કિરેન રિજીજુએ માફી માગી લીધી છે. તેઓ ઈશાન ભારતના પહાડોમાં જન્મેલા આદિવાસી છે એટલે ચડિયાતાપણાના જ્ઞાતિવાદી કે સામંતશાહી સંસ્કારો તેમના લોહીમાં નથી અને બીજું, મેદાની પ્રદેશની બિનઆદિવાસી પ્રજામાં જોવા મળતી હરામખોરી હજી સુધી તેમણે શીખી નથી
આ દેશ જ્ઞાતિવાદી અને સામંતશાહી પરંપરા ધરાવે છે એટલે આપણે બીજા કરતાં ચડિયાતા એવા સંસ્કાર ગળથૂથીમાં મળે છે. જો કોઈનો જન્મ પછાત અને વંચિત પરિવારમાં થયો હોય અને તે જો કોઈ સિદ્ધિ મેળવી લે તો તે એવો ભાવ અનુભવવા લાગે છે કે જુઓ, હું પણ ત્યાં પહોંચી ગયો જ્યાં થોડા લોકોની ઇજારાશાહી હતી. આમાં જ્યારે સત્તા ભળે ત્યારે સત્તાના મદને કારણે તેઓ છકી જાય છે.
ભારતમાં VIP કલ્ચરની બીમારી ભારતના લોકતંત્ર જેટલી જૂની છે. અંગ્રેજોએ બાદશાહી ઠાઠ અને પ્રજાથી અંતર એટલા માટે રાખ્યાં હતાં કે તેમના માટે આ દેશ એક કૉલોની હતો, કોઈ માદરે વતન નહોતો. દબદબો અને કડપ એવાં હોવાં જોઈએ કે પ્રજા અભિભૂત રહે અને દબાયેલી રહે. અંગ્રેજોની જગ્યા નેતાઓએ લીધી છે અને તેઓ પણ પ્રજાને અભિભૂત અને દબાયેલી રાખવા માટે બાદશાહી ઠાઠ અને દબદબાનો ઉપયોગ કરે છે. હવે આ ઠાઠ અને દબદબો ભારતીય રાજકીય સંસ્કૃિતનો હિસ્સો બની ગયો છે. છૂટભૈયા નેતાઓ પણ હવે પોતાને VIP તરીકે ઓળખાવે છે એટલે અસ્સલ VIPઓએ હજી આગળ એક V જોડીને પોતાને VVIP તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું છે. કાલે એવું પણ બને કે બાવાઓ જેમ પોતાના નામની આગળ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ એવું વિશેષણ વાપરે છે એમ VVIP ૧૦૦૮ જેવું કોઈ લેબલ ભારતીય રાજકારણમાં ચલણમાં આવે. જો કોઈ નેતા સાદગીથી જીવતો હોય અને હંમેશાં પ્રજા માટે ઉપલબ્ધ હોય તો એવા નેતાને ઢીલો સમજવામાં આવે છે. ગુજરાતના વરિષ્ઠ કૉન્ગ્રેસી નેતા ઝીણાભાઈ દરજીએ એક વખત આ લખનારને કહ્યું હતું કે લાલ દીવાની ગાડી અને સર્કિટ હાઉસ નેતા બન્યા હોવાનાં પ્રતીકો બની ગયાં છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં નાણાકીય રોકાણ મેળવવા અમેરિકા જવાનું હતું. આજકાલ ભારતના મુખ્ય પ્રધાનો નેતાની જગ્યાએ સેલ્સમૅન બની ગયા છે જે LICના એજન્ટની જેમ વિવિધ સ્કીમ્સ અને પ્લાન્સ લઈને વિદેશોમાં ફરે છે. જે કામ બાબુઓ કરી શકે છે એ કામ કરવામાં તેમને નાનપ નથી લાગતી, કારણ કે સરકારના પૈસે મફતમાં વિદેશપ્રવાસ કરવા મળે છે. દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમના રસાલામાં તેમના મુખ્ય સચિવ પ્રવીણ પરદેશી પણ હતા. પ્રવીણભાઈ પરદેસી હોવા છતાં પરદેશ જવાના વીઝા જે પાસર્પોટમાં ઇશ્યુ થયા હતા એ પાસર્પોટ ઘરે ભૂલી ગયા હતા. બોર્ડિંગ-પાસ ઇશ્યુ થઈ ગયા હતા અને બીજા પૅસેન્જરો ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસવા લાગ્યા હતા ત્યારે પરદેશીને જાણ થઈ હતી કે વીઝા હોવા છતાં પણ અત્યારે એ તેમની પાસે નથી. એ પછી ભૂલી જવાયેલો પાસર્પોટ ઘરેથી મગાવવામાં આવ્યો હતો અને વિમાનને એક કલાક કરતાં વધુ સમય રોકી રાખવામાં આવ્યું હતું. કોઈ વાંકગુના વગર પૅસેન્જરોને હેરાન કરવામાં આવ્યા હતા, કારણ કે તેમને મુખ્ય પ્રધાન સાથે પ્રવાસ કરવાનું સૌભાગ્ય મળવાનું હતું.
બીજી ઘટના ૨૪ જૂનની છે. કેન્દ્રના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન કિરેન રિજીજુ અને જમ્મુ અને કાશ્મીરના નાયબ મુખ્ય પ્રધાન નર્મિલ સિંહને લેહથી દિલ્હી જવું હતું. ઍર ઇન્ડિયાની ફ્લાઇટ ઊપડવાની તૈયારી કરતી હતી. દરવાજા બંધ થઈ ગયા હતા અને ગ્રાઉન્ડ-સિગ્નલ મળી ગયું હતું. એવામાં આ પ્રધાનો આવી ચડ્યા અને આગ્રહ રાખ્યો કે આ વિમાનમાં જ તેમને દિલ્હી જવું છે એટલે વિમાનને થોભાવવામાં આવે. ઍરર્પોટ ઑથોરિટીના સત્તાવાળાઓએ તેમને નમ્રતાથી કહ્યું હતું કે સાહેબ, વિમાનના દરવાજા બંધ થઈ ગયા પછી સુરક્ષાના સંકટ જેવા અસાધારણ સંજોગો સિવાય પાછા ખોલવામાં આવતા નથી. આમ છતાં પ્રધાનોએ એ જ વિમાનમાં પ્રવાસ કરવાનો આગ્રહ રાખ્યો ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે વિમાનને અટકાવવામાં આવે તો ય એમાં એક પણ સીટ ખાલી નથી. તરત તેમને આદેશ આપવામાં આવ્યો કે તો પછી ત્રણ પૅસેન્જરોને ઉતારી મૂકવામાં આવે. પ્રધાનસાહેબો માટે વિમાન અટકાવીને, દરવાજા ખોલીને ત્રણ પૅસેન્જરોને ઉતારવામાં આવ્યા હતા.
આવી તુમાખી તો અંગ્રેજ લાટસાહેબોએ પણ ક્યારે ય નહોતી બતાવી. છકી ગયેલા, અવિવેકી અને બેશરમ માણસો જ આવું વિચારી અને કરી શકે. બેશરમ એટલા માટે કે બન્ને ઘટનાઓમાં લૂલો બચાવ કરવામાં આવ્યો હતો. કમસે કમ આ યુગમાં ખોટા બચાવ કરવાનું બંધ કરવું જોઈએ જ્યારે કોઈ ચીજ છાની રહેતી નથી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે વિમાન ટેક્નિકલ ખામીને કારણે મોડું પડ્યું હતું, પ્રવીણ પરદેશીને કારણે નહીં. તેઓ અમેરિકામાં રોકાણકાર ક્લાયન્ટ સાથે મીટિંગ પણ કરે એ પહેલાં ઍર ઇન્ડિયાની ઇન્ટરનલ નોટ બહાર આવી ગઈ. આવાગમનનું નિયમન કરનાર સ્ટાફ પ્રત્યેક આવનારી અને જનારી ફ્લાઇટના શેડ્યુલ, ડિલે અને એનાં કારણોની એક નોટ્સ તૈયાર કરે છે અને ઉપરી અધિકારીને મોકલે છે. મુખ્ય પ્રધાન જેમાં પ્રવાસ કરવાના હતા એ ફ્લાઇટ વિશે એ નોટમાં કહેવામાં આવ્યું હતું કે વિમાન મોડું પડવાનું કારણ પ્રવીણ પરદેશી પાસર્પોટ ભૂલી ગયા એ હતું. મુખ્ય પ્રધાને પ્રવીણ પરદેશીને સાથે લીધા વિના પ્રવાસ કરવાની ના પાડી દીધી હતી એટલે જો દસ જણનો સામાન પાછો ઉતારવામાં આવે તો પણ અડધા કલાકનો વિલંબ થવાનો હતો. પ્રવીણ પરદેશી પછીની કોઈક ફ્લાઇટમાં ન આવી શક્યા હોત?
જમ્મુ અને કાશ્મીરના નાયબ મુખ્ય પ્રધાન નર્મિલ સિંહે પણ પહેલાં સિંહની જેમ પડકાર કર્યો હતો અને ઊલટો ચોર કોટવાલને દંડે એમ ઍર ઇન્ડિયાના સ્ટાફ સામે ફરિયાદ કરવાની અને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. જૂઠાણાની જિંદગી લાંબી હોતી નથી અને આ યુગમાં તો જરા ય હોતી નથી. નર્મિલ સિંહનો ખુલાસો અને આક્ષેપો હજી તો મીડિયામાં પહોંચે એ પહેલાં વિમાનની અંદર બનેલી ઘટનાની વિડિયો-ક્લિપ્સ મીડિયામાં પહોંચી ગઈ હતી.
મુંબઈ ઍરર્પોટની નોટ અને લેહની વિડિયો-ક્લિપ્સ બહાર પડ્યા પછી હવે બચાવ કરવા જેવું કંઈ બાકી રહ્યું નહોતું. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન ખાતાના પ્રધાન અશોક ગજપતિ રાજુએ બન્ને ફ્લાઇટના ઉતારુઓની માફી માગી લીધી છે. કેન્દ્રીય પ્રધાન કિરેન રિજીજુએ નમ્રતાપૂર્વક માફી માગી લીધી છે, પરંતુ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હજી મીડિયા સામે બદનક્ષીનો કેસ કરવાની ધમકી આપી રહ્યા છે. કિરેન રિજીજુ ઈશાન ભારતના પહાડોમાં જન્મેલા આદિવાસી છે એટલે ચડિયાતાપણાના જ્ઞાતિવાદી કે સામંતશાહી સંસ્કારો તેમના લોહીમાં નથી અને બીજું, મેદાની પ્રદેશની બિનઆદિવાસી પ્રજામાં જોવા મળતી હરામખોરી હજી તેમણે શીખી નથી.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 04 જુલાઈ 2015
http://www.gujaratimidday.com/features/columns/feature-columns-4-7-2015-5