Opinion Magazine
Number of visits: 9665108
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જગતમાં એવો કયો શાસક થયો છે જેણે એક પણ ભૂલ ન કરી હોય?

રમેશ ઓઝા|Opinion - Opinion|15 September 2024

રમેશ ઓઝા

મુંબઈમાં IC 814 Kandahar Highjack નામની વેબ સિરીઝના હોર્ડિંગ્સ લાગ્યાં અને તેમાં નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર અને મનોજ પાહવાની અભિનેતા તરીકેની તસ્વીરો જોઈ અને દિગ્દર્શક તરીકે અનુભવ સિંહાનું નામ જોયું ત્યારથી જ મનમાં એક ફાળ પડી હતી કે દેશપ્રેમીઓ આને કદાચ રિલીઝ નહીં થવા દે. અનુભવ સિંહા એક સ્વતંત્ર મિજાજના તેજસ્વી દિગ્દર્શક છે. આપણો દેશ મહાન છે એ ગર્જી ગર્જીને કહો, છાપરે ચડીને કહો, એમ કહેવા માટે કાંઈ જોઈતું હોય તો માગી લો, એમાં અતિશયોક્તિ હોય, જૂઠાણાં હોય તો પણ વાંધો નહીં. બીજાને નીચા દેખાડશો તો બોનસ મળશે, પણ દેશને લાંછન લાગે, શરમાવું પડે, ગરદન નીચી કરી લેવી પડે એવું નહીં કહેવાનું. એ સાવ સાચી વાત હોય તો પણ નહીં કહેવાની, અમારું દિલ દુભાય છે.

હવે વિમાન અપહરણની જે ઘટના બની હતી એ તમે જાણો છો. વેબ સિરીઝે જે વિવાદ પેદા કર્યો તેને કારણે એ ૨૫ વરસ જૂની ઘટના પાછી મનમાં તાજી થઈ હશે. એમ કહેવાય છે કે ગુપ્તચરોને આની પૂર્વસૂચના મળી હતી અને તેમણે કાઠમંડુમાં વિમાનને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેમાં તેમને સફળતા મળી નહોતી. આ ભારતે કરેલી પહેલી ભૂલ હતી. બીજી અને મોટી ભૂલ એ હતી કે વિમાનના કેપ્ટને ઇંધણ ભરવા વિમાનને અમૃતસર ઉતાર્યું હતું અને એ રીતે ભારત સરકારને અપહરણ કરાયેલા વિમાનના ઉતારુઓને છોડાવવાની તક આપી હતી, પરંતુ સરકાર અસમંજસ અવસ્થામાં હતી, કોઈ નિર્ણય નહીં લઈ શકી અને અપહરણકર્તાઓએ કેપ્ટનના લમણે પિસ્તોલ મૂકીને વિમાનને ઊડાડવા ફરજ પાડી હતી. ત્રીજી ભૂલ એ હતી કે દેશના વિદેશ પ્રધાન જશવંત સિંહ ખૂદ ત્રાસવાદીઓને પોતાની સાથે વિમાનમાં બેસાડીને કંદહાર લઈ ગયા હતા અને અપહરણકર્તાઓને ત્રાસવાદીઓની સોંપણી કરીને ઉતારૂઓને છોડાવ્યા હતા. જશવંત સિંહે અફઘાનિસ્તાન જવું નહોતું જોઈતું અને જવું હતું તો અલગ વિમાનમાં જવું જોઈતું હતું. ભારતનો વિદેશ પ્રધાન ત્રાસવાદીઓની સોંપણી કરવા જાય એ લજવનારી ઘટના હતી.

આખી ઘટનાની આ ટૂંકી દાસ્તાન છે.

હવે થોડાં પ્રમાણો નોંધી લઈએ. 

૧. વિમાનના પાયલોટ કેપ્ટન દેવી શરણે પત્રકાર શ્રીજોય ચૌધરી સાથે મળીને ‘ફ્લાઈટ ઇન્‌ટુ ફીઅર – ધ કેપ્ટન્સ સ્ટોરી’ એવું એક પુસ્તક લખ્યું છે જેમાં જે ઘટના બની તેની સંપૂર્ણ વિગતો છે. અલબત્ત કેપ્ટનની દૃષ્ટિએ. 

૨. એ સમયના ગૃહ પ્રધાન લાલકૃષ્ણ આડવાણીએ સંસદમાં આપેલી વિગતો છે. માત્ર એક નિવેદન નહીં, વિગતો સાથે. 

૩. પંજાબ અને હરિયાણાની વડી અદાલતમાં અપહરણ વિષેની અપીલો ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા અને ફતેહ દીપ સિંહે સાંભળી હતી. દેખીતી રીતે સુનાવણી દરમ્યાન દરેક વિગત અદાલતમાં રજૂ કરવામાં આવી હતી. એમાં સરકારે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો, કૃ મેંબરોએ તેમ જ કેટલાક પેસેન્જરોએ જુબાની આપી હતી અને અમૃતસર વિમાનમથકના અધિકારીઓ તેમ જ અમૃતસરનાં પોલીસ અધિકારીઓએ પોતાની રજૂઆત કરી હતી. 

૪. રિસર્ચ એન્ડ એનેલિસીસ વિંગ(આરએન્ડએ.)ના એ સમયના અધ્યક્ષ એ.એસ. દુલાતે પોતાનાં પુસ્તકમાં એ ઘટનાની વાત લખી છે. ઘટનાને હાથ ધરવામાં તેમનું મોટું યોગદાન હતું. 

૫. ભારતનાં એ સમયના વિદેશ પ્રધાન જશવંત સિંહે ‘ઇન સર્વિસ ઓફ ઈમર્જીંગ ઇન્ડિયા’ નામનું તેમનાં સંસ્મરણોનું પુસ્તક લખ્યું છે તેમાં આના વિષે જાણકારી મળે છે. 

૬. અનિલ કે. જગ્ગિયા અને સૌરભ શુક્લા નામના પત્રકારોએ આઈ.સી. ૮૧૪ હાઈજેક – ધ ઇનસાઇડ સ્ટોરી’ નામનું પુસ્તક લખ્યું છે. 

૭. જાણીતા પત્રકાર શેખર ગુપ્તાએ ૨૦૦૩ની સાલમાં અટલ બિહારી વાજપેયીના એ સમયના રાષ્ટ્રીય સલામતી સલાહકાર બ્રજેશ મિશ્રાની એન.ડી.ટી.વી. માટે મુલાકાત લીધી હતી જેમાં આ પ્રશ્ને વાત થઈ હતી અને તેની ટેપ ઉપલબ્ધ છે. 

આ સિવાય પણ બીજાં પ્રમાણો ઉપલબ્ધ છે.

ટૂંકમાં આ ખુશામતખોરો જે રીતે ફિલ્મ અને વેબ સિરીઝ બનાવે છે એવી, થોડું સાચું વધારે જૂઠું એવું આમાં નથી બન્યું. તમે પોતે ઉપલબ્ધ પ્રમાણો સાથે સરખામણી કરી શકો છો. આમાંથી ગુપ્તચરોને વિમાન અપહરણની સંભાવના વિષે આગોતરી જાણકારી મળી હતી એવું જે વેબ સિરીઝમાં કહેવામાં આવ્યું છે એને માટે કોઈ આધાર નથી એમ એ.એસ. દુલાતે અને બીજા લોકોએ કહ્યું છે. બે. અમૃતસરમાં ભારત સરકારે થાપ ખાધી અને મળેલી તક હાથમાંથી સરકી ગઈ એમ ઉપર જે લોકોને ટાંક્યા છે એ દરેકે કહ્યું છે. ત્રણ. જશવંત સિંહે એક જ વિમાનમાં ત્રાસવાદીઓને લઈને તેમને વળાવવા કંદહાર નહોતું જવું જોઈતું એમ પણ દરેક કહે છે. ચાર. ભોલા, શંકર વગેરે હિંદુ નામ ત્રાસવાદીઓએ પોતે પોતાને આપેલાં નામ હતાં. તેઓ એકબીજાને એ નામે સંબોધતા હતા. ગૃહ પ્રધાન આડવાણીએ સંસદમાં કરેલાં નિવેદનમાં પણ આ નામ આપવામાં આવ્યાં છે. અને પાંચ. વિમાનની અંદર ત્રાસવાદીઓ અને ઉતારુઓ વચ્ચે હસીમજાક બતાવવામાં આવી છે એ કાલ્પનિક નથી. આવું કરવું જરૂરી છે અને કોઈ પણ સમજદાર કેપ્ટન અને રીઢા ત્રાસવાદી આવો પ્રયાસ કરે. કલાકોના કલાકો સુધી અને કેટલીક વાર તો દિવસો સુધી સતત તાણભર્યા વાતાવરણમાં કંટાળીને એક સમયે ઉતારુ સંયમ ગુમાવી દે અને ત્રાસવાદી પર હુમલો કરી બેસે તો મામલો વણસી જાય. ત્રાસવાદીઓના હાથમાં કશું ન આવે અને અપહ્રત કારણ વિના જાન ગુમાવે. તેજસ્વી સર્જક એ બધું જ બતાવે જે થતું હોય છે. અનુભવ સિંહાએ ત્રાસવાદીઓની માણસાઈનો મહિમા નથી કર્યો. તેમની જગ્યાએ જો કોઈ કઢીચટ્ટો દિગ્દર્શક હોત તો ત્રાસવાદીઓને ટૂંકો લેંઘો અને લાંબી દાઢીવાળો, ક્રૂર, બાળકોના હાથમાંથી દૂધનો વાટકો છીનવી લેનારો, સ્ત્રીઓ સાથે બદતમીજી કરનારો, વિમાનમાં નમાજ પઢનારો બતાવ્યો હોત. જાડી કૃતિમાં બધું જાડું હોય અને તેનો પ્રેક્ષક પણ જાડી બુદ્ધિનો હોય.

ટૂંકમાં એ પચીસ વરસ જૂની ઘટનાને જે લોકોએ હાથ ધરી હતી એ લોકો વેબ સિરીઝમાં બે ખામી બતાવે છે. એક તો ગુપ્તચરોને મળેલી પૂર્વસૂચના. આવી કોઈ સૂચના મળી નહોતી એમ એ લોકો કહે છે. અને બીજી ખામી એ કે આમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈ.એસ.આઈ.નો હાથ હતો એ વાત સ્પષ્ટ રીતે બતાવવામાં આવી નથી.

આખા મામલામાં અમૃતસર મુખ્ય છે. શા માટે મળેલી તક ભારતે ગુમાવી દીધી? એક ખુલાસો એવો આપવામાં આવે છે કે પંજાબની પોલીસ ઓપરેશન કરી શકશે કે કેમ એ વિષે શંકા હતી. તેની જગ્યાએ દિલ્હીથી કમાંડોઝને મોકલવાનું વિચારવામાં આવ્યું હતું, પરંતુ ત્રાસવાદીઓએ એટલો સમય આપ્યો નહોતો. કમાન્ડોઝ અમૃતસર પહોંચે એમાં ઓછામાં ઓછા બે કલાક લાગે અને ત્રાસવાદીઓ ત્યાં સુધી વિમાનને અમૃતસરમાં ઊભુ રહેવા દેશે એ ગણતરી જ ખોટી હતી.  તેમણે ઇંધણ ભરાવ્યા વિના વિમાનને ઉડાડવા પાઈલટને ફરજ પાડી હતી અને લાહોરમાં ફોર્સ લેન્ડીંગ કરાવ્યું હતું. બીજો ખુલાસો એવો આપવામાં આવે છે કે ત્રાસવાદીઓ પાસે શસ્ત્રો શું હતાં અને કેટલાં હતાં તેની જાણકારી નહોતી અને જાણકારીનાં અભાવમાં ઓપરેશન કરવામાં જોખમ હતું. બીજો ખુલાસો ગળે ઉતરે એવો છે, પહેલો હરગીજ નહીં.

ખેર, આખી વાતનું સમાપન કરીએ. શાસકો કોઈ ભગવાન નથી કે ભૂલ ન જ કરે. ઉપલબ્ધ પરિસ્થિતિ અને જાણકારીના આધારે તેમને નિર્ણય લેવાનો હોય છે અને ઉતાવળે નિર્ણય લેવાનો હોય છે. ઉતારુઓના જાનનું જોખમ પણ ધ્યાનમાં લેવું પડે. મોટા પ્રમાણમાં જાનહાનિ થાય તો? ઉતારુઓને છોડાવવા માટે તેમનાં સગાઓએ એટલી રોકકળ કરી હતી અને મીડિયામાં તે દેખાડવામાં આવતી હતી કે શરણે થઈ જાવ પણ જાન બચાવો એવું વાતાવરણ પેદા થયું હતું. દેશપ્રેમના દેકારા સંકટ બીજાનાં ઘરે હોય ત્યારે દેવા માટેના હોય છે. અને આ બધા સંજોગોમાં જે થયું તે થયું.

ધ્યાન રાખવાનું એટલું જ છે કે આગલા ગૈર-બી.જે.પી. શાસકોએ પણ પ્રાપ્ત પરિસ્થિતિમાં નિર્ણયો લીધા હતા અને ભૂલો પણ કરી હતી. જેમ તમે ભગવાન નહોતા એમ એ લોકો પણ ભગવાન નહોતા. માટે ઇતિહાસનો ઉકરડો ફેંદવા ભૂંડણાંઓને છૂટા મુકવામાં આવ્યા છે તેને હવે વાડે પૂરવા જોઈએ.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 15 સપ્ટેમ્બર 2024

Loading

કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પઃ એકનો ઠહેરાવ તો એકનો વાણીવિલાસ – પ્રજા શું પસંદ કરશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|15 September 2024

દુનિયા હવે વ્યક્તિના વિચારોને આધારે નહીં પણ તેની જાહેર છબી કેવી છે તેને આધારે પોતાના રાજકારણની પસંદગી કરે છે.  પહેલાં ટેલિવિઝન અને હવે સોશિયલ મીડિયાના મારાને કારણે આવી ડિબેટ હવે ‘જોણું’ વધારે અને જાણકારી ઓછી બની ગઇ છે.

ચિરંતના ભટ્ટ

અમેરિકામાં પ્રમુખની ચૂંટણી યોજાય તે પહેલાં ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપ વચ્ચે ગયા અઠવાડિયે પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ થઇ. 90 મિનિટ સુધી બન્ને વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલી જેમાં દોષારોપણથી માંડીને કાયદા-પરિસ્થિતિઓ અંગે તેમના અલગ અલગ દૃષ્ટિકોણ અને નીતિઓ પર વાત થઇ. ટ્રમ્પે પોતાના મુદ્દાઓને વધુ મજબૂતાઇથી રજૂ કરવા અને કમલા હેરિસના દાવાઓને નબળા સાબિત કરવા માટે કમલા હેરિસ કરતાં પાંચ મિનિટ વધારે લીધી, તે કુલ 42 મિનિટ 52 સેકન્ડ્ઝ બોલ્યા અને કમલા હેરિસે પોતાની રજૂઆત માટે 37 મિનિટ 36 સેકન્ડ લીધી. રશિયા-યૂક્રેઇન, ઇઝરાયલ-હમાસ, સરહદની સમસ્યાઓ, પ્રવાસન, અર્થતંત્ર, અબોર્શન અને કેપિટલ હિલનાં રમખાણો જેવા મુદ્દાઓ આ ડિબેટમાં છેડાયા અને અમેરિકી રાજનીતિના વિશેષજ્ઞોને મતે કમલા હેરિસ આ ડિબેટમાં છવાઇ ગયાં હતાં.

આવી જાહેર ચર્ચાઓમાં ભાગ્યે જ કંઇક નક્કર હાથમાં આવે એમ બનતું હોય છે, અંતે આ ઉમેદવારની પ્રચારની રણનીતિનો જ એક ભાગ હોય છે. સાંઇઠના દાયકામાં અમેરિકામાં થતી પ્રેસિડેન્શિયલ ડિબેટથી મતદારોના વલણમાં ફેર આવી શકતો હતો પણ શું અત્યારે એવી સ્થિતિ છે? આ ડિબેટમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પે એકબીજા પર આક્ષેપો મૂકવામાં કશું જ બાકી નહોતું રાખ્યું . કમલા હેરિસનો હાથ આ ચર્ચામાં ઉપર રહ્યો હતો. કમલા હેરિસ માટે આ પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ હતી જ્યારે ટ્રમ્પે 2016થી માંડીને 2024 સુધીમાં પાંચ પ્રેસિડેન્શિયલ ડિબેટ્સમાં ભાગ લીધો છે. કમલા હેરિસે સફળતાપૂર્વક એ બધા જ મુદ્દાઓ જ્યાં ટ્રમ્પની નબળાઈ છતી થઇ જતી હતી તે છેડ્યા અને પોતાના હિસાબે ચર્ચાની પકડ રહે તેની પણ તકેદારી રાખી. આંતરરાષ્ટ્રીય રાજકારણ હોય કે મોંઘવારી કે ગર્ભપાત જેવા મુદ્દાઓ હોય હેરિસે ટ્રમ્પની સામે જરા ય નમતું ન જોખ્યું. ટ્રમ્પે સામે આપેલા જવાબો અમુક સમયે તો વાહિયાત પ્રતિભાવ લાગે તેવા હતા.

સાધારણ સંજોગોમાં અમેરિકી પ્રમુખ બનવા માટે રેસમાં જોડાયેલો કોઈ ઉમેદવાર જો એવા વિધાનો કરે કે આપણા દેશમાં ગેરકાયદે આવી ગયેલા ઇમિગ્રન્ટ્સ કૂતરાં, બિલાડાં ખાઇને જીવે છે અને દેશ ખાડે ગયો છે વગેરે તો એ ઉમેદવારને ‘ડેડ’ – ટૂંકમાં ગયા ખાતે જ ગણી લેવામાં આવે. પણ આ તો ડોનાલ્ડ ટ્રમ્પ છે અને જો એ ગળે ઉતરે એવી રીતે, સારી ભાષામાં, મર્યાદામાં રહીને બોલે તો લોકોને નવાઇ લાગે. વળી અમેરિકન પ્રજા પણ કમાલ છે કારણ કે 2016માં પોતે કરેલી જાતીય સતામણીની ફિશિયારી મારતા ટ્રમ્પનું રેકોર્ડિંગ જાહેર થઈ ગયું હોવા છતાં તે રાજકીય રીતે પતી ગયા હોવાની વાતો થઇ હતી પણ એવું કંઇ થયું નહીં. 2020માં કોરોના વાઇરસ રોગચાળા વખતે તેમણે એવું વિધાન કર્યુ હતું કે દર્દીઓને જંતુનાશકના ઇન્જેક્શન્સ આપવા જોઇએ અને લોકોને લાગ્યું હતું કે ‘ઠાકુર તો ગિયો.’ ત્યારે પણ એવું કશું જ ન થયું. 2021માં કેપિટલ હિલમાં જે દૃશ્યો સર્જાયા હતા એ ભયંકર હતા, ટ્રમ્પના ટેકેદારોએ જબરી અરાજકતા ઊભી કરીને ચૂંટણી જ ફેરવી નાખવાનો પ્રયાસ કર્યો. ત્યારે પણ લોકોને લાગ્યું હતું કે હવે ટ્રમ્પના દિવસો ભરાઇ ગયા છે પણ ટ્રમ્પ તો પ્રમુખ બનવાની રેસમાં હજી પણ છે જ.

ટૂંકમાં તાજેતરમાં જ દોઢ કલાક ચાલેલી જાહેર ચર્ચા થઇ ત્યારે કમલા હેરિસ શાંત, સાચવીને બોલતાં હોય એવાં લાગ્યાં પણ ટ્રમ્પને જે કહેવું હતું તેમાં તેમણે બેફામ વાણીવિલાસ જ કર્યો. ટ્રમ્પનો અંદાજ કોઇ પ્રમુખને શોભે એવો તો હતો જ નહીં. કમલા હેરિસે લોકશાહી, અર્થતંત્ર, ઊર્જાના વિવિધ વિકલ્પો જેવા મુદ્દાઓ પર વાત કરી તો આ તરફ ટ્રમ્પે તો વિરોધ પક્ષ પર એવો આક્ષેપ કર્યો કે ડેમોક્રેટ્સ તો માતાઓને એવા અધિકાર આપવા માગે છે કે વણજોઇતાં બાળકો જન્મી જાય પછી પણ તેમનો વધ કરી શકાય અને આપણા દેશમાં એટલા ઇમિગ્રન્ટ્સ છે કે જે અમેરિકન્સ હવે બહાર જઇને પોતાના માટે સીધું સાદું શોપિંગ પણ નથી કરી શકતા. બન્ને ઉમેદવારની પ્રતિભાનો ભેદ પરખાઇ જાય છે. કમલા હેરિસે પોતાની ક્ષમતા સારી પેઠે સાબિત કરી દીધી છે, પણ શું તેનો અર્થ એમ કરાય કે તે હવે આસાનીથી અમેરિકાના પ્રમુખ બની જશે? કમનસીબે ના, એવું નહીં થાય. 70 મિલિયન અમેરિકન્સને ઠાવકી, સાચી વાતો કરનારાં કમલા હેરિસ કરતાં, કંઇપણ બોલી દેનારા ટ્રમ્પને પ્રમુખ બનાવવામાં રસ છે અને તેમનો મત ટ્રમ્પને જ જાય એવી વકી છે.

છેલ્લાં આઠ વર્ષમાં ટ્રમ્પે જાણે પોતાના ટેકેદારોની એક જમાત ખડી કરી દીધી છે, આ બધા ટ્રમ્પના ‘અંધભક્ત’ છે. રિપબ્લિકન પાર્ટી ટ્રમ્પની પાર્ટી બની ચૂકી છે. ટ્રમ્પ ચૂંટણીને લગતા કૌભાંડો કે ગુનાઓની વધતી સંખ્યા કે પછી મોંઘવારી અંગે ભલે કંઇપણ જુઠાણા ચલાવે – આ ભક્તો ટ્રમ્પને પડખે જ ઊભા રહેશે. જો બાઇડન પ્રમુખ માટેની રેસમાંથી નીકળી ગયા એ પછી કમલા હેરિસ સામે ટ્રમ્પ જીતી શકવાની ટકાવારી 44 ટકા જેટલી છે તેવું આંકડાઓના જાણકારોનું કહેવું છે. આ પ્રમાણ હિલેરી અને બાઇડન બન્ને સામે ઓછું હતું. કમલા હેરિસ સામેની ડિબેટમાં ટ્રમ્પ ઝાંખા ચોક્કસ પડ્યા છે પણ એ ક્યાં ય ગાંજ્યા નથી ગયા અને એ ખતરાની ઘંટી તો ખરી જ. આ જાહેર ચર્ચાઓ કંઇ ઉમેદવારની નીતિઓ અને વિચારો અંગે નથી હોતી, તે હોય છે અમેરિકન રાજકારણમાં જે-તે ઉમેદવારની જાહેર છબીમાં ફેરફાર લાવવા માટે.

દુનિયા હવે વ્યક્તિના વિચારોને આધારે નહીં પણ તેની જાહેર છબી કેવી છે તેને આધારે પોતાના રાજકારણની પસંદગી કરે છે.  પહેલાં ટેલિવિઝન અને હવે સોશિયલ મીડિયાના મારાને કારણે આવી ડિબેટ્સ હવે ‘જોણું’ વધારે અને જાણકારી ઓછી બની ગઇ છે. અમેરિકન પ્રમુખો વચ્ચેની ડિબેટ બહુ ચિવટથી નક્કી કરાયેલું પરફોર્મન્સ હોય છે એ સમજી લેવું અનિવાર્ય છે.  ટ્રમ્પે તો ફરીવાર કમલા હેરિસ સાથે જાહેર ચર્ચામાં ઉતરવાની વાત ફગાવી દીધી છે, વળી એ પણ એમ કહીને કે હેરિસને ફરીથી ડિબેટ એટલા માટે કરવી છે કારણ કે પોતે (ટ્રમ્પ) જીતી ગયા છે. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ બન્ને જણાએ દોઢ કલાકની ડિબેટમાં પોતે જીત્યા છે એવા દાવા તો કરી જ દીધા છે. આ તરફ ટ્રમ્પે આ દાવા સાથે સાથે ડિબેટ સંભાળનારા પત્રકારોએ પોતાની સાથે ન્યાયી વહેવાર નથી રાખ્યો એવો આક્ષેપ પણ મૂકી દીધો છે. અમેરિકામાં માહોલ પક્ષપાતી છે અને ટ્રમ્પનો જાહેર કાર્યક્રમોમાં વહેવાર તેમના ભક્તોને ગેલમાં લાવી દેનારો હોય છે જે લોકશાહીની શાંતિ માટે જોખમી સાબિત થઇ જ શકે છે, જે ભૂતકાળમાં પણ અમુક ઘટનાઓએ સ્પષ્ટ કર્યું જ છે.

ભારતીય તરીકે આ ચૂંટણીમાં કેમ રસ લેવો જોઇએ એ પણ સમજવું જરૂરી છે. આમ જોઇએ તો આપણી સરકાર ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ બેમાંથી જે પણ પ્રમુખ પદ પર આવશે તેની સાથે કામ પાર પાડશે જ, કારણ કે એ તો કરવું જ પડે.  જો કે મોદી સરકારનો ઝુકાવ ટ્રમ્પ તરફી છે. તેની કન્ઝર્વેટિવ વિચારધારાને ભા.જ.પા.નાં મૂલ્યો સાથે જબરો મેળ બેસે છે. નરેન્દ્ર મોદી હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ હોય બન્ને એક સરખી તીવ્રતાથી જાતને ચાહે છે. આપણે ત્યાં પણ ભક્તો છે અને નાટકીય વાતોને વધાવી લેનારાઓની ખોટ નથી. બીજી તરફ વૈશ્વિક રાજકારણમાં ટ્રમ્પ રશિયા તરફ હળવો અભિગમ રાખવા માગે છે જે ભારત માટે રાજકીય ભૌગોલિક ગણતરીમાં ફાયદાકારક હશે. જો કે આપણી સરકારે એ યાદ રાખવું જરૂરી છે કે ટ્રમ્પની માનસિકતાનો સ્થાયીભાવ ‘અમેરિકા ફર્સ્ટ’ છે એટલે એ ભારત જ નહીં પણ કોઇપણ બીજા દેશની સાથે સારા-સારી રાખવાનું ત્યારે જ ગણતરીમાં લેશે જ્યારે તેમની કોઇ ગરજ સરતી હશે.

કમલા હેરિસે ડિબેટમાં બહુ સારું પ્રદર્શન કર્યું છે પણ કમનસીબે એક ડિબેટ મતદાતાઓના વિચારોને બદલવા માટે પૂરતી હોય એવો સમય હવે નથી રહ્યો. વળી ટ્રમ્પના ભક્તોની સંખ્યા બહુ મોટી છે જેને કારણે અંતે અમેરિકા પ્રગતિશીલ મહિલા પર પસંદગીનો કળશ ઢોળે છે કે પછી ‘અમેરિકા ફર્સ્ટ’ની વાત કરતા ટ્રમ્પને પસંદ કરે છે એ તો વખત આવ્યે જ ખબર પડશે.

બાય ધી વેઃ

જો ટ્રમ્પ જીતશે તો એ અમરિકાના સૈન્યએ સલામતીની જેટલી જવાબદારીઓ ઉપાડી છે એ ઘટાડી દે તેવી પૂરી શક્યતા છે. આમ થયું તો યુરોપ અને અમેરિકાના ઇન્ડો-પેસિફિક સાથીદારોને માથે ચીન, રશિયા અને કોરિયા સુધ્ધાં તરફથી જોખમ ખડું થઇ શકે છે.  મોદી અને ટ્રમ્પની દોસ્તી આપણે જાણીએ છીએ. કમલા હેરિસે ભારત પ્રત્યેની નીતિઓ અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતાઓ કરી નથી પણ તેમણે હંમેશાં સરમુખત્યારશાહી અને લોકશાહી વચ્ચેના સંઘર્ષની પ્રિઝમથી વૈશ્વિક રાજકારણને નાણ્યું છે. કમલા હેરિસને ભારત સાથે જોડતી કડી છે એટલે હુકમનું પત્તું તો આપણી પાસે છે જ એવું માની લેવાની આપણે ભૂલ ન કરવી જોઇએ. છતાં પણ કમલા હેરિસની આવડતનો લાભ ત્યારે મળી શકે જ્યારે એક પ્રગતિશીલ વિચાર ધરાવતી, રાજકીય સત્તા ધરાવતી મહિલાના વિચારો સામે આપણે એક રાષ્ટ્ર તરીકે સંકુચિતતાની માપપટ્ટી લઇને ન બેસીએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 સપ્ટેમ્બર 2024

Loading

ભારતીય જનતા પક્ષ અને તે પહેલાં જન સંઘ, રાષ્ટૃીય સ્વયંસેવક સંઘનું વણ ઇચ્છ્યું સંતાન

રમેશ ઓઝા|Opinion - Opinion|15 September 2024

રમેશ ઓઝા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ત્રણ મહિનામાં ત્રીજી વાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના ટીકા કરી છે. અભિમાન પતનનું કારણ છે, સેવક નમ્ર હોવો જોઈએ, મણિપુર માટે કશુંક કરવું જોઈએ, શાસક સંવેદનશીલ હોવો જોઈએ, જાહેરજીવનમાં ગરિમા જાળવી રાખવી જોઈએ, વિરોધ પક્ષો વિરોધી નથી પણ પ્રતિપક્ષ છે અને હવે કહ્યું છે કે આપણે આપણા મુખે દૈવીસંતાન હોવાનો દાવો ન કરવો જોઈએ. લોકો નક્કી કરવા દો કે આપણે દૈવીસંતાન છીએ કે નહીં, સંઘમાં સંઘ (સામૂહિકતા) મહત્ત્વની છે વ્યક્તિ નહીં વગેરે વગેરે. આ બધું જ નરેન્દ્ર મોદીને લાગુ પડે છે એની કોણ ના કહી શકશે?

આ સિવાય સંઘે પખવાડિયા પહેલાં કેરળમાં સંઘપરિવારની સમન્વય સમિતિની બેઠક બોલાવી હતી જેમાં ભા.જ.પ.ના અધ્યક્ષને બોલાવવામાં આવ્યા હતા. બેઠક પછી સંઘ વતી ભા.જ.પ. સાથે સમન્વય કરનારા અશોક આંબેકરે મીડિયા સમક્ષ કબૂલ કર્યું હતું કે સંઘ અને ભા.જ.પ. વચ્ચે મતભેદ છે જેને ઉકેલી લેવામાં આવશે. એ પહેલાં કેન્દ્રના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના ઘરે ભા.જ.પ.ના નેતાઓની સંઘના નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં અમિત શાહ અને જે. પી. નદ્દા હાજર રહ્યા હતા. યાદ રહે, બેઠક રાજનાથ સિંહના ઘરે બોલાવવામાં આવી હતી. સંઘના બી.જે.પી.માં મોકલવામાં આવેલા નેતા રામ માધવને ફરી પાછા પક્ષમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. દેખીતી રીતે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઈચ્છા વિરુદ્ધ. સંઘે હવે પોતાની ઉપસ્થિતિ બતાવવાનું શરૂ કરી દીધું છે.

ભારતીય જનતા પક્ષ અને તે પહેલાં ભારતીય જન સંઘ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વણઇચ્છ્યું સંતાન છે. જી હા, વણઇચ્છ્યું સંતાન છે. સંઘ પોતાનો પક્ષ સ્થાપીને સત્તાના રાજકારણથી પોતાને દૂર રાખવા માગતો હતો. એનાં બે કારણો હતાં. એક તો એ કે જો સંઘનો પોતાનો રાજકીય પક્ષ હોય તો સંઘ બીજા પક્ષોનો અને એ પક્ષના અનુકૂળ નેતાઓનો પોતાના ઉદ્દેશ માટે ઉપયોગ ન કરી શકે. કાઁગ્રેસના અનેક નેતાઓનો સંઘે ઉપયોગ કર્યો હતો અને તેઓ મદદ કરતા પણ હતા. સંઘ રાજકીય નહીં, સાંસ્કૃતિક સગઠન છે એવું ત્યારે કહેવામાં આવતું હતું કે જેથી મળે તેનો સાથ લઈ શકાય. પોતાનો પક્ષ નહીં સ્થાપવા પાછળનું બીજું વધારે મહત્ત્વનું કારણ એ હતું કે સત્તાનો સ્વભાવ જ વિઘટનકારી હોય છે. સત્તા મેળવવા માટે વિચાર અને નિષ્ઠા સાથે સમાધાનો કરવામાં આવે, ધીરે ધીરે ચારિત્ર્ય શિથીલ થવા લાગે, પૈસો એમાં મુખ્ય ભૂમિકા ભજવવા લાગે, સત્તાની લાલચમાં કોઈ વ્યક્તિ પોતાનું પ્રભુત્વ સ્થાપવા પયત્ન કરે અને એવું પણ બને કે પક્ષમાં એક ટોળકી રચાય જે પક્ષને હાઈજેક કરી જાય. સત્તા બહુ ખરાબ ચીજ છે. સંઘના એ સમયના સરસંઘચાલક ગોલવળકર ગુરુજી પક્ષની સ્થાપનાના સખત વિરોધી હતા. એક દિવસ સત્તા સંઘને અને સંઘના ઉદ્દેશને ખમત કરી નાખશે અને સંઘ તેનો ભોગ બનશે એવો તેમને ડર હતો.

પણ બન્યું એવું કે ગાંધીજીની હત્યા પછી હત્યામાં સંઘનો હાથ હતો એમ કહીને સંઘ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અલબત્ત સંઘ પરનો પ્રતિબંધ હટે એ માટે કાઁગ્રેસના કેટલાક નેતાઓએ ઘણી મદદ કરી હતી, પણ સંઘના કેટલાક નેતાઓને એમ લાગવા માંડ્યું કે દિલ્હીમાં આપણી વાત સાંભળનારા જ નહીં, કહેનારા પણ હોવા જોઈએ અને આગળ જતા કરનારા પણ હોવા જોઈએ. અન્યથા સંઘ શાસકોની દયા પર નભશે અને એ સ્થિતિમાં દેશમાં હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવાની મંજિલે નહીં પહોંચાય. ઘણાં મનોમંથન પછી સંઘે પક્ષ સ્થાપવાનો નિર્ણય લીધો હતો. ગુરુજી કમને સંમત થયા હતા. સત્તાના વિઘટનકારી સ્વભાવ વિષે તેમના મનમાં જે ડર હતો એ કાયમ રહ્યો હતો.

બીજા પક્ષોના અનુકૂળ નેતાઓનો સહયોગ મળી રહે એ માટે અને રાજકીય પક્ષ સંઘના ઉદ્દેશને હાનિ ન પહોંચાડે એ સારુ એક ખાસ પ્રકારની રચના કરવામાં આવી હતી. પક્ષનો અધ્યક્ષ કે બીજા પદાધિકારીઓ સંઘના હોય કે ન હોય, મહામંત્રી સંઘનો જ સ્વયંસેવક હોવો જોઈએ. પક્ષમાં ખરી સત્તા મહામંત્રીને આપવામાં આવી હતી. સંઘના સંસ્કાર ધરાવતો મહામંત્રી પક્ષને સંઘની પરિભ્રમણકક્ષાની બહાર નહીં જવા દે. આવી વ્યવસ્થા માત્ર રાષ્ટ્રીય સ્તરે નહોતી કરવામાં આવી, પ્રદેશ એકમોમાં પણ કરવામાં આવી હતી. આજે પણ દરેક જગ્યાએ મહામંત્રી સંઘનો જ હોય છે. સંઘ પોતાનાં સ્વયંસેવકોમાંથી કેટલાકને પક્ષનું કામકાજ કરવા માટે નિયુક્ત કરશે અને માત્ર એ નિયુક્ત કરેલા લોકો જ રાજકીય પ્રવૃત્તિ કરશે, બીજા નહીં. પક્ષને તેની રાજકીય પ્રવૃત્તિ કરવાની અને નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપી હતી, પરંતુ સંઘે એ સાથે પક્ષ અને સંઘ વચ્ચે એક સમન્વયકની ભૂમિકા રચી હતી જે સંઘની લાગણી પક્ષ સુધી પહોંચાડે. કોઈ બાબતે અસંમતી હોય તો સંઘ સમન્વયક દ્વારા પોતાનો મત પક્ષ સુધી પહોંચાડી શકે. ટૂંકમાં નિયમન સાથેની સ્વતંત્રતા અને જરૂર પડ્યે નિયંત્રણ પણ.

૧૯૫૧માં ભારતીય જન સંઘની સ્થાપના થઈ ત્યારથી એકંદરે આ વ્યવસ્થા ઠીકઠીક ચાલતી હતી, જેમાં પહેલીવાર ૧૯૯૫ના સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં ઝટકો લાગ્યો. સંઘના એક સ્વયંસેવક શંકરસિંહ વાઘેલાએ સત્તા ખાતર પક્ષમાં બળવો કર્યો અને પક્ષના ગુજરાત એકમમાં વિભાજન થયું. સંઘનો સ્વયંસેવક સત્તાના મોહનો શિકાર થયો અને બળવો કરવા સુધી આગળ વધ્યો એ સંઘ માટે આઘાતજનક ઘટના હતી. એ સિવાય બીજાં રાજ્યોમાં પણ સંઘે પક્ષમાં મોકલેલા નેતાઓ વચ્ચે સત્તાની સાઠમારી શરૂ થઈ ગઈ હતી. સત્તાના સ્વભાવ વિષે ગોલવળકર ગુરુજીને જે ભય હતો એ સાચો પડવા લાગ્યો.

એ પછી નરેન્દ્ર મોદીનો ઉદય થયો. તેઓ સત્તા પોતાની મૂઠીમાં રાખવામાં માને છે અને એ સારુ પક્ષ પોતાની મૂઠીમાં હોવો જોઈએ. પક્ષમાં સંઘે મોકલેલા નેતાઓ પોતાની મૂઠીમાં હોવા જોઈએ, એટલું જ નહીં સંઘે નિયુક્ત કરેલો સમન્વયક પણ મૂઠીમાં હોવો જોઈએ. તમારે રોટલા સાથે કામ છે કે ટપટપ સાથે? તમારો એજન્ડા હું લાગુ કરી દઈશ. તમારે બીજું શું જોઈએ? બસ વચ્ચે નહીં આવવાનું. આ સિવાય દેશની પ્રજા સાથે નરેન્દ્ર મોદીનો સીધો તાર સંધાઈ ગયો તે એટલે સુધી કે સંઘના નેટવર્કની તેમને જરૂર જ ન રહી. ઊલટું સંઘનું નીચેથી મિડલ લેવલ સુધીનું નેટવર્ક નરેન્દ્ર મોદી માટે કામ કરવા લાગ્યું. તેમનું બની ગયું. સંઘના સ્વયંસેવકો સરસંઘચાલકની જગ્યાએ નરેન્દ્ર મોદીને તેમના નેતા કહેવા લાગ્યા. ગોલવળકર ગુરુજીને જે વાતનો ડર હતો એ સાચો પડવા લાગ્યો. તમને જાણીને આશ્ચર્ય થશે કે પક્ષના અને સંઘના અનેક સ્વયંસેવકો નરેન્દ્ર મોદીની જાહેરમાં ટીકા કરવા માટે મોહન ભાગવતની આલોચના કરે છે અને નરેન્દ્ર મોદીનો બચાવ કરે છે.

અમર્યાદિત સત્તા, સંપત્તિ અને ભયનો શિકાર માત્ર વિરોધ પક્ષોના નેતાઓ અને લોકતાંત્રિક સંસ્થાઓ જ નથી થઈ રહ્યાં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ થઈ રહ્યો છે. ભીંસ સંઘ પણ અનુભવતો હતો. કલિયુગમાં સંઘશક્તિ સર્વોપરી હશે એ તત્ત્વજ્ઞાન જ ખોટું પડતું નજરે પડવા લાગ્યું. ભીંસ બેવડી હતી. એક વ્યક્તિ પક્ષને સંઘની ભ્રમણકક્ષાની બહાર લઈ જઈ રહી હતી એટલું જ નહીં, સંઘની ભ્રમણકક્ષા ટૂંકી થવા લાગી. બીજા શબ્દોમાં કહીએ તો પક્ષ પરિઘની બહાર જવા લાગ્યો અને પરિઘ નાનો થવા લાગ્યો. સંઘના ઇતિહાસમાં પહેલીવાર અને એ પણ શાતાબ્દી ટાણે સંઘ સામે અસ્તિત્વનું અને નિષ્ઠાનું સંકટ પેદા થયું. નરેન્દ્ર મોદી મોહન ભાગવતને પણ ગણકારતા નહોતા.

એની વચ્ચે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી યોજાઈ અને એમાં સાબિત થયું કે નરેન્દ્ર મોદીનું તેજ ઘટી રહ્યું છે. ઘટી રહ્યું છે નહીં, ઘટી ગયું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને થયેલું નુકસાન સુધારવાની એમાં તક દેખાય છે. મોહન ભાગવત પોતાની થયેલી ઉપેક્ષાથી પીડિત છે અને મોકો મળ્યે વેર વાળી રહ્યા છે એવું નથી. સંઘના નેતાઓમાં અપમાન અને વિપરીત સંજોગોને પચાવવાની અને મૂંગા રહેવાની ગજબની તાકાત હોય છે. સંઘ હજુ વધુ આક્રમક થશે, કારણ કે અંગ્રેજી શબ્દ વાપરું તો કરેકશન્સ કરવાં પડે એમ છે. આગળ કહ્યું એમ ૧૯૫૦-૫૧માં ગોલવળકર ગુરુજીએ બતાવેલો ભય માથા પર ઝળુંબે છે. સત્તા ભલભલાને ભસ્મ કરી નાખનારી પ્રચંડ વિનાશક શક્તિ છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 સપ્ટેમ્બર 2024

Loading

...102030...567568569570...580590600...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved