આનંદો ભારતવાસીઓ
હવે અર્ધનગ્ન પોતડી નથી કરતી પ્રતિનિધિત્વ ભારતવર્ષનું
હમે તો ઝગમગે છે નવલખો કોટ !
કોકે પેલી પોતડીને
‘રાજકારણીઓમાં સંત’ કહેલી, તો શું થયું ?
કોટના ઓવરકોટમાં તો
નામચીન સંતો, મહંતો, જોગી, સાધ્વી થોકબંધ છે !
પોતડીએ રાષ્ટ્રસેવા માટે
રામે ‘કર્યોતો એમ કર્યો’તો સીતાનો ત્યાગ ?
મારો રાષ્ટ્રભક્ત કોટ
એ બાબતે પોતડીથી આગળ છે.
પોતડીને ઉપવાસ, સત્યાગ્રહ અને ઝાડુ કાઢવા સિવાય
બીજું આવડતું’તું શું ?’
ફોટું પડાવ્યા વિના ઝાડુ કઢાય ? એ ય પાછું પાછું રોજરોજ ?
કંપની સરકાર સામે બાથડી પડાય ? એ ય પાછું રોજરોજ ?
પણ હવે તો પ્રૉબ્લેમ જ નથી, બૉસ
કોટ તો કંપનીનો જ ડ્રેસ ગણાય.
હવે તો કંપની જ કંપની સરકાર છે !
હા, ભાઈ હા, તમારી વાત સાચી છે કે
કોટની સાથે પાટલૂન નથી.
આંધળા છો ? દેખાતી નથી આવડી મોટી ચડ્ડી ?
આ અમારી ખાસ ખાસિયત છે … કોટ અને શૉટ્ર્સ !
મૂરખના સરદારો જરા સમજો તો ખરા
આને ગ્લોકલાઇઝેશન કહેવાય !
શું કહ્યું ?
એ પોતડી પર કવિતાની કવિતાઓ લખાતી એમ ?
એ બધી જૂની વાતો છે, સાહેબ
હવે તો કોટ ખુદ જ કવિતા લખે છે
અને કવિગણ ગણગણે છે !
સમજ્યા હવે,
તમારી પેલી પોતડી ‘રાષ્ટ્રપિતા’ ગણાય છે તે
સાહેબ, આ બજારનો યુગ છે.
રાષ્ટ્રપિતાના પાશેર ચણા ય ન આવે.
જ્યારે મારો કોટ તો ‘રાષ્ટ્રવેપારી’ છે ! ‘રાષ્ટ્રવેપારી’ !
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2015; પૃ. 18
![]()


યુનિવર્સિટીઓના મહત્ત્વના કાર્યક્રમોમાં રાજ્યપાલ હોય છે, કારણ કે હોદ્દાની રૂએ તેઓ રાજ્યની અનુદાનિત યુનિવર્સિટીઓના ચાન્સલર હોય છે. વિદ્યાપીઠને તો પોતાના વાઈસ ચાન્સલર અને ચાન્સલર પણ છે. રાજ્યપાલને રાજ્યની કારોબારી પાંખના પ્રતિનિધિ કે વડા ગણીને બોલાવવાની આયોજકોની ભૂમિકા હોય તો પણ રાજ્યપાલના હોદ્દાનું સરકારિયા પંચના અહેવાલ પછી પણ ક્યારનું ય અવમૂલ્યન થઈ ચૂકેલું છે એ વાત ધ્યાનમાં રાખવા જેવી હતી. તદુપરાંત, કોહલી હમણાંના વર્ષો લગી ભારતીય જનતા પક્ષના હોદ્દેદાર રહી ચૂક્યા છે. એટલે તેમનું રાજ્યપાલ હોવું કેટલું પક્ષનિરપેક્ષ કહેવાય તે સવાલ રહે જ. કોમવાદનું રાજકારણ ખતરનાક રીતે ખેલનાર પક્ષોમાંથી એક પક્ષના પૂર્વહોદ્દેદાર, તેઓ રાજ્યપાલ હોવાને કારણે નારાયણભાઈની શ્રદ્ધાંજલિ સભામાં પ્રમુખ સ્થાને હોય એ ખેદજનક છે. વળી રાજ્યપાલના નામ પહેલાં અચૂક મહામહિમનું સંબોધન, રાજ્યપાલ જાય પછી જ બધાંએ જવું એવી કડપભરી સૂચના, એ જતા હતા ત્યારે પડી ગયેલો સોપો એવું વિદ્યાપીઠમાં બહુ જ આદરણીય વ્યક્તિવિશેષો આવી ગયા ત્યારે ય નહોતું જોયું. સરકાર, તેનાં લટકણિયાં, તેની બાબુશાહી, પક્ષીય રાજકારણ જેવાંથી દૂર રહેનારી, સ્વાયત્તતામાં માનનારી સંસ્થા એવી વિદ્યાપીઠ પાસે આ અપેક્ષા ન હતી.
નારાયણભાઈની શ્રદ્ધાંજલિ નિમિત્તે વિદ્યાપીઠમાં રાજ્યપાલ હતા, તો ગાંધીનિર્વાણદિનની પૂર્વસંધ્યાએ યોજાયેલા કાર્યક્રમમાં ‘નવજીવન’માં મુખ્યમંત્રી હતા. આ બાબત ઘણી આઘાતજનક હતી. એટલા માટે કે મુખ્યમંત્રી એ રાજકીય પક્ષના છે કે જેણે આ દેશમાં ગાંધીવિચારને પાછો પાડવામાં ભાગ્યે જ કશું બાકી રાખ્યું છે. ભારતીય જનતા પક્ષ હિન્દુત્વવાદી પક્ષ છે. દેશના હિન્દુ-મુસ્લિમ ભેદનો દુરુપયોગ તેણે સત્તા મેળવવા અને જાળવવા માટે કર્યો છે (કૉંગ્રેસ પણ ઉજળી નથી, પણ એ ચર્ચા અહીં અસ્થાને છે). ‘નવજીવન’ પત્રનો (અને એ રીતે સંસ્થાનો) એક ઉદ્દેશ ‘હિંદુ-મુસલમાન તેમ જ હિંદમાં વસેલી બધી જુદી જુદી કોમો વચ્ચે ઐક્યનો પ્રચાર કરવો’ એવો છે, એમ તેના ૨૭ નવેમ્બર ૧૯૨૯ના દસ્તાવેજમાં નોંધવામાં આવ્યું છે.