Opinion Magazine
Number of visits: 9954495
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું વધારે જરૂરી છે-વસ્તી વધારો કે વસ્તી નિયંત્રણ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 December 2024

રવીન્દ્ર પારેખ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગયા રવિવારે ઓછામાં ઓછા ત્રણ બાળકો જરૂરી છે એવું જણાવીને ઘટતા જતા વસ્તી વૃદ્ધિ દર અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે કોઈ સમાજનો વસ્તી વૃદ્ધિ દર 2.1થી નીચો જાય તો તે સમાજ ભવિષ્યમાં નાશ પામે છે. ભાગવતે આધુનિક વસ્તી વિજ્ઞાન ટાંકતા કહ્યું કે જે સમાજનો પ્રજનન દર 2.1થી નીચે જાય તો, કોઈ કટોકટી ન હોય તો પણ, તે સમાજ નામશેષ થઈ જાય છે. આ રીતે ઘણી ભાષાઓ અને ઘણા સમાજો નષ્ટ થયાં છે. ત્રણ બાળકો હશે તો જ સમાજ ટકશે. તેમણે નામ પાડ્યું નથી, પણ ભાગવતનો 2.1નો આંક વધારવાનો સંકેત હિન્દુ સમાજ સંદર્ભે છે તે કહેવાની જરૂર નથી. ભા.જ.પે. ભાગવતની ટિપ્પણીનું સ્વાગત કર્યું છે. ભા.જ.પ.ના સાંસદ નેતા મનોજ તિવારીએ તો ભાગવત પર આંધળો વિશ્વાસ મૂકતાં સ્પષ્ટ કર્યું છે કે ભાગવતજીએ જે કૈં પણ કહ્યું છે તે નિશ્ચિંતપણે રાષ્ટ્રીય હિતમાં જ હશે. ભાગવતે શું કહ્યું છે તેની દરકાર રાખ્યા વગર તિવારી, જે  કૈં કહ્યું છે તે હકારાત્મક રીતે રાષ્ટ્રીય હિતમાં જ કહ્યું છે એમ માની લે એ વધારે પડતું છે. મેરઠના સાંસદ અરુણ ગોવિલે પણ ભાગવત પરિપક્વ વ્યક્તિ છે એટલે તેમનું નિવેદન રાષ્ટ્રીય હિતમાં જ હશે તેવું માને છે. આખી વાત જાણીને આ નેતાઓ આવું બોલ્યા હોત તો કૈંકે લેખે લાગ્યું હોત.

દેખીતું છે કે કાઁગ્રેસની એની સામે પ્રતિક્રિયા હોય જ ! તેણે ભાગવતનાં નિવેદનને રાજકીય એજન્ડા ગણાવ્યો છે. કાઁગ્રેસી નેતા અને વિપક્ષી નતા ઉમંગ સિંઘરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જેઓ પહેલેથી વસ્તીમાં છે જ, તેમને નોકરી તો આપો. એક તરફ પાકની જમીન ઘટી રહી છે, બેરોજગારી વધી રહી છે ને વસતિની દૃષ્ટિએ દેશને શક્તિશાળી બનાવવાની વાતો કરો છો તો શરૂઆત ભાગવત, મોદી અને યોગીથી કરવી જોઈએ. વસ્તી વધારવાની હિમાયત થતી હોય તો એ પણ વિચારવાનું રહે કે ભાવિ વસ્તી માટે સંસાધનો ક્યાંથી આવશે? ખાદ્ય સામગ્રીઓ અત્યંત મોંઘી છે. કાઁગ્રેસી સાંસદ રેણુકા ચૌધરીએ તો ત્યાં સુધી કહ્યું કે ભાગવતજીને બાળકોનાં પાલનપોષણનો શો અનુભવ છે? કટિહારના કાઁગ્રેસી સાંસદ તારિક અન્વરે સોંસરું કહ્યું છે કે ભાગવતનું નિવેદન ભા.જ.પ.ના નેતાઓની વાતથી એ રીતે વિપરીત છે કે ભાગવત વસ્તી વધારવાની વાત કરે છે ને ભા.જ.પ. વસ્તી નિયંત્રણની વાત કરે છે. અન્ય વિપક્ષી સાંસદોએ પણ વિરોધનો સૂર કાઢ્યો છે.

આમ પણ વસ્તીમાં ચીનને પાછળ રાખીને ભારત સૌથી વધુ વસ્તીવાળો દેશ બન્યો છે. છેલ્લી વસ્તી ગણતરીમાં હિન્દુઓની ટકાવારી 80 ટકા હતી અને તે હવે ઘટીને 78.9 ટકા પર આવી છે. આમ હિન્દુઓની વસ્તી 100 કરોડ જેટલી છે, જ્યારે મુસ્લિમોની વસ્તી 14 ટકા જેટલી છે અને તે વધી રહી હોવાનું કહેવાય છે. બને કે ભાગવતને એ સંદર્ભે ત્રણ બાળકોની વાત કહેવાનું ઠીક લાગ્યું હોય. એ ખરું કે ભા.જ.પ. હિન્દુત્વને વરેલો છે ને સંઘ, ભા.જ.પ.ના માધ્યમથી પોતાની વિચારધારા દેશમાં ફેલાવ્યે જાય છે. ભા.જ.પ. અને સંઘ વચ્ચે મતભેદો પણ ઊભા થાય છે, પણ છેવટે તો ઘી ખીચડીમાં જ ઢોળાઈને રહે છે. મતભેદ સપાટી પર હોય તો હોય, પણ ચૂંટણી દરમિયાન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મહિમા હિન્દુત્વનો થાય તેને માટે સંઘ, સભાઓમાં કે પ્રવચનોમાં પ્રયત્નશીલ રહે છે ને તેની અસર ચૂંટણીનાં પરિણામોમાં જોવા પણ મળે છે.

સાદો પ્રશ્ન એ છે કે ત્રણ બાળકોની ગણતરીએ ભવિષ્યમાં જે વસ્તી વધશે એનો બોજ ઉપાડવા દેશ તૈયાર હશે ખરો? વિકાસ તો ઘણો થાય જ છે ને ભૌતિક સુવિધાઓ પણ વધી રહી છે, પણ મોંઘવારી અને રોજગારીની સમસ્યાઓ આજે જ વિકરાળ છે, તો ભવિષ્યમાં કેવી હશે તેની કલ્પના સંઘે કરી છે કે પડશે તેવા દેવાશે એ નીતિએ આગળ વધવા માંગે છે? વારુ, સંઘ સંચાલકે તો એક ચિંતા સાર્વત્રિક રીતે કરી છે, પણ ત્રણ બાળકોને ધરતી પર લાવનાર સામાન્ય માબાપ તેમનો ઉછેર અને તેમની જવાબદારીઓ કેવી રીતે ઉપાડશે તેનું માર્ગદર્શન પણ ભાગવત કરે તે અપેક્ષિત છે. વળી જે સ્ત્રી ત્રણ બાળકોને જન્મ આપશે એને વિષે એક હરફ પણ કોઈએ કાઢ્યો નથી તે દુ:ખદ છે. એક તરફ ભા.જ.પ. જ વસ્તી નિયંત્રણની વાત કરતો હોય ને તેના જ સાંસદો ભાગવતનાં ત્રણ બાળકો અંગેનાં નિવેદનનું સમર્થન કરતો હોય તો સવાલ થાય કે ખરેખર અપેક્ષિત શું છે – વસ્તી નિયંત્રણ કે વસ્તી વધારો?

આવું ભાગવતે જ કહ્યું છે એવું નથી. થોડા વખત પર જ આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વૃદ્ધોની વસ્તી વધી રહી છે તો તેમની દેખભાળ માટે લોકોએ બે કે તેથી વધુ બાળકોને જન્મ આપવો જોઈએ તેવું કહેલું ને સાથે એમ પણ ઉમેરેલું કે બે કે વધુ બાળકો હોય તેને જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવાનો અધિકાર મળી શકે એવો કાયદો રાજ્ય સરકાર લાવવા જઈ રહી છે. યુવાનો વિદેશમાં કે રાજ્ય બહાર સ્થાયી થયા છે, પરિણામે યુવાનોની વસ્તી ઘટી છે ને ગામમાં વૃદ્ધો જ રહી ગયા છે. જો બાળકો વધશે તો વસ્તી સંતુલિત થશે. એક સમય હતો જ્યારે આ જ નાયડુ વસ્તી નિયંત્રણની વાત કરતા હતા ને હવે વધુ બાળકો હોય તેને જ રાજકીય લાભ આપવાની વાત કરે છે. સાચું તો એ છે કે વિદેશની તકોને હિસાબે યુવાનો જ નહીં, અમીરો પણ દેશ છોડી રહ્યા છે, ત્યારે સવાલ થાય કે દેશ ખરેખર જ વિકાસ કરી રહ્યો છે ને અહીં તકો વધી રહી છે, તો યુવાનો તો ઠીક, અમીરો કેમ દેશ છોડી રહ્યા છે? આપણને એનું આશ્ચર્ય નથી થતું કે 2019થી 2023 સુધીમાં 8.34 લાખ લોકોએ ભારતીય નાગરિક્તાને છોડી દીધી છે ને આ વાત બીજા કોઈએ નહીં, પણ સરકારે લોકસભામાં કબૂલી છે. એક તરફ સરકાર વિદેશી રોકાણોને ભારતમાં આકર્ષિત કરવા મથે છે ને બીજી તરફ વધુ વળતરની અપેક્ષાએ ભારતીયોએ 20 લાખ કરોડની સંપત્તિ સિંગાપોર કે હોંગકોંગમાં રોકી છે. દેખીતું છે કે આ વેપલામાં વૃદ્ધો ન હોય. એમાં યુવાનો જ જોડાય. આ હાલત હોય તો દેશમાં યુવાનો ઘટે જ તે સમજી શકાય એવું છે.

આટલું ઓછું હોય તેમ તમિલનાડુના મુખ્ય મંત્રી સ્ટાલિને સમૂહ લગ્નના એક કાર્યક્રમમાં એવું કહ્યું કે પરિણીત યુગલો 16 બાળકો પેદા કરે. 16 બાળકો પેદા કરવા પાછળનો સ્ટાલિનનો તર્ક એવો છે કે 2029ની લોકસભાની ચૂંટણી 78 સીટો સાથે થઈ શકે. એ હકીકત છે કે ઉત્તર ભારત કરતાં દક્ષિણી રાજ્યોનો પ્રજનન દર ઘટ્યો છે. એ સંજોગોમાં સ્ટાલિનનું માનવું છે કે 10 લાખની વસ્તીએ એક સાંસદ વધે. એને માટે સીમાંકન દ્વારા સીટો વધી શકે. થયું એવું કે 1971 પછી કેન્દ્ર સરકારે વસ્તી નિયંત્રણ માટે કોશિશો કરી. દક્ષિણનાં રાજ્યો એ અંગે સભાન થયાં ને તેને વસ્તી નિયંત્રણમાં સફળતા મળી. એની સામે ઉત્તર ભારત વસ્તી નિયંત્રણમાં પાછળ રહ્યું એટલે તેની વસ્તી વધી, પરિણામે તેની લોકસભાની સીટો પણ વધીને 255 પર પહોંચી. એની તુલનામાં દક્ષિણની સીટો 130 જ છે. આંધ્રની અને તમિલનાડુની સરકારની ગણતરી એવી છે કે વસ્તી બમણી થાય તો આંધ્રની સીટ 25ની 50 થાય ને  તમિલનાડુની 39ની 78 થાય.

એક તરફ એન.ડી.એ.ની રાજ્ય સરકારો વસ્તી નિયંત્રણ માટે પ્રયત્નો કરતી હોય ત્યારે આંધ્ર, તમિલનાડુની સરકારો વધુ બાળકો પેદા કરવા પ્રજાને ઉતેજિત કરતી હોય તેનું આશ્ચર્ય છે. તે તો ઠીક, સંઘના જ રાષ્ટ્રીય વડા ત્રણ બાળકો પેદા કરવાની ફરમાઇશ કરતાં હોય ત્યારે કોકડું કેટલું ગૂંચવાયેલું છે તે સમજી શકાય એવું છે. 1971ની કેન્દ્ર સરકારને ત્યારે 55 કરોડની વસ્તી વધુ લાગતાં તેણે વસ્તી નિયંત્રણ માટે કોશિશો કરેલી ને આજે 142 કરોડની વસ્તીનો વાંધો ન હોય તેમ આંધ્ર, તમિલનાડુ અને સંઘ વસ્તી વધારવાની હિમાયત કરે છે. ઉત્તર પ્રદેશમાં બે બાળકોનો કાયદો થઈ શકે એમ નથી, તો મહારાષ્ટ્રમાં બેથી વધુ બાળકો હોય તેને સરકારી નોકરી અપાતી નથી. આ બધું પાછું શુદ્ધ બુદ્ધિથી નથી થતું. દરેકની આવી હિમાયત પાછળ રાજકીય ગણતરીઓ છે. એટલે જ રાજ્યોના કાયદાઓમાં એકસૂત્રતા નથી. સાદો સવાલ એ છે કે સૌથી વધુ વસ્તી દુનિયામાં ભારતની હોય ને સંસાધનોની તંગી હોય તો વસ્તી વધારવામાં લાંબે ગાળે મુશ્કેલીઓ જ વધે, એવું ખરું કે કેમ?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 ડિસેમ્બર 2024

Loading

રાજકીય ભક્તિ શા માટે ખતરનાક છે?

Opinion - Opinion|9 December 2024

રમેશ સવાણી

6 ડિસેમ્બર 2024ના રોજ, શુક્રવારે હું અમદાવાદમાં, SBI શાખામાં ગયો. લાઈફ સર્ટિફિકેટ આપવા. હું જીવતો છું તેની ખાત્રી આપવા. બેન્કના કર્મચારીએ મારી સામે જોયું પછી સોક્રેટિસની જેમ બોલ્યો : “તમે જીવતા છો એની ખાત્રી શું?” હું તો મૂંઝવણમાં પડ્યો ! મને મૌન જોઈને કર્મચારીએ કહ્યું : “તમે જીવિત છો, તેવું નિર્જીવ સર્ટિફિકેટ અમને આપો ! તમે લાલ દરવાજા ટ્રેઝરી ઓફિસે જઈને લઈ આવો !”

આપણે કર્મચારીઓનો / ગુંડાઓનો ત્રાસ સહન કરવો પડે / યૌન શોષણની ફરિયાદ કરીએ તો પોલીસ નોંધે નહીં, યૌન શોષણ સામે આંદોલન કરે તો તમને ઢસડીને લઈ જવામાં આવે / આપણે બાળકોના અભ્યાસ માટે ઊંચી ફી ચૂકવવી પડે / આપણે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં જઈએ તો બીજી બિમારીઓના ભોગ બનવું પડે અને ખાનગી હોસ્પિટલમાં જઈએ તો વ્યાજે નાણાં લઈ સારવાર કરાવવી પડે / આપણા બાળકોને સાયન્સના બદલે ધર્મગ્રંથોનો અભ્યાસ કરવો પડે / સમાજમાં જ્ઞાતિ / જાતિ / ધર્મ / સંપ્રદાયના લોકો નફરતી બની હિંસક બની જાય; આ સ્થિતિ થવાનું કારણ શું છે?

આપણો / સમાજનો / દેશનો વિકાસ નક્કી કરવાનું કામ કોણ કરે છે? મંદિર મસ્જિદ કરે છે? ધર્મગુરુઓ કરે છે? જ્ઞાતિ નેતાઓ કરે છે? ના, બિલકુલ નહીં. તેઓ તો રાજકીય એજન્ટ છે. ધર્મ સ્થળોના ઉદ્ઘાટન કોના હસ્તે થાય છે? સત્તાપક્ષના નેતાઓના હસ્તે. તે શું સૂચવે છે? આપણાં બાળકોએ શું ભણવું? શું વિચારવું? આપણે શું ખાવું? શું પીવું? આપણે શું પહેરવું? આ બધી બાબતો કોણ નક્કી કરે છે? રાજનીતિ નક્કી કરે છે. આઝાદીના સમયે સામાજિક સદભાવના માટે ગાંધીજીએ જે પ્રયાસો કર્યા તેનો લાભ મળ્યો; પ્રગતિશીલ નીતિઓ બની; અને દેશમાં હરિયાળી ક્રાંતિ થઈ સફેદ ક્રાંતિ થઈ. સાયન્સ / ટેકનોલોજીનો વિકાસ થયો. તેના પાયામાં સેક્યુલર મૂલ્યો હતાં. સમાજવાદી / માનવવાદી વિચારધારા હતી. વૈજ્ઞાનિક મિજાજ હતો. 

સ્થિતિ કેમ બદલાઈ ગઈ? પરંતુ 2014થી પરિસ્થિતિ બદલાઈ ગઈ. માનવવાદી / સેક્યુલર વિચારધારાના બદલે સંકુચિત વિચારધારાએ પક્કડ જમાવી. શિક્ષણમાંથી ડાર્વિનની થીઅરી કાઢી ધર્મગ્રંથો ઘૂસાડ્યા. ઉદાર મૂલ્યોને બદલે સંકુચિતતા દાખલ કરી. સદભાવનાના બદલે નફરત ફેલાવી. પરિણામ એ આવ્યું કે દેશનું અર્થતંત્ર એક તરફી બની ગયું. ધનિકોની તરફેણ થઈ અને ગરીબ / મધ્યમવર્ગને કચડવામાં આવ્યો. બેરોજગારી / મોંઘવારી ઘટવાને બદલે સતત વધતી ગઈ. સરકારની આકર્ષક નામોવાળી યોજનાઓ નિષ્ફળ ગઈ. સરકારે પોતાની નિષ્ફળતાએ છૂપાવવા માટે વાહવાહી કરવા માટે ગોદી મીડિયાની વ્યવસ્થા કરી. અવાજ ઊઠાવે તેમને અર્બન નક્સલ કહીને જેલમાં પૂર્યા. સ્વતંત્ર મીડિયાને ED દ્વારા ચૂપ કર્યા. કેટલાંકને માન-પુરસ્કારની લાલચથી મૌન કર્યા. વડા પ્રધાન તો નોન બાયોલોજિકલ છે / ગંગાપુત્ર છે / અવતારી છે એટલે દરેક સમસ્યાઓનો ઉકેલ મુમકિન છે, એવું લોકો માનતા થાય તે રીતે આખું પ્રચારતંત્ર ગોઠવાયું. આ પ્રચારતંત્રમાં ધર્મનું અફીણ ઘોળવામાં આવ્યું ! એટલે ‘આદર્શ ભક્તો’નું નિર્માણ થયું. 

રાજકીય ભક્તિ શા માટે ખતરનાક છે? લોકશાહીમાં નેતાભક્તિ આપખુદક્ષાહી તરફ લઈ જાય છે, રાજાશાહી તરફ લઈ જાય છે. ધર્મની ભક્તિ માણસની વિવેકશક્તિને ધૂંધળી કરે છે; પણ રાજકીય ભક્તિ તો વિવેકશકિતનો સંપૂર્ણ નાશ કરે છે. એટલે કોઈપણ ભક્ત કહે છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ લિટરના 500 રૂપિયા થઈ જાય તોપણ મત તો ગોડસેવાદીને જ આપીશું !

ધર્મ ભક્તિ અને રાજકીય ભક્તિ વચ્ચે શું તફાવત છે? ધર્મભક્તિ કદાચ માણસને નૈતિક બનાવવામાં સહાયક બની શકે પણ રાજકીય ભક્તિ તો માણસને તદ્દન અનૈતિક બનાવે છે. તમે અવતારીનું સમર્થન કરતા કરતાં મહિલા પહેલવાના યૌન શોષણ સામે ચૂપ રહો છો !મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ / ગેંગ રેપ / હત્યામાં તમને કશું વાંધાજનક લાગતું નથી ! જેમની પર CBI / IT / EDએ કેસો કર્યા છે તે નેતાઓ દેવદૂત લાગે છે ! ગેંગરેપ / સામૂહિક હત્યા કરનારાઓ સંસ્કારી લાગે છે ! 135ના મોત માટે જવાબદાર ઉદ્યોગપતિ સખાવતી લાગે છે ! ક્રિમિનલ / તડિપાર નેતાઓ માનનીય લાગે છે ! સમસ્યાઓનું મૂળ અહીં છે. જે ખુદ ક્રિમિનલ છે તે સુશાસન આપી શકે? જે નફરત / ધૃણા ફેલાવે છે તે સદ્દભાવના સ્થાપી શકે? જે ભ્રષ્ટ નેતાઓથી ઘેરાઈ ગયેલ છે તે ભ્રષ્ટાચાર દૂર કરી શકે?

ધર્મ / સંપ્રદાય ભક્તિથી કદાચ સ્વર્ગ / જન્નત / મોક્ષ / વૈકુંઠ / અક્ષરધામ મળી જાય, પણ આપણે તે અંગે જાણી શકવાના નથી. પરંતુ રાજકીય ભક્તિથી બેરોજગારી / મોંઘવારી / અનૈતિકતા / ભ્રષ્ટાચાર / ગુંડાઓનો ત્રાસ / વ્યાજખોરોનો આતં ક/ મહિલાઓની અસુરક્ષા / બાળકોનું અંધકારમય ભવિષ્ય આપણે જોઈ શકીએ છીએ ! જેનો આપણે સૌ સાક્ષાત્કાર કરી રહ્યા છીએ !

ઉકેલ શું? 

[1] સ્વજાગૃતિ. આપણે વિચારવું જોઈએ કે આપણું ધાર્મિક નેતૃત્વ / સામાજિક નેતૃત્વ / રાજકીય નેતૃત્વ કેવું છે? શું ધર્મગુરુઓ અન્યાય સામે અવાજ ઊઠાવે છે? શું સમાજના નેતાઓ અન્યાય સામે અવાજ ઊઠાવે છે? જો તેઓ ચૂપ રહેતા હોય તો ચેતો; તે નથી ધર્મગુરુ કે નથી સમાજના નેતા ! કોઈ પણ નેતા પ્રથમ પોતાના સમાજનો ઉપયોગ કરે છે, પોતાના કાળા નાણાંનો ઉપયોગ કરે છે. સામાજિક નેતૃત્વ તરફ દૃષ્ટિ કરો, કોણ નેતૃત્વ કરે છે? જેની પાસે પૈસા છે. 25/50 લાખ આપે તેને ટ્રસ્ટી બનાવવામાં આવે છે. પછી તે રાજકીય નેતૃત્વમાં ઝંપલાવે છે. 

[2] રાજકીય નેતૃત્વ તરફ નજર કરો, હત્યારા / બળાત્કારી / કૌભાંડીઓ / તડિપાર નેતૃત્વ કરે છે. શું તેઓ આપણાં બાળકો માટે આદર્શ બની શકે? શું તેઓ સમાનતા / ન્યાય / બંધુત્વના આદર્શોમાં માને છે? શું તેઓ અન્યાય વેળાએ પીડિતોની બાજુ ઊભા રહે છે? 

[3] દંભી સામાજિક / ધાર્મિક / રાજકીય નેતૃત્વને ઓળખવું પડશે ! તે માટે સામૂહિક અવાજ ઊઠાવવો પડે. શું આપણે અમેરિકન મોડલ ન અપનાવી શકીએ? ત્યાં ગમે તેટલો મહાન નેતા પણ બે ટર્મથી વધુ એટલે કે 8 વરસથી વધુ હોદ્દા પર રહી શકતો નથી ! આપણે પણ કોઈ પણ રાજકીય નેતા / MLA / MP / મિનિસ્ટર / વડા પ્રધાન બે ટર્મથી વધુ એટલે કે 8 વરસથી વધુ ન રહી શકે, એવી જોગવાઈ કરવાની જરૂર છે ! જો આવી જોગવાઈ થાય તો લોકશાહી બચે, લોકોના અધિકારો બચે, અને કોઈને અવતારી થવાનો દંભ પણ ન કરવો પડે ! વળી પાંચ વરસને બદલે ચાર વરસની ટર્મ કરો. દર ટર્મમાં અલગ પક્ષની સરકાર બને તેની કાળજી લો. એકની એક સરકાર / ડબલ એન્જિનની સરકાર બિલકુલ વાહિયાત ખ્યાલ છે. તે લોક કલ્યાણનો ખ્યાલ નથી, સ્થાપિતહિતોનું કાવતરું છે. 

[4] તાત્કાલિક ઉપાય શું? ગાંધીજીએ કહ્યું હતું ક્વિટ ઇન્ડિયા ! ભારત છોડો ! મારો આગ્રહ છે કે ભક્તિ છોડો ! ધર્મભક્તિ ન છૂટે તો વાંધો નહીં, ધર્મભક્તિને ઘરમાં રાખો, તેને સામાજિકદંભમાં ન ફેરવો. ધર્મભક્તિ અને ધર્મગુરુભક્તિ વચ્ચેનો તફાવત સમજો. સામાજિક નેતા / રાજકીય નેતા / ધાર્મિક ગુરુની ભક્તિ છોડો ! તેઓ આપણી સમસ્યાઓ માટે જવાબદાર છે ! તેઓ આપણા પ્રશ્નો પરત્વે ધ્યાન આપવાને બદલે સ્થાપિત હિતોના ચોકીદાર બની ગયા છે. તેઓ આપણી સમસ્યાઓના ઉકેલ માટે નહીં, પરંતુ સમસ્યાઓને ઢાંકવા માટે સતત આપણને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જેઓ તમારી સમસ્યાઓ સાથે નથી તેઓ સામાજિક / રાજકીય નેતા ન હોઈ શકે, તેઓ ધર્મગુરુ પણ ન હોઈ શકે. તેઓ આપણા વાસ્તવિક દુ:શ્મનો છે, તેમને ઓળખો. આ કામ આ ક્ષણથી આપણે કરી શકીએ છીએ. ઊઠો, જાગો અને સ્વહિતની રક્ષા કરો. જાગૃત સ્વહિત થકી જ સમાજહિત / દેશહિતની રક્ષા થઈ શકે. 

[સુરત, 8 ડિસેમ્બર 2024]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માણસ આજે (૨૦) 

સુમન શાહ|Opinion - Opinion|9 December 2024

સુમન શાહ

આપણે મારી, તમારી કે તેની જે ઓળખ હોય તેની સમુચિત વ્યાખ્યા નથી કરી શકતા. હું કહું કે હું શાહ છું તો તરત બ્રાહ્મણ પટેલ વગેરેથી કપાઇ જઉં છું. હું કહું કે હું ગુજરાતી છું તો પંજાબી મરાઠી કે બંગાળીથી, અને કહું કે હિન્દુ છું તો મુસ્લિમ ખ્રિસ્તી વગેરેથી, અને ભારતીય કહું તો ચિની ફ્રૅન્ચ કે અંગ્રેજ વ્યક્તિથી કપાઇ જઉં છું. કપાઇ જઉં છું, ઉપરાન્ત, એ અન્યો સૌ મને અમુક નજરે જોવા માંડે છે. 

આમ, ઓળખ જ ભેદ ઊભા કરે છે, ઓળખ ભેદકારી છે.  

+ +

જોઈ શકાય છે કે હરારી, દેવો ચલણીનાણાં કૉર્પોરેશનો જેવી આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાઓ તેમ જ વાર્તાઓ કાવ્યો કપોલકલ્પનાઓ અને મિથ્સ – સત્યાસત્ય અને કલ્પનાતથ્ય આધારિત વાસ્તવિકતાઓ – જેવી પ્રેરક ઉત્તેજક રસિક વાસ્તવિકતાઓના નહીં, પરન્તુ સત્ય ખાતર નકરી વાસ્તવિકતાના પક્ષધર છે. લિખિત દસ્તાવેજને તેઓ ઇન્ફર્મેશન ટૅક્નોલૉજિનો દરજ્જો આપે છે ત્યારે પણ, તે non-organic છે, માટે! 

કેટલીક સંસ્કૃતિઓ organic હતી, કેમ કે તેમાં મુખોમુખ પરમ્પરાઓ હતી, તેથી તેમાં આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાઓ વાર્તાઓથી અને લોકોનાં મુખે થતાં તેનાં પુનરાવર્તનોથી સરજાતી હતી, ઉપરાન્ત, ચિત્તમાં સંઘરાતી હતી. પણ, માણસ કેટલું યાદ રાખી શકે? એટલે, લિખિત દસ્તાવેજીકરણ સંભવ્યું. 

લિખિત દસ્તાવેજીકરણથી સમ્પત્તિની યાદીઓ, વિવિધ કર-માળખાં, ચૂકવણાં વગેરેની લિખિત નૉંધણીઓ થાય છે અને તેને પરિણામે વહીવટી તન્ત્રો, સામ્રાજ્યો અને ધાર્મિક સંગઠનોની રચનાઓ બહુ આરામથી કરી શકાય છે. એ રીતે, લિખિત દસ્તાવેજોએ આન્તરઆત્મલક્ષી વાસ્તવિકતાઓના સર્જનની પદ્ધતિ જ બદલી નાખી! પ્રાચીન કાળમાં માટીની પાટી પર, એ પછી કાગળ પર, પરન્તુ સામ્પ્રતમાં લિખિત દસ્તાવેજો સિલિકોન-ચિપ પર, કમ્પ્યુટરની ફાઇલ રૂપે, જોવા મળે છે, એ પરિવર્તન મોટું છે. 

પરન્તુ, લિખિત દસ્તાવેજ – દાખલા તરીકે, વ્યવસાયનું કરારનામું, ટૅક્સ રૅકર્ડ્સ, ટૅક્સ ભર્યાની રસીદ – મળે જ નહીં, ખોવાઇ જાય, ચોરાઇ જાય, નાશ પામે, તો? આપણી સરકારી ઑફિસોમાં ફાઇલો પર ફાઇલોનો ગંજ ખડકાયો હોય છે, જોતાં ચક્કર આવી જાય, જરૂરી કાગળિયું તો મળે ત્યારે મળે! તો, યાદ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવનારું એ જ દસ્તાવેજીકરણ સંકુલ અને અતિ કઠિન કૉયડો ઊભો કરે છે – પુન:પ્રાપ્તિનો – retrivalનો કૉયડો. સુવિદિત છે કે આ શબ્દ કમ્પ્યુટર સિસ્ટમમાં કોઈ સંચિત મૅટર ન મળતું હોય ત્યારે પ્રયોજાતો હોય છે; હરારીએ સહેતુક વાપર્યો છે. 

હરારી કહે છે કે માનવસ્મૃતિના ઊંડા અધ્યયન પછી પણ ન્યુરોસાયન્ટિસ્ટ્સ જાણી શક્યા નથી કે સ્મૃતિ શું છે અને તેમાં સંચિત થયેલી સામગ્રીને પુન: પ્રાપ્ત શી રીતે કરી શકાય છે. ઉમેરે છે કે લિખિત દસ્તાવેજો, દાખલા તરીકે, ટૅક્સ રીપોર્ટ્સ, કશા જીવતાજાગતા જીવ – organism – નથી કે શરીરના નિયમોને તાબે થઈ અભરાઇ પર જાતે ચડી બરાબર ગોઠવાઈ જાય. એટલે, સૌ પહેલાં તો, કોઈકે અભરાઇ પ્રમાણે નક્કી કરવું પડે કે કઈ માહિતી કઈ અભરાઇ પર મુકાય તો યોગ્ય કહેવાશે. પૂર્વવત્ વ્યવસ્થાને પાછી મેળવવા, પુન:પ્રાપ્ત કરવા નૉંધણીકામદારોએ (archivists) વિશ્વમાં નવી વ્યવસ્થા ઊભી કરવી પડે. એ થઈ, અને એ વ્યવસ્થાનું નામ છે, beurocracy, અમલદારશાહી અથવા કહો કે અધિકારશાહી.   

બ્યુરોક્રસી —

હરારી દર્શાવે છે કે મોટાં આયોજનોએ અધિકારશાહી વડે પુન:પ્રાપ્તિનો પ્રશ્ન તો ઉકેલી લીધો, પણ એમ કરીને વિશાળકાય અને અધિક સામર્થ્યવાન માહિતી-શૃણ્ખલાઓ સરજી, એટલું જ નહીં, મિથ્સની જેમ જ, વ્યવસ્થા માટે સત્યનો ભોગ લીધો; લોકોની વિશ્વ વિશેની સમજને આગવી પદ્ધતિએ વિકૃત કરી નાખી. ૨૧-મી સદીની અનેક માહિતી-શૃણ્ખલાઓએ પ્રૉબ્લેમ્સ ખડા કર્યા છે, જેમ કે, વ્યક્તિઓને ખોટાં લેબલ્સ લગાવી આપતાં biased ઑલ્ગોરીધમ્સ, માણસની લાગણીઓ અને જરૂરતોની અવગણના કરતાં જડસુ protocalls, એનાં વિશિષ્ટ ઉદાહરણ છે. 

મને બરાબર યાદ છે, મારા દાદા અને પિતાજી નામુંઠામું લખવા માટે ગાદીતકિયે પલાંઠીભેર બેસતા, સામે ઢાળવાળું નાનું મેજ હોય, એ પર ચૉપડો મૂકીને લખતા, એ મેજમાં દરો – drawer – પણ હોય. અમારા ગાયકવાડી રાજની કૉર્ટમાં કે મામલતદારની કચેરીમાં કારકુનો એવા મેજ પર જ કામકાજ કરતા. હરારી કહે છે કે ‘બ્યુરોક્રસી’ શબ્દ ૧૮-મી સદીના ફ્રાન્સમાં પ્રયોજાવા લાગેલો અને એનો અર્થ હતો, rule by writing desk. એ ડેસ્કને દરો હોય, અધિકારીઓ દરાવાળી ડેસ્ક આગળ બેસીને લખતા તેથી એને beuro કહેતા. 

હરારી લખે છે કે અધિકારશાહીનો પ્રાણ drawer છે. વિશ્વને દરાઓમાં વહૅંચી નાખો એટલે માહિતીની પુન:પ્રાપ્તિનો પ્રશ્ન જ ખતમ. ભારે ઉપહાસ કરતાં હરારી લખે છે : માહિતીને દરામાં મૂકો, અભરાઈએ ગોઠવો, બાસ્કેટમાં બાટલીમાં કે કમ્પ્યુટરફોલ્ડરમાં, બધું થઈ જશે, સરળ, divide and rule! વિશ્વને ભાજનોમાં, cotainers-માં વ્હૅંચી નાખો અને ભાજનોને સાચવી રાખો, બસ! અહીં પણ હરારીએ કમ્પ્યુટિન્ગ માટે વપરાતો container શબ્દ સહેતુક પ્રયોજ્યો છે. આપણે જાણીએ છીએ કે ઑપરેટિન્ગ સિસ્ટમમાં એક ‘વાતાવરણ’ ઊભું કરવામાં આવે છે, જેથી એમાં એક કે વધુ ઍપ્પ્લીકેશન્સ ચાલુ થઇ શકે. કહેવાય છે કે more containers can run on a server than traditional virtual machines. 

વાસ્તવિકતાના ગૂંચવાડાથી બચવા, ધારો કે, આ અધિકારશાહી આયોજનો નિશ્ચિત ડ્રૉઅર્સની સંખ્યા ઘટાડી નાખે છે, ત્યારે પણ સત્યનો તો ભોગ જ લેવાય છે, કેમ કે વાસ્તવિકતા એમની ધારણા કરતાં વધારે સંકુલ પુરવાર થાય છે. ડ્રૉઅર્સ, ડિવિઝન્સ, હાયરાર્કી કે ડિપાર્ટમૅન્ટ્સનો વાસ્તવિકતા સાથે મેળ નથી પડતો, તેથી અન્તે તો એટલું જ સૂચવાય છે કે આપણે સર્વગ્રાહી અને સર્વસમાવેશક અભિગમને, holistic approch-ને, સાવ ચૂકી ગયા છીએ. 

અધિકારશાહી આયોજનો સત્યનો ભોગ લે છે, વિશ્વનું વિકૃત ચિત્ર ઊભું કરે છે, તેમછતાં, હરારી જણાવે છે કે એની એક ઉપકારકતા છે. મોટા પાયે ઊભાં થયેલાં આયોજનોને મૅનેજ કરવાનું એના વિના શક્ય જ નથી. કોઈ વ્યક્તિ વિશ્વ માટે હોલિસ્ટિક ઍપ્રોચનો માર્યો તમામ બ્યુરોક્રસીસને ભૂંસી નાખાવા માગે, પણ, દાખલા તરીકે, હૉસ્પિટલોનું શું? કેમ કે, હૉસ્પિટલો પણ અધિકારશાહી સંસ્થાઓ છે, ત્યાં પણ ભિન્ન ભિન્ન વિભાગો, ઉચ્ચાવચ શ્રેણીઓ, જાતભાતનાં ફૉર્મ્સ અને એ ફૉર્મ્સ ભરવાની થકવી નાખનારી ઝંઝટ, વગરે ઘણું હોય છે. હરારી રમૂજમાં કહે છે કે they suffer from many beurocratic illnesses, તો પણ, આપણી biological illnesses મટાડે છે. શાળાઓથી માંડીને ગટર-વ્યવસ્થાતન્ત્ર જેવાં મનુષ્યજીવનને જીવવાયોગ્ય બનાવનારાં તમામ સેવાક્ષેત્રો માટે અધિકારશાહી આયોજનો ઉપકારક નથી એમ નહીં કહી શકાય.  

હરારી પૂછે છે : આપણે ટૉયલેટ ફ્લશ કરીએ છીએ પછી મળ ક્યાં જાય છે -? કુટિલ રાજકારણ માટે પ્રયોજાતો શબ્દ વાપરીને કહે છે, deep state-માં ! પાઇપ્સ પમ્પ્સ આપણાં મકાનો નીચેથી પસાર થતી અને પીવાના પાણીની લાઇનોથી બચીને જતી ટનલ્સ વગરે સંકુલ પ્રક્રિયામાં થઈને સૌનો મળ પસાર થાય છે, ને છેવટે એનો યથાશક્ય નિકાલ થાય છે. આ સમગ્ર તન્ત્ર એક મોટું બ્યુરોક્રેટિક વર્ક છે, એને દૂર કરવામાં આવે તો આપણે અસુખ અનુભવીએ, મૉતને ભેટવાનો વારો પણ આવે! ગટરનું પાણી અને પીવાનું પાણી ભેગાં થઈ જવાનો ભય હમેશાં હોય છે, પણ સદ્ભાગ્યે બ્યુક્રેટ્સ એ બન્નેને જુદાં રાખે છે. બાકી, ૧૮૫૪માં સૅંકડો લન્ડનવાસીઓ કૉલેરાને કારણે મરણશરણ થયેલા તેનું મુખ્ય કારણ અસ્વચ્છ પાણી હતું. પરન્તુ તે પછી આ સિસ્ટમમાં ઘણા સુધારા થયા છે, લોકોના જાન બચ્યા છે, અનેક દેશોએ ઉત્તમ સેવાતન્ત્રો ઊભાં કર્યાં છે.

આ વાતના અનુસન્ધાનમાં, હરારી આપણા પ્રધાન મન્ત્રી નરેન્દ્ર મોદીની ‘ક્લીન ઇન્ડિયા મિશન’ ઝુંબેશનો ઉલ્લેખ કરીને લખે છે : “In 2014, Prime minister Narendra Modi of India identified the lack of toilets as one of India’s biggest problems. Open defecation is a major cause for spreading diseases like cholera, decently, and diarrhoea, as well as exposing women and girls to sexual assaults. As part of his flagship Clean India Mission, Modi promised to provide all Indian citizens with access to toilets, and between 2014 and 2020 the Indian state invested around ten billion dollars in the project, building more than 100 million new latrines” : હરારી કટાક્ષ કરવાનું ચૂકતા નથી કે ગટરવ્યવસ્થા મહાકાવ્યોનો વિષય નથી, પણ સક્રિયતાને વરેલા કાર્યદક્ષ દેશની કસોટી છે.           

+ +

ઓળખ ભેદકારી છે એમ મેં પ્રારમ્ભે લખ્યું ત્યારે મને ખબર ન્હૉતી કે એની પાછળ પણ કશીક એવી જ યોજના હતી જેને divide and rule કહી શકાય. વર્ણાશ્રમ તે કાળે ઉચિત હશે, પણ બ્રાહ્મણ વગરે ચારે ચાર વર્ણ વચ્ચે ઉચ્ચાવચતા અને તદનુસારી ભેદ જ ઉત્તરોત્તર દૃઢ થયા, એટલે લગી કે આપણે માણસ જેવા માણસને અસ્પૃશ્ય ગણવા લાગ્યા. હું મને શાહ કહું પણ તરત પૂછવામાં આવે કે કેવા, અને હું કહું કે વાણિયા, તો પણ, કેવા. હું કહું કે દશાલાડ, વિસાલાડ, વગેરે વગેરે પેટાભેદો … બ્રાહ્મણ અને બાકી ત્રણેય વર્ણમાં પણ પેટાભેદો ક્યાં નથી? મુસ્લિમોમાં અને ખ્રિસ્તીઓમાં પણ ક્યાં નથી? 

બીજું એ બને છે કે ઓળખના બહાના હેઠળ માણસ માણસને માપે છે, અને એ માટે અમુક ‘નજરે’ જુએ છે – જેને સાર્ત્ર gaze કહે છે, એની વાત હવે પછી.  

 = = =

(ક્રમશ:)
(09Dec24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...543544545546...550560570...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved