Opinion Magazine
Number of visits: 9845055
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—267

દીપક મહેતા|Opinion - Opinion|5 October 2024

 મુંબા દેવ્યૈ નમોનમ:

જય દેવી જય દેવી, જય મહાલક્ષ્મી 

આદ્ય શક્તિ તું મહાજનની,

દિવ્ય શક્તિ કાત્યાયની,

મુંબાપુરી નિવાસિની,

મુંબા દેવ્યૈ નમોનમ:

ફરી એક વાર મુંબઈમાં નવરાત્રીના ગરબાની રમઝટ શરૂ થઈ ગઈ છે, ત્યારે ચાલો, આપણે મુલાકાત લઈએ મુંબઈનાં બે વિશિષ્ટ શક્તિ મંદિરોની. આ મુંબઈ શહેરને સૌથી વધુ પોતીકી લાગે એવી દેવી તે તો મુંબાદેવી. આપણા શહેરને પોતાનું નામ આપનારી એ દેવી. મૂળે તો માછીઓની, કોળીઓની દેવી. ભૂતકાળમાં બીજાં કેટલાંક નામે પણ ઓળખાતું હતું આ શહેર. ગ્રીક લોકો તેને હેપ્ટેસિનીઆ તરીકે ઓળખતા. પોર્ટુગીઝ લોકો તેને ‘બોમ્બીયમ’ કહેતા. ઈ.સ. ૧૫૩૮માં દ ક્રિસ્ટો નામનો પ્રવાસી તેને ‘બોઆવિડા’ કહે છે. તો બારાબોસા નામનો બીજો એક મુસાફર લગભગ એ જ અરસામાં તેને ‘થાણા-મયામ્બુ’ તરીકે ઓળખાવે છે. ઈ.સ. ૧૭૫૦ની આસપાસ મુંબઈનો ઉલ્લેખ ‘બુઆં બહીઆ’ તરીકે થયો છે. અંગ્રેજોએ નામ આપ્યું બોમ્બે. તો વળી હિન્દીભાષીઓ આ શહેરને ‘બમ્બઈ’ કહેતા. મરાઠી અને ગુજરાતી બોલનારા તો પહેલેથી તેને મુંબઈ જ કહેતા આવ્યા છે. અને એનું અસલ નામ પણ મુંબાઈ કે મુંબઈ. 

શ્રી મુંબાદેવી

એ નામ મળ્યું કોળી લોકોની કુળદેવી મુંબા-આઈ પાસેથી. આ મુંબા-આઈ તે કદાચ મહાઅંબા આઈ, પાર્વતીનું એક રૂપ. અથવા બિન-આર્ય જાતિઓ જે અનેક દેવ-દેવીઓની પૂજા કરતી તેમાંની કોઈ દેવી પણ તે હોઈ શકે. એક દંતકથા પ્રમાણે શિવજીની સૂચનાથી પાર્વતીએ માછણ તરીકે અવતાર લીધો, જેથી કઠોર પરિશ્રમ કરવાનો ગુણ તેમનામાં વિકસે. આ રીતે અવતાર લઈને પાર્વતી કોળી લોકોની સાથે રહેવા આવ્યાં. એ કોળી લોકો તેમને ‘મુંબા’ તરીકે ઓળખવા લાગ્યા. માછીઓ અને માછણો પાસેથી તેઓ મહેનત, એકાગ્રતા, સાહસ વગેરેના પાઠ શીખ્યાં. પછી પાછા જવાનો વખત આવ્યો. પણ કોળી લોકો તેમને જવા દેવા રાજી નહોતા. એટલે ખુદ શિવજી આવ્યા અને કહ્યું કે ‘મહાઅંબા’ની મૂર્તિ રૂપે પાર્વતીજી સદાકાળ માટે તમારી સાથે રહેશે. એટલે કોળીઓએ મુંબાદેવીનું મંદિર બનાવ્યું. કોળીઓ તેમને આઈ (માતા) તરીકે પૂજતા એટલે તે મુંબાઈ દેવીનું મંદિર કહેવાયું. 

 

મુંબાદેવીનું મંદિર અને તળાવ – ૧૯મી સદીમાં

આજે જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ઊભું છે એ જગ્યાએ મુંબા-આઈ કે મુંબાદેવીનું અસલ મંદિર આવેલું હતું. લોકો એ વિસ્તારને ‘બોરીબંદર’ તરીકે ઓળખતા કારણ એ વખતે ત્યાં બંદર હતું અને ત્યાંથી બોરી કહેતાં કોથળાઓમાં ભરેલો માલસામાન આવતો-જતો. દરિયા કાંઠે વસતા કોળીઓએ પોતાની કુળદેવીનું મંદિર પણ દરિયા નજીક બાંધ્યું હોય તો તે સમજી શકાય તેમ છે. આ અસલ મંદિર ઈ.સ. ૧૬૭૫માં બંધાયેલું એમ મનાય છે. પણ અંગ્રેજોના સેન્ટ જ્યોર્જ કિલ્લાની સાવ નજીક ઉત્તર દિશાની દીવાલની લગોલગ એ મંદિર હતું એટલે સલામતીની દૃષ્ટિએ અંગ્રેજોને જોખમ લાગ્યું. એટલે ૧૭૩૭માં તેમણે મંદિર ત્યાંથી ખસેડીને ફાંસી તળાવને કિનારે નવું મંદિર બનાવ્યું. એ તળાવને કાંઠે ગુનેગારોને જાહેરમાં ફાંસી અપાતી હતી એટલે લોકો તેને ફાંસી તળાવ કહેતા. આજના આઝાદ મેદાનના એક ખૂણામાં એ તળાવ આવેલું હતું. પછી વખત જતાં મુંબાદેવીનું મંદિર આજના ઝવેરી બજાર પાસે ખસેડ્યું. એ મંદિર તે આપણે જેને મમ્માદેવી કે મુમ્બાદેવી તરીકે ઓળખીએ છીએ તે મંદિર. જો કે આજે અહીં જે મંદિર છે તે પણ અસલનું મંદિર નથી. ફરીથી બંધાયેલું છે. બીજાં ઘણાં મંદિરોની જેમ આ મંદિરની બાજુમાં પણ એક તળાવ હતું. હરજીવનદાસ વિઠ્ઠલદાસનાં વિધવા પૂતળીબાઈએ એ તળાવ ઈ.સ. ૧૭૭૪માં પોતાને ખર્ચે બંધાવી આપેલું. આ લખનારે નાનપણમાં તે તળાવ જોયેલું એ બરાબર યાદ છે. પછી વખત જતાં બીજાં ઘણાં તળાવોની જેમ એ તળાવ પણ પુરાઈ ગયું.  

તો બીજી એક દંતકથા પ્રમાણે એક વખત આ શહેરમાં મુંબારક નામના રાક્ષસનો ત્રાસ ખૂબ વધી ગયો હતો. એટલે બ્રાહ્મણોએ બ્રહ્માજી પાસે ધા નાખી. એટલે મુમ્બારકનો વધ કરવા બ્રહ્માજીએ અષ્ટ ભુજાવાળી મુંબાદેવીને અહીં મોકલી. દેવીને હાથે હાર્યા પછી એ રાક્ષસ દેવીને પગે પડ્યો અને વિનંતી કરી કે હવે પછી તમે મારું નામ ધારણ કરો. દેવીએ એ માગણી સ્વીકારી અને ત્યારથી એ મુંબાદેવી તરીકે ઓળખાતાં થયાં. રાક્ષસે બીજું પણ એક વરદાન માગ્યું: મારે આપનું એક ભવ્ય મંદિર અહીં ચણાવવું છે. તો એ માટે અનુજ્ઞા આપો. દેવીએ પ્રસન્ન થઈ એ માગણી પણ સ્વીકારી અને એ રાક્ષસે બંધાવ્યું મુંબાદેવીનું મંદિર. એટલું તો નક્કી કે મુંબાદેવી અને મુંબઈ વચ્ચે ખૂબ નિકટનો સંબંધ છે. 

મહાલક્ષ્મીનું મંદિર ૧૯મી સદીમાં 

વાર તહેવારે મુંબઈનાં ઘણાં મંદિરોની બહાર ભાવિકોની લાઈન લાગતી હોય છે. પણ સૌથી લાંબી લાઈન લાગતી હોય છે મહાલક્ષ્મી મંદિરની બહાર. આ મંદિર જ્યાં આવેલું છે એ જગ્યાનું અસલ નામ હોર્નબી વેલાર્ડ. વેલાર્ડ એટલે પાળ, નાનો બંધ. આપણે જાણીએ છીએ કે મૂળ તો મુંબઈ સાત ટાપુઓમાં વહેંચાયેલું હતું અને એ સાતે દરિયાના પાણીથી અલગ અલગ હતા. વરલીની ખાડીનું પાણી ભરતી વખતે ઠેઠ પાયધુની સૂધી પહોંચતું. આ પાણીને રોકવા માટે ગવર્નર હોર્નબીએ ૧૭૮૨માં દરિયા આડે પાળ કે નાનો બંધ બાંધવાની યોજના ઘડી. દૂર દૂરથી મોટા પથરા હોડીઓમાં ભરીને અહીં ઠલવાવા લાગ્યા. દિવસ દરમ્યાન રોજ થોડું થોડું કામ આગળ વધે. પણ રાત પડે ને એ કરેલું કામ ધોવાઈ જાય! જે બ્રિટિશ ઈજનેરો કામ કરતા હતા તે વિમાસણમાં પડી ગયા કે આમ કેમ થાય છે?

અને આ સવાલનો જવાબ મળે છે એક દંતકથામાંથી. આ બંધ બાંધવાના કામમાં જોડાયેલા એક એન્જિનિયર તે રામજી શિવજી પ્રભુ. એક રાતે તેમને ત્રણ દેવીઓએ સપનામાં દર્શન દીધાં અને કહ્યું કે જ્યાં તમારું આ કામ ચાલે છે ત્યાં, નીચે દરિયામાં અમારું રહેઠાણ છે એટલે તમારો આ બંધ ક્યારે ય બાંધી શકાશે નહિ. ત્યારે એ રામજીએ દેવીઓને વિનવ્યાં કે કૈંક તો રસ્તો હશે, કૈંક તો ઉપાય હશે. દેવીઓએ કહ્યું કે હા, એક ઉપાય છે. અમને દરિયામાંથી બહાર કાઢીને નજીકની ટેકરી ઉપર અમારી સ્થાપના કરી મંદિર બંધાવો તો તમારું કામ થાય. પણ પથ્થરની ભારેખમ ત્રણ-ત્રણ મૂર્તિઓને દરિયામાંથી બહાર કાઢવી શી રીતે? છતાં રામજીએ એક નુસખો અજમાવ્યો. નજીકના માછીમારો પાસેથી મોટી જાળ લઈને દરિયામાં નાખી. અને સૌના આશ્ચર્ય વચ્ચે ત્રણે મૂર્તિઓ જાળમાં આવી ગઈ. આ ત્રણ દેવીઓ તે મહાલક્ષ્મી, મહાકાળી, અને મહાસરસ્વતી. રામજી તો રાજીનો રેડ. સરકારને જણાવ્યું કે હવે આ બંધ બાંધવાનું કામ પૂરું કરવાની હું ખાતરી આપું છુ, પણ એક શરતે: બાજુની ટેકરી પર મને એક મંદિર બાંધવા દેવું. અને એ બાંધવા માટેની ટેકરી પરની જગ્યા સરકારે મને આપવી. સરકારે આ દરખાસ્ત સ્વીકારી અને જોતજોતામાં બંધ બાંધવાનું કામ પૂરું થઈ ગયું! પછી રામજીએ પેલી ટેકરી પર ૮૦ હજાર રૂપિયાના ખર્ચે મંદિર બંધાવીને તેમાં પેલી ત્રણે મૂર્તિઓની સ્થાપના કરી. આ મંદિર તે મહાલક્ષ્મીનું મંદિર. પણ આ ત્રણ મૂર્તિઓ દરિયામાં ગઈ કઈ રીતે? તો કહે છે કે જ્યારે મૂર્તિભંજક વિધર્મીઓએ મુંબઈ પર આક્રમણ કર્યું ત્યારે તેઓ આ મૂર્તિને ભાંગી ન નાખે તેટલા ખાતર પૂજારીએ તેને દરિયામાં પધરાવી દીધી હતી.

આવી દંતકથાઓ માનવી કે ન માનવી એ દરેક વ્યક્તિએ નક્કી કરવાનું હોય. પણ આ દંતકથાઓ ન માનીએ તો ય એટલું તો માનવું જ પડે કે મુંબાદેવીનું અને મહાલક્ષ્મીનું મંદિર એ બન્ને મુંબઈ શહેરની આગવી ઓળખ જેવાં છે. 

આજની વાતની શરૂઆત મુંબાદેવીની આરતીથી કરી હતી. તો છેવટે મહાલક્ષ્મીની આરતી :

जय देवी जय देवी जय महालक्ष्मी।

वससी व्यापकरुपे तू स्थूलसूक्ष्मी॥

करवीरपुरवासिनी सुरवरमुनिमाता।

पुरहरवरदायिनी मुरहरप्रियकान्ता।

कमलाकारें जठरी जन्मविला धाता।

सहस्त्रवदनी भूधर न पुरे गुण गातां॥

जय देवी जय देवी…॥

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 05 ઓક્ટોબર 2024

Loading

કોચરબ આશ્રમ, નિયમાવલિનું નિમિત્ત અને નરહરિ મહાદેવ 

કેતન રૂપેરા|Gandhiana|5 October 2024

મે 1915માં ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ આશ્રમની સ્થાપના કરી. પ્રારંભે તે સત્યાગ્રહ આશ્રમ અને પછીથી અત્યારે જે નામ છે તે કોચરબ આશ્રમથી ઓળખાયો. આ આશ્રમની સ્થાપના 20મી, 22મી કે 25મી મેએ થઈ, તેની ટપ ટપ કરતા જો આશ્રમની સ્થાપનાએ ગાંધીજી પ્રેરિત સ્વાતંત્ર્ય ચળવળમાં શો મહત્ત્વનો ભાગ ભજવ્યો એ મમ મમમાં વધારે રસ હોય તો આશ્રમની નિયમાવલી સાથે જોડાયેલો ઘટનાક્રમ વધુ રસપ્રદ થઈ પડશે. ગાંધીજીને મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખ મળ્યા તેનું નિમિત્ત જ આ નિયમાવલિ … 

પોતાના દરેક પ્રયોગ વિશે જાહેરમાં વ્યક્ત થનાર અને નવાસવા ભારતમાં આવેલા મોહનદાસ ગાંધીએ ભારતમાં પોતાના પ્રથમ આશ્રમના નિયમો માટે પણ જાહેરક્ષેત્રમાંથી અભિપ્રાયો-ટીકા મંગાવ્યા હતા. એ માટે ‘આશ્રમના ઉદ્દેશ અને એની નિયમાવલિ સમજાવતી એક પત્રિકા કાઢીને તેમણે દેશભરમાં પ્રસારિત કરી હતી.’

અમદાવાદમાં વકીલાત કરતા નરહરિ પરીખ અને મહાદેવ દેસાઈ ખાસ મિત્રો. તેમણે આ પત્રિકા વાંચી. બંનેને લાગ્યું કે ‘ફરજિયાત બ્રહ્મચર્યમાંથી અનેક દોષો પેદા થવા સંભવ છે તથા હાથઉદ્યોગનો જ આગ્રહ રાખવાથી દેશની આર્થિક પ્રગતિ રોકાઈ જવાનો ભય છે …’ બંનેએ સાથે મળી, નરહરિભાઈના શબ્દોમાં કહીએ તો, ‘અમારું પુસ્તકપાંડિત્ય અમે ઠાલવ્યું હતું.’ પત્રનો લેખિત જવાબ મેળવવાની અપેક્ષા રાખ્યા વગર જો ગાંધીજીને યોગ્ય લાગે તો રૂબરૂ મળવાની ઇચ્છા તેમણે વ્યક્ત કરી હતી. પાંચછ દિવસ સુધી ગાંધીજીનો જવાબ ન આવતા બંનેએ માન્યું કે ગાંધીજીને તેમનો કાગળ મહત્ત્વનો નહીં લાગ્યો હોય.

એવામાં અમદાવાદમાં પ્રેમાભાઈ હૉલમાં એક જાહેર સભા યોજાઈ. જેમાં ગાંધીજી મુખ્ય વક્તા હતા. સભા પૂરી થતાં ગાંધીજીની પાછળ ઝડપભેર ચાલીને તેમણે ગાંધીજીને એલિસબ્રિજ ઉપર પકડી પાડ્યા અને એમના કાગળની વાત કરી. ગુજરાતમાંથી મળેલા થોડા જ કાગળોમાંનો તેમનો એક કાગળ હતો. ગાંધીજીને એ કંઈક અંશે ઠીક લાગ્યો હતો. તેમણે કહ્યું, ‘તમને હું જરૂર વખત આપીશ. અત્યારે જ જો તમને વખત હોય તો ચાલો મારી સાથે આશ્રમમાં, આપણે વાતો કરીશું.’

બંને મિત્રોએ રાજી થઈને ગાંધીજી સાથે ચાલવા માંડ્યું. નરહરિભાઈ લખે છે, ‘આશ્રમમાં પહોંચ્યા પછી અમારો કાગળ કાઢ્યો. તેમાંથી વાંચતા ગયા અને વિવેચન કરતા ગયા. લગભગ દોઢ કલાક સુધી પોતાના આદર્શો અને વિચારસરણી સમજાવી. અમે વચ્ચે ક્યાંક ક્યાંક દલીલ કરતા, પણ અમારે વિશેષે તો સાંભળવાનું જ હતું. આ દોઢ કલાકની વાગ્ધારાની અમારા બંનેના ચિત્ત ઉપર ઊંડી છાપ પડી. લગભગ દસેક વાગ્યાના સુમારે અમે આશ્રમમાંથી નીકળ્યા. મેઘલી રાત હતી. ઝરમર ઝરમર છાંટા પડતા હતા. અમે બંને એકબીજા સાથે કશું બોલ્યા વગર ચાલતા હતા. જો કે અમારા બંનેનાં દિલમાં વિચાર તો એક જ ચાલી રહ્યો હતો. એલિસબ્રિજ પર આવતાં મહાદેવ બોલ્યા, ‘નરહરિ, મને તો આ પુરુષને ચરણે બેસી જવાનું મન થાય છે.’ મેં જવાબ આપ્યો, ‘એમ કરી શકીએ તો આપણાં ધનભાગ્ય, પણ અત્યારે તો કશો નિર્ણય થઈ શકતો નથી.’ પાછા અમે શાંત થઈ ગયા અને કશું બોલ્યા વિના જ પોતપોતાને ઘેર પહોંચ્યા. આ અમારી પહેલી દીક્ષા. આશ્રમમાં જોડાવાના સંકલ્પનો પ્રથમ ઉદય.’ 

[સંકલન – માહિતી સૌજન્ય : અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ (લે. નારાયણ દેસાઈ) અને ગાંધીજીની દિનવારી (સં. ચંદુલાલ ભગુભાઈ દલાલ)] 
(“नवजीवनનો અક્ષરદેહ”, મે 2013માંથી સાભાર)

Loading

હિંદુ-મુસ્લિમ સંબંધો : ચાર મુખ્ય પરિબળોનું આંતરદ્વંદ્વ

કાન્તિ શાહ|Opinion - Opinion|5 October 2024

કાન્તિભાઈ શાહ

હિંદુ-મુસ્લિમ સંબંધ, કોમી એકતા અને સાંસ્કૃતિક સંગમની દૃષ્ટિએ જોઈએ, તો છેલ્લાં સો વર્ષ એક અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગાળો છે. આ ગાળા દરમ્યાન વાતાવરણ ખૂબ ડહોળાઈ ગયું છે. કલુષિત બની ગયું છે તથા ભારતીય સંસ્કૃતિની આગવી એવી સમન્વયની પ્રક્રિયા રફેદફે થઈ ગઈ છે. સમન્વયના કરતાં વિભાજનનાં, સ્નેહ ને સદ્ભાવ કરતાં વેરઝેરનાં પરિબળો વધુ બળૂકાં પુરવાર થયાં છે તથા તે પરિબળો છેવટે આ દેશના ભાગલા તરફ તેમ જ કાયમના કોમી વિખવાદ તરફ દોરી ગયાં છે. આ સો વરસની દાસ્તાન એક અત્યંત દર્દભરી અને ભારતીય સંસ્કૃતિના અત્યંત કપરા સંઘર્ષકાળની દાસ્તાન છે.

આ ગાળાનો ઇતિહાસ ખાસ કરીને ચાર પરિબળોના આઘાત-પ્રત્યાઘાત અને આંતરદ્વંદ્વ દ્વારા રચાયો છે. આ ચાર પરિબળ છે ° પ્રજાકીય પરિબળ, ° કોમી કટ્ટરવાદી પરિબળ, ° રાજકારણનું પરિબળ અને ° રાષ્ટ્રવાદી પરિબળ. આ છેલ્લા રાષ્ટ્રવાદી પરિબળને વિવેકાનંદ-માર્ગી પરિબળ પણ કહી શકાય, કે જેણે વિવેકાનંદની સમન્વયકારી પ્રક્રિયાને આગળ વધારવાની સતત કોશિશ કર્યા કરી. પરંતુ કોમી કટ્ટરવાદી તેમ જ રાજકારણી પરિબળો વધુ બળૂકાં પુરવાર થયાં.

આ ગાળા દરમ્યાન એમ પણ જોવા મળે છે કે અમુક વ્યક્તિઓએ આ ઇતિહાસ રચવામાં ઘણી આગળ પડતી ભૂમિકા ભજવી છે ખરી, પણ તે ભૂમિકા જે-તે વખતની પ્રાપ્ત પરિસ્થિતિને પલાણીને નહીં, પણ તે પરિસ્થિતિનાં પ્યાદાં રૂપ બનીને ભજવી છે. એટલે કે ઇતિહાસ આ વ્યક્તિઓએ નથી ઘડ્યો, પણ પરિસ્થિતિએ આ વ્યક્તિઓ ઉપર હાવી થઈ જઈને ઘડ્યો છે. પરિણામે, એકની એક વ્યક્તિ જુદા જુદા સમયગાળામાં જુદી જુદી ભૂમિકા, સાવ એકબીજાથી વિરુદ્ધ ભૂમિકા ભજવી ગઈ છે.

સૌથી કમનસીબ કથની, મહમદઅલી ઝીણાની !

આનું સૌથી મોટું ઉદાહરણ છે, આ ગાળામાં જેમની એક મુખ્ય ભૂમિકા રહી અને જે પાકિસ્તાનના જનક ગણાયા તે મહમદઅલી ઝીણાની. ઝીણાની જાહેર કારકિર્દી એક પ્રખર રાષ્ટ્રવાદી તરીકે શરૂ થયેલી. દેશના ‘સ્વરાજ’નો સર્વ પ્રથમ ઉદ્ઘોષ કરનાર દાદાભાઈ નવરોજી ઝીણાના પ્રેરણામૂર્તિ. થોડો વખત ઝીણાએ એમના સચિવ તરીકે પણ કામ કરેલું. એક પારસી યુવતી સાથે પરણેલા. ધર્મનું કોઈ વળગણ એમને નહોતું. પૂરા બૌદ્ધિક હતા. અખંડ હિંદુસ્તાન અને હિંદુ-મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી. ૧૯૧૫માં ગાંધીજી જ્યારે હિંદુસ્તાનમાં આવ્યા, ત્યારે ગોખલેએ એમને કહેલું કે, “આ ઝીણામાં સાચું ઝવેર છે, તેઓ હિંદુ-મુસ્લિમ એકતાના ઉત્તમ એલચી બની શકશે.” ૧૯૨૫ના અરસામાં એક વાર એક મુસ્લિમ યુવક વાત-વાતમાં બોલી ગયો કે, “હું સૌથી પહેલો એક મુસલમાન છું.” ત્યારે ઝીણાએ પ્યારથી એનો ખભો પકડી કહ્યું, “ના બેટા ! સૌથી પહેલાં તું એક ભારતીય છે, અને પછી એક મુસલમાન.” આ જ અરસામાં એમણે જાહેરમાં પણ એક વાર કહેલું કે, “હું સર્વ પ્રથમ રાષ્ટ્રવાદી છું, પછીયે રાષ્ટ્રવાદી છું, અંતે ય રાષ્ટ્રવાદી છું.”

મહમ્મઅલી જિન્હા

ઝીણા બાહોશ વકીલ હતા. બંધારણવાદી હતી. એમના એક ચરિત્રકારે લખ્યું છે કે ઝીણાને મુસ્લિમ ગોખલે થવાની ઉત્કટ ઇચ્છા હતી. કૉંગ્રેસમાં એ વગવાળું સ્થાન ધરાવતા થયા હતા. એની બેસન્ટની હોમરૂલ લીગમાંયે ઝીણાનું આગળ પડતું સ્થાન હતું. તેઓ મુસ્લિમ લીગમાંયે ભાગ લેતા. ત્યારે કૉંગ્રેસ અને લીગ વચ્ચે હજી વૈમન્સ્ય નહોતું. તે વરસોમાં તો ઘણી વાર કૉંગ્રેસ અને લીગનાં અધિવેશનો એક જ શહેરમાં લગભગ સાથે સાથે ભરાતાં અને બંનેના આગેવાનો એકબીજાના મંચ ગજવતા. આવી રીતે લખનૌમાં એકી સમયે મળેલ બંનેનાં અધિવેશનોમાં એક સંયુક્ત યોજના માન્ય થયેલી તથા બહુ જાણીતા થયેલા લખનૌ કરાર ઉપર લોકમાન્ય તિલક અને ઝીણાની સહીઓ હતી. આ સમયગાળામાં એક રાષ્ટ્રવાદી મુસ્લિમ તરીકે ઝીણાની પ્રતિષ્ઠા શિખર ઉપર હતી તથા લગભગ ૧૯૨૭-૨૮ સુધી હિંદુ-મુસ્લિમ એકતા માટે ઝીણા બહુ પ્રયાસ કરતા રહ્યા હતા.

પરંતુ ઝીણા બહુ મહત્ત્વાકાંક્ષી માણસ હતા. પોતે કેન્દ્રમાં રહે એવી અપેક્ષા એમને સતત રહેતી. કૉંગ્રેસના થઈ રહેલા નવા રૂપાંતરમાં ગાંધીજી, નહેરુ, સરદાર, રાજાજી, રાજેન્દ્રબાબુ વગેરે નેતાઓ વચ્ચે ઝીણાનું પોતાની અપેક્ષા પ્રમાણેનું સ્થાન જળવાતું નહોતું. આમ, વ્યક્તિત્વોની ટક્કર ચાલ્યા કરતી. એમ લાગે છે કે ગાંધીજીનો એમની સાથેનો વર્તાવ બહુ સલુકાઈ-ભર્યો રહ્યો નહોતો. કાંઈક વડીલપણાનો રહ્યો હતો. બીજા નેતાઓના વ્યવહાર-વર્તનથીયે પોતે અપમાનિત થઈ રહ્યા છે એવી લાગણી ઝીણાના મનમાં રહેતી. વ્યક્તિગત સ્વભાવોએ, પૂર્વગ્રહોએ અને મિથ્યા અભિમાનોએ પણ ઘણો ભાગ ભજવ્યો. ઝીણાને કૉંગ્રેસમાં જોઈએ તેટલો માન-મરતબો ન મળ્યો.

અને મુખ્ય વસ્તુ તો એ બની કે કૉંગ્રેસનું નવું સ્વરૂપ ઝીણાને માફક ન આવ્યું. ગોખલેની જેમ બંધારણીય માર્ગે આઝાદી મેળવવાનું ઝીણાનું વલણ હતું. ઝીણા ઝાઝા ‘માસ’ના માણસ નહોતા. અંગ્રેજી બોલચાલ અને અંગ્રેજી રહેણીકરણી એમને વધુ માફક આવતી હતી. આને લીધે ગાંધીજીના આવ્યા બાદ કૉંગ્રેસનું રાજકારણ વધુ ને વધુ આંદોલનાત્મક ને લોકસમૂહનું થતું ગયું તેમ તેમ ઝીણા તેમાં બહુ બંધ – બેસતા થઈ શકતા નહોતા. આમ, છેવટે ૧૯૩૦ના અરસામાં ઝીણા અહીંનું રાજકારણ છોડીને ઇંગ્લેંડ રહેવા ચાલ્યા ગયા. ત્યાં એમણે ફરી બેરીસ્ટરી શરૂ કરી દીધી.

તેઓ કદાચ ત્યાં જ સ્થાયી થઈ ગયા હોત. પરંતુ મુસ્લિમ લીગના લિયાકતઅલી ખાન અને બીજા કેટલાક નેતાઓ જઈને એમને મનાવી લાવ્યા અને ઝીણા ૧૯૩૪-૩૫માં ભારત પાછા આવ્યા. અહીં એમને મુસ્લિમ લીગના કાયમી પ્રમુખ બનાવી દેવામાં આવ્યા.

આ અરસામાં ડૉ. આંબેડકરને એવી અપેક્ષા હતી કે ઝીણા એક બિન-કોમવાદી સંયુક્ત પક્ષ રચે, જેમાં મુસ્લિમો, અત્યંત રૂઢિચુસ્ત ન હોય એવા હિંદુઓ, અને દલિત વર્ગના લોકો ભેળા થાય. આમ થાય તો હિંદુ-મુસ્લિમ વચ્ચે પણ કોમી સદ્ભાવ ઊભો થાય અને સાથે જ મુસ્લિમો તેમ જ દલિતોને ડર હતો એવો ‘હિંદુ રાજ’નો ખતરો ટળે. આંબેડકરનો મત એવો હતો કે, “ઝીણા આ જરૂર કરી શકશે, એમને માટે આ મુશ્કેલ કામ નથી, એમનામાં સંગઠન ઊભું કરવાની શક્તિ છે અને એક અસલ રાષ્ટ્રવાદી તરીકેની એમની નામના છે.”

પરંતુ આમ ન થઈ શક્યું. ઝીણા અહીં પાછા આવીને રાષ્ટ્રના નહીં, એક કોમના જ નેતા બન્યા. અને ધીરે ધીરે કોમવાદી રાજકારણના કટ્ટર ઘડવૈયા ને લડવૈયા બનતા ગયા. ‘ઝીણાનું ઝવેર’ હિંદુ-મુસ્લિમ એકતા માટે નહીં, હિંદુ-મુસ્લિમ વૈમનસ્ય માટે વપરાઈને વેડફાઈ ગયું. અંતતોગત્વા ઠેઠ દેશના ભાગલા સુધી દોરી જતી આ પ્રક્રિયા હતી. આ વિધિની કેટલી વિચિત્રતા ને વક્રતા છે કે એકની એક વ્યક્તિ સાવ બદલાઈ જઈને પોતાની શરૂની ભૂમિકા કરતાં છેવટે કેવી તદ્દન વિરુદ્ધની ભૂમિકા ભજવી જાય છે !

વ્યક્તિ પરિસ્થિતિના પ્યાદા રૂપ !

મુહામ્મદ ઈકબાલ

આવું જ શાયર ઈકબાલ વિશે પણ બન્યું. ‘સારે જહાં સે અચ્છા….’નો ગાનારો છેવટે પાકિસ્તાનનો સમર્થક બની ગયો. ઈકબાલના આ પરિવર્તન વિશે રાજમોહન ગાંધી લખે છે : “કવિ ઈકબાલ પશ્ચિમના દેશોના પ્રવાસ દરમ્યાન તેની પ્રગતિથી અભિભૂત થયેલા. સમાજવાદી વિચારધારાનો એમના ઉપર બહુ પ્રભાવ પડેલો. પરંતુ સામ્યવાદમાં ઈશ્વરનો ઇન્કાર હતો તે એમને પસંદ નહોતો. બીજાનો નાશ કર્યા વિના સંવાદી સભ્યતાવાળું વિશ્વ બનાવવાની એમને તમન્ના હતી. તે માટે કોઈ નવા મોડેલની શોધ કરતાં એમને છેવટે ઇસ્લામની જ વિચારધારા આને માટે અનુકૂળ જણાઈ. નૂતન આધુનિક મુસ્લિમ રાજ્ય દ્વારા જ વિશ્વમાં ભ્રાતૃભાવ વધશે, એમ એમને લાગ્યું. આમ, છેવટે એ મુસ્લિમ રાષ્ટ્રના હિમાયતી બન્યા.”

વિનાયક સાવરકર

હિંદુ-મુસ્લિમ એકતાના મેઘધનુષમાં સૌંદર્ય નીરખતા સાવરકર પણ છેવટે આ સૌંદર્યને મસળી નાખનારા બની ગયા. આવો જ એક કમનસીબ કિસ્સો સૈયદ અહમદનો છે. એમના વિશે દાદા ધર્માધિકારીએ કહ્યું છે કે, “સૈયદ અહમદ ભારતવર્ષના આધુનિક મુસ્લિમ જીવનના જનક અને આદ્યપ્રણેતા કહેવાય છે. તેઓ અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સંસ્થાપક અને મુસ્લિમ એજ્યુકેશનલ કોન્ફરન્સના સંયોજક હતા. એમણે મુસ્લિમોમાં અંગ્રેજી શિક્ષણનો વ્યાપ વધે તે માટે બહુ પ્રયત્નો કર્યા, કેમ કે નહીં તો બ્રિટિશ શાસનકાળમાં મુસ્લિમો પાછળ પડી જશે, એમ એમને લાગ્યું. રામમોહન રાયે જે કામ હિંદુ સમાજમાં કર્યું, તે જ કામ મુસ્લિમ સમાજમાં કરવાની એમને ખેવના હતી.” પરંતુ આ જ સૈયદ અહમદ આગળ જતાં કોમવાદી વલણ ધરાવતા થઈ ગયા અને એમની અલિગઢ યુનિવર્સિટી કોમવાદી વલણ વધુ દૃઢ કરવામાં કાણભૂત બની, એ મોટું દુર્દૈવ છે. એમ કહેવાય છે કે એમની પણ હિંદુ-મુસ્લિમ એકતા માટેની આશાને ઘણી ઠેસ પહોંચી હતી. આ વિશે રાજમોહન ગાંધી લખે છે : “સૈયદ અહમદ ઇસ્લામમાં સુધારાવાદી હતા. આધુનિકીકરણના તરફદાર હતા. શિક્ષણ વધે તે માટે પ્રયત્નશીલ હતા. પરંતુ બનારસમાં હિંદુઓએ ઉર્દૂ ભાષાને બદલે હિંદી ભાષાનો જ આગ્રહ રાખ્યો, તેનાથી અકળાઈને પાછળથી મુસ્લિમ-તરફી બની ગયા.” વાસ્તવમાં, આ એક નહીં બીજાં પણ અને કારણો હશે, પરંતુ તેઓ પણ બે કોમને નજીક લાવવાને બદલે દૂર કરવામાં જ કારણભૂત બન્યા.

કટ્ટરવાદી તત્ત્વો માથું ઊંચકતાં ગયાં

આ રીતે હિંદુ-મુસ્લિમ સમાજના તેમ જ સંસ્કૃતિના સમન્વયની પ્રક્રિયા વધુ ને વધુ રૂંધાતી ગઈ. આની સાથોસાથ બંને સમાજનાં કોમી કટ્ટરવાદી તત્ત્વો માથું ઊંચકતાં ગયાં. તેઓ બંને કોમ વચ્ચે અવિશ્વાસ વધારતાં રહ્યાં અને દુશ્મનાવટ ફેલાવતાં ગયાં. એમણે ઇતિહાસની ખોટી ને વિકૃત રજૂઆત કરતા રહીને બંને બાજુ ધર્મઝનૂન વધાર્યા કર્યું. મુસ્લિમ માનસમાં એવું ઝેર રેડાતું રહ્યું કે આપણે તો સેંકડો વરસ સુધી આ હિંદુઓ ઉપર રાજ ચલાવ્યું છે, અને આપણે લઘુમતીમાં હોઈએ તેથી શું થઈ ગયું ? આપણે તો શાસન કરવા જ સર્જાયા છીએ. બીજી બાજુ, હિંદુ માનસને એમ કહીને ઉશ્કેરાતું રહ્યું કે આ મુસ્લિમોએ જ આપણને આટલાં વરસ ગુલામ રાખ્યા, આપણે આટલી મોટી બહુમતીમાં હોવા છતાં એમનાથી દબાઈએ શું કામ ? ઊલટાના આપણે જ એમના ઉપર આપણું આધિપત્ય સ્થાપવું જોઈએ. બંનેએ એકબીજાનાં સમાન તત્ત્વો જોવાને બદલે એકબીજાનાં વિરોધી તત્ત્વોને જ વીણી-વીણીને પ્રગટ કરવા માંડ્યાં. અને બંનેએ પોતપોતાનાં કોમી સંગઠનો ઊભાં કરવા માંડ્યાં.

૧૯૦૬માં ઢાકાના નવાબની આગેવાની નીચે મુસ્લિમ લીગની સ્થાપના થઈ. પંજાબમાં આર્યસમાજના નેતા પંડિત લેખરામે તેમ જ બીજા કટ્ટરવાદી લોકોએ ઇસ્લામ વિરુદ્ધ બહુ પ્રચાર કરવા માંડ્યો. એમણે બધાએ મળીને ૧૯૦૭માં પંજાબ હિંદુ સભાની સ્થાપના કરી. ૧૯૧૫માં હિંદુ મહાસભાની સ્થાપના થઈ અને ૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ. લાલા લજપતરાય ત્યારે કૉંગ્રેસના એક આગેવાન હતા. એમણે ૧૯૨૦માં ૧૩ લેખ લખીને એવું પ્રતિપાદન કરવાની કોશિશ કરી કે હિંદુ અને મુસલમાન એકસાથે રહી શકે તેમ નથી, અને તેથી બંગાલ અને પંજાબ પ્રાંતનું વિભાજન થવું જોઈએ. આપણે અગાઉ વિગતે જોયું તેમ ૧૯૨૩માં સાવરકરે ‘હિંદુત્વ’ પુસ્તક લખ્યું, જેમાં એમણે હિંદુ અને મુસ્લિમ બે જુદાં રાષ્ટ્ર જ છે, એવો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો અને ‘હિંદુસ્તાન હિંદુઓનું’ એવો નારો ગજવ્યો.

રાષ્ટ્રીય મુસ્લિમોનું ઉપયોગી પ્રદાન

કૉંગ્રેસ ત્યારે રાષ્ટ્રવાદી સંગઠન મનાતું. ગાંધીજીએ આવીને તેને હિંદુ-મુસ્લિમ એકતા માટે પ્રતિબદ્ધ પણ કરેલું. પરંતુ ત્યારે એવું હતું કે કૉંગ્રેસનો સભ્ય અન્ય સંગઠનોનો, એટલે કે હિંદુ મહાસભાનો કે મુસ્લિમ લીગનો સભ્ય પણ રહી શકતો હતો. આને લીધે કૉંગ્રેસમાંયે એવા ઘણા હિંદુઓ હતા જે હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારસરણી પ્રત્યે ઢળતું વલણ ધરાવતા અને તેને લીધે ઘણી વાર કૉંગ્રેસના નિર્ણયો ઉપર એમનો પ્રભાવ પણ પડતો. ઠેઠ ૧૯૩૪માં કૉંગ્રેસે એક ઠરાવ કરીને એવો નિયમ કર્યો કે કૉંગ્રેસી કાર્યકર હિંદુ મહાસભા, મુસ્લિમ લીગ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સભ્ય ન બની શકે. ત્યારે કૉંગ્રેસમાં ઘણા રાષ્ટ્રીય મુસ્લિમો હતા, અને તેઓ કૉંગ્રેસના પ્રમુખ પણ બનેલા.

ઇંગ્લેંડથી પાછા આવ્યા બાદ ઝીણાએ કૉંગ્રેસને રાષ્ટ્રીય સંસ્થા તરીકે માનવાનો ઇન્કાર કર્યો. ત્યાર બાદ ઝીણા એમ જ કહેતા રહ્યા કે કૉંગ્રેસ તો હિંદુઓનું પ્રતિનિધિત્વ કરે છે અને માત્ર મુસ્લિમ લીગ જ બધા મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરે છે. કૉંગ્રેસમાંના રાષ્ટ્રવાદી મુસ્લિમો પ્રત્યે ઝીણા અત્યંત તુચ્છકારનો ભાવ દાખવતા. મૌલાના આઝાદ જેવા કૉંગ્રેસના વરિષ્ઠ નેતાને ય તેઓ કૉંગ્રેસના ‘શો બોય’ – શોભાના ગાંઠિયા કહી ઉતારી પાડતા. ૧૯૩૭ પછી ઝીણાએ એ જ કક્કો ઘૂંટ્યે રાખ્યો કે મુસ્લિમ લીગ જ મુસ્લિમોની એકમાત્ર પ્રતિનિધિ છે.

જો કે મુસલમાનોમાં એવા પણ ઘણા હતા, જેઓ ઝીણાના વલણ સાથે બિલકુલ સંમત નહોતા. આવા એક ઇસ્લામી વિદ્વાન મૌલાના કાસિમ અહમદે તો મુસ્લિમોને અનુરોધ કર્યો હતો કે તેમણે કૉંગ્રેસમાં જોડાઈ જઈને સ્વાતંત્ર્ય-આંદોલનમાં પૂરેપૂરો સહયોગ આપવો જોઈએ. કેમ કે અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા તે તેમની ધાર્મિક ફરજ હતી. એમણે તે સમયના સોએક જેટલા ઉલેમાઓ પાસેથી આવા ફતવા બહાર પડાવ્યા હતા. આ બધાએ મળીને ઇસ્લામના અભ્યાસની એક પ્રમુખ સંસ્થા દારુલ ઉલુમ, દેઉબન્દની સ્થાપના કરી હતી. આ સંસ્થાએ કદાપિ ઇસ્લામી રાજ્યનું સમર્થન કર્યું નહોતું અને બિન-સાંપ્રદાયિક રાષ્ટ્રવાદનું જ સમર્થન કર્યું હતું. આ સંસ્થાના એક મોટા વિદ્વાન મૌલાના હુસેન અહમદ મદાનીએ ‘સંમિશ્રિત રાષ્ટ્રવાદ અને ઇસ્લામ’ એ નામનું એક પુસ્તક લખ્યું હતું, જેમાં તેમણે દ્વિ-રાષ્ટ્રના સિદ્ધાંતનો વિરોધ કર્યો હતો તથા કુરાનનાં અને પયગંબરનાં કથનોને તેમ જ વહેવારોને આધારે સંમિશ્રિત રાષ્ટ્રવાદનું જ ભારપૂર્વક પ્રતિપાદન કર્યું હતું.

સૈયદ અહમદે સ્થાપેલી અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી પણ મુસ્લિમ બૌદ્ધિકો માટે વિચાર-મંથન અને પ્રવૃત્તિનું ધામ હતું. જો કે તેમાં બે ફાંટા પડી ગયા. અમુક લોકોએ કોમવાદી વલણ અપનાવ્યું, જ્યારે બીજાઓએ રાષ્ટ્રવાદી વલણ. ૧૯૨૦માં ગાંધીજીએ અસહકારનું આંદોલન ઉપાડ્યું ત્યારે અલિગઢ યુનિવર્સિટીના રાષ્ટ્રવાદી વલણ ધરાવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તેમાં ઝંપલાવ્યું. એમણે અલિગઢ યુનિવર્સિટી છોડીને જામિયા મિલિયા ઇસ્લામિયા(રાષ્ટ્રીય મુસ્લિમ યુનિવર્સિટી)ની સ્થાપના કરી. તેમાં ઘણા રાષ્ટ્રીય મુસલમાનો જોડાયા હતા. હકીમ અજમલખાન, ડૉ. ઝાકિરહુસેન વગેરે આ જામિયા મિલિયા સાથે જોડાયેલા.

આઝાદીના લડવૈયા સંકીર્ણ કોમવાદી માનસથી મુક્ત

સરવાળે એવું જોવા મળે છે કે જેમણે-જેમણે દેશની આઝાદી માટેનાં આંદોલનોમાં ભાગ લીધો તેઓ બધા રાષ્ટ્રવાદી અને બિન-સાંપ્રદાયિક વલણ ધરાવનારા હતા તથા જેમણે આઝાદીની લડતમાં ભાગ ન લીધો, દેશની સ્વતંત્રતાનાં આંદોલનોથી જેઓ કોઈ ને કોઈ કારણસર અળગા રહ્યા, તે બધા સંકીર્ણ, કોમવાદી અને ધર્મઝનૂની માનસ ધરાવતા હતા. આ વસ્તુ આઝાદી માટેની અહિંસક તેમ જ હિંસક બેઉ લડતને લાગુ પડે છે. અંગ્રજો સામે સશસ્ત્ર બળવાના ઝંડાધારી એવા શહીદ ભગતસિંહ અને એમના ક્રાંતિકારી સાથીઓ બધા પૂરેપૂરા બિન-સાંપ્રદાયિક હતા. એમને ધર્મ ને સંપ્રદાયોના કોઈ ભેદભાવ સ્પર્શ્યા નહોતા. તેઓ હિંદુ-મુસ્લિમ વચ્ચે પણ કોઈ ભેદભાવ માનતા નહોતા.

આમ તો જોવા એમ મળે છે કે પ્રજાકીય સ્તરે હિંદુ-મુસ્લિમ એકતા હજી હેમખેમ રહી હતી. સામાન્ય લોકો ગામેગામ પ્રેમથી હળી-મળીને રહેતા હતા. બંને પોતપોતાનો ધર્મ પાળતા અને સમાજમાં સુલેહ-શાંતિથી જીવતા. જે કોમી વિખવાદ ઊભો થઈ રહ્યો હતો, તે ધર્મને કારણે નહીં, રાજકારણને કારણે ઊભો થઈ રહ્યો હતો. અત્યાર સુધી હિંદુ અમે મુસ્લિમ રાજાઓ વચ્ચે લડાઈઓ થયેલી, પરંતુ બે કોમ વચ્ચે હુલ્લડો થયાં નહોતાં. બંને કોમ એકબીજા પ્રત્યેના વૈમનસ્યથી લડી મરી હોય, એવું ઓગણીસમી સદી સુધી બન્યું નહોતું. એવાં કોમી હુલ્લડો એ આધુનિક ઘટના છે. અને તેના મૂળમાં કોમી રાજકારણ રહ્યું છે. જુઓ ને, હિંદુ-મુસ્લિમ સંબંધમાં સૌથી અગ્રણી ભાગ ભજવી જનાર હિંદુ-મુસ્લિમ નેતાઓ – સાવરકર અને ઝીણા ચુસ્ત ધાર્મિક કહેવાય એવા હતા જ નહીં. છતાં એમનું રાજકારણ એમને કટ્ટરતાના પ્રવક્તા બનાવી ગયું ! રાજકારણે ધર્મનો દુરુપયોગ કરીને બંને કોમની ધાર્મિક લાગણીઓને ઉશ્કેરવાનું શરૂ કર્યું અને ત્યારથી કોમી હુલ્લડોની શરૂઆત થઈ છે. આરંભમાં કોમી વૈમનસ્ય રાજકારણી અગ્રવર્ગ પૂરતું મર્યાદિત રહ્યું, પણ પછી તે પ્રજાકીય સ્તરે પણ પ્રસરતું ગયું. જો કે તે ય શહેરોમાં જેટલું પ્રસર્યું હતું, તેટલું ગ્રામીણ સ્તરે નહોતું પ્રસર્યું. એટલે કોમી હુલ્લડો ભાગલાના વખત સુધી મોટે ભાગે શહેરોમાં થયેલાં.

કોમી વિખવાદનું કારણ ધર્મ નહીં, રાજકારણ

ખેર, આ કોમી વિખવાદનું કારણ ધર્મ નહીં, રાજકારણ હતું. અને તેથી જ એમ જોવા મળે છે કે જે લોકો આઝાદીના બૃહદ્દ ને ઉદાત્ત રાજકારણમાં પડેલા તથા કોમવાદી સંકીર્ણ રાજકારણથી ખરડાયેલા નહોતા, તેઓ સંપૂર્ણપણે બિન-સાંપ્રદાયિક હતા તથા આ નવા ઊભા થતા જતા કોમી વિખવાદને લીધે અત્યંત દુ:ખી હતા અને આઝાદીના આંદોલન માટે આને સૌથી મોટા વિઘ્નરૂપ માનતા હતા. તેઓ બધા જ હિંદુ-મુસ્લિમ એકતાના હૃદયથી ઉપાસક હતા. તેથી જ શહીદ ભગતસિંહ પણ કોમી વિખવાદમાં બિલકુલ માનતા નહોતા, અને આ જ કારણે તેઓ પોતાના ગુરુ ને માર્ગદર્શક એવા લાલા લજપતરાયથીયે છૂટા પડી ગયા હતા.

ભગતસિંહ

ભગતસિંહના વખતમાં કોમી હુલ્લડો થતાં. તે વિશે એ બહુ ચિંતિત હતા. તે અંગે એક લેખ એમણે ૧૯૨૮માં હિંદી સામયિકમાં લખેલો. તેમાં રાષ્ટ્રની આઝાદી માટે સમર્પિત સ્વાતંત્ર્ય-વીરોની આ અંગેની વેદના-વ્યથા વેધકપણે વ્યક્ત થાય છે : “દેશની હાલની દશા ખૂબ દયનીય છે. એક ધર્મના અનુયાયી બીજા ધર્મના અનુયાયીના કટ્ટર દુ:શ્મન બન્યા છે. હવે જાણે એક ધર્મના હોવું એ જ બીજા ધર્મના કટ્ટર શત્રુ હોવા બરાબર બની ગયું છે. આ મારકાપ એટલા માટે નહોતી કે ફલાણો માણસ દોષી છે, પણ એટલા માટે થઈ કે, ફલાણો હિંદુ છે, શીખ છે કે મુસલમાન છે …. આવી પરિસ્થિતિમાં હિંદુસ્તાનનું ભાવિ અંધકારમય જણાય છે. આ ધર્મોએ હિંદુસ્તાનને કેદખાના જેવું બનાવી દીધું છે. બધા ય, આ ધર્મવાળા અને તે ધર્મવાળા ડંડા, લાકડીઓ, તલવારો ને છૂરા હાથમાં લઈને એકબીજાનાં માથાં વધેરી રહ્યા છે. આવાં કોમી હુલ્લડો પાછળ સાંપ્રદાયિક નેતાઓ અને અખબારોનો હાથ હોય છે. હિંદુસ્તાનની નેતાગીરીનું દેવાળું નીકળી ગયું છે. આ સ્થિતિ જોઈ રડવું આવી રહ્યું છે. દિલમાં સવાલ ઊઠે છે કે હિંદુસ્તાન એક રાષ્ટ્ર બનશે ખરું ?”

‘હિદુત્વ’ના આજના નાદાન ઝંડાધારીઓ આજે આ જ ભગતસિંહનું નામ લઈ પોતાના રોટલા શેકી રહ્યા છે, તે કેવી મોટી વિડંબના છે ! ભગતસિંહ એક-રાષ્ટ્રના, ભારતીય રાષ્ટ્રના હિમાયતી હતા, હિંદુ અને મુસલમાન એવા દ્વિ-રાષ્ટ્રના કદી નહીં, હરગિજ નહીં. અને એ જ વિવેકાનંદનો માર્ગ હતો. રાષ્ટ્રવાદી પરિબળ એ, આપણે અગાઉ કહ્યું તેમ, વિવેકાનંદમાર્ગી પરિબળ હતું.

ગાંધીએ વિવેકાનંદનો તંતુ આગળ વધાર્યો

ગાંધીએ પણ વિવેકાનંદનો જ માર્ગ પકડ્યો હતો. સર્વ ધર્મ-સમભાવ અને રાષ્ટ્રના સાંસ્કૃતિક પુનરુત્થાનની રામકૃષ્ણ-વિવેકાનંદની વાત વીસમી સદીમાં એકચિત્ત, એકપ્રાણ થઈને કોઈએ આગળ ચલાવી હોય, તો તે ગાંધીએ. વિવેકાનંદના તંતુને એમણે આગળ વધાર્યો. ગાંધીને મન દેશની આઝાદી અને હિંદુ-મુસ્લિમ એકતા એ કોઈ સામાન્ય ધ્યેય નહોતાં, એમની આધ્યાત્મિક સાધનાનો જ એ એક ભાગ હતો. કોમી એકતા માટેની એમની અવિચળ નિષ્ઠાનાં મૂળ ભૂતમાત્રની એકાત્મતાના આધ્યાત્મિક દર્શનમાં રહેલાં છે. એમણે કહ્યું છે : “હિંદુ ધર્મ માને છે કે જીવમાત્ર (માત્ર મનુષ્યો જ નહીં, મનુષ્યેતર સૃષ્ટિ પણ) એક છે. …. હું કેવળ માનવ સાથે જ નહીં, ધરતી પર સળવળતાં ક્ષુદ્ર જંતુઓ સાથે પણ મારું તાદાત્મ્ય સાધવા ચાહું છું, કારણ કે આ બધી એક જ ઈશ્વરની સૃષ્ટિ છે.”

આમ, હિંદુ-મુસ્લિમ એકતા એ ગાંધી માટે કોઈ ચર્ચાની કે વિવાદની બાબત નહોતી. જીવન-સાધનાની બાબત હતી. ધર્મના ભેદ તેઓ સ્વીકારી જ ન શકે. રામકૃષ્ણ પરમહંસને માટે સર્વધર્મની એકતા એ જેમ આત્મ-પ્રત્યયની બાબત હતી, તેમ ગાંધીને પણ આ બાબત આવો આત્મપ્રત્યય હતો. એવી જ રીતે દેશની આઝાદી પણ ગાંધી માટે માત્ર રાજકીય આઝાદી નહોતી, પણ ‘સ્વ-રાજ’ એટલે કે આત્માનું રાજ સ્થાપવા માટેની એક આધ્યાત્મિક જરૂરિયાત હતી. અને ‘હિંદુ-સ્વરાજ’નું, સ્વતંત્ર હિંદુસ્તાન માટેનું એમનું દર્શન પણ વિવેકાનંદની જેમ જ દેશના સાંસ્કૃતિક-આધ્યાત્મિક પુનરુત્થાનનું જ હતું. એટલે કે ગાંધી માટે કોમી એકતા અને સાંસ્કૃતિક પુનરુત્થાન, બંને આધ્યાત્મિક સાધનાનાં અંગરૂપ હતાં. ઉપરાંત, એ બંને બાબત પણ ગાંધી માટે એક જ સિક્કાનાં બે પાસાં જેવી હતી. આથી એમણે આઝાદીનું તેમ જ કોમી એકતાનું, એ બંને આંદોલનો સાથે સાથે ચલાવ્યાં. રામકૃષ્ણ-વિવેકાનંદે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ સમેત સર્વ ધર્મોના સમન્વયમાં તેમ જ સાંસ્કૃતિક સંગમમાં ભારતીય સંસ્કૃતિનો ઉત્કર્ષ જોયો હતો. ગાંધીએ વિવેકાનંદના તંતુને જ આગળ વધાર્યો.

આવી રીતે વીસમી સદીના પૂર્વાર્ધમાં આ ચાર પરિબળો – પ્રજાકીય, કોમી કટ્ટરતાવાદી, રાજકારણી અને વિવેકાનંદમાર્ગી – મુખ્ય રહેલાં જણાય છે તથા આ ગાળાનો ઇતિહાસ આ ચાર પરિબળોના આઘાત-પ્રત્યાઘાત અને આંતરદ્વંદ્વ દ્વારા રચાયો છે.

સૌજન્ય : “ભૂમિપુત્ર” : 16 સપ્ટેમ્બર 2024; પૃ. 04-07 

Loading

...102030...590591592593...600610620...

Search by

Opinion

  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved