Opinion Magazine
Number of visits: 9456094
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભૂખ

વસુધા ઇનામદાર|Opinion - Short Stories|31 July 2025

કાળો કાંબળો ઓઢીને અજવાળામાં પડછાયાની જેમ ચાલતી એ વ્યક્તિને રોકવા પોલિસે બૂમ પાડી. “અરે એ,  ઊભો રહે, તને સંભળાય છે કે  ? રાતના અગિયાર વાગે આમ ક્યાં ચાલ્યો જાય છે ?”

પોલિસ વર્દી પહેરેલો પોલિસ હાથમાં દંડો હલાવતો ચાલનારની પાછળ ઝડપથી દોડ્યો  અને  ચાલનારાનો ઓઢેલો કાંબળો એણે ખેંચી કાઢ્યો. ફાટેલાં કપડાં પહેરેલાં અને ખભે સૂતેલા ચાર વર્ષના બાળકને લઈને ચાલનારાને એ દબડાવતો હતો. લોકડાઉનનો ભંગ કરનાર અને પોતાની સાથીદાર જોડે વાતોમાં ખલેલ પહોંચાડનારને મારવા એણે દંડાવાળો હાથ ઉગામ્યો, પણ એના ખભે સૂતેલું ચારેક વર્ષનું બાળક જોઈ એનો ઉગામેલો હાથ હવામાં જ અદ્ધર રહી ગયો ! એને આમ મોટા અવાજે કોઈકને ધમકાવતો સાંભળીને  પોલીસનો યુનિફોર્મ પહેરેલો એનો સાથીદાર ચોકીમાંથી બહાર આવ્યો ! આમ મોડી રાતે લોકડાઉનનો ભંગ કરનાર કોણ હશે ? એ નજીક જઈને ઊભો રહ્યો, એને જોઈને તે  બોલ્યો, “અરે નારાયણ તું ? આમ લોકડાઉનમાં આ છોકરાને લઈને ક્યાં નીકળ્યો ?” 

“શું કહું? સારું થયું તમે મને ઓળખ્યો, સુભાષભાઈ, તમારી સોસાયટીમાં શાકભાજી વેચવા આવતો હતો, યાદ છે ને ? પણ આ કોવિડમાં મારો ધંધો ઠપ થઈ ગયો  છે. આ છોકરો બે દિવસથી ભૂખ્યો છે ને દૂધની જીદ કરીને રડ્યા કરે છે. ઘરમાં બે દિવસથી રંધાયું નથી અને સાહેબ આ છોકરાને દૂધ ……”

“ઊભો રે, નારાયણ ઊભો રે ! હું પેલી બાજુની ડેરીવાળાને ત્યાંથી મારા ઘર માટે દૂધની બે કોથળી લાવ્યો છું. લે તું એક લઈ જા. ને જો આમ લોકડાઉનમાં નાના છોકરાને સાથે લઈને બહાર નીકળાય નહીં !”

“પણ, સાહેબ ……”

“જો હવે  આપણે કોવિડની બહુ ચિંતા કરવા જેવી નથી. આ કદાચ છેલ્લું જ લોકડાઉન  હશે પછી બધું બરાબર થઈ જશે.” 

“એ કઈ રીતે, સાહેબ ?” 

“હવે કોવિડની રસી નીકળી છે, બધાએ એ રસી લેવી પડશે, પછી  કોવિડ  નહીં, ને આ લોકડાઉન પણ નહીં !”

“પણ સાહેબ, આ ભૂખનું શું ? બે દિવસથી મેં કે મારી ઘરવાળીએ ખાધું નથી. સાહેબ, એક વાત પૂછું ?”

“હા, હા બોલ બીજું કશું જોઈએ ?”

“ના સાહેબ, પણ આ ભૂખ જ ન લાગે એવી કોઈ રસી છે ?” એની આંખમાંથી આંસુ સરી પડ્યાં. સુભાષે અંદર જઈને ગ્લુકોઝના બિસ્કિટના બે પેકેટ એને પકડાવી દીધા. શાકભાજીના લારીવાળાએ આભારવશ એની સામે જોઈને કહ્યું, “સાહેબ, ભૂખ ન લાગે એવી રસી નીકળે તો મને કહેવાનું ભૂલતા નહીં !” ને પછી એ ધીરે પગલે અંધારામાં ગાયબ થઈ ગયો.

સડબરી , બોસ્ટન 
e.mail : inamdarvasudha@gmail.com

Loading

એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

રમેશ સવાણી|Diaspora - Features|30 July 2025

પ્રવાસનો અંતિમ દિવસ. 28 જુલાઈ 2025ના રોજ Omahaથી સવારે 7.00 વાગ્યે  રવાના થયા, શિકાગો પરત જવા. 

Iowa-આયોવા રાજ્યની રાજધાની Des Moines-ડેસ મોઇન્સમાં આંટો માર્યો. આ શહેરની વસ્તી 7,50,000ની છે. આ શહેરનું નામ ડેસ મોઇન્સ નદી પરથી રાખવામાં આવ્યું છે, જે કદાચ ફ્રેન્ચ ‘રિવિયર ડેસ મોઇન્સ’ પરથી ઉતરી આવ્યું છે જેનો અર્થ ‘સાધુઓની નદી’ થાય છે. 

ડેસ મોઇન્સ વિધાનસભાની ઇમારત 1871-1886 દરમિયાન બની હતી. છતાં આ ઈમારત તાજી બની હોય તેમ લાગે ! USની આ એકમાત્ર પાંચ ગુંબજવાળી રાજધાની છે. આ ઇમારતમાં આયોવા, મિઝોરી, મિનેસોટા, ઓહિયો અને ઇલિનોઇસના ચૂનાના પથ્થરોનો ઉપયોગ થયો છે. આયોવાના રંગીન ગ્રેનાઈટનો ઉપયોગ થયો છે. આ ઇમારતનો મુખ્ય ભાગ, મિઝોરીમાં મિસિસિપી નદીના કિનારે ખાણોના રંગીન રેતીના પથ્થરનો ઉપયોગ થયો છે. જેના કારણે ઈમારત દર્શનીય બની છે. 

વિધાનસભાના-કેપિટોલ બિલ્ડિંગની પશ્ચિમ બાજુએ આગલા ભાગે ‘લિંકન એન્ડ ટેડ’ પ્રતિમા છે જેમાં અબ્રાહમ લિંકન તેમના ચાર પુત્રોમાં સૌથી નાના પુત્ર, ‘થોમસ ટેડ’ (4 એપ્રિલ 1853 -15 જુલાઈ 1871) છે. તેનું બિમારીના કારણે 18 વર્ષની વયે અવસાન થયેલ. લિંકનને પિતા તરીકે દર્શાવતું પ્રથમ શિલ્પ છે. મને થયું કે રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન સાથે તેમના પુત્રની પ્રતિમા કેમ? 

આ પ્રતિમાની ખાસિયત એ છે કે મુખ્યત્વે આયોવાનાં સ્કૂલનાં બાળકો દ્વારા પેની ડ્રાઇવ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું, બીજી ખાસિયત એ છે કે આ પ્રતિમા એક સહયોગી પ્રયાસ હતો, જેમાં ફ્રેડ ટોરીએ અબ્રાહમ લિંકનનું શિલ્પ બનાવ્યું હતું અને તેમની પત્ની, મેબેલ ટોરીએ, ટેડનું શિલ્પ બનાવ્યું હતું. આ એક અનોખી, કાંસ્ય કૃતિ છે જે અબ્રાહમ લિંકનને રાષ્ટ્રપતિ અને મહાન મુક્તિદાતા તરીકે નહીં પણ પિતા તરીકે યાદ કરે છે.

ટેડ પ્રાણીઓ પ્રત્યેના પ્રેમ માટે જાણીતો હતો. 1863ના અંતમાં, લિંકન પરિવારને ક્રિસમસ ડિનર માટે ટર્કી (કૂકડા જેવું પક્ષી) મળ્યું હતું. ટેડે ટર્કી સાથે મિત્રતા કરી, તેનું નામ ‘જેક’ રાખ્યું અને તેને વ્હાઇટ હાઉસના મેદાનમાં પોતાની સાથે ચાલતા શીખવ્યું. જ્યારે રાષ્ટ્રપતિ લિંકને ટેડને જાણ કરી કે ‘જેક’ તો ક્રિસમસનું ભોજન બનવાનો છે, ત્યારે ટેડે ટર્કીના જીવન માટે વિનંતી કરી, દલીલ કરી કે જેક જીવવાને લાયક છે ! પિતા લિંકન, તેમના પુત્રની વિનંતીથી પ્રભાવિત થયા, તેમણે ટર્કીને રાહત આપી. આ ઘટના વ્હાઇટ હાઉસ ટર્કી માફી પરંપરાનું મૂળ છે. જે હવે વાર્ષિક થેંક્સગિવિંગ પરંપરા છે. એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

રસ્તાની બાજુના કુદરતી દૃશ્યો નિહાળતા અમે બપોરે 2.30 વાગ્યે શિકાગો પરત આવ્યા. 17 દિવસના પ્રવાસમાં અમે શું અનુભવ્યું? એ હવે પછી.

29 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વિદેશ વસવાટનો સ્વર્ણિમ પરવાનો : હમ તો ચલે પરદેશ ….

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 July 2025

ચંદુ મહેરિયા

સમાચાર સંસ્થા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા(પી.ટી.આઈ.)ના હવાલાથી દેશભરના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાએ સંયુક્ત અરબ અમીરાતમાં કશી શરત વિનાના નોમિનેશનબેસ્ડ ગોલ્ડન વિઝાના ન્યૂઝ પ્રગટ કર્યા હતા. એક લાખ દિરહામ કે લગભગ ત્રેવીસ લાખ રૂપિયામાં UAE(UNITED ARAB EMIRATES )માં કાયમી વસવાટના સ્વર્ણિમ પરવાનાના આ સમાચારે ‘હમ તો ચલે પરદેશમાં’ જીવતા ભારતીયોનો એક વર્ગ ખુશખુશાલ હતો. પરંતુ તેમની ખુશી ઝાઝી ના ટકી. કેમ કે થોડા દિવસ પછી યુ.એ.ઈ. સરકારે આ સમાચાર ધરાર ખોટા હોવાનું અને તેમની હાલની ગોલ્ડન વિઝાની સશર્ત પોલિસીમાં કોઈ ફેરફાર ન હોવાનું જણાવ્યું હતું. ૨૩ લાખમાં વિઝાના સમાચારો જેના થકી પ્રસર્યા હતા તે રયાદ ગ્રુપ (RAYAD GROUP) નામક યુ.એ.ઈ.ની કન્સલટન્સી ફર્મે પણ માફી માંગી છે. જો કે સરકારે તેના પર ખોટા સમાચાર પ્રસારિત કરવા બદલ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. 

જે લોકો પોતાનો દેશ છોડીને લાંબા સમય માટે કે કાયમી બીજા દેશમાં વસવાટ  કરવા માંગે છે તેમને આપવામાં આવતો પરવાનો એટલે ગોલ્ડન વિઝા. સરળ ભાષામાં કહેવું હોય તો  પૈસાવાળાને મોટા રોકાણ બદલ બીજા દેશમાં સ્થાયી વસવાટ માટેની મંજૂરી. સ્વર્ણિમ પરવાનો કહેતાં ગોલ્ડન વિઝા હાઈ-નેટ-વર્થ ઈન્ડિવિજ્યુઅલ્સને કોઈપણ દેશમાં રહેવા, ભણવા, કામ કરવા અને આરોગ્યની સુવિધા માટે આપવામાં આવે છે. તે મેળવનારની હેલ્થ કેર ફેસિલિટી સાથેની કાયદાકીય રૂપમાં સંબંધિત દેશના નાગરિક જેવી સ્થિતિ હોય છે. આ પ્રકારના વિઝા જુદા જુદા દેશોમાં જુદા નામે ઓળખાય છે અને તેની કિંમત પણ જુદી જુદી હોય છે. 

યુ.એ.ઈ.માં હાલમાં ઈન્વેસ્ટર્સ, બિઝનેસપર્સન, આઈ.ટી. પ્રોફેશનલ્સ, વૈજ્ઞાનિકો, તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, કલાકારો, સમાજસેવકો, સંશોધકો, એથ્લિટ્સ, માટે લાંબા ગાળાના વસવાટના ગોલ્ડન વિઝા ઉપલબ્ધ છે. ભારતીય ચલણમાં રૂ. ૬.૭ લાખ કે ૩૦,૦૦૦ દિરહામની મન્થલી બેઝિક સેલેરી ધરાવતા સ્કીલ્ડ પ્રોફેશનલ્સ, ૪.૫ કરોડની ફિક્સ્ડ બેન્ક ડિપોઝીટ ધરાવતા કે એટલી જ સંપત્તિ ધરાવતા લોકો, ઓછામાં ઓછા રૂ. ૪.૬૭ કરોડનું બિઝનેસ કે રિયલ એસ્ટેટમાં રોકાણ ધરાવનાર વ્યક્તિઓ તથા રૂ. સવા કરોડથી વધુનો પ્રોજેકટ શરૂ કરવા ઈચ્છતી વ્યક્તિઓ પાંચથી દસ વરસ સંયુક્ત અરબ અમિરાતમાં વસવાટનો સ્વર્ણિમ પરવાનો પ્રાપ્ત કરવાની પાત્રતા ધરાવે છે. યુ.ઈ.એ.ની ૨૦૨૫ની આશરે ૧.૧૩ કરોડની વસ્તીમાં ૪૦ લાખ (આશરે ૩૫ ટકા) ભારતીયો છે. ૨૦૨૩માં તેણે ૭૯,૬૧૭ અને ૨૦૨૪માં ૧,૫૮,૦૦૦ ગોલ્ડન વિઝા આપ્યા હતા. તેમાં ૪૦ ટકા રોકાણકારો, ૨૮ ટકા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા લોકો, ૨૨ ટકા ઉધમીઓ અને ૧૦ ટકા સંશોધકો હતા.

ગોલ્ડન વિઝા પોલિસી ધરાવતો યુ.એ.ઈ. કોઈ પહેલો કે એકમાત્ર દેશ નથી. અમેરિકા, બ્રિટન, ન્યૂઝીલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, કેનેડા, ઈન્ડોનેશિયા, ઈટલી, માલ્ટા, સાઈપ્રસ, ટર્કી, ડોમિનિકા, પોર્ટુગલ, કોસ્ટારિકા, આયરલેન્ડ, હંગેરી, લાટવિયા, સર્બિયા  અને બીજા કેટલાક દેશો પણ ખાસ કિંમતે ગોલ્ડન વિઝા આપે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા પછી  ટ્રમ્પ ગોલ્ડન કાર્ડ, ગોલ્ડન વિઝા સ્કીમ શરૂ કરી છે. અમીરોને રોકાણના બદલામાં સ્થાયી વસવાટ આપતા અમેરિકાના ગોલ્ડન વિઝાની કિંમત ૪૨ કરોડ રૂપિયા છે. જો કે સિંગાપુરનો સ્વર્ણિમ પરવાનો તેનાથી ય મોંઘો છે. તેની કિંમત રૂ. ૬૨થી ૩૧૦ કરોડ છે. અન્ય દેશોના જે ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને આ વિઝા મળે છે તેઓના બિઝનેસના કદ પ્રમાણે વિઝાની કિંમત નક્કી થાય છે. સ્વિત્ઝરલેન્ડના ગોલ્ડન વિઝા હરાજીથી આપવામાં આવે છે. જે સૌથી વધુ બોલી લગાવે તેને મળે છે. હાલમાં ૪૯૬ લોકો પાસે સ્વિત્ઝરલેન્ડના ગોલ્ડન વિઝા છે. સપ્ટેમ્બર – ૨૦૨૨થી ન્યૂઝીલેન્ડે ૨૫ કરોડની કિંમતનો ગોલ્ડન વિઝા શરૂ કર્યો છે. અનિશ્ચિત સમયના આ વિઝા હેઠળ તે મેળવનાર રહી શકે છે, ભણી શકે છે અને ધંધો-વ્યવસાય કરી શકે છે. એક્ટિવ ઈન્વેસ્ટર પ્લસ વિઝાની આ પોલિસીમાં વ્યક્તિએ નિશ્ચિત રકમનું રોકાણ કરવાનું હોય છે. ૧.૮ થી ૨.૩ કરોડનો કેનેડાનો ગોલ્ડન વિઝા જે વ્યક્તિ કેનેડામાં સ્ટાર્ટ અપ કે બિઝનેસ કરવા માંગે છે તેના માટે છે. 

કોઈ પણ દેશ ગોલ્ડન વિઝા શા માટે આપે? રોકાણને આકર્ષવા, પોતાના દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરવા, નવા ઉદ્યોગ-ધંધા સ્થાપવા, મહેસૂલ અને કરની આવક વધારવા ઉપરાંત પોતાના દેશને જેની જરૂર છે તેવી પ્રતિભાઓ મેળવવા માટે આપે છે. સ્વર્ણિમ પરવાનો મેળવનાર વ્યક્તિનો અર્થવ્યવસ્થા, સંસ્કૃતિ, શિક્ષણ અને વ્યાપારમાં યોગદાનનો લાભ મેળવવાનો પણ ઉદ્દેશ રહેલો છે. 

ભારત સહિતના દેશોના જે લોકો ગોલ્ડન વિઝા માટે લાલાયિત છે તેઓના પણ પોતાના કારણો છે. આધુનિક સુખ-સગવડો, બહેતર જીવન શૈલી, વધુ સારું જીવનધોરણ, ઉચ્ચ ગુણવત્તા ધરાવતી શિક્ષણ અને આરોગ્યની સગવડો, મહાનગરો-નગરોમાં પાયાની સગવડોના અભાવમાંથી મુક્તિ, અનુકૂળ કરવેરા નીતિ, સરળ રોકાણ, વ્યાપાર માટે બહેતર વાતાવરણ અને વધુ તક જેવાં કારણોથી તેઓ સ્વદેશ છોડી વિદેશ વસવા માંગે છે અને તે માટેના પ્રયત્નો કરે છે. દુનિયામાં ગોલ્ડન વિઝા ધારકોની ચોક્કસ સંખ્યા જાણવા મળતી નથી. પરંતુ ૨૦૨૩ના વરસમાં દુનિયાના લગભગ સવા લાખ કરોડપતિઓએ દેશ બદલ્યા છે. 

ભારતમાં  અતિ ધનિક કે અલ્ટ્રા રિચ લોકોની સંખ્યા વધી રહી છે. ૨૦૨૩ના ૨.૮ લાખ  મોટા અમીરો પાંચ વરસ પછી વધીને ૪.૩ લાખ થવાના છે. સ્વર્ણિમ પરવાનો કોઈ સામાન્ય કામદાર કે કારીગર માટે નથી, અમીરો માટે છે. વરસે સરેરાશ પંદર લાખ ભારતીયો તેમની નાગરિકતા છોડી રહ્યા છે અને દર પાંચે એક અમીર ભારતીય વિદેશમાં વસવા માંગે છે. વિદેશ વસવાટનાં સપનાં જોતાં ભારતીય અમીરો ૩૬ થી ૪૦ વરસના છે કે પછી ૬૧ કરતાં વધુ વરસના છે. એક સર્વે પ્રમાણે ભારતના દોઢસો અલ્ટ્રા રિચ ભારતને બદલે યુ.એસ.એ., યુ.કે., કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુ.એ.ઈ.માં સેટલ થવા માંગે છે. તે પૈકીના ચોથા ભાગનાએ તો તેની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. 

જે દેશો સ્વર્ણિમ પરવાનો આપે છે તેઓ અમીરોને કે નાણાંને પ્રાધાન્ય આપીને દુનિયામાં આર્થિક અસમાનતા વધારે છે. ગોલ્ડન વિઝાના આદાનપ્રદાન કરનારાના ઉદ્દેશો કંઈ શુદ્ધ જ છે એવું પણ નથી. તેઓ સંપત્તિ અને પ્રતિભા બંનેને હડપી લે છે. મની લોન્ડરિંગ, કરચોરી કે અન્ય ગુનાઓ કરનાર પણ પૈસાના જોરે ગોલ્ડન વિઝા મેળવી દેશ છોડી શકે છે. મેહુલ ચોકસી, નીરવ મોદી અને વિજય માલ્યા જેવાના કેસો તેના નમૂના છે. 

એક દેશનો ધનિક જ્યારે બીજા દેશમાં પૈસાના જોરે નાગરિકતા ખરીદે છે ત્યારે તે મૂળ દેશના નાગરિકોને પણ નુકસાન કરે છે. કેટલાક દેશોએ સ્થાનિક લોકોના રોષ અને તેમની ઘટતી તકોને ધ્યાનમાં રાખીને સ્વર્ણિમ પરવાનાની નીતિ સીમિત કરી છે કે સ્થગિત કરી છે. એટલે ગોલ્ડન વિઝાના ફાયદા-ગેરફાયદા વિચારતી વેળાએ તેના દુરુપયોગ અને સ્થાનિક નિવાસીઓના અધિકારો પરની તરાપને નજરઅંદાજ ન કરવી જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...58596061...708090...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved