Opinion Magazine
Number of visits: 9844046
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—273

Opinion - Opinion|25 January 2025

દોરાબજી તાતા : કેન્સર થયું પત્નીને, સગવડ કરી સૌની સારવાર માટે      

સમય : ઈ.સ. ૧૯૬૨નો કોઈ એક દિવસ

સ્થળ : ભારતના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની ઓફિસ. 

ડો. હોમી ભાભા અને પંડિત જવાહર લાલ નેહરુ

રાતના દસ વાગવા આવ્યા છે. વિશાલ ટેબલ પાછળ નેહરુ બેઠા છે. ટેબલ લેમ્પના અજવાળામાં કોઈક પુસ્તક વાંચે છે. બારણું ખુલે છે એટલે નજર એ તરફ નાખે છે, થોડા અણગમા સાથે. મનમાં થાય છે કે માંડ થોડું વાંચવાનો ટાઈમ મળ્યો છે ત્યાં અત્યારે કોણ … અંગત સચિવની સાથે ડો. હોમી ભાભા દાખલ થાય છે તેમને જોતાં વેંત નેહરુ ઊભા થઈ શેક હેન્ડ કરે છે અને કહે છે : 

નેહરુ : આવ આવ હોમી! ઘણે દિવસે આવ્યો! 

ભાભા : ખાસ કારણ વગર આપને …

નેહરુ : કેટલી વાર કહ્યું કે ‘આપ’ નહિ કહેવાનું મને. પણ માનતો જ નથી.

ભાભા : સોરી, પ્રાઈમ મિનિસ્ટર સર!

નેહરુ : જવા દે! તું નહિ સુધરે!  

ભાભા : પણ આજે હું સુધારવાની વાત લઈને જ ખાસ મળવા આવ્યો છું.

નેહરુ : શું સુધારવું છે તારે? 

ભાભા : તાતા મેમોરિયલ સેન્ટર.

નેહરુ : એ તો આરોગ્ય ખાતાનો અખત્યાર છે. તારે …

ભાભા : એ જ તો વાત છે. સેન્ટરને આરોગ્ય ખાતામાંથી કાઢીને એટોમિક એનર્જી ખાતાને સોંપવાની જરૂર છે.

(એટલામાં પર્સનલ ફોનની રિંગ વાગે છે. થોડા અણગમા સાથે નેહરુ ફોન ઉપાડે છે. ભાભાને પણ સામેનો અવાજ સંભળાય છે. ‘તમે હજી ઓફિસમાં જ છો! જરા ઘડિયાળ સામું અને તમારી તબિયત સામું તો જુઓ!)

ભાભા : કોણ, ઇન્દુ બેટી છે ને!

નેહરુ : બીજું કોણ મને આ રીતે ધમકાવે?

(ફોનમાં : ઇન્દુ બેટા! આ તારા ભાભા અંકલ મળવા આવ્યા છે. એ મને છૂટો કરે કે તરત આવું છું.)

નેહરુ : હોમી, તારી વાત કંઈ હજમ થતી નથી. એક હોસ્પિટલને એટોમિક એનર્જી ખાતામાં ગોઠવવાની કઈ જરૂર? 

ભાભા : કેન્સરની સારવાર માટે આજે સૌથી વધુ અસરકારક થેરાપીને એટોમિક એનર્જી સાથે સીધો સંબંધ છે. એટલે અમેરિકામાં કેન્સરની સારવાર કરતી ઘણી હોસ્પિટલોને એટોમિક એનર્જી ખાતા નીચે મૂકવામાં આવી છે. જો આપણે પણ …

નેહરુ : બસ. સમજી ગયો તારી વાત. તું આજને નહિ, આવતી કાલને જોનારો છે એટલે તને આવું સૂઝે. એક-બે દિવસમાં સરકારી નોટીફિકેશન બહાર પડી જશે. બીજું કંઈ? 

ભાભા : ના. પણ એટલું યાદ અપાવું કે ઘરે ઇન્દુ રાહ જુએ છે.

નેહરુ : બસ, હું પણ નીકળું જ છું. ગૂડ નાઈટ.

ભાભા : ગૂડ નાઈટ, સર!

*** 

આમ તો તાતાનું બીજું નામ જ સખાવત છે. પણ મુંબઈમાં કેન્સરના દર્દીઓ માટે શરૂ કરેલી હોસ્પિટલની સાથે વ્યક્તિ માટેનો પ્રેમ કઈ રીતે બદલાઈને અનેક રોગીઓ માટેની સહાનુભૂતિ બની જાય એની આંખ જરી ભીની થઈ જાય એવી વાત છે. તાતા ખાનદાનના એક નબીરા દોરાબજી તાતા. એમનાં ધણિયાણી મેહેરબાઈ. ૧૮૭૯ના ઓક્ટોબરની ૧૦મી તારીખે મુંબઈમાં જન્મ. પિતા હોરમસજી ભાભાના કુટુંબમાં ભણતર અને સમભાવની નવાઈ નહિ. દરિયો ઓળંગીને ઈન્ગલેન્ડ જનારા પહેલવહેલાં થોડા પારસીઓમાંના એક હતાં હોરમસજી. મુંબઈ છોડી કુટુંબ ગયું બેંગલોર. એટલે મેહેરબાઈ ત્યાંની બીશપ કોટન સ્કૂલમાં ભણવા લાગ્યાં. ૧૮૮૪માં મેહેરબાઈના પિતા મૈસોરમાં આવેલી મહારાજાની કોલેજના પ્રિન્સીપાલ બન્યા. એટલે કોલેજનો અભ્યાસ મેહેરબાઈ માટે સહેલો બન્યો. અંગ્રેજી અને લેટિનનો ઊંડો અભ્યાસ કર્યો. પછી પપ્પાજીની મસ મોટી લાઈબ્રેરીમાં બેસીને જાતે અનેક વિષયો વિષે વાંચ્યું, જાણ્યું. પિયાનો વગાડવામાં માહેર બન્યાં. ૧૮૯૮ના ફેબ્રુઆરીની ૧૪મી તારીખે મેહેરબાઈ અને જમશેદજી તાતાના બેટા દોરાબજી એક બીજા સાથે અદારાયાં. બંને બાજુ પૈસાની રેલમછેલ. પણ મેહેરબાનુની નજર રહેલી ગરીબ, અભણ, દબાયેલી સ્ત્રીઓ તરફ. અને એટલે જ તેમણે બીજી કેટલીક સ્ત્રી આગેવાનો સાથે મળીને પહેલાં બોમ્બે પ્રેસિડેન્સી વિમેન્સ કાઉન્સિલ શરૂ કરી અને પછી શરૂ કરી ધ નેશનલ કાઉન્સિલ ઓફ વિમેન. 

એ જમાનામાં હિન્દુસ્તાનની લગભગ બધી કોમમાં બાળલગ્નો બહુ સામાન્ય. કેટલાક સમાજ સુધારકોના આગ્રહથી બ્રિટિશ સરકારે ‘બાળલગ્ન પ્રતિબંધક કાયદો’ (સારડા એક્ટ) ઘડવાની શરૂઆત કરી. સમાજના એક વર્ગ તરફથી તેનો વિરોધ થયો. દેશમાં અને બીજા દેશોમાં ફરીને, ભાષણો કરીને, મેહેરબાનુએ આ કાયદાની તરફેણમાં જોરદાર પ્રચાર કર્યો. સ્ત્રીશિક્ષણની હિમાયત, પરદા પ્રથાનો વિરોધ, અને અસ્પૃશ્યતા જેવાં દૂષણોનો પણ તેમણે વિરોધ કર્યો. 

પારસી ઢબે સાડી પહેરીને ટેનિસ રમતાં મેહરબાઈ

મેહરબાઈ ટેનિસ રમવામાં ખૂબ માહેર હતા. તેમણે ઓલિમ્પિક્સ રમતોમાં પણ ટેનિસની હરીફાઈમાં ભાગ લીધો હતો. પણ એ વખતે તેમણે બીજા બધા ખેલાડીની જેમ સફેદ સ્કર્ટ બ્લાઉઝ નહિ પણ સફેદ સાદી પહેરી હતી, અને તે પણ પારસી ઢબે!

બ્રૂકવૂડ, સરે, ઈંગલન્ડ ખાતે આવેલ મેહરબાઈનો મકબરો

પણ કહે છે ને કે ઉપરવાળો એક હાથે કૈંક આપે છે તો બીજે હાથે કૈંક લઈ લે છે. મેહેરબાનુ લુકેમિયા(લોહીનું કેન્સર)ના ભોગ બન્યાં. એ વખતે આપણા દેશમાં આ રોગ માટે નહોતી કોઈ દવા, કે નહોતી કોઈ સારવાર. પણ તાતા ખાનદાનને શાની કમીના? સારવાર માટે મેહેરબાઈને લઈ ગયા ઇન્ગ્લાન્ડના એક ખાસ નર્સિંગ હોમમાં. પણ કોઈ કારી ફાવી નહિ. અને ૧૯૩૧ના જૂનની ૧૮મીએ મેહેરબાનુ ખોદાયજીને પ્યારાં થઈ ગયાં. તેમની અંતિમ વિધિ વખતે દોરાબજી હિન્દુસ્તાનમાં હતા. મેહરબાનુની અંતિમ વિધિ બ્રૂકવૂડ કબ્રસ્તાનમાં કરવામાં આવી. પછીથી ત્યાં સુંદર સ્મારક બનાવ્યું. પણ મેહેરબાનુની યાદ કાયમ રાખવા માટે દેશમાં શું કરવું? દોરાબજીને વિચાર આવ્યો : આપણા પર તો ખોદાયજીની મહેરબાની છે. એટલે સારવાર માટે વિલાયત સુધી મેહરને મોકલી શકાઈ. પણ આ દેશના ઓછા નસીબદાર લોકો આવે વખતે શું કરે? એટલે શરૂ કર્યું લેડી તાતા મેમોરિયલ ટ્રસ્ટ. એનું કામ શું? લુકેમિયા અને એવા બીજા લોહીના દરદો અંગે સંશોધન અને સારવાર. મેહરબાનુ પોતાના વસિયતનામામાં પણ એક ટ્રસ્ટ શરૂ કરવાનું લખી ગયાં હતાં. એ પ્રમાણે દોરાબજીએ શરૂ કર્યું લેડી મેહરબાઈ ડી. તાતા એજ્યુકેશન ટ્રસ્ટ, જેનું કામ હતું દેશમાં અને પરદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે જવા માગતી સ્ત્રીઓને આર્થિક મદદ કરવી.   

મેહરબાઈની છેલ્લી ઘડીઓમાં પોતે સાથે નહોતા તેનો ભારે વસવસો દોરાબજીને હતો. ૧૯૩૨માં નક્કી કર્યું કે ગ્રેટ બ્રિટન જઈને મેહરબાનુની કબરના દીદાર કરવા. ૧૯૩૨ના એપ્રિલની ૧૧મી તારીખે મુંબઈથી જહાજમાં રવાના થયા. પણ મુસાફરી દરમ્યાન જબરો હાર્ટ એટેક આવ્યો અને જર્મનીમાં ૧૯૩૨ના જૂનની ત્રીજી તારીખે બેહસ્તનશીન થયા. મેહરબાનુની વરસીને દહાડે જ દોરાબજીને મેહરબાનુની બાજુમાં જ દફનાવવામાં આવ્યા.  

તાતા મેમોરિયલ હોસ્પિટલ, પરળ, મુંબઈ

દોરાબજી બેહસ્તનશીન થયા પછી થોડો વખત તો લાગ્યું કે લેડી તાતા મેમોરિયલ ટ્રસ્ટનું કામ ખોરંભે પડશે કે શું? પણ દોરાબજીની જગ્યાએ આવેલા નવરોજી સકલાતવાલાના મનમાં આ કામનું મહત્ત્વ વસ્યું અને જે.આર.ડી. તાતાએ પૂરેપૂરો ટેકો આપ્યો. પરિણામે ૧૯૪૧ના ફેબ્રુઆરીની ૨૮મી તારીખે મુંબઈમાં પરળ (પરેલ) ખાતે તાતા મેમોરિયલ હોસ્પિટલના સાત માળના મકાનનું ઉદ્ઘાટન થયું. 

છેલ્લે, મેહરબાઈ અને દોરાબજીની કેટલીક વાત. ૧૮૯૭માં બંનેના લગ્ન થયાં ત્યારે દોરાબજીની ઉંમર ૩૮ વરસ, અને મેહરબાઈની ઉંમર ૧૮ વરસ! લગ્નની ભેટમાં સોરાબજીએ મેહરબાઈને ૨૪૫.૩૫ કેરેટનો હીરો મઢાવીને આપેલો. (આજે એક કેરેટના હીરાનો ભાવ ૭૫ હજારથી દોઢ લાખ રૂપિયા જેટલો થાય છે.) એ વખતે આ હીરો આખી દુનિયાના સૌથી મોટા હીરામાં બીજે નંબરે હતો. વાર-તહેવારે કે સારા પ્રસંગે મેહરબાઈ એ પહેરતાં ત્યારે માત્ર એમનો ચહેરો જ નહિ, આખા તાતા ખાનદાનનું નામ રોશન થઈ જતું. પણ ૧૯૨૪માં તાતા ખાનદાનને માથે અણધારી આફત આવી પડી. તાતા સ્ટીલના મજૂરોને પગાર ચૂકવવાના પૈસા પણ નહિ. વરસોથી જેની સાથે સંબંધ હતો તે બેન્કે પણ લોન આપવાની ના કહી દીધી. દોરાબજી અને આર.ડી. તાતા સાથે બેસીને જરૂરી પૈસા કઈ રીતે ઊભા કરવા એની ચર્ચા કરતા હતા. દોરાબજીએ કહ્યું કે મારી એક કરોડની મૂડી હું આપી દઈશ, અને કંપનીને બચાવી લઈશ. પણ એટલેથી કામ સરે તેમ નહોતું. હજુ વધુ પૈસાની જરૂર હતી. બંને જણ વાત કરતા હતા ત્યાં કંઈ કામસર મહેરબાઈ ત્યાં આવ્યાં. મામલો શું છે એ સમજી ગયાં. તરત પોતાના ઓરડામાં ગયાં. એકાદ મિનિટમાં પાછાં આવ્યાં અને પેલો ૨૪૫.૩૫ કેરેટનો હીરો દોરાબજીના હાથમાં મૂકીને કહે : ‘આ ગીરવે મૂકીને પૈસા લઈ લો અને આપણી કંપનીને બચાવી લો. 

તાતા ખાનદાનની સખાવતની આવી બીજી થોડી વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 25 જાન્યુઆરી 2025 

Loading

રેંટિયો 

કાશીનાથ ત્રિવેદી|Gandhiana|25 January 2025

−૧−

સાબરમતી આશ્રમની વાત છે. સન 1929-30નો એ જમાનો હતો બાપુએ આશ્રમનું નામ બદલી નાખ્યુ હતું સાબરમતીનો ‘સત્યાગ્રહ આશ્રમ’ હવે ‘ઉદ્યોગ- આશ્રમ’ કહેવાતો હતો. આશ્રમની પ્રાર્થનાભૂમિમાં સત્યાગ્રહ આશ્રમને સીમિત કરી દેવામાં આવ્યો હતો. પ્રાર્થનાભૂમિ સિવાય બાકીનો આખો આશ્રમ ઉદ્યોગ આશ્રમ માનવામાં આવતો હતો.

આશ્રમનું બધું વાતાવરણ ઉદ્યોગમય હતું. વહેલી સવારે ચાર વાગ્યાથી માંડીને રાતના નવ વાગ્યા સુધી આશ્રમ મધમાખીના મધપૂડાની માફક ભિન્ન ભિન્ન પ્રકારના ઉદ્યોગોથી ગુંજ્યા કરતો હતો. કોઈ આશ્રમવાસી એવો ન હતો જે પોતાના કામમાં આળસ કરતો હોય અથવા તો નકામી વાતોમા સમય ગાળતો હોય.

દરેક આશ્રમવાસીને સવારથી રાત સુધીના પોતાના કામની નોંધ રાખવી પડતી હતી, અને મિનિટે મિનિટનો હિસાબ આપવો ૫ડતો હતો. બાપુ પોતે આ બાબતમાં બહુ જ જાગ્રત રહેતા હતા અને ઘણુંખરું આશ્રમના પોતાના બધા સાથીદારોની ડાયરીઓ પોતે જ તપાસતા હતા. નાના મોટા બધા જ આશ્રમવાસીઓ જાગ્રતભાવથી પોતપોતાનાં કામમાં લાગ્યા રહેતાં હતા એની પાછળ એ પણ એક કારણ હતું.

આશ્રમના ઉદ્યોગોમાં ઝાડુ કાઢવું, પાયખાનાની સફાઈ કરવી, ઘંટીથી દળવું વગેરેથી માંડીને ૨સોઈ કરવી તથા વાસણ માંજવા સુધીના કેટલા ય નાના મોટા ઉદ્યોગો ચાલ્યા કરતા હતા. આ બધા ઉદ્યોગોનો રાજા હતો રેંટિયો. રેંટિયાની આસપાસ નાના મોટા બધા ઉદ્યોગો ગૂંથી લેવામાં આવ્યા હતા. દરેક આશ્રમવાસીને રોજ કાંતવુ પડતું હતું. દરેકે ઓછામા ઓછા ૧૬૦ તાર તો રોજ કાંતવા જોઈએ એવો નિયમ હતો. નાનાં બાળકો અને બીમાર માણસો સિવાય કોઈ બીજા માટે અપવાદ ન હતો.

બાપુનું પોતાનું જીવન તો રેંટિયામય બની ગયું હતું. રેંટિયો એ એમના જીવનનું એક સજીવ અંગ હતું. તેઓ તેને ભૂલી શકતા ન હતા. તેની ઉપેક્ષા કરવી એ તેમને માટે અશક્ય હતું. તેઓ રેંટિયાને ભારતની કામધેનુ કહેતા હતા. રેંટિયાની મદદથી તેમણે દેશને સ્વતંત્ર કરવાનું બીડું ઝડપ્યું હતું. રેંટિયાને તેમણે દેશના દરિદ્રનારાયણોનો મોટો આધાર માન્યો હતો. રેંટિયો તેમને માટે દેશની સ્વતંત્રતા, સ્વાવલંબન અને સ્વાભિમાનનું જીવતું-જાગતું પ્રતીક હતો. તેઓ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન, જો મને આ દુનિયામાંથી કોઈ દિવસ ઉપાડી લે તો એવા સમયે ઉપાડી લેજે કે જ્યારે મારા એક હાથમાં રેંટિયાનો હાથો હોય અને બીજા હાથથી પૂણીમાંથી સૂતર કાઢી રહ્યો હોઉં! રેંટિયો બાપુને માટે આટલો મહાન બની ગયો હતો! એટલા જ માટે બાપુએ પોતાના જન્મ દિવસને રેંટિયાનો જન્મદિવસ બનાવી દીધો હતો. એ જ કારણથી આખો દેશ ભાદરવા વદ ૧૨ને દિવસે રેંટિયાજયંતી ઉજવવા લાગ્યો અને રેંટિયા બારસનો દિવસ દેશને માટે એક પર્વનો દિવસ બની ગયો.

એ દિવસોમાં બાપુ સ્વ. મગનલાલભાઈ ગાંધીના ઘરમાં દિવસનો બધો વખત ગાળતા હતા. મગનલાલભાઈના મૃત્યુ પછી તેમની પત્ની અને બાળકોને આશ્વાસન આપવા માટે બાપુએ આ નવો નિર્ણય કર્યો હતો.  તેઓ ત્યાં જ આખો દિવસ રહેતા, લખતા, વાંચતા, કામ કરતા, લોકોને મળતા, રેંટિયો કાંતતા અને આરામ કરતા હતા.

24 જાન્યુઆરી 2025

•

−૨−

એક દિવસની વાત છે. પોતાના નિયમ પ્રમાણે બાપુએ તે દિવસે રેંટિયા ઉપર સૂતર કાંતી લીધું હતું. તેઓ સૂતરના ફાળકા ઉપર તાર ઉતારી રહ્યા હતા. એટલામાં તેમને કોઈ જરૂરી કામ અંગે બહાર જવાનું થયું. જતી વખતે તેમણે તેમના તે વખતના મંત્રી સુબૈયાને સૂતર ઉતારી લેવાનું અને તાર ગણી પ્રાર્થનાના વખત પહેલાં તેમને જણાવી દેવાનું કહ્યું. સુબૈયાએ “હા” કહી અને બાપુ ગયા.

એ પછી લોકોએ ભોજન કર્યું. પછી બધા સાંજે ફરવા નીકળ્યા. બાપુજી આશ્રમનાં બાળકો અને મોટેરાઓ સાથે રોજની જેમ ફરવા નીકળી પડ્યા. તે પછી પ્રાર્થનાનો ઘંટ વાગ્યો. અને બધા પ્રાર્થનાભૂમિ તરફ આવવા લાગ્યાં. બાપુ પણ ઝડપથી બાળકો સાથે હસતા ખેલતા પ્રાર્થનાના સમય પહેલાં પ્રાર્થનાની જગાએ આવી પહોંચ્યા.

પ્રાર્થના પહેલાં બધાં આશ્રમવાસીઓની હાજરી લેવાનો નિયમ હતો. અને દરેક આશ્રમવાસી પોતાની હાજરીની સૂચના આપતાં “ૐ” કહેતો અને સાથે સાથે તે તે દિવસના પોતે કાંતેલા સૂતરના તારની સંખ્યા પણ બતાવતો.

આશ્રમવાસીઓના હાજરીપત્રકમાં પહેલું નામ બાપુનું હતું. એ દિવસે પ્રાર્થના પહેલાં બાપુનું નામ બોલવામાં આવ્યું ત્યારે તેઓ “ૐ” બોલ્યા અને સૂતરના તારની સંખ્યાને માટે પોતાના મંત્રી સુબૈયાની તરફ જોયું. સુબૈયા ચૂપ હતા. બાપુ પણ ચૂપ રહી ગયા.

હાજરી પૂરી થતા જ પ્રાર્થના શરૂ થઈ. શાંત, પ્રસન્ન, ગંભીર અને સંગીતના સુંદર, સુરીલા વાતાવરણમાં પ્રાર્થના પૂરી થઈ. પ્રાર્થના પછી બાપુ હરરોજ આશ્રમવાસીઓ સાથે કંઈક વાતચીત કરતા. એ વાતચીત કોઈ કોઈ વાર કોઈ પ્રસંગ ઉપર પ્રવચનના રૂપમાં થતી, કોઈ વાર ચર્ચાના રૂપમાં અને કોઈ વખતે સૂચના-સલાહ અથવા આદેશના રૂપમાં થતી. આજે એ વાતચીતે પ્રવચનનું રૂપ લીધું. બાપુ બહુ જ ગંભીરતાપૂર્વક બોલ્યા. સત્યાગ્રહ આશ્રમનો એ અનન્ય સાધક આજે ઊંડી વેદનાથી બોલતો હતો. પ્રાર્થનાભૂમિ ઉપર બેઠાં બેઠાં બાપુએ પોતાનું મનોમંથન કર્યું. તેમને લાગ્યું કે આજે તેમણે ગંભીર ભૂલ કરી છે. તેઓ કર્તવ્યથી પદચ્યુત થયા છે. જેટલી હદે તેમણે એક મોટી ભૂલ કરી છે તેટલી હદ સુધી સત્યની સાધનાનો તેમનો આગ્રહ શિથિલ થયો છે. તેમનું મન વ્યાકુળ થઈ ગયું. તેઓ દુઃખ સાથે આ પ્રમાણે કંઈક બોલ્યા :

“મેં આજે જ સુબૈયાને કહ્યું હતું કે સૂતર ઉતારી લેજો અને મને તારની સંખ્યા જણાવી દેજો. એ  વખતે હું એક મોહમાં ફસાઈ ગયો. મેં વિચાર કર્યો કે સુબૈયા મારું કામ કરી લેશે. પરંતુ આ મારી મોટી ભૂલ હતી. મારે મારું કામ જાતે જ કરવું જોઈતું હતું. સૂતર હું કાંતી રહ્યો હતો. તેને ફાળકા પર ઉતારવાનું કહી હું કામ માટે બહાર ચાલ્યો ગયો. જે કામ મારે પહેલું કરવાનું હતું તે મેં ન કર્યું. ભાઈ સુબૈયાનો તેમાં કંઈ દોષ નથી. દોષ મારો છે. મેં શા માટે મારું કામ તેમના ઉપર છોડ્યું ? મારાથી આ પ્રમાદ શા માટે થયો? સત્યના સાધકે આવા પ્રમાદથી બચવું જોઈએ. તેણે પોતાનું કામ કોઈ બીજાના ઉપર છોડવું જોઈએ નહીં. આજની આ ભૂલથી હું બહુ સારો પાઠ શીખ્યો છું. હવેથી હું એવી ભૂલ કદાપિ ન કરીશ.”

બાપુ બોલી રહ્યા હતા. તેમનો એક એક શબ્દ હૃદયના ઊંડાણમાંથી વ્યથા સાથે નીકળતો હતો. શ્રોતાઓ સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા હતા. સૌ અંતર્મુખ બન્યા ને ઊંડા વિચારમાં ગરકાવ બની પ્રાર્થનાભૂમિમાંથી વિદાય થયાં.

આવા આપણા બાપુ હતા. બીજાની ભૂલને પોતાની ઉપર ઢોળી લઈ તેને માટે નાના મોટા સૌની સમક્ષ ખુલ્લા દિલે પશ્ચાત્તાપ કરનાર બાપુ હતા! બીજાની ઢાલ બનવા માટે પોતાની જાતને મિટાવી શકનારા બાપુ હતા. અને તેથી જ આપણી વચ્ચે બાપુ અજોડ હતા અને તેમની વાતો પણ અનોખી હતી.

25 જાન્યુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક 221 તેમ જ 222

Loading

જન ગણ મન અધિનાયક….ભારતીય ગણતંત્રના પંચોતેર વર્ષે 

નેહા શાહ|Opinion - Opinion|24 January 2025

નેહા શાહ

થોડા સમય પહેલા એક વીડિયો જોયો હતો, જેમાં એક પત્રકાર કોલેજના વિદ્યાર્થી યુવક – યુવતીઓને ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ વચ્ચેનો ફરક પૂછી રહ્યા હતા. ખૂબ આશ્ચર્ય વચ્ચે મોટા ભાગનાણ યુવાનોને આ અંગે કોઈ સ્પષ્ટતા ના હતી! એમને બે તારીખ ખબર હતી જ્યારે એમને રજા મળે છે પણ બંનેનું આગવું મહત્ત્વ શું છે એ સમજવાની જરૂર એમને કદાચ ન લાગી. ભારત આઝાદ થયો એ વાત સમજવી સરળ છે પણ ભારતે પોતાનું આગવું બંધારણ અપનાવી લોકતાંત્રિક ગણતંત્ર જાહેર કર્યું એનો મતલબ ઘણાને નથી સમજાતો.  લોકતંત્ર અને ગણતંત્ર બંને શબ્દો એકબીજાના પર્યાય લાગે પણ બંનેની વિભાવનામાં થોડો ફરક છે. બંને પદ્ધતિમાં પ્રતિનિધિને ચૂંટવાની રાજકીય સત્તા લોકોના હાથમાં હોય, પણ બંનેમાં પ્રતિનિધિઓના નિર્ણય લેવા માટે જરૂરી દાયરાની સમજ અલગ છે. ગ્રીક પરંપરામાંથી આવેલ ‘લોકતંત્ર’માં ચૂંટાયેલા પ્રતિનિધિ બહુમતી અભિપ્રાય પ્રમાણે નિર્ણય લે, જ્યારે રોમન પરંપરામાંથી જન્મેલી ગણતંત્ર પ્રથામાં પ્રતિનિધિ આડકતરી રીતે ચૂંટાયેલા હોઈ શકે જે દેશના બંધારણને આધીન નિર્ણય લે. ભારતના બંધારણ પ્રમાણે આપણે લોકતાંત્રિક ગણતંત્ર હોવાનું સ્વીકાર્યું છે.  

આ ૨૬ જાન્યુઆરીએ જ્યારે સ્વતંત્ર ભારતને ગણતંત્ર જાહેર કર્યાં ને પંચોતેર વર્ષ પૂરાં થઇ રહ્યાં છે, ત્યારે, પ્રસંગે, આપણું લોકતંત્ર – ગણતંત્ર ક્યાં પહોંચ્યું એનું સરવૈયું કરવું પ્રાસંગિક છે. લોકોના, લોકો દ્વારા અને લોકો માટે ગોઠવાયેલ રાજતંત્ર સાચા અર્થમાં કેટલા અને કયા લોકો માટે લોકતાંત્રિક બન્યો છે એ સવાલ પૂછવો જરૂરી છે. ૧૯૪૭માં ૨૦૦ વર્ષની ગુલામી પછી સ્વતંત્ર થયેલા, 30 લાખ ચોરસ કીલોમીટરથી વધુ ભૌગોલિક વિસ્તાર ધરાવતા, ૩૫ કરોડથી વધુ વસ્તી ધરાવતા, દેશ માટે લોકતંત્ર અપનાવવું અઘરું હતું. આપણે એ પડકાર ઉપાડ્યો અને ૭૫ વર્ષ સુધી લોકતંત્ર ફૂલ્યું ફાલ્યું. તેમ છતાં બંધારણમાં જે ગણતંત્રની જે વિભાવના છે તેના હાર્દ સુધી પહોંચવાથી આપણે જોજનો દૂર છીએ. એક રીતે જોઈએ તો ભારતમાં નાગરિકની  ભૂમિકા ચૂંટણીમાં મત આપવા પૂરતી મર્યાદિત રહી ગઈ છે. કહેવા માટે તો ભારતનાં નાગરિકો ચૂંટણીમાં મત આપી પોતાના પ્રતિનિધિ ચૂંટે છે. વાસ્તવિકતા એ છે કે ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી લોક પ્રતિનિધિઓના અભિગમમાં આસમાન જમીનનો ફરક હોય છે. ધન અને બળનું જોર ચૂંટણીનાં પરિણામ નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય ત્યારે ચૂંટાયેલ નેતા લોક હિતમાં નિર્ણય લેશે કે કેમ એ વિષે શંકા જ રહે. જો લોકોના હિતમાં બંધારણ આધારિત નિર્ણય લેવાતા હોત તો આર્થિક અસમાનતા આટલી વધી ના હોત. કુદરતી સંસાધનો પર લોકોનું નિયંત્રણ રહ્યું હોત. શિક્ષણના અધિકારને માન્યતા આપતી વખતે સૌને ગુણવત્તા સભર સમાન શિક્ષણ મળે એ વાત પર ભાર મુકાયો હોત, જેથી શિક્ષણની પ્રક્રિયા અસમાનતામાં વધારો ના કરે. આજે સામાન્ય લોકોને ખાતરી છે કે દેશના વિકાસનાં ફળ એમના સુધી પહોંચતા તો પેઢીઓની પેઢી નીકળી જશે, ત્યારે ચૂંટણી ટાણે રોકડ રકમ સ્વીકારી મત આપવામાં ખચકાતા નથી. કારણ કે લોકતાંત્રિક પ્રક્રિયાનો એટલો જ ફાયદો એમના સુધી પહોંચ્યો છે. આ વાત દરેક રાજકીય પક્ષ પણ સારી રીતે સમજી ગયા છે, એટલે જેમ હરિયાણા, મહારાષ્ટ્ર કે પછી આવનાર દિલ્હીની ચૂંટણીમાં દેખાઈ રહ્યું છે એમ દરેક  પક્ષ વચ્ચે મતદાતાને રીઝવવા બેથી ત્રણ હજાર રૂપિયા આપવાની જાણે હોડ લાગી છે! જેની અસર ચૂંટણીનાં પરિણામ પર દેખાતી હોવાનું વિશ્લેષકો માને છે. આ વાસ્તવિકતાને કારણે સવાલ થાય છે કે દરેક ચૂંટણીમાં ભારતીય નાગરિક મત તો આપે છે એટલે આપણે લોકતંત્ર તો છીએ. પણ શું લોકોના હાથમાં સાચી સત્તા છે? અને શું આ લોકતંત્ર બંધારણનાં આદર્શ એવા સમાનતા સિદ્ધાંત આધારે ચાલી રહ્યું છે?

ગણતંત્રનાં પંચોતેર વર્ષે એ પણ હકીકત છે કે મહિલાઓ માટે સલામતી ઊભી થઇ શકી નથી, જે કોઈ પણ વ્યક્તિના નાગરિકી અધિકારનો પાયો ગણાય. બળાત્કાર અને હત્યાની અવારનવાર બનતી ઘટનાથી આપણે એટલા તો ટેવાઈ ગયા છીએ કે કલકત્તાનો તાલીમી ડોકટરના બળાત્કારનો કેસ જજને રેરેસ્ટ ઓફ ધ રેર ન લાગ્યો. અહી મૃત્યુદંડની યોગ્યતા /અયોગ્યતા પર દલીલ કરવાનો ઈરાદો નથી. એ ચર્ચા અલગથી થઇ શકે. પણ, પોતાનું કામ કરી રહેલી તાલીમી ડોક્ટરને હોસ્પિટલ જેવી જગ્યાએ મળવી જોઈતી યોગ્ય સુરક્ષિત સુવિધા ઊભી કરવા જેવી જરૂરિયાતનો અહેસાસ કરવા માટે જઘન્ય બળાત્કારની રાહ જોવી પડે એ મહિલાઓના નાગરિક તરીકેના દરજ્જા માટેની સરકાર અને સમાજની ગંભીરતા પર પ્રશ્ન ઊભા કરે છે.  

સરકારનો વિરોધ કરવાના અધિકારનો ઉપયોગ લોકો કરી શકે છે એટલું લોકતંત્ર – ગણતંત્ર ધબકતું છે. ખેડૂતોનું આંદોલન, સી.એ.એ. – એન.આર.સીના વિરોધમાં થયેલું આંદોલન, કોલકતામાં થયેલી બળાત્કારની ઘટના બાદ સડકો પર આવી ગયેલા લોકો એટલું આશ્વાસન આપે છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ વિરુદ્ધ અભિપ્રાય રજૂ કરવાની સાંકડી બારી હજુ ખુલ્લી છે. અલબત્ત, સરકાર તમને દેશદ્રોહી જાહેર કરે, વર્ષો સુધી કેસ ચલાવ્યા વિના તમને જેલમાં પૂરી રાખી શકે, પોલીસ તમારી વાત સાંભળવાને બદલે લાઠી મારી શકે કે પછી ગોળીબાર પણ કરી શકે, એ જોખમ જરૂર છે. તમારી સામાજિક ઓળખાણ પ્રમાણે આ જોખમમાં વધારો ઘટાડો થઇ શકે. 

ટૂંકમાં, આપણે સાચા અર્થમાં લોકતંત્ર ત્યારે બનીશું જ્યારે સરકાર કોઈ પણ અપવાદ વિના દરેક નાગરિકના હકનો આદર કરતી હશે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...463464465466...470480490...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved