Opinion Magazine
Number of visits: 9736388
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિલસી શકી હોત એવી એક ગાયકી જે મોચવાઇ ગઈ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|31 December 2025

જન્મ: 25-12-1924 • મૃત્યુ: 16-8-2018

શું અટલ બિહારી વાજપેયીનું ઉદાત્ત નેતૃત્વ અને કવિહૃદય તેમની વિચારધારાની મર્યાદાઓ વચ્ચે ખરેખર એક એવું ગીત બનીને રહી ગયું જે પૂર્ણ રીતે વિલસી ન શક્યું? 

અટલ શતવર્ષી સમારોહ (ડિસેમ્બર ’23 – ડિસેમ્બર ’25) જોતજોતાંમાં વિદાય પણ થઈ ગયો! પક્ષપરિવારની બહાર વ્યાપક ચાહના અને સ્વીકૃતિની દૃષ્ટિએ એમની કારકિર્દી અક્ષરશ: પ્રતિમાન રૂપ હતી. એમના કરતાં વધુ બેઠકો અને લાંબાં સત્તાવર્ષો છતાં મોદી કરતાં એમને માટેની પ્રીતિ અને ચાહના આગળ ને આગળ વરતાય છે.

પ્રકાશ ન. શાહ

તમે નિ:શંક કહી શકો કે વક્તૃત્વના ધણી વાજપેયી પક્ષપરિવારની સંગઠનાત્મક તાકાત વિના દિલ્હીમાં ગાદીનશીન થઈ શક્યા હોત એવું કલ્પી શકાતું નથી, તો સાથેલગું જેની અપીલ પક્ષ અને પરિવારને વટી ગઈ હોય એવી બીજી શખ્સિયત પણ કલ્પી શકાતી નથી.

ઇતિહાસમાં લાંબે નહીં જતાં એક સંવાદ સંભારી આગળ વધુ. યાદ નથી, સુકેતુ કે ધનપાલે મને કહ્યું કે 1967ની લોકસભાની ચૂંટણી પૂર્વે જુનિયર ચેમ્બરે વિવિધ પક્ષોના રાષ્ટ્રીય નેતાઓની અત્યંત સફળ વ્યાખ્યાનશ્રેણી યોજી ત્યારે દીનદયાલે કહ્યું હતું કે ‘માસ કન્ઝપ્શન’નો મામલો છે એટલે મને નહીં પણ અટલને ઊંચકી જાઓ. (જો કે પછી મધોક પ્રગટ્યા હતા અને ઝળકી ઊઠ્યા હતા.) સંઘનું શીર્ષ નેતૃત્વ મધોક કરતાં વધુ વાજપેયીને ઇચ્છતું હશે તે પછીના ઘટનાક્રમથી સમજાઈ રહે છે. જો વિચારધારાકીય કસોટી જ હોય તો તો વાજપેયીને મુકાબલે મધોક દોઢ હિંદુ રાષ્ટ્રવાદી હતા – પણ ચોક્કસ તરેહની નમનીયતા અને લોકસ્વીકૃતિ, એમાં વાજપેયીની જોડ એમને જણાઈ નહીં હોય.

એ 1957માં બલરામપુર-ગોંડાથી ચુંટાઈ સંસદમાં પહોંચ્યા અને ગૃહમાં પહેલી તક સાથે જ એવા તો ઝળક્યા કે નેહરુ મુખે કથિત રૂપે એમને ‘ભાવિ વડા પ્રધાન’ કહેવાયા. વસ્તુત: આવો કોઈ ઉદ્દગાર ક્યાં ય નોંધાયેલો નથી તેવું સ્પષ્ટ વિધાન અભિષેક બેનરજીએ વાજપેયીની અધિકૃત જીવનીમાં ખાસી ખણખોદ બાદ નોંધ્યું છે. છતાં, આ લોકોક્તિમાં વાજપેયીની પ્રતિભાનો સ્વીકાર નથી એવું તો કહી શકાતું નથી.

વાજપેયી માટે નહીં પણ વાજપેયી મુખે મુકાયેલી એક બીજી ઉક્તિ પણ જાણીતી છે : બાંગલા ઘટના પછી એમણે ઇંદિરા ગાંધીને ‘દુર્ગા’ કહ્યાં હતાં. આ ઉક્તિ પણ ખુદ વાજપેયીએ ‘આપ કી અદાલત’માં રજત શર્માને ઓન રેકોર્ડ કહ્યા પ્રમાણે કાલ્પનિક છે. છતાં, અન્યની શક્તિ પ્રતિભાનો સમાદર કરવાની વાજપેયીની સહજ પ્રતિભા જોતાં અને એ ક્ષણનું ઇંદિરાઈ નેતૃત્વ જોતાં ‘દુર્ગા’ પ્રયોગ કેવો સહજ લાગે છે!

ભેગંભેગા એક ત્રીજી જ ઉક્તિ સંભારી લઉં. અયોધ્યા આંદોલનને પરવાન ચડી હશે એ દિવસોમાં એમને અન્યત્ર જોઈને કુલદીપ નાયરે પૂછેલું – તમે ત્યાં નથી ગયા? વાજપેયીએ લાગલું જ કહેલું – રામભક્તો ત્યાં છે, અને દેશભક્તો અહીં! એ અલબત્ત જાણીતી વાત છે, અને અડવાણીએ આત્મકથામાં નોંધ્યું પણ છે કે અમે ભાગ્યે જ અસમ્મત થતા હોઈશું, પણ રથયાત્રાના મારા વિચાર સાથે વાજપેયી સમ્મત નહોતા.

એક રીતે, આ વિધાન સાથે શતાબ્દીપુરુષ વાજપેયીના નેતૃત્વ વિશે વિમર્શની શરૂઆત થઈ શકે. કારણ, એક બાજુ જો આ અસમ્મતિ છે તો બીજી બાજુ અડવાણીનું એ અદ્દભુત અવલોકન છે કે લોકો એમને ઉદાર માને છે, અને મને હાર્ડ લાઈનાર માને છે, પણ અમે સામાન્યપણે એક જ વૈચારિક ફ્રિકવન્સી પર હોઈએ છીએ. માત્ર, લોકોની આ લાગણી બેઉ છેડેથી એકત્ર થઈ પક્ષને સારુ સમર્થનકારી શક્તિ બની રહે છે.

આ ધોરણે વિચારીએ તો વાજપેયીને ‘આધા કાઁગ્રેસી’ માનતી ઋતંભરાની સમજ એક છેડેથી કંઈક અધકચરી ને પૂર્વગ્રહદૂષિત પણ લાગે અને નેહરુનીતિ માટેના પ્રેમ ને પક્ષપાતને પરિણામે પંડિત અટલ બિહારી નેહરુ કહેવાતા (વળી વ્યાપક સ્વીકૃતિ પ્રાપ્ત) અટલબિહારીનો પાટલો ઊંચે આસને પણ પડી શકે. 1977માં મોરારજી પ્રધાન મંડળમાં વિદેશ મંત્રીનો અખત્યાર સંભાળ્યા પછી અદકપાંસળા ઉત્સાહી સ્ટાફે ખસેડેલ નેહરુ છબીને સાઉથ બ્લોકમાં પુન:પ્રતિષ્ઠ કરાવનાર અટલબિહારીએ નેહરુના નિધન વખતે લોકસભામાં આપેલી અંજલિ અપ્રતિમ છે – એક ગીત થા, જો અધૂરા રહ ગયા!

અટલબિહારીનું જાહેર જીવન પણ ચોક્કસ જ એક ગીત હતું જે અધૂરું રહી ગયું જો કે, ખરું જોતાં આ એક ગીત હતું જે વંકાઈ ગયું, અને રમતું ગમતું પણ કંઈક રોળાઈ ગયું.

છતી મુદ્દાપકડે તકચૂક એ એમની કમનસીબી રહી. પક્ષને જયપ્રકાશના આંદોલનમાં સહભાગી કર્યો તે મોટી ઘટના હતી. અમે જ્યારે (રાષ્ટ્રભક્તિના ગર્જનતર્જનથી ઉફરાટે) આમ જનતાના આંદોલનમાં જોડાઈએ છીએ ત્યારે રાજકીય કાર્યકર્તા તરીકેના અમારા ચારિત્ર્યમાં પણ બદલાવ આવે છે, એવી એમની આશ્વસ્તકારી પ્રતીતિ કોઈક તબક્કે હવાઈ ગઈ. જનસંઘના જનતાવતાર પછી પક્ષભંગાણ વખતે એમણે સંઘશ્રેષ્ઠીઓને પાયાનો પ્રશ્ન કીધો, નક્કી કરો, તમે આર્યસમાજની જેમ સુધાર સંસ્થા છો કે રાજકીય પક્ષ છો.

ભારતીય જનતા પક્ષની રચના વખતે પાયાના સિદ્ધાંત તરીકે સકારાત્મક બિનસાંપ્રદાયિકતા અને ગાંધીવાદી સમાજનો સ્વીકાર કરાવી શક્યા. વડા પ્રધાન તરીકે 1999માં લાહોર બસયાત્રા સાથે મિનારે પાકિસ્તાનની સત્તાવાર મુલાકાતનું નૈતિક સાહસ દાખવ્યું. 2002માં રાજધર્મના પાલનની તાકીદ કરી પણ રાજીનામું ન લઈ શક્યા. 

અહીં આપેલ દરેક દાખલે નવી ભોં ભાંગવાની શક્યતા ખૂલી ખૂલીને ઠીંગરાઈ ગઈ. તાળી અલબત્ત બે હાથે વાગે. પણ પોતે કરેલી પહેલને તહેદિલ આવકારતો પક્ષપરિવાર? એ કાં તો ગાયબ કે પછી પેટમાં રહીને …

‘રાઈટ મેન ઈન રોંગ પાર્ટી’ એ કદાચ એમની ઇતિહાસનિયતિ રહી. પહેલો સાચો અવાજ નીકળે એની ફરતે ભળતાસળતા અવાજોને અવકાશ આપે: એક કવિહૃદય હતું જે રોળાઈ ગયું, એક ગીત હતું જે મોચવાઈ ગયું. એમની સંભાવનાઓ ને એમની મર્યાદાઓ, કાશ, વૈકલ્પિક વિમર્શ સારુ દીવાદાંડી બની રહે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 31 ડિસેમ્બર  2025

Loading

આભાર

શિવમંગલ સિંહ ‘સુમન’ [હિન્દી પરથી અનુવાદ : રૂપાલી બર્ક]|Poetry|31 December 2025

મારી તમારી લાગણી વ્યક્ત કરતું આ કાવ્ય વર્ષાંતે બંધબેસતું હોવાથી, અનુવાદ કરી, અહીં સાદર પેશ કરું છું.

જે જે માર્ગ પર સ્નેહ મળ્યો,
તે તે રાહદારીનો આભાર.

અજાણતા જીવન થાય અસ્થિર,
ને માર્ગ પર મેળ ક્યાંક બેસી જાય,
સીમિત ડગલાં, વેગળું ગંતવ્ય,
અંતર કાપવું નથી સહેલું જરાય.
ડાબે જમણે સુખ-દુ:ખ ચાલે,
સામે ચાલે માર્ગનું વરદાન,
જે જે માર્ગ પર સ્નેહ મળ્યો,
તે તે રાહદારીનો આભાર.

શ્વાસ પર આધારિત આ કાયા,
ચાલતા જ્યારે થઈ જાય ચૂર,
સ્નેહ-શબ્દ બે મળતા જ,
મેળવે નવી સ્ફૂર્તિ,
થઈ જાય થાક દૂર.
માર્ગના પરિચિત પડ્યા વિખુટા
પણ ચાલતી રહી યાદો સાથે —
જે જે માર્ગ પર સ્નેહ મળ્યો,
તે તે રાહદારીનો આભાર.

મારો સાથ આપી શક્યા નહીં જે,
તેથી સૂનો થોડો પડ્યો રાહ?
ચાલું નહીં હું પણ અગર તો શું,
વટેમાર્ગુ મરે પણ વાટ અમર રહે.
આ રાહ પર એ જ ચાલે છે,
જેમને ચાલવાનો મળ્યો છે સ્વાદ —
જે જે માર્ગ પર સ્નેહ મળ્યો,
તે તે રાહદારીનો આભાર.

કેમ કરી ચાલી શક્તો અગર
મળ્યું ન હોત બેચેન અંતર?
કેમ કરી ચાલી શક્તો અગર મળ્યા હોત
પરમ તૃપ્તિ, અમરત્વપૂર્ણ પ્રહર!
આભારી છું હું એ બધાંનો,
જે આપી ગયા વ્યથાનો પ્રસાદ —
જે જે માર્ગ પર સ્નેહ મળ્યો,
તે તે રાહદારીનો આભાર.

૩૧ ડિસેમ્બર, ૨૦૨૫
e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

કોઈ લેવા ન આવ્યા?                     

સરયૂ પરીખ|Opinion - Short Stories|30 December 2025

એના ગામના શિક્ષક દાદાને કહેતા હતા, “વસુમતી નિશાળમાં પેલે નંબરે પાસ થઈ. તમે કોલેજમાં જવાની કેમ ના પાડો છો? ખેડૂતની દીકરી છે એ એનો વાંક છે?” 

દાદા ઢીલા પડ્યા અને શરત સાથે વસુને કોલેજમાં જવાની હા પાડી, “પણ જો, ઘરના કામમાં ફેર ન પડવો જોઈએ.” 

વસુ ખુશ થઈને બોલી, “હોવે, દાદા.”

કોલેજના ચોથા વર્ષમાં આવી અને એક દાંતના ડોક્ટર સાથે વેશવાળ થયું. જમાઈની માગણી હતી તેથી નાતમાં પહેલીવાર લાજ કાઢ્યા વગર વસુના લગ્ન થયા. ઘરડા દાદી શરમાઈને જોતાં રહ્યાં.

વસુમતી ચાર ભાઈ અને બે બહેનોના ભર્યા સાસરિયામાં ગોઠવાઈ ગઈ. તેમાં જેઠ સોમાલાલ શાંત અને મહેનતુ વ્યક્તિ. ઘરમાં ખાસ બોલતા નહીં, પોતાનાં કામ સાથે કામ. ખેડૂત સોમાલાલને શીવણકામમાં હાથ બેસી ગયો અને એક દરજીની દુકાન ખોલી. ધંધો સારો વિકસાવ્યો અને ચાર કારીગર પણ રોક્યા હતા.

વસુમતી અને તેના પતિએ પ્રયત્ન કર્યો અને અમેરિકા આવવાની તક મળી. એ સમયે બધા ભાંડરડાં પોતપોતાની ગૃહસ્થીમાં વ્યસ્ત હતાં. જેઠના મોટા છોકરાઓ અને બીજા પરિવારના સભ્યો ‘અમેરિકા અમને બોલાવો’નું રટણ કરતા …વારાફરતી અમેરિકા પહોંચી ગયા. 

પ્રૌઢ ઉંમરના જેઠ-જેઠાણી દેશમાં જ રહ્યાં. ધીરે ધીરે સોમાલાલ દુકાને જવામાં અનિયમિત થતા ગયા. શીવવાનાં કપડામાં ભૂલો થવા માંડી. વસુની જેઠાણી કાગળમાં વરની ઉદાસીનતા અને ભૂલકણાપણાની ચિંતા કરતા રહેતાં.

એ વર્ષે, વસુ સહકુટુંબ દેશમાં આવેલ. સોમાલાલ ‘કેમ છો?’ પૂછીને જાણે પોતાની દુનિયામાં ખોવાઈ ગયા. દરજીની દુકાન એક વરસથી બંધ પડી હતી. હવે ખ્યાલ આવી ગયો કે જેઠ સોમાલાલને (એલ્ઝાઈમર ડિસીઝ) ભૂલવાની બીમારી છે. સોમાલાલ એક બાજુ બેસી રહેતા. જમવાના સમયે બોલાવે તો જમવા આવે નહિંતર ન આવે. આમ તેમની લુપ્તતાને લીધે, સોમાલાલ તરફ ઓછું ધ્યાન અપાતું. 

એક દિવસ, બપોરની ચા લઈને જેઠાણી સોમાલાલને આપવા ગયાં તો એમની ગાદી ખાલી હતી.

“અરે દેરજી! તમારા ભાઈ અહીં નથી! જુઓ તો આજુબાજુ ક્યાં ય ગયા છે?” જેઠાણી સહિત બધા સોમાલાલને શોધવા લાગ્યા. સાંજ ઢળી અને દિવસો વિત્યા પણ સોમાલાલનો પત્તો ન લાગ્યો. તપાસ કરતા મહિનો થવા આવ્યો. વસુ અને પરિવારને અમેરિકા પાછા ફરવાના દિવસો નજીક આવી રહ્યા હતા.

“એમને ગયાને એક મહિનો અને ચાર દિવસ થયા, ખબર નહીં ક્યાં અને કેમ હશે?” જેઠાણી આ વાક્ય ફરી ફરીને બોલતાં. “ચાલો બપોર ચડી, જમી લઈએ.”

ત્યાં છોકરાઓનો અવાજ સંભળાયો, “કાકાબાપુ આવ્યા!” બધા બહાર દોડી આવ્યા. સોમાલાલ ઠીકઠાક કપડાં પહેરેલા અને સશક્ત લાગતા હતા. તેમની આંખમાં એ જ અજાણ ભાવ. 

“ભાઈ! તમે ક્યાં ગયા હતા? અને કઈ રીતે પાછા આવ્યા?”

“હું આગગાડીમાં આવ્યો, કોઈ મને લેવા ન આવ્યું?” સોમાલાલ એક સવાલ કરી શાંત થઈ ગયા. 

એ ક્યાં ગયા હશે? કોણે તેમની સંભાળ લીધી? કોણે જમાડ્યા હશે?  … આ બધા પ્રશ્નો એમ જ રહી ગયા. 

પરિવારને એટલું સમજવાનું રહ્યું કે કેટલાક સારા માણસોએ સોમાલાલની સંભાળ લીધી હશે.

સૌ વિચારે …

મારી  મુઠ્ઠીના  માપનું  છે મગજ,
અજાણ એનું આધિપત્ય ને કરજ.
 હું  જ કર્તા  ને મારા ઉત્તમ કરમ,
મને શાને મોટપનો આવો ભરમ? 

                             —– સરયૂ પરીખ

e.mail : SaryuParikh@yahoo.com

Loading

...102030...58596061...708090...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved