Opinion Magazine
Number of visits: 9663189
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બચ્ચે મન કે સચ્ચે

સોનલ પરીખ|Opinion - Opinion|7 December 2025

બચ્ચે મન કે સચ્ચે, સારે જગ કી આંખ કે તારે
યે વો નન્હેં ફૂલ હૈ જો ભગવાન કો લગતે પ્યારે …

ખુદ રુઠે ખુદ મન જાયે, ફિર હમજોલી બન જાયે
ઝગડા જિસ કે સાથ કરે, અગલે હી પલ ફિર બાત કરે
ઇનકે લિયે કોઈ ગૈર નહીં ઇનકો કિસી સે બૈર નહીં
ઇનકા ભોલાપન મિલતા હી સબ કો બાંહ પસારે … 

ઈન્સાન જબ તક બચ્ચા હૈ તબ તક સમજો સચ્ચા હૈ
જ્યોં જ્યોં ઉસકી ઉમર બઢે મન પર જૂઠ કા મૈલ ચઢે
ક્રોધ બઢે નફરત ઘેરે લાલચ કી આદત ઘેરે
બચપન ઇન પાપોં સે બચ કર અપની  ઉમર ગુઝારે …

તન કોમલ મન સુંદર હૈ, બચ્ચે બડોં સે બહેતર હૈ
ઇનમેં છૂત ઔર છાત નહીં, જૂઠી જાત ઔર પાત નહીં
ભાષા કી તકરાર નહીં નફરત કી દીવાર નહીં
ઇનકી નઝરોં મેં એક હૈ મંદિર મસ્જિદ ગુરુદ્વારે …    

એક જમાનામાં એ.વી.એમ. પ્રોડક્શનનો બહુ દબદબો હતો. વિશાળ એ.વી.એમ. પ્રોડક્શન સ્ટુડિયો ભારતનો એ પ્રકારનો પહેલો સ્ટુડિયો હતો. એ.વી. મય્યપ્પા ચેટ્ટીયારે 1945માં શરૂ કરેલ આ પ્રોડક્શન હાઉસે મલયાલમ, તમિલ, તેલુગુ, કન્નડ અને હિંદી ભાષામાં 300થી વધારે ફિલ્મો આપી છે. આપણે માણેલી હિંદી ફિલ્મો ‘ચોરી ચોરી’, ભાભી’, જિતેન્દ્રના પહેલા રોમેન્ટિક રોલવાળી ‘હમ પંછી એક ડાલ કે’, ‘છાયા’, ‘મુનિમજી’, સુનીલ દત્ત-નૂતનની પહેલી ફિલ્મ ‘મહેરબાન’, ‘જૈસે કો તૈસા’, ‘જીવન જ્યોતિ’ જેવી ફિલ્મો એ.વી.એમ. પ્રોડક્શનના નેજા હેઠળ બની હતી.

બાલદિન નિમિત્તે આજે વાત કરવાના છીએ આ જ પ્રોડક્શનની એક ફિલ્મ ‘દો કલિયાં’ અને એના અર્થપૂર્ણ અને સુંદર ગીત ‘બચ્ચે મન કે સચ્ચે’ની. આ ગીત લખ્યું હતું રોમેન્ટિક, ફિલોસૉફિકલ અને વિદ્રોહી ગીતોના શહેનશાહ સાહિર લુધિયાનવીએ અને સંગીતકાર હતા સાહિર સાથે 19 ફિલ્મો કરનાર રવિ. સાહિર લુધિયાનવીનાં લખેલાં અને રવિનાં સ્વરબદ્ધ કરેલાં કેટલાંક ગીતો યાદ કરીએ : ‘ચલો એક બાર ફિર સે અજનબી બન જાયેં હમ દોનોં’ (ગુમરાહ), ‘તુમ અગર સાથ દેને કા વાદા કરો’ (હમરાઝ), ‘યે વાદિયાં યે ફિઝાયેં’ (આજ ઔર કલ), ‘મિલતી હૈ ઝિંદગી મેં મુહબ્બત કભી કભી’ (આંખેં), ‘તોરા મન દર્પણ કહેલાએ’ (કાજલ), ‘ઝિંદગી ઇત્તેફાક હૈ’ (આદમી), ‘દૂર રહકાર ન કરો બાત’ (અમાનત), ‘દિલ મેં કિસીકે પ્યાર કા જલતા હુઆ દિયા’ (એક મહલ હો સપનોં કા), ‘આગે ભી જાને ન તૂ’ (વક્ત), ‘સંસાર કી હર શૈ કા’ (ધુન્દ) – મઝા આવી ગઈ ને? રવિ કહેતા, ‘ગીતની ધૂન એવી હોવી જોઈએ કે કોઈપણ એને ગાઈ-ગણગણી શકે. ‘દો કલિયાં’નાં ‘તુમ્હારી નઝર ક્યોં ખફા હો ગઈ’, ‘મુર્ગા-મુર્ગી પ્યાર સે ખેલે’, ‘બચ્ચે મન કે સચ્ચે’, ‘ચિતરંજન આગે નાચુંગી’  જેવાં ગીતો આ વાતની સાક્ષી પૂરે છે.

‘દો કલિયાં’ એટલે બિશ્વજિત-માલા સિંહાની 1964થી 1974 વચ્ચે આવેલી દસેક ફિલ્મોમાંની એક. 1968માં આ જોડીની બે ફિલ્મો આવી હતી – ‘દો કલિયાં’ અને ‘પ્યાર કા સપના’. બિશ્વજિત-માલા સિંહાની પરદા પર સુંદર કેમિસ્ટ્રી હતી – એક ફિલ્મવિવેચકે તો આ જોડીમાં ક્લાસિક રોમેન્ટિક ઓરા ઊભો કરી શકે એવી શક્યતા હોવાનું નોંધ્યું છે – આ જોડીનાં રમતિયાળપણું, પ્રસન્નતા અને સિન્સ્યારિટી આ બધાંને અવકાશ આપે એવી વાર્તા ‘દો કલિયાં’ની હતી. કોલેજમાં શ્રીમંત કિરણ (માલા સિંહા) અને મધ્યમવર્ગીય શેખર (બિશ્વજિત) પ્રેમમાં પડે છે અને અનેક વિઘ્નો ઓળંગી પરણે તો છે, પણ શેખર ઘરજમાઈ તરીકે રહેશે એ શરતે. સુધાના પિતા સજ્જન છે, પણ મા ઘમંડી અને ઉદ્ધત છે. દીકરી પર એનો પૂરો કાબૂ છે. સમય જતાં કિરણ સુંદર જોડિયા દીકરીઓ ગંગા-જમુનાને જન્મ આપે છે. વારંવારનો સ્વમાનભંગ અસહ્ય બનતાં શેખર ગંગાને લઈને સિંગાપોર ચાલ્યો જાય છે. જમુના મા પાસે રહે છે. આઠ વર્ષ પછી શેખર ભારત પાછો ફરે છે. યોગાનુયોગ ગંગા-જમુના એક જ શાળામાં ને એક જ વર્ગમાં ભણે છે. બંને ઝગડે છે, દોસ્તી થાય છે, પોતાના એકસરખા દેખાવનું રહસ્ય જાણ્યા પછી માના પ્રેમથી વંચિત ગંગા જમુના બની મા પાસે રહેવા જાય છે અને પિતાવિહોણું બાળપણ વિતાવનારી જમુના ગંગા બની શેખર પાસે રહેવા જાય છે. બંનેને સમજાય છે કે મા અને પિતા બંને જોઈએ. બંને હવે વિખૂટા પડેલાં માબાપને ફરી એક કરવા કટિબદ્ધ થાય છે. એક વિલન અને એક વેમ્પ વચ્ચે-વચ્ચે થોડા દાવપેચ અજમાવે છે.

આ રોચક ફેમિલી ફિલ્મનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. ‘દો કલિયાં’ 1968માં બની. ‘દો કલિયાં’ 1965ની એક તમિલ ફિલ્મની રિમેક હતી. એ તમિલ ફિલ્મ 1961ની અમેરિકન ફિલ્મ ‘ધ પેરેન્ટ ટ્રેપ’ પર આધારિત હતી અને એ ફિલ્મ 1949ની જર્મન નવલકથા ‘લિઝા એન્ડ લોટી’ પરથી બની હતી – આ બધાની અસર તો ખરી જ, સાથે ડ્રામા, મ્યુઝિક, વિલન, રોમાન્સ, શ્રદ્ધા જેવા ભારતીય-દક્ષિણી મસાલા પણ ખરા. ફિલ્મ સફળ રહી હતી. આ જ પ્લોટ પરથી એ.વી.એમે. વિજય અરોરા અને બિંદિયા ગોસ્વામી અભિનીત ‘જીવન જ્યોતિ’ નામની ફિલ્મ પણ બનાવી હતી.

ગંગા-જમુનાની બેવડી ભૂમિકામાં ત્યારે બેબી સોનિયા તરીકે ઓળખાતી આઠ વર્ષની નીતૂ સિંહ હતી. ‘બચ્ચે મન કે સચ્ચે’ ગીત ગંગા શાળામાં ગાય છે. એ ગીત એના પિતાએ લખેલું છે એ જાણી શિક્ષિકા એને અભિનંદન આપે છે. નાનકડી નિર્દોષ અને વહાલસોઈ બાલિકા તરીકે નીતૂ સિંહ દર્શકોનાં મન જીતી લે છે. ફિલ્મનો ખરો મદાર જ એના પર છે. નીતૂ સિંહનું મૂળ નામ હરનીત કૌર. છ વર્ષની ઉંમરે ‘સૂરજ’માં તેણે બાલકલાકાર તરીકે પહેલીવાર દેખા દીધી હતી.

જવાહરલાલ નેહરુ

14 નવેમ્બર બાલ દિન છે – ભારતના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિન. પંડિતજીને બાળકો ખૂબ વહાલાં હતાં. બાળકોમાં એમને દેશનું ભવિષ્ય દેખાતું. એટલે 1964માં એમનું નિધન થયું ત્યારે સર્વાનુમતે નિર્ણય લેવાયો કે એમના જન્મદિનને ‘બાલદિન’ તરીકે ઉજવવામાં આવે. મૃત્યુનાં દસ વર્ષ પહેલાં બનાવેલ વસિયતનામામાં પંડિતજીએ લખ્યું હતું કે પોતાનાં અગ્નિસંસ્કાર કરવાં. મુઠ્ઠીભર રાખ અલાહાબાદમાં વહેતી ગંગામાં વિસર્જિત કરવી જેથી એ ભરતભૂમિનાં ચરણ પખાળતા સાગરને જઈ મળે – અને ‘મારી રાખનો મોટો ભાગ વિમાનમાંથી એ ખેતરો પર વિખેરી નાખવામાં આવે જ્યાં ભારતના ખેડૂતો મહેનત કરે છે. હું ભારતની ધૂળ અને માટી સાથે એક બની જવા માગું છું. ભારતના સાંસ્કૃતિક વારસાને આ મારી છેલ્લી શ્રદ્ધાંજલિ છે.’ તેમની ઇચ્છા મુજબ રાખનો મોટો ભાગ આઇ.ઈ.એફ. વિમાનો દ્વારા દેશભરમાં અગાઉ નિયુક્ત 20 સ્થળોએ વિખેરી દેવામાં આવ્યો. પંડિતજીનો બાળકો પરનો પ્રેમ અને રાખ દેશભરમાં વિખેરી દેવાની આ ઘટના ‘નૌનિહાલ’ (નૌનિહાલ એટલે નવું જન્મેલું, તેજસ્વી) ફિલ્મના પંડિત નહેરુના અંતિમ સંસ્કારના દૃશ્યો સાથે કૈફી આઝમીએ લખેલા ‘મેરી અવાઝ સુનો’ ગીતમાં ખૂબ સુંદર રીતે વ્યક્ત થઈ છે – નૌનિહાલ આતે હૈ અર્થી કો કિનારે કર લો, મૈં જહાં થા ઉન્હેં જાના હૈ વહન સે આગે. આસમાં ઈનકા જમીં ઇનકી, જમાના ઈનકા, હૈં કઈ ઈનકે જહાં મેરે જહાં સે આગે, ઈનકો કલિયાં ન કહો યે હૈ ચમનસાઝ સુનો’ અને ‘રાખ બનકર મૈં બિકહર જાઉંગા ઇસ દુનિયા મેં, તુમ જહાં ખાઓગે ઠોકર વહીં પાઓગે મુઝે’

સાહિરે પણ પંડિત જવાહરલાલ નહેરુ માટે સુંદર પંક્તિઓ લખી છે, ‘જિસ્મ કી મૌત કોઈ મૌત નહીં હોતી હૈ, જિસ્મ મિટ જાને સે ઇન્સાન નહીં મર જાતે, ઉસ કે ફરમાનોં કી એલાનોં કી તાઝીમ (સન્માન) કરો, રાખ તક્સીમ કી (વહેંચી દીધી), અરમાન ભી તક્સીમ કરો’ બાલદિને પંડિત નહેરુનું એલાન યાદ કરી આપણે પણ બાળકોનું દેશના ભવિષ્યરૂપે જતન કરીએ કેમ કે એમનાં મન સાચાં છે, સુંદર છે, સાફ છે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 14 નવેમ્બર 2025

Loading

રાખો..

નારણ મકવાણા|Poetry|7 December 2025

ભગવાન હશે પથ્થર જેવો, તમે પથ્થર ને પથ્થર રાખો.
ના માને એને જાવા દ્યો, બકા, ઇશ્વર ને ઇશ્વર રાખો.

ખોટાં, જે બેઠાં શીખર એમને નીચે લાવી શું કરશો?
ઓચિંતા પડશે એક દિવસ, ભલે અદ્ધર ને અદ્ધર રાખો.

ખોટું તો થાવાનું પળપળ, છતાં સાચાંનો આગ્રહ રાખો.
જુઠ્ઠાનો છો ઢોલ વગાડો છતાં નક્કર ને નક્કર રાખો.

સરહદ રક્ષણે યુદ્ધો લડવા પડે, ગરમી, ઠંડી વર્ષામાં,
લાભ નથી હૂસાતૂસીમાં અરે! લશ્કર ને લશ્કર રાખો.

ફૂલો પીસીને ન છિપાવો તરસ સુંદરતાની સાથીઓ,
કુદરતની ગતિ ન્યારી છે, છો તમે અત્તર ને અત્તર રાખો.

૧૭/૧૧/૨૦૨૫

Loading

હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|7 December 2025

આપણે યાદ રાખવું પડે કે રશિયાનો ચીન તરફનો ઝુકાવ પણ એક જોખમી સંકેત છે. જેમ જેમ મોસ્કો આર્થિક અને સંરક્ષણ ટેકા માટે બેઇજિંગ પર વધુ આધાર રાખે તેમ તેમ ભારતનો પ્રભાવ ઘટે.

ચિરંતના ભટ્ટ

રાજકીય હિલચાલ હંમેશાં પૂર્વનિશ્ચિત હોય. જો કે વડા પ્રધાન મોદી ગુરુવારે સાંજે પુતિનને પાલમ એરપોર્ટના ટાર્મેક પર જાતે આવકારવા ગયા, તેમણે તેમની આગવી સ્ટાઇલમાં રશિયન પ્રેસિડન્ટને આલિંગન આપ્યું અને પછી રશિયન લિમોઝિનમાં સાથે આગળની સફર કરી. આ આખી ઘટનાનો સંદેશ હજારો કહેવાયેલા શબ્દોથી કંઇક ગણો પ્રભાવી અને જોરદાર હતો એમ કહી શકાય. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે “પ્રધાન મંત્રી મોદી જાતે પુતિનને મળવા આવ્યા. તે અચાનક લેવાયેલો નિર્ણય હતો, અમને તેની જાણ નહોતી.” આ છેલ્લી ઘડીનું જાતે કરેલું સ્વાગત, એ પછી દિલ્હીના લોક કલ્યાણ માર્ગ પર પ્રાઇવેટ ડિનર અને છેલ્લે ભગવદ્દ ગીતાની ભેટ (પુતિનને ગીતા ખરેખર સમજાય તો સંજોગો બદલાય?) એ બધું જ એક રીતે રશિયા પ્રત્યેના ભારતના અભિગમની ભાવનાત્મક તીવ્રતા વિશે કહે છે.

પરંતુ શુક્રવારે હૈદરાબાદ હાઉસમાં જ્યારે બંને નેતાઓ ઔપચારિક વાતચીત માટે બેઠા, ત્યારે બૉડી લેંગ્વેજ વધુ જટિલ નેરેટિવ આપનારી રહી. મોદી, સામાન્ય રીતે તેમની સહજ ગરમજોશી માટે જાણીતા, યુક્રેન સંઘર્ષ વિશે વાત કરતા દેખાયા. તેમના હાવભાવ મેત્રીપૂર્ણ પરંતુ મર્યાદિત હતા. “ભારત તટસ્થ નથી, ભારત શાંતિની પડખે છે,” તેમણે કહ્યું. આ નિવેદન ઔપચારિક ઓછું અને નિશ્ચયાત્મક વધારે હતું.  પુતિન, તેમના ભાગે, “શાંતિપૂર્ણ ઉકેલ” પર કામ કરવા વિશે વાત કરતા હતા. જો કે એ તો પુતિન છે, કોઈ નક્કર પ્રતિબદ્ધતાઓ આમ સરળતાથી ઑફર કરી દે તેવી આશા તેની પાસેથી રાખવી પણ જરા વધુ પડતું છે. આ મુલાકાત જાહેર પ્રદર્શન અને વ્યૂહાત્મક રણનીતિ એમ બંને માટે અનિવાર્ય છે.

પુતિનની ભારત મુલાકાતનો સમય પણ રસપ્રદ છે. હજી થોડા મહિના પહેલાં, ટ્રમ્પ વહીવટીતંત્રે ભારતીય માલ પર 50 ટકા ટેરિફ લાદ્યા. જેમાંથી અડધા સીધા રશિયન તેલની ખરીદીના સંદર્ભમાં હતા. આ ટેરિફની જાહેરાત એક વેક-અપ કૉલ હતી, જાણે ભારતને ચેતવણી હોય કે કાં તો તમે નિયમો અનુસરો અથવા નિયમો ન અનુસરવાનાં પરિણામ ભોગવો. ભારતે તો અમેરિકાને પોતાનો ભાગીદાર દેશ ગણ્યો હતો અને માન્યું હતું કે પરસ્પર એકબીજાનું સન્માન જાળવીને બંને રાષ્ટ્રો કામ કરશે. એમ માનવામાં આપણે ભૂલ કરી. વૉશિંગ્ટને આ ટેરિફ ફટકારીને એમ કહી દીધું કે અમે ભારતને સમાન જોડીદાર તરીકે જોતા નથી, એટલે અમે જેમ કહીએ તે કરો. 2025ની શરૂઆતમાં ભારત-અમેરિકા સંબંધો માટે આશાસ્પદ હતી. યુરોપિયન કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સના સર્વેમાં 75 ટકા ભારતીયો “ટ્રમ્પ વેલકમર્સ” હતા. પરંતુ ટેરિફ ઉપરાંત, ટ્રમ્પે H-1B વિઝા પર નોંધપાત્ર અવરોધો ખડા કર્યા, જે વિશેષ ક્ષેત્રોમાં ભારતીય કામદારોના પ્રવાહને અસર કરનારા છે. આટલું ઓછું હોય તેમ વોશિંગ્ટન ભારતના કાયમી પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સાથે દોસ્તી કરી રહ્યું છે. આ સંદર્ભે મોદી અને પુતિનનું આલિંગન માત્ર મૈત્રીનો સંકેત નથી પણ અમેરિકન વિશ્વસનીયતા અંગે ભારતની વધતી શંકાનું નિવેદન પણ છે. 

ભારત-રશિયા વચ્ચેની 23મી વાર્ષિક સમિટે કેટલીક ઠોસ સિદ્ધિઓ આપી. બંને દેશો 2030 સુધીમાં વેપારને $100 બિલિયન સુધી વધારવા પ્રતિબદ્ધ છે, જે અત્યારના $68.7 બિલિયનથી નોંધપાત્ર વધારો હશે. સંરક્ષણને મામલે સહકાર, વિજ્ઞાન અને ટૅકનોલોજી, અને ઊર્જાને લગતા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. પરંતુ આંકડાઓની પાછળ એક અસ્વસ્થ કરે તેવી વાસ્તવિકતા છુપાયેલી છેઃ $64 બિલિયન રશિયન આયાત સામે ભારત રશિયામાં માત્ર $5 બિલિયનની નિકાસ કરે છે, આ એક નોંધપાત્ર અસંતુલન છે.

 ભારત-રશિયા સંબંધોનો પરંપરાગત આધારસ્તંભ સંરક્ષણને મામલે ભાગીદારી છે. જો કે તેની પર પણ દબાણ છે. એક સમયે ભારતના લશ્કરી હાર્ડવેરના 72 ટકા માટે જવાબદાર, રશિયાનો હિસ્સો હવે 36 ટકા સુધી ઘટી ગયો છે. યુક્રેન યુદ્ધ અને પશ્ચિમી પ્રતિબંધોને કારણે ડિલિવરીમાં હંમેશાં વિલંબ થાય છે, સ્પેર પાર્ટ્સની તંગી ખડી થઈ છે, અને મોસ્કોની વિશ્વસનીયતાને નુકસાન પહોંચ્યું છે.

આ બધામાં આપણે યાદ રાખવું પડે કે રશિયાનો ચીન તરફનો ઝુકાવ પણ એક જોખમી સંકેત છે. જેમ જેમ મોસ્કો આર્થિક અને સંરક્ષણ ટેકા માટે બેઇજિંગ પર વધુ આધાર રાખે  તેમ તેમ ભારતનો પ્રભાવ ઘટે. સામે ચીન મજબૂત થાય જે આપણો વ્યૂહાત્મક સ્પર્ધક મજબૂત થાય. આ ભારત માટે માત્ર બેચેન કરે એવી બાબત નથી પણ એક વ્યૂહાત્મક જોખમ છે.

પુતિનની મુલાકાતનો ઉત્સાહ હોય, હોવો જોઇએ પણ આપણી નીતિને ઘડવૈયાઓએ અમુક બાબતોએ સાવચેત રહેવું પણ જરૂરી છે. 

 સૌથી પહેલા તો રશિયા સંરક્ષણ ટૅકનોલૉજી શેરિંગની વાત કરે છે, પરંતુ તેની પોતાની ટૅકનોલૉજિકલ ક્ષમતાઓ પશ્ચિમી પ્રતિબંધોને કારણે પીડાય છે. મોસ્કોને સેમિકન્ડક્ટર્સ અને હાઇટૅક કોમ્પોનન્ટ્સ મેળવવાના વાંધા હોય એવામાં ભારત ત્યાંથી અદ્યતન ટૅક્નોલૉજીમાં મદદ મેળવવાની અપેક્ષા ન રાખી શકે. 

બીજી વાત છે ચીનના સંદર્ભે. જેમ જેમ રશિયા ચીન સાથે પોતાની “અમર્યાદ ભાગીદારી” ને ઘેરી કરે છે, તે ભારત માટે પસંદગીઓ અઘરી બનાવશે. શું ભારત-ચીન તણાવમાં મોસ્કો તટસ્થતા જાળવી શકશે? કે પછી આર્થિક આધાર રાખવો પડતો હોવાથી મોસ્કો બેઇજિંગ તરફ ઝૂકશે? ભારતે આ વાસ્તવિકતા માટે તૈયારી કરવી જોઈએ.

ત્રીજું, અમેરિકન બેકલેશની સાચી કિંમત ગણતરીમાં લેવી જરૂરી છે. 50 ટકા ટેરિફ માત્ર શરૂઆત હોઈ શકે છે. જો ભારત રશિયન તેલની ખરીદી ચાલુ રાખે અને S-400 જેવી રશિયન સંરક્ષણ પ્રણાલીઓનો ઉપયોગ કરે તો વોશિંગ્ટન CAATSA (Countering America’s Adversaries Through Sanctions Act) હેઠળ પ્રતિબંધો લાગુ કરી શકે છે. આમ થાય તો તે ભારતના ઊભરતા ટૅકનોલૉજી ક્ષેત્ર અને રક્ષણ આધુનિકીકરણ યોજનાઓને મોટું નુકસાન કરી શકે છે.

ચોથો મુદ્દો યુક્રેનનો છે.  વડા પ્રધાને શાંતિની તરફેણની વાત કરી. ભારતે હજી સુધી યુક્રેન પર રશિયન આક્રમણની આકરી નિંદા નથી કરી. આ ગણતરીપૂર્વકનું મૌન ભારતની વૈશ્વિક છબીને નુકસાન પહોંચાડનારું બની શકે. યુરોપ અને અન્ય લોકશાહી રાષ્ટ્રો ભારતને એક એવા દેશ તરીકે જુએ જે પોતાની વ્યવહારિકતાને મહત્ત્વ આપે છે મૂલ્યોને નહીં તો એક લેવા જતાં ચાર ખોવાનો વારો ન આવે તેવી સ્થિતિ ખડી થઇ શકે છે.

પાંચમો મુદ્દો છે કે પુતિન ભારતની વાતને કેટલી ગંભીરતાથી લે છે. પુતિને એમ સ્વીકાર્યું કે ભારતનું ફોકસ યુદ્ધને મામલે શાંતિના પ્રયાસ છે. પણ સ્વીકારવું અને અમલમાં મુકવું બે અલગ બાબતો છે. ભારત યુક્રેનમાં શાંતિ નિર્માણ કરનાર રાષ્ટ્ર તરીકે પોતાનું સ્થાન બનાવવા માગે છે જેથી વૈશ્વિક છબી પર પણ તેની હકારાત્મક અસર પડે પણ મધ્યસ્થી તરીકે ભારતની શક્તિ મર્યાદિત છે કારણ કે ભારત રશિયન તેલનો સૌથી મોટો ખરીદાર દેશ છે. 

જેમ જેમ આંતરરાષ્ટ્રીય રાજકીય વ્યવસ્થા વધુને વધુ ધ્રુવીય બને છે – તેમાં સત્તાકીય બ્લોક્સ એટલે કે ચોકઠાં બની રહ્યા છે તેમ તેમ ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા તેની સૌથી મોટી શક્તિ અને સૌથી મોટી નબળાઈ બંને બને છે. મોદીની પુતિન સાથેની હગ ડિપ્લોમસી સ્વાયત્તતાના પ્રતીક તરીકે સારી રીતે કામ કરે છે, પરંતુ તે ભવિષ્યમાં ભારતે કરવી પડનારી કઠોર વ્યૂહાત્મક પસંદગીઓનો વિકલ્પ નહીં બને. 

ભારતે યુરોપ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણપૂર્વ એશિયા સાથે સંબંધો બહેતર બનાવીને પોતાના સંબંધોને વૈવિધ્યસભર બનાવવા જોઈએ. વોશિંગ્ટનનો મિજાજ બદલાય તે પહેલાં ચીન સાથે સરહદ તણાવને સ્થિર કરવા માટે આપણે ગંભીરતાથી કામ કરવું જોઈએ. જરૂરી એ પણ છે કે, આપણે આપણી આર્થિક અને ટૅકનોલૉજિકલ ક્ષમતાઓને એટલી સારી રીતે ઘડીએ કે બીજી મોટી સત્તા પર આધારીત ન રહીએ. આમ થવાથી આપણે આપણા વ્યૂહાત્મક નિર્ણયો પર બીજા રાષ્ટ્રનું દબાણ પણ ટાળી શકીએ.

બાય ધી વેઃ 

મોદી અને પુતિન વચ્ચેની હૂંફાળી મુલાકાત હસ્તધૂનન અને સહજ હાસ્યથી ભરપુર છે, એ જોવાની મજા પણ આવે. પરંતુ બૉડી લેંગ્વેજની પાછળ, કઠોર ભૌમિતિક વાસ્તવિકતાઓ છે જે હાવભાવથી ઓગળતી નથી. ભારત દેશ આવનારાં વર્ષોમાં વધુ પડકારજનક વાતાવરણમાં નેવિગેટ કરી રહ્યો છે – એક જ્યાં મિત્રતા અને રાષ્ટ્રીય હિત હંમેશાં સંરેખિત નથી હોતા. પુતિનની મુલાકાત એ સ્પષ્ટ કરનારી છે કે વ્યૂહાત્મક સ્વાયત્તતાની પણ કિંમત છે, અને ભારતે સાવચેતીપૂર્વક ગણતરી કરી રાખવી જોઇએ કે આપણે એ કિંમત ચૂકવવા તૈયાર છીએ કે નહીં. બાકી એક વાત તો છે, પુતિનની પ્રતિભાની આસપાસ એક ગજબનું રહસ્ય હોય એવું સતત લાગે, એમાં પાછા એમનાં બૉડી ડબલ હોવાની વાતો પણ ચાલે. નેરેટિવ બનાવવું તો પછી આવું ધાંસુ બનાવવું – કોઈ દિલધડક ફિલ્મના પ્લૉટ જેવું. બાકી અત્યારે તો દાસ્વીદાનિયા. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07  ડિસેમ્બર 2025

Loading

...102030...50515253...607080...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved