Opinion Magazine
Number of visits: 9456089
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઑલ ગૂડ થિંગ્સ આર વાઇલ્ડ એન્ડ ફ્રી : થૉરો

સોનલ પરીખ|Opinion - Opinion|7 August 2025

બહુમતીથી થતાં કાર્યોમાં ન્યાય હોય જ એ જરૂરી નથી. એવી જાતનું રાજ્ય કેમ ન થઈ શકે જ્યાં ઘણા માણસો કહે તેનો અમલ થવાને બદલે સાચું હોય તેનો જ અમલ થાય? સત્ય મહત્ત્વનું છે, કાયદો નહીં. હું એમ નથી કહેતો કે જ્યાં જ્યાં ખોટું થતું હોય તેને દૂર કરવાને દરેક માણસ બંધાયેલો છે : પણ હું એમ ચોક્કસ કહું કે તે પોતે ખોટામાં ભાગ ન લેવાને તો બંધાયેલો છે જ 

— હેનરી ડેવિડ થૉરો 

હેનરી ડેવિડ થૉરો

‘જો સરકારનું માળખું એવી જાતનું હોય કે તમારે અન્યાય કરવા અથવા સહેવા મજબૂર બનવું પડતું હોય, તો હું કહું છું કે એવો કાયદો તોડો.’ એણે એ કહ્યું જ નહીં, કર્યું પણ ખરું. સરકારે યુદ્ધવેરો નાખ્યો તે ન ભર્યો અને જેલમાં ગયો. મળવા આવેલા મિત્રે પૂછ્યું, ‘તું જેલમાં કેમ છે?’ ત્યારે તેણે કહ્યું, ‘તું જેલની બહાર કેમ છે?’

મળવા ગયેલા મિત્ર તે રાલ્ફ વાલ્ડો ઈમર્સન અને જેલમાં પુરાયેલા હતા તે હેન્રી ડૅવિડ થૉરો. ઓગણીસમી સદીના અમેરિકાની વિખ્યાત બૌદ્ધિક, વિચારક, ફિલોસોફર, અગ્રણી ટ્રાન્સડેન્ટાલિસ્ટ અને સર્જક એવી આ બન્ને વિશ્વપ્રસિદ્ધ હસ્તીઓ પૈકી થૉરોના જન્મદિન નિમિત્તે એમને સ્મરીએ. 

થોરોનો જન્મ 1817માં, મહાત્મા ગાંધીનો 1869માં. મહાત્મા ગાંધીને સવિનય કાનૂનભંગનો વિચાર થોરો પાસેથી મળ્યો હતો. સવિનય કાનૂનભંગ એટલે અનૈતિક કાયદાનો વિનયપૂર્વક ભંગ. સત્યાગ્રહ શબ્દ પહેલવહેલો વાપર્યાના વર્ષે એટલે કે 1906માં થૉરોના બહુચર્ચિત પુસ્તક ‘વૉલ્ડન’થી ગાંધીજી તેમનાં લખાણોના પરિચયમાં આવ્યા. એ પછીના વર્ષે થૉરોના લેખ ‘સિવિલ ડિસઓબિડિયન્સ’નો અનુવાદ કરી એમને ‘ઈંડિયન ઓપિનિયન’માં છાપ્યો. એની પુસ્તિકાઓ બહાર પાડી અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ દરમ્યાન તેનો બરાબર ઉપયોગ કર્યો. પશ્ચિમના મૂડીવાદની ટીકા કરતા થૉરોના ‘લાઈફ વિધાઉટ પ્રિન્સિપલ’ લેખથી પણ ગાંધીજી પ્રભાવિત થયા હતા. ગાંધી આશ્રમમાં થૉરો નિયમિત વંચાતો અને ચર્ચાતો. 

થૉરો જ્યાંનો વતની હતો તે અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યની સરકાર ગુલામીપ્રથાની ટેકેદાર હતી. તેણે મેક્સિકો સામે જે નીતિથી યુદ્ધ જાહેર કર્યું તે થૉરોને ન્યાયની વિરુદ્ધ લાગ્યું એથી એણે યુદ્ધવેરો આપવાનો અને એમ કરીને સરકારની અન્યાયી નીતિમાં ભાગીદાર બનવાનો ઈનકાર કર્યો. પરિણામે તેને જેલ જવું પડ્યું. જેલમાં તેના મનમાં જે વિચારો આવ્યા તેનું પરિણામ તે પાછળથી ‘સિવિલ ડિસઓબિડિયન્સ’ નામે જાણીતો થયેલો ‘રેઝિસ્ટન્સ ટુ સિવિલ ગવર્ન્મેન્ટ’ નામનો લેખ. તેની પાછળની પ્રેરણા 1819માં લખાયેલું શેલીનું ‘ધ માસ્ક ઑફ એનાર્કી’ હતું, જેમાં તેણે એ વખતના અન્યાયી શાસનનો ચહેરો ખુલ્લો પાડ્યો હતો. 

છૂટ્યા પછી તેણે નાગરિકોનાં કર્તવ્યો અને અધિકારો પર વ્યાખ્યાનો આપ્યાં. ઇતિહાસ કહે છે કે અમેરિકામાં ગુલામી બંધ થવાના મુખ્ય કારણોમાંનું એક એ થૉરોનું જેલ જવું અને જેલમાંથી નીકળ્યા બાદ આ લેખનું પ્રગટ થવું એ હતું. આ લેખમાં થોરોએ કહ્યું છે કે ‘હું ચોક્કસપણે માનું છું કે લોકો પર રાજ્યસત્તાનો અંકુશ જેટલો ઓછો હોય તે સારું. આદર્શ સ્થિતિ તો રાજ્યસત્તામાંથી સંપૂર્ણપણે મુક્તિની છે, પણ હાલ તુરત તો હું એ નહીં, સારો કારભાર માગું છું, જે માગવાની દરેક માણસની ફરજ છે.’ 

વિશ્વમાં આજે બહુમતીવાદ ખૂબ વકર્યો છે ત્યારે થૉરોના શબ્દો યાદ આવે, ‘બહુમતીથી થતાં કાર્યોમાં ન્યાય હોય જ એ જરૂરી નથી. એવી જાતનું રાજ્ય કેમ ન થઈ શકે જ્યાં ઘણા માણસો કહે તેનો અમલ થવાને બદલે સાચું હોય તેનો જ અમલ થાય? સત્ય મહત્ત્વનું છે, કાયદો નહીં. હું એમ નથી કહેતો કે જ્યાં જ્યાં ખોટું થતું હોય તેને દૂર કરવાને દરેક માણસ બંધાયેલો છે : પણ હું એમ ચોક્કસ કહું કે તે પોતે ખોટામાં ભાગ ન લેવાને તો બંધાયેલો છે જ.’ 

ટૉલ્સટૉય, માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયર અને જહોન કેનેડી પણ થોરોથી પ્રભાવિત હતા. થોરો માત્ર 44 વર્ષ જીવ્યા. આટલા ટૂંકા જીવનકાળમાં પોતાના વિચારો અને લેખનથી તેઓ વિશ્વના જ્ઞાનજગતમાં તેજલિસોટા સમા પુરવાર થયા અને શાશ્વત એવો પ્રભાવ ઊભો કરી શક્યા. ‘સિવિલ ડિસઓબિડિયન્સ’ ઉપરાંત એમની સૌથી વધુ જાણીતી કૃતિ છે ‘વૉલ્ડન’. થૉરોએ ખૂબ લખ્યું છે. ઘણુંખરું મરણોપરાંત પ્રગટ થયું છે અને 20 બૃહદ્દ ગ્રંથોમાં સમાવાયું છે. 

મેસેચ્યુસેટ્સના કૉન્કૉર્ડમાં, ફ્રેન્ચ મૂળના એક પરિવારમાં થોરોનો જન્મ. થોરો હાર્વર્ડમાં ભણ્યા; પણ ચર્ચ, લૉ, મેડિસિન કે બિઝનેસ જેવા પ્રચલિત વ્યવસાયોએ એમને આકર્ષ્યા નહીં. ગ્રેજ્યુએટ થયા પછી ભાઈ જૉન સાથે એમણે કૉન્કૉર્ડ એકેડમી ખોલી જેમાં પ્રકૃતિ સાથે નિકટતા અને સ્થાનિક વ્યવસાયોને ઓળખવા એવા વિષયો સામેલ હતા. 

આ ગાળામાં એક મિત્ર દ્વારા થોરોની ઓળખાણ રાલ્ફ વાલ્ડો ઈમર્સન સાથે થઈ. ઈમર્સન થોરોથી 14 વર્ષ મોટા હતા. એમણે થોરોમાં ખૂબ રસ લીધો, ત્યારના મોટા લેખકો-ચિંતકો સાથે થોરોની ઓળખાણ કરાવી. એમના કહેવાથી જ થોરોએ ‘ધ ડાયલ’ નામના ત્રિમાસિકમાં નિયમિત લખવા માંડ્યું. 

થૉરો હંમેશાં પ્રકૃતિ અને માનવીના સંબંધ વિશે વિચારતા. તેમને ટ્રાન્સડેન્ટાલિઝમમાં ખૂબ રસ પડ્યો. ટ્રાન્સડેન્ટાલિઝમ, 1820-30માં ન્યૂ ઇંગ્લેન્ડમાં બુદ્ધિવાદની સામે રજૂ થયેલી વિચારણા હતી, જેના પાયામાં  માનવીમાં મૂળભૂત રૂપે રહેલી સારપ અને પ્રકૃતિના શુભતત્ત્વો પરની શ્રદ્ધા હતી. ઈમર્સન, ફૂલર અને ઍલ્કોટ તેના પ્રણેતા હતા. તેઓ માનતા કે લોકો આત્મનિર્ભર હોય ત્યારે જ માણસ તેના શ્રેષ્ઠ રૂપમાં હોય છે. 

થૉરોએ સાદું જીવન અપનાવ્યું. વૉલ્ડન તળાવ પાસે ઈમર્સને વૃક્ષાચ્છાદિત ભૂમિ ખરીદી હતી. 1845માં થૉરો ત્યાં ગયા ને એક કુટિર બાંધીને રહ્યા. વૉલ્ડન તળાવ કોન્કોર્ડ ગામથી દોઢબે કિલોમીટરના અંતરે દસથી બાર હજાર વર્ષ પહેલા હિમનદીનું વહેણ ખસવાથી રચાયું છે. ત્યાં રહેવાનો તેમનો ઉદ્દેશ જીવનમાં સાદગી લાવવાનો, ખર્ચ ઘટાડી દેવાનો અને લેખનપ્રવૃત્તિ તેમ જ પ્રકૃતિનિરીક્ષણમાં સમયનો સદુપયોગ કરવાનો હતો. 

વૉલ્ડનનિવાસ દરમ્યાન તેઓ સવાર લેખન અને સ્વાધ્યાયમાં ગાળતા; બપોર પછી કૉન્કૉર્ડનાં જંગલો ને ખેતરોમાં ફરતા અને નદી-સરોવરોમાં નાવ હંકારતા. ‘વૉલ્ડન’માં તેણે લખ્યું છે, ‘હું જંગલમાં રહેવા ગયો કેમ કે મારે હેતુપૂર્ણ જીવન જોઈતું હતું. પ્રકૃતિ શીખવે એ મારે શીખવું હતું. મરું ત્યારે જીવ્યો નહીં એવો અફસોસ મને જોઈતો નથી. મારે ઊંડાણપૂર્વક જીવવું છે ને તેનો અર્ક ચાખવો છે.’ વૉલ્ડન સરોવરના કિનારે તેઓ બે વર્ષ રહ્યા. તેમણે બનાવેલી કુટિર હજી પણ ત્યાં છે. ત્યાં થોરોની પ્રતિમા છે અને લોકો એ સ્થળ જોવા ખાસ જાય છે. 

1854માં વૉલ્ડનના અનુભવો અને આંતરશોધને વર્ણવતું પુસ્તક ‘વૉલ્ડન, લાઈફ ઈન અ વૂડ્ઝ’ પ્રગટ થયું, જે અત્યારે પણ આપણને પ્રેરણા આપે એવું છે. થૉરો પર ભારતીય તત્ત્વજ્ઞાનની અસર હતી. ‘વૉલ્ડન’માં એના દેખીતા ઉલ્લેખો પણ છે. ઈશ્વર દુનિયાથી જુદો છે એવી પશ્ચિમી કલ્પના કરતાં સર્વ જડચેતનમાં ઈશ્વરનો વાસ હોવાની પૂર્વની થિયરી થોરોને ખૂબ ગમતી. એક જગ્યાએ તેણે વૉલ્ડનના સ્વચ્છ જળરાશિને ગંગાના પાવન પ્રવાહ સાથે સરખાવ્યો છે. ઋતુઓમાં તેને ખૂબ રસ હતો. થૉરોની દ્વિશતાબ્દી નિમિત્તે જર્મન ભાષામાં એક પુસ્તક લખાયું, જેના લેખક ડાઈટર શુલ્ઝે કહ્યું કે થોરોના વિચારો આજે પ્રસ્તુત છે એટલા ક્યારે ય નહોતા.  

35માં વર્ષે તેને ટી.બી. થયો. ખૂબ હેરાન થતા. રાતોની રાતો સૂઈ ન શકતા. બહાર નીકળી રસ્તાઓ પર ફરતા. એક વાર આ રીતે ફરતાં તેઓ વરસાદમાં ભીંજાઈ ગયા અને બ્રોંકાઈટિસ થયું. એમાંથી એ ઊઠ્યા નહીં. પથારીવશ સ્થિતિમાં લાંબો ગાળો ગયો. એનો બીમારી અને ભાવિ મૃત્યુ પ્રત્યેનો સ્વીકૃતિભાવ જોઈ સૌ નવાઈ પામતાં. 

છેલ્લા દિવસોમાં એની લુઈઝાઆન્ટીએ પૂછ્યું, ‘ઈશ્વર સાથે શાંત ભાવમાં છો ને?’ થૉરોએ હસીને કહ્યું, ‘અમારી વચ્ચે ઝઘડો ક્યારે હતો?’ 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 13 જુલાઈ  2025

Loading

શિબૂ સોરેનનું જવું અને સંમિશ્ર સ્વરાજસ્પંદનોનું જાગવું 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|7 August 2025

 સ્મરણાંજલિ

શોષણયંત્રણા સામે મજબૂત અવાજ

અગ્રવર્ગની ધરાર હિસ્સેદારીથી નિરપેક્ષપણે કથિત ભ્રષ્ટાચારી કારકિર્દી આવે વખતે ધસમસતી સાંભરી આવે છે, પણ ખૂનામરકીની રાજનીતિથી ઉફરાટે લોકશાહી પ્રક્રિયામાં ભળી શકવાની સ્વરાજસંક્રાંતિ ભદ્રવર્ગને પલ્લે પડતી નથી.

પ્રકાશ ન. શાહ

ઝારખંડ જોધ્ધા શિબૂ સોરેનને જોહાર પાઠવવાની ક્ષણે કમબખ્ત પહેલા જેવી જે યાદ ઊભરી આવી તે 1993માં નરસિંહ રાવની લઘુમતી સરકારને બચાવવા સબબ થયેલી લેતીદેતીની હતી. નહીં કે આ યાદ ખોટી હતી, પણ અણી વેળાએ એનું આગળ પડતું ઊબરી આવવું, ઇતિહાસની પ્રક્રિયા અને મુખ્ય પ્રવાહની રીતે જોતાં બેલાશક માત્ર બહારનું હતું. 

એની બધી મર્યાદાઓ સાથે શિબૂ લડ્યા ને ઝૂઝ્યા હતા એ તો આદિવાસીને સારુ ન્યાયને વાસ્તેઃ ઝારખંડનું રાજ્ય બની આવ્યું એની પૂંઠે, એક રીતે, સ્વરાજની બાકી ને ચાલુ લડાઈનો આવડ્યો એવો ધક્કો હતો. નવમી ઑગસ્ટને સામાન્યપણે આપણે સન બયાલીસના ક્રાંતિ દિવસ તરીકે યાદ કરીએ છીએ, અને એક પ્રેરક ઇતિહાસવિગત તરીકે એ ખોટું પણ નથી. પણ હમણેનાં વરસોમાં આ દિવસ આદિવાસી દિવસ તરીકે વ્યાપકપણે ઉજવાતો થયો છે. બે નવમી ઑગસ્ટની આ જોડકતા, કંઈક અજોડ છે, કેમ કે ‘ક્વિટ ઇન્ડિયા’ની અનુઘટના સ્વરાજ નીચે લગી ઝમે તે સ્તો હોવી જોઈએ. 

શિબૂ સોરેન

આ પ્રક્રિયા સર્વસરલ ને સહજ સંભવ તો ક્યાંથી હોય? ઝારખંડને, વેડછી પંથકને જેમ ગાંધીસરકાર પ્રતાપે જુગતરામ મળ્યા એવું તો સૌના નસીબમાં નયે હોય. છતે સ્વરાજે મહાજની પ્રથા તળે ને શાહુકારી-સરકારી સહિયારાં તલે દબાતાંજીતવાં ‘જીવતર વચાળે ન્યાયનો રસ્તો કદાચ હિંસક જ હોઇ શકતો હતો. સોરેન ને સાથીઓ તે રીતે લડ્યા ઝગડ્યા અને સ્થાપિત કાયદાની દૃષ્ટિએ બેલાશક તેઓ ગુનાઇત પૈકી ઠર્યા. પણ એમના પંથકને કે.બી. સક્સેના, કિચિંગ્યા અને લક્ષ્મણ શુકલ જેવા અધિકારીઓ મળી રહ્યા જેમણે સામાન્ય સંજોગોમાં જે પ્રાયોજિત એન્કાઉન્ટરનું કથિત કાનૂની સુખ અને મુક્તિ પામ્યા હોત એ શિબૂ સોરેનને ગુનો કબૂલ કરી તાબે આવવા સારુ પ્રેર્યા ને શીર્ષ સત્તાસ્થાનેથી તે માટે સહુલિયત કરી આપી. આદિવાસી ઇલાકાને જમીન પરના તળ અધિકારી સહિતની સોઈ મળી રહે તે માટે સંઘર્ષ સારુ સુવાણની આથી ‘એક ભૂમિકા બની રહી. ઇંદિરા ગાંધીનો કાર્યકાળ એને અંગે ઇતિહાસનિમિત બન્યો અને આગળ ચાલતાં ઝારખંડનું અલગ રાજ્ય શક્ય બન્યું.

ઝારખંડ મુક્તિ મોરચાની ચળવળ, એમાં જેમ એક છેડેથી સોરેનનું અર્પણ તેમ બીજે છેડેથી ધનબાદના કોલસા કામદારોના યુનિયને ખ્યાત, માર્કસીય મૂળના એ.કે. રોય તો આ જ વિસ્તારના બિનઆદિવાસી એવા કુર્મી વંચિતો વચ્ચેની બિનોદ બિહારી મહતો સરખાની કામગીરી પણ સંભાળશે. 

આવું સમગ્ર ચિત્ર લક્ષમાં લેતાં શુ સમજાય છે? કોરીધાકોડ તપસીલ વાંચીએ શિબૂ હસ્તકની કથિત હત્યાઓની કે નાગરિક શાંતિનો ભંગ કરતી હિંસક હિલચાલોની, તો એક ભારતીય નાગરિક તરીકે આપણને ભાગ્યે જ કળ વળે. પણ જ્યારે સમજાય કે વાસ્તવિક અન્યાય, હાડમાં પે’ધેલ ગેરબરાબરી, આજન્મ શોષણયંત્રણા સામે લડવાની વાજબી કોશિશ માથાં ભાંગવાની જૂની પરંપરાથી ઊંચે ઊઠી, વંડી ઠેકી ‘એક માથું – એક મત’ની શાંતિમય પ્રક્રિયાના સ્વરાજ પ્રવાહમાં પ્રવેશી રહી છે. ત્યારે કેવું મોટું ગુણાત્મક પરિવર્તન આકાર લઈ રહ્યું છે એ પકડાય. 

કબૂલ કે પરિવર્તનના આ ઝંડાબરદારોને નામે ખૂનો બોલે છે, પણ ઊલટ પક્ષે રાજ્ય પોતે સ્થાપિત સંસ્થીકૃત હિંસા હોઈ શકે એ સંજોગોમાં આવું બધું કદાચ દુર્નિવાર પણ હોવાનું. જંગલમાંથી આવે તે જંગલી એવી આપણી ‘નાગરી’ સમજને આ બધું ઝટ પમાતું નથી એટલે ચાલુ પ્રવાહમાં આવ્યા પછી એમના ભ્રષ્ટાચારો આપણને ટીકા વાસ્તે ઝટ જડે છે. ભાઈ, એમના ભ્રષ્ટાચારો આપણે જે નાગરી સ્થાપિતો, એમની હિસ્સેદારીમાં સ્તો હોય છે. 

વારુ. શિબૂને જોહાર પાઠવતી વેળાએ આ લગરીક પણ ઇતિહાસવિવેક કેળવી શકીએ તો બને કે સ્વરાજે નવમી ઑગસ્ટ(1942)થી આરંભી પંદરમી ઑગસ્ટ (1947) એ ય નહીં અટકતાં છવ્વીસમી જાન્યુઆરી(1950)ની સીમાઘટનાને લાંઘી હજુ જે લાંબો પંથ કાપવાનો છે એને માટે સંબલ મળી રહેશે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 06 ઑગસ્ટ 2025

Loading

ઉંમરનું રહસ્યઃ

દેવિકા ધ્રુવ|Opinion - Opinion|7 August 2025

દેવીકા ધ્રુવ

જેમ સમયનું વિસ્મય છે તેમ ‘ઉંમર’ શબ્દનું વિસ્મય પણ છે અને રહસ્ય પણ છે. એક નહિ પણ એના ઘણાં બધાં રહસ્યો છે અને અનેક અર્થછાયાઓ છે. પહેલાં તો વિચાર એમ આવે કે ઉંમર એટલે ઉંમર. એમાં વળી શું રહસ્યો? સાચી વાત છે. પણ ગુજરાતી ભાષાના શબ્દોને સમૃદ્ધિની દેન છે. એટલે કે, શબ્દોમાં, એના અર્થોમાં, ભાવોમાં, સૌંદર્યમાં અનોખી તાકાત છે. જરાક ઊંડા ઉતરીને છણાવટ કરવા બેસીએ તો એમાંથી રસપ્રદ મઝાની વાતો મળતી જશે.

પહેલો સવાલ એ કે, ઉંમર શબ્દ આવ્યો ક્યાંથી? તો એ મૂળ  અરબી શબ્દ उम्र પરથી ઉતરી આવેલો સ્ત્રીલિંગ શબ્દ છે. શબ્દકોષ મુજબ એનો અર્થ વય, વર્ષ, જીવનકાલ, આયુષ્ય વગેરે કરવામાં આવે છે તે તો સર્વવિદિત છે. અંગ્રેજી ડિક્ષનેરી પણ કહે છે કે, the length of time that a person has lived or a thing has existed. એટલે કે,  સજીવ વ્યક્તિ, નિર્જિવ વસ્તુ કે ઘટનાના સમયનું માપ એટલે ઉંમર. પણ એનાયે વિભાગો કેટલા બધા? જો માનવજાતની વાત કરીએ તો બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વયોવસ્થા વગેરે. જો જીવનની વાત કરીએ તો દશકો, શતકો / સદીઓ, યુગો વગેરે. દિવસનું પણ કલાકો, મિનિટો અને સેકંડમાં વિભાજન. કુદરતની વાત કરીએ તો ૠતુઓના ભાગ. હવે આ દરેક વિભાગ એક યા બીજી રીતે કશાકની સાથે જોડાયેલા છે.

હવે વાત વિચારીશું માણસની ઉંમરની કે એ કોની સાથે જોડાયેલી છે. દરેક વ્યક્તિની ઉંમર મન સાથે જોડાયેલી છે અને તન સાથે તો જરૂર જોડાયેલી છે. આપણે ભલે કહીએ કે, ઉંમર એ માત્ર નંબરો છે. સરસ વાત છે અને એ જીવનને હકારાત્મક રસ્તે રાખવાનું એક જરૂરી મનોબળ પણ આપે છે; પણ  હકીકતે ઉંમર મુજબ દરેકનાં તન અને મન, બંનેના આવેગો સંકળાયેલા હોય છે. એટલે કે, દરેકની ઉંમર પ્રમાણે કાર્ય, કર્મ, ક્રિયાઓ, ગતિ, વિચારશક્તિ, સ્વભાવ વગેરે અલગ અલગ બનતાં જતાં હોય છે. એટલે ઉંમરનું આ એક પહેલું રહસ્ય છે. મા,પા,બા, બોલતા, ભાખોડિયાં ભરતા,પા પા પગલી માંડતા બાળકથી માંડીને જીવનની સંધ્યાએ પહોંચેલ, લાકડીને ટેકે ચાલતી અને સૂના બાંકડે બેઠેલ પ્રત્યેક વ્યક્તિની ગતિ-વિધિ, ઉંમર મુજબ બદલાતી રહેતી હોય છે. બીજું, ઉંમર પ્રમાણે બોલી બદલાય છે, રમકડાં બદલાય છે, ટેવો બદલાય છે, વર્તન બદલાય છે. જ્યારે આપણે ૧૦ની ઉંમરના હોઈએ ત્યારે આઈસ્ક્રીમ, ચોકલેટમાં રસ હોય, ૨૦ વર્ષની ઉંમરે ભણવામાં, કેરિયરમાં અથવા યૌવન સહજ ઊર્મિઓમાં રસ જાગે, ૩૦ની ઉંમરે પરિવાર, ઘર વગેરેમાં રસ હોય અને પછી તો જેમજેમ ઉંમર વધે તેમતેમ જરૂરિયાતો, શોખ અને ઘણું બધું બદલાતું જાય છે.

હવે ઉંમરની આ બધી વિવિધતાને કારણે ભાષામાં એના ઉપરથી કેટકેટલી મઝાની કહેવતો, રુઢિપ્રયોગો વગેરે રચાયાં? બીજા શબ્દોમાં ઉંમર, તેની આ અલગ અલગ ગતિ-વિધિ મુજબ સાહિત્યના ખજાના સાથે સંકળાઈ એ પણ એક રસપ્રદ વાત જ ને?

જુઓઃ

ઉંમરમાં આવવું, પરણવાની ઉંમરે પહોંચવું, ઉંમરે પહોંચવું, અંતિમ પડાવે આવવું, અવસ્થાએ પહોંચવું, વાળ ધોળા થયા. વગેરે વગેરે.

 આટલી વાત પછી આ બધી કહેવતોના અર્થ ભાગ્યે જ સમજાવવાની જરૂર રહે છે.

હવે મુદ્દો તનનો વિચારીએ તો, ચહેરાની રેખાઓથી માંડીને ચામડી, ચાલ અને કદ પણ બદલાય છે એ તો સૌ કોઈ જાણે છે. પ્રત્યેક જીવ માત્રને માટે થતી રહેતી એ અનિવાર્ય સ્થિતિઓ છે અને છતાં નવાઈની અને રહસ્યની વાત તો એ છે કે, આપણે આપણને રોજેરોજ દર્પણમાં જોઈએ છીએ પણ ક્યારે અને કેવી રીતે આ બદલાવ થયો એ કોઈને ખબર પડતી નથી. બોલો, આ ઉંમરનો જ તકાજો નહિ તો બીજું શું?

રોજ રોજ નજરોની સામે જ દિવસ ને રાત, કેવું હરતું ને ફરતું .
સાવ કાચી માટીનું સજેલું આ પૂતળું, ક્યારે કાયાને બદલતું.
પૂછો તો પૂછો, કોઈ કોને કે કેવી રીતે ને કોણ કરતું?
કોની કરામત ને કેવાયે તારથી જાદૂઈ ખેલ બધા રચતું …..

કુદરતમાં પણ આ જ છે ને?

હવે આટલી વાત અને આ સમજણ તો બધાંને જ છે. તો ઉંમર વિશે બીજી જે ખાસ વાત છે તે એની હળવી હળવી અને મસ્તીભરી ઘટનાઓ. કેટલાક લોકો એવા હોય છે કે તેમને ઉંમર વધવાની સાથે કેટલીક અસમર્થતાઓ ઊભી થતી હોય છતાં તેઓ એ સ્વીકારવા તૈયાર હોતા નથી. આમ તો એ સારી વાત કહેવાય. પણ એમાંથી કેટલીક વાર છબરડાઓ ઊભા થતા હોય છે. ખાસ કરીને આંખ અને કાનની તકલીફને કારણે. આ લખતાંની સાથે – ઓહો, અનાયાસે જ દલપતરામનું એક વર્ષો જૂનું પાત્ર જીવરામ ભટ્ટ સાંભરે છે. એમને રાત્રે દેખાતું નથી અને છુપાવવા જાય છે. પણ પછી તો રાતના જમવાના સમયે કંસાર પીરસતા સાસુને, પાડી સમજીને લાત મારે છે અને પછી પોકળ બહાર પડે ત્યારે કેવું હાસ્ય નીપજે છે! એટલે ઉંમર ન સ્વીકારવાનું મિથ્યાભિમાન આવા ખેલો ઊભા કરે છે.

આવી રીતે કાનની તકલીફને કારણે ઊભા થતા હજારો દાખલાઓ મળી આવે છે. એના ઉપરથી તોઃ “મારી સાસુએ એમ કહ્યું કે ગોખમાં દીવો મેલ. મેં ભોળીએ એમ જાણ્યું કે, સોડમાં દીવો મેલ’ જેવાં ગીતો પણ રચાતાં અને રમૂજી ટુચકા તો અસંખ્ય મળી આવે.

એક માણસ તો વળી ઉંમરને કારણે સાંભળે ઓછું પણ પોતે બહેરો છે તે વાત માને જ નહિ. એની સાથે વાત કરનાર વ્યક્તિ મોટેથી બોલે તો એ તરત તાડૂકેઃ ધીમે બોલ ને, હું કોઈ બહેરો નથી!

અહીં સુરેશ દલાલની એક મઝાની પંક્તિઓ યાદ આવે છે.

આંખ તો મારી આથમી રહી ને કાનના કૂવા ખાલી.
એક પછી એક ઇન્દ્રિય કહે:  હમણાં હું તો ચાલી.

આ છે ઉંમરની વાસ્તવિકતા.

કેટલાકને વળી ખરેખર ઉંમર જણાતી નથી હોતી. તંદુરસ્તી એવી જાળવી રાખી હોય કે ૮૦ની ઉંમરે પણ ગરબા ફરી શકે અને નૃત્ય પણ કરી શકે. પણ ખૂબી તો એ છે કે, તેમને જોનાર પ્રશંસા કર્યા પછી એક વાત તો જરૂર ઉમેરે કે, વાહ … આ ઉંમરે પણ તમે સરસ નાચી શકો છો! દેખાવ સુંદર લાગે તો પણ વખાણ કરતાં પેલું વાક્ય તો ઉમેરે જ, “આ ઉંમરે પણ ..” એટલે આ ઉંમરનો ઉલ્લેખ કર્યા વગર તો કોઈ વાત કરે જ નહિ. જો વધુ યાદ કરીશું તો આપણે પણ દાદીમા માટે એમ કહેતા કે બાને “આ ઉંમરે” પણ કેટલું બધું હજી યાદ છે! અને નવાઈ તો એ છે કે આપણને આપણી “એ ઉંમરે” એવી સમજણ નથી હોતી પણ છેક દાદીની ઉંમરે પહોંચીએ છીએ ત્યારે જ સમજાય છે! એટલે ઉંમર, સમજણ સાથે પણ કેવી સંકળાયેલી છે?

સાચે જ, કહેવાયું છે ને કે, “ઉંમરનો સૂરજ આસમાને જેમજેમ ચડતો જાય તેમતેમ આપણા અહંનો પડછાયો અને સકલ બ્રહ્માંડમાં આપણો પોતાનો આપણે જ કાઢેલો ક્યાસ નાનો ને વાસ્તવિક થતો જાય છે.”

આમ, ઉંમર શબ્દને વિસ્તારથી આ રીતે વિચાર્યા પછી કહેવાનું તો એટલું જ રહે કે, ઉંમર ઉંમરનું કામ કરે અને આપણે આપણું. કારણ કે, Age is a matter of mind over matter. If you don’t mind it doesn’t matter.

દરેક ઉંમરને એનું સૌંદર્ય છે. ચહેરાની દરેક રેખા, દરેક કરચલી કે ઉંમરના દરેક સળની પાછળ એક અણકહી વાર્તા છુપાયેલી છે. ઇંગ્રિડ બર્ગ્મેનનું એક સરસ વાક્ય છે જેનો ભાવ એવો છે કે, ઉંમર એ એક પર્વત પરનું ચઢાણ છે. છેક ટોચ પર પહોંચીને પાછું વળી જોઈએ તો દૃશ્ય ખૂબ રળિયામણું લાગે. અબ્રાહમ લિંકને પણ એ જ કહ્યું છે ને કે, It is not years in your life that count. It’s the life in your years.

શારીરિક ઉંમર ભલે વધે, માનસિક ઉંમર વધવા ન દેવી. સફળતાની અને સુખની એ એક જ ચાવી. અમેરિકન એક કવયિત્રી પૅટ્રિસિયા ફ્લેમિન્ગની ઘણી કવિતાઓમાંથી ઉંમરના વર્ણન હોય છે અને તેમાંથી પ્રેરણાત્મક સંદેશાઓ મળે છે. તેમની એક લાંબી કવિતા I’m still hereના થોડા મને ગમતા અંશ સાથે આ લેખનું સમાપન કરું.

My looks are nothing special,
My face reveals my age,
My body shows some wear and tear,
And my energy’s not the same.

Too often my memory fails me,
And I lose things all the time.
One minute I know what I plan to do,
And the next it may just slip my mind.

 I’m still quite aware of the beauty inside,
And my value should not be dismissed.

I’m still here and want so much to live,
And I know that there’s no one in this world quite like me,
And no one who has more to give.

ઉંમરનાં સૌંદર્યની કેવી સરસ વાત!  “I’m still quite aware of the beauty inside,
And my value should not be dismissed.”

ઑક્ટોબર ૨૨, ૨૦૨૪
e.mail : ddhruva1948@yahoo.com

Loading

...102030...50515253...607080...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved