ્ટોક ઘટેલા દરે ખરીદાય ને વેપારીઓ ભાવ ઘટાડે તો નસીબ ! એ કોણ જોવા જવાનું છે કે નવો સ્ટોક જૂના ને મોંઘા ભાવે નહીં જ વેચાય? ઘણીવાર તો એવું લાગે છે કે ભારત એક મેદાન છે, જેમાં નાનાં-મોટાં, ગરીબ-તવંગર, અર્થશાસ્ત્રી-અનર્થશાસ્ત્રી, પ્રજા-સરકાર બધાં જ રમે છે ને બધાં જ એકને મૂર્ખ બનાવી, પોતાની તિજોરી છલકાવે છે. ગરીબની તો તિજોરી જ નથી, પણ તે અમીર થવાના વ્હેમમાં શિકાર થતો રહે છે.

GST કલેકશનના આંકડા સરકાર વખતોવખત જાહેર કરતી રહે છે. જેમ કે, ઓગસ્ટ મહિનામાં GSTનો આંકડો 1.86 લાખ કરોડ રૂપિયા હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 6.5 ટકા વધુ છે. GSTનું સૌથી મોટું કલેક્શન એપ્રિલ, 2025નું 2.37 લાખ કરોડ હતું. નાણાંકીય વર્ષની વાત કરીએ તો 2024-2025માં GST કલેક્શન 22.08 લાખ કરોડ હતું, જે ગયા વર્ષની તુલનામાં 9.4 ટકા વધારે છે. 2020-2021માં ગ્રોસ કલેક્શન 11. 37 લાખ કરોડ હતું. જોઈ શકાશે કે કલેક્શન છેલ્લાં વર્ષમાં લગભગ ડબલ થઈ ગયું છે.

ગુજરાતની વાત કરીએ તો 2024-2025માં તેની GSTની આવક 73,280 કરોડ હતી. હવે GST 5 ટકા અને 18 ટકા થઇ જતાં, દેખીતું છે કે સરકારની કમાણી ઘટે. હજી તો GST ઘટાડાની અસર વર્તાવી માંડ શરૂ થઈ છે, ત્યાં સરકારે રડવાનું શરૂ કરી દીધું છે કે સ્લેબ બે જ રહેતાં કમાણી 10,000 કરોડ જેટલી ઘટી જશે. એ સાથે જ સરકાર એવું પણ માને છે કે GST ઘટતા ઉત્પાદન વધશે અને વસ્તુ સસ્તી થતાં લોકોનો ઉપાડ પણ વધશે. એ પણ ખરું કે ઉત્પાદન વધશે તો રોજગાર પણ વધશે. એ સાથે જ ઉપાડ વધશે તો GST પણ વધશે, એવું આશ્વાસન પણ સરકાર જ લે છે.

અત્યારની કોઈ સરકાર ખોટ ખાઈને GST ઘટાડે એ વાતમાં માલ નથી. તો, ગુજરાત સરકાર પણ એવી ભોળી નથી કે 10,000 કરોડની ખોટ ખાઈને GST ઘટે તો રાસડા લે. કેન્દ્ર સરકાર પણ GSTના દર ઘટતા ગેલમાં આવી ગઈ છે. વડા પ્રધાને પોતે GST બચત ઉત્સવ ઉજવવા પ્રજાને જાહેર સંબોધન 21મી સપ્ટેમ્બર ને રવિવારે સાંજે કર્યું. GST બચતની તો હજી માંડ શરૂઆત જ થઈ છે, પણ ઘણાં તેનો લાભ પ્રજાને આપવા ઉત્સુક જ ન હોય, તો પ્રજા ઉત્સવ ક્યાંથી ઊજવવાની હતી? હકીકત એ છે કે આ લાભ પ્રજાને ઘણો મોડો મળ્યો છે ને એ દરમિયાન સરકારે પૂરી નિર્મમતાથી GST તો વસૂલ્યો જ છે. ટૂંકમાં, લાખો કરોડનો લાભ સરકારને તો થયો જ છે, એટલે એ બચત ઉત્સવ ઊજવે તે સમ્જી શકાય એવું છે.

એ ખરું કે GSTના 5 અને 18 ટકાના સ્લેબ થતા રોજ વપરાશની ચીજવસ્તુઓ સસ્તી થાય, સરકારનો એ હેતુ છે જ, પણ તે વેચનારા વેપારીઓની દાનત સાફ હોય તો શક્ય છે. હેલ્થ ઇન્સ્યોરન્સ પર GST હોવો જ ના જોઈતો હતો, પણ તે વર્ષો સુધી વસૂલાયો ને હવે તે નાબૂદ કરવામાં આવ્યો છે, તો એટલી રાહત થવી તો જોઈએ, પણ તકસાધુ વીમા કંપનીઓ પ્રીમિયમ વધારીને લૂંટે તો વીમેદારને કેટલોક લાભ થશે તે નથી ખબર. એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક ગ્રૂપ ઇન્સ્યોરન્સ સિનિયર્સ માટે 22 સપ્ટેમ્બર, 2025 પછી લેવાયા હોય તો પણ તેમને GST 18 ટકા લાગુ કરાયો છે. પર્સનલ મેડિકલ ઇન્સ્યોરન્સમાં GST પૂરો નાબૂદ થયો હોય તો ગ્રૂપ ઇન્સ્યોરન્સમાં એ લાભ શું કામ ન અપાવો જોઈએ તે સમજાતું નથી. કોઈ 75 વર્ષનો વૃદ્ધ તેનો આરોગ્ય વીમા લેવા જાય તો તેનો વીમો શક્ય નથી, એટલે તેણે ગ્રૂપ ઇન્સ્યોરન્સમાં જવું પડે ને ત્યાં 18 ટકા GST લાગે. હેલ્થ ઇન્સ્યોરન્સ પર્સનલ લેવાનું મુશ્કેલ ને ગ્રૂપમાં લેવાય તો 18 ટકા ટેક્સ લાગે, આ યોગ્ય છે? હેલ્થ ઇન્સ્યોરન્સમાંથી GST સંપૂર્ણ નાબૂદ થયો હોય તો ગ્રૂપમાં તે શું કામ હોવો જોઈએ? આ બેવડી નીતિ દૂર થવી જોઈએ. સિનિયર્સને રાહતની વધુ જરૂર હોય ત્યારે જ તેને 18 ટકા GSTથી લૂંટવો અમાનવીય છે. વારુ, GST મેડિકલ ઇન્સ્યોરન્સ પર ન લાગે તો પણ તેને દવામાં, હોસ્પિટલાઇઝેશનમાં, ઓપરેશનમાં કેટલી રાહત આપશે એની સ્પષ્ટતા નથી. એમાં દરેક બિલે ઠેર ઠેર ટેક્સ લાગે જ છે. એટલે બચત ઉત્સવ કોનો છે એ સમજવાનું અઘરું નથી. વન નેશન, વન ટેક્સ-નો અર્થ એવો તો નથી ને કે ઓછામાં ઓછો એક ટેક્સ તો વસૂલવો જ !

એક બાબત સ્પષ્ટ છે કે GSTમાં થયેલ ઘટાડો છેવટના માણસ સુધી નહીં પહોંચે તો, બચત ઉત્સવ અમુક વર્ગ પૂરતો જ સીમિત બની રહે. વાહનો સસ્તાં થયાં છે ને મોંઘી કારની ખરીદીમાં લાખેક રૂપિયા સુધીનો ઘટાડો કાર કંપનીઓ બતાવી રહી છે, પણ સાધારણ માણસને બેરોજગારી ને મોંઘવારી પીડી રહી છે, તેનું શું?

આવક હોય તો ખરીદી થાય. ખરીદી થાય તો ટેક્સ બચવાનો આનંદ થાય. આવકના જ ઠેકાણાં ન હોય ત્યાં ખરીદી શું ને કર બચત શું? એવું રહ્યું છે કે કર વધારાની તાત્કાલિક અસર સામાન્ય માણસને થાય છે, પણ કર ઘટાડાની અસર તેને ઓછી અને મોડી થાય છે. જીવન રક્ષક દવાઓ સસ્તી થશે, એ ખરું, પણ સસ્તી દવાઓ ખરીદવાની શક્તિ પણ હોવી જોઈએ ને ! સરકારનો એ અંદાજ છે કે કર ઘટાડાથી દૈનિક ખર્ચમાં અંદાજે 13 ટકાની બચત થશે. સરકારનો ઈરાદો લોકોને ખરેખર બચત કરાવવાનો છે, પણ કંપનીઓ અને વેપારીઓ કર રાહતનો લાભ લોકોને આપવાનાં હોય તો જ એની અસર જણાશે. સરકારે બાર લાખ સુધીની આવક કરમુક્ત જાહેર કરી છે, તેમાં GSTની રાહત જોડાય તો દેશવાસીઓના અઢી લાખ કરોડ બચે એવો અંદાજ છે. પ્રધાન મંત્રીએ આત્મનિર્ભર અને સ્વદેશી ભારતનું સપનું જોયું છે, તેમાં આ બધાં પગલાં ઉપકારક નીવડી શકે એમ છે. એ તો જ શક્ય છે જો પ્રજા, વેપારીઓ અને કંપનીઓ ઈમાનદારીથી વર્તે. આ એકલદોક્લનું કામ જ નથી. આ યજ્ઞ છે ને તેમાં સૌ આહુતિ આપે તો જ વાતાવરણ શુદ્ધ થાય, ખરું કે નહીં?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 સપ્ટેમ્બર 2025

Loading

સત્યનો અવાજ દબાવવો એટલે લોકશાહીની હત્યા !

રમેશ સવાણી|Opinion - Opinion|28 September 2025

રમેશ સવાણી

લદ્દાખ પોલીસે, સોનમ વાંગચૂકને 26 સપ્ટેમ્બર 2025ના રોજ NSA-National Security Act હેઠળ એરેસ્ટ કરી; સ્થાનિક સંપર્ક તૂટી જાય તે માટે રાજસ્થાનની જોધપુર જેલમાં પૂરી દીધા છે. એટલું જ નહીં, તેમને આર્થિક રીતે પંગુ બનાવવા તેમણે સ્થાપેલ SECMOL – Students’ Educational and Cultural Movement of Ladakhનું FCRA – Foreign Contribution (Regulation) Act હેઠળનું લાયસન્સ રદ્દ કરી દીધું છે. તેથી દેશ-વિદેશમાં ભારે ઊહાપોહ થયો છે.

Sonam Wangchuk-સોનમ વાંગચૂક (59) કોણ છે? લદ્દાખના વિચારક, પર્યાવરણવાદી, ગાંધીવાદી, એક્ટિવિસ્ટ, લોકનેતા, engineer, innovator અને education reformist છે. 2018માં Ramon Magsaysay Awardથી સન્માનિત છે. જેમણે લદ્દાખને પાણી પૂરું પાડ્યું / આર્મી માટે તંબુ બનાવ્યા / પોતાના જીવનની કમાણી બાળકોને શિક્ષણ આપવામાં ખર્ચી નાખી. જેણે આમિર ખાનને ‘3 ઇડિયટ્સ’ બનાવવા માટે પ્રેરણા આપી.

NSA હેઠળ ધરપકડ થાય એટલે પોલીસ પાકિસ્તાન સાથે કનેક્શન પણ શોધી કાઢશે ! પોલીસ કહે છે કે સોનમ વાંગચૂકે પાકિસ્તાનમાં પાકિસ્તાની અખબાર ‘ધ ડોન’ના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને બાંગ્લાદેશની મુલાકાત પણ લીધી હતી. પણ પાસપોર્ટ તો સરકારે જ આપ્યો હશે ને ! મોદીજી વગર આમંત્રણે પાકિસ્તાન ગયા હતા. ‘ખૂન ઔર પાની એક સાથ નહીં બહ સકતે’ એમ કહ્યા પછી મોદીજી પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમાડી શકે છે !

24 સપ્ટેમ્બર 2025ના રોજ, લદ્દાખના લેહમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, પછી વિરોધ પ્રદર્શન હિંસક બન્યું. લોકોએ ભા.જ.પ. કાર્યાલયને આગ ચાંપી દીધી. જો કે સોનમ વાંગચૂકે હિંસાનો માર્ગ નહીં લેવા લોકોને અપીલ કરી હતી. 

મોદી-સરકારની એક મોડસ ઓપરેન્ડી એ જોવા મળે છે કે સરકાર કોઈ પણ અહિંસક / શાંતિપૂર્ણ આંદોલનને તોડી નાખવા ઈચ્છતી હોય ત્યારે પોતાના પક્ષના માણસો મારફતે હિંસા કરાવે છે અને દોષનો ટોપલો આંદોલનના નેતા પર ઢોળી તેમને જેલમાં પૂરી દે છે !

જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી લદ્દાખને અલગ કર્યું ત્યારે સોનમ વાંગચૂકે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. હવે મોદીજી સામે મોરચો માંડ્યો એટલે મોદીજીએ તેમને જેલમાં મોકલી આપ્યા છે !

સોનમ વાંગચૂકની માંગણીઓ શું છે? 

[1] પર્યાવરણના રક્ષણ માટે લદ્દાખને બંધારણની 6ઠ્ઠી અનુસૂચિ લદ્દાખને આદિવાસી રાજ્યનો દરજ્જો આપવો. 

[2] લદ્દાખને પૂર્ણ-સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવો.  

[3] કારગીલ અને લેહ માટે અલગ સંસદીય બેઠક આપવી. એકના બદલે બે બેઠકો આપવી.[4] જાહેર સેવા આયોગની સ્થાપના કરવી.

આ ચાર માંગણીઓ બિલકુલ વ્યાજબી છે છતાં મોદીજી ઈન્કાર કરે છે, શા માટે? તે સમજવાની જરૂર છે. લદ્દાખ હાલ કેન્દ્રશાસિત રાજ્ય છે. વડા પ્રધાને જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને 31 ઓક્ટોબર 2019ના રોજ, અલગ કર્યું ત્યારે વચન આપેલ કે લદ્દાખને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. તેને 6 વરસ થયા છતાં લદ્દાખને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવા વડા પ્રધાન તૈયાર થતાં નથી ! વડા પ્રધાન લદ્દાખ પર નિયંત્રણ કોર્પોરેટ કંપનીઓના હિતો માટે ઇચ્છે છે ! વડા પ્રધાનને લદ્દાખના લોકોની ચિંતા નથી, કોર્પોરેટ મિત્રોની ચિંતા છે ! લદ્દાખમાં ખનિજોના ભંડાર છે. તેની પર અદાણી વગેરે કોર્પોરેટ લોબીની નજર છે. જો લદ્દાખને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપે તથા બંધારણના છઠ્ઠી અનુસૂચિ હેઠળ લદ્દાખને સામેલ કરે તો સ્થાનિક આદિવાસીઓને પોતાનાં જળ, જમીન, જંગલના અધિકારો મળે. તેમની પાસેથી મંજૂરી લેવી પડે. દિલ્હીથી મંજૂરી આપે તો પણ સ્થાનિક મંજૂરી લેવી પડે. કોર્પોરેટ લોબી બન્ને જગ્યાએથી મંજૂરી લેવા ઇચ્છતી નથી તેથી મોદીજી પણ લદ્દાખને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો તથા લદ્દાખને બંધારણના છઠ્ઠી અનુસૂચિ હેઠળ આવરી લેવા ઇચ્છતા નથી ! મોદી સરકાર લોકો માટે કામ કરે છે એ ભ્રમમાંથી નીકળી જવાની જરૂર નથી?

સમજો, એટલે સોનમ વાંગચૂકને દેશદ્રોહી ચીતરી જેલમાં પૂરવાની જરૂર પડી છે. તેમની સંસ્થાનું એકાઉન્ટ સ્થગિત કરી દીધું છે. મોદી-ભક્તો સોનમ વાંગચૂકને દેશદ્રોહી / ગદ્દાર કહી રહ્યા છે. મોદીભક્તિનું જોર એટલું પ્રબળ છે કે ખુદ ભગવાન આવી મોદીજીનો વિરોધ કરે તો મોદીભક્તો ભગવાનને પણ દેશદ્રોહી ઠરાવી દે !

પોતાની માંગણી માટે અહિંસક / શાંતિપૂર્ણ આંદોલન કરે / ઉપવાસ કરે તે લોકશાહીમાં સહજ છે. લોકોને સત્યની જાણ ન થાય તે માટે રોકવાનું કામ કોઈ સરકાર કરે તો તેને લોકશાહી વ્યવસ્થા કહી શકાય નહીં.

જો લદ્દાખને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવો જ નથી તો તેનું વચન શા માટે આપેલ? વચન આપીને ફરી જવાનું? આ કઈ રીતનું ચરિત્ર છે? જે વ્યક્તિ દેશમાં પુરસ્કારો લાવે છે, શિક્ષણમાં ક્રાંતિ લાવે છે, અને સરહદ પર ચીન વિરુદ્ધ અવાજ ઉઠાવે છે; તેને હવે જેલમાં પૂરી દીધેલ છે ! કેવી વિડંબના ! જો સોનમ વાંગચુક જેવા શિક્ષિત અને પ્રામાણિક લોકોને ‘દેશદ્રોહી’ તરીકે ચીતરવામાં આવે અને દબાવવામાં આવે, તો સમજો કે વાસ્તવિક સમસ્યા તેમની સાથે નથી, પરંતુ સત્તાના ઘમંડમાં છે. આ કાયરતાપૂર્ણ પગલું સાબિત કરે છે કે મોદી સરકાર સરમુખત્યાર અને નિરંકુશ બની ગઈ છે. પોતાની જમીન, રોજગાર અને ઓળખ માટે લડવું તે ક્યારથી રાજદ્રોહ બની ગયું? સરકારના આ તાનાશાહી પગલાં સામે ગોદી પત્રકાર / લેખકો / સાહિત્યકારો / કોર્પોરેટ કથાકારો / કોર્પોરેટ ધર્મગુરુઓ / ફિલ્મ કલાકારો / ડાયરા કલાકારોએ મૌન સેવ્યું છે. પરંતુ દેશના લોકો અને વિપક્ષો સોનમ વાંગચૂક, લદ્દાખના લોકો અને તેમની માંગણીઓ સાથે ઊભા છે. હવે લદ્દાખની લડાઈ રાષ્ટ્રની લડાઈ બની છે ! સત્યનો અવાજ દબાવવો એટલે લોકશાહીની હત્યા !

દેશની હાલત તો જૂઓ : પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી અને Ramon Magsaysay Award વિજેતાને જેલમાં જવું પડે છે; અને જેલમાં મોકલનાર છે – ડિગ્રી વગરના / તડિપાર નેતાઓ ! લોકો પોતાની આંખો ‘ધર્મ અને રાષ્ટ્રવાદના હાલરડાં’ સાંભળી ક્યાં સુધી બંધ રાખશે? વિચિત્રતા તો જૂઓ : ગાંધીવાદી દેશદ્રોહી અને ગોડસેવાદી દેશભક્ત !

28 સપ્ટેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વાંચનનો વ્યાયામ : પુસ્તકો વાંચતા લોકો બે વર્ષ લાંબુ જીવે છે!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|28 September 2025

રાજ ગોસ્વામી

પુસ્તકો વાંચવાથી જ્ઞાન વધે એવું કોઈ કહે તો જરા ય નવાઈ ન લાગે, કારણ કે પુસ્તક વાંચવાનો પ્રાથમિક ઉદેશ્ય નવું જાણવાનો છે અને સદીઓથી માણસો એટલા માટે જ પુસ્તકો વાંચતા આવ્યા છે. પણ કોઈ એવું કહે કે પુસ્તકો વાંચવાથી આવરદા વધે છે તો? નવાઈ તો લાગે કારણ કે આવરદાનો સંબંધ શરીર સાથે છે અને ઉંમર ઘટવા-વધવાનું કારણ શારીરિક તંદુરસ્તી છે. એમાં વાંચવાની ટેવ કેવી રીતે બંધ બેસે? પરંતુ આધુનિક વિજ્ઞાનનો દાવો છે કે જે લોકો પુસ્તકો વાંચે છે તેઓ, જે  નથી વાંચતા તેની સરખામણીમાં લાંબું જીવે છે. 

‘સોશિયલ સાયન્સ એન્ડ મેડિસિન’ નામના એક એકેડેમિક જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં આ રસપ્રદ દાવો કરવામાં આવ્યો છે. અમેરિકાની યેલ યુનિવર્સિટીના સંશોધકોએ 50 વર્ષથી મોટી ઉંમરના 3,600 લોકો પર 12 વર્ષ સુધી અભ્યાસ કરીને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે તેમની જીવનરેખા પર પુસ્તકો વાંચવાના શોખનો કોઈ પ્રભાવ પડે છે કે નહીં. 

તેમને જે જાણવા મળ્યું તે અસાધારણ છે : જે લોકો નથી વાંચતા તેના કરતાં વાંચવાવાળા લોકો 2 વર્ષ વધુ જીવે છે. તેમની ઉંમર શું છે, તંદુરસ્તી કેવી છે, સમૃદ્ધ કેટલા છે વગેરે તફાવતોમાં પણ આ તારણ સમાનરૂપે સૌને લાગુ પડતું હતું.

આ લોકોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા હતા : જે લોકો સપ્તાહમાં 3.5 કલાક કે તેથી વધુ વાંચતા હતા, જે લોકો 3.5 કલાક સુધી જ વાંચતા હતા અને બીજા લોકો જે બિલકુલ વાંચતા નહોતા. અભ્યાસ દરમિયાન, 33 ટકા બિન-વાચકોનાં મૃત્યુ થયાં, જ્યારે પ્રતિ સપ્તાહ 3.5 કલાકથી વધુ સમય માટે પુસ્તક વાંચવાવાળા 27 ટકા વાચકોનાં મૃત્યુ થયાં. મતલબ કે પુસ્તકો નહીં વાંચતા લોકોની સરખામણીમાં પુસ્તકો વાંચવાવાળાની મરવાની સંભાવના 20 ટકા ઓછી હતી. 

સંશોધકોએ એ પણ નોંધ્યું હતું કે આ ‘ફાયદો’ પુસ્તકોના વાચકોને હતો, સમાચારપત્રો કે સામયિકોના વાચકોને નહીં! તેનું મુખ્ય કારણ એ છે કે લાંબા વાંચન, અને ખાસ કરીને નવલકથાઓના વાંચનથી, વાર્તા અને વાર્તાનાં પાત્રો સાથે માણસો તાદ્ત્મ્ય અનુભવે છે અને તેનાથી તેમની સંજ્ઞાત્મક (કોગ્નિટિવ) ક્ષમતામાં વધારો થાય છે. 

ઉપરછલ્લા અને ઊંડા વાંચનની અસર અલગ હોય છે. વાંચન બે પ્રકારનું હોય; ‘નિર્દોષ વાંચન’ અને સહેતુક વાંચન.’ નિર્દોષ વાંચન એટલે માત્ર મનોરંજન માટે વાંચવું, સમય પસાર કરવા વાંચવું, જેમાં કોઈ પ્રકારનો વૈચારિક પરિશ્રમ ન હોય, જેમાં લેખકે જે લખ્યું હોય તેની ભીતર જઈને સમજવાનો પ્રયાસ ન હોય. નિર્દોષ વાંચનમાં આપણે સંપૂર્ણપણે વાચક જ હોઈએ છીએ. તેમાં આપણે ‘જાણીએ’ છીએ. જેમ કે સમાચારોમાં જાણવાનું હોય છે, સમજવાનું નહીં’

સહેતુક વાંચન એટલે જે લખ્યું છે તેનું શું અર્થઘટન થાય, લેખકે કેવી રીતે લખ્યું છે, ક્યા ભાવને વ્યક્ત કર્યો છે, કેમ આ જ શબ્દોનો ઉપયોગ કર્યો છે, વાક્યની રચના કેવી છે, તેનો આગળ-પાછળનો સંદર્ભ શું છે, અગાઉનાં લખાણમાં આ જ વાત કેવી રીતે લખી હતી જેવી જિજ્ઞાસા સાથે કશું વાંચવુ તે. જેમ કે પુસ્તકોમાં સમજવાનું હોય છે.

નિર્દોષ વાંચનમાં આપણે સતહ પર છબછબિયાં કરીને આનંદ લઈએ છીએ. સહેતુક વાંચનમાં ગહેરાઈમાં જઈને ડૂબકી મારીએ છીએ. નિર્દોષ વાંચનમાં આપણે માત્ર વાંચીએ છીએ. સહેતુક વાંચનમાં આપણે વિચારીએ પણ છીએ. આપણા મગજ પર આની અસર ઊંડી હોય છે.

તે સિવાય પણ કારણો છે. પુસ્તક વાંચનથી તનાવ ઓછો થાય છે, મગજમાં સેલ્સની કનેક્ટિવિટી વધે છે અને ઊંઘમાં સુધારો થાય છે. પુસ્તક વાંચતી વખતે આપણું ધ્યાન શબ્દો અને પ્રસંગોમાં વહેંચાઇ જાય છે, જેનાથી તનાવ ઘટે છે, યાદદાસ્ત બહેતર થાય છે અને ઉદાસીથી બચવામાં પણ રાહત મળે છે. 

વાંચવા જેવી એકાગ્રતા માંગે તેવી પ્રવૃત્તિમાં આપણું મગજ કેટલું સ્વસ્થ રીતે ફંક્શન કરે છે તે મહત્ત્વનું હોય છે. આપણી ઓવરઓલ તંદુરસ્તી અને મનદુરસ્તી કેવી છે તેની મગજના ફંક્શનની ગુણવત્તા પર મોટી અસર પડે છે. કમનસીબે, આપણે મન કે મગજને જોઈ, અનુભવી શકતા નથી એટલે મોટાભાગે આપણે તેની પ્રક્રિયાથી પણ સચેત નથી હોતા. દાખલા તરીકે, નિયમિત એક્સરસાઇઝના કારણે બ્રેઇન પાવર વધે છે તે મારો જાત અનુભવ છે.

આપણે કેવો આહાર લઈએ છીએ, શરીરને કેટલું ચુસ્ત રાખીએ છીએ, ગુણવત્તાવાળી ઊંઘ કેટલી લઈએ છીએ, કેટલા સ્ટ્રેસ-ફ્રી રહીએ છીએ તેની અસર આપણી સ્મૃતિ શક્તિ પર પડે છે. તે ઉપરાંત, વાંચનમાં આપણે કેટલા મશગૂલ થઈએ છીએ, મતલબ કે તે આપણાને કેટલું ગમે છે, તેના પર પણ યાદ રહી જવાનો આધાર છે. દાખલા તરીકે, એવાં અસંખ્ય પુસ્તકો છે જે મેં વાંચ્યાં હોય પણ એમાંથી કશું જ યાદ ન હોય, કારણ કે એ પુસ્તકમાં હું મગ્ન થઈ શક્યો નહોતો.

શરીર માટે વ્યાયામ અને મગજ માટે વાચન, બંને સરખાં છે. તમે જો 2 વર્ષ સુધી રોજ ૫ કલાક વાંચો, તો તમારું મગજ સંપૂર્ણપણે ‘નવું’ થઇ જાય. વાંચવું એ સંગીતનું ઓર્કેસ્ટ્રા ચલાવવા જેવું કામ છે. એમાં મગજના નાના-મોટા અનેક હિસ્સાઓ સક્રિય થાય છે. અમુક લોકોને સંગીત વિશે વાંચતી વખતે સૂર સંભળાવવા લાગે અથવા ફૂલ વિશે વાંચીને સુગંધ આવવા લાગે, તેનું કારણ મગજનાં વિભિન્ન ફંક્શન વાચનની પ્રક્રિયામાં જોડાઈને ચુસ્ત થાય છે એટલે. માટે જ વાચન આદતની ક્રિયા છે. જેને  વાંચવાની ટેવ ના પડી હોય, તેવા લોકોનાં મગજ લાંબુ વાંચીને થાકી જાય અથવા ટર્ન ઓફ થઇ જાય. આ વ્યાયામ કરવા જેવું છે.

લખવાની જેમ વાંચન પણ જટિલ કળા છે. વાંચે તો દરેક લોકો છે, પણ શું વાંચીએ છીએ તે મહત્ત્વનું છે. શબ્દો વાંચવા આસાન છે. કસોટી શબ્દોને સમજવાની છે. એક જ પુસ્તક હોય, પણ ચાર વ્યક્તિ તેને જુદી-જુદી રીતે વાંચે અથવા સમજે, કારણ કે દરેકનું મગજ વાંચતી વખતે જુદી-જુદી રીતે સક્રિય હોય છે. લોકો મુખ્યત્વે ચાર પ્રકારે વાંચતા હોય છે :

1. પ્રાથમિક વાંચન : પુસ્તકમાં શું વિગતો છે તે. ઘણા લોકોને પુસ્તક અક્ષરશઃ યાદ હોય અને પોપટની જેમ બધુ બોલી જાય.

2. અવલોકનાત્મક વાંચન : પુસ્તક શું કહેવા માગે છે તે. દરેક પુસ્તક પાછળ લેખકનો એક મુખ્ય હેતુ હોય છે. તેને પકડવો તે અવલોકનાત્મક વાંચન.

3. વિશ્લેષણાત્મક વાંચન : પુસ્તકનું અર્થઘટન શું છે તે. પુસ્તકની જટિલ વાતોને છૂટી પાડીને તેને સરળ રીતે બોધગમ્ય બનાવવી તે વિશ્લેષણાત્મક વાંચન.

4. ચિંતનાત્મક વાંચન : મારા જીવન માટે તેમાં શું છે તે. પુસ્તકમાં માનવીય જીવનની અમુક સચ્ચાઈ હોય છે. તમે ખુદને બહેતર બનાવવા માટે થઈને પુસ્તકમાંથી જીવનલક્ષી ચિંતનને અલગ તારવો તે ફિલોસોફિકલ વાંચન.

ટૂંકમાં, વાંચો, ખૂબ વાંચો. જ્ઞાન તો મળશે જ, મગજ પણ સશક્ત થશે. 

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 28 સપ્ટેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...78798081...90100110...

Search by

Opinion

  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?
  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved