Opinion Magazine
Number of visits: 9663182
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવી શ્રમ સંહિતામાં કેટલાક આવકારદાયી બદલાવ સાથે કામદારોને ચિંતા કરાવે એવી જોગવાઇ પણ છે …

નેહા શાહ|Opinion - Opinion|30 November 2025

નેહા શાહ

૨૧ નવેમ્બરે સરકાર તરફથી નવી શ્રમ સંહિતાની જાહેરાત થઇ. પહેલા ૨૯ જેટલા અલગ અલગ શ્રમ કાયદા હતા. આટલા બધા કાયદા હોવાને કારણે કાનૂની પ્રક્રિયા જટિલ બનતી હતી. કાયદાને સરળ બનાવા માટે જૂના કાયદાઓને અલગ રીતે ગોઠવીને નવા કાયદામાં ચાર સંહિતા(કોડ)માં ગોઠવવામાં આવ્યા છે. ૨૦૧૯થી શ્રમ કાયદામાં ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઈ હતી. વેતન સંહિતા (2019), ઔદ્યોગિક સંબંધ સંહિતા (2020), સામાજિક સુરક્ષા સંહિતા (2020) અને વ્યવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય અને કામ કરવાની શરતો સંહિતા (2020)ને પાંચ વર્ષ પહેલા સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જેને ૨૧મી નવેમ્બરે ઔપચારિક રીતે અમલમાં મૂકવામાં આવી. ઘણા કાયદા અંગ્રેજોના સમયથી ચાલી આવતા હતા એને બદલી આધુનિક કામનાં સ્થળને અનુરૂપ બનવાની જરૂર હતી જ. સરકારે પણ વ્યવસાય કરવાની સરળતા ઊભી કરવા માટે કાયદાને આધુનિક અને સરળ બનાવવાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. 

શ્રમ કાયદાની શરૂઆત ઐતિહાસિક રીતે શ્રમિકોના કલ્યાણ માટે થઇ હતી. વૈશ્વિક સ્તરે જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિની સાથે ૧૯મી સદીમાં કામના કલાકને નિશ્ચિત કરવાથી પહેલ થઇ અને એક શ્રમિકનું ગુલામમાંથી કામદાર તરફનું પ્રયાણ સરળ બન્યું. વીસમી સદીમાં કામના કલાક ઘટતા ગયા સાથે લઘુતમ વેતન મળતા થયા, સામાજિક સુરક્ષાનો પ્રબંધ શરૂ થયો, ટ્રેડ યુનિયનને માન્યતા મળી અને વાટાઘાટોની શક્યતા વધી. ઉત્તરોત્તર કાયદા પ્રગતિશીલ બનતા ગયા અને શ્રમિકોની માનવીય જરૂરિયાતોને સમજતા ગયા. દોઢ થી બે દાયકા દરમ્યાન થયેલી આ પ્રગતિ લોકશાહીના વધતા પ્રભાવને કારણે શક્ય બની જેણે કામદારો અને તેમના યુનિયનોને મેનેજમેન્ટ સાથે વાટાઘાટ કરવા માટેનું મંચ ઊભું કર્યું. કાયદામાં શ્રમિક તરફી થયેલા લગભગ દરેક સુધારા પાછળ નાની -મોટી લડત રહી જ છે, શ્રમિકોને રોજગાર સંદર્ભે સુરક્ષા મળવી એ એમનો હક કહેવાય, કોઈ ધર્માદાનો વિષય નહિ એ સમજણ પણ સમાજમાં ઊભી કરવામાં લાંબો સમય ગયો. એ પ્રમાણે કાયદા ધીમે ધીમે બદલાતા ગયા. 

સમયની જરૂરિયાત પ્રમાણે કાયદા ઘડાવા તેમ જ બદલાવા જોઈએ. પણ, જરૂરિયાત કોની એ સવાલ અગત્યનો છે. શ્રમ કાયદાના હાર્દમાં અત્યાર સુધી શ્રમિકોનું કલ્યાણ હતું, હવે ધીમે ધીમે વ્યવસાય કરવાની સરળતાને હવે પ્રાધાન્ય મળતું દેખાય છે. નવી શ્રમ સંહિતામાં કેટલાક આવકારદાયી બદલાવની સાથે કામદારો માટે ચિંતા કરાવે એવી જોગવાઈ પણ છે, એટલે જ દેશભરના મુખ્ય દસ મજૂર સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. નવા કાયદા પ્રમાણે કામના કલાકોમાં વધારો કરી શકાશે, મહિલા કામદારોને રાત પાળી માટે બોલાવી શકાશે, ૩૦૦ કામદારો સુધી છટણી કરવા માટે પૂર્વમંજૂરી લેવાની જરૂર રહેશે નહિ, પહેલા આ મર્યાદા ૧૦૦ કામદારોની હતી. કામદાર કલ્યાણ માટે સામાજિક સુરક્ષા, લઘુતમ વેતન, અને ૪૦ વર્ષથી વધુ ઉંમર વાળા કામદારો માટે વાર્ષિક આરોગ્ય તપાસ જેવી સુવિધાની વાત પણ કરી છે. પણ, સામાજિક સુરક્ષાના કાયદા વર્ષોથી આપણે ત્યાં છે અને જેનો મોટા ભાગે એક યા બીજા કારણોસર ભંગ જ થતો આવ્યો છે, અને જે અંગે લેબર કમિશનરની કચેરી આંખ આડા કાન જ ધરતી આવી છે. તો હવે નવા કાયદા આધીન આ સુવિધાઓનો લાભ કઈ રીતે સુનિશ્ચિત થશે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી. તો શ્રમિકોનાં જીવનમાં આ કાયદાથી સુધારો થશે એવું માની લવાને કોઈ કારણ નથી. સરકાર ભલે કહે કે ગીગ વર્કર્સ (ઝોમેટો-સ્વીગી કે બ્લીન્કીટ જેવા પ્લેટફોર્મ પર છુટું કામ સ્વીકારતા લોકો) માટે પણ સામાજિક સુરક્ષાની વ્યવસ્થા કરવા પ્લેટફોર્મ ચલાવનાર પાસેથી યોગદાન લેવાશે. કાગળ પાર આ વાત જેટલી સરળ લાગે છે એટલો જ એનો અમલ મુશ્કેલ છે. ૨૦૦૮માં આવેલો અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે સામાજિક સુરક્ષાના કાયદાનો અમલ આજ સુધી અસરકારક બની શક્યો નથી. બાંધકામ મજૂરો માટેના ભંડોળમાં ઘણાં બિલ્ડીંગ કોન્ટ્રાકટર પૈસા જમા કરાવતા જ નથી છતાં ય એમની સામે કોઈ પગલાં લેવાયાનું સાંભળ્યું નથી. વળી, ગીગ વર્કર્સ માટે વ્યવસાયિક સુરક્ષા અને કામ કરવાની શરતોની કોઈ જોગવાઈ નથી. એટલે દસ મિનિટમાં ઘરે ડિલીવરી પહોંચાડવાની દોડમાં રોડ અકસ્માતમાં જોખમ સામે કોઈ સુરક્ષા નથી. ઉપરાંત ટ્રેડ યુનિયનની માન્યતા માટેની શરતો પણ વધારે આકરી બનાવી છે, એટલે જો વાટાઘાટ દ્વારા પ્રશ્નના નિરાકરણ માટે અવકાશ મર્યાદિત બની જશે એ આશંકા અસ્થાને નથી.  

શ્રમજીવી દેશનો નાગરિક પણ છે અને ઉત્પાદનનું સાધન પણ. નાગરિક તરીકે એના અધિકારનો દાયરો મત આપવા પૂરતો માર્યાદિત થઇ જાય છે. પાછલા ત્રણ દાયકામાં ઔપચારિક રોજગારનું પ્રમાણ સતત ઘટીને લગભગ સાત ટકા પૂરતું મર્યાદિત થઇ ગયું છે. શ્રમ કાયદાથી બચવા ઉદ્યોગો અનૌપચારિક કામદારો તરફ વધુ ને વધુ વળ્યા છે. ઔદ્યોગિક ઉત્પાદનનાં આંકડા જોઈએ તો સ્પષ્ટ દેખાય કે શ્રમિકોની ઉત્પાદકતા ઉત્તરોત્તર વધી છે પણ ઉત્પાદનની વહેંચણીમાં તેમનો હિસ્સો ઘટી રહ્યો છે. આ વધતી અસમાનતાની નિશાની છે જે સમાજની તંદુરસ્તી માટે ચિંતાનો વિષય હોવો જોઈએ.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઇથોપિયાને છીંક આવી, ભારતને શરદી થઇ ગઈ : હેલી ગુબ્બી જ્વાળામુખી રાખ સંકટ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|30 November 2025

12,000 વર્ષ જૂના જ્વાળામુખીએ કેવી રીતે ભારત–યુરોપ હવાઈ માર્ગોને ખલેલ પહોંચાડી અને ઉડ્ડયનની નાજુકતા ઉજાગર કરી

ચિરંતના ભટ્ટ

છેક ઇથોપિયાનામાં 12,000 વર્ષ પછી અચાનક એક જ્વાળામુખી સક્રિય થયો અને એ વિસ્ફોટે ભારતના હવાઈ ક્ષેત્રના હિસ્સાઓને હંફાવી દીધો. યુરોપ-ભારત ફ્લાઇટ માર્ગો પ્રભાવિત થયા અને આપણા આધુનિક પરિવહન નેટવર્કને બાંધતા નાજુક તંતુઓ જાહેર થઇ ગયા.

હેલી ગુબ્બી જ્વાળામુખી, જે હિમયુગના અંતથી નિષ્ક્રિય હતો, નવેમ્બર 23, રવિવારે સવારે 8:30 વાગ્યે UTC પર ફરી જીવંત થયો. ત્યાર બાદ એક કાસ્કેડિંગ સંકટ આવ્યું જે કોઈપણ એરલાઇન પ્રતિક્રિયા આપી શકે તેના કરતાં વધુ ઝડપથી ખંડોમાં ફેલાયું.

ઇથોપિયાના અફાર પ્રદેશમાં સ્થિત, અદીસ અબાબાથી લગભગ 800 કિલોમીટર ઉત્તરપૂર્વમાં, હેલી ગુબ્બી – અરેબિયન, નુબિયન અને સોમાલી ટેક્ટોનિક પ્લેટ્સ પર છે. જ્વાળામુખી ફાટ્યો અને તેના વિસ્ફોટથી સલ્ફર ડાયોક્સાઇડના વાદળ (પ્લુમ) પંદર કિલોમીટરની ઊંચાઈ (45 હજાર ફૂટ) સુધી પહોંચી રાતો સમુદ્ર પાર કરી યમન અને ઓમાન સુધી પ્રસર્યા. અત્યાર સુધીના માનવ ઇતિહાસ દરમિયાન જીવનના કોઈ ચિહ્નો દર્શાવ્યા ન હતા. મંગળવારે આખો દિવસ ઈથોપિયાથી ૪,૩૦૦ કિ.મી. દૂર ગુજરાતથી રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ સુધી પશ્ચિમ ભારતના આકાશમાં જ્વાળામુખીની રાખનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું હતું અને મંગળવારે રાતે ચીન તરફ આગળ વધી ગઈ.

ફ્રાન્સમાં ટુલાઉસ વોલ્કેનિક એશ એડવાઇઝરી સેન્ટર (VAAC), જે વૈશ્વિક સ્તરે જ્વાળામુખીની પ્રવૃત્તિનું નિરીક્ષણ કરે છે, તેણે કલાકોમાં પ્લુમ શોધી કાઢ્યું અને તાત્કાલિક સલાહ જારી કરી. તે જ દિવસે સાંજે 8:00 વાગ્યે UTC સુધીમાં વિસ્ફોટનો તબક્કો પૂરો તો થયો પણ ત્યાં સુધીમાં નુકસાન પૂરતું થઇ ગયું હતું.

100-120 કિ.મી./કલાકની ગતિએ ફરતા શક્તિશાળી ઉપઉષ્ણકટિબંધીય જેટ સ્ટ્રીમ પવનો થકી, રાખના વાદળે અસાધારણ યાત્રા શરૂ કરી. તે રાતા સમુદ્ર પર થઇ તે યમન અને ઓમાનના ભાગોને ઢાંકી અરબી સમુદ્ર પાર કરી તે સોમવારે સાંજે ગુજરાતની પશ્ચિમી સરહદમાંથી ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું.

ઇન્ડિયામેટસ્કાય વેધરના જણાવ્યા અનુસાર, પ્લુમ સોમવારે રાત્રે લગભગ 10:00 વાગ્યે ગુજરાતમાં પ્રવેશી તે જલદી જ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ફેલાયું. અડધી રાત સુધીમાં, દિલ્હી ધુમ્મસભર્યું થઈ ગયું પણ ત્યાં લોકોને લાગ્યું કે આ કાયમી પ્રદૂષણ છે. જો કે બાદમાં ખ્યાલ આવ્યો કે આ બીજી જ ઘટનાને કારણે થયેલી સ્થિતિ હતી. 

ભારતીય હવામાન વિભાગ(IMD)એ સેટેલાઇટ ઈમેજરી દ્વારા પુષ્ટિ કરી કે રાખનું વાદળ 15,000 થી 45,000 ફૂટની ઊંચાઈ પ્રોફેશનલ વિમાનો જ્યાં ક્રૂઝ કરે છે ત્યાં ફેલાયું.  હવાની ગૂણવત્તા પર તેની અસર નહીંવત્ હોય છે પણ ઉડ્ડયન માટે આ મોટું જોખમ હતું. આઇ.એમ.ડી.ના ડાયરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મોહાપાત્રાએ મંગળવારે વિધાન કર્યું હતું કે, “આ જ્વાળામુખીની રાખની અસર માત્ર ઉપરી ટ્રોપોસ્ફિયરમાં જોવા મળી રહી છે અને તે ફ્લાઇટ કામગીરીને અસર કરી રહી છે. એક અંદાજ અનુસાર તે સાંજ સુધીમાં ચીન તરફ જશે.” 

ભારતીય વિમાન ઉદ્યોગે આ આફતનો પ્રતિસાદ ઝડપી આપ્યો. જ્વાળામુખીની રાખ વિમાનો માટે મોટું જોખમ છે કારણ કે તેમાં રહેલા સૂક્ષ્મ કણો વિન્ડસ્ક્રીન પર ઘસાય તો ભારે નુકસાન થઇ શકે છે, ફ્યુઅલ સિસ્ટમ પર તેની અસર થઇ શકે છે, એટલું જ નહીં પણ 1000 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન ધરાવતું જેટ એન્જિનમાં આ કણો પીગળે એટલે તે ટર્બાઈન બ્લેડ્ઝ પર જમા થઇને એન્જિન ફેલ્યોરની શક્યતાઓ ખડી કરી શકે છે. 

ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશને સોમવારે જાહેર કરેલી એડવાઇઝરીમાં એરલાઇન્સને પ્રભાવિત હવાઈ માર્ગો ટાળવા સૂચના આપી અને ફ્લાઇટ પ્લાનમાં ફેરફાર અને લાંબા અવરોધો માટે તૈયાર રહેવા કર્યું. આ એડવાઇઝરી અનુસાર વૉલ્કેનિક ઍશ પ્રોટોકલને અમલમાં મૂકાયો અને તમામ ઓપરેટર્સને ચેતવણી આપવા માટે વિશેષ ASHTAM (વોલ્કેનિક ઍશ NOTAM) પણ જાહેર કરાયો.

સોમવાર-મંગળવારે એર ઇન્ડિયાએ મધ્યપૂર્વ અને યુરોપ માર્ગોની 11 ફ્લાઈટ રદ્દ કરી. ઈન્ડિગોએ કન્નુર–અબુધાબીની ફ્લાઈટ અમદાવાદ તરફ ફેરવી અને અનેક ગલ્ફ સેવાઓ રદ્દ કરી. અકાસા એરએ સૌથી કડક પગલું લઈ 24 અને 25 નવેમ્બરના જેડ્ડા, કુવૈત અને અબુધાબીની તમામ ઉડાનો રદ્દ કરી દીધી.

આંતરરાષ્ટ્રીય સ્તરે KLMએ એમ્સ્ટર્ડમ–દિલ્હી રોટેશન (KL 871 / 872) બે દિવસ સ્થગિત કર્યા—જે ઉત્તર યુરોપ અને દક્ષિણ એશિયાને જોડતી મહત્ત્વની કડી ગણાય છે. એર અરેબિયાએ પણ શારજાહથી કુવૈત, દમાસ્કસ, કાબુલ, દોહા સહિતના અનેક શહરો માટેની ઉડાનો રદ્દ કરી. મંગળવાર બપોર સુધી સાત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રદ્દ થઈ અને બાર જેટલી ફ્લાઇટ્સ મોડી ઊપડી હતી.  

લોકો જે આંતરરાષ્ટ્રીય નોકરીના માટે ઇન્ટરવ્યૂ વિદેશ પ્રવાસ કરવાના હતા તેમણે પણ પોતાના કરિયરના સપનાંઓ પર આ રાખનો ફેલાવો વેઠ્યો. દિલ્હી-એન.સી.આર.નું ધૂંધળું આકાશ, પંજાબ હરિયાણામાં વાતાવરણમાં ફેરફાર અને મુંબઈ મહારાષ્ટ્રમાં ફ્લાઇટ્સ મોડી ઉપડીની ઘટનાઓ ઘટી. 

મધ્યપૂર્વ-આફ્રિકા હવાઈ માર્ગોની અસ્થિરતાની ભારત પર સીધી અસર થાય છે. રાખથી પ્રભાવિત માર્ગો બંધ થાય પછી એરલાઇન્સ પાસે સુરક્ષિત વિકલ્પો ઓછા જ બચે છે. ઇથોપિયામાં જે થયું તેની ચેતવણી પહેલેથી ન મળી શકી કારણ કે વૈજ્ઞાનિક પહોંચ મર્યાદિત છે. 

આ ઘટના આપણી હવાઈ નીતિઓની નાજુકાઈ પણ નજર સામે ધરે છે. ભારતના મોટાભાગના આંતરરાષ્ટ્રીય માર્ગો મધ્યપૂર્વ અથવા આફ્રિકા ઉપરથી જ જાય છે — એટલે કોઈપણ ભૌગોલિક કે પ્રાકૃતિક આંચકો સીધી અસર કરે છે. બીજી તરફ, ભારતીય એવિએશન હજુ પણ વૈશ્વિક મોનિટરિંગ એજન્સીઓ (VAAC, EUMETSAT) પર મોટે પાયે નિર્ભર છે, જ્યારે સેટેલાઇટ એશ ડિટેક્શન જેવી ક્ષમતાઓમાં સ્વાવલંબન મર્યાદિત છે. એન્જિન ફેલ્યોર, ઈમરજન્સી ડાયવર્ઝન જેવા જોખમ ઊભા થવાની શક્યતા વધુ હતી. આ ઘટનાએ સ્પષ્ટ કર્યું કે ભારતીય એવિએશનને “પ્રતિક્રિયાત્મક” નહીં પરંતુ “પૂર્વાનુમાનાત્મક” અભિગમની તાત્કાલિક જરૂર છે. 

બાય ધી વેઃ 

આ ઘટના એક એવો ચોંટિયો છે જે માણસને યાદ કરાવે છે કે દુનિયા વૈજ્ઞાનિક રીતે આગળ વધી ગઈ હોવા છતાં પ્રકૃતિ સામે કોઈનું ચાલતું નથી. હજાર વર્ષથી સુષુપ્ત જ્વાળામુખીએ ત્રણ ખંડોના હવાઈ તંત્રને હચમચાવી દીધું. ભવિષ્યમાં ક્યારે ય પણ કોઈ નિષ્ક્રિય જ્વાળામુખી ફરી સક્રિય થાય તો ભારત, યુરોપ સહિત આખી દુનિયાનું આકાશ ફરી એકવાર આકરી કસોટીમાંથી પસાર થશે તે નક્કી છે. ટૂંકમાં આપણે નહીં ધારેલા અને નહીં જોયેલા તંત્રનો હિસ્સો છીએ અને આ માટે જ આપણે આપણી કોર સાચવવી અને બીજાઓને દખલગીરી કર્યા વિના આપણી તાકાત ખડી કરવી જોઈએ નહીંતર અચાનક આવેલી આફતો અવાચક કરી દે. રસ્તો તાત્કાલિક ન મળે તો નુકસાન વેઠવું પડે તેવું થઇ જ શકે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30  નવેમ્બર 2025

Loading

જે મહાન હિંદુ આ જમીનમાં પેદા થયા છે એ જવાબદારી સમજનારા મહાન માણસ હતા

રમેશ ઓઝા|Opinion - Opinion|30 November 2025

રમેશ ઓઝા

આ લેખ હું ૨૬મી નવેમ્બરે લખી રહ્યો છું, જ્યારે ૧૯૪૯માં આ જ દિવસે ભારતનાં બંધારણને મંજૂર રાખવામાં આવ્યું હતું અને આજે તેને ૭૫ વરસ પૂરાં થઈ રહ્યાં છે. દેશનું દુર્ભાગ્ય છે કે આજે ૭૫ વરસે દેશ જ્યારે બંધારણની અર્થાત્ પ્રજાસત્તાક ભારતની અમૃતજયંતી ઉજવી રહ્યો છે, ત્યારે એ બંધારણનું અસ્તિત્વ જ ખતરામાં છે. કારણ બહુ સ્પષ્ટ છે. માત્ર ભારતમાં નહીં, જગત આખામાં તાનાશાહો ઇચ્છતા નથી કે પ્રજા સત્તા ધરાવે એટલે તેઓ સૌથી પહેલાં પ્રજાકીય સત્તાની રખેવાળી કરતી લોકશાહી સંસ્થાઓનું ગળું ઘોંટે છે. મોટાભાગના તાનાશાહોને બંધારણ બદલવાની જરૂર પડતી નથી, પ્રાણ હરી લીધા પછી શરીર ભલે પડ્યું રહ્યું, પણ જો તાનાશાહો ચોક્કસ વિચારધારા ધરાવતા હોય તો તેઓ બંધારણ પણ બદલે છે. આપણા વર્તમાન શાસકો હિન્દુત્વવાદી વિચારધારા ધરાવે છે, તેઓ ભારતીય રાષ્ટ્રને હિંદુ રાષ્ટ્રમાં પરિવર્તિત કરવા માગે છે એટલે તેઓ વખત આવ્યે બંધારણ પણ બદલશે. 

તાનાશાહી બે પ્રકારની હોય છે; એક વ્યક્તિગત કે કોઈ એક જૂથની (જેમ કે લશ્કર) અને બીજી વિચારધારાની આસપાસ સંગઠિત થયેલી કોઈ ખાસ જમાતની. આ બીજા પ્રકારની તાનાશાહીના વળી બે પ્રકાર છે. એક બહુમતી પ્રજાનાં ધર્મની, હિતોની અને સંસ્કૃતિની રક્ષા કરવાનો દાવો કરનાર ચોક્કસ જમાતની અને બીજી પ્રજાકીય ભેદભાવ કર્યા વિના ગરીબોનાં આર્થિક હિતોની રક્ષા કરવાનો દાવો કરનારી વિચારધારા આધારિત જમાતની. તેઓ પ્રજાકીય વિભાજન માત્ર આર્થિક ધોરણે (સહિતો અને રહીતો) કરે છે. વિચારધારા આધારિત પહેલા પ્રકારની તાનાશાહીને ફાસીવાદ તરીકે ઓળખાવવામાં આવે છે જે વિશ્વને ૧૯૨૫થી ૧૯૪૫નાં વર્ષોમાં જર્મની અને ઇટલીમાં જોવા મળી હતી અને અત્યારે કેટલાક મુસ્લિમ દેશોમાં જોવા મળે છે અને વિચારધારા આધારિત બીજા પ્રકારની તાનાશાહી સામ્યવાદી તાનાશાહી તરીકે ઓળખાવામાં આવે છે જે રશિયા જેવા દેશોમાં જોવા મળી હતી અને આજે પણ ઉત્તર કોરિયા અને ચીનમાં જોવા મળે છે. ફાસીવાદ અને સામ્યવાદનાં બીજ ૧૯મી સદીમાં યુરોપમાં રોપાયાં હતાં અને ૨૦મી સદીમાં તે ફૂલાફાલ્યાં હતાં. ૨૦મી સદીમાં માનવીય ક્રૂરતાની ચરમસીમા આ બન્ને પ્રકારની તાનાશાહી ધરાવતા દેશોમાં જોવા મળી હતી. એમાં પણ સામ્યવાદી તાનાશાહી કરતાં ફાસીવાદી તાનાશાહી વધારે ખતરનાક સાબિત થઈ છે. સામ્યવાદમાં હજુ પણ છેવટે ન્યાય અને સમાનતાનું તત્ત્વ રહેલું છે. જે સમસ્યા છે એ ન્યાય અને સમાનતા અપાવનારા ઠેકેદારોની છે. તેઓ રાજ્ય પર કબજો કરીને વિરોધીઓનું કાસળ કાઢે છે. રશિયા, ચીન, ઉત્તર કોરિયા, ક્યુબા અને પૂર્વ યુરોપના દેશોમાં આ જોવા મળ્યું હતું અને જોવા મળે છે.

પણ આનાથી બચવું કેમ? ભારતમાં એક એવી પ્રજા છે જેને ફાસીવાદ સામે વાંધો નથી. મિથ્યાભિમાન અને મુસ્લિમ દ્વેષ એટલી હદે છે કે તેઓ દૂરનું વિચારવા જ તૈયાર નથી. તેમને ખબર નથી કે તેઓ પોતાનાં સંતાનની કબર ખોદી રહ્યા છે જે રીતે ૧૯મી સદીમાં જર્મનો અને ઇટાલિયનોએ આવી ભૂલ કરી હતી. કેટલાક લોકોને એમ લાગે છે કે બહુ ચિંતા કરવાની કે ડરવાની જરૂર નથી, આ ભારત દેશ છે જેમાં હિંદુ બહુમતીમાં છે. આવું જર્મની અને ઇટલીમાં જ્યારે અનુક્રમે હિટલર અને મુસ્સોલિનીનો ઉદય થયો ત્યારે જર્મનો અને ઇટાલિયનો પણ કહેતા હતા. ગૂગલ પર સર્ચ કરશો તો હિટલર અને મુસ્સોલિનીથી ભરમાયેલા અને છેતરાયેલાઓની દાસ્તાન વાંચવા મળશે. એક સમયના હિટલર સમર્થક માર્ટિન નિમોલ્લેરની ‘ફર્સ્ટ ધે કેમ’ કવિતા તો જાણીતી છે. 

કવિતાનો સાર આવો છે : 

પહેલાં એ લોકો સામ્યવાદીઓનો વારો કાઢવા આવ્યા અને હું ચૂપ રહ્યો કારણ કે હું સામ્યવાદી નહોતો. 

પછી એ લોકો સમાજવાદીઓનો વારો કાઢવા આવ્યા અને હું ચૂપ રહ્યો, કારણ કે હું સમાજવાદી નહોતો. 

પછી એ લોકોએ કામદાર ચળવળ ચલાવવાનારાઓનો વારો કાઢ્યો અને ત્યારે પણ હું ચૂપ રહ્યો, કારણ કે હું મજૂર ચળવળવાળો નહોતો. 

પછી એ લોકો યહૂદીઓનું કાસળ કાઢવા આવ્યા અને ત્યારે પણ હું ચૂપ રહ્યો, કારણ કે હું યહૂદી નહોતો. 

પછી એ લોકો મારું કાસળ કાઢવા આવ્યા અને ત્યારે મારા માટે બોલનાર કોઈ બચ્યું નહોતું. 

આ કવિતા તો બહુ જાણીતી છે, પણ આવી સેંકડો કવિતાઓ અને હજારો કબૂલાતો તમને ઈન્ટરનેટ પર વાંચવા મળશે. નાટકો અને ફિલ્મો બની છે. ધરતી પર થયેલાં ક્રૂરતમ અપરાધમાં સમર્થન આપીને કે મૂંગા રહીને ભાગીદાર થવાની ગ્લાનિ વલોવી નાખનારી હતી. તેમને પણ એમ જ લાગતું હતું કે આપણે મહાન પ્રજા છીએ અને આપણે અધમ કક્ષાની બર્બરતા આચરીએ એ શક્ય જ નથી. આપણે મહાન છીએ એની પ્રતીતિ જર્મનોને મહાકવિ ગોથેએ કે ઇટાલિયનોને તેના મહાકવિ દાંતેએ નહોતી કરાવી એટલી હિટલર અને મુસ્સોલિનીએ કરાવી હતી. જેને સંસ્કાર અને સંસ્કૃતિ સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નહોતો એ લોકો અસ્મિતાના પુરસ્કર્તા બની ગયા હતા અને લોકો તેમની વાતમાં આવી ગયા હતા. તેમને જ્યારે છેતરાયા હોવાનું ભાન થયું ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું અને કેટલાક અભાગીઓનું એક સંતાન કબરમાં સૂતું હતું!

માટે આપણે મહાન છીએ એવા ભ્રમમાં ન રહેતા સાબદા રહેવું જોઈએ. જો પ્રજા લોહીથી, ધર્મથી, વિશેષ ભૌગોલિક પ્રદેશથી, ભાષાથી કે સંસ્કૃતિથી મહાન હોત અને હંમેશ માટે મહાન રહેવાની હોત તો બંધારણની જરૂર જ ન પડત. ધર્મઝનૂની મુસલમાનો સાથે આ જ સમસ્યા છે. તેઓ બંધારણ આધારિત આધુનિક રાજ્યનો સ્વીકાર જ કરવા તૈયાર નથી, કારણ કે ઇસ્લામ સંપૂર્ણ ધર્મ છે, કુરાન અને હદીસ મુસલમાનો માટે સર્વાંગસંપૂર્ણ છે અને તેના આદેશ અંતિમ આદેશ છે. તેની બહારના આદેશો બીદ્દ્ત છે, કુફ્ર છે. મુસ્લિમ દેશોમાં જે ખુવારી થઈ રહી છે એનું કારણ બંધારણ આધારીત ન્યાયલક્ષી આધુનિક રાજ્યનો અસ્વીકાર છે. કોઈ પ્રજા ક્યારે ય સંપૂર્ણપણે મહાન હોતી નથી અને કોઈ પણ પ્રજા ક્યારે ય સંપૂર્ણપણે અધમ હોતી નથી. માનવમાં અને માનવસમાજમાં દરેક પ્રકારના રંગો છે. એક જ લોહીથી બનેલા એક જ પરિવારના સભ્યોમાં પણ અનેક રંગ હોય છે. અનુભવ કરતા હશો. 

બંધારણ આ અર્થમાં ઉપયોગી છે. બંધારણ ઘડનારાઓ બેવકૂફ નહોતા. તેમને ખબર હતી કે ક્યારેક પ્રજા પોતાનો રંગ બતાવે અને ક્યારેક શાસક. શાસકમાં પસાયતાથી લઈને રાષ્ટ્રપતિ સુધી દરેકનો સમાવેશ થાય છે. એક કાયદાથી બચીને કોઈક લાભ લેવા માગે છે અને બીજો કાયદાનો દુરુપયોગ કરીને લાભ લેવા માગે છે. કાયદો (રુલ ઓફ લો) કેન્દ્રમાં છે. પણ આ બેમાં વધારે જોખમ શેમાં છે? કોઈ વ્યક્તિ કાયદો તોડે એમાં કે શાસક કાયદાનો દુરુપયોગ કરે એમાં? થોડુક ઊંડું વિચારશો તો ધ્યાનમાં આવશે કે કાયદાનો દુરુપયોગ કરનારા શાસકો લાભની ધરી રચે છે. રાજ્ય (રાષ્ટ્ર) જ્યારે વિશાળ સ્તરે મેનેજ થવા લાગે ત્યારે લોકશાહીનો અંત આવે છે. અત્યારે ન્યાયતંત્ર, ચૂંટણીપંચ, પ્રતિનિધિગૃહો, તેનાં સ્પીકર, અધિકારીઓ, મીડિયા, રિઝર્વેબેંક, શિક્ષણસંસ્થાઓ વગેરે મેનેજ કરવામાં આવી રહ્યાં છે. ધરી રચાઈ ગઈ છે.

હા, આ બધું ભારતમાં બની રહ્યું છે જ્યાં હિંદુઓ બહુમતીમાં છે અને વેદો અને ઉપનિષદોની ગ્રન્થસંપદા તેમની પાસે છે.

તો પછી કરવું શું? મહાન હિંદુ બનવાની જગ્યાએ જવાબદાર માણસ બનો અને જવાબદાર નાગરિક બનો. જો આ બન્ને બનશો તો મહાન હિંદુ આપોઆપ બનશો. જે મહાન હિંદુ આ જમીનમાં પેદા થયા છે એ બધા જવાબદારી સમજનારા મહાન માણસ હતા. રહી વાત બંધારણની તો એ બે કામ કરે છે. એક તમને નીચ કૃત્ય આચરતા રોકે છે (ભલે ડરથી) અને એ રીતે તમારી અંદરની માણસાઈ જાળવી રાખે છે અને બીજું નીચ કૃત્ય આચરનારાઓથી તમારા સંતાનની હિફાજત કરે છે. 

હવે જો બુદ્ધિ હોય તો આગળ વિચારવાની અને સાવધાન રહેવાની જવાબદારી તમારી છે. અન્યથા એ લોકો (First they came) તો આવવાના જ છે.

 પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 નવેમ્બર 2025

Loading

...102030...58596061...708090...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved