Opinion Magazine
Number of visits: 9664940
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું ઢોંગી સાધુઓ જ્યાં જાય ત્યાં અંધકાર ફેલાવતા નથી?

રમેશ સવાણી|Opinion - Opinion|25 December 2024

શૈક્ષણિક સામયિકમાં ‘સાધુ’ના ગોળગોળ વખાણ કરવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગેરમાર્ગે દોરાય છે. લોકાભિમુખ નઈ તાલીમની કેળવણી દ્વારા સંતુલિત વિકાસ સાધવા પ્રયત્નશીલ સંસ્થા – ગ્રામદક્ષિણામૂર્તિ ટ્રસ્ટ, આંબલા દ્વારા ‘કોડિયું’ સામયિક પ્રસિદ્ધ થાય છે. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ / મનુભાઈ પંચોળી આદ્યતંત્રી રહ્યા હતા. હાલ તંત્રી ડો. અરુણ દવે છે અને સહતંત્રી ડો. દિનુ ચુડાસમા છે. 

15 ડિસેમ્બર 2024ના અંકમાં પેજ – 10/11 પર મોરારિબાપુનો લેખ છે : ‘સાધુ જ્યાં જાય ત્યાં અજવાળું લઈને જાય છે !’ આ લેખ સહતંત્રીએ સંકલિત કરીને મૂક્યો છે. 

આ લેખના મુખ્ય મુદ્દાઓ : 

[1] સાધુઓનો મહિમા આટલો બધો કેમ? કારણ છે પરહિત વૃત્તિ. સર્વોત્તમ કૃપા એ છે કે જ્યારે કોઈ સાધુ / સંત મળી જાય. 

[2] સજ્જન એ છે જે જાગી ગયો છે. સાધુ એ છે જે ઊઠી ગયો છે. સંત એ છે જે પરમાત્મા પાસે પહોંચી ગયો છે. 

[3] જે સાધુ થઈ જાય, તેનું અંતઃકરણ પરનિંદા, પરધન, પરદારને, પરવાદથી મુક્ત થઈ વિશુદ્ધ થઈ જાય. 

[4] સાધુ કોઈ વ્યક્તિનો અનાદર સહી લે છે ત્યારે એ પરમાત્મા તરફ ગતિ કરે છે. સાધુને કોઈ પાપી જ દેખાતું નથી. 

[5] સાધુ-સંત સહાનુભૂતિ જ નહીં, સમાનાભૂતિ કરે છે. તમને જ્યારે પીડા થાય ત્યારે સાધુને પણ પીડા થાય. આપણને દુઃખ આપણા માટે થાય છે, સાધુને દુઃખ બીજા માટે થાય છે. માલિક નહીં, માળી તે સાધુ. 

[6] સંસારિક વસ્તુઓનું મળવું એ પ્રારબ્ધનો ખેલ છે. પણ સંતનું મળવું એ બડભાગ છે. 

[7] સાધુનું જીવન સાદું, સારું, સાચું અને સૌની સામું હોય છે. જેના આચાર, વિચાર, ઉચ્ચાર સાચા હોય તે સાધુ. 

[8] સાધુનો સમાજ ગુરુના કોઠામાંથી પાકેલો વર્ણ, જાતિ, જ્ઞાતિથી મુક્ત સમાજ છે. 

[9] ઉદાસ માણસ પરમાત્માને ગમતો નથી. ધર્મગુરુ ઉદાસ હોય તો પરમાત્માને ગમતું નથી. હે સમાજ, સાધુને સાધન ન બનાવો સાધુ સમાજનું સાધ્ય છે. સાધુને જે દિવસે સાધન બનાવવામાં આવે તે દિવસે સંસ્કૃતિ પોક મૂકે છે. સાધુનો કોઈ ધર્મ નથી હોતો, સાધુ સ્વયં ધર્મ છે.”

મુદ્દા વાઈઝ વિશ્લેષણ જોઈએ : 

[1] ગુજરાતમાં એક એવો સાધુ બતાવો કે જે પરહિત વૃત્તિ ધરાવતો હોય. દરેક સાધુ / સ્વામિ / સંતે ભવ્ય આશ્રમો ઊભા કર્યા છે. લક્ઝરી કારમાં ફરે છે. સત્તાપક્ષને 5-5 કરોડની લાંચ આપે છે. સાધુઓ / સ્વામિઓ સેક્સઘેલાં બન્યા છે. અખબારોનાં પાનાં / ટી.વી.ના પડદે આવું જોવા મળે છે. પરહિત વૃત્તિ નહીં માત્ર સ્વહિત જોવા મળે છે. 

[2] ‘સંત એ છે જે પરમાત્મા પાસે પહોંચી ગયો છે’ આમ કહેવાનો અર્થ શો? શું કહેવાતા સાધુ / સંતોએ જ સત્તા ભોગવવા સંપ્રદાયો ઊભા કરેલ નથી? માણસને સાંપ્રદાયિક બનાવ્યો નથી?  

[3] સાધુઓ પરનિંદા, પરધન, પરદારને, પરવાદથી મુક્ત થઈ જતા હોય તો સુપ્રીમ કોર્ટ સુધી કેમ ઝઘડે છે? 

[4] ‘સાધુને કોઈ પાપી જ દેખાતું નથી’ આ સદ્દગુણ છે કે દુર્ગુણ? યૌન શોષણ કરનારા / અન્યાય કરનારા / ગુંડા / ભ્રષ્ટાચારીને પાપી ગણવાના હોય કે સજ્જન? 

[5] ‘આપણને દુઃખ આપણા માટે થાય છે, સાધુને દુઃખ બીજા માટે થાય છે.’ ગુજરાતમાં સામૂહિક આત્મહત્યાની ઘટનાઓ બને છે / બાળકીઓ પર રેપ થાય છે / ગરીબો-મધ્યમ વર્ગ મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે. હત્યારાઓને-બળાત્કારીઓને સરકાર જેલમુક્ત કરે છે; આ સ્થિતિમાં ગુજરાતના કોઈ સાધુએ મોં ખોલ્યું છે ખરું? કોઈ સાધુ / સ્વામિ / મુનિ / સંત / કથાકારોને દુ:ખ થયું છે? 

[6] ‘સંસારિક વસ્તુઓનું મળવું એ પ્રારબ્ધનો ખેલ છે’ આવી અંધશ્રદ્ધા શૈક્ષણિક સામયિકોમાં પીરસી શકાય? એ પણ સહતંત્રી ખુદ આવું પીરસે? 

[7] ‘સાધુનું જીવન સાદું, સારું, સાચું અને સૌની સામું હોય છે. જેના આચાર, વિચાર, ઉચ્ચાર સાચા હોય તે સાધુ’ આવો ઉપદેશ આપનાર મોરારિબાપુ ખુદ પોતાની તરફ નજર કરતા નહીં હોય? શું મોરારિબાપુએ સાદાઇ દાખવી છે? ભવ્ય કથા મંડપ કેમ? લક્ઝરી કાર લઈને ભિક્ષા માંગી શકાય? શું પ્લેનમાં કથા કરવાથી તુલસીદાસ તથા રામ રાજી થાય? 

[8] ગુજરાતનો એક સાધુ બતાવો જે વર્ણ, જાતિ, જ્ઞાતિથી મુક્ત હોય? શું સાધુઓના કારણે જ સમાજમાં વર્ણ, જાતિ, જ્ઞાતિ ટકેલાં નથી? 

[9] ‘ધર્મગુરુ ઉદાસ હોય તો પરમાત્માને ગમતું નથી’ શું આ અંધશ્રદ્ધા નથી? કોણે પરમાત્માને જોયો છે? પરમાત્મા વતી વાત કરનારા ઢોંગી હોય છે. કેટલાક સંતો પ્રગટ બ્રહ્મસ્વરુપનો ઢોંગ કરતા નથી? માની લઈએ કે સાધુને પરમાત્મા સાથે ડાયરેક્ટ કનેક્શન છે, તો સમાજમાં આટલો અનાચાર / લૂંટ / ઠગાઈ / વિશ્વાસઘાત / યૌન શોષણ / ભ્રષ્ટાચાર કેમ? ગરીબો / વંચિતો સાથે ભેદભાવ કેમ? સમાજમાં આટલી નફરત / ધૃણા કેમ? શાસકો આટલાં નકટાં / નફ્ફટ કેમ? શું ઢોંગી સાધુઓ જ્યાં જાય ત્યાં અંધકાર ફેલાવતા નથી?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

તાજમહાલ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Opinion|25 December 2024

કનુભાઈ અને રમાબહેનને લગ્ન જીવનને, દામ્પત્ય જીવનને પચાસ વર્ષ પૂરાં થઈ રહ્યાં હતાં. રમાબહેને કહ્યું, “સાંભળો છો ?” “હા, બોલ. તારે શું વાત કરવી છે ?” “મારી ઈચ્છા છે કે આપણા લગ્નજીવનને પચાસ વર્ષ પૂરાં થાય છે, એ દિવસને આપણે પ્રેમના પ્રતીક એવા તાજમહાલની સાનિધ્યમાં ઉજવીએ તો?” “તારો વિચાર સારો છે. દુનિયા આખીમાં તાજમહાલ એ શાહજહાં અને મુમતાઝ બેગમના પ્રેમનું પ્રતીક સ્મારક ગણાય છે. આપણે ચોક્કસ ત્યાં જવાનો પ્રોગ્રામ કરીએ.” અને આગ્રામાં સારી હોટલ `હેવન`માં બુકીંગ પણ કરાવી નાખ્યું.

કનુભાઈ અને રમાબહેન આગલા દિવસે આગ્રા પહોચી ગયાં. જોગનુંજોગ તેમની બાજુની રૂમમાં એક તાજું પરણીત યંગ કપલ આવ્યું હતું. કનુભાઈ અને રમાબહેન રૂમની બાલ્કનીમાં બેઠાં બેઠાં આગ્રાનો નઝારો માણતાં માણતાં વિતેલા જીવનની ખાટી મીઠી વાતો વાગોળી રહ્યા હતાં, પણ બાજુની રૂમની બાલ્કનીમાં બેઠેલું કપલ પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હતું. રમાબહેને આ જોઈને કહ્યું, “આ મોબાઇલે જીવનની ઘણી મહત્ત્વની ક્ષણો છીનવી લીધી છે. આટલાં સરસ વાતાવરણને એન્જોય કરવાના સમયે મોબાઈલમાં સમય પસાર કરે છે.” આ વાત સાંભળી કપલ રૂમમાં ચાલ્યું ગયું. “તારે એવી વાત નહોતી કરવી જોઈતી, એ લોકોને ખરાબ લાગ્યું હશે.” “પણ, મેં ક્યાં કંઈ ખોટું કહ્યું છે.” “તારી વાત સાચી છે પણ સૌને જીવન જીવવાના તરીકા અલગ હોય છે. એ પ્રમાણે જીવન જીવતા હોય છે.”

બીજે દિવસે તાજમહાલના પરિસરમાં ફરતાં ફરતાં એ જ બાજુના રૂમવાળાં કપલનો ભેટો થઈ ગયો. રમાબહેને કહ્યું, “મને માફ કરજો. મારો ઈરાદો તમારા દિલને ઠેસ પહોંચાડવાનો નહોતો.” “ના, આંટી અમને કંઈ દુઃખ નથી થયું. આમે ય આ અમારી પતિ, પત્ની તરીકેની છેલ્લી મુલાકાત છે.” “એવું કેમ, બેટા? તમારા લગ્નેને કંઈ બહુ ઝાઝો સમય થયો લાગતો નથી. અમે તો અમારી પચાસમી લગ્નજીવનની વર્ષગાંઠ આ પ્રેમના પ્રતીક એવા તાજમહાલના સાનિધ્યમાં ઉજવવા આવ્યાં છીએ.”

“અંકલ, આંટી તમારા લગ્ન જીવનને પચાસ વર્ષ પૂરાં થયાં? માન્યમાં ન આવે એવી વાત છે.”

“પણ, બેટા આ નક્કર હકીકત છે અને અમે પુરાવા રૂપે તારી સામે છીએ. તમારે આટલા ટૂંકા સમયમાં શું થયું કે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે?” “અંકલ, હું ને રાખી પાંચ વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યાં. અમારો વિચારો મળતા બે વર્ષ પહેલાં લગ્ન કરી લીધાં. પણ, હવે એવું લાગે છે અમે લગ્ન કરવામાં ઉતાવળ કરી નાખી છે. અમારા વિચારો નથી મળતા એટલે અમે હવે સાથે રહી શકીએ એમ નથી, એવું લાગતા છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.”

“મને એક વાતનો જવાબ આપીશ. તમે બંને રિલેશનશીપમાં હતા, ત્યાં સુધી વિચારો મળતા હતા, એટલે તમે લગ્ન કર્યા. પણ, પછી લગ્નજીવનની જવાબદારી, સામાજિક જવાબદારી ઊભી થતાં, તમારા વિચારો મળતા બંધ થઈ ગયા. હકીકતમાં તમારી વચ્ચે પ્રેમનું નહીં પણ શારીરિક આકર્ષણ હતું. તેનો ઉન્માદ ઉતરી જતા તમે એક બીજાથી વિમુખ થઈ ગયાં અને બંધનમાંથી છૂટવા માટે વિચારોના મતભેદનું બહાનું આપી દીધું. મારી વાત સાચી છે ને? નિરાંતે, બંને એકલા બેસીને વિચારી જો જો …”

“તને આશ્ચય થાય છે ને? અમારા પચાસ વર્ષના માથેરાન લગ્નજીવન માટે. પણ, અત્યારે તમારા સમયમાં છે એવું અમારા સમયમાં નહોતું. તમે પ્રથમ પાંચ વર્ષ રિલેશનશીપમાં રહ્યા અને પછીના બે વર્ષ સાથે રહ્યાં, તો પણ, એક બીજાને ન સમજી શક્યાં, કારણ કે તમારા જીવનમાં મુખ્ય પ્રેમતત્ત્વ જ ગાયબ છે. તમારી વચ્ચે પ્રેમ જેવું કંઈ હતું જ નહીં. જ્યારે અમે તો લગ્નની પ્રથમ રાત્રીએ મળ્યા … તે બરાબર .. સાંભળ્યું છે .. અને એક-બીજાને સમર્પિત થઈ આ પચાસવર્ષના ઘેઘુર વડલા જેવું દામ્પત્યજીવનનું વૃક્ષ ઊભું કર્યું છે. અમે ક્યારે ય વિચારો નથી મળતા કે હવે અમે સાથે નહીં રહી શકીએ, એ બાબતે વિચાર્યું જ નથી … અને આ … જ … અમારા લાંબા લગ્ન જીવનનું રહસ્ય છે.”

“તમારી બીજી એક વાત ન સમજાણી. તમે છૂટાછેડા લેવાનું નક્કી કર્યા પછી પણ છેલ્લી મુલાકાત આ પ્રેમના પ્રતીક એવા તાજમહાલના સાનિધ્યમાં ગોઠવી એટલે મને તો એમ લાગે છે, કે તમારા હૃદયમાં એક ખૂણે પ્રેમનું બીજ પડેલું છે, તેને તમે આવા વાહિયાત બહાનાનું પાણી પાઈને અંકુરિત નથી થવા દીધું … વિચારી જો .. જો … એક બીજાનાં ગુણો શોધી તેનો ગુણાકાર કરજો અને દોષો મળે તો ભાગાકાર કરજો. પ્રેમનું બીજ ચોક્કસ અંકુરિત થશે.”

સવારમાં કનુભાઈના રૂમનો ડોરબેલ વાગ્યો. કનુભાઈ અને રમાબહેન તો પાછા ફરવાની તૈયારી કરીને બેઠાં હતાં. કનુભાઈએ બારણું ખોલ્યું, સામે રાખી અને ઉદય ઊભા હતા. “આવો, અંદર આવો.” “શું! અંકલ પાછા ઘરે જવાની તૈયારી કરી લીધી?” “હા, બેટા, અમારું લક્ષ પૂરું થયું. પચાસમાં લગ્ન દિવસની ઉજવણી આ અમારી વચ્ચે છે એવા પ્રેમના પ્રતીક પાસે કરવી હતી એ અમારી ઈચ્છા પૂરી થઈ ગઈ, એટલે આજે પાછાં જઈએ છીએ.” “તમે ક્યાં જાવ છો?”

અંકલ, કાલે તમારી સાથે વાત થયા પછી મેં અને રાખીએ તમારી વાત ઉપર ચર્ચા કરી, વિચાર વિમર્શ કર્યો અને એક બીજાના મતભેદ અને વિચારો નહીં મળવાનાં કારણો શોધ્યાં, તો અંકલ, અમને ક્યાં ય છૂટાછેડા લેવાનું કારણ જ ન મળ્યું. હકીકતમાં એમ લાગ્યું કે અમારો છૂટાછેડા લેવાનો નિર્ણય ઉતાવળિયો છે.”

“બસ, બેટા, આવું જ મોટા ભાગના છૂટાછેડાના કેસમાં બને છે અને પછી ઈગો આડે આવે અને પરિસ્થિતિ બગડીને હાથમાંથી નીકળી જાય છે”.

“તો, પછી તમે ક્યાં નિષ્કર્ષ ઉપર આવ્યા?”

“આ પ્રેમના પ્રતીક તાજમહાલની સાક્ષીએ છૂટાછેડા નહીં લેવાનું નક્કી કર્યું છે અને આજે તમારે રોકાઈ જવાનું છે. અમે એક નાનકડી પાર્ટી, અંકલ, આંટી, રાખી અને હું-ની હાજરીમાં રાખી છે. આપણે ચાર જણાં તાજમહાલને રાતની રોશનીમાં નિહાળતા નિહાળતા એન્જોય કરીશુ”….

“ચોક્કસ, બેટા, અમે આવીશું. રમા આજનો જવાનો પ્રોગ્રામ કેન્સલ.” અને રૂમ આઠ હાથની તાળીઓના ગગડાટથી ગુંજી ઊઠ્યો….

ભાવનગર, ગુજરાત.
e.mail : Nkt7848@gmail.com

Loading

વાજપેયી : કવિહૃદયના આસામી અને ધીટ રાજકારણી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 December 2024

આજે ભારતરત્ન પંડિત અટલબિહારી નેહરુની 100મી જન્મજયંતી છે. એવું નથી કે કશીક ટાંકચૂકથી અહીં વાજપેયીને બદલે નેહરુનું નામ લીધું છે. માત્ર, સન બયાલીસના ‘હિંદ છોડો’ વારાથી એ (ભલે ત્યારે ખાસ કોઈ નોંધપાત્ર કામગીરી વગર પણ) જાહેર જીવન ભણી ખેંચાયા ત્યારે હિંદુત્વ સ્કૂલના કંઈક સંપર્કપૂર્વકનાં અને એસ.એફ.આઈ. – સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે પણ સંપર્કપૂર્વકનાં એમ મીલીજૂલી તાસીરનાં એ પ્રારંભિક વર્ષો હતાં.

પ્રકાશ ન. શાહ

જો કે, એ અઢળક ઢળિયા તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભણી. પણ જેમ આ છેડાનો તેમ પેલી મેરનોયે રાષ્ટ્રીય સંસ્કાર એમને આજીવન પ્રસંગોપાત ખેંચતો, પજવતો, મૂંઝવતો ને સંસ્કારતો રહ્યો. એટલે સ્તો પેલાં રામજન્મભૂમિ આંદોલનનાં એક વીરનાયિકા શાં સાધ્વી ઋતંભરાને વાજપેયી માટે હોઠે ચડેલી ઓળખ જરી તુચ્છકારની રાહે ‘આધા કાઁગ્રેસી’ એવી રહી હતી.

આ લખું છું ત્યારે મને કુલદીપ નાયર સાથેની વાજપેયીની એક મર્મોક્તિ સાંભરે છે. 1990-92ના ગાળામાં સંઘ પરિવારી એક બડું રાવણું અયોધ્યામાં મળ્યું ત્યારે વાજપેયી બીજે ક્યાંક હતા. કુલદીપ નાયરે એમને પૂછ્યું : ‘તમે અહીં ?’ વાજપેયીએ કહ્યું, ‘રામભક્તો ત્યાં છે, અને દેશભક્તો અહીં!’ લાલકૃષ્ણ અડવાણીએ ‘માય કન્ટ્રી, માય લાઈફ’ એ આત્મકથામાં સંભાર્યું છે કે અયોધ્યા આંદોલન વખતે મારી ને વાજપેયી વચ્ચે મતભેદ હતો, પણ એ ઉદારમતિ ઉર્ફે લિબરલ અને હું ઉગ્રમતિ ઉર્ફે હાર્ડલાઈનર એવા કોઈ જાથુકી મતભેદ ઘણીખરી બાબતોમાં નહોતા. અલબત્ત, અમારે અંગેની આ જાહેર છાપના બેઉ છેડા ઝોકફેરે મળીને ભા.જ.પ.ની અપીલને સર્વવર્ગી બનાવવા સારુ ઉપયોગિતાની રીતે ઠીકઠાક છે. વિનય સીતાપતિએ ભારતીય રાજકારણની આ દમદાર જોડી વિશે ‘જુગલબંદી’ પુસ્તકમાં અચ્છી નુક્તેચીની કીધી છે.

અહીં વાજપેયીની કહેવાતી (કેમ કે એના સ્રોત અંગે હું ચોક્કસ નથી) એક મજબૂત ઉક્તિ સહજભાવે સંભારી લઉં કે કારસેવકો યાદ રાખે કે તેઓ અયોધ્યા જઈ રહ્યા છે, નહીં કે લંકા! આ આંદોલન સંદર્ભે સર્વોદયી સાથીઓએ શાંતિમય ધરણાનું આયોજન કર્યું ત્યારે એમના પર હુમલો કરી એમને ખદેડી મૂકવામાં આવ્યા હતા. ગાંધીજીનાં પુત્રવધૂ નિર્મળા ગાંધીએ ત્યારે વાજપેયી વગેરેને પત્ર લખીને કહ્યું હતું કે ભિન્નમતને ધોરણે આવી હિંસક પ્રતિક્રિયા બરાબર નથી. નારાયણ દેસાઈ પાસે આ લખનારે સાંભળ્યું છે કે વાજપેયીએ નિર્મળાબહેનને લખ્યું હતું કે એમ કરનારા અમારા જ મિત્રો હશે એમાં શંકા નથી, લેકિન સબ મેં આપકે સ્વર્ગીય શ્વસુર કી તરહ ઈતના નૈતિક સાહસ કહાં કિ આંદોલન કો વિડ્રો કર સકે : (દેખીતી રીતે જ તેઓ ચૌરીચોરાની ઘટના વખતે ગાંધીજીએ આંદોલન પાછું ખેંચેલું એ બીનાનો કદરભેર ઉલ્લેખ કરવા માગતા હતા.)

બે કવિનું મિલન

ગમે તેમ પણ, કોઈ મોટા કવિ નહીં તો પણ સહૃદય હોઈ શકતા કહો કે કવિહૃદયના આસામી વાજપેયી ખસૂસ હતા. એમના નેતૃત્વમાં, પ્રસંગે ઋજુતા જરૂર પ્રગટ થતી રહી. પાકિસ્તાન ગયા ત્યારે ઘરઆંગણાની પ્રતિક્રિયા તેમ યજમાન મુલકના પ્રોટોકોલની પરવા વિના એ ક્રાંતિકારી કવિ ફૈઝને મળવા દોડી ગયા હતા. 1999માં એમણે યોજેલી દિલ્હી-લાહોર બસયાત્રા એક રીતે આઉટ ઓફ બોક્સ ડિપ્લોમસીનો શાયરાના અંદાજ હતો. લાહોરનું એમનું ઉર્દૂ-હિંદુસ્તાની ઝાંયનું ભાષણ, ભાગલા પછી નેહરુની પહેલી લાહોર મુલાકાતના બરનું હતું.

વડા પ્રધાન નવાઝ શરીફ અનુકૂળ હોઈ શકતા હતા, પણ લશ્કરી વડા મુશર્રફે ખેલ બગાડ્યો એ ઇતિહાસવસ્તુ છે. એમનું નિર્ણાયક કદમ તો ‘મિનારે પાકિસ્તાન’ની સત્તાવાર મુલાકાતનું હતું. જે સ્થળે 1940માં પાકિસ્તાનની માગણીનો અધિકૃત ઉદ્દઘોષ થયો હતો ત્યાં જવું સારા પાડોશી તરીકે માનવતાની સહૃદય અપીલ અને કવિહૃદયનો ધક્કો એમને એ માટે ખેંચી ગયો હશે જે અંગે દિલ્હીનાં રાજદ્વારી વર્તુળો દ્વિધાવિભક્ત હશે, અને નાગપુરના આકાઓ આકરા ટીકાકાર. મુદ્દે, 1999માં 1977-78ની મોરારજી સરકારના વિદેશ મંત્રી તરીકે એમની ભૂમિકાનું આ અનુસંધાન હતું. ‘અખંડ ભારત’વાદી જનસંઘ ગોત્રના તમને અહીં આવવું કેવું લાગે છે એવા પ્રશ્નના ઉત્તરમાં પાકિસ્તાની પત્રકારોને એમણે કહ્યું હતું કે હું એ ઇતિહાસબોજ ભૂલી જવાની કોશિશમાં છું. તમે પણ એવી કોશિશ કરો. 

બોજ અને બોધ વચ્ચેની આ કશ્મકશ એક કવિહૃદય ને ધીટ રાજકારણી વચ્ચેની હતી. બાકી, એ જ અરસામાં નવી દિલ્હીના ગાંધી પીસ ફાઉન્ડેશનના સમારોહમાં એકરારના અંદાજમાં એ કહી ચૂક્યા હતા કે જુવાનીના તોરમાં ને ગુસ્સામાં વિભાજન ને ગાંધીહત્યાના કાળખંડમાં અમે જે બોલતા ને લખતા તે હવે પ્યારેલાલાલ કૃત ‘લાસ્ટ ફેઝ’ના વાચન પછી હું કહેવા ન ઇચ્છું.

ગુજરાત 2002 વખતે રાજધર્મના પાલનની સાફ વાત કર્યા પછી એ રાજીનામું લઈ શક્યા નહીં. બોજ અને બોધ વચ્ચેની કશ્મકશને શાસનના અંતિમ ચરણમાં ઇતિહાસની મૂઠ વાગી ગઈ તે વાગી ગઈ. એમના અનુગામી ગણ ને ચાહકોની ખિદમતમાં – આત્મનિરીક્ષણ સાથે આગળ જવા વાસ્તે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 25 ડિસેમ્બર 2024

Loading

...102030...446447448449...460470480...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved