Opinion Magazine
Number of visits: 9843519
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બેન્ક એટલે મોટી લોન માફ ને નાનો ગ્રાહક સાફ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 April 2025

રવીન્દ્ર પારેખ

જી.એસ.ટી. આમ તો ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું ટૂંકું રૂપ છે, પણ તે ‘લાઈફ ટાઈમ સર્વિસ ટેક્સ’ છે, એટલે તેને ‘એલ.ટી.એસ.ટી.’ તરીકે ઓળખવો જોઈએ. એ આજીવન કેદની જેમ આજીવન કર છે. જેમ ‘નામ તેનો નાશ’ છે, તેમ ‘બિલ તેનો ટેક્સ’ પણ છે. ખાલી શ્વાસ પર ટેક્સ નથી એટલો સરકારનો ઉપકાર ! જો કે, ઓક્સિજન સિલિન્ડર લો તો ટેક્સ લાગે એ પણ ખરું. એટલે બધે રસ્તે ટેક્સ વસૂલાય છે કે વાત ન પૂછો. હોસ્પિટલમાં જન્મો તો બિલ પર જી.એસ.ટી. લાગે. પરણો ને પાર્ટીપ્લોટ, કેટરિંગ રાખો તો ટેક્સ, હનીમૂન હોટેલમાં થયું તો બિલ પર જી.એસ.ટી., જીવો તો જી.એસ.ટી., મરોને બારમા, તેરમાની ખરીદીનું બિલ બન્યું તો તેના પર 5 ટકા, 12 ટકા, 18 ટકા જી.એસ.ટી. સગવડ પ્રમાણે લાગે જ ! મર્યાં પછી પણ ટેક્સમાંથી મુક્તિ નહીં. મકાન, દુકાન, સ્મશાન એમ દરેક સ્થળે ટેક્સ લાગે જ ! જી.એસ.ટી.થી પૂરું ન થાય, તો બીજા અનેક નામે ટેક્સ લાગે તે પણ ખરું. આવક પર તો ઇન્કમટેક્સ લાગે, પણ જેની આવક મજૂરીમાંથી છે ને ટેકસેબલ નથી, તે પણ પારલેની બિસ્કિટ ખરીદે તો ટેક્સ લાગે. એ જ રીતે દવા લો, દારૂ લો, સોનું લો, ચાંદી લો … ટેક્સ લાગે લાગે ને લાગે જ ! તે જાહેરમાં જ લાગે એવું નહીં, ખૂણેખાંચરેથી પણ લાગે. આટલો બધો ને આટલી રીતે ચામડી ઊતરડી નાખે એટલો ટેક્સ લેવાય, એની સામે પ્રજાને મળે છે શું? એની હાલત તો બોર આપીને કલ્લી કાઢી લીધા જેવી જ છે. એવી કોઈ હાઈ ક્વોલિટી કે વર્લ્ડ ક્લાસ સર્વિસ સરકાર પ્રજાને આપતી નથી. ક્યાંક આપતી હોય તો તે પણ ટેક્સથી મુક્ત નથી. સર્વિસ અપાય કે ન અપાય, સર્વિસ ટેક્સ લાગે છે. જી.એસ.ટી. કલેક્શનની પાછી મોટા ઉપાડે જાહેરાત પણ થાય છે. જેમ કે, જી.એસ.ટી. કલેક્શન માર્ચ, 2025માં 9.9 ટકા વધીને 1.96 લાખ કરોડથી વધુ છે. ગુજરાતની વાત કરીએ તો 73,000 કરોડ જી.એસ.ટી.ની આવક થતાં ગયાં વર્ષ કરતાં 14 ટકાનો વધારો થયો છે. કમનસીબી એ છે કે નાનામાં નાનો માણસ પણ જી.એસ.ટી.ની બહાર નથી, ભલે પછી તે સરકારી અનાજ મફત જ કેમ ન મેળવતો હોય. તે દવા ખરીદે કે દારૂ, ટેક્સ લાગે એ નક્કી ! 

ટેક્સનું આટલું પિંજણ એટલે કર્યું કે સરકાર જ નહીં, બેન્કો પણ સર્વિસને નામે અનેક રીતે જે ચાર્જ વસૂલે છે તે સામાન્ય ગ્રાહકને તો લૂંટવાનું જ કામ કરે છે. પહેલી એપ્રિલ, 2025થી મિનિમમ બેલન્સ ખાતામાં નહીં રહે તો દંડ લાગશે. એમ દંડ લાગતાં લાગતાં ખાતું ખાલી થઈ જાય તો નવાઈ નહીં ! બીજી બેન્કના એ.ટી.એમ.માંથી ત્રણ વખત પૈસા ઉપાડો તો ચાર્જ નહીં લાગે, પણ તે પછી ઉપાડ્યા તો એન્ટ્રી દીઠ 25 રૂપિયા ચાર્જ લાગશે. 1 મેથી ફ્રી લિમિટ પૂરી થયા પછી એ.ટી.એમ.માંથી દરેક એન્ટ્રી માટે વધારાના 2 રૂપિયા ચૂકવવાના થશે. મતલબ કે 17ના હવે 19 થયા. એ જ રીતે બેલન્સ ચેક કરવાના 6 રૂપિયા હતા, તે રૂપિયો વધીને 7 થયા. મિનિમમ બેલન્સ પેનલ્ટીના રૂપમાં વિત્તીય વર્ષ 2022’-23માં 3,500 કરોડ બેન્કોએ વસૂલ્યા છે. ધારો કે ખાતાનો ઉપયોગ ઓછો થાય છે તો ઈન એક્ટિવિટી ફી-ને નામે પણ 100-200 ચાર્જ વર્ષે લાગે છે. બેન્ક સ્ટેટમેન્ટ જોઈતું હોય તો સ્ટેટમેન્ટ ઇસ્યુ કરવાનો ચાર્જ 50થી 100 રૂપિયા છે. SMS એલર્ટના માધ્યમથી ખાતાની સ્થિતિ જાણવાના દરેક ક્વાર્ટરના 20થી 25 વસૂલાય છે. ઓનલાઈન પેમેન્ટ હોય તો તેની ટ્રાન્જેક્શન ફી લેવાય છે. કેટલીક બેન્કો પરાણે લોન આપે છે ને ગ્રાહક તે લે, તો તેનો પ્રોસેસિંગ ચાર્જ 1થી 3 ટકા અલગથી વસૂલાય છે. ગ્રાહક લોન વહેલી ભરપાઈ કરવા માંગે તો પ્રિ-ક્લોઝર ચાર્જિસ લાગે છે. સહી બદલવી હોય કે નૉમિની ડિટેઇલ્સ ચેન્જ કરવી હોય તો 200 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શન વસૂલાય છે. આમ અનેક રીતે ગ્રાહક ખંખેરાતો રહે છે ને ઘણી વાર તો ખંખેરાયા પછી ખબર પડે છે કે ખંખેરાયો છે. ટાર્ગેટ પૂરો કરવા ઘણી વાર બેન્કના સાહેબો ગ્રાહકને જરૂરી નહીં એવા પ્રોડક્ટ્સ વેચે છે. ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીનો રિપોર્ટ એવું કહે છે કે વાર્ષિક સાડા ત્રણ લાખ ફરિયાદોમાંથી વીસ ટકા ફરિયાદો આવી બિનજરૂરી પ્રોડક્ટ્સ ગ્રાહકોને વેચવાની છે. સેબીનો રિપોર્ટ કહે છે કે ત્રીસ ટકા ઈન્વેસ્ટર્સ મિસ લીડિંગ ઇન્ફોર્મેશનના શિકાર છે. 

સાધારણ ગ્રાહક સરકારી બેંકમાં જાય છે તો તેનું પાસબુક કમ્પ્લિટ કરાવવા જેવું કામ પણ ધક્કા ખાવા સિવાય કે એક કાઉન્ટર પરથી અન્ય કાઉન્ટર્સ પર અટવાયા સિવાય થતું નથી. બેન્કો ગ્રાહકો પર નિર્ભર છે, પણ સ્ટાફનો વર્તાવ એવો હોય છે કે ગ્રાહકને બેન્કો નભાવે છે. એક સમય હતો જ્યારે બેન્કોમાં રિસેસ, ગ્રાહક સેવા ખોરવાય નહીં એ રીતે સ્ટાફ લેતો હતો, હવે તો રિસેસ વખતે શટર પાડી દેવામાં આવે છે ને ગ્રાહક સાથે કોઈ સંપર્ક રહે જ નહીં એમ સ્ટાફ રિસેસ ભોગવે છે. રિસેસ નથી હોતી, ત્યારે પણ સ્ટાફનાં વર્તનમાં ઝાઝો ફરક જણાતો નથી. આર.બી.આઈ.ના ગવર્નરે વિત્તીય વર્ષ 2023-‘24ના રિપોર્ટમાં કહ્યું છે કે 95 શિડ્યુલ્ડ કમર્શિયલ બેંકોમાં 1 કરોડથી વધુ ફરિયાદો કસ્ટમર સર્વિસની છે. ટૂંકમાં, 45 ટકાથી વધુ ગ્રાહકો બેન્કિંગ વ્યવસ્થાથી અસંતુષ્ટ છે. ગ્રામીણ ક્ષેત્રોમાં બેન્કિંગ આજે પણ દયનીય સ્થિતિમાં છે. આમ છતાં નાનામાં નાની સર્વિસ માટે પણ, ગ્રાહકોને લૂંટવાની એક પણ તક બેન્કો જતી કરતી નથી એ હકીકીત છે.

સવાલ એ થાય કે ગ્રાહક જોડે આવું ઓરમાયું વર્તન બેન્કો કેમ કરે છે? એનો સીધો જવાબ છે, મોટા લોનધારકો, ઉદ્યોગપતિઓ અને તંત્રો દ્વારા ઊભું કરાતું દબાણ. હાલ્યા માલ્યા જેવા કેટલા ય કહેવાતા ઉદ્યોગપતિઓ હજારો કરોડની મોટી લોન ભરપાઈ ન કરીને વિદેશ ભાગી ગયા ને વર્ષો સુધી ન તો એ પરત આવ્યા કે ન તો લોન પરત આવી. તે ભાગ્યા કે તેમને ભગાડવામાં આવ્યા તે નથી ખબર, પણ બેન્કોને એને લીધે ફટકો તો પડ્યો જ ! હાલના નાણાં મંત્રીએ 26 માર્ચ, 2025ને રોજ કહ્યું છે કે 31 ડિસેમ્બર, 2024 સુધીમાં લોન લઈને ભાગી ગયેલા નવ લોકોને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે અને 749.83 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ પણ દરિયામાં ખસ ખસ જેવું જ છે. સરકાર ભલે કહે કે સપ્ટેમ્બર, 2024માં શિડ્યુલ્ડ કમર્શિયલ બેન્કોની ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA) ઘટીને 2.5 ટકાના નીચા સ્તરે આવી ગઈ છે ને ગયાં નાણાકીય વર્ષમાં બેન્કોએ 1.41 લાખ કરોડનો નફો કર્યો છે, પણ એ સામાન્ય ગ્રાહકો પાસેથી ખરી ખોટી રીતે નાના મોટા ચાર્જિસ વસૂલવાથી શક્ય બન્યું છે. 

સાધારણ માણસને લોન આપતી વખતે જે ચીકાશ બેન્કો કરે છે કે 10 લાખની લોન ભરપાઈ ન કરનાર ખેડૂતનું ખેતર લીલામ કરી શકે છે, એવી ‘કાળજી’ મોટી લોન લેનાર ઉદ્યોગપતિઓની લેવાતી નથી. તે લોન ન ભરે કે અડધી પડધી ભરે તો પણ ચલાવી લેવાય છે કે પૂરી ન ભરે તો પણ માંડી વળાય છે. 10 વર્ષનાં શાસનમાં કેન્દ્ર સરકારે 16 લાખ કરોડ રૂપિયાની લોન માંડી વાળી છે. રાઇટ-ઓફની સૌથી મોટી રકમ 2 લાખ કરોડ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની છે. 2008માં યુ.પી.એ. સરકારે ખેડૂતોની 60,000 કરોડની લોન માફ કરી ત્યારે વિપક્ષોએ ભારે ટીકા કરી હતી, પણ હવે 16.11 લાખ કરોડની લોન માંડી વળાઈ છે, ત્યારે વિપક્ષો ચૂપ છે. સરકાર લોન માફ કરે છે ત્યારે ગજવું સરકારનું ખાલી નથી થતું, પણ બેન્કોની બેલન્સ શીટ પ્રભાવિત થાય છે. મોટી લોન માંડી વાળવાને કારણે બેન્કોનો નફો ઘટે છે, તે એટલે કે આ રકમ નફામાંથી વસૂલવામાં આવે છે. 

નફામાં ખાધેલી ખોટ સરભર કરવા ગરદન નાના ગ્રાહકોને મારવામાં આવે છે. બચત ખાતામાં વ્યાજના દરો ઘટાડવામાં આવે છે, જેથી કરોડો નાના ખાતેદારો ઓછું વ્યાજ મેળવે. જે સેવાઓ મફત અપાતી હતી, એ સેવાઓ પર ચાર્જ લગાવવામાં આવે છે. એક કાળે ચેકબુકનો ચાર્જ વસૂલાતો ન હતો તે હવે વસૂલાય છે. એ જ રીતે મિનિમમ બેલન્સ ન રાખવા બદલ, પાસબુક પ્રિન્ટ કરવા બદલ એમ વિધવિધ વાનાં હેઠળ ચાર્જ વસૂલીને માંડવાળ થયેલી લોન સરભર કરવામાં આવે છે ને એનો ભોગ નાના ગ્રાહકો બને છે. આ ગાયને દોહીને કૂતરાંને પાવા જેવું છે. એમાં કૂતરાં તો તગડાં થાય જ છે, પણ દૂધ નથી આવતું તો ય લોહી દોહવાનું ચાલે છે તે દુ:ખદ છે …  

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”,04 ઍપ્રિલ 2025

Loading

સીધીકભાઈ તમને આ છેલ્લા સલામ …

રમજાન હસણિયા|Opinion - Opinion|3 April 2025

સીધીકભાઈ

ગઈ મધરાતે અબ્દુલનો ફોન આવેલો જોઈ ધ્રાસ્કો પડ્યો.  સામેથી ધ્રુજતા અવાજે અબ્દુલે કહ્યું, ‘સાહેબ , પપ્પા રજા કરે વ્યા !’ અચાનક જ એક સાવ પોતીકા સ્વજન સાથેનો સંગ છૂટી જતાં અનુભવાતો શૂન્યાવકાશ બંને તરફ છવાઈ ગયો. ફોન તો પૂરો થયો પણ આંખ બંધ થવાનું નામ ન્હોતી લે’તી. આંખ સામે એક સામટા સાવ અજાણ્યા જણમાંથી પોતીકા સ્વજન બની ગયેલા સીધીકભાઈ દેખાતાં રહ્યાં .. મન અતીતના એ સઘળાં ખૂણા ફરી આવ્યું કે જ્યાં જ્યાં એમનો ભેટો થયેલો.

સાવ પહેલી વખત વિદ્યાર્થીઓની જાન લઈને અમે ગામડાં ખૂંદવા નીકળેલાં ને અબ્દુલના ઘરે જમવા ધામા નાખેલા ત્યારનું તેમનું પ્રથમ દીદાર આંખ સામે આવી ગયું. અબ્દુલના પરિવારે બહુ જ પ્રેમથી લાડુનું જમણ બધાને કરાવેલું. એ ઘર, એ આંગણું, એ ખાટલા પર બેસવું, એ આનંદની છોળો ને રકાબીમાં પીવાતી ચાની ચુસ્કીઓ – બધું હજુ એકદમ તાજું છે. આ બધી વેળાએ એમનો સ્મિત વરસાવતો ચેહરો. ઓછું બોલે પણ મજાનું બોલે. 

પછી તો અબ્દુલ એવા પોતીકા થઈ ગયા કે સોનટેકરી રહેવા જ આવી ગયા. એમના આખા ઘરને માટે હું અબુકાકાનો સાહેબ. એટલો પ્રેમ ને આદર આપે કે મને સંકોચ થઈ આવે. અબ્દુલના જીવનના દરેક પ્રસંગે ઘરના સભ્ય જેમ સહજ હાજર રહેવાનું થયું. અબ્દુલના લગ્ન મારી ચૂંટણીની ડ્યુટીને કારણે પરિવારે એક દિવસ પાછળ કરી દીધેલ. ચૂંટણીની ડ્યુટી પૂરી કરીને અડધી રાતે હું ગેડી પહોંચેલો ને પછી સવાર સુધી બધા સાથે નાચેલો. એ લગ્નમાં જાણે મેં જ અબ્દુલને ભણાવી ગણાવીને મોટો કર્યો હોય તેમ જે મળે એમને મારો પરિચય કરાવી સીધીકભાઈ ફૂલ્યા ન્હોતા સમાતા. તેમની તબિયત ત્યારથી જ નબળી પડવા લાગી ગયેલી. અબ્દુલ એમની સાથે ફોટો પડાવતી વખતે આંખમાં પાણી ભરી ગયેલા ને પછી કચરો પડી જવાનો ડોળ કરીને પોતાનું દુઃખ છુપાવી લીધેલું. અબ્દુલની તીવ્ર સંવેદનશીલતા મેં વર્ગથી માંડીને જીવનની આ નાજુક ક્ષણ સુધી અનુભવી છે. 

વસુંધરાની વાણી ગેડીમાં ગોઠવેલી તે રાતે હું અબ્દુલના ઘરે જ રોકાઉં એવો એમના આખા ઘરનો પ્રેમાગ્રહ હતો. અમારી સાથે વાણીનો આનંદ લેવા પણ તેઓ આવેલા ને ઘરે મારી નાની નાની કાળજી લેતાં એમણે પોતાની પાસે જ મારી પથારી કરાવેલી. બીજી સવારે સીધીકભાઈ, એમના પત્ની ને હું એમનાં નાનકડાં રાંધણિયામાં બેઠેલાં. શિયાળાની સવારે ચૂલા પાસે હાથ શેકતા અમારી પાસે બા ચા  બનાવી રહ્યાં હતાં. ચા પીતાં પીતાં એમણે જે વાક્ય કહેલું એ મારે મન બહુ મોટું વિધાન હતું. એ બંને દંપતીએ સહજભાવે એવું કહ્યું કે, ‘અમે અબ્દુલને કહ્યું છે કે અમારું ઘડપણ પાડવા તો બીજા ત્રણ દીકરા ને આટલા બધા પોતરા છે, તું અમારા તરફથી મુક્ત છો, તારે સાહેબના દીકરા બની એમનું ઘડપણ પાડવાનું છે.’ અબ્દુલ તમને સાંપ્યો એવા વાક્ય તો તેઓ ઘણીવાર બોલેલા પણ આ વિધાનમાં એમના મા-બાપ તરીકેના દિવ્ય ત્યાગની અનુભૂતિ મને થયેલી. હું તો સ્તબ્ધ જ થઈ ગયેલો કે કોઈ વાલી શિક્ષકને આ કક્ષાએ પણ ચાહી શકે ? પોતાના સૌથી વધુ ભણેલા, ગણેલા હોનહાર દીકરાને આટલો સહજ રીતે કોઈનો કરી શકે ? ગામડાના તદ્દન સામાન્ય દેખાતાં આ સીધીકભાઈ ને તેમના પત્ની તે ક્ષણે મારા હૈયાના એવા ઊંચા આસને બેસી ગયેલાં કે જ્યાં ભાગ્યે જ કોઈ પહોંચી  શકે !

સીધીકભાઈની ઉદારતા માત્ર મારા જેવા સુધી સીમિત ન્હોતી. ગામમાં આવતા નવા શિક્ષકો, કોઈ અન્ય કર્મચારીઓ બધાને એમનું ઘર પોતાનું જ લાગે. બધાને ખવડાવે, પીવડાવે ને લ્હેર કરાવે. કેટલા ય ઘરવિહોણાને એમણે સાચવ્યા હશે. એમનો સર્વ ધર્મ પ્રત્યેનો લગાવ ને આદર પણ એવો. અમે ગેડીમાં હિંગળાજ માતાજીની શરણમાં પૂનમસભા કરેલી એમાં તેઓ ખાસ આવેલા ને આગળ જ બેઠેલા. નાતજાતના વાડાથી તેઓ જોજનો દૂર હતા. પોતે નેક નમાજી ને ધર્મને સાચી રીતે સમજવાવાળા.

અબ્દુલ સાથે સોનટેકરી પણ આવી ગયેલા. એમને સંસ્થાનું વાતાવરણ બહુ ગમતું. અબ્દુલ મારી સાથે હોય ત્યારે તેઓ સંપૂર્ણ નચિંત રહેતા. અબ્દુલના લગ્નમાં હું સતત એમની સાથે હતો. દીકરો પરણાવવાની ખુશી બંને એકબીજાની આંખોમાં વાંચી રહ્યા હતા. 

પ્રેમાળ પિતા, વત્સલ દાદા ને સૌના પ્રિય એવા સીધીકભાઈને વર્ષો પહેલાં ટી.બી. થયેલો, એની અસરથી  કે અન્ય કોઈ કારણથી એમનું એક ફેફસું બહુ જ ખરાબ થઈ ગયેલું. ક્યોર થવાનો કોઈ ચાન્સ ન્હોતો. પણ તેમ છતાં એમના બાળકોએ સારવારમાં કોઈ કસર ન મૂકી. સારામાં સારા ડોક્ટરને બતાવ્યા. જ્યાંથી સારી સારવારની વાત મળે ત્યાં લઈ જાય. મને ખબર પડી એટલે મિત્ર ડોક્ટર નવુભા સોઢાને બતાવવા લઈ ગયા. હું સાથે ગયો. મારા સાથે હોવા માત્રથી એમના જીવમાં જીવ આવી ગયેલો. મારા જાણીતા ડૉક્ટર છે એટલે એમને સારું થઈ જશે એવી એમને શ્રદ્ધા. અમે પણ હસતા હસાવતા ને વાતો કરતા ગયા ને એ હળવાશ એમને સ્પર્શી ગઈ. અબ્દુલ કહે, ‘સાહેબ, પપ્પાએ બહુ મન પર લઈ લીધું છે, સરખું ખાતા પીતા પણ નથી. તમે કહેશો તો એ માનશે.’ બન્યું પણ એવું નવુભા સાહેબની દવા પણ કામ આવી ને થોડી અમારી સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ પણ. એ દિવસે મસ્ત હોટેલમાં જમ્યા. ધીરે ધીરે ચાલતા પણ તેઓ આવ્યા. વળતે તો ગીતો ને રાસડા ગાતાં ગાતાં આવ્યા. તબિયત સુધરી પણ ખરી. પણ સમય જતાં એમાં અપડાઉન આવ્યા કર્યું. અબ્દુલે પિતાની સેવા માટે નોકરી પણ છોડી દીધી. પિતાથી અગત્યનું બીજું શું હોય ? એમ કહેતાં એ દીકરા પરનું માન ઓર વધી ગયેલું. પણ અબ્દુલની ચિંતા કરતાં તેમણે મને ફોન કરેલો. ‘સાહેબ અબ્દુલ કાંઈ કામ નથી કરતો, તમે કંઈક સમજાવો.’ એમને રાજી કરવા ફોન પર મેં અબ્દુલને લાંબુ ભાષણ પણ આપ્યું. પણ છેલ્લે તેમને મળવા ન જઈ શકાયું એનો અફસોસ સદાય રહેશે. તેઓ તો એટલા પ્રેમાળ પિતા કે પરિવારની ઈદ પણ ન બગાડી. બધાએ ઈદ માણી લીધી એના બીજા દિવસની રાતે એક વાગે પોતાનું આયુષ્ય સંકેલાતું જોઈ બધાને પાસે બોલાવી લીધા. ને પોતાની લીલી વાડીને આંખ સામે જોઈ નિરાંતે ચિરનિદ્રામાં પોઢી ગયા. 

જનાજામાં એમના અંતિમ દીદાર કરતી વેળાએ પાસે બેઠેલા અબ્દુલને હું આશ્વસ્ત કરી રહ્યો હતો, પણ હું પોતે અંદરથી ધ્રુજી રહ્યો હતો આવા વત્સલ સ્વજન ગુમાવીને. એમને કાંધ આપતી વેળા એમના પિતૃત્વને પણ ખભ્ભે લઈ લીધું. 

મારી એમને એ જ અંજલિ.

સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સંગાથનું સુખ !

રમજાન હસણિયા|Opinion - Opinion|3 April 2025

કુદરતને આપણી ઉપર વ્હાલ વરસાવવાનું મન થાય તો શું કરે ? એ સ્વજનોનું રૂપ લઈને ઘરે આવી જાય ! હેત વરસાવે, સાથે જમે, ઊઠે , બેસે ને વાતાવરણ ભર્યું ભર્યું કરી દે ! 

મારા પ્રિય કવિ વંચિત કુકમાવાલાની મારી અત્યંત પ્રિય કવિતા આ વાતની હામી ભરે છે. ‘મારી હરિ ખોલશે ડેલી’ કવિતામાં તેઓ લખે છે કે : 

હરિ હાથ પકડીને અમને ઘર વચ્ચે લઈ જાશે,

રાંધણિયામાં મારી સાથે મારા જેવું ખાશે,

આડા પડશે ખેંચી લેશે મારી ચાદર મેલી …

મારી હરિ ખોલશે ડેલી ..

સમી સાંજના આંગણ વચ્ચે આટા પાટા રમશે,

મને જીતાડી દેશે પોતે હાર બધીયે ખમશે,

સ્હેજ મલકશે ને ઘર થાશે આપોઆપ હવેલી …

મારી હરિ ખોલશે ડેલી ..

આપણા ઘરે પણ હરિ આવું જ કંઈક કરવા થોડા સ્વજનોનું રૂપ લઈને આવી ગયા ! ૨૩મી તારીખની સવારે સૂર્ય મહારાજના સોનેરી કિરણો સાથે ધીમે ધીમે આવતી એક ટ્રેન આ દેવદૂતોને મુંબઈથી સામખિયારી લઈ આવી. સ્ટેશન પર જ મિલનનાં દૃશ્યો આસપાસના લોકો માટે કૌતુકનું કારણ બની રહ્યાં. એક એક જણ પ્રેમના છલકાતાં સાગર લઈને ઊમટી પડ્યા હતા. પ્રથમ સ્પર્શે જ એમની ભીતરની ભીનાશ મને ભીંજવી ગઈ. નિયામત અઠવાડિયા અગાઉથી તૈયારીમાં ઘર સરખું કરી રહી હતી. આગલી સાંજે એણે આખ્ખું આંગણું વાળીને સજ્જ કરી દીધેલું. ઘરમાં હાજર હોય એવાં ધૂળેટીનાં વધેલાં રંગોથી બાળકોએ મનમાં આવી એવી નાની નાની રંગોળીઓ કરી દીધેલી. સવારના પહોરની ઠંડકમાં સ્વજનોના પ્રેમની ભીનાશ અનુભવતાં અનુભવતાં વાતોના વડા ઉતારતા ઉતારતા ક્યારે નીલપરનું આંગણું આવી ગયું એની ખબર જ ન રહી.

બધા આવીને ઘરની નાનકડી વ્યવસ્થાઓમાં ગોઠવાયા. મુકતાબહેન અને નકુલભાઈએ  બીજા પણ બે ઘરની વ્યવસ્થા કરી આપેલી, એટલે કેટલાંક સ્વજનોની અનુકૂળતા ત્યાં સરસ સચવાઈ. પણ એ ઓરડા તો ન્હાવા ધોવા કે સૂવા પૂરતા જ. બાકી તો આપણું ઘર જ મુખ્ય થાણું બની રહ્યું. 

સંગાથનું સુખ બહુ મોટું સુખ છે. ગત નવ દિવસ આ સુખ પેટ ભરીને મેળવ્યું. બે સાંજ થોડું આસપાસની જગ્યાઓએ ભ્રમણ કર્યું. એક દિવસ બાદરગઢના મીની ગિરનારની પરકમ્મા કરી તો બીજા દિવસે દેવલમાની નિશ્રામાં અલખ ઘણી આશ્રમે ટીન્ડલવા જઈ આવ્યાં. બંને દિવસે સંધ્યાના રંગો ને અસ્ત થતાં સૂરજનું સૌંદર્ય સૌએ માણ્યું, પણ અમને તો એની સાથે પ્રેમના સૂર્યનો ઉદય પણ અનુભવાયો. સંધ્યા આરતીનો સહજ લાભ સૌને મળ્યો ને સાથોસાથ ભજનનું ભોજન પણ લીધું. ઉડતાં પોપટને જોવાની મજા, ટેકરીએ ચડવાની મજા, ગુફામાં ઉતરવાની મજા, ખુલ્લી ગાડીમાં ગીતો ગાવાની મજા ને આસપાસ આવતાં ઝાંખરાથી બચવા એકબીજાના ખોળામાં પડી જવાની મજા સૌએ લીધી. જગ્યાઓ તો સરસ હતી જ પણ એને વધુ સુંદર બનાવી રહ્યો હતો સૌનો પ્રેમલ સંગાથ !

રોજ સવારે આંખ ખૂલે ત્યારે લીમડાની મઘમઘતી સુગંધને નાકમાં ભરવા ને સવારની તાજપને ભીતર ભરી લેવા બધાં નીકળી પડતાં. સાંજ થાય એટલે ફરી એ જ ભ્રમણ ! નિયામત ને હું  અમારા નિત્યક્રમમાં હોઈએ પણ આ તો ઘરનાં જ સ્વજનો એટલે મન પડે ત્યાં ફરવા જાય. ક્યારેક કોઈની વાડીએ જતા રહે તો ક્યારેક સેતુર ખાવા જતા રહે. ક્યારેક તળાવ તો ક્યારેક અમસ્તા પરિસરમાં ભ્રમણ કરી આનંદ લૂંટી લે એવા આ ચતુર લૂંટારા ! એકાદ દિવસ દેરાસર જઈ આવ્યા, બાકી કોઈપણ પ્રકારની આમતેમ દોડાદોડ વગર બસ નિરાંતે રહ્યાં સૌ સંગાથે. 

ઘરનો હોલ સતત ધબકતો રહ્યો. વાહ  ! વાહ ! ના નાદથી. આનંદની છોળો સતત ઉછળતી રહી. પરીક્ષાના દિવસો હતા એટલે હું થોડો રોકાયેલો રહ્યો, પણ એમાંયે મારા કોલેજના સૌ સાથી મિત્રો ને આચાર્યશ્રીએ બને તેટલી અનુકૂળતા કરી આપી. વહેલી સવારથી મોડી રાત સુધી બસ, ચોતરફ પ્રેમની વર્ષામાં ન્હાવાની મજા પડી. કુદરત પણ એટલી રાજી કે એણે વાતાવરણમાં ઠંડક વધારી દીધી. બધું અનુકૂળ અનુકૂળ જ થતું ગયું. ટેટી ને કલિંગર ખાવાની મજા પડી. ગરબા રમવાની મજા. બધા બોક્સ ને થેલા ભરીને લાવેલા તે મુંબઈ, પુનાનો નાસ્તો ઝાપટવાની પણ મજા પડી. 

બસ લીલા લ્હેર જ સમજોને !

આવેલાં વડીલોમાં એક સરોજબહેન નામે ૮૬ વર્ષના દાદી હતાં, એકટાણું જ કરે. બપોરે જ જમે, બાકી અમને જમાડે. ૮૬ વર્ષે એટલી સ્ફૂર્તિ કે જુવાનને પણ શરમાવે. પણ ક્યાં ય ધર્મ કરતાં હોવાની સભાનતા નહિ. અમે ઊઠીએ એ પહેલા ઊઠી પોતાનું પ્રતિક્રમણ, સામાયિક કરવા બેસી જાય. સરસ વાંચે ને રાતે બધા થાકી જાય ત્યારે અજબ ગજબની શબ્દ રમતો રમાડી બધાને ફરી તાજા માજા કરી દે. કોઈ આગ્રહ નહિ, કોઈ ડિમાન્ડ નહિ. એમનું હોવું અનુભવાય જ નહીં એટલા હળવા. તો જયંતભાઈ અને જ્યોતિબહેન જેવા પ્રેમાળ દંપતીની તો શી વાત કરવી ! જ્યોતિબહેન સવારે વહેલા ઊઠીને ધ્યાન કરવા બેસે ને ઓરડો સાધનાખંડમાં ફેરવાઈ જાય. એમને ધ્યાનમાં બેઠેલા જોવાનું સુખ આંખોને મળ્યું એ પણ એક ધન્યતા જ. રસોડાનાં કામમાં ચુપચાપ ગોઠવાઈ જાય. ઓછું જમે ને વધુ જમીએ એવી રસોઈ બનાવે. ખાસ તો રોટલી એવી સરસ કે જાણે ખાધા જ કરીએ. તો જયંતભાઈનું હોવું જ સાધુતાનું હોવું લાગે. એમનું ભીતરનું ઊંડાણ તાગ ન મળી શકે એવું. બધી વસ્તુને વિધાયક નજરથી જોતા આ સ્વજનને અમે બધા ગાંધીજી કહીને બોલાવીએ. કિરણભાઈ, ભુવનચંદ્રજી મહારાજ આદિ પાસે એમની ચેતના ઘડાઈ છે, ખૂબ ભીતરી ઉઘાડ એટલે હાથ વારંવાર એમના ચરણ ભણી લંબાઈ જાય. જે હોય એમાં રાજી રહેનારા, ચુપચાપ સેવાનાં મોટાંમોટાં કામ કરનારા ને અહીં આવીને દૂધ લેવા પણ જાય ને અમને ઠંડુ પાણી હાથમાં આપે એવા આ સ્વજન ! ખબર ન પડે તેમ દૂધના કૂપન લઈ આવે ને સંસ્થાને પણ માતબર દાન આપી મોટો ટેકો કરી જાય. ચહેરા પર સ્મિત પણ ખરું ને ભીતર ગંભીરતા પણ ખરી. હસે, હસાવે ને જલસા કરાવે. 

કીર્તિદાબહેન સાવ બાળક જેવાં, ભોળાં, નિર્દોષ. એમના તો કુંજબાળા, કુંદનબાળા જેવા કેટલાં ય નામો પાડ્યાં ને આનંદ કર્યો. ભારતીબહેન પણ એવા જ ભાવથી ભર્યાં ભર્યાં. એમણે બાળકોને કુલ્ફી ખવડાવીને જલસો કરાવ્યો. ત્રણેક વખત કુલ્ફીની મજા બાળકો સાથે સૌએ લીધી. ભાઈ ગૌરવે મોકલેલી નવી કુર્તીઓ સંસ્થાની બધી દીકરીઓએ ઈદના દિવસે જ પહેરી ને રાજી રાજી થઈ ગઈ. બધાં સ્વજનોને સંસ્થા માટે ભાવ એટલે ચુપચાપ દાનની રકમ નકુલભાઈના હાથમાં પહોંચાડી આવે. દીકરી કિંજલ અને મિહિરના નાનકડા રાજકુમાર નિરાગના જન્મની ખુશીમાં તેઓ ગાયોને લાડુ ખવડાવે, પક્ષીઓને ચણ નખાવે, કૂતરાને રોટલાં અપાવે ને આ બધા એ કામ સ્વહાથે કરી એનો આનંદ લે. મનસુખદાદાને લોનાવાલા બેઠે બેઠે પાનુમાની સ્મૃતિમાં કુલ્ફી ખવડાવવાનું મન થાય ને બાળકોને જલસા થઈ પડે. 

આ આનંદમંડળીમાં સાથે એક તેંત્રીસેક વર્ષનું બાળક પણ આવેલું. કેવલ એનું નામ. બહુ મજાનો. ગોલુ મોલુ. બરાબર ખાવા મળે એટલે રાજી. બસ ખાવું, પીવું, હમ સાથ સાથ હૈ ફિલ્મ જોવી ને સુઈ રહેવું એ એના ગમતાં કામ. પણ મારા પર એને બહુ ભાવ. મને સગો ભાઈ માને. ને ‘બોલ ભાઈ બોલ’, ‘બિન્દાસ બિન્દાસ’ જેવા શબ્દો બોલી મજા કરાવે. એના મોટા પેટ સાથે રમવાની, એની સાથે વાતો કરવાની બહુ મજા પડે. એની સાથે ડાન્સ કરવાની પણ એક અનોખી મજા. આવા વિશિષ્ટ બાળકના ઉત્તમોત્તમ મા-બાપ એટલે ભાવનાબહેન અને મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ તારક મહેતાના ચંપકચાચા જેવા લાગે એટલે એમને અમે પહેલેથી બાપુજી જ કહીએ. બાપુજી ને ભાવનાબહેન દેખાવે સાવ સાદા સીધા લાગે. પગમાં ચંપલ પણ જરૂર ન હોય તો ન પહેરે એવા. ટ્રેનમાં સ્લીપર કોચમાં મુસાફરી કરે, ઘરમાં પણ ખપ પૂરતું જ રાચરચીલું. પણ બીજાનું દુઃખ સ્હેજે ન જોઈ શકે એવા. મેં કોઈની પણ મદદ માટે ટહેલ નાખી હોય તો એમનો મદદની રકમનો આંકડો કાયમ મોટો હોય. ક્યારેક તો મારે રોકવા પડે એટલા ભાવવિભોર થઈ જાય. પોતે બહુ જ સાદગીથી રહે ને બીજા માટે ખરચતા સ્હેજ પણ ન અચકાય. મોટી મોટી મદદ કોઈને ખબર ન પડે તેમ કરે. ભાવનાબહેન પણ અંદરથી એકદમ સુલઝેલ વ્યક્તિ. તરત આંખ ભીંની થઈ જાય એવા ભર્યાં ભર્યાં. કેવલની વિશેષતાઓનો સ્વીકાર ને એની વિશેષ કાળજી જ આ બંનેની મોટી સાધના. બંનેને  બાળકો બહુ ગમે. બાપુજી મીઠી આંબલી ઉતારવા મથતા કોઈ બાળકની મદદે દોડી જાય તો ભાવનાબહેન પણ છોકરીઓના ચોટલા વાળવા લાગી જાય ને નિયામતને કમ્પની આપવા પગપાળા પ્રવાસમાં પણ જાય. 

બધાં એવાં કે એક એક વ્યક્તિ નોખું વ્યક્તિચિત્ર માંગી લે; પણ આ તો એક આછી પીંછીએ કરેલું લસરકું જ ગણજો.

આવા સ્વજનો નવ દિવસ અકારણ સાથે રહેવા આવે, સાવ સહજ સાથે રહે, સતત પ્રેમ વરસાવે ને રમઝાન મહિનામાં અલ્લાહ પાકની રહેમત ઉતરી આવ્યાનો અનુભવ કરાવી ઈદની સાંજે ભેટી ભેટીને ભીતર ભરી દઈ વિદાય લે, એ પહેલાં દીકરીઓને ક્યારે ય ન મળી હોય એટલી મોટી ઈદી આપી જાય અને અમને એથીયે મોટી પ્રેમની ઈદી આપી ધન્ય કરી જાય.

કહે છે કે રમઝાન મહિનામાં અલ્લાહના ફરિસ્તા ઘરે આવે છે ને ઘરને ખુશીઓથી  ભરી દે છે. અમને તો આ રમઝાન મહિનામાં અલ્લાહે એનો પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો. બસ, પરસ્પરનો આ પ્રેમ ચોતરફ વિસ્તરો, નફરતોની દીવાલો ઓગળી જાઓ ને પ્રેમનો સાગર છલકાઈ જાઓ. 

આમીન … આમીન .. આમીન.

સાધુ … સાધુ …. સાધુ …

સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...383384385386...390400410...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved