‘ધનની દેવી લક્ષ્મીની કૃપા તો હતી જ પણ તેણે મને લેક્સિકોનના માધ્યમથી દેવી સરસ્વતીની સેવા કરવાની તક આપી તેને હું મારું સૌભાગ્ય સમજું છું.’
ચાર વર્ષ અગાઉ ઑક્ટોબર – 2009માં ગુજરાતી લોકકોશના લોકાર્પણ પ્રસંગે આ શબ્દોમાં પ્રતિક્રિયા આપનાર રતિલાલ ચંદરયા / Ratilal Chandaria માટે કહેવું જોઇશે કે 13 ઑક્ટોબર 2013ની રાત્રે તેઓ પરમ સૌભાગ્યને પામ્યા. તેમનું આખું નામ આ એક વાર લખ્યું તે લખ્યું, બાકી આગળ તો તેમનો ઉલ્લેખ ‘રતિકાકા’ નામે જ થવાનો.
તો જગતના એંસી / Eighty (કોઈ ભૂલચૂક નથી!) દેશોમાં વેપાર ખેડતા અને તે સંબંધિત વહીવટી કામગીરી માટે અંગ્રેજી ટાઇપરાઇટરને હાથવગું રાખતા રતિકાકાને પ્રશ્ન થયો કે આ હું જે કામકાજ કરું છું તે મારી માતૃભાષા ગુજરાતીમાં થાય કે નહીં ? અને કમ્પ્યૂટર પર થાય કે નહીં તેવો બીજો પ્રશ્ન થયો કારણ કે તેનું આગમન થઈ ચૂક્યું હતું. પ્રશ્નો હતા તો તેના ઉકેલ પણ હતા. જો કે એ સરળ નહોતા અને પ્રારંભિક તબક્કે તે ‘ખર્ચાળ’ ઉકેલની કૅટેગરીમાં આવતા હતા. આર્થિક પ્રશ્ન તો ખેર નહોતો જ પણ ઉકેલ આપવાના નામે કોઈ દોઢી – બમણીથી ય વધુ રકમની માગણી કરે તે રતિકાકાને મંજૂર નહોતું. એવા કંઈક ટ્રબલશૂટિંગને પાર પાડતા પાડતા ગુજરાતી ભાષા માટે જે અવતારી કાર્ય થયું તે આ ગુજરાતી લેક્સિકોન / Gujarati Lexicon – http://www.gujaratilexicon.com/
‘અઢળક’ શબ્દ ઓછો પડે એટલા ધનમાં આળોટતા વિશ્વના અને ભારતના ધનકુબેરોની યાદી વારે-તહેવારે ફોર્બ્સ / Forbes સામયિક પ્રકટ કરતું રહે છે. એ ધનકુબેરોએ મોજ-મસ્તી, પરિવારની સુખાકારી માટે કેવો-કેટલો ખર્ચ કર્યો અને જન્મદિને કે લગ્નદિને પત્નીને હેલિકૉપ્ટર, હોડી કે હલેસું – શેની ભેટ ધરી તેના સંખ્યાબંધ તસવીરી અહેવાલો દૈનિક અખબારોમાં પ્રકાશિત થતાં રહે છે. ખુદના માટે આ કે આવા તમામ પ્રકારના શોખ પાળી-પોષી શકે તેટલા શ્રીમંત એવા રતિકાકા આ બધાથી દૂર રહ્યા. કેમ? એવો પ્રશ્ન થાય તો એનો દાખલો પણ તેમના જીવનમાંથી જ મળે તેમ છે.

લોકકોશનું લોકાર્પણ : (ડાબેથી) રતિલાલ ચંદરયા, નીતાબહેન શાહ અને પ્રદીપ ખાંડવાળા (છબિ સૌજન્ય : બિનીત મોદી)
આગળ ઉલ્લેખ કર્યો છે તે લોકકોશના લોકાર્પણનો કાર્યક્રમ અમદાવાદની પંચતારક (ફાઈવસ્ટાર!) ગણી શકાય એવી હોટેલમાં આયોજિત થયો હતો. ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડના / Gujarat Informatics Limited / http://www.gil.gujarat.gov.in/ ડિરેક્ટર નીતાબહેન શાહની / Nita Shah ઉપસ્થિતિમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ-અમદાવાદના પૂર્વ નિયામક પ્રદીપ ખાંડવાળાએ / Pradip Khandwala લોકાર્પણની વિધિ સંપન્ન કરી. એ પછી આમંત્રિત મહેમાનો – પત્રકારો માટે જમવાની વ્યવસ્થા હતી. વાનગીઓના ટેબલ પર ગોઠવાયેલા પકવાન – ફરસાણ સામે આંગળી ચીંધીને કોઇએ તેમને પૂછ્યું … ‘તમારા માટે જમવામાં શું પીરસી લાવીએ?’… રતિકાકાનો જવાબ હતો … ‘મને એક સૅન્ડવિચ બનાવી આપો અને સાથે થોડા દાળ-ભાત.’ આ મૂળભૂત સાદગીએ જ તેમને શબ્દ-સાહિત્યની સેવા કરવા તરફ વાળ્યા હોવા જોઇએ એમ ચોક્કસ કહી શકાય.
ગુજરાતી ભાષા – સાહિત્ય પર સરસ્વતી દેવીની કૃપા વરસતી રહે અને લક્ષ્મી દેવી ક્યાં ય અંતરાયરૂપ ન બને તે જોવાની જેમણે નૈતિક જવાબદારી સ્વીકારી હતી તેવા બે નામ આપણને ઉદ્યોગ જગતમાંથી તાજેતરના વર્ષોમાં મળ્યા. એક રતિલાલ ચંદરયા અને બીજા બળવંતરાય પારેખ. (બળવંતરાય પારેખ : સાહિત્યના પારખુ / http://www.binitmodi.blogspot.in/2013/01/blog-post.html) બન્નેને 2013ના એક જ વર્ષમાં ગુમાવ્યા તે મોટી ખોટ. એવી ખોટ કે જેઓએ આ કામ માટે કદી નફા-નુકસાનનો હિસાબ માંડ્યો નહોતો.
સૌજન્ય : http://binitmodi.blogspot.in/ 19 October 2013
![]()



આજનો સમય 'તટસ્થ’ રહેવાનો નહીં પણ જનતાની તરફેણમાં આપણો અવાજ ચાલુ રાખવાનો છે …
અલબત્ત, એમના અનુપમ સેવાકાર્યની દુનિયાભરનાં જાગ્રત તબીબી ને નાગરિક વર્તુળોને જાણ હોઈ દેશવિદેશમાં ખાસ્સો ઊહાપોહ થયો અને સર્વોચ્ચ અદાલતે જામીન પર છોડયા એથી એ હાલ પૂરતા કારાવાસની બહાર છે, અને આપણી વચ્ચે છે. સેનની આ પહેલ પ્રથમ અમદાવાદયાત્રા એ અર્થમાં ગાંધીયાત્રા છે કે તે ‘ગૂજરાત વિદ્યાપીઠ’માં દીક્ષાના પ્રવચન માટે આવ્યા હતા. અહીં સાંભરતી (અને એમણે સંભારી આપેલી) મિસાલ એ છે કે આ જ વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ (કુલાધિપતિ) મહાત્મા ગાંધી સામે, આ જ શહેર અમદાવાદમાં એકાણું વરસ ઉપર રાજદ્રોહનો મુકદ્દમો ચાલ્યો હતો. વિદ્યાપીઠે પણ એની સ્થાપક પરંપરાને શોભીતો આ વિક્રમ જ સર્જયો ગણાય કે સ્વરાજકાળમાં તેણે એક ઓર રાજદ્રોહીને ચહીને બરકયા. એ રીતે વિદ્યાપીઠના સ્નાતકો નસીબદાર કહેવાય કે એમની શિક્ષાદીક્ષાના એક નિર્ણાયક પડાવે એમને એક એવી શખ્સિયત થકી ભાથું સંપડાવ્યું જે સામ્પ્રત ભારતમાં રચના અને સંઘર્ષના સાયુજ્યે સમ્પન્ન જંગમ વિદ્યાપીઠ હોઈ શકે છે.