Opinion Magazine
Number of visits: 9664632
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘લેખકે કરસનદાસ મૂળજીની યાદ અપાવે તેવું કામ કર્યું છે !’

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|10 February 2025

રમેશ સવાણી

સ્વામિનારાયણ પંથ દ્વારા વર્ષોથી ચલાવવામાં આવી રહેલી છેતરપીંડી અને તેના અનેક પ્રકારના દુરાચારોને આધાર-પુરાવા સાથે ખુલ્લા પાડતા પુસ્તક ‘છળકપટ’નો પ્રકાશન સમારંભ 9 ફેબ્રુઆરી 2025ના રોજ નવજીવન સંકુલના જિતેન્દ્ર દેસાઈ સભાગૃહમાં યોજાયો હતો.

આ પુસ્તક, લેખકને આપણા સમયના કરસનદાસ મૂળજી ગણવા પ્રેરે છે. ઓગણીસમી સદીના નિર્ભિક પત્રકાર કરસનદાસે તેમના સમાચાર પત્ર ‘સત્યપ્રકાશ’માં વૈષ્ણવ સંપ્રદાયના દુરાચારોને ખુલ્લા પાડ્યા હતા. કરસદાસ પછી જવલ્લે જ કોઈ લેખક / પત્રકારે આવું કામ કર્યું હશે (મારી ટૂંકી માહિતી મુજબ), તે આટલાં વર્ષે રમેશ સવાણીએ કર્યું છે.

‘છળકપટ’ પુસ્તકના 79 તેજાબી પ્રકરણોમાંથી કેટલાંકના મથાળા પરથી પણ પુસ્તકની તાકાતનો નિર્દેશ મળી શકે : સ્વામિનારાયણ ધર્મ કહે છે અમે હિન્દુ ધર્મનો ભાગ નથી ! (પ્રકરણ 27). સહજાનનંદજીએ શિવને, કૃષ્ણને, રામને નીચા દેખાડવાનો પ્રયત્ન શા માટે કર્યો હશે?(પ્રકરણ 18). જો સહજાનંદજી ‘સર્વોચ્ચ ભગવાન’ હોય અને BAPS સ્વામી ‘પ્રગટ બ્રહ્મસ્વરૂપ’ હોય તો બોરસદની સામાન્ય કોર્ટનો આશરો લેવો પડે? (પ્રકરણ 4). સ્વામિનારાયણ સંપ્રદાયને આઝાદીની લડત કે માનવીના ગૌરવની લડતમાં સહેજ પણ રુચિ ન હતી! 

કોર્ટે જેમને તડીપાર જાહેર કરેલા તે યજ્ઞપુરુષદાસ પ્રગટ બ્રહ્મસ્વરૂપ બની ગયા ! (પ્રકરણ-9). સ્વામિનારાયણના પાંચ સ્વામીઓને ફાંસીની સજા કેમ થઈ હતી (પ્રકરણ 70). સરદાર પટેલ બોલ્યા : ‘ખટપટ કરે, અદાલતે ચડે તેવા સાધુઓ આ લોકમાં કે પરલોકમાં આપણું ભલું કરી શકે નહીં!’ (પ્રકરણ 14). સાધુઓના સેક્સકાંડ સર્વોપરી ભગવાન કેમ અટકાવી શકતા નથી?(પ્રકરણ 61). ન્યુજર્સીના સ્વામિનારાયણ મંદિર પર એફ.બી.આઇ.એ રેઈડ કેમ પાડી? (પ્રકરણ 63). પ્રમુખસ્વામી પાસે ટેક્નોક્રૅટ અને વિજ્ઞાનીએ જ્ઞાન ગ્રહણ કર્યું હતું, તમને નથી દેખાતું ? (પ્રકરણ 24) સ્વામિનારાયણ સંપ્રદાય શા માટે દલિતોના ઉદ્ધારનાં જૂઠાણાં ફેલાવતો હશે? (પ્રકરણ 36). બે સ્વામીઓ અક્ષરધામને પામવા માટે ઝગડે છે કે સત્તાપ્રાપ્તિ અને ધનપ્રાપ્તિ માટે? (પ્રકરણ 55), ધર્મગુરુઓ આપણને વર્ષ 1517માં ધકેલી રહ્યા છે? (પ્રકરણ 79).

પુસ્તકનું સત્ય બધી રીતે બળવાન પંથના સત્તાધીશો અને અનુયાયીઓને ફટકારનારું, તેમને હાડોહાડ લાગી આવે તેવું છે. લગભગ બધાં પ્રકરણો લેખક ગયાં બેએક વર્ષ દરમિયાન પુષ્કળ ફેલાવો ધરાવનાર ફેસબુક માધ્યમ પર લખી ચૂક્યા છે, તે હજ્જારો લોકો સુધી પહોંચ્યા છે. છતાં ય અત્યારે બધી રીતે શક્તિમાન એવા તેમાંથી કોઈ પણ બાબતને જાહેર રદિયો આપ્યો હોવાનું કે કાનૂની રાહે પડકારી હોવાનું જાણમાં નથી. તેનું કારણ મહદઅંશે એવું છે કે ગઢડા તાલુકામાં જન્મેલા લેખકે તેમના મુદ્દાઓને સંખ્યાબંધ આધારો દ્વારા પડકારને પર બનાવી દીધા જણાય છે. તેમણે આપેલા આધારોમાં શિક્ષાપત્રી અને સંપ્રદાયના પરચાસાહિત્ય ઉપરાંત તેના અનુયાયીઓએ જ લખેલાં પુસ્તકો, ચોકસાઈભરી ઐતિહાસિક વિગતો, કાનૂની દસ્તાવેજો, સમાચારો તેમ જ વેબસાઈટનો ઉપયોગ કર્યો છે. પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્દુલ કલામ, સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશો શરદ બોબડે અને એમ.આર. શાહ, સાહિત્યકાર ક.મા. મુનશી, ચિંતક કિશોરલાલ મશરૂવાળા, યશવંત શુક્લ અને ઇતિહાસકાર મકરંદ મહેતા જેવી વ્યક્તિઓએ આ પંથનું કરેલું ગફલતી ગૌરવ પણ લેખક ધ્યાન પર લાવ્યા છે. 

સંપ્રદાય અને આનુષાંગિક વિષયો ઉપરાંત કાનૂની અભ્યાસ પુસ્તકને સંગીન બનાવે છે. અચૂક ક્રિટિકલ અભિગમથી પુસ્તકને ધાર આપે છે. મોટા ભાગના પ્રકરણોમાં લેખકે સર્વાર્થે જન સામાન્યને લગતા, રૅશનલ, વ્યવહારુ અને સોંસરા સવાલો પૂછ્યા છે. તેના લોકહિતાર્થી અને તાર્કિક જવાબો સંપ્રદાય તરફથી મળ્યા નથી તે હકીકત પ્રશ્નોની નક્કરતા અને પંથની પોકળતા બતાવે છે.

લેખકની માંડણી સ્પષ્ટ છે; શૈલી બિલકુલ સીધીસટ છે, શબ્દોની પસંદગી ચોકસાઈવાળી અને અભિવ્યક્તિ સાફસૂથરી છે. તેઓ ક્યાં ય વિવેક ચૂકતા નથી કે અભિનિવેશ બતાવતા નથી. પ્રકાશન કાર્યક્રમમાં રમેશભાઈએ અનેક મુદ્દા અને દાખલા દ્વારા એ મતલબની કેફિયત આપી કે “સ્વામિનારાયણ સંપ્રાદાય પોતાનો વાડો મોટો કરવા માટે તેમનાં પુસ્તકો અને મંદિરોમાં સનાતન કે હિંદુ ધર્મના દેવદેવીઓને સહજાનંદ સ્વામી કરતાં ઊતરતાં બતાવે છે. આ ધર્મના પાત્રો સાથે ગંદી રમત છે, આ છળકપટ ‘જે મારે લોકોને આ પુસ્તક દ્વારા બતાવવું છે … ચાળીસેક વર્ષ પૂર્વે ‘અર્થાત’ સામયિકમાં ઇતિહાસકાર મકરંદ મહેતા અને અચ્યુત યાજ્ઞિકે સહજાનંદ સમાજસુધારક હતા, પણ સંત ન હતા એમ વિશદ કરતો લેખ લખ્યો, તેની સામે મુકદ્દમો મંડાયો. મકરંદભાઈએ હથિયાર હેઠા મૂકી દીધા, મારે એમનું કામ આગળ ધપાવવું છે. BAPS હિંદુ ધર્મના દેવોને ઊતરતા બતાવે છે, એનું અપમાન કરે છે અને છતાં સનાતન ધર્મના, હિંદુ સંસ્કૃતિના પ્રચારનો દાવો કરે છે, તે પણ દર્શાવવાનો આ પુસ્તકનો હેતુ છે.”

વિમોચન પ્રસંગે પ્રકાશ ન. શાહ, ઉત્તમભાઈ પરમાર, જગદીશભાઈ બારોટ, કિરણ ત્રિવેદી અને હેમન્તકુમાર શાહે વક્તવ્યો આપ્યાં. તેમને સહુએ બાવા-સંપ્રદાયોએ ચલાવેલી પ્રતિગામી સાંપ્રદાયિકતા પર પ્રસંગો અને અનુભવોને આધારે કોરડા વીંઝ્યાં તેમ જ રેશનલ સમાજની તેમની વિભાવના વર્ણવી. કાર્યક્રમનું સંચાલન હોનહાર, નીડર યુવા રૅશનાલિસ્ટ પ્રગતિશીલ યુ-ટ્યૂબર જ્યોત્સ્ના આહિરે કર્યું. તેમના સંચાલનમાં સાહજિકતા, જીવંતતા અને રૅશનાલિસ્ટ મુદ્દાઓની વારંવાર જિકર હતી. નોંધપાત્ર હાજરી ધરાવનારા આ કાર્યક્રમમાં અમદાવાદ ઉપરાંત ભાવનગર, ગોંડલ, સૂરત, ગાંધીનગર અને કૅલિફૉર્નિયા / મેરીલેન્ડ / કેનેડા / UKથી પણ લોકો આવ્યા હતા.

ધર્મસત્તા અને રાજ્યસત્તાના છળકપટોનો પર્દાફાશ કરનાર વધુ સાહિત્ય લખાતું-વંચાતું રહે તેના માટેનો જુઝારુ દિશાનિર્દેશ રમેશ સવાણીના પુસ્તકમાંથી મળે છે. એટલા માટે પણ આ પુસ્તકનો ઘણો ફેલાવો થાય તે જરૂરી છે.  

[10 ફેબ્રુઆરી 2025]

Loading

પાબ્લો નેરુદાનાં કાવ્યોના ભાવાનુવાદો, નવેસરથી (૪ અને ૫) 

સુમન શાહ|Poetry|10 February 2025

Question-Poems – પ્રશ્નકાવ્યો

૧૪

હું હતો જે બાળક તે ક્યાં છે?

હજી યે મારામાં? કે ગૂમ?

૧૫

જો મારો આત્મા જ ચાલી ગયો છે દૂર,

તો પછી આ હાડપિંજર શું લેવા મારો પીછો કરે છે?

૧૬

મેઘધનુષ્ય ક્યાં આથમે છે,

તારા આત્મામાં કે ક્ષિતિજ પર?

૧૭

તું ઊંઘતો’તો ત્યારે તારા સ્વપ્નમાં 

તને ભોગવી ગયું એ કોણ હતું?

૧૮

ક્યાં જતી રહે છે સ્વપ્નમાં આવેલી ચીજો, 

શું એ બીજાના સ્વપ્નમાં સરકી જાય છે? 

૧૯

તારા સ્વપ્નમાં જીવન્ત પિતા 

તું જાગે પછી શું ફરીથી મરી જાય છે?

૨૦

કોણ ભલા સમજાવી શકે સાગરને

માપમાં રહેવાનું?

૨૧

મોજાંઓ મને એ-ના-એ સવાલો 

કેમ કર્યા કરે છે, જે મેં એમને કરેલા?

૨૨

જે ચુમ્બનો ખીલીને કદી મ્હૉરવાનાં નથી,

એ બતાવીને શું વસન્ત છેતરતી નથી? 

૨૩

હું ક્યારેક જ દુષ્ટ કે પછી

હમેશાં સજ્જન? 

૨૪

એવું નહીં કે દુરિતનાં ગુલાબ શ્વેત

અને શુભનાં પુષ્પ શ્યામ?

૨૫

પ્રેમ પેલાનો પ્રેમ પેલીનો બધું પ્રેમ પ્રેમ

છતાં જો એ લોકો ચાલી ગયાં, તો ક્યાં ચાલી ગયાં?

૨૬

ગઈ કાલે મેં મારી આંખોને પૂછ્યું 

આપણે એકમેકને ક્યારે નીરખીશું? 

= = =

(Sep2001 – 03Feb25USA)

•••••••

૨૭

અને, હું ઊંઘતો હતો કે બીમાર હતો, 

ત્યારે મારા વતી જીવવા કોણ નીકળી પડેલું? 

૨૮

આટલા બધા વ્યર્થ આવેશથી

મોજાં શાને પછડાય છે ખડક જોડે?

૨૯

ઝૂમખામાં દ્રાક્ષ છે બાર

એવું તેઓ કયા અધિકારથી કહે છે, ભલા?

૩૦

ડિસેમ્બર અને જાન્યુઆરી વચ્ચે પણ હોય છે

એક મહિનો, એનું તમે શું નામ પાડશો?

૩૧

બધી નદીઓ જો છે મીઠી, 

તો સાગર પોતાની ખારાશ લાવે છે ક્યાંથી? 

૩૨

મકાઈનાં ખેતરોનું સોનું,

તેઓએ તોલ્યું હોય છે ખરું?

૩૩

ધાતુનું ટીપું શું મારા કોઈ

ગીતની શ્રુતિ સમું ચમકી શકે છે? 

૩૪

તારા હૃદયમાં સરકી ગયું એ નામ 

નારંગી જેવું ન્હૉતું?

૩૫

સૂસવતા ચક્રવાત-પવનો ઊભા રહી જાય

ત્યારે એને શું ક્હૅશો?

૩૫

જોડણીકોશ કશી કબર છે 

કે પછી સીલ કરેલો મધપૂડો?

૩૬

મારી કરુણગાન કવિતા કદી મારી નજરે 

કશું જોશે ખરી? 

૩૭

મારા રક્તનો કદી કશો જેમને સ્પર્શ નથી, 

એ લોકો મારી કવિતા વિશે શું ક્હૅવાના? 

૩૮

શું એ સાચું છે કે આપણી ઇચ્છાઓને 

આપણે ઝાકળ પાઈને ઊછેરવી જોઈએ?

૩૯

આ ચાંદરણાંની જાળમાં છે 

એ પંખીઓ છે કે માછલાં? 

૪૦

છેવટે હું મને મળ્યો, શું એ એ જ જગ્યા છે 

જ્યાં એ લોકોએ ગુમાવ્યો’તો મને? 

૪૧

પાબ્લો નેરુદા તરીકે ઓળખાવા જેવું 

જીવનમાં કશું ય મૂરખામીભર્યું ખરું? 

= = =

(From William O’Daly’s English translation of Pablo Neruda’s “Book of Questions”. It was first published in 1991)
(09Feb25USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સુપ્રીમના એ ચુકાદાને ગુજરાત સરકાર અનુસરશે ખરી…?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 February 2025

રવીન્દ્ર પારેખ

7 ફેબ્રુઆરી, 2025ને રોજ સુપ્રીમ કોર્ટે કોન્ટ્રાક્ટ પર રખાતા કર્મચારીઓ સંદર્ભે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. એક તરફ સરકાર ખાનગીકરણને ઉત્તેજન આપતી રહે છે અને બીજી તરફ કોન્ટ્રાક્ટ પર કામચલાઉ રીતે જરૂરતમંદોને નોકરીએ રાખીને કામ કાઢી લે છે. આ રીતે વર્ષો સુધી કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે ને જરૂર પૂરી થતાં તેમને તગેડી મૂકવામાં આવે છે. આવું ખાનગી સંસ્થાઓમાં તો ચાલે જ છે, પણ સરકાર પોતે પણ કોન્ટ્રાક્ટ પર માણસો રાખે છે. કામ ઓછું હોય ને ઓછા સમયનું હોય, ત્યારે કોન્ટ્રાક્ટ પર રાખવાનું વાજબી ગણાય, પણ કામ વધારે અને લાંબો સમય ચાલવાનું હોય, ત્યારે કર્મચારીઓને હંગામી ધોરણે રાખવાનું કોઈ રીતે યોગ્ય નથી, પણ વધારે લાભો આપવા ન પડે એટલે માણસોને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે. 

આ વાત ધ્યાને લઈને સુપ્રીમ કોર્ટે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે. જેમ કે, સમાન કામ માટે સમાન વેતનના સિદ્ધાંતને અવગણી શકાય નહીં. સુપ્રીમે એ પણ સ્પષ્ટ કહ્યું છે કે અમારા ચુકાદાની આડ લઈને, પોતાના હેતુઓ પાર ન પાડો. કેટલા ય શ્રમિકો લાભ વગર વર્ષો સુધી કામ કરે છે, પણ તેમના કામની યોગ્ય કદર થતી નથી. કોન્ટ્રાક્ટ પદ્ધતિનો ઉપયોગ શ્રમિક કે કર્મચારીનાં શોષણ માટે કે આર્થિક અને અન્ય લાભોથી વંચિત રાખવા ન થઈ શકે. ભારતીય શ્રમ કાયદો કાયમી કાર્યો જણાય તેવાં કામ માટે કોન્ટ્રાક્ટ પદ્ધતિની તરફેણ નથી કરતો. શ્રમિકો વર્ષો સુધી કાયમી કર્મચારીઓ જેવું જ કામ વર્ષો સુધી કરતાં હોય તો તેમને કામચલાઉ કેવી રીતે ગણાય – જ્યાં તેમનું યોગદાન કાયમીથી જરા ય ઓછું નથી? સુપ્રીમે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈ શ્રમિક કે કર્મચારીને કામચલાઉ રીતે જ કામ પર ભલે રખાયા હોય, પણ તેમણે કામ વર્ષો સુધી કર્યું હોય, તો તેઓ કાયમી કર્મચારીને મળતા લાભના હકદાર છે. 

ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ નગરપાલિકામાં સેવા આપનાર શ્રમિકોએ 25 વર્ષ સુધી લડત આપી. લેબર કોર્ટથી લઈને હાઇકોર્ટ સુધી ગયા, પણ ન્યાય તેમને સુપ્રીમ કોર્ટમાં મળ્યો. આ શ્રમિકો બગીચાઓની દેખરેખથી લઈને અન્ય કામો 1999 સુધી કરતા હતા. વર્ષ 2004માં કામદારોએ કાઉન્સિલિએશન સમક્ષ ઇન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યુટ દાખલ કર્યો ને નોકરીમાં તેમને કાયમી કરવાની અને કાયમીને મળતા લાભો આપવાની માંગ કરી. એનું પરિણામ એ આવ્યું કે જુલાઈ, 2005માં નગરપાલિકાએ કોઈ પણ નોટિસ અને વળતર વગર મૌખિક જાહેરાતથી જ એ સૌને નોકરીમાંથી કાઢી મૂક્યા. લેબર કોર્ટે એનો ચુકાદો વિરોધાભાષી આપ્યો. કર્મચારીઓને 30 ટકા પાછલાં ભથ્થાંથી નોકરીમાં પાછા લેવાનો આદેશ આપ્યો અને પછી શ્રમિકો પાલિકાનાં પ્રત્યક્ષ નિરીક્ષણ હેઠળ કામ કરતાં ન હોવાનું જણાવીને નગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો. આની સામે અલ્હાબાદ હાઇકોર્ટમાં અપીલ કરાતાં કોર્ટે, શ્રમિકોને દૈનિક ભથ્થાં પર ફરી નોકરીએ રાખવાનો અને કાયમીને ચૂકવાતા પગારની સમકક્ષ પગાર આપવાનો, તેમ જ ભવિષ્યમાં કાયમી નિમણૂકની શક્યતા તપાસવાનો આદેશ આપ્યો. જો કે, સુપ્રીમે એ સ્પષ્ટ કરી દીધું કે કોઈ કર્મચારી લાંબા સમય સુધી કાયમી જેવું જ કામ કરતો હોય તો તે કાયમીને મળતા લાભો મેળવવાને હકદાર છે. આ ચુકાદાને સુપ્રીમે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જોડતાં એ પણ સ્પષ્ટ કર્યું કે કોન્ટ્રાક્ટ કરારોના દસ્તાવેજ હોય કે ન હોય, તો પણ શ્રમિકો કે કર્મચારીઓને તેમના અધિકારોથી વંચિત કરી શકાય નહીં. તેમને પણ કાયમીને મળતા હક-પેન્શન, પી.એફ., હેલ્થ ઈન્સ્યોરન્સ, હક રજાઓ વગેરે – મળવા જોઈએ. 

આમ તો આ ચુકાદો સુપ્રીમની વિક્રમનાથ અને પ્રસન્ના બી.વરાલેની બેન્ચે આપ્યો છે, પણ તેનું કેટલું ઊપજે છે તે ખબર નથી. કદાચ નહીં જ ઉપજતું હોય, કારણ આવો જ ચુકાદો માર્ચ, 2024માં સુપ્રીમની જ જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને સંદીપ મહેતાની ખંડપીઠે આપેલો ને એ વાતને હજી વરસ પણ થયું નથી ને સુપ્રીમનો આ બીજો ચુકાદો આવ્યો છે. એ ચુકાદામાં પણ એમ કહેવાયું હતું કે જો કોઈ વ્યક્તિ વર્ષો સુધી કોઈ પદ પર કાયમી કર્મચારી જેવું જ કામ કરે છે તો તેને કોન્ટ્રાક્ટ પર રખાયેલ કર્મચારીની જેમ ટ્રીટ કરી શકાય નહીં ને તેને કાયમી કરવાથી પણ દૂર રાખી શકાય નહીં. 

મહાનદી કોલફિલ્ડમાં કામ કરતાં સફાઇ કામદારોના મામલામાં સુનાવણી કરતાં સુપ્રીમે કહ્યું કે બારમાસી કામ કરતાં સફાઇ કામદારોને નોકરીના લાભોથી વંચિત રાખવા કોન્ટ્રાક્ટ લેબર (રેગ્યુલેશન એન્ડ એબોલિશન) એક્ટ, 1970 હેઠળ કોન્ટ્રાક્ટ કર્મચારીમાં ખપાવી શકાય નહીં. જસ્ટિસ નરસિમ્હાએ ઇન્ડસ્ટ્રિયલ ટ્રિબ્યુનલ અને હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખીને રેલવે લાઇનની સફાઇ કરતાં કામદારોને કોન્ટ્રાક્ટ કામદારોમાંથી કાયમી કામદારોનો દરજ્જો અને પગાર તથા ભથ્થાંનો લાભ આપ્યો હતો. કેસની હકીકત એવી હતી કે મહાનદી કોલફિલ્ડ્સે 32માંથી 19 કર્મચારીઓને કાયમી કર્યા હતા અને 13ને કાયમી જેવું અને જેટલું જ કામ કરવાં છતાં કાયમી કરાયા ન હતા. એની સામે યુનિયને કેન્દ્ર સરકાર અને મહાનદી કોલફિલ્ડને મેમોરન્ડમ આપ્યું, પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. એ પછી કેસ ઇન્ડસ્ટ્રિયલ ટ્રિબ્યુનલમાં અને હાઇકોર્ટમાં પહોંચ્યો. હાઇકોર્ટે પણ ટ્રિબ્યુનલનો 13 કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય માન્ય રાખ્યો. તેની સામે મહાનદી કોલ ફિલ્ડ્સ સુપ્રીમમાં ગઈ અને સુપ્રીમે પણ ટ્રિબ્યુનલ અને હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખીને કર્મચારીઓને પક્ષે ચુકાદો આપ્યો. સુપ્રીમનું કહેવું હતું કે રેલવે લાઇન પરની ગંદકી દૂર કરવાનું કામ હંગામી નહીં, પણ બારમાસી છે અને એટલે જ એ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવામાં આવે.

અહીં સવાલ એ થાય કે એક જ વર્ષમાં, સર્વોચ્ચ અદાલતના, કોન્ટ્રાક્ટ પર રખાયેલા કર્મચારીઓને, બારમાસી કામને લઈને, કાયમી કરવાના બબ્બે ચુકાદા આવે છે ને છતાં તેના અમલમાં અખાડા થાય છે, એટલું જ નહીં, કાયમી કરતાં હોય તેવું જ કામ કોન્ટ્રાક્ટ પર રખાયેલા કર્મચારીઓ કરતાં હોવા છતાં, તેમને કાયમી કરાતા નથી, તો સુપ્રીમના બબ્બે વખત આવેલા ચુકાદાઓનો કોઈ અર્થ ખરો કે કેમ કે જે તે ચુકાદાને પણ હંગામી જ ગણવાના છે? 

એ તો ઠીક, પણ ખુદ ગુજરાત સરકાર હજારો શિક્ષકોની કાયમી જગ્યાઓ ભરવાને બદલે જ્ઞાન સહાયકની અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર ભરતી કરે છે ને તેને પડકારનારું કોઈ નથી. સરકાર જ જ્યારે સુપ્રીમના ચુકાદાની અવહેલના કરીને હંગામી ધોરણે શિક્ષકોની નિમણૂક કરતી હોય તો ખાનગી સંસ્થાઓ કાયમી કામ, હંગામી ધોરણે કરાવીને શોષણ કરે તેમાં નવાઈ નથી. સરકાર ભલે શિક્ષણને કામચલાઉ ગણીને હંગામી ધોરણે શિક્ષકો રાખે, પણ શિક્ષણ નિરંતર ચાલતી પ્રક્રિયા છે, તો તેને માટે હંગામી ધોરણે શિક્ષકો અપવાદરૂપે હોય તો હોય, બાકી, તેને કોન્ટ્રાક્ટ પર રાખી શકાય નહીં. કર્મચારીઓ કામચલાઉ ધોરણે સરકાર અને સંસ્થાઓ એટલે રાખે છે કે કાયમીને મળતાં પેન્શન અને અન્ય લાભો આપવા ન પડે. કોર્પોરેટર, વિધાનસભ્ય, સાંસદ પાંચ વર્ષની ટર્મ પૂરી થતામાં પોતાનું પેન્શન સુરક્ષિત કરાવી લે છે, પણ વર્ષો સુધી કાયમી જેટલું જ કામ કોન્ટ્રાક્ટ પર રખાયેલા કર્મચારીઓ કરે છે, છતાં તેમને કાયમી જેવા હકો અને લાભો મળતા નથી, બલકે, હવે સરકારની દાનત તો એવી જ છે કે બને ત્યાં સુધી કોઈને કાયમી કરવા જ નહીં, જેથી કાયમીને મળતા લાભો આપવાનો પ્રશ્ન ઊઠે. 

તો, આ સ્થિતિ છે. એક તરફ સુપ્રીમ કોર્ટ બબ્બે વખત ચુકાદાઓ આપે છે કે કાયમી જેવું કામ કરતાં કોન્ટ્રાક્ટ પર રખાયેલા કર્મચારીઓને કાયમી કરવા, જ્યારે સરકાર એવી વેતરણમાં છે કે કોઈને કાયમી કરવા જ નહીં કે કાયમીને અપાતા લાભ આપવાનો સવાલ ઊઠે અને એ કમ સે કમ ગુજરાત સરકારે તો કોન્ટ્રાક્ટ પર શિક્ષકો રાખીને સિદ્ધ કરી જ દીધું છે. 

સરકાર અને સુપ્રીમના સંબંધો કેટલા ‘મજબૂત’ છે તે જાણવા હવે દૂર જવાની જરૂર છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 ફેબ્રુઆરી 2025

Loading

...102030...389390391392...400410420...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved