Opinion Magazine
Number of visits: 9844398
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘હિન્દુ ખતરામાં નથી, એમની પાર્ટી ખતરામાં છે !’

રમેશ સવાણી|Opinion - Opinion|17 November 2024

—1—

પ્રસિદ્ધ આદિવાસી એક્ટિવિસ્ટ હિમાંશુ કુમાર રાજઘાટ-દિલ્હીથી લઈ મુંબઈની તલોજા જેલ સુધીની સાયકલ યાત્રા કરી રહ્યા છે, તે દરમિયાન તેઓ 15 નવેમ્બર 2024ના રોજ ગુજરાતમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે યૂટ્યૂબર જ્યોત્સ્ના આહિરે તેમનો ઇન્ટરવ્યૂ લીધો હતો. આ વિચારપ્રેરક ઈન્ટરવ્યૂ દરેક આદિવાસી / દલિત / OBC / જાગૃત નાગરિકોએ સાંભળવાની / સમજવાની જરૂર છે. આ ઇન્ટરવ્યૂના મુખ્ય અંશો જોઈએ :

જ્યોત્સના : “હિમાંશુજી, આ સાયકલ યાત્રાનો હેતુ શું છે?”

હિમાંશુકુમાર : “હું સામાજિક / માનવ અધિકાર કાર્યકર્તા છું. મેં મારું જીવન આદિવાસીઓની સેવામાં ગાળ્યું છે. સામાજિક ન્યાયના મુદ્દા પર / જાતિવાદના વિરોધમાં / રાજકીય કારણોસર જેમને જેલમાં પૂરેલ છે તેમના માટે કામ કરું છું. આ બધાં મુદ્દાઓ લઈને 2 ઓક્ટોબર 2024ના રોજ ગાંધીજીની સમાધિ રાજઘાટ-દિલ્હીથી સાયકલ યાત્રા શરૂ કરી છે અને નવી મુંબઈમાં તલોજા જેલ છે, જ્યાં સામાજિક / રાજકીય / સાંસ્કૃતિક કાર્યકર્તાઓને ખોટા કેસોમાં જેલમાં પૂરેલ છે, ભીમા કોરેગાંવ કેસમાં ફસાવ્યા છે, તેમાં દલિત એક્ટિવિસ્ટ છે, માનવ અધિકાર વકીલ છે, પત્રકાર છે, સામાજિક કાર્યકર્તા છે. ત્યાં આ યાત્રા જશે.”

જ્યોત્સના : “હમણાં જ સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર ફટકાર લગાવી છે. શું સૌથી પહેલાં બુલડોઝર એક્શન આપની પર લેવાયેલ?”

હિમાંશુકુમાર : “2005માં છત્તીસગઢમાં BJP સરકાર હતી. તે સમયે 650 આદિવાસી ગામોમાં સરકારે આગ લગાડી હતી. આદિવાસીઓના ઘરોને સળગાવ્યા. આદિવાસીઓની હત્યાઓ કરવામાં આવી. આદિવાસી મહિલાઓ પર સુરક્ષા દળો દ્વારા બળાત્કાર થયાં. તે અભિયાનનું નામ સલવા જુડૂમ હતું. અમે અદાલતો / મીડિયા સમક્ષ અવાજ ઊઠાવ્યો. અમારી સાથીદાર નંદિની સુંદર સુપ્રીમ કોર્ટ ગઈ. સુપ્રીમ કોર્ટે 2007માં આદેશ કર્યો કે જે પોલીસ / સુરક્ષા દળોએ આવા કૃત્ય કર્યા છે તેની સામે FIR કરો. દરેક ગામ ફરી વસાવો. દરેકને વળતર આપો. પણ સરકારે કંઈ ન કર્યું. 2011માં સુપ્રીમ કોર્ટે સલવા જુડૂમને ગેરબંધારણીય ઘોષિત કર્યું. આ વિરોધના કારણે 2009માં BJP સરકારે અમારા 18 વરસ જૂના, 16 એકરના ગાંધીવાદી આશ્રમ પર બુલડોઝર ફેરવી દીધું ! અમારી ડિસ્પેન્સરી / લાઈબ્રેરી / ટ્રેનિંગ સેન્ટર / રહેણાંક / ઓફિસ બધું જ તોડી નાખ્યું.”

જ્યોત્સના : “હાલ બટેંગે તો કટેંગેનો નેરેટિવ ચાલી રહ્યો છે. શું આપને લાગે છે કે હિન્દુ ખતરામાં છે?”

હિમાંશુકુમાર : “BJP, RSSનું બાળક છે. RSSનો હેતુ એ છે કે ભારતમાં જે પરંપરાગત શાસક વર્ગ રહ્યો છે, જે પરિશ્રમથી દૂર રહેલ છે, જેમણે પોતાની ઊંચી જાતિ ઘોષિત કરેલ છે, જે બીજાની મહેનત પર અમીર બનતા રહ્યા, જેમની પાસે રાજકીય સત્તા પણ રહી, તેમનું બનેલું સંગઠન છે, જે હંમેશાં પોતાનું વર્ચસ્વ બનાવી રાખવા માંગે છે. RSS/BJP ક્યારે ય ન ઈચ્છે કે સમાજમાં સમાનતા આવે, આર્થિક ન્યાય આવે, સામાજિક અને રાજકીય ન્યાય આવે. એટલે તે હંમેશાં સમાજને એ રીતે તોડે છે, જેથી સમાજ અંદરોઅંદર લડતો રહે, અને ક્યારેક સમાનતા / ન્યાય તરફ સમાજનું ધ્યાન ન જાય. એટલે હંમેશાં હિન્દુઓને મુસ્લિમો સામે, જાતિઓને જાતિઓ સામે, મહિલાઓ સામે પુરુષોને ઊભા કરે છે. BJPના IT Cellના સવારમાં જ મેસેજ આવી જાય છે કે સમાનતાની વાત કરનારી મહિલાઓ ખરાબ છે. તે પુરુષોને મહિલાઓ સામે ઊભા કરે છે. Ambedkariteને / સામાજિક ન્યાયની વાત કરનારાને ગંદી ગાળો આપે છે, જે જાતિવાદ સામે કામ કરે છે તે હિન્દુધર્મના વિરોધી છે. હિંદુઓને મુસ્લિમોથી ડરાવે છે. મુસ્લિમો વસ્તી વધારી રહ્યા છે તેવો જૂઠો નેરેટિવ ચલાવે છે. RSS નફરતની રાજનીતિ કરે છે. એ ઈચ્છે છે કે યુવાનો દંગાઈ બની જાય. નફરતમાં ડૂબી જાય. જેથી તે ક્રિટિકલ થિંકિંગ ન કરી શકે. સરકારને સવાલ ન કરે. આ રીતે સરકાર પૂંજીવાદ / સાંપ્રદાયિકતા / ફાસીવાદ માટે કામ કરે છે. હિંદુ ખતરાઓ નથી, એમની પાર્ટી ખતરામાં છે ! RSS/BJP જેને હિન્દુ કહે છે, તેમની પર એટેક કરે છે. કોરોના-લોકડાઉન સમયે મોટા પૂંજીપતિઓનાં દબાણના કારણે વડા પ્રધાને ટ્રેનો કેન્સલ કરાવેલ, જેથી મજદૂર જતાં ન રહે. જેથી મજૂરોને હજાર-હજાર કિલોમીટર ચાલતા જવું પડેલ. કેટલાંયનો જીવ ગયો. શું એ મજદૂર હિન્દુ ન હતા? કોર્પોરેટ કંપનીઓના હિતમાં, કિસાનો વિરુદ્ધના ત્રણ કાનૂન લાવ્યા, એક વરસ સુધી આંદોલન ચાલ્યું, 700 કિસાનોના જીવ ગયા, શું તે હિન્દુ ન હતા? રોડ પર ખીલા નાખ્યા જેથી કિસાન આગળ જઈ ન શકે, શું તેઓ હિન્દુ ન હતા? મજૂરોના અધિકારો ખતમ કરી નાખ્યા છે. પહેલાં 8 કલાકની શિફ્ટ હતી હવે 12 કલાકની શિફ્ટ કરી નાખી ! પણ પગાર ન વધ્યો. લઘુતમ વેતન ચૂકવાતું નથી. શું મજૂરો હિન્દુ નથી? મહિલાઓ પર બળાત્કાર થાય છે, તેમાં BJP નેતાઓ સંડોવાયેલા છે. પીડિતાને ઘસડવામાં આવે છે, તેમના પરિવારના સભ્યની હત્યા થાય છે. કુલદીપસિંહ સેંગર / ચિન્મયાનંદ / બ્રિજભૂષણ સિંહનો શિકાર બનેલ મહિલાઓ હિન્દુ ન હતી? મહિલા પહેલવાનોને રોડ પર ઢસડવામાં આવી, શું તે હિન્દુ ન હતી? એક તરફ હિન્દુઓને કચડી રહ્યા છે, તેમના અધિકારો છીનવી રહ્યા છે, ગરીબીમાં ધકેલી રહ્યા છે, તેમને લૂંટી રહ્યા છે અને બીજી તરફ કહે છે કે હિન્દુ ખતરામાં છે ! આ તો છળકપટવાળું સ્લોગન છે. ખોટાં કામો / બેરોજગારી / મોંઘવારી / ભ્રષ્ટાચારથી લોકોનું ધ્યાન ભટકાવવાની કોશિશ છે.”

—2—

‘તમારું કામ ધર્મની રક્ષા કરવાનું નથી, ખુદની રક્ષા કરવાનું છે !’

જ્યોત્સના : “ભારતનું ભવિષ્ય કેવું લાગે છે?”

હિમાંશુકુમાર : “જૂઓ, ભવિષ્ય ક્યારે ય ખરાબ ન હોય. ભવિષ્ય હંમેશાં સારું હોય છે. રોજ નવાં બાળકોનો જન્મ થાય છે. બાળકોને જિંદગી જોઈએ. બાળકોને ભોજન / કપડાં જોઈએ. પ્રેમ કરવા લાયક માહોલ જોઈએ. આ લોકો તો પ્રેમના દુ:શ્મન છે. શાંતિના દુ:શ્મન છે. હિન્દુ-મુસ્લિમ અથવા એક જાતિનાં છોકરાં-છોકરી બીજી જાતિનાં છોકરાં-છોકરીથી પ્રેમ કરે તો હત્યા કરાવી દે છે. નવી પેઢીને પ્રેમ કરવાનો માહોલ જોઈએ છે, શાંતિ જોઈએ છે. તે હંમેશાં એવી દુનિયા બનાવવાની કોશિશ કરશે. પરંતુ RSS/BJPના લોકો આવું ઈચ્છતા નથી. થોડા દિવસનો તેમનો ખેલ છે. નફરત લાંબો સમય ટકતી નથી. અલ્લાહબાદમાં યુવાનો BJP સરકારની લાઠીઓ ખાય છે, ડરતા નથી અને વિરોધ કરે છે. યુવાનો / નવી પેઢી નફરતને રિજેક્ટ કરશે. એટલે ભવિષ્ય સારું છે. મને લાગે છે કે આપણે સૌએ યુવાનોને સાચી દિશા બતાવતા રહેવું પડશે, ક્રિટિકલ થિંકિંગ માટે પ્રેરિત કરતા રહેવું પડશે. તેમની સાથે લગાતાર સંવાદ કરતા રહેવો પડશે. સ્કૂલ-કોલેજમાં જઈને તેમની સાથે વાત કરવી જોઈએ. સાંપ્રદાયિકતાનું ઝેર BJP IT Cell દ્વારા WhatsApp પર  લગાતાર ફેલાવવામાં આવી રહ્યું છે, એટલે યુવાનોને સાચી વાત કહેતી રહેવી પડશે. જેથી આ સાંપ્રદાયિકતા અને આર્થિક લૂંટનું ષડયંત્ર છે, તેને જલદી ખતમ કરી શકીએ.”

જ્યોત્સના : “નવી પેઢીને પણ ધર્મ / જાતિ / હિન્દુત્વના નશાના ઈન્જેક્શન અપાઈ રહ્યા છે. શું નફરત મૂળ સુધી પહોંચી ગઈ હોય એવું નથી લાગતું?”

હિમાંશુકુમાર : “બિલકુલ. અમારા પરિવારમાં બહેનો છે / કઝીન છે, તેઓ પણ જાતિવાદી / સાંપ્રદાયિક / નફરતવાળી વાતો કરે છે. મેસેજ ફોરવર્ડ કરે છે. હું જ્યારે તેમની સાથે સમાનતાની / નૈતિકતાની વાત કરું તો મને WhatsApp ગૃપમાંથી દૂર કરી દે છે. અમને કહેવામાં આવે છે કે તમે અર્બન નક્સલ છો, દેશ વિરોધી છો, હિન્દુધર્મ વિરોધી છો. આવો માહોલ તો છે જ. પણ આપણે તેનો સામનો કરવો પડશે. લડવું પડશે અને સુધારો કરવો પડશે.”

જ્યોત્સના : “શું હિન્દુરાષ્ટ્ર બનશે? જો બને તો મહિલાઓ / યુવાનો / દલિતો / આદિવાસીઓની શું ભૂમિકા રહેશે?”

હિમાંશુ કુમાર

હિમાંશુકુમાર : “હિન્દુરાષ્ટ્રની સંભાવના નથી. ભારતનું બંધારણ એની મંજૂરી આપતું નથી. એક તરફ કોઈ ખાલિસ્તાનની વાત કરે તો સરકાર તેને જેલમાં પૂરે છે. બીજી તરફ કોઈ હિન્દુરાષ્ટ્રની વાત કઈ રીતે કરી શકે? હિન્દુરાષ્ટ્રની વાત પણ ખાલિસ્તાની વાત જેટલી જ ગેરકાનૂની વાત છે. ભારતના બંધારણમાં ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર ઘોષિત કરેલ છે. પરંતુ BJPના મોટામોટા નેતાઓ મંચ પરથી હિન્દુરાષ્ટ્રની ઘોષણા કરે છે. તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી. તે ચિંતાજનક / આપત્તિજનક બાબત છે. દલિતો હિન્દુરાષ્ટ્રની વાત કરે છે. પરંતુ હિન્દુધર્મમાં જાતિ છે. કોઈ હિન્દુ એવો નથી કે તેની કોઈ જાતિ ન હોય. જાતિ કાં તો નીચી હશે કે કાં તો ઊંચી હોય ! કોઈ બે જાતિ સમાન / સરખી નથી. હિન્દુનો અર્થ એ થાય કે તેમાં ઊંચનીચ છે, ભેદભાવ છે. નફરત છે. દલિતો સાથે ભેદભાવ કરવામાં આવે છે, નફરત કરવામાં આવે છે. એટલે જો દલિતો પોતાના પ્રત્યે ભેદભાવ / નફરત ચાલુ રાખવા ઈચ્છતા હોય તો મને લાગે છે કે તેમને ખબર જ નથી કે તેઓ શું કરી રહ્યા છે ! દલિતોને આજે પણ ભાડે મકાન મળતું નથી. ઊંચી જાતિના લોકોની વચ્ચે આજે પણ મિલકત ખરીદી શકતા નથી. આદિવાસીઓની હાલત પણ આવી છે. સરદાર પટેલના સ્ટેચ્યુ માટે જમીન લેવામાં આવી, તે તડવી આદિવાસીઓની હતી. પહેલા તો તેમની વચ્ચે ધર્મ ઘૂસાડવામાં આવ્યો. પછી તેમને કહેવામાં આવ્યું કે ‘તમે આદિવાસી નથી, હિન્દુ છો ! હિન્દુ ધર્મ ખતરામાં છે ! ધર્મની રક્ષા માત્ર BJP કરી શકે છે !’ એટલે BJP સરકારે તેમની જમીન લઈ લીધી તો આદિવાસી વિરોધ કરી શક્યા નહીં ! આદિવાસીઓએ માન્યું કે આ તો આપણા ધર્મની રક્ષા કરનાર પાર્ટી છે ! અને જમીન જતી રહી ! આમ ધર્મનો ઉપયોગ આદિવાસીઓ સામે થયો. આદિવાસીઓનો ધર્મ તો ખૂબ સારો છે. એ સમાનતા આધારિત છે. તે પ્રકૃતિનું સન્માન કરે છે. જેને હિન્દુધર્મ કહેવામાં આવે છે તે વાસ્તવમાં બ્રાહ્મણધર્મ છે. તેમાં જાતિવાદ છે, ભેદભાવ છે, ઊંચનીચ છે. આદિવાસી સમાનતાનો ધર્મ છોડીને ઊંચનીચવાળા ધર્મમાં શા માટે જઈ રહ્યા છે? ત્યાં તો તેમને નીચ સમજવામાં આવે છે !”

જ્યોત્સના : “મહિલાઓને હિન્દુ કોડથી શું હક્કો મળ્યા તેની ખબર નથી, પણ તેમને વ્રતકથાઓની ખબર છે. કથાકારો / બાબાઓ સામે શ્રોતા તરીકે મહિલાઓ વધુ હોય છે. જો મહિલાઓને પોતાના ભવિષ્યની ચિંતા ન હોય તો આ કામ મુશ્કેલ નથી લાગતું?”

હિમાંશુકુમાર : “આપણે મહિલાઓને દોષ આપી શકીએ નહીં. તેમને સદીઓ સુધી શિક્ષણથી વંચિત રાખવામાં આવી. બીજું તે પિતૃસત્તાકની પકડમાં છે. પિતૃસત્તાક સાથે એડજસ્ટ કરીને પોતાનું અસ્તિત્વ બચાવે છે. પોતા માટે જગ્યા બનાવી શકે છે, એવું એને લાગે છે. એને લાગે છે તે પિતૃસત્તાક સામે લડી નહીં શકે, વિદ્રોહ નહીં કરી શકે. જે રીતે દલિતો ભેદભાવવાળા ધર્મને મહત્ત્વ આપે છે તેવી સ્થિતિ મહિલાઓની પણ છે.  પરંતુ જેમ જેમ એમની વચ્ચે વધુ કામ કરીશું, સાચી જાણકારી આપીશું તેમ તેમ પિતૃસત્તાકને સમજશે. પિતૃસત્તાક સામેના મહિલા આંદોલનને વેગ મળશે. અને મહિલાઓની હાલત બદલાશે.”

જ્યોત્સના : “ગુજરાતના આદિવાસી / દલિતોને શું સંદેશ આપવા ઈચ્છો છો?”

હિમાંશુકુમાર : “હું કહેવા ઈચ્છું છું કે આદિવાસીઓની જળ / જંગલ / જમીન ખતરામાં છે. એટલે તેમની પ્રથમ જવાબદારી છે કે જળ / જંગલ / જમીન બચાવે. દલિતોએ સામાનતા / ગૌરવ મળે તેવા સમાજ નિર્માણ માટે કામ કરવું પડશે. આદિવાસી / દલિત / OBCનું આરક્ષણ ખતમ થઈ રહ્યું છે. ‘Not found suitable’ કહીને ઊંચી જાતિને ગોઠવવામાં આવે છે. ખાનગીકરણ વધી રહ્યું છે, પ્રાઈવેટ સેક્ટરમાં આરક્ષણ હોતું નથી. ધીરે ધીરે આદિવાસી / દલિત / OBC આરક્ષણ ખતમ કરવામાં આવી રહ્યું છે. નોકરીઓ છીનવાઈ રહી છે. દલિત / આદિવાસી / OBCમાં ભયાનક બેરોજગારી ફેલાયેલી છે. એક તરફ તેમનું આરક્ષણ હિન્દુત્વવાદીઓ ખતમ કરી રહ્યા છે. બીજી બાજુ તેઓ કહે છે કે આપણો ધર્મ ખતરામાં છે અને તમે એના માટે લડો ! આ ષડયંત્રકારી સ્થિતિ છે. એટલે આદિવાસી / દલિત / OBCએ અનામત બચાવવાની છે, પોતાની સામાજિક / આર્થિક / રાજકીય સ્થિતિ સુધારવાની છે. તમારું કામ ધર્મની રક્ષા કરવાનું નથી, ખુદની રક્ષા કરવાનું છે !”

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વૈશ્વિક શૈક્ષણિક સંસ્થા ક્યારે સર્જી શકાય ?

રમેશ ઓઝા|Opinion - Opinion|17 November 2024

રમેશ ઓઝા

લગભગ સાડા પાંચ દાયકા પછી સર્વોચ્ચ અદાલતે તેનો ૧૯૬૭ની સાલનો ચુકાદો ઊલટાવીને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને લઘુમતી શિક્ષણ સંસ્થાનો દરજ્જો બહાલ કર્યો છે. સાત જજોની બેન્ચમાં ચાર જજોએ યુનિવર્સિટીનો લઘુમતી દરજ્જો બહાલ કરવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને ત્રણ જજોએ વિરુદ્ધમાં. અહી સર્વોચ્ચ અદાલતના ચુકાદાની યોગ્યતા-અયોગ્યતાની વાત નથી કરવી, પણ વિશેષ દરજ્જો અને શિક્ષણની ગુણવત્તા વચ્ચેના સંબંધની કરવી છે. ખાસ કોમ માટે ખાસ ઉદ્દેશથી સ્થાપવામાં આવેલી સંસ્થાઓના શૈક્ષણિક-સાંસ્કૃતિક યોગદાનની કરવી છે.

આપણે ઘણીબધી ચીજોનું માફક આવે એ રીતે સરળીકરણ કરી લઈએ છીએ અને પછી એ સરળીકરણને સત્ય માનીને શંકા કર્યા વિના માથે લઈને જીવીએ છીએ. આવું એક જાણીતું સરળીકરણ લોર્ડ મેકોલે વિષે છે. આપણે એમ સ્વીકારીને ચાલીએ છીએ કે થોમસ બેબિંગ્ટન મેકોલેએ ભારતીય પ્રજા પર પાશ્ચાત્ય શિક્ષણ માથે માર્યું હતું અને આપણે ગુલામ હતા એટલે તેનો નાછૂટકે સ્વીકાર કરવો પડ્યો હતો. ઘણાં દેશપ્રેમીઓ પોતાને મેકોલેનાં સંતાન તરીકે ઓળખાવીને શરમાય છે.

પણ આ સંપૂર્ણ સત્ય નથી. પહેલી વાત તો એ કે અંગ્રેજોએ લગભગ ત્રણ દાયકા સુધી ચર્ચા કરી હતી કે ભારતની પ્રજાને તેની પરંપરા અનુસાર તેમની ભાષામાં શિક્ષણ આપવું જોઈએ કે પછી અંગ્રેજી ભાષામાં પાશ્ચાત્ય શિક્ષણ આપવું જોઈએ. તેમની વચ્ચે ક્યારે ય એકમતી બની નહોતી. ભારતની જે તે પ્રજાને તેમની પરંપરા અનુસાર શિક્ષણ આપવું જોઈએ એમ માનનારા અંગ્રેજો પણ મોટી સંખ્યામાં હતા અને ઊંચા હોદ્દા પર હતા. આ બાજુ ભારતીય પ્રજામાં પણ શિક્ષણનાં સ્વરૂપ અને ભાષાકીય માધ્યમ વિષે ચર્ચા થતી હતી. તેમની ચિંતા એ વાતની હતી કે જો શુદ્ધ પાશ્ચાત્ય શિક્ષણ આપવામાં આવશે તો આપણી પરંપરાનો વારસો આગળ જશે નહીં અને તે સુકાઈ જશે. તેમની ચિંતા એ વાતની પણ હતી કે જો પાશ્ચાત્ય શિક્ષણને સમૂળગું નકારવામાં આવશે તો આપણે આધુનિક નહીં બની શકીએ, આધુનિકતાના લાભ નહીં લઈ શકીએ, આપણી પ્રજાને યુગાનુરૂપ તૈયાર નહીં કરી શકીએ અને જાગૃત નહીં થઈ શકીએ. ખોટનો સોદો સાબિત થશે.

શાસક તરીકે અંગ્રેજો અને પ્રજા તરીકે હિંદુઓ અને મુસલમાનો આ બાબતે મલ્લીનાથી કરતા હતા અને તેમાં શાસકોએ અંગ્રેજી માધ્યમમાં પાશ્ચાત્ય આધુનિક શિક્ષણની તરફેણમાં પોતાનો નિર્ણય લઈ લીધો હતો. હવે ભારતીય પ્રજાએ નક્કી કરવાનું હતું કે તેઓ શું કરે? જે લોકો પોતાનાં સંતાનને પરંપરાગત શિક્ષણ આપવા માગતા હતા તેમને માટે વિકલ્પ ખુલ્લો હતો. તેઓ બ્રાહ્મણ શાસ્ત્રી પાસે પાઠશાળામાં અને મૌલવી પાસે મદરસામાં પોતાનાં સંતાનને ભણાવી શકતા હતા. ઘણાં લોકોએ પાશ્ચાત્ય શિક્ષણને સમૂળગું નકાર્યું હતું અને પોતાનાં સંતાનને પાથશાળા કે મદરસામાં મોકલતા હતા. નકારનારાઓમાં મુસલમાનો અગ્રેસર હતા. હિંદુઓમાં નકારનું પ્રમાણ ઓછું હતું અને બહુજન સમાજ અને દલિતોને તો પાશ્ચાત્ય શિક્ષણમાં મુક્તિ નજરે પડવા લાગી હતી.

નિર્ણય આસાન નહોતો. આધુનિકતાના લાભ પણ છોડવા નહોતા અને પરંપરા પણ છોડવી નહોતી. ગાલીબે બહુ સરસ રીતે એ સમયના ધર્મસંકટને વાચા આપી છે : ईमाँ मुझे रोके है जो खींचे मुझे कुफ्र, काबा मेरे पीछे है कलीसा मेरे आगे. સમગ્ર ભારતમાં પરંપરાપ્રેમીઓ ગાલીબી ધર્મસંકટ અનુભવતા હતા.

આનો ઉપાય હતો; સમન્વય. આપણે એવું શિક્ષણ ન આપી શકીએ જેમાં આપણી પરંપરા પણ જળવાય અને આધુનિક પણ થઈ શકાય? એન્ગલો ઇન્ડિયન; અંગ્રેજી અને ભારતીય બને. પણ નહીં, હિંદુઓમાં જે વધારે પરંપરાપ્રેમી હતા એમણે કહ્યું ના, એન્ગલો ઇન્ડિયન નહીં, એન્ગલો હિંદુ અને પરંપરાપ્રેમી મુસલમાનોએ કહ્યું એન્ગલો ઇન્ડિયન નહીં, એન્ગલો મુસ્લિમ કે એન્ગલો મોમેડિયન. એન્ગલો સામે કોઈને ય વાંધો નહોતો, ઇન્ડિયન સામે વાંધો હતો. અંગ્રેજો બે પ્રજાને લડાવી મારે અને પરિણામે એક દિવસ ભારતનું વિભાજન થાય એમાં આશ્ચર્ય ખરું? હિંદુ અને મુસલમાનોના લગભગ નવસો વરસના સહઅસ્તિત્વએ પેદા કરેલી ભારતીયતાને તેઓ નકારતા હતા, પણ માંડ પાંચ દાયકા જૂની અંગ્રેજિયત(એન્ગલો)નો સ્વીકાર કરતા હતા.

ખેર, ૧૯મી સદીમાં અને એ પછીનાં વર્ષોમાં આધુનિકતા અને પરંપરા વચ્ચે સન્તુલન કરવા દેશભરમાં શૈક્ષણિક આંદોલન થયાં. કોઈએ એન્ગલો ઇન્ડિયનનો માર્ગ અપનાવ્યો, કોઈએ એન્ગલો હિંદુનો માર્ગ અપનાવ્યો અને કોઈએ એન્ગલો મોમેડિયનનો માર્ગ અપનાવ્યો. જે અભ્યાસી જીવ હોય તેમણે આ ત્રણ દિશાના પ્રયોગનું તુલનાત્મક અધ્યન કરવું જોઈએ. અનેક પ્રયોગ થયા અને અનેક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. અહીં એક વાત ફરી સ્પષ્ટ કરી દેવી જોઈએ કે અંગ્રેજોએ આ પ્રકારનાં પ્રયોગ કરવામાં કોઈ પ્રકારની બાધા પેદા કરી નહોતી. એવું નહોતું કહ્યું કે તમારે મેકોલેનાં સંતાન જ બનવું પડશે. અનેક લોકોએ અનેક પ્રયોગ કર્યા, અનેક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી, પરંતુ અહીં સંક્ષેપમાં બે-ચાર દાખલા તપાસીએ. રવીન્દ્રનાથ ટાગોરનું શાંતિનિકેતન એક રીતે એન્ગલો ઇન્ડિયનનો પ્રયોગ હતો. અલબત્ત મર્યાદિત અર્થમાં, કારણ કે તેમને તો એન્ગલો અને ઇન્ડિયન એમ બને સામે વાંધો હતો અને એક મૌલિક પ્રયોગ કર્યો હતો. પણ એ છતાં આપણે શાંતિનિકેતનને એન્ગલો ઇન્ડિયનના ઉદાહરણ તરીકે મૂકીએ. સર સૈયદ અહમદ ખાને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરી જેનું શરૂઆતનું નામ  એન્ગલો મોમેડિયન કોલેજ હતું. મહામના મદનમોહન માલવિયાએ બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના કરી. એની બેસન્ટે સેન્ટ્રલ હિંદુ કોલેજની સ્થાપના કરી. આર્યસમાજીઓ પોતાને હિંદુ કરતાં વૈદિક ધર્મ પાળનારા આર્ય કહેવડાવવાનું વધારે પસંદ કરે છે એટલે તેમણે દયાનંદ એન્ગલો વૈદિક શિક્ષણસંસ્થાઓ સ્થાપી. અને આવી તો બીજી અનેક સંસ્થાઓ સ્થપાઈ અને સ્થપાઈ રહી છે.

આઝાદી પછી તો રાફડો ફાટ્યો, કારણ કે સંસદીય લોકશાહીમાં તેમને નાગરિક કરતાં મતદાતાની વધારે જરૂર હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ૧૪ હજાર જેટલી શાળા-કોલેજો ધરાવે છે, મુસલમાનોની હજાર – બે હજાર સંસ્થાઓ હશે. હવે તો જે તે સંપ્રદાયના લોકો, ધર્મગુરુઓ, બાપુઓ અને બાવાઓ પોતપોતાની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવા લાગ્યા છે, જાણે કે તેમની પાસે કોઈ વિશેષ શૈક્ષણિક દર્શન હોય. કોઈને મતદાતા જોઈએ છે અને કોઈને અનુયાયી. ટૂંકમાં સર સૈયદ અહમદ ખાન(ઈ.સ. ૧૮૧૭-૧૮૯૮)થી લઈને આજકાલના સદ્દગુરુઓ કે ધર્મના ઠેકેદારો સુધી કોઈને ય એન્ગલો સામે વાંધો નથી, પણ તેમને ભારતીય સામે અચૂક વાંધો છે. તેઓ ભારતીયની જગ્યાએ પોતાની ઓળખ આગળ કરવા માગે છે અને આજકાલ ધર્મગુરુઓ તો પોતાની બ્રેન્ડ આગળ કરી રહ્યા છે.

ને હવે નિષ્કર્ષની વાત. હમણાં કહ્યું એમ કોઈ અભ્યાસી જીવે તુલનાત્મક અભ્યાસ કરવો જોઈએ. કયા શૈક્ષણિક માર્ગને વધારે સફળતા મળી? એન્ગલોને? એન્ગલો ઇન્ડિયનને કે પછી એન્ગલો ઉપરાંત પોતપોતાની બ્રેન્ડીંગ ધરાવતી શિક્ષણ સંસ્થાઓને? લગભગ એક લાખ કરતાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ ત્રીજા વર્ગમાં આવે છે એમાંથી એક શિક્ષણ સંસ્થાનું નામ આપો જે દેસભરમાં અને વિદેશમાં ખ્યાતિ ધરાવતી હોય. એક પણ નથી સાહેબ, એક પણ નથી. નાલંદા અને તક્ષશિલામાં વિદેશમાંથી વિદ્યાર્થી ભણવા આવતા હતા અને તમારું વિશેષ શિક્ષણ કોઈ ગણનામાં નથી. એક સમયે તેજસ્વી વિદ્યાર્થી શાંતિનિકેતન તરફ નજર દોડાવતો અને આજે સેન્ટ સ્ટીફન પર નજર દોડાવે છે. લાખ-બે લાખમાં એવી એક પણ શિક્ષણ સંસ્થા નથી જેની વાત થતી હોય!

આનું કારણ? કારણ બહુ સ્પષ્ટ છે. જેનું નિશાન ટૂંકું હોય એ મોટાં પરિણામ ન સર્જી શકે. જ્યાં  સ્વીકાર કરતાં નકાર મોટો હોય ત્યાં ગુરુદેવ, એન્ડ્રુઝ અને ગાંધીનાં ત્રિવેણી તીર્થ ન રચાય. એ શાંતિનિકેતનમાં રચાય.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 નવેમ્બર 2024

Loading

શીલા : અધઃપતન અને પુનરુત્થાનની ગાથા

સુરેશ જાની|Opinion - Opinion|17 November 2024

પ્રારંભ 

 પર્વતના ઉત્તુંગ શિખર ઉપર તે પોતાના ગર્વમાં મુસ્તાક મલકી રહી હતી. ભૂમિ પરનાં બધાં તત્ત્વો દૂર તળેટીમાં સાવ વામણા લાગતાં હતાં. સૌથી નજીકનાં લીલાં શંકુદ્રુમ વૃક્ષો પણ નાના છોડવા જેવા ઘણે દૂર, નીચે મગતરાં જેવાં લાગતાં હતાં. એ કાળમીંઢ ચટ્ટાન આખા જગતના છત્રપતિ જેવો ભાવ ધારણ કરી પોતાની એકલતાના સામ્રાજ્યમાં રમમાણ હતી. તેને કશાનો ડર ન હતો. કોઈ તેની પાસે ઢુંકી શકે તેમ ન હતું. એક મહાન ઈશ્વર જેવા તેના હોવાપણાના ગર્વમાં તે શીલા મહાલી રહી હતી. કોની મગદૂર છે તેના એક કણને પણ ચળાવી શકે? ઓતરાદા પવન હોય કે દખણાદા; હમ્મેશ ધવલ બરફના વાઘા તે હમ્મેશ ધારણ કરી રાખતી. કોઈ ઉષ્માની, સૂર્યના કોઈ કિરણની મગદૂર ન હતી, તેના આ વાઘાને લવલેશ ઊતારી શકે. ધવલગિરિનું આ સૌથી ઊંચું શિખર સંસારનું સર્વોચ્ચ બિન્દુ હતું તેવો તેને દર્પ હતો.

એક કાજળકાળી, ઘનઘોર રાતે નભોમંડળમાં કાળાંડિબાંગ વાદળો આ શિખરથી ઘણે ઊંચે ઘેરાયેલાં હતાં. શીલા તેની એકલતામાં એક નાનો શો ભય દિલમાં ધારણ કરીને બેઠી હતી. કાંઈક છુપો અણસાર તેના દર્પને પડકારી રહ્યો હતો. આ પોચાં ગાભાં જેવાં વાદળ  તેનાથી ઘણે ઉપર જાણે તેની હાંસી ઉડાવી રહ્યાં હોય તેવો તેને આભાસ થતો હતો. તે ઘણે ઊંચે હતાં અને તેનાથી ઘણાં મોટાં હતાં. પણ વાયરો તેમને હમણાં તાણી જશે તેની તેને ખાતરી હતી. હમ્મેશ આમ જ બનતું આવ્યું હતું. વાદળો વિખેરાઈ જતાં, અને શીલા પોતાની મગરૂરીમાં પાછી મહાલવા માંડતી. પણ આજની રાત વિલક્ષણ હતી. કાંઈક અણધાર્યું બનવાનું છે તેવા ભયનો ઓથાર તેના ચિત્તને કોરી રહ્યો હતો.

અધઃ પતન

અને એ વાદળાં ટકરાયાં. વિદ્યુતનો એક કડાકો થયો. પહેલાં પણ આમ ઘણી વાર બનતું હતું અને શીલા થરથરી ઉઠતી. એ વીજળીની ક્રોધભરી નજર અચૂક પેલાં વામણાં વૃક્ષો  ઉપર પડતી અને તે સળગી ઉઠતાં. બસ એવા સમયે શીલાને તેમના માટે ઘડી બે ઘડી કરુણા ઉપજતી. પણ આજે આ વીજળીબાઈના મગજમાં શું થયું કે, તેણે પોતાનો ગુસ્સો ઠાલવવા આ શીલાને લક્ષ્ય બનાવી. આજે એ કડાકો શીલાના મસ્તક ઉપર તાટક્યો. પણ એ કાંઈ થોડી જ પેલાં નિર્માલ્ય વૃક્ષો જેવી હતી? એક ક્ષણ એ થથરી અને પછી બધું હતું તેમનું તેમ.

બધાં તોફાન શાંત થઈ ગયાં. બીજા દિવસના સવારના ઉજાસમાં શીલાએ પોતાના દેહ પર નજર કરી. એક નાનીશી તરડ તેના ઉત્તુંગ શિખરની એક કિનારી ઉપર સર્જાઈ હતી. ક્ષણ બે ક્ષણ માટે પોતાની અજેયતા ઉપર શીલાને શંકા પેદા થઈ. પણ તેણે તે વિચાર ખંખેરી નાંખ્યો. પણ ગઈ રાતના તોફાની વરસાદે એ તરડમાં થોડું પાણી જમા કરી દીધું હતું.

‘ઠીક, હશે! આ ક્ષુદ્ર જીવડાં જેવું પાણી મારું શું બગાડી દેવાનું હતું?’ – શીલાએ વિચાર્યું.

હવે દિવસમાં પાછું ઠંડીનું મોજું આવ્યું અને બરફ વર્ષા શરૂ થઈ ગઈ. પાણીનાં એ થોડાં ટીપાં પણ બરફ બની ગયાં. શીલાને અકળામણ થઈ. આ ક્ષુદ્ર જંતુઓ તેને દબાવી રહ્યાં હતાં. છટ્. આવાની તો એસી તેસી. પણ તેણે જોયું કે પેલી તરડ તો થોડી લાંબી બની હતી. બીજો વરસાદ અને થોડું વધારે પાણી ‘માન ન માન પણ હું તારો મહેમાન’ કરીને આ તરડમાં ઘૂસી ગયું. ફરી બરફ અને ફરી એ અકળામણ.

તરડ તો મોટી ને મોટી થતી જતી હતી. અજેય, અવિચળ એ શીલાના દર્પભંગનો  પ્રારંભ થઈ ચૂક્યો હતો.

ફરી વાદળ ઘેરાયાં અને ફરી વીજળી તાટકી. આ વખતે તેની ટોચના બીજા પડખે બીજી તરાડ ઊભરી આવી. કાળક્રમે તે પણ વધતી ચાલી. ચાર પાંચ વરસ વીતી ગયાં અને ઉત્તુંગ શીલાને પહેલી વાર ઘડપણ આવ્યું હોય તેમ લાગવા માંડ્યું. તેના દેહ પર પાંચ છ તરાડો હવે ઘર કરી બેઠી હતી અને દિન પ્રતિદિન તે વધતી જતી હતી. તેના દર્પને સ્થાને હવે એક અજ્ઞાત ભય ઘર ઘાલી બેઠો હતો. કશુંક અમંગળ બનવાનું છે તેવી ધાસ્તિ તેને લાગી રહી હતી.

અને એવા જ એક અમંગળ દિવસે ધવલગિરિ ધણહણી ઉઠ્યો. આખી ધરતી કંપી રહી હતી. એ કંપનો એક ઉલાળો અને શીલા તહસ નહસ થઈને ધવલગિરિથી છૂટી પડી ગઈ. પર્વતના ઢોળાવ પર તે ગબડવા લાગી. કોઈ તેને બચાવી શકે તેમ ન હતું. પર્વતની કોર આગળ આવીને તે ઊભી. પેલાં ક્ષુદ્ર વૃક્ષોએ તેને ટેકો આપ્યો. તેની અધઃપતનની ગતિ રોકાણી. તે વૃક્ષોને ચગદી શીલા અટકી ગઈ હતી.

તેની ભયમાં બંધ થયેલી આંખો ખૂલી. અને એક પ્રચંડ ભય તેના સમગ્ર હોવાપણાને થરથરાવી ગયો. જેનું ઊંડાણ કળી ન શકાય તેવી ભયાનક ખીણની ઉપર, પર્વતની એક કોર ઉપર તેનો નવો મુકામ હવે થયો હતો. જે તળેટીઓની તે હાંસી ઉડાવતી આવી હતી, તે તળેટીઓ તેને નીચે આવવા આમંત્રણ આપી રહી હતી.

પોતાના વિતેલી ઉત્તુંગતાના મહાન દિવસો યાદ કરી, શીલા પોશ પોશ આંસુડાં સારી રહી હતી.

કંઈ કેટલાં ય વર્ષ  વીતી ગયાં – આમ પર્વતની કોરે લટકતા રહીને. શીલાને આધાર આપી પોતાના પ્રાણની આહૂતિ આપનાર વૃક્ષો તો ક્યારના ય નામશેશ થઈ ગયા હતા. પર્વતની જે કોરને શિખર પર બિરાજેલી શીલા તુચ્છકારથી મગતરા જેવી ગણતી હતી; તે જ કોર આજે તેના અસ્તિત્વનો આધાર બની રહી હતી. પણ તેની નીચેની ધરતી દર સાલ વરસાદને કારણે ધોવાતી રહી. જે આધાર પર શીલા ટેકવાઈને બેઠી હતી, તે આધાર પણ હવે નિર્બળ થવા માંડ્યો. કોક દુર્ભાગી પળે એ ધરતીના કણ સરકવા માંડ્યા. મોટું પોલાણ થઈ ગયું. શીલાના વજનને ટેકો આપી રહેલી માટી જ ન રહી. રહીસહી માટી સાગમટે ધસી પડી. શીલાએ પોતાનું સમતુલન ગુમાવ્યું. એક પ્રચંડ ધડાકા સાથે શીલા હજારો ફૂટ ઊંડી ખીણમાં ફંગોળાઈ ગઈ. હર ક્ષણે તેના પતનનો, વિનિપાતનો વેગ વધવા માંડ્યો. છેવટે જ્યારે તે ખીણના દુર્ગમ પાતાળ સાથે  અફળાઈ, ત્યારે તેના સહસ્ર ટુકડા થઈ ગયા. એક ટુકડો આમ પડ્યો તો બીજો તેમ.

તેનું શિખર પરના ભૂતકાળનું ગૌરવ નામશેષ થઈ ગયું.

એ સલ્તનત સંકેલાઈ ગઈ.

એ દર્પ સમયના વહેણમાં ક્યાં ય ઓગળી ગયો.

એ ઉન્મત્તતાનો કોઈ અવશેષ ન બચ્યો.

તેનો કોઈ ઇતિહાસ ન લખાયો.

હવે તો તેના વારસ જેવી ભેખડો પરથી પર્વતનાં ઝરણાંથી પુષ્ટ બનેલી જલધારાઓ પ્રચંડ પ્રપાત બનીને અફળાતી રહી. શીલાના ફરજંદ નાના મોટા પથ્થરો આ પ્રપાતમાં ઘસાતા રહ્યા, આમથી તેમ અફળાતા રહ્યા. જે કોઈ નાના ટુકડાઓ હતા તે, પાણીના પ્રવેગમાં ખેંચાઈ આગળ ધકેલાતા ગયા, હડસેલા ખાઈ ખાઈને તેમની તીવૃ ધારો ઘસાતી રહી. તેનાં મૂળ પ્રતાપના બધા અવશેષ નામશેશ થતા રહ્યા. લાખો વરસની આ સતત પ્રક્રિયાએ મોટાભાગના ટુકડાઓનું રૂપ જ જાણે બદલી નાંખ્યું. એ સૌ ધવલગિરિના શિખરે બેઠા હતા તે યાદો પણ ભુલાવા માંડી. પવનના સુસવાટા સિવાય જ્યાં કોઈ અવાજ શીલાને સંભળાતો ન હતો; ત્યાં સતત જલપ્રપાતનો ઘોર રવ દિન રાત તેના શ્રવણને બધીર બનાવતો રહ્યો. ક્રૂર વર્તમાનની થાપટો ખાતાં ખાતાં દુર્દશા જ તેમની દશા બનતી રહી.

‘સગાં દીઠાં મેં શાહઆલમનાં,

ભીખ માંગતાં શેરીએ..’

પુનરૂત્થાન

જ્યારે શીલાના આ સંતાનો નદીના પ્રવાહની સાથે તણાતા મેદાનો સુધી આવી પહોંચ્યા, ત્યારે તે સૌ માંહોમાંહે બાખડીને ચળકતી રેતીના સાવ નાનાં કણ જ બની ગયા હતા. હવે તેનો પ્રતાપ ઓસરી ગયો હતો, જે શીલાની ઉપર એક તરણું પણ ઊગવાની હેસિયત કરી શકતું ન હતું, તેની અંદર ભાતભાતની વનસ્પતિ ઊગવા લાગી. વિવિધ કિટકો તેમાં પોતાનો આવાસ બનાવી રહ્યા. તેમના રેશમ જેવા નાજુક પોતમાં પશુ પંખીઓ કિલ્લોલ કરવા માંડ્યાં. બાળકો રેતીના કિલ્લા બનાવી મોજ માણવા લાગ્યા. તેના ઢગલાઓમાં માટી કે ચુનો ભેળવી માણસો પોતાના નિવાસો બનાવવા લાગ્યા. જે શીલા ઉત્તુંગ શિખરે પોતાના એકલવાયા, એક્દંડિયા મહેલમાં મદમાં ચકચૂર બની મહાલતી હતી, તેના વારસોની વચ્ચે માનવજીવન ધબકવા લાગ્યું. સંસ્કૃતિના પાયાની ઈંટો શીલાના આ શત શત વિન્યાસ પર ચણાવા લાગી.

કોઈ સુભગ પળે, નદીના ઉપરવાસમાં રખડતા કોઈ માનવને હાથે હજુ મેદાન સુધી ન પહોંચેલો શીલાનો એક ટુકડો આવી ગયો. તેની હેરતભરી આંખો આ ચળકતા, લિસ્સા પથ્થરને જોઈ રહી. તેણે એ ટુકડાને ઊઠાવ્યો અને વસ્તીમાં પોતાના મિત્રોને બતાવવા લઈ ગયો. અણિશુદ્ધ અંડાકાર અને ચમકતા નખશીષ કાળા આ પથ્થર માટે સૌને અહોભાવ ઉપજ્યો. કદી કોઈએ આટલો મોટો અને અણિશુદ્ધ ગોળાકાર અને ચળકતા રંગનો પથ્થર જોયો ન હતો.

વસ્તીના મુખિયા જેવા વયોવૃદ્ધ વ્યક્તિએ કહ્યું, ‘અરે, આ તો ઉપરવાળાની મહેરબાની છે. આ તો સાક્ષાત પ્રભુ સ્વયંભૂ પ્રગટ્યા. ચલો આપણે તેમનું સન્માન અને અભિવાદન કરીએ.’

એ ગોળમટોળ પથ્થર દેવ બનીને ગામના મંદિરમાં બિરાજ્યો. મંગળ ગીત ગવાણાં અને આબાલ વૃદ્ધ સૌ અહોભાવથી ઈશ્વરના આ અવતારને નમી રહ્યા.

શીલાનો આ નવો અવતાર મનોમન વિચારી રહ્યો,

કયું ગૌરવ સત્ય?

પર્વતની ટોચ પરનું,

રેતીમાંનું

કે

આ સિંહાસને બિરાજેલા

કહેવાતા દેવનું?’

અને ઉપરવાળો શીલાની, આ ગોળ પથ્થરની, રેતીના કણોની અને માણસોની આ બાલિશતા પર મંદ મંદ સ્મિત કરી રહ્યો.

e.mail : surpad2017@gmail.com

Loading

...102030...538539540541...550560570...

Search by

Opinion

  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved