અલ કાયદા : બાંગ્લાદેશ, આસામ, ગુજરાત, કાશ્મીર … અને મુસ્લિમ બ્રધરહૂડ સ્ટેટ ('ઉમા’)
કબૂલ કે એ ઉદ્દગારોમાં એક તરેહનું સ્માર્ટિંગ છે. કંઈક ચાતુરી તો તત્કાળ ચમત્કૃિત પણ છે. 'દેશ જ્યારે ભડકે બળતો હતો, મોદી ત્યારે ઢોલ પીટતા હતા,’ અમેઠીની પુશ્તૈની બેઠકની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું છે. ૨૦૧૪ના સપ્ટેમ્બર મહિનામાં આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે રાહુલ ગાંધીના ખયાલમાં એટલી એક સાદી વિગત તો કમ સે કમ હોવી જોઈએ કે હજુ મે ૨૦૧૪ લગી એટલે કે પૂરા એક દાયકા લગી તો રાષ્ટ્રીય સ્તરે યુ.પી.એ.નું જ શાસન હતું. દેશમાં બધું ઠીકઠાક ન લાગતું હોય તો એનો સઘળો યશ કંઈ પહેલાં સો દિવસને જ ખતવી શકાતો નથી.
જો કે, ઉલટ પક્ષે, પહેલા સો દિવસમાં જ 'અચ્છે દિન’નાં વધામણાં રૂપે વૃિદ્ધ દરનો હવાલો અપાય છે ત્યારે એક સાદી વિગત ખયાલમાં રહેતી નથી કે આ વધારો વસ્તુત: જતી સરકારે લીધેલા અને અમલમાં મૂકવા માંડેલા કેટલાક નિર્ણયોને આભારી છે. જે ગાળાને આધારે વૃિદ્ધનો હવાલો અપાય છે તેનો ઠીક ઠીક હિસ્સો યુ.પી.એ.ના ખાતામાં જાય છે. આબાદ વિગત તો ઘરઆંગણે ગુજરાતની છે. 'વાઈબ્રન્ટ’ ઈવેન્ટ આગમચ પડદા ઉઠાવ ઉર્ફે કર્ટન રેઝર જેવું જે બધું સાહિત્ય હાલ ફરી રહ્યું છે એમાં રાષ્ટ્રીય ચિત્ર જરી હુલાવીફુલાવીને રજૂ કર્યું છે. કદાચ, ગુજરાતમાં અને કેન્દ્રમાં આજકાલ એક જ પક્ષની સરકાર છે એનો આ જોસ્સો હશે. ભાઈ, કેન્દ્રના આ આંકડા તમે જે કાળે એનાં પર માછલાં ધોતાં હતાં તે કાળના જ છે એટલું તો વિચારો જરી.
મતલબ, વિચારધારાકીય ભેદમાં ન જઈએ તો રાષ્ટ્રીય સ્તરે તેમ રાજ્ય સ્તરે કેટલુંક સાતત્ય રહેલું છે. જે સવાલ છે એ ખરેખર તો બંને મુખ્ય પક્ષોએ નવી સ્થિતિને એટલે કે પરાજય અને વિજયને પચાવી જાણવાનો છે, અને પ્રાપ્ત નવી ભૂમિકાને અનુરૂપ પોતાને તૈયાર કરવાનો છે. આરંભે રાહુલ ગાંધીના જે ઉદ્દગારો સંભાર્યા એમાં પરાજયને પગલે પક્ષમાં પોતાને અંગે પણ જે પ્રશ્નો ઊઠયા છે એની ભીંસ સાફ દેખાય છે. એથી પણ વિશેષ તો, કોંગ્રેસ પક્ષે પોતાને વિપક્ષરૂપે સત્તાવાર સ્વીકૃતિ મળે તે માટે જે અરજઘોંઘાટ કર્યાં એ પણ ધ્યાન ખેંચે છે. પૂર્વે કોંગ્રેસ સત્તાપક્ષ હોય અને સામે પક્ષે પૂરતી સંખ્યા ન હોય ત્યારે સરકાર તરીકે પોતે જે તૈયારી દાખવી નહોતી તેની આશા હવે રાખી શકાય? અલબત્ત, ભાજપે સમુદાર ધોરણે નવો દાખલો બેસાડયો હોત તો ખોટું નહોતું. પણ એ અળગતની વાત છે.
બંને મુખ્ય પક્ષ પોતપોતાની નવભૂમિકામાં ગોઠાવાવા અંગે કાચીપાકી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે દેશનું બાકી ચિત્ર ખરે જ કેટલાક એવા મુદ્દા ઊભા કરે છે જેમાં ભારે મોટી જવાબદારી રહેલી છે. અલ કાયદાનો જે તાજો વીડિયો બહાર આવ્યો છે એ આવો જ એક મુદ્દો છે. બને કે અલ કાયદા પોતે અત્યારે એક ઓસરતી આણનો અનુભવ કરી રહ્યું હોય અને પશ્ચિમ એશિયાને બદલે દક્ષિણ એશિયામાં નવું પ્રભાવક્ષેત્ર જમાવવાનો એનો વ્યૂહ હોય. પણ એ જો દક્ષિણ એશિયામાં ગુજરાત સહિતના વિસ્તારોમાં 'ઉમા’ કહેતાં મુસ્લિમ બ્રધરહુડ સ્ટેટને ધોરણે હિંસ્ત્ર હવા પ્રેરવા માગતું હોય તો એ એક મોટો પડકાર તો છે જ.
ધર્મ આધારિત રાષ્ટ્ર-રાજ્યનો ખયાલ પાકિસ્તાન અને બાંગલાદેશ પરસ્પર છૂટાં પડયાં તે સાથે બેશક ભોંઠો પડેલો છે. પણ ભારતમાં જેઓ ઝીણાના હિંદુ અડધિયા તરીકેની રાજનીતિ ખેલે છે એમને વિશે શું કહેવું? આ રાજનીતિ 'ઉમા’ અભિગમને ટક્કર કેવી રીતે આપી શકે? ઊલટું, એ તો દેશને હિંદુ અને મુસ્લિમમાં વહેંચવાને ધોરણે એને મદદરૂપ જ બની રહે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ મજલીસ મુશવરતે અલ કાયદાને સમયસરની સલાહ આપી છે કે આ મુલકમાં તમારી ડખલની જરૂર નથી. તમે અમને (મુસ્લિમોને) ઊલટાનું નુકસાન પહોંચાડશો.
વળી આપણા પક્ષોની વાત કરીએ. 'લવ જેહાદ’નું જે રાજકારણ ચગાવાયું છે અને મુઝફફરનગર કાંડને વરસ વીત્યે પણ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ અને ભાજપ જે રીતે કોમી તનાવ મતદાનીય ધ્રુવીકરણની આશાએ ચાલુ રાખી રહ્યા છે એમાં ઘોર બેજવાબદારી નથી તો કશું નથી. તમે 'અલ કાયદા’ના પડકારને આ રીતે ન જ ઝીલી શકો. રાહુલ ગાંધી અને કોંગ્રેસકારણના બીજા આંતરિક મામલાઓમાં આ ક્ષણે ધારો કે ન જઈએ અને રાહુલ ગાંધીને કેમિયો અભિગમની કળ વળે એટલો એક આશાવાદ પ્રગટ કરીને અટકી જઈએ. પણ જાહેર જીવનમાં પોતાની નવભૂમિકા બાબતે તેઓ જો ખરેખર જ સભાન અને કૃતસંકલ્પ હોય તો એમણે સત્તાવાર વિપક્ષ તરીકે માન્યતા મળ્યા ન મળ્યાની ફરિયાદથી હટીને લોકોનાં વાસ્તવિક સુખદુ:ખના પ્રશ્નો જોડે સક્રિયપણે સંકળાવું જોઈએ. ઉપર 'વિકાસ-વિકાસ’નું એર કવરેજ અને નીચે કોમી ધ્રુવીકરણની રાજનીતિ ખેલતું પાયદળ, એ જે હાલની અનવસ્થા છે એનો કદાચ આ જ એક ઉગાર છે. જે સલાહ કોંગ્રેસને, તે જ બિહારમાં લાલુ-નીતીશ જોડાણને પણ આપવી રહે છે.
પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર 'નિરીક્ષક’ના તંત્રી છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 05 સપ્ટેમ્બર 2014
![]()


વતન છોડીને દેશાંતર કરવાની પ્રક્રિયા જ્યારે આટલી સહજ અને સરળ નહોતી ત્યારે, એટલે કે આજથી ત્રણ-ચાર દાયકા ઉપર મુંબઈથી વિલાયત જવું, અને તે પણ પોતે ગર્ભવતી હોય એ સ્થિતિમાં ! આવી સ્થિતિમાં જ્યારે નવા વાતાવરણમાં સાવ એકલપંડે જઈને ઠરીઠામ થવાનું આવે, ત્યારે કોઈ પણ સ્ત્રીની મનઃસ્થિતિ કેટલી દ્વિધાઓથી યુકત અને સંદિગ્ધ હશે એની કલ્પના કરવી અશક્ય નથી. લંડનમાં રહીને ડાયસ્પોરા ગુજરાતી સાહિત્યક્ષેત્રે શાંત સૂરે પોતાનું આગવું પ્રદાન કરી રહેલા કર્મશીલ વિપુલ કલ્યાણીનાં પત્ની તે કુંજ કલ્યાણી. ભાતીગળ રંગોથી ભર્યોભર્યો એમનો જીવનપ્રવાહ એમના જેવી અસંખ્ય ગુજરાતી પ્રવાસિનીઓની સમાયોજનશક્તિનું જીવંત દૃષ્ટાંત છે. અલ્પભાષી અને મૃદુભાષી કુંજ કલ્યાણીની આ સહજ વાતોમાં અનુભવજન્ય આત્મવિશ્વાસ અને સમજણનો રણકો સંભળાશે. તેમનો પૂર્ણ પરિચય આ મુલાકાત જ આપશે. …
જવાબ : વિપુલ અને હું કોલેજમાં સાથે હતાં અને ત્યાં અમે મળ્યાં. અને ૧૯૬૮માં અમારાં લગ્ન થયાં. વિપુલ પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો. અને લગ્ન પછી મારો પણ પાસપોર્ટ થયો અને એ એક કારણ થયું કે હું પણ પરદેશ જાઉં. ભારતમાં તો ઘણું ફરી હતી કારણ કે નોકરી કરતી હતી. બ્રિટનમાં ૧૯૭૨માં પહેલીવાર આવી ત્યારે મને સાત મહિનાનો ગર્ભ હતો.
જવાબ : હા, કારકિર્દી ઘણી બદલાઈ ગઈ. મુંબઈ યુનિવર્સિટીમાં મેં સમાજશાસ્ત્રમાં બી.એ.ની અૉનર્સ ડિગ્રી લીધી હતી. એ ડિગ્રીએ મને અહીં કંઈ જ કામ ન આપ્યું, સિવાય કે લોકો સાથેના વાતચીત-વ્યવહારમાં મને આત્મવિશ્વાસ મળ્યો. પણ એને લીધે મને એવું લાગ્યું કે હું કંઈ પણ કરતી એમાં મને આગળ બઢતી મળતી. મેં અહીં લાઈફ ઇન્શ્યોરન્સમાં કામ, કર્યું, રિટેઈલ દુકાનમાં કામ કર્યું, મેં ફ્યુનરલ ડાયરેકટરમાં પણ કામ કર્યું. એમાં જે મડદાંઓ હોય એને નવડાવીને-ધોઈને તૈયાર કરવાના, એમને સજાવીને એમનો મેઇક-અપ પણ કરવાનો થતો. એટલે એવું અસામાન્ય કહેવાય એવું કામ પણ મેં કર્યું છે. અને પછી તો મેં લોકલ અૉથોરિટીમાં – એટલે કે મ્યુિનસિપાલિટીમાં સત્તર-અઢાર વર્ષ કામ કર્યું. અને હવે છેલ્લાં અગિયાર-બાર વર્ષથી સિવિલ સર્વિસમાં કામ કરું છું. પણ એક વસ્તુ છે કે આ દેશમાં આવી છું ત્યારથી મેં સતત નોકરી કરી છે. મારી કરિયરમાં મેં ઘણું બધું જોયું અને દરેકમાંથી બહુ શીખી છું. મને એને માટે કોઈ અસંતોષ કે પશ્ચાતાપ નથી કે હું આવું ભણી અને મારે આવું કામ કરવું પડે છે. એ દરમ્યાન હું રેડિયોમાં બ્રોડકાસ્ટર તરીકે પણ કામ કરતી, હું ગુજરાતી પ્રોગ્રામ કરતી. અહીં બે ગુજરાતી કાર્યક્રમ ચાલતા હતા. મેં બ્રોડકાસ્ટિંગનો કોર્સ કર્યો. ઘરે બધી તૈયારી કરીને, લખીને પછી ત્યાં જવાનું. હું કાર્યક્રમ પ્રસ્તુત કરતી, વોઈસ-અોવર કરતી, સ્ક્રીપ્ટ લખતી. એટલે મેં જાતજાતનાં કામો કર્યાં. હું અહીં આવી ત્યારથી દુભાષિયાનું કામ કરું છું અને એ કામ મને બહુ જ સંતોષ આપે છે. હું હાઇકોર્ટ સુધીનું ઇન્ટરપ્રીટિંગ કરું છું, મોટે ભાગે વકીલો માટે અને એવી કંપનીઓ માટે. આ કામમાં મને સંતોષ મળે છે કારણ કે એમાં આપણા લોકોને કંઈક મદદ કરી શકું છું. અને અહીં મેં એનો ડિપ્લોમા પણ કરી લીધો હતો એટલે મને એમાં ખૂબ મજા આવે છે.