Opinion Magazine
Number of visits: 9953507
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાફિર કોણ?

રેખા સિંધલ|Opinion - Opinion|29 April 2025

રેખાબહેન સિંધલ

હૈયું કંપી જાય અને રૂંવાડા ઊભા થઈ જાય તેવા અમાનુષી હત્યાકાંડમાં હોમાયેલા પરિવારો પર પહેલગામમાં થયેલ હુમલો એ આખી માનવજાત પર હુમલો છે. દેશ-પરદેશમાં ખળભળાટ મચી ગયો છે. વેર જો પ્રેમથી શમતું હોત તો ગાંધીજીની હત્યા એક હિંદુએ ન કરી હોત. હિંદુ-મુસ્લિમ હુલ્લડોને કારણે સળગતાં મકાનોની જ્વાળાઓ અમારા ઘરની અગાશી પરથી મેં ઘણીવાર જોઈ છે. જે ગામમાં હું જન્મથી માંડી બત્રીસ વર્ષો સુધી રહી તે ગામમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે હુલ્લડો અવારનવાર થતાં રહેતાં. આ હુલ્લડોમાં નિર્દોષને દંડ અને દોષિતને દોલત મળ્યાના બનાવો પણ જણાયા છે. હિંદુ કાફિરોને અને મુસ્લિમ સંતોને મેં અમારે આંગણે આવેલા જોયા છે, એટલું જ નહીં એમની વ્યથાઓની વાતો પણ સાંભળી છે. આ વ્યથામાં સામા પક્ષે કેટલા લોકોને મારી નાખ્યા તે ગણતરી વધારે હોય અને તેનાથી વધારે લોકોને મારવાનો હુમલો ખાળવા અમારે ફળિયે મંત્રણા ચાલતી હોય. ક્યારેક સફળ અને ક્યારેક નિષ્ફળ એવી આ મંત્રણાઓમાં હોદ્દાધારીઓ પણ સામેલ હોય. 

એક અદૃષ્ય સીમારેખાની મર્યાદા જાળવી હિંદુ-મુસ્લિમ સૌ નાગરિકો સંપીને રહેતા હોય ત્યાં ઓચિંતી એક સવારે ઉડતી વાત આવે કે આજે ગામમાં હુલ્લડ થવાનું છે. સૂચનાઓ મળવા લાગે કે કોઈએ ગામમાં નથી જવાનું. આ સૂચના કર્ણોપકર્ણ ગામમાં પ્રસરી જાય જેમાં હુલ્લડનું સ્થળ પણ નક્કી હોય. આવા હુલ્લડો આયોજિત હોવાથી જાનહાનિ ઓછી થતી અને ચોરી લૂંટફાટ અને અવ્યવસ્થા વધી જતાં અને તેથી વસ્તુની તંગીના નામે રોજની જરૂરિયાતની ચીજોના ભાવો બીજે દિવસે ઊંચકાઈ જતા. કોઈક ધનિક વેપારી લૂંટાઈ જતો તો કોઈક ગરીબ વેપારી ન્યાલ થઈ જતો. નાના ગામમાં આવા વેપારીઓને બધા નજીકથી ઓળખે એટલે આ ફેરફારોની વાતો નામ સાથે કાને પડે અને એમની દુકાને ગ્રાહક થઈને જઈએ ત્યારે સાચી જણાય. મોટાભાગે સાંજે હુલ્લડ થાય અને રાતે લૂંટ અને આગના બનાવો જોવા મળે. આવા આયોજિત હુલ્લડોમાં રાજકારણીઓ સામેલ હોય છે. તેઓ ધારે તો તેને અટકાવી શકે અને ધારે તો ભડકાવી પણ શકે. એમાં મુખ્ય મુદ્દો મતબેંક અને સત્તાનો હોય છે. સેવાના નામે મેવા માટે તેમની સાથે ધર્મઝનૂની વડાઓ પણ જોડાયેલા હોય. ડાબેરી અને જમણેરીઓનો એકબીજા પ્રત્યેનો દ્વેષ પ્રજાના લોહી વાટે વહેતો જોવા મળે. હિંદુ ધર્મમાં સહિષ્ણુતા સ્વાભાવિક છે કારણ કે તેમાં તેત્રીસ કરોડ દેવી દેવતા અને અનેક પંથો છે. સ્વીકારની ભાવના વગર અનેક પંથોમાં વહેંચાયેલો આ ધર્મ વિવિધતામાં એકતા કેવી રીતે સ્થાપી શકે? ધર્મના દંભ સામે જીવનભર લડેલા મારા પિતાની હાર કોર્ટમાં થઈ પણ માનવતાનાં મૂલ્યથી એમનું જીવન ઊચું અંકાયું. એક ધર્માંધ સમાજને તેઓ જીવનના અંત સુધી જાગૃત કરવાની કોશિષ કરતા રહ્યા. 

રાજકારણ અને ધર્મ બંનેમાં અંધભક્તિ હોય ત્યાં ઝનૂનને સમર્થન મળતા વાર નથી લાગતી. આ ઝનૂનથી જાગી ઊઠેલી શક્તિ ગેરમાર્ગે દોરાઈને ગાડરિયો પ્રવાહ બની જાય ત્યારે બધી દિશાઓ ભયથી ઘેરાઈ જાય છે. આ વ્યાપક ભય સામે શાહમૃગની જેમ નીચી ડોક કરીને છુપાઈ જવાથી તે દૂર થવાનો નથી તે સૌ જાણે છે પણ એનો ઉપાય કોઈ જાણતું નથી. ભયનો વિસ્ફોટ યુદ્ધમાં પરિણમે છે અને આવા યુદ્ધમાં સપડાયેલા નિર્દોષ લોકોના નિર્દોષ પરિવારોની યાતના દૂર કરી શકે તેવો નેતા ચૂંટાય તો પણ લોકોના સાથ વગર નિષ્ફળ જાય. બે પક્ષમાં વહેંચાયેલા રાજકારણની નિષ્ફળતા એ એક રીતે તો પ્રજાની નિષ્ફળતા જ છે. 

મારી પડોશમાં શ્યામ વર્ણનો એક અમેરીકન સૈનિક રહેતો હતો. ખૂબ સાલસ સ્વભાવનો. જરૂર પડ્યે અમને સિનિયર સિટીઝનને વજનવાળી વસ્તુઓ આમતેમ ફેરવવી હોય તો મદદ કરે. એકવાર ફળિયામાં ઊભા ઊભા અમે વાતો કરતા હતા. મેં તેને લડાઈના અનુભવ વિષે પૂછ્યું, વાત કરતાં કરતાં તે ગળગળો થઈ ગયો. તેની વાતમાં મેં જાણ્યું કે તેણે ઈરાક, અફઘાનિસ્તાન અને કુવૈત જઈને ફરજો બજાવી છે. ગોળીબારથી બચવા માટે સંતાઈને દોડતા દોડતા મૃત્યુને તેણે એટલું નજીકથી જોયું હતું કે એક સેકંડ માટે તે બચી ગયો હોય અને પાછળ દોડતો સાથીદાર ગોળીથી વીંધાઈને ઢળી પડ્યો હોય. એ સમયે સાથીદાર ગાઢ મિત્ર હોય તો પણ પોતે બચી ગયાના ભાવ નીચે સાથીદાર ગુમાવ્યાનું દુઃખ દબાઈ જતું. વર્ષો પછી પણ હજુ ધડાકો સાંભળે તો એ વ્યગ્ર થઈ જતો. એ ધડાકો રમકડાંની પીસ્તોલનો હોય તો પણ અજાણ ડરથી સાબદો થઈ જતો. બે નાનાં બાળકો અને પ્રેમાળ પત્ની સાથે હવે તે પ્રેમથી જીવન જીવે છે પણ કહેતો હતો કે ક્યારેક સ્વપ્નમાં બિહામણો ભૂતકાળ હજુ ય તેને પજવી જાય છે. 

મુસ્લિમ અને ખ્રિસ્તી વચ્ચે પણ ત્રાસવાદ રાજકારણ રમે છે. અમારા ધર્મ જેવો શ્રેષ્ઠ ધર્મ બીજો એક પણ નથી એમ માનનારા અને મનાવનારા લોકોનો સામૂહિક અહંકાર બીજા સમૂહમાં પણ એવા જ અહંકારનો પડઘો પાડે છે. ધર્મ એ યુદ્ધનું નિવારણ બનવાને બદલે કારણ બની ગયું છે. મનુષ્ય સિવાયનાં પક્ષી, પ્રાણી કે અન્ય જીવો પાસે કુદરત સિવાય કોઈ ધર્મનો આશરો નથી અને કદાચ તેથી જ મનુષ્યને મનુષ્યનો ભય છે તેટલો બીજા જીવને તેમની જાતિનો નથી. કોઈપણ ધર્મ સુરક્ષા, શાંતિ અને સમાધાન માટે હોય છે, અવલંબન માટે નહીં. કાફિર એ છે જે નિર્દોષની હત્યા કરે છે. જો વિધર્મી લોકો જ કાફિર હોય તો જગતના બધા જ મનુષ્યો એકબીજા માટે કાફિર છે. એકબાજુ ‘જીવો અને જીવવા દો’-નો માનવતાવાદી વિચાર અને બીજીબાજુ ‘મરવું કાં મારવું’-નો ત્રાસવાદી વિચાર. આ બંને વિચાર અથડાઈને યુદ્ધોને આહવાન આપી રહ્યા છે ત્યારે સામાન્ય નાગરિક તરીકે આપણે શેની તરફેણમાં જોડાવું તે દરેકે પોતે નક્કી કરવાનું છે. ત્રાસવાદને જડમૂળમાંથી દૂર કરવા માટે ઊંડાં મૂળિયાં સુધી જવું પડે. આ મૂળિયાં જેમ જેમ મજબૂત થતાં જાય છે, તેમ તેમ એને ઊખેડવાનું અઘરું થતું જાય છે. ઉપરઉપરની કાપાકાપીને અટકાવી બધુ સરખું કરી દેવાથી શું ભારતમાંથી ત્રાસવાદ દૂર થઈ જશે? પોતાના ધર્મનો ગર્વ કરવો તે ખોટું નથી પણ અહંકારનો ઝંડો લઈ બીજા ધર્મના લોકોને તિરસ્કારીએ ત્યારે એના પરિણામો ભોગવવાની તૈયારી પણ રાખવી પડે. ત્રાસવાદને પોષતા અને ઊશ્કેરતા પરિબળો દોષમુક્ત કેવી રીતે હોઈ શકે? નેતાઓ પર બધો દોષ ઢોળી દઈને પ્રજા પોતાની જવાબદારીમાંથી છટકી જાય તો દેશમાં શાંતિનું સ્વપ્ન અધૂરું જ રહે. 

e.mail : rekhasindhal@gmail.com

Loading

પાયમાલ થઇ ગઇ… 

નારણ મકવાણા|Poetry|29 April 2025

લીલોતરી   લાલ  લાલ  થઇ ગઇ.

ભૂમિ ક્ષતવિક્ષત ખાલ ખાલ થઇ ગઇ.

બંદૂક   ચાલી   સવાલ  થઇ ગઇ.

મોહક ધરા પર બબાલ થઇ ગઇ.

ઘોડા ઉપર થ્યા સવાર જ્યાં ત્યાં,

દુર્ગમ ચલત ગતિ મવાલ થઇ ગઇ.

ગોળી  છૂટી  ધાંય  ધાંય  જ્યારે,

મેદાનમાં   ચાલ  ચાલ  થઇ ગઇ.

કોને   ખબર  આતંકી  હશે  ત્યાં,

કૈં  જિન્દગી  પાયમાલ થઇ ગઇ. 

કાશ્મીરના  લોક   હોય  નમણાં,

ભ્રમણા બધી બાલ બાલ થઇ ગઇ. 

જ્યાં  બાયલા   કાફરો    છુપાયા,

ધરતી  સ્મશાને  જમાલ થઇ ગઇ.

નિર્દોષ  સૌ  જન  મજૂર  ત્યાં ના,

રોજી  નથીની  ધમાલ  થઇ ગઇ.

સ્ત્રી, બાળ  માફી  કરી  જ  શાને?

પતિ ને પિતા એક ખ્યાલ થઇ ગઇ.

કોની   હતી   ભૂલ, વાંક  કોનો? 

જીવન હતું આજ, કાલ  થઇ ગઇ. 

લાશો   ઉપર  રાજનીતિ  કરશો!

નેતા,   ફકીરી   હલાલ  થઇ ગઇ.

૨૬/૦૪/૨૦૨૫

Loading

હિન્દુ રાષ્ટ્ર એટલે તાનાશાહી : બેશરમી એટલે ચાણક્ય નીતિ

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|29 April 2025

હેમન્તકુમાર શાહ

ભારતમાં લોકશાહી ઢબે હિન્દુ રાષ્ટ્ર સ્થપાય તેમ છે જ નહિ. એટલે બંધારણના અક્ષરો અને ભાવનાઓને બાજુ પર મૂકીને તાનાશાહી વ્યવસ્થા કાયદાઓ અને હુકમો કે નિયમો દ્વારા ઊભી કરવામાં આવી રહી છે. એને માટે *ડર* અને *લાલચ* નામનાં બે સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે. 

લોકશાહી વિરોધી જે રીતરસમો અપનાવવામાં આવી રહી છે તે જુઓ:

(૧) જે કોઈ ભા.જ.પ., આર.એસ.એસ. કે ભા.જ.પ.ની સરકારોનો વિરોધ કરે તે બધા દેશદ્રોહી, અર્બન નક્સલ વગેરે છે તેમ ચીતરવું.

(૨) કાઁગ્રેસ અને તેના સહયોગી પક્ષો હિન્દુવિરોધી છે અને પોતે જ હિન્દુઓનું રક્ષણ કરશે એમ કહેવું.

(૩) કોઈ પણ જાતના વિરોધને કોઈ પણ રીતે દાબી દેવો. વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર કૂચડો ફેરવી દેવો.

(૪) ભારતના મુસ્લિમો ભારતના અને હિન્દુઓના દુ:શ્મનો છે એમ પ્રચાર કરવો.

(૫) ભા.જ.પ.ની સરકારો જે કંઈ કરે છે તે બધું જ હિન્દુઓના હિતમાં કરે છે એટલે એના પર લોકો અંધ વિશ્વાસ મૂકે તેમ કરવું.

(૬) રાષ્ટ્રનો નેતા એક જ હોઈ શકે અને તેનામાં હિન્દુઓના હિતની દૈવી શક્તિ છે એમ પ્રસ્થાપિત કરવું.

(૭) લોકશાહી બરકરાર રહે તે માટે કામ કરતી ન્યાયતંત્ર સહિતની બધી જ વ્યવસ્થાઓ કહ્યાગરા કંથ જેવી બની જાય તેમ કરવું. 

(૮) હિન્દુઓ એક થાવ અને તમારે દેશમાં જ રહેલા દુ:શ્મનો એટલે કે સેક્યુલરો અને મુસ્લિમો કે ખ્રિસ્તીઓ સામે લડવાનું છે એમ સમજો; એવું સતત કહ્યા જ કરવું.

(૯) કાઁગ્રેસ અને તેના સાથી પક્ષો તેમ જ સેક્યુલર લોકોના વિચારો સામે જુઠ્ઠાણાંભર્યો પ્રચાર કર્યા જ કરવો. એટલે જ કાઁગ્રેસમુક્ત ભારતનું સૂત્ર ગજવવામાં આવેલું, કારણ કે એણે તેના ઇતિહાસમાં કદી પણ ધર્મનિરપેક્ષતા એક સિદ્ધાંત તરીકે છોડી નથી.

(૧૦) જેઓ હિન્દુ રાષ્ટ્રના અને દેશને વિશ્વગુરુ બનાવવાના વિચાર સાથે સંમત ન થાય તેમની પર દમનનો કોરડો વીંઝવો. સરકારી સંસ્થાઓ તેમની પાછળ ડાઘિયા કૂતરાની જેમ છોડી દેવી. તેમની પર અદાલતોમાં કેસ કરીને તેમને કાયમ માટે તેમાં ફસાવી દેવા વગેરે. 

(૧૧) લોકો લોકશાહી ભૂલી જાય અને તાનાશાહીને યોગ્ય જ સમજવા માંડે તે માટે ધર્મનો ઉપયોગ કર્યા જ કરવો અને ઇતિહાસ ગમે તે હોય તો પણ તેનું મહિમામંડન કરવું. 

(૧૨) કેટલાક સારા રાજાઓનાં નામો લઈને લોકોના મનમાં એવો ખ્યાલ ઊભો કરવો રાજાશાહી લોકશાહી કરતાં સારી હતી. એમ કરવાથી તાનાશાહ પ્રત્યે આસક્તિ ઊભી થાય.

(૧૩) હિન્દુઓ ૩,૦૦૦ જાતિઓ અને ૨૫,૦૦૦ જેટલી પેટા જાતિઓમાં વહેંચાયેલા હોવા છતાં એમ કહેવું કે હિન્દુઓ એક જ છે અને તેમણે તો મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સામે લડવાનું છે. 

(૧૪) હિન્દુ રાષ્ટ્ર ઊભું કરવામાં સત્ય, અહિંસા, નૈતિકતા, પ્રેમ, સદ્ભાવ એવું બધું વિચારવાનું નહીં. એ જે ન વિચારે અને સત્તાધીશો જેને હિન્દુવિરોધી કહે છે તેમને રંજાડે, અને ગમે તે ભોગે સત્તા મેળવવી અને ટકાવી રાખવી એને ચાણક્ય નીતિ કહેવી. હિન્દુ ધર્મના બધા આદર્શોને ભૂલી જવા અથવા એમ કહેવું કે એ તો હિન્દુઓની નબળાઈ છે. હિન્દુ ધર્મને નામે સત્તા પ્રાપ્ત કરવામાં અને એને ટકાવી રાખવામાં શરમ જેવું કશું હોય જ નહીં. બેશરમી એ જ હિન્દુ ચાણક્ય નીતિ.

હિન્દુ રાષ્ટ્ર તાનાશાહીથી જ ઊભું થાય એમ નહીં, એ હિન્દુ રાષ્ટ્રમાં લોકશાહી હોય જ નહીં.

એટલે જે આર.એસ.એસ. ૧૯૭૫-૭૭ની ઇન્દિરા ગાંધીની સેક્યુલર તાનાશાહી સામે લડ્યો હતો તે એના જ પ્રચારકની તદ્દન નગ્ન હિન્દુ તાનાશાહી સામે ચૂપ છે કારણ કે તે એમ જ ઈચ્છે છે.

તા.૨૮-૦૪-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...383384385386...390400410...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved