Opinion Magazine
Number of visits: 9456872
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નૂરો.

કેતન રુપેરા|Poetry|30 September 2024

એક રેખાચિત્ર, નામે નૂરો.

ખબર નહીં કેમ, હમણાંથી બહુ યાદ આવે છે.

દર બે ચાર દિવસે અચાનક યાદ આવી જાય છે.

એકવડિયો, પણ મજબૂત બાંધો.

ના બહુ ઊંચો, ના બહુ નીચો.

રંગે શ્યામ, ધોળા વાળ. ચહેરાના પ્રમાણમાં મોટું કપાળ.

માથામાં લમણેથી ખરી ગયેલા વાળને કારણે પણ કદાચ એવું લાગતું હોય.

બેસી ગયેલા ગાલના પછવાડે ભરેલા માવા કે તમાકુના કારણે

હોઠના છેડેથી ક્યારેક કાથાનું ફીણ પણ રેલાતું હોય.

હા, વસ્ત્ર શ્વેત; થોડાં પીળાશ પડતાં – પણ મેલાંઘેલાં … કાયમ.

એના શરીર પર કદી ઊજળું કપડું જોવાનું થયું નહોતું.

અડધી બાંયના ને બંને બાજુ ખિસ્સાવાળા શર્ટ ને પહોળા લેંઘામાં,

લઘરવઘર હાલતમાં એ જ્યારે મહોલ્લામાં આવતો

ત્યારે એને બહુ બૂમ પાડવી નહોતી પડતી.

બે-એક વાર માંડ બૂમ પાડતો ને વચ્ચે વચ્ચે લારીની નીચે લટકતો નાનકડો ઘંટ રણકાવી દેતો ….

પછી તો ચોકમાં રમતાં છોકરા-છોકરીઓ જ એનું કામ પતાવી દેતાં.

“નૂરો આયો, નૂરો આયો.”

“નૂરો આયો, નૂરો આયો …”

જોતજોતાંમાં કાળિયો ને દશલો, સતિયો ને રાકલો, ઢબૂડી‌ ને મનુડી …

વાડકી સાથે કે વાડકી વગર, સૌ કોઈ ટોળું જમાવી દેતાં.

હવા ભરેલા નાસ્તાનાં પડીકાંની ગેરહાજરીના અને

પૌષ્ટિક આહાર નાસ્તામાં લઈ જવાનાં નિયમની સદંતર ગેરહાજરીના એ જમાનામાં

ક્યારેક ક્યારેક નૂરાની વસ્તુઓ કેટલાંક વિદ્યાર્થીઓના નાસ્તાના ડબ્બાનો ભાગ બનીને ય ગોઠવાતી.

એવું તે શું લઈ આવતો નૂરો?

બોર ને ચણીબોર.

કોઠા ને આમળા.

શેરડી ને કાતરા.

લીલી વરિયાળી ને પોપટા.

જામફળ ને બહુ વધારે પડતાં શેકી નાખતો એવા મકાઈ ડોડા …

પાંચિયાથી લઈને પાવલી-આઠ આના સુધીમાં કંઈક ને કંઈક તો મળી રહે.

ઋતુ પ્રમાણે વસ્તુઓ વધઘટ થયા કરે, પણ એની લારી કાયમ ભરેલી રહે.

એ મકાઈ ડોડા બહુ શેકી નાંખતો.

જાણે સાવ કાળાં જ કરી નાખતો.

ઉપર લીંબુની લગભગ નીચોવાઈ ગયેલી ફાડ લઈને ખારોતીખો મસાલો ચોપડતો.

બધાંને એ બહુ ભાવતો. મને ન ભાવતો.

થતું કે આ ફિલમમાં હિરો-હિરોઈનો ગીત ગાતાં ગાતાં જે મકાઈ ડોડા ખાય છે

એ ય આવા જ હશે? અને તો ય ભાવતાં હશે!

પણ ખેર, બહુ પ્રેમથી બધાં બધું ખાતાં.

વહેંચીને ખાતાં, વહેંચ્યા વગર પણ ખાતાં.

ક્યારેક અંદરોઅંદર ઝઘડીને પણ ખાતાં.

નજર સામે આ બધું બનતું હોય તો ય નૂરો કદી કોઈના આંતરિક મામલામાં પડતો નહીં.

પડતો નહીં શું, સમજોને કે કશું બોલતો જ નહીં. એનું કામ પૂરું થયે આગળ વધી જતો.

હા, કોઈ થોડું વધારે માંગે તો એકાદ વાર આપી ય દેતો.

જો કે, બીજી વાર માંગવાની હિંમત કોઈ કરતું નહીં.

નૂરાનો દેખાવ જ એવો. હંમેશાં અ-સ્મિત અને ગંભીર,

લાલ આંખો ને નાની પણ જાડી મૂછ.

એની જૂની ને ભાંગેલીતૂટેલી લાગતી

પણ બહુ બધું વજન વેંઢારીને બરાબર ચાલતી એવી, ખરા અર્થમાં ખખડધજ લારીમાં

ખાટી, મીઠી ને તીખી વસ્તુઓ લઈને આવતો ન હોત

એટલે કે મહોલ્લાના મહોલ્લા એમનેમ ફરતો હોત

તો નજીક આવવાની વાત બાજુ પર,

ટાબરિયાઓ દૂરથી જોઈને વધુ દૂર ભાગી જાત‌ અને

થોડાં મોટાં છોકરાંવ ગાંડા જેવો જાણીને કદાચ ખિજવત પણ ખરાં.

આવા એ નૂરાને બધાં નૂરો જ કહેતાં.

ખબર નહીં કેમ પણ નૂરાને બધાં નૂરો જ કહેતાં.

બોલતા શીખી ગયેલાથી લઈને નૂરાને ઓળખતાં છોકરાંવ,

એમનાં મમ્મી-પપ્પા, બા-દાદા … સૌ, નૂરો જ કહેતાં.

‘એવું કેમ?’ એવો વિચાર ત્યારે કદી આવ્યો નહોતો, અત્યારે આવે છે.

“નૂરો કોણ હશે? એનું સાચું નામ શું હશે?

નૂર મહંમદ ને એવું કંઈક હશે કે નરેશ ને એવું કંઈક હશે!

જે પણ હોય. નથી શોધવો એ જવાબ.”

વાત માત્ર એટલી જ કહેવી છે કે નૂરો યાદ આવે છે.

હમણાંથી બહુ યાદ આવે છે.

… પણ નૂરો મને કેમ યાદ આવે છે?

હા, હવે પકડાય છે.

નૂરો બધાંને એમનાં પૈસાનો પૂરેપૂરો ભાગ આપતો. એ કોઈને છેતરતો નહીં.

(પ્રગટ “કવિલોક”; વસંત વિક્રમ સંવંત 2080; પૃ. 08-10
e.mail : ketanrupera@gmail.com

Loading

કેમેરા વિલક્ષણ ચીજ છે : માર્ગરેટ બુર્ક-વ્હાઇટ

સોનલ પરીખ|Opinion - Opinion|30 September 2024

‘… ગાંધીએ કાંતવાનું શરૂ કર્યું. નિપુણ હાથ લયબદ્ધ હલનચલન કરતા હતા. મધુર ગુંજન સાથે એકસરખા તાર નીકળતા હતા. ગરમી અને ભેજને લીધે મારાં સાધનો બરાબર કામ આપતાં ન હતાં. ગાંધીએ ખૂબ સુંદર રીતે તાર ખેંચ્યો ત્યારે હું ઘણું મથી, પણ તસવીરો આવતી ન હતી. કદાચ પેલા ભાઈ સાચા હતા – કેમેરાને ચાલવા માટે ઘણું બધું અનુકૂળ જોઈએ. રેંટિયો ગમે ત્યાં ચાલે …’ 

મળીએ વિશ્વપ્રસિદ્ધ અમેરિકન ફોટોજર્નાલિસ્ટ માર્ગરેટ બુર્ક–વ્હાઇટને 

વીસમી સદીના મહાપુરુષોમાં સૌથી વધુ જાણીતા છે મહાત્મા ગાંધી. અને એમના જીવન અને ફિલોસોફીને પૂર્ણપણે વ્યક્ત કરે એવી સૌથી જાણીતી તસવીર એ છે જે સ્ટીવ જોબ્સે પોતાની એપલ કંપનીના લોગોમાં મૂકી હતી, જેમાં તેઓ રેંટિયાની પાસે બેઠેલા છે. આ તસવીર 1946માં માર્ગરેટ બુર્ક-વ્હાઇટ નામની અમેરિકન ફોટોજર્નાલિસ્ટે ત્યારના પ્રસિદ્ધ અમેરિકન સામયિક ‘લાઈફ’ માટે લીધી હતી. 42 વર્ષની માર્ગરેટ પોતે પણ ત્યારે એટલી જ પ્રસિદ્ધ હતી. વાત કરીએ આ અનોખી પ્રતિભાશાળી તસવીરકારની, તેના જન્મદિન નિમિત્તે.

હોમાય વ્યારાવાલા

મહિલા ફોટોજર્નાલિસ્ટની વાત આવે ત્યારે ભારતના પ્રથમ મહિલા ફોટોજર્નાલિસ્ટ અને પદ્મવિભૂષણ સન્માનિત હોમાય વ્યારાવાલા યાદ આવ્યા વિના ન રહે. 1938માં ફોટોજર્નાલિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર હોમાય વ્યારાવાલાને એ સમયના ભારતના રૂઢિચુસ્ત વાતાવરણમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. 1942 પછી તેઓ બ્રિટિશ ઈન્ફર્મેશન સર્વિસમાં જોડાઈ દિલ્હી આવ્યાં અને અનેક દેશનેતાઓ, અગ્રણીઓ અને રાષ્ટ્રીય કાર્યક્રમોની દુર્લભ તસવીરો લીધી. આ હોમાય વ્યારાવાલાએ પણ 1956માં ‘લાઈફ’ મેગેઝીન માટે 14મા દલાઇ લામા પ્રથમવાર ભારત આવ્યા ને નાથુ લા રસ્તે સિક્કીમમાં પ્રવેશ્યા ત્યારની તસવીરો લીધી હતી.

માર્ગરેટ બુર્ક-વ્હાઇટ

આપણે માર્ગરેટ બુર્ક-વ્હાઇટની વાત કરતા હતા. ફોટોજર્નાલિસ્ટ, લેખિકા, સામાજિક કર્મશીલ માર્ગરેટ બુર્ક-વ્હાઇટ વિશ્વના અતિપ્રસિદ્ધ ફોટોગ્રાફરોમાંનાં એક છે. 1904ની 14મી જૂને એમનો જન્મ. યહૂદી માતાપિતા પોલાન્ડથી ઇંગ્લેન્ડ ને પછી અમેરિકા આવી વસેલા સ્વતંત્ર વિચારકો હતાં. પોતાના અને માનવતાના વિકાસમાં અત્યંત રસ ધરાવતાં. સંતાનોને પણ એ જ રીતે ઉછેર્યાં. પોતાનો રસ્તો શોધવા માર્ગરેટ 7 યુનિવર્સિટીઓમાં ક્લા, સ્વિમિંગ, હર્પેટોલોજી(સરિસૃપો અને ઊભયચરોનું અધ્યયન), પેલેન્ટોલોજી (જીવાશ્મશાસ્ત્ર) અને ઝૂલોજી ભણ્યાં. અંતે પિતા તરફથી વારસામાં મળેલા ફોટોગ્રાફીના રસને વિકસાવી એમાં જ કારકિર્દી બનાવી. 1920ના દાયકામાં નવા શરૂ થયેલા ઉદ્યોગો અને ગગનચુંબી ઇમારતોની ફોટોગ્રાફી કરી એમણે ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફીનો નવો ટ્રેન્ડ શરૂ કરેલો.

1929માં 25 વર્ષનાં માર્ગરેટ નવા શરૂ થયેલા ‘ફોર્ચ્યુન’ મેગેઝીનમાં ચીફ ફોટોગ્રાફર હતાં. 1936માં તેઓ ‘લાઈફ’માં જોડાયાં. પોતાના ક્ષેત્રમાં તેમણે અનેક નવી પહેલ કરી હતી. તેઓ રશિયામાં ગયેલા પ્રથમ પશ્ચિમી ફોટોગ્રાફર હતાં. બીજા વિશ્વયુદ્ધના પ્રથમ મહિલા ખબરપત્રી હતાં. 1930માં જર્મનોએ કરાર તોડી રશિયા પર હુમલો કર્યો ત્યારે તેઓ ત્યાં હાજર રહેલાં એકમાત્ર અમેરિકન ફોટોગ્રાફર હતાં. કોમ્બેટ બોમ્બિંગ મિશન પર જનાર તેઓ પ્રથમ મહિલા હતાં. 1936માં 32 વર્ષનાં માર્ગરેટ બુર્ક-વ્હાઇટ અમેરિકાની દસ ‘મોસ્ટ નૉટેબલ વિમેન’માંનાં એક હતાં.

1941માં ફોટોગ્રાફર પતિ કોલ્ડવેલ સાથે તેઓ રશિયા ગયાં. સાથે 5 કેમેરા, 22 લેન્સ, 4 ડેવલપિંગ ટેન્ક, 3,000 ફ્લેશબલ્બ લેતા ગયાં. પાછા ફર્યા બાદ પતિએ બાળક માટે દબાણ કરવા માંડ્યું. માર્ગરેટને બાળક નહોતું જોઈતું એવું નહોતું, પણ તેને માટે સ્વતંત્રતા અને કારકિર્દી વધારે આગત્યનાં હતાં. અંતે ડિવોર્સ થયા. 1945માં અમેરિકાએ બુશેનવાલ્ડ કોન્સન્ટ્રેશન કેમ્પ પરના યહૂદીઓને છોડાવ્યા ત્યારે માર્ગરેટ અમેરિકન લશ્કર સાથે હતાં. 1950-53ના કોરિયાઈ યુદ્ધમાં પણ તેમણે ‘લાઈફ’ માટે ફોટોગ્રાફી કરી હતી.

વિશ્વયુદ્ધ પછી તેઓ ભારત આવ્યાં. ભારતની ભાવિ સ્વતંત્રતા પર લખ્યું, ભાગલાની હિંસાની તસવીરો લીધી. એ વખતની એમની તસવીરોનું દસ્તાવેજી મૂલ્ય ઘણું છે. આ તસવીરો ખુશવંતસિંહની નવલકથા ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ની 2006ની આવૃત્તિમાં સમાવિષ્ટ છે. વૃદ્ધ ગાંધીજીની તેમણે લીધેલી તસવીરો ઉત્તમ કક્ષાની છે.

‘પોટ્રેટ ઑફ માયસેલ્ફ’માં એમણે મહાત્મા ગાંધી સાથેની પ્રથમ મુલાકાત વર્ણવતાં લખ્યું છે, ‘મહાત્મા ગાંધી સાથે મારો જે અનુબંધ થયો તેવો એ પહેલા કે પછી ક્યારે ય કોઈ સાથે થયો નથી. જે દિવસે હું એમને પહેલી વાર મળી એ દિવસ હું કદી ભૂલી શકીશ નહીં. એ વખતે તેઓ પૂનામાં અસ્પૃશ્યો વચ્ચે રહેતા હતા. મારાં માટે તેઓ સાદગી અને સરળતાના પ્રતીક હતા, તેથી તેમની મુલાકાત માટે મારે અનેક લોકોની પરવાનગી લેવાની થઈ ત્યારે મને નવાઈ લાગી.

‘એક શ્વેત ખાદીધારી સજ્જન મને પૂછવા લાગ્યા, ‘તમને કાંતતા આવડે છે?’ મેં કહ્યું, ‘મારે ગાંધી સાથે કાંતવાનું નથી, મારે રેંટિયો કાંતતા ગાંધીની તસવીર લેવાની છે.’ ‘તમે કાંતવાનું નહીં જાણતા હો તો પછી રેંટિયો કાંતતા ગાંધી જેનું પ્રતીક છે એ સત્યને કેવી રીતે સમજશો? રેંટિયો વસ્તુ નથી, એક વિચાર છે. જાતે કાંત્યા વિના એ વિચારના હાર્દ સુધી કેવી રીતે પહોંચશો?…’ તેઓ બોલતા ગયા. એમને રોકવા અને એમણે મારા માથા પર ઝઝૂમી રહેલી ડેડલાઈન વિષે કહેવું અઘરું હતું. મારે કાંતવા બેસવું પડ્યું. હું બહુ અણઘડતાથી ચક્ર ફેરવતી હતી, વારેવારે તાર તોડતી હતી; છતાં એમણે મને ગાંધી પાસે જવા દીધી ખરી – ‘બે વાત યાદ રાખજો, આજે બાપુનો મૌનવાર છે. અને ફ્લેશલાઇટ બાપુને પસંદ નથી.’ ‘પહેલી શરત પૂરેપૂરી પાળીશ. પણ કુટિરમાં અંધારું છે, મારે થોડો કૃત્રિમ પ્રકાશ તો વાપરવો પડશે.’ એમણે મારા સામાનમાંથી ત્રણ ફ્લેશલાઇટ બલ્બ આપ્યા, ‘આનાથી વધારે નહીં.’

‘ગાંધી અંદર બેઠા હતા. પાતળું શરીર, વાળેલી પલાંઠી, કેશહીન મસ્તક, ટૂંકી ધોતી, ખુલ્લા પગ, પાસે રેંટિયો, હાથમાં અખબાર. ખાદીની ચાદર ઓઢેલો આ સામાન્ય દેખાતો વૃદ્ધ બ્રિટિશ સામ્રાજ્ય સામે બાથ ભીડવા કરોડો માણસોને ઊભા કરી વિશ્વ સમસ્તના કુતૂહલ અને કલ્પનાનો વિષય બન્યો છે! હું ચકિત થઈ ગઈ. અખબાર બાજુ પર મૂકી ગાંધીએ કાંતવાનું શરૂ કર્યું. નિપુણ હાથ લયબદ્ધ હલનચલન કરતા હતા. મધુર ગુંજન સાથે એકસરખા તાર નીકળતા હતા. ગરમી અને ભેજને લીધે મારાં સાધનો બરાબર કામ આપતાં ન હતાં. ગાંધીએ ખૂબ સુંદર રીતે તાર ખેંચ્યો ત્યારે હું ઘણું મથી, પણ તસવીરો આવતી ન હતી. કદાચ પેલા ભાઈ સાચા હતા – કેમેરાને ચાલવા માટે ઘણું બધું અનુકૂળ જોઈએ. રેંટિયો ગમે ત્યાં ચાલે.’ ગાંધીજી સાથે પછી તો ઘણી મુલાકાતો થઈ. ગાંધીહત્યાના આગલા દિવસે પણ બુર્ક-વ્હાઇટે ગાંધીજીની મુલાકાત લીધી હતી.

1953માં કોરિયન વૉર કવર કરવા ગયા ત્યારે પાર્કિન્સન્સ રોગે દેખા દીધી. તેની સામે લડવા કામ ઓછું કર્યું. ઓપરેશનો કરાવ્યાં, પણ તકલીફ વધતી ગઈ. તેમણે લેખો લખ્યાં, વ્યાખ્યાનો આપ્યાં, ફોટોગ્રાફી પર 12 જેટલાં પુસ્તકો લખ્યાં. એટલાં જ પુસ્તકો એમના પર પણ લખાયાં. 1963માં ‘પોટ્રેટ ઑફ માયસેલ્ફ’ આત્મકથા પ્રગટ થઈ. એ તો ખૂબ સફળ થઈ પણ માર્ગરેટ એકલાં અને નબળાં પડતાં જતાં હતાં. કામ થતું ન હતું. એક પેન્શન આવતું પણ પૂરું ન પડતું. છેલ્લાં વર્ષોમાં આર્થિક મુશ્કેલીઓ ભોગવવી પડી. 1971માં 67 વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું.

યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ હોવું એ એમની ખૂબી હતી. તેઓ પોતે એનું શ્રેય કોઈ અદૃશ્ય શક્તિને આપે છે, ‘મારા આખા જીવનમાં એક ચમત્કાર મેં હંમેશાં જોયો છે. કોઈ શક્તિ છે જે મને મૂકી આપે છે – ઇન ધ રાઇટ પ્લેસ, એટ ધ રાઇટ ટાઈમ.’ તેઓ કહે છે, ‘ફોટોગ્રાફી સૂક્ષ્મ કલા છે. કેમેરા હાથમાં પકડીએ ત્યારે એક ભરોસા સાથે તેને જ પોતાના વિષય તરફ જવા દેવો જોઈએ.’ ‘કામ મારા માટે પવિત્ર બાબત છે.’ ‘કોઈ કાંતતા માણસનો ફોટો લો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે કાંતણ એને માટે શું છે. આવી સમજ ફોટોગ્રાફર માટે એનાં સાધનો જેટલી જ અગત્યની છે.’ ‘માણસને સમજવા માટે તમારે એ પરિસ્થિતિને સમજવી પડે જેના કારણે એ અત્યારે જેવો છે એવો બન્યો છે.’

માનવીય અભિગમ અને ટેકનિકલ પરફેક્શન વગર કશું શાશ્વત સર્જી શકાતું નથી…

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 09 જૂન  2024

Loading

સુરતની આ રંગભૂમિ છે કે ભંગભૂમિ?

રવીન્દ્ર પારેખ|Samantar Gujarat - Samantar|30 September 2024

રવીન્દ્ર પારેખ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન રોજિંદા કામો કરે છે કે નથી કરતી તે તો અધિકારીઓ જાણે, પણ તે એક કામ વર્ષોથી કરે છે અને તે વર્ષોવર્ષ ત્રિઅંકી નાટકોની સ્પર્ધાનું ! આ આયોજન દુનિયાની કોઈ કોર્પોરેશન કરતી નથી ને એને માટે સુરતીઓએ કોર્પોરેશનની ને પોતાની પીઠ થાબડવી જોઈએ. આ વખતની સ્પર્ધા 50મી છે. આ 50 વર્ષોમાં અનેક સંસ્થાઓએ નાટકો ભજવ્યાં છે ને નિર્ણાયકોની કસોટીએ ચડીને ઇનામો મેળવ્યાં છે કે હાર પણ સ્વીકારી છે. એ સૌને ઢગલો અભિનંદનો ને શુભેચ્છાઓ. આ 50 વર્ષોમાં એવરેજ 20 સ્ક્રિપ્ટ પૂર્ણ કદનાં નાટકોની મૂકીએ તો અંદાજે હજારેક સ્ક્રિપ્ટ્સ કોરપોર્શન પાસે આવી હશે. એ જો પસ્તીમાં ન ગઈ હોય તો તેનો એક વિભાગ કોર્પોરેશન, નર્મદ સેન્ટ્રલ લાઇબ્રેરીમાં કરી શકે ને સ્ક્રિપ્ટની નકલ જરૂરિયાતવાળાને નજીવી કિંમતે આપી શકે. આ સૂચન અગાઉ પણ કર્યું હતું. તેનાં પર ફરીથી વિચાર કરી શકાય, કારણ અત્યારે જે નાટકો આવી રહ્યાં છે તે અનેક સ્તરે ચર્ચાસ્પદ છે.

કેટલાક નવા નાટ્યકારો, નવું નવું આવી રહ્યું છે તે સ્વીકારવાની ભલામણો કરતાં હોય છે. તે સ્વીકારવાનો વાંધો ન જ હોય, પણ નવાંને નામે નાટક છે કે થઈ રહ્યું છે તેનો બચાવ, તે જોવાનું રહે. હવે નાટકની સમજ વગર પણ નાટકો લખી કે ભજવી કે પસંદ શકાય છે. એવે વખતે અગાઉ ભજવાયેલી ઉત્તમ સ્ક્રિપ્ટ્સના નમૂના હાથવગા હોય તો તે કામ લાગે. કમ સે કમ તે માટે પણ કોર્પોરેશને સ્ક્રિપ્ટ બેન્કની વ્યવસ્થા વિચારવી જોઈએ.

આમ તો નાટ્ય સ્પર્ધાનું 50મું વર્ષ રંગેચંગે ઉજવાવું જોઈતું હતું તેને બદલે રાબેતા મુજબની નાટ્ય સ્પર્ધા યોજીને કોર્પોરેશને અને કલાકારોએ સંતોષ માની લીધો છે. આ વખતે એટલું થયું કે કોર્પોરેશનના અધિકારીઓએ વીડિયો ઉતારી પ્રેક્ષકો સમક્ષ ગુણગાન ગાતાં ઉમેર્યું કે સુરત હવે સિલ્ક સિટી, ડાયમંડ સિટીની જેમ જ નાટ્ય નગર તરીકે પણ ઓળખાશે. આવું જાણીએ તો હસવું આવે. સુરત, નર્મદના સમયથી નિબંધ, નાટક, નવલકથા, હાસ્ય, વિવેચન વગેરેમાં પ્રારંભક રહ્યું હતું, તે હવે સાહિત્ય, કલામાં નામશેષ થવા પર છે. તેની ઓળખ ફરી ઊભી કરવા કોર્પોરેશન, કલાકારો, લેખકો, કવિઓ જીવંત થાય તે અનિવાર્ય છે. નાટકની સ્પર્ધા અંગે પણ વધુ શું થઈ શકે તે વ્યક્તિગત અને સામૂહિક રીતે વિચારાવું જોઈએ. કોર્પોરેશન ઉપરાંત યુનિવર્સિટીઓ, નાટ્ય સંસ્થાઓ દ્વારા, ઉત્તમ નાટકોનાં લેખન અને ભજવણી અંગેના પરિસંવાદો ને શિબિરો થઈ શકે. આવું થશે તો નાટ્ય લેખન અને ભજવણીની નવી દિશાઓ ખૂલશે.

અગાઉ બધું સારું હતું ને હવે બધું ખરાબ છે એવું નથી. અગાઉ પણ મર્યાદાઓ હતી ને આજે પણ છે. એ સાથે જ અગાઉની જેમ જ આજે પણ ઉત્તમ પ્રયોગો થાય જ છે. એક બચાવ એવો પણ છે કે નવા વિષયો, નવી ટેકનિકો, સંગીત, સ્ટેજ ડિઝાઇન્સને લીધે નાટક ડ્રોઈંગરૂમમાંથી બહાર આવ્યું છે. સાચું, પણ નાટકને ડ્રોઈંગ રૂમમાંથી બહાર કાઢવા જતાં નાટક તો બહાર નથી થઈ ગયુંને, તે જોવાનું રહે. એ ખરું કે ખાડાના નાટકોથી આપણે બહાર આવ્યા, પણ ‘ખાડા’થી ‘અખાડા’માં તો નથી આવ્યાને તે જોવાનું કે કેમ?

થોડા વખત પર મુંબઈનું એક નાટક જોયું. ધારાવીનો એક પ્રખર બૌદ્ધિક અને ડ્રગ એડિક્ટ યુવાન સાઇકિયાટ્રિસ્ટની ટ્રીટમેન્ટ લઈને વિદેશ જાય એમાં ઘણાંને રસ છે. બધાં માટે તે એક સીડી છે. અંતે એવું ખૂલે છે કે તે બધાંનો ઉપયોગ કરીને વિદેશ ભાગી જાય છે. નાટકમાં પ્રેક્ષકોને આકર્ષવા લાઇટ્સ, મ્યુઝિક, રિવૉલ્વિંગ સ્ટેજ વગેરેનો ભરપૂર ઉપયોગ થયો, પણ કેટલાંક દૃશ્યોને બાદ કરતાં નાટક જામ્યું નહીં. સ્ટેજ પર ડોક્ટરનું ક્લિનિક, કોલેજનું સભાગૃહ, ઝૂંપડપટ્ટી વગેરે પણ સ્ટેજ પર બતાવાયું, પણ નાટક મજબૂત હોય તો ગમે તેવું અદ્દભુત સ્ટેજ થોડી મિનિટોમાં જ ભુલાઈ જતું હોય છે. સ્ક્રિપ્ટ મજબૂત ન હોય તો પ્રેક્ષકો કેવો સેટ છે, કેવી લાઇટ છે, કેવું મ્યુઝિક છે … વગેરે અલગ તારવીને જુએ છે. મુંબઈના એ નાટકમાં પ્રેક્ષકોને આંજી નાખવા થઈ શકે તે બધું જ દિગ્દર્શકે કર્યું હતું, તો ય ન જામ્યું. નીવડેલા કલાકારો હતા, પણ મૂળે તો નાટક જ ખૂટતું હતું. આવું હોય તો ગિમિક્સથી કેટલુંક ખેંચાય તે પ્રશ્ન જ છે. વાર્તા જ તાલમેલિયા હતી. યુવક અને તેની કથા ધારાવીની હોય તે તો સમજાય, પણ ડૉક્ટર પણ એ જ ધારાવીમાં મોટો થયો હોય ને એ પણ યુવકની જેમ જ ડ્રગ એડિક્ટ હોય એ ગળે ઉતારવાનું મુશ્કેલ છે. નાટક સોંસરું જવું જોઈએ, તેને બદલે સ્ટેજની વિવિધતામાં, બિનજરૂરી વળાંકોમાં, પાત્રોની ભરમારમાં અટવાતું રહ્યું. ગમ્મત તો એ થઈ કે મોટી સ્ટાર કાસ્ટ હોવા છતાં થોડા કલાકારે એકથી વધુ રોલ પણ કર્યા.

આ બધું સુરતમાં પણ આયાત થયું છે. કશુંક નવું તો ગમે જ, પણ તે કારણ વગરની નકલ જ હોય તો તે ન હોય તો ચાલે. અક્કલ હશે તો સારો કલાકાર સીધી નકલ તો નહીં જ કરે. હવે થિયેટરનો કન્સેપ્ટ બદલાયો છે, હવે વિઝ્યુઅલ્સની બોલબાલા છે જેવું કહેવાતું – કહોવાતું રહે છે. સ્ટેજ ડિઝાઇન કે મ્યુઝિક પાછળ ખાસી મહેનત લેવાતી હોય છે. લાઇટિંગ જ નાટક હોય તેમ રંગીન શેરડાઓ પાત્રોને ઢાંકવા સ્ટેજ રંગતા રહે છે, પણ નાટકની સ્ક્રિપ્ટ પાછળ લેવાવી જોઈતી મહેનત લેવાતી નથી. અભિનય નાટકનો પ્રાણ છે. એમાં મહેનત કરવાને બદલે ગીતની કોરિયોગ્રાફી પર વધુ ધ્યાન અપાય તો નાટકને વેઠવાનું આવે. ખરેખર તો ગીતો, તેનું સંગીત, તેની કોરિયોગ્રાફી કેટલી જરૂરી છે તે અંગે વિચારવાનું રહે. ગીતો નાટકનો ભાગ હોઈ શકે, પણ તે નાટક પર હાવી થઈ જાય તો કઠે. નાટકની સ્ક્રિપ્ટ નબળી હોય ને અભિનય, દિગ્દર્શન, લાઇટ્સ, સાઉન્ડ, ટેકનિક અસરકારક હોય તો પણ નાટક બચતું કે બનતું નથી.

કોઈ નીવડેલાં મહાન ચરિત્ર પરનું નાટક હોય ને તેનું જીવન સ્ટેજ પર ઊઘડે જ નહીં તો એ ચરિત્રને વટાવવા જેવું ને પ્રેક્ષકોને છેતરવા જેવું થાય. નાટકમાં મહાન ચરિત્રને બદલે કોઈ યુવાનની ગીતસંગીત મઢી લવસ્ટોરી જ દેખાયા કરે તો બાવાના બે ય બગડે. ન એમાં પૂરું ચરિત્ર ઊઘડે કે ન પૂરી લવસ્ટોરી ખીલે. નાટકનું ચરિત્ર સેંકડો વર્ષ પહેલાંનાં જંગલનું રહેવાસી હોય ને સ્ટેજ પર મહેનત કરીને જંગલ પ્રગટ કર્યું હોય, તેનો શો અર્થ રહે, જો તેનાં ગીત-સંગીત ને કોરિયોગ્રાફી આજનાં હોય? એ સમયનો અનુભવ જ ન થાય તો જંગલને બદલે નાટક ડ્રોઈંગ રૂમમાં ભજવાતું બતાવાય તો પણ શો ફેર પડે? આજકાલ ધુમાડા છોડવાની ફેશન ચાલે છે. મચ્છર ભગાડવા કોર્પોરેશનની ગાડી જાણે સ્ટેજ પર આવી ગઈ હોય તેમ થોડી થોડી વારે ધુમાડાઓ ઊઠતા રહે છે. એ તો અંધારું કરે જ છે, વધારામાં બે સીન વચ્ચે પણ અંધકાર છવાતો રહે છે. ઘણીવાર તો સીનથી વધુ, બે સીન વચ્ચેનો અંધકાર ચાલતો હોય છે.

રિવૉલ્વિંગ સ્ટેજનાં નાટકોનો ફાલ, વચ્ચે, મુંબઈથી આવ્યો ને બધાં અંજાયાં પણ ખરાં. પણ એ મોંઘું પડ્યું ને અનેક લોકાલ્સને કારણે નાટ્યાત્મક અસરો ઘટી ને ફિલ્મી અસરો વધી. પ્રેક્ષક એ સમજ સાથે આવે છે કે તેણે નાટક જોવાનું છે, તેને બદલે તે ફિલ્મ જોતો હોય એવું અનુભવે તો એ ફિલ્મ જોવા જશે, નાટક જોવા નહીં આવે. ટેકનિક કે ઇફેક્ટ્સ નાટકનો ભોગ લે તે ન ચાલે. આ ઇફેક્ટ્સ આજે જ આવી એવું નથી. વર્ષો પહેલાં નાટ્ય રસિકોએ સુરતનાં સ્ટેજ પર ટ્રેનને પસાર થતી અનુભવી છે, રેલનાં પાણી સ્ટેજ પર જોયાં છે, એરોડ્રામ પર ઊડતાં પ્લેન અનુભવ્યાં છે, એટલે જે નવું કહેવાય છે તે જેણે નથી જોયું તેને હોઈ શકે, બાકી, આ તો ફેશન જેવું છે. કાલની આજે ને આજની કાલે ચાલે.

એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે સ્ટેજ નાટક માટે હોય ને નાટકને બદલે ફિલ્મી દૃશ્યો જ જોવાનાં હોય તો તે બરાબર નથી. ફિલ્મી ગીત-સંગીતમાં કૈં પણ નાખો તો ચાલી જતું હશે, પણ શાસ્ત્રીય સંગીતમાં સાધન શુદ્ધિનો આગ્રહ તો હોવાનો જ ! ભલે તે માણનારા ઓછા હોય, પણ તેને સાત્ત્વિક અનુભવથી ઓછું કૈં ખપતું નથી. શાસ્ત્રીય ગાયક કે વાદક ફિલ્મી ગીતો ગાવા માંડે તો ચાલે? જો એ ન ચાલે તો નાટ્યપ્રેમીને નાટકને બદલે ઈતર પ્રવૃત્તિથી રીઝવવાનો અર્થ ખરો? એ ખરું કે નાટક શરૂ થાય ને પૂરું થાય એની વચ્ચે બધું જ ખોટું બતાવાય છે. સ્ટેજ પર કોઈ ઝેર પીને મરી જાય તો તે ખરેખર મરી જાય છે? એમ મરવાનું હોય તો કોઈ નાટક કરવા આવે કે? પણ અભિનયથી કલાકાર એવું બતાવે છે કે પ્રેક્ષકોની આંખો ભીની થાય. પ્રેક્ષકને પણ ખબર છે કે એકટર મરવાનો અભિનય કરે છે ને એક્ટર પણ જાણે છે કે મરવાનું નથી, પણ એમ વર્તવાનું છે કે પ્રેક્ષક એને સાચું માને. નાટકને એટલે જ તો ‘મેઇક બિલીવ’ની કળા કહી છે. નાટકની બીજી ખૂબી એ છે કે એમાં રિટેક નથી. ફિલ્મનાં શૂટિંગ વખતે એકટર ફરી એક્ટિંગ કરીને ભૂલ સુધારી શકે. નાટક એકવાર તે શરૂ થાય પછી વચ્ચે અટકાવીને કોઈ એકટર એમ ન કહી શકે કે થોભો, આ સીન બરાબર નથી થયો તો ફરી ભજવું. નાટકમાં એ તક નથી. એ રીતે નાટક, ફિલ્મથી જુદું પડે છે. નાટક લાઈવ આર્ટ છે.

છેલ્લે, આ શહેરના નીવડેલાં નાટ્યકારોને વિનંતી કે તેઓ ફરી નાટક ભજવતાં થાય. દરજી જીવે ત્યાં સુધી સીવે, એમ નાટક જીવાય ત્યાં સુધી ભજવાય ! નાટ્ય સ્પર્ધામાં થોડાં વર્ષ ભાગ લીધા પછી આળસ ચડે છે કે અહંકાર, ખબર નથી, પણ સિનિયર્સ નાટકો ભજવતાં બંધ થયા છે તે ઠીક નથી. આવું થવાને લીધે નવા કલાકારો પાસે સારાં ઉદાહરણો નથી પહોંચતાં. નાટકમાં સ્પર્ધા જેટલી તીવ્ર અને ખેલદિલ, એટલું જ નાટક લાભમાં રહે.

આમ તો સુરતનાં અને નાટકનાં હિતમાં કેટલીક સ્પષ્ટ વાત કરી છે, આશા છે, તેને સુરત એ જ રીતે લેશે. અસ્તુ !

 000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 સપ્ટેમ્બર 2024

Loading

...102030...413414415416...420430440...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved