Opinion Magazine
Number of visits: 9557489
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

14 ભાષાના જ્ઞાની કુંવર નટવર સિંહ : એક એવો લીડર જે રીડર પણ હતો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|26 August 2024

રાજ ગોસ્વામી

અમેરિકાના 33મા રાષ્ટ્રપતિ હેરી એસ. ટ્રુમેનનું એક નોંધપાત્ર કથન છે : નોટ ઓલ રીડર્સ આર લીડર બટ ઓલ લીડર્સ આર રીડર્સ. આ કથનમાં, ટ્રુમેન વાંચવાની ટેવનું મહત્ત્વ સાબિત કરવા માંગતા હતા; એટલું જ નહીં, ખાસ તો તેઓ એમ સાબિત કરવા માંગતા હતા કે એક લીડર ત્યારે જ એક અચ્છો લીડર ગણાય જ્યારે તે પુસ્તકો વાંચવાનો શોખીન હોય – જે વાંચે જે તે બધા લીડર નથી હોતા, પણ જેટલા લીડર છે તે બહુ સારા વાચક જરૂર હોય છે.

લીડર્સ અચ્છા રીડર્સ હોય છે કારણ કે તેઓ જાણે છે તેમના પહેલાં જીવન જીવી ગયેલા લોકો પાસેથી ઘણું શીખવાનું છે. તેઓ એ પણ જાણે છે કે ઇતિહાસ ખુદને અલગ રંગ અને રૂપમાં દોહરાવે છે. જે અતીતમાંથી બોધપાઠ શીખે છે તે જ નવા ભવિષ્યની કલ્પના કરી શકે છે. જે નથી શીખતા તે અતીતને દોહરાવે રાખે છે. અમેરિકન ફિલોસોફર જ્યોર્જ સંતાયાનાએ કહ્યું હતું તેમ, “જે લોકો ઇતિહાસને યાદ રાખી શકતા નથી તેઓ તેનું પુનરાવર્તન કરવા માટે મજબૂર છે.”

ભારતના 78મા સ્વતંત્રતા દિવસના પાંચ દિવસ પહેલાં, 10મી ઓગસ્ટે, અવસાન પામેલા કુંવર નટવર સિંહ એ અર્થમાં ખાલી લીડર નહોતા, પણ એક અચ્છા રીડર હતા. 31 વર્ષ સુધી કૂટનીતિક ક્ષેત્રે સેવા આપ્યા બાદ કાઁગ્રેસ પાર્ટી તરફથી સાંસદ અને 2004-5માં વિદેશ પ્રધાન બનેલા નટવર સિંહને લખવા-વાંચવાનો બહુ શોખ હતો. તેમના અંગત પુસ્તકાલયમાં 10,000થી વધુ પુસ્તકો હતાં અને તેમની મોટા ભાગની સાંજ પુસ્તકો વચ્ચે પસાર થતી હતી. તેમને 14 ભાષાનું જ્ઞાન હતું. 

તેમણે માત્ર એક વિદ્વાનની આંખોથી જ નહીં, પરંતુ એક કવિના હૃદયથી પુસ્તકો પણ વાંચ્યાં હતાં અને મહાન કૃતિઓમાંથી પોતાના માટે પ્રેરણા અને સાંત્વના મેળવી હતી. લેખિત શબ્દ માટેના આ પ્રેમનો વારસો તેમણે ઘણા નવોદિત લેખકોને આપ્યો હતો. છેલ્લે છેલ્લે તો તેમણે રાહુલ ગાંધીને પણ બે જીવનચરિત્રો વાંચવા માટે આપ્યાં હતાં.

નટવર સિંહે ધ લેગસી ઓફ નેહરુઃ અ મેમોરિયલ ટ્રિબ્યુટ, માય ચાઇના ડાયરી-1956-88, મહારાજા સૂરજમલ હિઝ લાઇફ એન્ડ ટાઇમ્સ સહિત અનેક પુસ્તકો પણ લખ્યાં છે. તેમની આત્મકથા ‘વન લાઇફ ઇઝ નોટ એનફ’ને લોકોએ પસંદ કરી હતી.

ભારતીય રાજનીતિમાં, પુસ્તકોના શોખીન નેતાઓની પ્રજાતિ ઘટતી જાય છે, અને નટવર સિંહ તેના આખરી વારસ પૈકીના એક હતા. તેમણે ગ્વાલિયરની સિંધિયા સ્કૂલ, અજમેરની મેયો કોલેજ તેમ જ દિલ્હી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેઓ ચીનની પેકિંગ યુનિવર્સિટીમાં સ્કોલર હતા.

કે. નટવર સિંહ એક એવી વ્યક્તિ હતા જેમણે કૂટનીતિ અને રાજકારણના ક્ષેત્રમાં તો પોતાની ઓળખ બનાવી હતી, પરંતુ જ્યારે તેમણે લેખનના ક્ષેત્રમાં હાથ અજમાવ્યો, ત્યારે તેમને ત્યાં પણ ઘણી પ્રશંસા મળી હતી. આ ગુણો ઉપરાંત, તેમના વ્યક્તિત્વની વિશેષતા તેમની હાજર જવાબી અને નિખાલસતા હતી, જેનાથી તેમને ઘણી લોકપ્રિયતા મળી હતી.

તેનો એક શરૂઆતી કિસ્સો છે. દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી સ્નાતક થયા પછી, નટવર ઇંગ્લેન્ડના કેમ્બ્રિજમાં ગયા હતા. વિમાનમાં તેઓ નહેરુના નજીકના સહયોગી કૃષ્ણ મેનનને મળ્યા હતા. તેમણે નટવરને સિવિલ સર્વિસિ ઇન્ટરવ્યૂ માટે ઘણી ટીપ્સ આપી હતી. નટવરે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી અને ભારતીય વિદેશ સેવા માટે પસંદગી પામ્યા. 

વડા પ્રધાન નેહરુએ વિદેશ સેવા માટેના તમામ પ્રોબેશનરોને મળવા માટે બોલાવ્યા હતા. નટવર તેમના ભત્રીજાઓના મિત્ર હતા, એટલે તેઓ નહેરુને અનોપચારિક રીતે જાણતા હતા. એકબીજાના હાલચાલ પૂછ્યા પછી નહેરુએ નટવરને ચીન અંગે પ્રશ્ન પૂછ્યો હતો : શું આપણને ચીનથી જોખમ છે? નટવર સિંહે કૂટનીતિક પ્રશ્નનો જવાબ હોંશિયારીથી આપ્યો હતો : હા અને ના, તમારો પડોશી તમારો સૌથી સારો મિત્ર બની શકે છે અને સૌથી ખરાબ દુ:શ્મન પણ. નહેરુ આંખોમાં એક તોફાની ચમક સાથે બોલ્યા હતા, “તમે મને ચાણક્ય નીતિ શીખવી રહ્યા છો, નટવર?”

બીજા એક કિસ્સામાં, પાકિસ્તાનમાં તેમની પોસ્ટિંગ દરમિયાન, ત્યાંના લશ્કરી સરમુખત્યાર જનરલ ઝિયા-ઉલ-હકે એક દિવસ નટવર સિંહને કહ્યુંઃ “કુંવર સાહેબ, કાશ્મીર અમારી નસમાં લોહીની જેમ વહી રહ્યું છે.” 

નટવરે સામે જવાબ આપ્યો હતો, “જનરલ સાહેબ, તમે તો લોહીની વાત કરો છો. કાશ્મીર અમારા અસ્થિમજ્જા(બોન મેરો)નો ભાગ છે.”

એ બેઠકમાં હાજર લોકોનું કહેવું છે કે નટવર સિંહનો જવાબ સાંભળીને ઝિયા હક્કાબક્કા થઇ હતા. હકીકતમાં બંને એકબીજાને ઓળખતા હતા. બંને સાથે અભ્યાસ કરતા હતા. જનરલ ઝિયા-ઉલ-હક અને નટવર સિંહ વચ્ચે તેમના વિદ્યાર્થીઓના દિવસો વખતથી જ ગરમાગરમી હતી. બંને દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજના વિદ્યાર્થીઓ હતા. એટલા માટે જ્યારે સેન્ટ સ્ટીફન્સની એક ટીમે પાકિસ્તાનની મુલાકાત લીધી, ત્યારે ત્યાંના શિક્ષકો અને વિદ્યાર્થીઓને જનરલ ઝિયાએ ભવ્ય ભોજન અને ઘણી ભેટો આપી હતી.

1931માં રાજસ્થાનના ભરતપુરના શાહી વૈભવમાં જન્મેલા નટવર સિંહ રીડર અને લીડર બનવાનું નસીબ લઈને જ આવ્યા હતા. નાની ઉંમરથી જ, તેમનું જીવન સન્માન અને ફરજના મૂલ્યોથી ઓતપ્રોત હતું, જે લક્ષણો તેમને પડકારજનક કારકિર્દીમાં હેમખેમ આગળ લઇ જવાનાં હતાં.

તેમણે 1953માં ભારતીય વિદેશ સેવામાં પ્રવેશ કર્યો હતો અને એવી દુનિયામાં પગ મૂક્યો હતો જે બીજા વિશ્વયુદ્ધની તબાહી અને શીત યુદ્ધની શરૂઆતથી હજુ પણ ઝઝૂમી રહી હતી. બદલાતા ગઠબંધન અને ઉચ્ચ દાવની વાટાઘાટો વચ્ચે, નટવર સિંહે પોતાને નોંધપાત્ર બુદ્ધિ અને અચળ સંકલ્પના માણસ તરીકે સાબિત કર્યા. 1983માં બિનજોડાણવાદી ચળવળ શિખર સંમેલન દરમિયાન અન્ય રાજદ્વારી મિશનમાં તેમણે કરેલાં કાર્યોએ 20મી સદીના કેટલાક સૌથી તોફાની દાયકાઓ દરમિયાન ભારતની વિદેશ નીતિના મુખ્ય ઘડવૈયા તરીકે તેમની ભૂમિકાને રેખાંકિત કરી હતી.

તેમાં, તેમની આત્મકથાએ ખાસો વિવાદ ઊભો કર્યો હતો. તેમાં તેમણે 2004માં સોનિયા ગાંધી કેમ વડા પ્રધાન ન બન્યાં તેની આંતરિક વાતો જાહેર કરી હતી. 

તેમણે લખ્યું હતું, “રાહુલે માતાને વડા પ્રધાન બનતાં રોક્યા હતા કારણ કે તેને ડર હતો કે તેની દાદી અને પિતાની જેમ તેમની પણ હત્યા થઈ જશે. આ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે રાહુલે કહ્યું કે તે માતાને વડા પ્રધાન બનતાં અટકાવવા માટે કોઈપણ પગલું ભરવા તૈયાર છે. રાહુલ એક મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતો માણસ છે, તેથી તે એક સરળ ધમકી નહોતી. તેણે આ નિર્ણય લેવા માટે સોનિયા ગાંધીને 24 કલાકનો સમય આપ્યો હતો. તે સમયે મનમોહન સિંહ, સુમન દુબે, પ્રિયંકા અને હું હાજર હતા. સોનિયાને જોઈને એવું લાગતું હતું કે તેઓ ખૂબ જ દુઃખી હતાં અને તેમની આંખોમાં આંસુ હતાં. એક માતા તરીકે તેમના માટે રાહુલની અવગણના કરવી અશક્ય હતી. આ જ કારણે તેઓ વડા પ્રધાન બન્યા ન હતાં.”

સોનિયા ગાંધીએ આ આરોપોને ગંભીરતાથી લીધા હતા. તેમણે તે વખતે કહ્યું હતું, “હું મારું પુસ્તક લખીશ અને પછી દરેકને સત્ય ખબર પડશે. સત્યને બહાર લાવવાનો એકમાત્ર રસ્તો લખવાનો છે. હું તેના વિશે ગંભીર છું.”

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 25 ઑગસ્ટ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ (૪) 

સુમન શાહ|Opinion - Literature|26 August 2024

જીવન–સ્વીકૃતિ, જીવન–સ્વીકૃતિ વિશે પ્રશ્ન, સમ્પૂર્તિ

સૌ પહેલું તો એ કે ઉમાશંકર જીવન-સ્વીકૃતિના કવિ છે. નિષેધ એમના વ્યક્તિત્વમાં જવલ્લે જ જોવા મળે. કલા-સ્વીકૃતિ એમનામાં જીવન-સ્વીકૃતિના એક સંવિભાગ રૂપે મ્હૉરે છે. જીવનનો અર્થ ઉમાશંકરમાં આજ દિન લગીનું મનુષ્ય-જાતિનું જીવન થાય છે. માનવસંસ્કૃતિનું જાણે છેલ્લી ક્ષણ સુધીનું સ્વારસ્ય એમની જીવન-પ્રેરણા તેમ જ કાવ્ય-પ્રેરણાનો એક એવો આધાર છે જેને આપણે એમની સાહિત્યસૃષ્ટિ અને સાહિત્યપ્રવૃત્તિ માત્રનું અકાટ્ય પરિમાણ ગણી શકીએ.

જીવનપરક વસ્તુતત્ત્વ અથવા કવિની એ વિશેની વેદનશીલતા રચનાસિદ્ધિનું બળ છે. એ બળ કવિમાં મૉડે લગી વિસ્તર્યું છે, ઘણું બધું વિલસ્યું પણ છે. આ પ્રથમ વર્તુળમાં, એ બળ અનેક રચનાઓમાં વરતાય છે, અને એમ માનવાને પ્રેરે છે કે ઉમાશંકરની સમગ્ર કવિતા એ બળથી દોરવાતી રહી છે. જો કે, એમના કવિ-જીવનમાં જીવનતત્ત્વનો ધક્કો જ્યારે ત્યારે કાવ્યમાધ્યમ, શૈલી, પદ્ધતિ, મિજાજ, વગેરેને બદલી નાખતો ક્રાન્તિકર પણ પુરવાર થયો છે.

એટલે ઉમાશંકરને કશો ધીંગો કલા-વ્યામોહ પ્રગટાવનારા કલાકાર તરીકે ઘટાવવા જતાં, ભૂલ થશે. એ જીવન-કલાના કવિ છે. જીવનના સ્વીકારનું એક પરોક્ષ પરિણામ એ કે ઉમાશંકર ગાંધી-પ્રણિત માનવતાવાદની ભારતીય મુદ્રા પ્રગટાવતી, માનવ્યનો પુરસ્કાર કરતી, માનવ્યને દૃઢાવતી, કવિતા રચી શક્યા છે, જેથી તેઓ આપણને સંસ્કૃતિના કવિ ભાસે છે.

પણ, કલા ખરેખર તો માનવસંસ્કૃતિથી ઊફરી જઇને પોતાને સિદ્ધ કરતી વસ્તુ છે, તેથી કલાકાર વિદ્રોહશીલ અને નિષેધમૂલ સર્જકતા વડે જ પોતાની પ્રવૃત્તિનું સત પ્રગાવી શકે, એવી એક હકીકત સુવિદિત છે. અ-પૂર્વ સર્જન કરવામાં તત્સમવૃત્તિ કે પુરસ્કારોમાં રાચતી સમર્થનવૃત્તિ કલાકારને વ્યવધાનરૂપ લાગતી હોય છે. એવા સંજોગોમાં, કવિ કે કલાકારને પોતાની શ્રદ્ધાઓમાં કે પોતાના આશાવાદમાં કશીક ને કશીક શંકા ન પડે તો જ નવાઈ. આજે કોઈપણ કલાકાર સંસ્કૃતિના વૈતાલિકની ભૂમિકાએ ટકી શકતો નથી, સભ્યતાને હમેશાં બિરદાવી શકતો નથી.

“સમગ્ર કવિતા” દર્શાવે છે કે પરમ્પરાઓ અને તેને વિશેની પોતાની વિધ વિધની શ્રદ્ધાઓમાં ઉમાશંકરે તિરાડ પડતી અનુભવી છે. પરિણામે, એમની કવિતામાં રંગદર્શીતાથી વાસ્તવવાદની દિશાનો અને તે પછી આધુનિકતાની દિશાનો ઉઘાડ જનમી આવ્યો છે; અને ત્યારે લાગશે કે એ પ્રત્યેક સ્થિત્યન્તર નાની-મોટી આત્મસમીક્ષામાંથી આવિર્ભાવ પામ્યું છે, પ્રત્યેક વખતે શ્રદ્ધા વિશે આછી-ઊંડી શંકા ઉદ્ભવી છે અને પરમ્પરાનો ત્યાગ કરવાનું બન્યું છે. જુઓ, પ્રારમ્ભે મુકાયેલો ‘મંગલ શબ્દ’ ઉમાશંકરની શ્રદ્ધાનું અધિષ્ઠાન હતો, પ્રારમ્ભબિન્દુ, પણ ‘છેલ્લો શબ્દ’, અન્તિમ બિન્દુ. તેઓ મૌનને કહેવાનું કહે છે. એ બે બિન્દુથી રચાતા સુદીર્ઘ વિકાસપટ પર સંભવ છે કે અનેક ઊથલપાથલોની વૈયક્તિક અનુભૂતિઓ જનમી હશે.

જો કે, એ પછી પણ, કલાકારે પોતાની કલાસૃષ્ટિને સ્વકીય ભૂમિકાએ પૂરી કરી આપવાની હોય છે. થાય કે ન થાય એ જુદી વાત છે. એવી સમ્પૂર્તિ વિના, એટલે કે, ઍકમ્પ્લીશમૅન્ટ વિના, એની વાત અધૂરી રહી જતી હોય છે. જીવનની અનેકાનેક ગતિવિધિઓ વચ્ચે એની કલાએ પોતાની સત્તા પર ઊભા રહીને એ કરવાનું હોય છે. કેમ કે સ્વીકૃતિ પણ પોતાની છટાઓ કે વ્યામોહો વડે કલાસૃષ્ટિનો અતિશય ઊભો કરતી હોય છે, કલાસૃષ્ટિને એ એકાંગી અને પક્ષીલ અધૂરપોમાં છોડી દેતી હોય છે. એ અધૂરપોનું કલાકારે પોતાની સર્જકતાથી નિરસન કરવાનું હોય છે. પરિણામે, એના સમર્થ સર્જનપુરુષાર્થને કારણે, સૃષ્ટિ અને માનવસંસારનું સર્વાંગસુન્દર કાવ્યકલ્પન – પોએટિક ઇમેજ – કે મૅટાફર રચાય છે. અને એ સ્વરૂપે એની કલાને સમ્પૂર્તિ લાધે છે.

ઉમાશંકરની છેલ્લા દાયકાએકની કવિતામાં આ સ્વરૂપની સમ્પૃ્ર્તિ તરફનું પ્રયાણ છે. એમાં, નાનીમોટી બધી જ ક્રાન્તિઓ પછીનો ઉપશમ છે. એમાં, કાવ્યશ્રી પોતે જ વિલસવા માગે છે. એમાં, સત્ય હવે શોધનું પરિણામ છે અથવા શોધ રૂપે છે.

સત્તરેક વર્ષની ઉમ્મરે ઉમાશંકરે પહેલું કાવ્ય કર્યું હતું. તેની ફળશ્રુતિ રૂપે એમને ‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમૅળે’-નો કવિને કે કલકારને જ મળવો ઘટે એવો મન્ત્ર લાધ્યો હતો. પરન્તુ ૧૯૨૮-ની એ સાલ પછીનાં ત્રણ જ વર્ષમાં, ૧૯૩૧-માં, તેઓ “વિશ્વશાન્તિ” લઈ ગુજરાતી કવિતાજગતમાં પ્રવેશ્યા, અને ત્યારે, એમની પાસે જે મન્ત્ર હતો તે તો ‘દૂરથી’ આવતો ‘મંગલ શબ્દ’ હતો, ‘ચેતનમન્ત્ર’ હતો.

એ બે મન્ત્રની શક્તશાળી હિલચાલોને ઉમાશંકરની કવિસંવિદે જાણી છે, પ્રમાણી છે, અને તેનાં અનુધાવનો રૂપે એમની કલાસૃષ્ટિ પાંગરતી રહી છે. સમ્પૂર્તિ એમાં મનનીય ઘટના છે.

(ક્રમશ:)
(25 Aug 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કૃષ્ણાર્પણ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 August 2024

આજે કૃષ્ણાષ્ટમી ! કૃષ્ણનો 5,251મો જન્મોત્સવ દ્વારિકામાં આજે ઉજવાવાનો છે. એ જાણીને આનંદ એટલે થયો કે કૃષ્ણને 5,250 વર્ષ થયાં. ઘણાંને એવી શંકા છે કે રામ, કૃષ્ણ વગેરે થયા છે કે એ કેવળ કાલ્પનિક છે? આવાં કાલ્પનિક પાત્ર હોય તો પણ, વાલ્મીકિ અને વ્યાસને દંડવત્ જ કરવાં પડે, કારણ કલ્પના કરીને ય આવાં અદ્દભુત પાત્રો સર્જવાનું સરળ નથી. કૃષ્ણના હોવાને 5,250 વર્ષ થયાં. ન હોવાને તો 5,250 વર્ષ કેવી રીતે થાય? વળી, રામાયણ વાલ્મીકિએ સર્જ્યુ હોય તો એનો રામ કાલ્પનિક નથી, કારણ રામના પુત્રો લવકુશના ઉછેરમાં સ્વયં વાલ્મીકિ હાજર છે. જો લવકુશ હોય તો રામ પણ હોય જ ને ! એવી જ રીતે વ્યાસ પોતે મહાભારતમાં પાત્ર તરીકે ઉપસ્થિત છે, એટલું જ નહીં, કૌરવકુળનું પિતૃત્વ પણ એમણે સ્વીકાર્યું છે. સર્જક પોતે ઉપસ્થિત હોય ને ધૃતરાષ્ટ્રનું પિતૃત્વ સ્વીકારતા હોય તો ગાંધારી, શકુનિ, દુર્યોધન … કાલ્પનિક હોય? દુર્યોધન હોય તો પાંડવો પણ હોય. પાંડવો હોય તો અર્જુન પણ હોય. અર્જુન હોય તો કૃષ્ણ કેમ ન હોય? એણે જ તો અર્જુનને ગીતા કહી છે. ગીતા આજે પણ પુસ્તક તરીકે ઉપલબ્ધ હોય ને એ જો અર્જુનને કહેવાઈ હોય તો એ કહેનાર કૃષ્ણ સિવાય બીજું કોણ હોય? આ પછી પણ કોઈ દલીલો કરીને રામને કે કૃષ્ણને કાલ્પનિક ઠેરવે તો મને કશો વાંધો નથી, હા, મારી આ મહાનુભાવોના હોવા વિષે જરા પણ શંકા નથી, પૂરી પ્રતીતિ છે.

કૃષ્ણ વિષે જ્યારે પણ વિચારું છું, મને ધરવ નથી થતો. એને પૂર્ણ પુરુષોત્તમ કહ્યો છે ને મને તો એનો જ આનંદ છે. પોતે અવતાર છે એટલે દેવત્વ ન હોય એવું તો કેમ બને? પણ, મને એનું મનુષ્યત્વ વિશેષ ખેંચે છે. કૃષ્ણમાં કૃષ્-નો અર્થ ખેંચવું પણ થાય છે. એ કૃષિ સંદર્ભે હોય તો પણ, કૃષ્ણમાં સહજ આકર્ષણ છે. જન્મ માટે એ મધરાત પસંદ કરે છે ને સ્થાન કારાગાર ! નબળામાં નબળો જીવ પણ આવી પસંદગી ન કરે. વારુ, જન્મતાં જ માબાપનો વિરહ વેઠ્યો ને પાલક માતાપિતા સાથે અજાણતાં જ ગોઠવવાનું થયું. મધરાતે જન્મ્યા પછી મથુરાની સવાર પણ કૃષ્ણ જોવા નથી પામતો. રાતોરાત ગોકુળ પહોંચે છે, એક એવો આદર્શ સ્થાપવા કે પાલક માતાપિતા પણ સગાં માબાપથી રજ માત્ર ઊતરતાં નથી. અહીં જ એ બતાવે છે કે ઘરનાં ઘંટી ચાટે એ ન ચાલે. ગામનું ગોરસ મથુરા ભરાય અને ગોકુળ દૂધ વગરનું રહે તો નંદ ઘેર આનંદ ભયો – કહેવાય કેવી રીતે? એટલે જ એણે ગોપીઓની મટકી ફોડી જેથી ગામની બહાર કશું જાય નહીં. એ રીતે ગોપાલનનો મહિમા બાલ ગોપાલે કર્યો. અહીં જ એક એવો પ્રણય વિકસ્યો જે લગ્નમાં ન પરિણમ્યો, પણ મંદિરોમાં સ્થપાયો.

રાધા હતી જ નહીં, એવું પણ કહેવાય છે, પણ એવું હોય તો પણ કલ્પના કેટલાં બધાં મંદિરોમાં સાકાર થઈ છે તે કેમ ભૂલાય? ગોકુળમાંથી બે પ્રતીકો કાનાએ ઉપાડ્યાં. મોરપિચ્છ અને વાંસળી. એ પછી એક્કે મોરપિચ્છ એવું ખર્યું નથી, જેણે કૃષ્ણનું સ્મરણ ન કરાવ્યું હોય. એ જ રીતે વાંસની એણે વાંસળી કરી. વાંસળી નામ પડતાં જ રાધા-કૃષ્ણનું એકત્વ પ્રગટ થયા વિના રહેતું નથી. રાધા અને કૃષ્ણને જોડનારું તત્ત્વ જ વાંસળી છે. સૂર છે. 16,108 રાણીઓ કરનારને રાધા વધારાની નથી. તે પરિણીત હતી એટલે રુક્મિણી થઈ, પણ રાધા પટરાણી ન થઈ. પણ, પ્રેમ તો હતો જ એટલે વાંસળીએ બંનેને મંદિરોમાં પણ સાથે રાખ્યાં. આમ લગ્નેતર સંબંધ સમાજ માન્ય નથી, તો તેનું મંદિર હોવાની તો કલ્પના પણ કેવી રીતે થાય? પણ, આ પ્રેમનાં મંદિરો થયાં. વૃંદાવનમાં રાસ રચાયો અને દરેક ગોપીને એનો કહાન મળ્યો. જે સમાજ માન્ય નથી, એ બધાંનું કૃષ્ણે પાવિત્ર્ય ઊભું કર્યું, તે એટલે કે જે ગોપીઓનાં તેણે ચીર હર્યાં, તેનું સાટું તેણે દ્રૌપદીનાં ચીર પૂરીને વાળ્યું.

રાધા-કૃષ્ણનાં પ્રેમનો અર્થ જ ચિર વિરહ છે. ગોકુળ છૂટે છે, એ સાથે જ રાધા પણ છૂટે છે. એ સતત વિરહથી જોડાયેલાં છે, એટલે જ મંદિરોમાં છે. રુક્મિણી પટરાણી છે એટલે દ્વારિકાનાં સામ્રાજ્ય પૂરતી સીમિત છે. દ્રૌપદી પ્રેમિકા નથી, સખી છે. આ સખ્યને પરિણામે જ દ્રૌપદી પાંડવોની પત્ની બને છે ને બહુ પતિત્વ આમ તો ટીકાને પાત્ર ઠરે, પણ પાંડવો વચ્ચેનો સંપ એને લીધે જ જળવાઈ રહ્યો ને એ કૃષ્ણે શક્ય બનાવ્યું. કૃષ્ણ અવતારી પુરુષ છે, છતાં ક્યાં ય છવાઈ જતાં નથી. દરેકને પોતાની ભૂમિકા ભજવવા દે છે. પોતે છે તેનો ભાર બીજાને લાગવા દેતા નથી ને એ સાથે જ પોતે ન હોય તો પાંડવો ક્યાંયના ન રહે તે સ્થિતિ પણ ઊભી થાય છે, ખાસ કરીને દ્યૂતસભામાં. કૃષ્ણ હોત તો પાંડવોનો વનવાસ ટળ્યો હોત, પણ દ્યૂતથી પાંડવોએ વેઠવાનું આવ્યું. ત્યાં પણ કૃષ્ણ દખલ કરતાં નથી. વનવાસ દરમિયાન પણ જેને તેને પોતાનું કર્તવ્ય બજાવવા દે છે.

કૃષ્ણ એટલે જ કર્તવ્ય !

મહાભારત યુદ્ધમાં કૃષ્ણ શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા કરે છે ને અર્જુન કુરુક્ષેત્રમાં શસ્ત્રો હેઠાં મૂકી દે છે, તો તેને ગીતા ઉપદેશીને શસ્ત્ર ઉપાડવા ફરજ પણ પાડે છે. યુદ્ધમાં અહિંસાનો મહિમા પોતે કરે છે, પણ રાજસૂય યજ્ઞને અંતે અર્ઘ્ય અર્પવા બાબતે શિશુપાલ કૃષ્ણનું અપમાન કરે છે તો તેનો, 100 ગાળ સાંભળીને, સુદર્શન ચક્રથી વધ કરે છે. આવું ન કર્યું હોત તો શિશુપાલ વધુ વકર્યો હોત અને અન્ય રાજાઓ જે યુધિષ્ઠિરનું આધિપત્ય સ્વીકારી ચૂક્યા હતા તેમની વચ્ચે વિખવાદ થયો હોત. આમ કૃષ્ણે બધું પોતાને માટે કર્યું હોય એવું લાગે, પણ એમાંનું કશું પણ પોતાને માટે કર્યું નથી. મહાભારતનાં યુદ્ધ પછી અર્જુનને તો કૈંકે મળવાનું હતું, પણ કૃષ્ણને તો કૈં મળવાનું ન હતું, છતાં તે અર્જુનની સાથે રહે છે, કારણ તે સત્યને પક્ષે હતો. યુદ્ધને અંતે એ સ્થિતિ સર્જાય છે કે તેના પોતાના યાદવ કુળમાં કૃષ્ણ તરફી ને કૃષ્ણ વિરોધી એવાં જૂથ પડી ગયાં હતાં. એટલે કૃષ્ણ માટે તો આ યુદ્ધ કોઈ રીતે લાભદાયી ન હતું.

જો કે, કૃષ્ણે યુદ્ધને અટકાવવા શક્ય તે તમામ પ્રયત્નો કરી જોયા. કૃષ્ણ વિષ્ટિ માટે નીકળે છે તો કૃષ્ણા પૂછે છે કે યુદ્ધ ટાળવા જાવ છો? તો કૃષ્ણ કહે છે કે હું ટાળું તો ય દુર્યોધન તે ટળવા નહીં થવા દે. એમ જ થાય છે. સોયની અણી જેટલી જમીન પણ દુર્યોધન આપવા તૈયાર નથી ને દૂત થઈને ગયેલા કૃષ્ણને બંદી બનાવવાની ચેષ્ટા કરે છે. અહીં કૃષ્ણને વિરાટ રૂપ પ્રગટ કરવાની ફરજ પડે છે. છે ને આશ્ચર્ય કે અહીં વિરાટરૂપ યુદ્ધ રોકવા કૃષ્ણ પ્રગટ કરે છે ને કુરુક્ષેત્રમાં વિશ્વરૂપ, યુદ્ધનો પ્રારંભ થાય એટલે પ્રગટ કરે છે. એવું જ બ્રહ્માંડ દર્શન તે માતા યશોદાને પણ કરાવે છે, તે એટલે કે પુત્રની શક્તિથી તે પરિચિત થાય ને આસુરી પરિબળોથી ભયભીત ન રહે.

યુદ્ધ રોકવાના છેલ્લા પ્રયત્ન રૂપે કૃષ્ણ, કર્ણને પાંડવોના પક્ષે લાવવા મથે છે. દુર્યોધને દૂત જોડે કરેલા વ્યવહારની ક્ષમા માંગવા કર્ણ, કૃષ્ણ પાસે આવે છે તો કૃષ્ણ, કર્ણને પહેલી વખત સ્પષ્ટ કરે છે કે તે કુંતીનો કૌમાર્ય અવસ્થામાં થયેલો પુત્ર છે. તે જો પાંડવોને પક્ષે આવી જાય તો આ યુદ્ધ ટળે. બીજું, તે પાંડવોના જ્યેષ્ઠ બંધુ તરીકે રાજગાદીનો અધિકાર મેળવે, એટલું જ નહીં, આપોઆપ જ દ્રૌપદી પણ તેને મળે. જરા પણ પૂછ્યા વગર દ્રૌપદીનો સોદો કરવાનું જોખમી હતું, છતાં કૃષ્ણે યુદ્ધ રોકવા એ પણ કરી જોયું, પણ કર્ણ, દુર્યોધનને છેહ દેવા રાજી નથી. કુંતી પોતે પાંચ પુત્રો ખંડિત ન થાય એ માટે કર્ણ પાસે માતાનો હક કરતી આવે છે તો કર્ણ કહે છે કે હું અર્જુન સિવાય કોઈને હાનિ નહીં પહોંચાડું. અર્જુન નહીં રહે તો પાંચમા પુત્ર તરીકે હું રહીશ ને હું ન રહું તો પાંચના પાંચ તો રહેશે જ !

યુદ્ધ વખતે કર્ણનું રથચક્ર જમીનમાં ધસે છે તો કૃષ્ણ જ અર્જુનને બાણ મારવાનો આદેશ આપે છે, તો કર્ણ યાદ અપાવે છે કે નિ:શસ્ત્ર પર વાર કરવો યુદ્ધના નિયમની વિરુદ્ધ છે, તો કૃષ્ણ પૂછે છે કે અભિમન્યુને અધર્મથી માર્યો તે નીતિયુક્ત હતું? એ જ રીતે ભીમ નિયમ વિરુદ્ધ દુર્યોધનની સાથળ પર ગદા મારે છે, તે પણ કૃષ્ણના ઇશારે, તો થાય કે એ ઠીક હતું? એનો જવાબ એ કે દુર્યોધને જીવનભર નિયમથી એકે કામ કર્યું જ ન હોય તો કેવળ અધર્મ સામે સતત ધર્મ ન શોભે. એવે વખતે પાઠ ભણાવવો એ કૃષ્ણની નીતિ છે. શિશુપાલનો વધ કરનાર ગાંધારીનો શાપ નતમસ્તક માથે ચડાવે છે ને યાદવ કુળનો નાશ કૃષ્ણના અંતનું કારણ પણ બને છે.

સામાન્ય માણસ પણ ન સ્વીકારે એવું મૃત્યુ કૃષ્ણ સ્વીકારે છે. યુદ્ધોના થાક અને કુળના સર્વનાશથી પીડિત કૃષ્ણ અશ્વત્થ નીચે વિશ્રામ કરે છે. પગની પાની જોઈને હરણ છે એવું માની બેઠેલો પારધી તીર મારે છે તે દેહોત્સર્ગનું કારણ બને છે. પરમ આશ્ચર્ય તો એ વાતનું છે કે પગમાં તીર વાગવાથી કોઈ સામાન્ય માણસ પણ ન મરે, તો કૃષ્ણ એટલાથી મરણ પામે એવું કઈ રીતે બને? પણ, એ દિવસે એક જીવ જ્યોતિ થયો ને એ આજે ય પ્રકાશે છે ને અનંતકાળ સુધી ઝળહળશે એવી અખૂટ શ્રદ્ધા છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 ઑગસ્ટ 2024

Loading

...102030...545546547548...560570580...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved