Opinion Magazine
Number of visits: 9664844
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મનિરપેક્ષતા વિદેશી ખ્યાલ છે ?

અશ્વિનકુમાર ન. કારીઆ|Opinion - Opinion|21 January 2025

અશ્વિનકુમાર કારિયા

કેટલાક લોકો એમ માને છે કે ભારતના બંધારણના આમુખમાં ૪૨મા સુધારાથી ઉમેરાયેલ ‘ધર્મ નિરપેક્ષતા’ શબ્દ બાદ જ ભારત ધર્મનિરપેક્ષ (Secular) બનેલ છે. આ માન્યતા નિરાધાર છે. પરંતુ તેના પહેલાં ધર્મ-નિરપેક્ષતાનો ઇતિહાસ જાણીએ.

તામિલનાડુના રાજ્યપાલે એવું નિવેદન કરેલ હોવાનું કહેવાય છે કે ધર્મનિરપેક્ષતાનો ખ્યાલ વિદેશી છે અને તે બહારથી આયાત કરેલ હોવાથી ભારત માટે નકામો છે. તેમની એ વાત સાચી છે કે આ ખ્યાલ વિદેશી છે. પરંતુ માત્ર વિદેશી ખ્યાલ હોવાના કારણથી તે નકામો બનતો હોવાની વાત તર્કસંગત નથી. એમ તો આપણે અનેક વિદેશી વસ્તુઓ રોજ વાપરતા હોઈએ છીએ અને તે આજે પણ ઘણી ઉપયોગી છે. જેમ કે, વીજળીની શોધ, શીતળાની રસીની શોધ, અને યંત્રોની શોધ વિદેશોમાં થયેલી છે. પરંતુ આ બધી ચીજો માત્ર વિદેશી હોવાથી આપણે તેને નકામી ગણતા નથી. બંધારણસભામાં રાષ્ટ્રને ધર્મનિરપેક્ષ રાખવા બાબતે વિશદ્દ ચર્ચાઓ થઈ હતી અને ત્યારબાદ જ ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય ગણાયું છે. આપણી સંસદીય રાજ્ય પ્રકૃતિ તેમ જ ન્યાય- વ્યવસ્થા પણ વિદેશી છે.

ધર્મનિરપેક્ષતા શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ જેકોબ હોલિયોકે ૧૮૫૧માં કરેલ હતો. તે પૂર્વે ૧૪મી સદીમાં રેનેસા(પુનર્જાગરણ)નો આવિર્ભાવ થયો. આ પ્રક્રિયા ઘણી લાંબી ચાલી. ધર્મસુધારણા, પ્રબોધન યુગ (Age of enlightnment) તેમ જ વિજ્ઞાનનો વિકાસ થવા પામ્યો. ૧૪મીથી ૧૯મી સદી સુધી પાંચસો વર્ષના ગાળામાં પશ્ચિમની દુનિયાને નવા રંગો લાધ્યા. ધર્મની પકડમાંથી મુક્ત થવાની કોશિશ સફળ રહી. ૧૪મી સદીના યુગને અંધકાર યુગ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તે સમયે ચર્ચનું રાજ્ય હતું અને ખ્રિસ્તી ધર્મનું લોકો પર જબરદસ્ત પ્રભુત્વ હતું. આ અંધકાર ધીરે ધીરે દૂર થવા લાગ્યો.

કોપરનિકસ નામના વિજ્ઞાનીએ પ્રથમ વાર જાહેર કર્યું કે સૂર્ય પૃથ્વી આસપાસ ફરતો હોવાની બાઇબલની વાત સાચી નથી. ખ્રિસ્તી ધર્મગુરુઓને કોપરનિકસની આ શોધથી આંચકો લાગ્યો. તેમણે કોપરનિકસની પ્રતાડના કરી. કોપરનિકસે વ્યવહારુ બની માફી માગી લીધી. ૧૭મી સદીમાં ન્યૂટને ગુરુત્વાકર્ષણ નિયમની શોધ કરી. ખ્રિસ્તી ધર્માચાર્યોએ ફરી આંચકો અનુભવ્યો. આ જ ગાળામાં ગેલેલિયોએ ટેલિસ્કોપની શોધ કરી અને જાહેર કર્યું કે સૂર્ય પૃથ્વીની આસપાસ ચક્કર લગાવતો હોવાની બાઇબલની વાત અસત્ય છે. ૧૬મી સદીમાં ઈટાલીના મેકોઈવલી અને ૧૭મી સદીમાં જ્હોન લૉકેએ ઈશ્વરી કાનૂનના બદલે રાજ્ય રચિત કાનૂનની જરૂરિયાત પર ભાર મૂક્યો.

૧૮મી સદીમાં ડેવિડ હ્યુમ તથા કાન્ટ નામના દાર્શનિકોએ સંશયવાદનો ખ્યાલ વિકસાવ્યો. તેમના મત મુજબ વૈજ્ઞાનિક પુરાવા વગર કોઈ મતનો સ્વીકાર થવો જોઈએ નહીં. ૧૯મી સદીમાં ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતથી હડકંપ મચી ગયો. ડાર્વિને જાહેર કર્યું કે વિશ્વની રચનામાં ઈશ્વરનો કોઈ હાથ નથી. ૧૯મી સદીમાં ઓગસ્ટે માનવવાદ(humanism)નો ખ્યાલ રજૂ કર્યો. કાર્લ માર્કસે ધર્મનો સખત વિરોધ કરી ધર્મને અફીણ સાથે સરખાવ્યું.

ધર્મનિરપેક્ષતાનો ખ્યાલ

૧. રાજ્યે ધર્મની બાબતમાં તટસ્થ રહેવું જોઈએ

રાજ્યે ધર્મ તરફ ઉપેક્ષા કે ઉદાસીનતા દાખવવી જોઈએ. એટલે કે રાજ્યે ધર્મની બાબતમાં તટસ્થ રહેવું જોઈએ. ધર્મ દરેક વ્યક્તિનો અંગત મામલો છે. રાજ્યે ધર્મની બાબતમાં કોઈ દખલ કરવી જોઈએ નહીં. તે જ રીતે, રાજ્ય શાસનમાં ધર્મની કોઈ દખલગીરી હોવી જોઈએ નહીં. રાજ્ય અને ધર્મ વચ્ચે સ્પષ્ટ વિભાજન હોવું જોઈએ. ફ્રાંસે છેક ૧૯૦૫માં રાજ્ય અને ધર્મ વચ્ચે ભેદરેખા દોરતો કાનૂન ઘડેલ છે. ૨૦૦૫માં તેને ૧૦૦ વર્ષ પૂરાં થયાના નિમિત્તે મોટાપાયે ઉજવણી કરી હતી. ભારતના બંધારણ અનુચ્છેદ ૨૫મા દરેક વ્યક્તિને ધર્મ સ્વાતંત્ર્ય અધિકાર પ્રદાન કરાયેલ છે. ૧૯૭૬માં ૪૨મા બંધારણીય સુધારાથી આમુખમાં ‘ધર્મનિરપેક્ષતા’ શબ્દ દાખલ કરાયા પૂર્વે શરૂઆતથી જ આ અધિકાર દરેક વ્યક્તિને અપાયેલ છે. ધર્મનિરપેક્ષ રાજ્યમાં રાજ્યને પોતાનો કોઈ ધર્મ હોતો નથી.

૨. ઈહલોકમાં વિશ્વાસ

Secularism શબ્દનો અર્થ થાય છે “લૌકિક અથવા દુન્યવી વ્યવહારો.” (worldly affairs). ધર્મ સામાન્ય રીતે મૃત્યુ પછીના સમયમાં આત્માના કલ્યાણની વાત કરે છે. ધર્મ વર્તમાન જગતને મોહમાયા કહે છે અને તેનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે. ટૂંકમાં, ધર્મ વર્તમાન જગતની નહીં. પરંતુ પરલોકની વાત કરે છે. રાજ્ય ઈહલોક(વર્તમાન જગત)માં વસતા માનવોનાં સુખ, કલ્યાણ અને પ્રગતિની ચિંતા કરે છે. રાજ્યને પરલોકમાં વિશ્વાસ નથી કે તેની ચિંતા નથી. રાજ્ય ઈહલોક સુધારવા પ્રતિબદ્ધ હોય છે.

૩. વિજ્ઞાનમાં વિશ્વાસ

ધર્મનિરપેક્ષ રાજ્યને દૈવી ચમત્કારોમાં નહીં, પરંતુ વિજ્ઞાનમાં વિશ્વાસ હોય છે. ૧૪મી સદી સુધી પશ્ચિમ દેશોના નાગરિકો દૈવી ચમત્કારોમાં વિશ્વાસ ધરાવતા હતા. પરંતુ રેનેસા, ધર્મ સુધારણા, પ્રબોધન યુગ તેમ જ વિજ્ઞાનના વિકાસ સાથે રાજ્યને હવે દૈવી ચમત્કારોમાં વિશ્વાસ રહ્યો નથી. માનવપ્રગતિ અર્થે રાજ્યને વિજ્ઞાનમાં વિશ્વાસ છે. ધર્મનિરપેક્ષ રાજ્ય માને છે કે પ્રજાના વહીવટી, આરોગ્ય, પર્યાવરણ કે પરિવહનની સમસ્યાઓ વિજ્ઞાનની મદદથી જ ઉકેલી શકાય. ચોમાસામાં ઉત્તરાંચલ કે હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન કે અતિશય ઠંડીમાં બરફનાં કારણે રસ્તામાં અવરોધો સર્જાય છે. આવા સમયે બે હાથ જોડી પ્રાર્થના કરી બેસી રહેવાથી કાંઈ વળતું નથી. મહાકાય યંત્રો(વિજ્ઞાન)ની મદદથી જ રસ્તા પરના અવરોધો હટાવી શકાય છે. જંગલમાં દવ લાગે છે ત્યારે હેલિકોપ્ટરની મદદથી પાણીના છંટકાવથી આગ બુઝાવી શકાય છે. એડવર્ડ જેનરે રસીની કરેલ શોધથી શીતળાનો રોગ દુનિયાભરમાંથી નાબૂદ કરી શકાયો છે.

૪. ધર્મનિરપેક્ષ નીતિમત્તા

ધર્મનિષ્ઠ કે ધર્મનું આચરણ કરનાર વ્યક્તિ સદ્ગુણી, પરોપકારી કે સંસ્કારી હોવાની વ્યાપક માન્યતા સમાજમાં પ્રવર્તે છે. પોતાનાં બાળકોને સદ્ગુણી બનાવવાના હેતુથી કેટલાંક માતા-પિતા શિક્ષણ અર્થે તેમને ધાર્મિક સ્થાનોમાં મોકલે છે. જ્યારે સામા પક્ષે ધર્મનું પાલન ન કરનાર (નાસ્તિક) વ્યક્તિ અસંસ્કારી, લાગણીશૂન્ય, અવિવેકી અને અનૈતિક ગણાય છે. વાસ્તવમાં આ બેમાંથી એક પણ માન્યતા આધારભૂત નથી. કારણ કે સાધુઓ, આશારામ અને રામ-રહીમનાં કુકર્મો સૌની નજર સામે છે. ધાર્મિક વ્યક્તિ સંસ્કારી અથવા અસંસ્કારી હોઈ શકે તે જ રીતે નાસ્તિક વ્યક્તિ સદ્ગુણી અથવા અનૈતિક હોઈ શકે.

ભારતમાં જવાહરલાલ, એમ.એન.મરોય, પેરીઆર, જસ્ટીસ તારકુંડે, શ્યામ માનવ, ડૉ. નરેન્દ્ર દાભોલકર નિરીશ્વરવાદી હોવા છતાં ઉચ્ચ દાર્શનિકો તરીકે ખ્યાતિ ધરાવે છે. તેમાંના કેટલાકે જેલવાસ ભોગવ્યો છે. પરંતુ તે કોઈ અવગુણતાના કારણે નહીં, પરંતુ સ્વાતંત્ર્ય-સંગ્રામમાં ભાગ લેવા બદલ જેલમાં ગયા હતા.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જાન્યુઆરી 2025; પૃ. 18 તેમ જ 19

Loading

વૈશ્વિક પર્યાવરણ પરિષદની જળ-વાયુ પરિવર્તન પરની અસરકારકતા

નેહા શાહ|Opinion - Opinion|21 January 2025

નેહા શાહ

૨૦૨૩માં વિશ્વભરમાં કુદરતી હોનારતોના ૩૯૮ કિસ્સા બન્યા. કરોડો લોકો રોજિંદા જીવનમાં જળ-વાયુમાં અતિશય ઝડપથી થઈ રહેલા પરિવર્તનની અસર ભોગવી રહ્યા છે. ક્યાંક તાપમાન માણસની શરીરરચના ખમી શકે એનાથી ઘણું ઊંચું જાય છે. ક્યાંક સમુદ્રની સપાટી ઊંચી આવી રહી છે, જેને કારણે સ્થળાંતરની ફરજ પડી રહી છે. ક્યાંક વંટોળ-વાવાઝોડાને કારણે જીવન બેહાલ છે તો ક્યાંક ચોમાસામાં વરસેલા બેશુમાર વરસાદે તબાહી મચાવી છે. પૃથ્વીનું તાપમાન સામાન્ય કરતાં ૧.૩ ડિગ્રી સેન્ટીગ્રેડ વધી ચૂક્યું છે. ૨૦૨૪માં તો ૧.૫ ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ ઊંચું નોંધાયું છે, જે સાથે ૨૦૨૪નું વર્ષ માનવ ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ બની ચૂક્યું છે. જળ-વાયુ પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ)નો પ્રશ્ન ઘણો ગંભીર છે એ નાના બાળકને પણ હવે સમજાય છે.

આર્થિક ગણતરી માંડી તો દર વર્ષે કુદરતી હોનારતોના પરિણામે થતું આર્થિક નુક્સાન ઉત્તરોત્તર વધી રહ્યું છે. ૨૦૨૨માં ૩૫૫ બિલિયન ડોલર અને ૨૦૨૩માં ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન વિશ્વને થઈ ચૂક્યું છે. જેની સામે વીમાનું વળતર માત્ર ૧૧૮ બિલિયન ડોલરનું જ મળ્યું ! બાકીનું નુકસાન અસરગ્રસ્ત લોકોએ જાતે ભોગવવાનું ! ૨૦૨૪ના આંકડા મળવા હજુ બાકી છે. જો આ સાથે જમીનની ઘટેલી ફળદ્રુપતા, પાણીનાં ઊંડાં ગયેલાં તળ, માંદગીને કારણે ઘટતા કામના કલાકો જેવાં પરિબળોને ધ્યાનમાં લઈએ તો આવનારાં વર્ષોમાં અપેક્ષિત નુકસાનનું સ્તર ઘણું ઊંચું જાય. અહીં, સામાજિક અને ભાવનાત્મક સ્તરે થતાં નુકસાનની ગણતરી તો માંડી જ નથી.

હાલમાં વાત એટલા માટે પ્રસ્તુત છે કેમ કે, અઝરબાઈજાનના બાકુ શહેરમાં યોજાયેલી ૨૯મી આંતરરાષ્ટ્રીય પર્યાવરણ પરિષદ તાજેતરમાં જ એટલે કે ૨૨ નવેમ્બરે સમાપ્ત થઈ. COP-29 (કોન્ફરન્સ ઓફ પાર્ટીસ -૨૯) જે પર્યાવરણ પરિષદ તરીકે જાણીતી છે એ પર્યાવરણ અંગે વિશ્વનું સૌથી મહત્ત્વનું મંચ છે. ૧૯૯૦માં IPCC જળ-વાયુ પરિવર્તન માટે બનેલી બહુરાષ્ટ્રીય સમિતિનો પહેલો રિપોર્ટ આવ્યો. જેના તારણના આધારે ગ્રીન હાઉસ ગેસ – જે વાયુ તત્ત્વો પર્યાવરણને ખતરો ઊભો કરી રહ્યાં છે – એના પર તાત્કાલિક ધોરણે નિયંત્રણ લાવવાની જરૂર જણાઈ. ૧૯૯૨માં બહુપક્ષીય સમજૂતી થઈ, જેના આધારે બધા સભ્ય દેશોએ પોતાના દેશમાં જળ-વાયુ પરિવર્તનને ખતરનાક કક્ષાએ પહોંચતા અટકાવવાના પ્રયત્નો કરવા અંગે સહમતી થઈ. ત્યારબાદ ૧૯૯૪થી બધા સભ્ય દેશ વર્ષમાં એક વાર મળે છે અને જળ-વાયુ પરિવર્તનને નિયંત્રણમાં રાખવા અંગે મહત્ત્વના નિર્ણય લેવાતા હોય છે. જળ-વાયુ પરિવર્તન અંગેના ૨૯ વર્ષના સભાન પ્રયત્નો છતાં યે પ્રદૂષણ સતત વધતું જ રહ્યું છે, સાથે સાથે માનવજીવન પરનું સંકટ પણ વધતું જ રહ્યું છે એ તે કેવી વિડંબના !

સૌ કોઈ સહમત છે કે જળ-વાયુ પ્રદૂષણનો પ્રશ્ન ગંભીર છે. દક્ષિણ ગોળાર્ધમાં વધુ ગંભીર અસર જોવા મળી રહી છે એ વાતમાં પણ કોઈ વિવાદ નથી. સૌ કોઈએ સાથે મળીને કામ કરવું પડશે એ એક સામાન્ય તારણ છે. પણ એનો અમલ કઈ રીતે કરવો ? કોણ કેટલું પ્રદૂષણ ઓછું કરશે ? ક્યાં સુધી ઓછું કરશે ? પ્રદૂષણમુક્ત નવી ટેકનોલોજીના ઉપયોગના પ્રચાર-પ્રસાર માટે કેવાં પગલાં લેવાશે ? આ માટે વિકસિત દેશો વિકાસશીલ દેશોને કેટલી મદદ કરશે ? જરૂરી ખર્ચનો બોજ કોણ કેવી રીતે ઉપાડશે ? આ પ્રશ્ન પર મડાગાંઠ થાય છે. વિશ્વ અનેક હિસ્સામાં વહેંચાઈ જાય છે. વિકસિત દેશો વિરુદ્ધ વિકાસશીલ દેશો, ઉત્તર ગોળાર્ધ વિરુદ્ધ દક્ષિણ ગોળાર્ધ, મૂડીવાદી દેશો વિરુદ્ધ સામ્યવાદી દેશો, નાના દેશો વિરુદ્ધ મોટા દેશો વગેરે.

પર્યાવરણ પરિષદના અલગ અલગ તબક્કે સભ્ય દેશો પ્રદૂષણ ઘટાડવાના લક્ષ્ય અંગે વાયદા કરે છે. વિકસિત દેશો માટે આ વાયદા નિભાવવા સહેલા છે. કારણ કે તેમની પાસે નવી ટેકનોલોજી તેમજ નવી ટેકનોલોજીનાં સંશોધન માટે નાણાં પણ છે. આ ઉપરાંત પ્રદૂષણ ઘટાડવા માટે તેઓ ઉત્પાદન અને વપરાશ ઘટાડવા પર ધ્યાન આપવાને બદલે ઉત્પાદનનું સ્થળ અન્ય ગરીબ દેશની ભૂમિ પર કરાવી એને આયાત કરવાનો રસ્તો તેઓ અપનાવતા રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકા જેવા અગ્રણી દેશ પર્યાવરણના પ્રશ્ને કેટલી ગંભીરતા દાખવશે એ વિષે શંકા ઊઠી રહી છે કારણ કે, આ અંગે એમની ઉદાસીનતા તેઓ પ્રગટપણે વ્યક્ત કરી ચૂક્યા છે. વળી, છેલ્લાં બે વર્ષથી એવા દેશ પરિષદના યજમાન બને છે જેમના અર્થતંત્રનો મુખ્ય આધાર જ પેટ્રોલની નિકાસ છે. તેથી પેટ્રોલના વિકલ્પ પર તેઓ કેટલું ધ્યાન આપશે એ અંગે શંકા ઊભી થાય છે.

ભારત અવારનવાર વિકાસશીલ દેશોના પક્ષે બોલતું રહે છે. આ વર્ષે પણ ભારત તરફથી ચાર મુદ્દા પર ભાર મૂકવાની રજૂઆત થઈ. એક, પ્રદૂષણમુક્ત ટેકનોલોજી વિકસાવવાની ગતિ વધારવી તેમ જ એ ટેકનોલોજી બધાને સહેલાઈથી મળી શકે એ વ્યવસ્થા ઊભી કરવી. બે, પર્યાવરણના પ્રશ્નને જરૂરી નાણાંની જોગવાઈ તાત્કાલિક ધોરણે ગોઠવાય. ત્રણ, વિશ્વનો દરેક દેશ એકબીજાનો સહયોગ કરે અને ચાર, પરસ્પર વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય.

જ્યારે વિષમતામાં વહેંચાયેલા દેશોનાં હિત સમાન નથી રહ્યાં ત્યારે પરિષદ દ્વારા પર્યાવરણના પ્રશ્નનો હલ લાવવાનું કામ અઘરું થઈ રહ્યું છે.

(પ્રગટ : epaper.gujaratmitra)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જાન્યુઆરી 2025; પૃ. 11

Loading

ઓમ શાંતિ

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|21 January 2025

હું, હરીશ, સોનુ તથા મોનુ – એમ અમારું નાનકડું કુટુંબ. આડોશી-પાડોશી કે સગાં-વહાલાં સૌ કોઈ મારા ભાગ્યની ઈર્ષા કરતા. સખીઓ તો અંદર અંદર ગુસપુસ પણ કરતી, “આ નીલી ખરી નસીબદાર છે હં! ગોરમાને પાંચ નહીં પણ દસ આંગળીએ પૂજ્યાં હોય ત્યારે આવો વર મળે.”

“સાચી વાત છે. હરીશભાઈને તો બધી રસોઈ બનાવતાં આવડે, ને મારા વરને એક ગેસ પેટાવતાં ય નથી આવડતું.”

વાત પણ સાચી હતી. કોઈ વાર તબિયત સારી ન હોય કે, બહુ થાકી હોંઉ તો હરીશ કહે, “નીલી, તું આરામ કર. હું હમણાં શાક ને પરાઠા બનાવી કાઢું છું.”

મારે જિંદગી પ્રત્યે ફરિયાદ કરવા જેવું કશું નહોતું, પણ હમણાં હમણાં કોણ જાણે કેમ, હું ચીડકણી થતી જતી હતી. કોઈ મારી આડું ઊતર્યું નથી ને મને બરાડા પાડવાનું બહાનું મળ્યું નથી એવી મારી પ્રકૃતિ થતી જતી હતી. હરીશનો સ્વભાવ અત્યંત શાંત. એ તો એનું જમા પાસું ગણાય પણ મને એમાં પણ એનો વાંક દેખાતો.

“છે તારા પપ્પાને કંઈ ચિંતા? માસ્તર મારે ય નહીં ને ભણાવે ય નહીં. બધા સાથે હસી હસીને વાત કરે, પછી ભૂંડા મારે જ થવાનું ને?”

આવા વખતે હરીશ ભલે સ્મિત કરીને જતું કરે પણ નાનો સોનુ મને છોડે એમ નહોતો. “મમ્મી, પપ્પા તારે માટે, આ ઘર માટે શું નથી કરતા? ને સાંભળ, એ નથી બોલતાને, એ તારે માટે જ સારું છે, નહીંતર રોજ ઊઠીને આપણા ઘરમાં મહાભારત સર્જાત!”

મોનુ એના પપ્પા પર ગયો હતો. હું મોટે મોટે બોલીને ઘરનું વાતાવરણ તંગ બનાવું એ એને જરા ય પસંદ નહીં એટલે એ કહેતો, “જવા દે ને સોનુ, તું શા માટે વચ્ચે બોલે છે?”

મારા વર્તનથી ખૂબ દુ:ખી થાય ત્યારે હરીશ રૂમ બંધ કરીને એકાદ પુસ્તક લઈને બેસી જતા. મારા ધૂંધવાટનો કોઈ પ્રત્યુત્તર ન મળતાં હું વળી વધુ ભડકતી. એવું પણ નહોતું કે, મને મારી ભૂલ દેખાતી નહોતી. એકલી પડું ત્યારે વિચારતી કે, નાની સરખી વાતમાં હું આખું ઘર માથે લઉં છું અને મારો મૂડ ઠેકાણે ન હોય ત્યારે દિવસો સુધી મૌનવ્રત ધારણ કરું છું. એની બધાનાં મન પર કેટલી અસર થાય છે! મારે આમ ન કરવું જોઈએ, પણ ઘણી વખત પરિસ્થિતિ મારા કાબૂ બહાર જતી રહેતી. એક વખત કોઈ સાવ નાની બાબતમાં હું હરીશ પર છેડાઈ પડેલી અને ઉશ્કેરાઈને બોલી ગયેલી,

“નક્કામી જ તમને પરણીને આ ઘરમાં આવી! પચીસ પચીસ વર્ષોમાં આ ઘરે મને શું આપ્યું?”

મારી વાત સાંભળીને હરીશ અત્યંત આઘાત પામ્યા. એમનો ચહેરો કાળોધબ્બ થઈ ગયો. આ વાત સાંભળી રહેલો સોનુ બોલી ઊઠ્યો, “મમ્મી, પહેલાં નક્કી કર કે, તને આ ઘર પાસેથી શું અપેક્ષા હતી અને એમાંથી શું ન મળ્યું? તું આ રીતે બોલ્યા કરશે અને મોનુભાઈ માટે આવેલી છોકરી સાંભળશે તો એને થશે કે, જે ઘરે પચીસ વર્ષમાં મારી સાસુને કંઈ ન આપ્યું એ ઘર મને શું આપવાનું?”

એની આ વાત મારા મર્મસ્થાને ચોટ કરી ગઈ. બે-ત્રણ દિવસ સુધી હું એની પર વિચાર કરતી રહી. મોનુ હવે તેવીસ વર્ષનો થયો હતો. એનાં લગ્ન થશે ને વહુ ઘરમાં આવશે. મારા કચકચિયા સ્વભાવને કારણે હું એ બંને વચ્ચે કલહનું કારણ બની જાઉં તો તો આખો પરિવાર વેરવિખેર થઈ જાય. ઘણી ગડમથલને અંતે હું સોનુને શરણે જ ગઈ.

“બેટા, તું ભલે નાનો હોય પણ તારી સમજણને કારણે તેં મારી આંખ ખોલી દીધી છે. મારે બગડતી બાજીને સુધારવી છે પણ ગુસ્સો આવે ત્યારે હું જાત પર કાબૂ નથી રાખી શકતી. તું જ કંઈ ઉપાય બતાવ.” એ હસી પડ્યો. “મમ્મી, તું વાત એવી રીતે કરે છે કે, મને એવું ફીલ થાય છે કે, જાણે હું કોઈ ગુરુ હોંઉં!”

“હા, મારે માટે તો તું ગુરુ જ છે. તું જેમ કહે એમ હું કરીશ, બસ?”

આશીર્વાદ આપતી મુદ્રામાં એ બેઠો અને કહેવા લાગ્યો, “માતે, તમારી મૂંઝવણનો ઉકેલ એક મંત્રમાં રહેલો છે. જ્યારે પણ ગુસ્સા પર કાબૂ ન રહે તો એ મંત્રનો જાપ કરવો. કબૂલ છે?”

મેં પણ બે હાથ જોડીને કહ્યું, “કબૂલ છે ગુરુદેવ! હવે આપ કૃપા કરીને મંત્ર આપો.”

“જ્યારે પણ લાગે કે, ક્રોધ આવવાની શરૂઆત થઈ રહી છે કે તરત જ મનમાં ‘ઓમ શાંતિ, ઓમ શાંતિ’ મંત્રનું રટણ ચાલુ કરી દેવું. હમણાં આ ઉપચાર ફક્ત બે દિવસ માટે કરવાનો છે. પ્રયોગ સફળ થાય તો પછી આ જ દવા લાંબો સમય માટે લેવી.”

હું હસી પડી. મેં કહ્યું, “જેવી આજ્ઞા ગુરુદેવ, આ ઉપાય તો સાવ સરળ છે. એનું પાલન કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.”

પહેલે દિવસે તો કોઈ તકલીફ ન પડી. સૌને લાગ્યું કે એક જ દિવસમાં મારું હૃદયપરિવર્તન થઈ ગયું. બીજે દિવસે રવિવાર હતો. જમી પરવારીને મેં બપોરે પથારીમાં લંબાવ્યું. થોડીવારમાં  ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. ત્યાં મને સંભળાયું, “મમ્મી .. થોડીવાર પછી ફરીથી સોનુનો અવાજ સંભળાયો, મમ્મી .. બહુ ભૂખ લાગી છે. જરા મેગી બનાવી આપને!”

મને ભયંકર ગુસ્સો આવ્યો. ‘શરમ નથી આવતી આવડા મોટા છોકરાને, એની માને ઊંઘમાંથી ઉઠાડીને મેગી બનાવવાનું કહે છે? હમણાં એને સીધો કરું.’ આમ વિચારતાં આંખ ખૂલી એ ભેગી મારી પ્રતિજ્ઞા યાદ આવી. વોશ બેસીનનો નળ ખોલીને આંખ પર પાણીની છાલક મારી ને રસોડામાં જઈ, મેગી બનાવી. પ્લેટમાં કાઢીને ડાયનીંગ ટેબલ પર મૂકી. ત્યાં તો સોનુ આવીને મને વળગી પડ્યો અને કહ્યું, “મારે કંઈ મેગી નહોતી ખાવી, પણ આજે બીજો દિવસ છે ને એટલે તારી ચકાસણી કરવી હતી.”

ત્યાં તો બાજુના રૂમમાંથી મોનુ અને હરીશ બોલતાં બોલતાં આવ્યા – ‘ઓમ શાંતિ, ઓમ શાંતિ’ ને અમે ચારે ખડખડાટ હસી પડ્યાં.

(ભગવાન અટલાનીની સિંધી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જાન્યુઆરી 2025; પૃ. 24 

Loading

...102030...414415416417...420430440...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved