Opinion Magazine
Number of visits: 9552374
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નેહરુ વિશે જૂઠાણાં શા માટે ફેલાવવામાં આવે છે? 

રમેશ સવાણી|Opinion - Opinion|5 November 2025

નહેરુ વૈજ્ઞાનિક મિજાજ ધરાવતા હતા. એમણે વિજ્ઞાનને મહત્ત્વ આપ્યું. સિંચાઈ ડેમ બનાવ્યા. હોસ્પિટલો બનાવી. શૈક્ષણિક સંસ્થાઓ બનાવી. તેમણે હંમેશાં પ્રગતિશીલ મૂલ્યો, બંધારણીય મૂલ્યો અને સમાજવાદની તરફેણ કરી. નેહરુ માણસાઈમાં માનતા હતા. આ કારણે RSSને કાયમ પેટમાં અને મગજમાં દુખાવો રહે છે. એટલે જ નહેરુ વિશે જૂઠાણાં ફેલાવવા સિવાય એમની પાસે કોઈ વિકલ્પ નથી. નેહરુ વિશે ફેલાવેલ 10 જુઠ્ઠાણાં અને સત્ય પર નજર કરીએ :

જુઠ્ઠાણું 1 : જવાહરલાલ નેહરુનાં કપડાં પેરિસમાં ધોવામાં આવતાં હતા !

સત્ય : નેહરુએ પોતાની આત્મકથામાં સ્પષ્ટપણે લખ્યું છે કે તેમના વિશે આવી અફવાઓ ફેલાવવામાં આવે છે. પરંતુ એક વાત, કોઈ પેરિસમાં રોજ પોતાના કપડાં કેવી રીતે ધોઈ શકે? બીજું, જ્યારે દેશ સ્વતંત્રતા માટે લડી રહ્યો છે અને ગરીબીની ઝપેટમાં છે, ત્યારે આવી બાબતો વિશે વિચારવું પણ વ્યભિચાર છે. પોતાના નિવાસસ્થાનની નજીક લોન્ડ્રીની દુકાન હતી, જેનું નામ પેરિસ લોન્ડ્રી હતું. 

જુઠ્ઠાણું 2 : નેહરુએ ક્રાંતિકારીઓ માટે કંઈ કર્યું ન હતું !

હકીકત : નેહરુએ જેલમાં ભગતસિંહની મુલાકાત લીધી હતી અને તેમની મુક્તિ માટે તમામ પ્રયાસો કર્યા હતા. ચંદ્રશેખર આઝાદ પણ નેહરુના સંપર્કમાં હતા. ઉત્તર પ્રદેશના તમામ ક્રાંતિકારીઓના નેતા ગણેશ શંકર વિદ્યાર્થી, નેહરુના નેતૃત્વમાં કામ કરી રહ્યા હતા.

જુઠ્ઠાણું 3 : મહાત્મા ગાંધીએ સરદાર પટેલને અવગણીને નેહરુને વડા પ્રધાન બનાવ્યા હતા !

હકીકત : મહાત્મા ગાંધીએ 1935થી સ્પષ્ટ કરી દીધું હતું કે જવાહરલાલ નેહરુ તેમના અનુગામી હતા. 1942ના ભારત છોડો આંદોલન દરમિયાન પણ તેમણે આ વાત કહી હતી. 1937 અને 1946ની ચૂંટણીઓમાં, નેહરુ કાઁગ્રેસના નિર્વિવાદ નેતા અને જનતાની પહેલી પસંદગી હતા, તેથી તેમને વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

જુઠ્ઠાણું 4 : નેહરુએ કાશ્મીર મુદ્દાને જટિલ બનાવ્યો હતો !

હકીકત : ભારતની સ્વતંત્રતા પહેલા, નેહરુ ચિંતિત હતા કે જો પાકિસ્તાનની માંગ ઊભી થાય, તો કાશ્મીર, મુસ્લિમ બહુમતી ધરાવતું હોવાથી, પાકિસ્તાનમાં જઈ શકે છે. તેથી, તેમણે કાશ્મીરના લોકોને કાઁગ્રેસ પાર્ટી સાથે જોડવા માટે શેખ અબ્દુલ્લાનો ઉપયોગ કર્યો. પંડિત નેહરુની રાજદ્વારી પદ્ધતિ જ કાશ્મીરને ભારતીય સંઘમાં એકીકૃત કરવા તરફ દોરી ગઈ.

જુઠ્ઠાણું 5 : સરદાર પટેલની કાશ્મીર મુદ્દામાં કોઈ ભૂમિકા નહોતી અને નેહરુ એકલા કામ કરી રહ્યા હતા !

સત્ય : નેહરુ શેખ અબ્દુલ્લા સાથે વાટાઘાટો કરી રહ્યા હતા, અને સરદાર પટેલ રાજા હરિ સિંહ સાથે વાટાઘાટો કરી રહ્યા હતા. કાશ્મીર મિશન બંને નેતાઓ વચ્ચેનું સંયુક્ત મિશન હતું.

જુઠ્ઠાણું 6 : બંધારણના આર્ટિકલ-370 માટે નેહરુ દોષિત છે !

સત્ય : બંધારણ સભામાં આર્ટિકલ 370 પસાર થઈ તે દિવસે પંડિત નેહરુ અમેરિકામાં હતા. સરદાર પટેલે એકલા હાથે કાઁગ્રેસના બંધારણ સભાના સભ્યોને સમજાવ્યા અને કોઈપણ ચર્ચા વિના આર્ટિકલ 370 પસાર કર્યો. શ્યામા પ્રસાદ મુખર્જીએ પણ કલમ 370નો વિરોધ કર્યો ન હતો.

જુઠ્ઠાણું 7 : નેહરુ સુભાષ ચંદ્ર બોઝની જાસૂસી કરી હતી !

સત્ય : પંડિત નેહરુ અને સુભાષ ચંદ્ર બોઝ સાચા મિત્રો હતા. બોઝના મૃત્યુ પછી, પંડિત નેહરુ અને સરદાર પટેલે તેમની પત્ની અને પુત્રીને ગુપ્ત રીતે નાણાંકીય સહાય પૂરી પાડી હતી, જે લાંબા સમય સુધી ગુપ્ત રીતે ચાલુ રહી. આ સહાય હવે જાસૂસી તરીકે જાહેર કરવામાં આવી રહી છે.

જુઠ્ઠાણું 8 : નેહરુએ બ્રિટિશ વડા પ્રધાનને પત્ર લખીને ચેતવણી આપી હતી કે સુભાષ ચંદ્ર બોઝની ધરપકડ કરવામાં આવશે !

સત્ય : આ પત્ર સંપૂર્ણપણે ખોટો છે. બ્રિટિશ વડા પ્રધાનના નામની જોડણી પણ ખોટી છે. સત્ય એ છે કે પંડિત નેહરુએ એક વકીલ તરીકે લાલ કિલ્લામાં કેદ આઝાદ હિંદ ફોજના સૈનિકોનો કેસ લડ્યા હતા અને તમામ સેનાપતિઓ અને સૈનિકોની મુક્તિ મેળવી હતી.

જુઠ્ઠાણું 9 : નેહરુએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાયમી સભ્યપદનો ઇન્કાર કર્યો હતો !

સત્ય : આ સ્પષ્ટપણે જુઠ્ઠાણું છે. નેહરુએ તેમના જીવનકાળ દરમિયાન સંસદમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે ક્યારે ય આવો કોઈ પ્રસ્તાવ ભારત સમક્ષ રજૂ કરવામાં આવ્યો નથી. બીજું, તાઇવાનને બદલે, ચીનને સંયુક્ત રાષ્ટ્રનું સભ્યપદ મળવાનું હતું જે તેની પાસે પહેલાથી જ હતું. 

જુઠ્ઠાણું 10 : નેહરુએ ઇન્દિરા ગાંધીને વડા પ્રધાન બનાવીને પરિવારવાદના રાજકારણને પ્રોત્સાહન આપ્યું હતું ! 

સત્ય : નેહરુ પહેલા જયપ્રકાશ નારાયણને તેમના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કરવા માંગતા હતા, અને પછી રામ મનોહર લોહિયા. જો કે, બંને નેતાઓએ આ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. નેહરુ પછી, તેમના સૌથી વિશ્વસનીય સહાયક, લાલ બહાદુર શાસ્ત્રી, દેશના વડા પ્રધાન બન્યા. નેહરુએ ઇન્દિરા ગાંધીને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા ન હતા.  

[સૌજન્ય : પીયૂષ બલેલે, ‘નેહરુ મિથક ઔર સત્ય’] 
04 નવેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સોમનાથનો સ્વીકાર ને અયોધ્યાનો અસ્વીકાર: આ કેવી સરદારી?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|5 November 2025

શું સોમનાથ, અયોધ્યા અને લઘુમતીના પ્રશ્નો પર સરદારનું વલણ કાયદાના શાસન અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્રભાવનાના વિવેક પર આધારિત હતું?

પ્રકાશ ન. શાહ

દીપોત્સવની વાંસોવાંસ સરદાર જયંતી (31 ઓક્ટોબર) અને નેહરુ જંયતી (14મી નવેમ્બર) વચ્ચે રોપાઈને આ લખી રહ્યો છું ત્યારે જોઉં છું કે રથી અડવાણી 8મી નવેમ્બરે અઠ્ઠાણું પૂરાં કરશે. દેશમાં સત્તાવાર પ્રાયોજિતતાપૂર્વક સરદાર સાર્ધ શતાબ્દીમાં ડિંડિમ વચ્ચે, બને કે અડવાણીને આ દિવસોમાં હૈયાસરસું સ્મરણ અભિનવ સોમનાથ નિર્માતા તરીકેની સરદાર છબીનું હોય. 

એમનું અંગત સંધાન (ખરું જોતાં, શરસંધાન) લક્ષમાં લઈએ તો એ સ્વાભાવિક પણ છે, કેમ કે 1990ના સપ્ટેમ્બરની 25મીએ અયોધ્યા માટે એમણે પ્રસ્થાન સોમનાથથી સ્તો કર્યું હતું. 1984ની કારમી હાર પછી ક્રમશ: ભા.જ.પ. માટે જે વિજયપથ બનતો ગયો એમાં અડવાણીની રથયાત્રાનો ઝળથાળ ફાળો છે.

સોમનાથનું ઓઠું લઈને વાત શરૂ કરવા પાછળનો ખયાલ ભા.જ.પ.ની ડિંડિમિત સરદારપ્રીતિ સામે, એક વેશનમૂના કે રોલ મોડેલ તરીકે સરદાર સાથે આ પક્ષપરિવારનો દેખીતો મેળ છતાં વાસ્તવમાં કેવોક અણમેળ છે તે તપાસવાનો છે. રથયાત્રાના દિવસો સંભારવા સાથે અડવાણીએ આત્મકથા ‘માય કન્ટ્રી માય લાઈફ’(2008)માં સોમનાથની નિર્માણઘટનાની પૃષ્ઠભૂ પણ આપી છે. સ્વાભાવિક જ એમાં અયોધ્યામાં (ત્યારે તો સૂચિત) નિર્માણને સોમનાથના સરદાર પેરેલલ તરીકે ઊપસાવવાનો ખયાલ છે. 

જૂનાગઢમાં લોકવિજયને પગલે નવેમ્બર 1947માં સદારે સોમનાથના નિર્માણનો સંકલ્પ કર્યો અને નેહરુના વડપણ હેઠળની કેબિનેટે એ બહાલ પણ રાખ્યો. હવે તમે સ્વરાજ ત્રિપુટીની કમાલ જુઓ – ગાંધીજી, કેમ કે તે ગાંધીજી હતા, આ તબક્કે એક કેવિયટ સાથે ડંડો ઠમઠોરતા પ્રવેશ્યા કે નિર્માણ સરકારી પૈસે નહીં પણ સ્વતંત્ર ટ્રસ્ટ ને લોકફાળા મારફતે થશે.

સરદાર ડિસેમ્બર 1950માં ગયા અને જવાબદારી કનૈયાલાલ મુનશીને શિરે આવી. મંદિર તૈયાર થઈ ગયું ને જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાનો અવસર આવ્યો ત્યારે મુનશીએ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને તે માટે નિમંત્ર્યા. વડાપ્રધાન નેહરુની સલાહ રાષ્ટ્રપતિએ ન જવું એવી હતી, પણ એ ગયા. સ્વાભાવિક જ, પક્ષપરિવારને નેહરુ પરના પ્રસાદના વિજયની ને સેક્યુલર વિચાર પરની રાષ્ટ્રવાદી સરસાઈની રીતે એ એક મોટી ઘટના લાગે છે. પણ સમગ્ર ઘટનાક્રમમાં પોતપોતાને છેડેથી સ્વરાજ ત્રિપુટી સરકાર, રાષ્ટ્ર અને ધર્મ ત્રણેયને સમીકૃત થતાં કંઈક રોકી શકી હતી એનો ખયાલ ન તો પક્ષપરિવારનો છે, ન તો સરાસરી લોકમાનસને.

એક રીતે, નેહરુની સલાહ ન માનતે છતે રાજેન્દ્ર પ્રસાદે કરેલા એક મુદ્દો પણ સ્વરાજ ત્રિપુટીની 1947ની એકંદરમતીને ટેકો કરનારો છે. એમણે નેહરુને લખ્યું હતું કે મને નિમંત્રણ મળશે તો હું મસ્જિદ કે ગિરજાઘરના કાર્યક્રમમાં પણ સામેલ થઈશ. આ વાતમાં જો જવાહરલાલને જવાબ હતો તો હિંદુ રાષ્ટ્રવાદી વલણ ધરાવનારાઓને ચોક્કસ ચીમકી પણ હતી. વસ્તુત: રાજેન્દ્ર પ્રસાદ દરગાહ શરીફ અને સેન્ટ ફ્રાન્સિસ ચર્ચની મુલાકાતમાંયે સર્વ ધર્મ સમભાવી રાષ્ટ્રભાવનાનું પ્રાગટ્ય જોતા હતા. દેખીતી રીતે જ સોમનાથને હિંદુત્વ રાજનીતિમાં સીમિત ને સમીકૃત કરનારાઓથી જુદી પાડતી આ ભૂમિકા હતી અને છે.

સોમનાથ સરદાર પેરેલલના રણરંગમાં અડવાણી એ જ ગાળાની (1947-1950), આ જ કુળની એક મોટી ઘટના ચૂકી ગયા છે એ અયોધ્યા આંદોલનના સૌ લાભાર્થી અને પોતાની તરેહના સરદારવાદીઓએ ઇતિહાસવસ્તુ તરીકે કાળજે ધરવાજોગ છે. 1949માં, 1990 અને તે પછીના અયોધ્યા આંદોલન માટે ભાવિમાં નિમિત્ત રૂપ બનેલો બનાવ બન્યો હતો. પાછળથી જેને વિવાદાસ્પદ ઢાંચો કહેવાયો એમાં રાતવરત ચમત્કારિક રીતે રામલલ્લાનું પ્રાગટ્ય થયું હતું. એને આંખ આડા કાન સહિત પનાહ આપનાર જિલ્લા મેજિસ્ટ્રેટ નાયર પછીથી જનસંઘમાં ધોરણસરની પાયરીએ સમુત્ક્રાન્ત થયા હતા, પણ છોડો એ વાત.

1949ના નવેમ્બર-ડિસેમ્બરનો નેહરુ-પટેલનો મુખ્યમંત્રી ગોવિંદવલ્લભ પંત સાથેનો સત્તાવાર પત્રવ્યવહાર એવી સાફ ભૂમિકા પરનો છે કે જે બન્યું છે તે ગેરકાનૂની ને અઘટિત છે. એને ઊગતું જ ડામવું જોઈએ તે રાજ્ય સરકારની ફરજ છે. પંડિત પંતે એમની રાજકીય સમજ પ્રમાણે અને જિલ્લા ન્યાયાધીશ નાયરની ‘સલાહ’ પ્રમાણે, નેહરુ-પટેલની સૂચનાથી વિપરીતપણે ઢીલું મૂક્યું. પરિણામે, જે થવાનું હશે તે થયું! પણ જોવાનું એ છે કે સંઘ શ્રેષ્ઠીઓ જેમને પોતાના રોલ મોડેલ તરીકે અને નેહરુને સ્થાને જો એ હોત તો રંગ રહ્યો હોત એમ ઉછાળે છે તે સરદારને અયોધ્યામાં સોમનાથવાળી ગ્રાહ્ય નહોતી. કાયદાના શાસનને અનુવર્તી ધોરણે તે સંકલ્પબદ્ધ હતા. ત્યારના સરદાર-સાથી આઈ.સી.એસ. એચ.એમ. પટેલ આપણી વચ્ચે આજે હોય તો એ સોમનાથ ને અયોધ્યા વચ્ચે સરદારે દાખવેલ વિવેકની રૂડી સમજૂત આપી શકે.

છેલ્લે, રોલ મોડેલ સરદાર અને જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીને સાથે મૂકીને થોડુંક : ભાગલા પછી, શરૂના દોર બાદ, કંઈક થાળે પડ્યું ને વળી વટક્યું – પૂર્વ પાકિસ્તાનમાંથી હિંદુ હિજરતીઓનો પ્રવાહ શરૂ થયો. આ નહીં રોકી શકાતા મુખર્જી નેહરુ પ્રધાનમંડળથી વિરોધમાં છૂટા થયા. પટેલ અલબત્ત સચિંત અને સચેત હતા – અંગત ઉદ્દગારોમાં એમના પ્રતિભાવ પાક પરત્વે આકરા ને આક્રમક હશે. પણ વ્યાપક સંદર્ભ ચૂક્યા વગર આગળ વધવાનું હતું.

નેહરુ અને લિયાકત (પાક વડા પ્રધાન) વચ્ચે સંપર્કને પગલે, નવી દિલ્હીમાં બંને વડા પ્રધાનોની મુલાકાત ગોઠવાઈ. નેહરુએ લિયાકત અને પટેલ પણ સ્વતંત્રપણે મળે એવો આગ્રહ રાખ્યો. એમાંથી સરહદની બંને બાજુએ લઘુમતી પંચ કાર્યરત બને એવી ફોર્મ્યુલા ઊપસી રહી અને કેટલોક સમય એણે કામ પણ આપ્યું. આવી રચનાની જરૂરત સમજાવવા અશાંત બંગાળ વચ્ચે પટેલે ખાસા પાંચ-સાત દિવસ ગાળ્યા અને હૂંફ ને હામ સાથે સૌને વિશ્વાસમાં લીધા.

… સરદારી સહેલી નથી, ભાઈ!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 05 નવેમ્બર  2025

Loading

આરંભે ડો. આંબેડકર અલગ મતાધિકારના વિરોધી હતા!

ચંદુ મહેરિયા|Opinion - Opinion|5 November 2025

ચંદુ મહેરિયા

બાબાસાહેબ ડો. આંબેડકર જીવનના ઉત્તરાર્ધમાં ‘અલગ વસાહતો’ અને ‘અલગ મતાધિકાર’ને દલિતોની મૂળભૂત જરૂરિયાત ગણાવતા હતા, પરંતુ ઇતિહાસ ગવાહ છે કે ૧૯૨૮માં સાયમન કમિશન સમક્ષ આંબેડકરે માત્ર રાજકીય અનામતની માગણી કરી હતી. એટલું જ નહીં, અલગ મતાધિકારનો વિરોધ પણ કર્યો હતો! 

કાઁગ્રેસે આઝાદ ભારતના રાજ્ય બંધારણનું માળખું ઘડી કાઢવા ઈ.સ. ૧૯૨૮માં મોતીલાલ નહેરુના વડપણ હેઠળ ‘નહેરુ સમિતિ’ની રચના કરી હતી. આ સમિતિએ સર્વપક્ષીય બેઠક બોલાવીને તેમાં મુસ્લિમ, શીખ, ઈસાઈ, એંગ્લો ઇન્ડિયન, બ્રાહ્મણેતર સંસ્થાઓ અને દ્રવિડ મહાજનોને ચર્ચા માટે નોતર્યા હતા, પરંતુ તેમાં દલિતોનો કે આંબેડકરનો પક્ષ જાણવો સમિતિને જરૂરી લાગ્યો નહોતો. નહેરુ સમિતિએ તેના અહેવાલમાં દલિતોના રાજકીય પ્રતિનિધિત્વની વાતને સાવ તડકે મૂકી દીધી હતી.

એ સંજોગોમાં સાયમન કમિશન સમક્ષ દલિતોની જે અઢાર સંસ્થાઓએ રજૂઆતો કરી, તેમાં સોળ સંસ્થાઓએ દલિતો માટેના સ્વતંત્ર (એટલે કે અલગ) મતદાર સંઘ (મંડળ)ની માગણી કરી હતી. માત્ર બે જ સંસ્થાઓએ સંયુક્ત મતદાર મંડળ અને રાજકીય અનામતોની માંગણી કરી હરી. આ બે સંસ્થાઓમાંની એક હતી આંબેડકરની ‘બહિષ્કૃત હિતકારિણી સભા’ (સ્થાપના ૧૯૨૪). તેમણે દલિતો માટે સંયુક્ત મતદાર મંડળ અને રાજકીય અનામતોની તો માંગણી કરી પણ દલિતોના અલગ કે સ્વતંત્ર મતદારમંડળનો સખત વિરોધ કર્યો હતો!

બાબાસાહેબ આંબેડકર

સાયમન કમિશન સમક્ષ થયેલી કોમી મતદારમંડળોની માગણીને વખોડતા આંબેડકરે પોતાના અલગ અહેવાલમાં જણાવ્યું હતું : કોમી મતદારમંડળો માટેનો કેસ, વાજબી કહી શકાય તેવા કોઈ પણ કારણસર ટકી શકે તેવો નથી. તેની તરફેણમાં જે કંઈ કહેવાય છે તે માત્ર લાગણી અને ભાવનાઓ જ છે. હું અમુક વર્ગોને ખાસ પ્રતિનિધિત્વ મળે તેમ ઇચ્છું છું. છતાં એ પ્રતિનિધિત્વ તેમને અલગ મતદારમંડળો મારફતે મળે તેની વિરુદ્ધ છું. સૌથી યોગ્ય તો એ જ છે કે અનામત બેઠકોવાળી સંયુક્ત મતદાર મંડળોની પદ્ધતિ જ હોવી જોઈએ. તેનાથી ઓછું કશું ય અપૂરતું ગણાશે.

આમ, દલિતોના જ નહીં કોઈના પણ અલગ મતદારમંડળોના વિરોધી આંબેડકર, પાછળથી ‘દલિતોએ તેમની સઘળી માગણીઓ જતી કરવી જોઈએ, પણ અલગ મતદારમંડળો અને અલગ વસાહતોની માંગણીઓ ક્યારે ય ન છોડવી જોઈએ’ એમ કેમ કહ્યું હશે, એ જાણવા આઝાદી પહેલાંનો ઇતિહાસ, કાઁગ્રેસ અને ખાસ કરીને ગાંધીજીનું વલણ તપાસવું જોઈએ. 

સાયમન કમિશન સમક્ષ રાજકીય અનામતની આંબેડકરની માગણી પૂરતા પ્રમાણમાં સંતોષાઈ નહોતી. ગોળમેજી પરિષદના આરંભે તેમણે અલગ મતાધિકારને નહીં પણ પુખ્ત વયના મતાધિકારને પ્રાથમિકતા આપી હતી, પરંતુ બીજી ગોળમેજી પરિષદમાં મુસ્લિમો, શીખો, ખ્રિસ્તીઓ,એંગ્લો ઇન્ડિયનો – એમ સઘળા જૂથોની અલગ મતદાર મંડળોની માગણી સ્વીકારનાર ગાંધીજીએ દલિતોના અલગ મતદાર મંડળોનો જ નહીં તેમની રાજકીય અનામત બેઠકોની માંગણી પણ સ્વીકારી નહીં. એ તબક્કે આંબેડકરને તેમની રણનીતિ બદલવાની કદાચ ફરજ પડી હશે અને તેમણે દલિતો માટે અલગ મતદારમંડળોને જ મુખ્ય મુદ્દો બનાવ્યો હશે એમ લાગે છે. બીજી ગોળમેજી પરિષદમાં લઘુમતીઓના અધિકારોના મુદ્દે મડાગાંઠ ચાલુ રહી હતી. આંબેડકરે દલિતો માટે અલગ મતદાર મંડળોની માગણી સબળ રીતે રજૂ કરી અને બ્રિટિશ સરકારને તે સ્વીકારવાની ફરજ પાડી. 

એ સમયે ગાંધીજીમાં રહેલો મુત્સદી કેવા કેવા પેંતરાઓ રચે છે તે જાણવા જેવું છે. આંબેડકર લખે છે : ૧૩મી નવેમ્બર ૧૯૩૧ના આગલા દિવસે લઘુમતી કરાર, ગોળમેજી પરિષદની લઘુમતી પેટા સમિતિને સોંપવામાં આવ્યો, ત્યારે ગાંધીએ કુરાનની નકલ લીધી અને રીટ્ઝ હોટેલમાં નામદાર આગાખાનને મળવા ગયા, જ્યાં મુસ્લિમ પ્રતિનિધિઓ ભેગા થયા હતા. ગાંધીએ મુસ્લિમ પ્રતિનિધિઓને પૂછ્યું, અલગ પ્રતિનિધિત્વ માટેનો અસ્પૃશ્યોનો હકદાવો માન્ય રાખીને તમે શા માટે હિંદુ સમાજને વિભાજિત કરી રહ્યા છો? શું કુરાનમાં આવું કરવાની રજા આપેલી છે? મને બતાવો, કુરાનમાં એવું ક્યાં કહ્યું છે? મુસ્લિમ પ્રતિનિધિઓને કદાચ ગાંધીના આ પ્રશ્નનો જવાબ આપવાનું અઘરું લાગ્યું હશે. મુસ્લિમ પ્રતિનિધિઓએ ગાંધીને શું જવાબ આપ્યો તે હું જાણતો નથી, પરંતુ આ (ગાંધીજીના કુરાનવાળા સવાલ અંગેની) માહિતી મને અત્યંત અધિકૃત રીતે મળી છે. (અનટચેબલ્સ એન્ડ અનટચેબિલિટી: સોશિયલ-પોલિટિકલ-રિલિજિયસ.ડો. આંબેડકર,ગ્રંથ-૫, પૃષ્ઠ-૩૨૩) 

આટઆટલા પેંતરાઓ અને પ્રયત્નો છતાં ગાંધીજી ન ફાવ્યા અને અંતે લઘુમતીઓના અધિકારોનો મુદ્દો બ્રિટિશ વડા પ્રધાન પર છોડાયો હતો. બ્રિટિશ વડા પ્રધાન રામ્સે મેકડોનાલ્ડે ૧૭મી ઓગસ્ટ, ૧૯૩૨ના રોજ કમ્યુનલ એવોર્ડ (કોમી ચુકાદો) જાહેર કર્યો હતો. તેમાં દલિતો માટે અલગ મતદારમંડળોની માગણી સ્વીકારવામાં આવી હતી. સાથે સાથે આ અલગ મતદારમંડળો અમર્યાદિત સમય માટે નહીં, પરંતુ વધુમાં વધુ વીસ વરસ માટે જ રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી. 

ગાંધીજીએ ગોળમેજી પરિષદમાં જ દલિતો માટે અલગ મતદારમંડળોનો વિરોધ કર્યો હતો. તેઓ દલિતોને હિંદુ સમાજનો જ એક ભાગ માનતા હતા અને દલિતોનું અલગ રાજકીય પ્રતિનિધિત્વ તેમને હિંદુ એકતા માટે ખતરનાક લાગતું હતું. તેથી, કમ્યુનલ એવોર્ડ અંતર્ગત દલિતો માટેના અલગ મતદાર મંડળોની જોગવાઈના વિરોધમાં તેમણે પૂનાની યરવડા જેલમાં  આમરણ ઉપવાસ કરવાની જાહેરાત કરી. ગાંધીજીના ઉપવાસ અને તે અંગેના આંબેડકરના વલણનો ઇતિહાસ બહુ જાણીતો છે. આંબેડકરને ગાંધીજીના ઉપવાસના શસ્ત્ર સામે ઝૂકવું પડ્યું, દલિતોના અલગ મતાધિકારની માગણી જતી કરવી પડી અને રાજકીય અનામત બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. 

કોમી ચુકાદામાં અલગ મતદારમંડળો અને સામાન્ય મતદારમંડળો એમ બેવડા મતનો લાભ હતો. વળી દલિત જ દલિતને ચૂંટે તેવી પણ જોગવાઈ હતી. પૂના કરારને કારણે કોમ્યુનલ એવોર્ડ કરતાં બમણી બેઠકો દલિતોને મળી, પણ યોગ્ય પ્રતિનિધિત્વ છીનવાઈ ગયું. 

કોમી ધોરણે મતાધિકારની માંગણી કરનાર બાબાસાહેબ આંબેડકરને ૧૯૩૭ની પહેલી ચૂંટણીમાં ‘ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી’ની રચના કરવાની જરૂર જણાઈ હતી. મુંબઈ વિધાનસભાની કુલ ૧૭૫ બેઠકોમાં અનામત બેઠકો માત્ર ૧૫ જ હતી. ત્યારે બાબાસાહેબને જ્ઞાતિના ધોરણે નહીં પણ વ્યાપક સમર્થનવાળા રાજકીય પક્ષની રચના યોગ્ય લાગી હતી. એટલે તેમણે ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી(સ્વતંત્ર મજૂર પક્ષ)ની રચના કરી હતી. 

પૂના કરારના લગભગ સવા નવ દાયકે, અલગ મતાધિકારની માંગ બુલંદ કરનાર સૌએ  દલિતોના પેટા જ્ઞાતિવાદના મુદ્દે આ માંગણી (અલગ મતદારમંડળની) વિચારવા જેવી છે. ખુદ બાબાસાહેબને પણ દલિતોના પેટા જ્ઞાતિવાદનો ઠીક ઠીક અનુભવ થયો હતો. આજે વકરેલા દલિત પેટા જ્ઞાતિવાદના સંદર્ભમાં અલગ મતાધિકારની માંગણી કેટલી યોગ્ય ઠરે તે વિચારવું રહ્યું. 

ગુજરાતની દલિત વસ્તીમાં સાવ જ નજીવું પ્રમાણ ધરાવતી દલિત પેટાજ્ઞાતિના ઉમેદવારો રાજકીય અનામત બેઠકો અને રાજકીય પક્ષોની પસંદગીના કારણે ધારાસભા કે લોકસભામાં ચૂંટાઈ શક્યા છે. ગંગાબહેન વાઘેલા, ભાનુભાઈ વાઘેલા, ચંદ્રકાંત વાઘેલા, દર્શનાબહેન વાઘેલા, ચંદ્રાબહેન શ્રીમાળી અને પૂનમભાઈ મકવાણા જેવાં નામો તરત યાદ આવે. દલિતોમાં દલિત એવી દલિત પેટા જ્ઞાતિઓના આ ઉમેદવારો અલગ મતાધિકારમાં સત્તાના રાજકારણમાં સ્થાન બનાવી શક્યા હોત ખરા?

સુપ્રીમ કોર્ટના અનામતમાં પેટા વર્ગીકરણના મુદ્દે દલિતોની સંખ્યામાં વર્ચસ ધરાવતી પેટા જ્ઞાતિઓનું વલણ હાલમાં જણાઈ આવ્યું છે તે સંજોગોમાં અલગ મતાધિકારમાં દલિતોની સર્વ જ્ઞાતિઓનું સમાવેશન શક્ય બન્યું હોત ખરું ?  તે બાબત પણ વિચારવા જેવી નથી શું? . 

પૂના કરારને કારણે ૧૯૩૭માં પ્રાંતિક ધારાસભાઓમાં ૧૫૧ અનામત બેઠકોમાંથી કાઁગ્રેસને ૭૮ બેઠકો મળી હતી. એટલે કે લગભગ પચાસ ટકા જેટલી જ. મુંબઈ વિધાનસભાની મોટા ભાગની અનામત બેઠકો આંબેડકરના પક્ષને મળી હતી. જો બાબાસાહેબ દલિતોના રાજકીય સંગઠન તરફ વધુ લક્ષ આપી શક્યા હોત,  તેમને દલિતોનો અખિલ ભારતીય પક્ષ રચવાની તક મળી હોત અને પૂના કરારની પ્રાથમિક ચૂંટણીની શરત તેના ખરા અર્થમાં અમલી બની હોત તો આજે દલિતોના રાજકીય પ્રતિનિધિત્વનો ઇતિહાસ જુદો હોત. રાજકીય અનામત અને અલગ મતાધિકારની ચર્ચા વેળાએ આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...39404142...506070...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved