Opinion Magazine
Number of visits: 9664632
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટ્રમ્પ અને જકાતી યુદ્ધઃ અન્ય દેશોનું નાક દબાવી ધાર્યું કરાવવાના ટ્રમ્પનો ઇરાદો કેટલો તાર્કિક?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|16 February 2025

ટ્રમ્પ આયાતો પર જકાતના બોજની ચાંપ દબાવી એક સાથે અનેક રાષ્ટ્રોને માટે નવી સમસ્યા ખડી કરી રહ્યા છે. આ નાના-મોટા રાષ્ટ્રો સાથે સામસામી રમત ચાલ્યા કરશે તો વૈશ્વિક સ્તરે આર્થિક વિકાસ મંદ પડી જશે

ચિરંતના ભટ્ટ

અમેરિકાના પ્રમુખ તરીકે બીજી ટર્મમાં પાછા ફરેલા ટ્રમ્પ, દર થોડા દિવસે, કંઇ નવી જાહેરાત કરે છે અને એક કરતાં વધુ રાષ્ટ્રોની આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિ પર તેનો પ્રભાવ પડે છે.  ટ્રમ્પે ગાદી ધારણ કરી પછી તો જાણે કંઇ નવું અને દુનિયા આખીને આધાત આપે એવી કામગીરી કરવાનો સપાટો બોલાવ્યો છે. આ બધાંની વચ્ચે ટેરિફ વૉર એટલે કે (શુલ્ક) જકાતી યુદ્ધનું એલાન કરીને ભલભલા રાષ્ટ્રો પર તાણ વધારી દીધી છે. આ જકાતી યુદ્ધનો તર્ક, અન્ય દેશો અને ખાસ કરીને ભારત પર તેની અસર શું થઇ શકે અને ટ્રમ્પની પહેલી ટર્મ વખતે જકાતને મામલે શું કરાયું હતું? તેની અમેરિકા પર કેવી અસર થઇ હતી તે જરા કળવાનો પ્રયાસ કરીએ. આપણે છાપું વાંચીને કામે જવું હોય ત્યારે અમેરિકાના પ્રમુખની બેફામ જાહેરાતોથી આપણે શું એવો વિચાર ચોક્કસ આવે, પણ છતાં પણ થોડી તસ્દી લેવી પડે કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે બનતી ઘટનાઓની ડોમિનો ઇફેક્ટ લાંબે ગાળે વર્તાતી જ હોય છે.

ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે જે પણ દેશો અમેરિકાના ઉત્પાદનો પર જકાત લગાડે છે તેમની પર તે સામે રેસિપ્રોકલ ટેરિફ – પ્રત્યાઘાતી જકાત લાગુ કરવાની પેરવીમાં છે. આમ કરીને ટ્રમ્પ બીજા દેશોના કાન આમળે છે. ભારત સાથેના વ્યાપારની વાત કરતાં ટ્રમ્પે એમ કહ્યું કે ભારતમાં આયાતી જકાત બહુ ઊંચી છે અને તેમણે ભારતને ‘ટેરિફ કિંગ’નું ટાઇટલ આપ્યું. જેની સામે મોદીએ એમ બચાવ કર્યો કે અત્યારે જે જકાત છે એ વાજબી નથી અને બહુ આકરા પણ છે.

હવે ટ્રમ્પ જે રીતે કહે છે એ રીતે જો ખરેખર જેવા સાથે તેવા વાળી કરશે અને જે દેશ ઊંચી જકાત લગાડે છે તેમના ઉત્પાદનો પર જકાત વધારી દેશે તો વૈશ્વિક સ્તરે વ્યાપારી સંબંધોમાં સંઘર્ષ વધવાની પૂરી શક્યતા છે. ટ્રમ્પની આ જાહેરાત ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતની પહેલાં જ કરવામાં આવી. તાજી અપડેટ મુજબ ટ્રમ્પે મોદીને વચન આપ્યું છે કે તેઓ જકાતને મામલે ભારત સાથે ન્યાયી વહેવાર રાખશે અને જે અમેરિકાને મળશે તે જ પ્રકારે સામે પ્રતિભાવ આપવામાં આવશે. જો કે ટ્રમ્પનો અભિગમ તો એવો જ છે કે ભારત જેટલી જકાત લગાડશે એટલી જ જકાત અમેરિકા ભારત પર લગાડશે. નરેન્દ્ર મોદીને મૂળે તો અમેરિકન જકાતને અવગણી શકાય એની પેરવીમાં છે પણ યુક્રેઇન રશિયા સંઘર્ષ પર મોદીએ ટીકા કરવાનું ટાળ્યું એ અમેરિકા અને અન્ય પશ્ચિમી દૃશ્યોને કઠ્યું છે એટલે કોનું ધાર્યું થાય છે તે તો અંતે વખત આવ્યે જ ખબર પડશે.  જો કે અત્યારે તો બન્ને દેશોએ જરા જરા ઢીલું મૂકીને સંબંધો સાચવી લીધા છે અને તણાવ ટાળ્યો છે. 

ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધો બહુ મજબૂત છે અને ભારત ચીન કરતાં અમેરિકા સાથે વ્યાપારી સ્તરે વધુ જોડાયેલ છે. ભારત અમેરિકા પાસેથી જેટલી આયાત કરે છે તેના કરતાં કંઇ ગણી વધારે નિકાસ કરે છે અને એટલે જ ટ્રમ્પ જકાતને મામલે ભારત સામે ભવાં તાણે છે. 2023માં ભારતે યુ.એસ.એ.માં 87 બિલિયન ડૉલર્સની નિકાસ કરી પણ ત્યાંથી આયાત માત્ર 42 બિલિયન ડૉલર્સની કરી. આને કારણે બન્નેના આયાત નિકાસ વચ્ચેની ખોટ પણ સારી એવી છે, જેમાં ભારતને વધારે ફાયદો છે. ટ્રમ્પને આ જ ટ્રેડ ડેફિસિટ – વ્યાપારી ખોટ નડે છે. ટ્રમ્પને વાંધો છે કે, યુ.એસ. વેચે છે તેના કરતાં વધુ ખરીદે છે અને તે ય ઊંચા જકાત દરો પર. અન્ય દેશોની આયાત પર જકાત વધશે તો જ અમેરિકાને ફાયદો થશે એમ ટ્રમ્પનું માનવું છે.  

ટ્રમ્પના આ ઊંચી જકાતના સપાટામાં અત્યાર સુધી ચીન, કેનેડા અને મેક્સિકો આવી ગયા છે. વળી માત્ર વ્યાપાર ખોટ ઘટાડવી ટ્રમ્પનો ઇરાદો નથી. આ ત્રણ રાષ્ટ્રોના મામલે તો ટ્રમ્પને ગેરકાયદે ઘુસણખોરી અને ડ્રગ્ઝનો ધંધો બન્ને અટકાવવા છે જેને માટે જકાતી યુદ્ધ તેમને શ્રેષ્ઠ વિકલ્પ લાગે છે. વળી ઘુસણખોરો ઓછા થશે તો અમેરિકાના નાગરિકો માટે નોકરી બચશે તેવું પણ ટ્રમ્પ દૃઢપણે માને છે. ટ્રમ્પના આ પગલાં સામે ચીને પણ યુ.એસ.એ.ના કોલસા, ગેસ અને મશીનરી પર પ્રત્યાઘાતી શુલ્ક લાગુ કર્યું. મેટા, ક્વૉલકોમ અને ગુગલ પર તપાસ લાગુ કરી ડિજિટલ યુદ્ધ છેડ્યું. આટલું ઓછું હોય એમ ચીને અમેરિકન ટેક કંપનીઓને નેવે મૂકીને વિએટનામ અને થાઇલેન્ડ જેવા એશિયાઇ દેશો સાથે વેપાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 

મેક્સિકો અને કેનેડાએ અમેરિકા સાથે USMCA (United States – Maxico- Canda Agreement) કરાર કર્યા. પોતે ઘુસણખોરો અને ડ્રગ્સ ટ્રાફિકિંગ પર કાબૂ કરશે તેમ કહી મેક્સિકોએ પોતાની ઉત્તર સરહદે 10,000 ટ્રુપ્સ તેનાત કરી, 20 મિલિયન ફેનેટાઇલ ડોઝિસ જપ્ત કર્યાં. કેનેડાની વાત કરીએ તો પહેલાં તો  કેનેડાએ આ નવી જકાતના બોજનો વિરોધ કર્યો પણ અંતે પોતાના બોર્ડર સિક્યુરિટી પ્લાન વધારીને 900 મિલિયન ડૉલર્સનો કરી નાખ્યો. વળી ફેનેટાઇલ ટ્રાફિકિંગના વિરોધમાં કડક પગલાં લેવાની ખાતરી આપી. આ બે દેશોએ આટલી પહેલ કરી તેની સામે ટ્રમ્પે 30 દિવસ સુધી કેનેડા અને મેક્સિકોને જકાત મુક્તિ આપી. ચીની ઉત્પાદનો પર 60 ટકા જકાત લાદવાની વાત કરનારા ટ્રમ્પે અંતે તો 10 ટકા જકાત લાદી પણ તેની સામે ચીને અમેરિકન નિકાસ પર 15 ટકા જકાત લાગુ કરી. યુરોપિયન યુનિયન અને અન્ય ભાગીદારો પર જકાતનો બોજ લાદવાનો ટ્રમ્પનો પાકો ઇરાદો છે. દક્ષિણ કોરિયા સાથે અમેરિકાએ KORUS ફ્રી ટ્રેડ કરારમાં સુધારા કર્યા. આ તરફ જાપાને જકાત ઘટાડી પણ અમેરિકન ઉપ્તાદન પર જોર આપ્યું. ટૂંકમાં ટ્રમ્પ આયાતો પર જકાતના બોજની ચાંપ દબાવી એક સાથે અનેક રાષ્ટ્રોને માટે નવી સમસ્યા ખડી કરી રહ્યા છે. આ નાના-મોટા રાષ્ટ્રો સાથેની સામસામે રમત ચાલ્યા કરશે તો વૈશ્વિક સ્તરે આર્થિક વિકાસ ધીમો પડશે એ ચોક્કસ છે. 

આમ તો જકાત કે શુલ્ક બે દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોમાં વ્યાપારી ખોટ સંતુલિત કરવાનું માધ્યમ હોય છે પણ ટ્રમ્પે જકાતને સુરક્ષા, સ્થળાંતર અને ડ્રગ્ઝના મુદ્દા સાથે જોડવાનું નક્કી કર્યું.  આ પરિસ્થિત વણસે અને જકાતી યુદ્ધ થાય તો આર્થિક વિકાસ મંદ પડે અને અમેરિકામાં ભાવ વધારો ઝીંકાવાનું જોખમ વધી જાય. ટ્રમ્પ જકાતનો ઉપયોગ રાજકીય શસ્ત્ર તરીકે કરી અન્ય રાષ્ટ્રોનું નાક દબાવી તેમની પાસે ધાર્યું કરાવી રહ્યા છે. જકાત મૂળ તો વૈશ્વિક સ્તરે ન્યાયી અને સંતુલિત અર્થતંત્ર જળવાય તે માટે લાગુ કરાતા હોય છે. 

ભારતે ટ્રમ્પના આ જકાત યુદ્ધનો જવાબ આપવા રાજકીય અને આર્થિક વ્યૂહરચના ઘડવી પડશે જેમાં પહેલાં તો વ્યાપારી ખોટ ઘટાડવા માટે IT સર્વિસ, ફાર્મા અને મેન્યુફેક્ચરિંગ નિકાસ વધારવી પડશે. ભારત અને  યુ.એસ.એ. વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) જેવી દરખાસ્તો માટે દબાણ વધારવું પડશે. અમેરિકા સિવાયના બજારો જેમ કે યુરોપ, જાપાન, દક્ષિણ કોરિયા સાથે પણ FTA કરાર કરવા જોઇએ. ચીન સાથે વ્યાપાર ઘટાડી યુ.એસ. સાથે ટેક અને ડિફેન્સની ભાગીદારી વધારવાની દિશામાં પણ કામ કરવું જોઇએ. ભારતે યુ.એસ.ની IT કંપનીઓ માટે H1B નીતિના સુધારાની માગ કરવી જોઇએ. યુ.એસ.માં AI અને સેમિકંક્ટર ચિપ ક્ષેત્રે કામ કરતી NVIDIA, ઇન્ટેલ, ક્વૉલકોમ જેવી કંપનીઓ સાથે સંયુક્ત રોકાણની શક્યતાઓ પણ ભારતે વિચારવી જોઇએ. ભારતે G20, સંયુક્ત રાષ્ટ્ર અને BRICSમાં પોતાનું નેતૃત્વ વધારવું જોઇએ જેથી અમેરિકાનું દબાણ ઘટાડી શકાય. ભારત માટે જકાતી યુદ્ધ તક અને પડકાર બન્ને જ છે પણ ટ્રમ્પને વાદે બીજી કોઇ રીતે નહીં પણ અમેરિકા ફર્સ્ટની માફક ભારત ફર્સ્ટ વાળી નીતિ ભારતે ફાયદો કરાવશે એ ચોક્કસ.

બાય ધી વેઃ  

ટ્રમ્પે અગાઉ પણ જકાત શસ્ત્રનો ઉપયોગ કર્યો હતો, પણ તેનાં પરિણામ નકારાત્મક હતાં. ત્યારે પણ જકાત વધારી ટ્રમ્પ જે હાંસલ કરવા માગતા હતા તે તેમને નહોતું જ મળ્યું. તેનાથી ટ્રેડ ડેફિસિટ – વ્યાપારી ખોટમાં કોઇ ઘટાડો નહોતો થયો. પહેલી ઇનિંગમાં પણ તેમને હતું કે યુ.એસ.-ચીનની ટ્રેડ ડેફિસિટ તે 200 બિલિયન ડૉલર્સ ઘટાડી શકશે પણ એવું ય ન થયું.  વળી ઉત્પાદન અને નિકાસ મોંઘા લાગતાં અમેરિકન કંપનીઓએ જ જગ્યા બદલી નાખી. એટલે કે વિએટનામ અને અન્ય એશિયાઇ દેશોમાં ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધું. આમ અમેરિકન કંપનીઓ જ આ વ્યાપારી ખોટ વધારવાનું કારણ બની. જકાત વધારવાથી અમેરિકામાં રોજગારી વધશે વાળો તર્ક પણ સાવ ખોટો પડ્યો હતો. ટ્રમ્પે ચીન જેવા દેશો સાથે જે વ્યાપારી સોદા પાર પાડવાનો ઇરાદો કર્યો હતો તે વાટાઘાટો પણ આગળ ન વધ્યાં. જો કે ટ્રમ્પને કોઇ કંઇ કહી શકે એમ તો છે નહીં એટલે તેમણે પોતાની બીજી ઇનિંગમાં પણ જકાતી યુદ્ધની શરૂઆત કરી જ દીધી છે. ટ્રમ્પને એ સ્વીકારવું નથી કે જકાત વધારવાથી ન તો ઉપ્તાદન વધે છે, ન તો વ્યાપારી ખોટ ઘટે છે કે ન તો નવી નોકરીઓ ખડી થાય છે. પહેલીવારમાં જે નહોતું થયું એ બીજીવારની ઇનિંગમાં થશે એવું માનવું તદ્દન અતાર્કિક છે. પણ આ તો ટ્રમ્પ છે, પોતે કંઇ ખોટું કરે છે એ સ્વીકારે એ બીજા.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 ફેબ્રુઆરી 2025

Loading

હમ કહાં જાને નીકલે થે ઔર કહાં પહોંચ ગયે

રમેશ ઓઝા|Opinion - Opinion|16 February 2025

રમેશ ઓઝા

‘દિવ્ય ભાસ્કર’ની મુંબઈ આવૃત્તિના પ્રકાશન સમારંભમાં, ભારતીય જનતા પક્ષના નેતા પ્રમોદ મહાજને કંઇક આત્મનિરીક્ષણ કરતાં કહ્યું હતું કે “હમ કહાં જાને નીકલે થે ઔર કહાં પહૂંચ ગએ” તેમણે કહ્યું હતું કે મીડિયાની ભૂમિકા રાજકીય પ્રવાસીની રાજકીય યાત્રા પર નજર રાખવાની છે અને યાદ અપાવવાની છે કે તમે તમારા ઉદ્દેશથી ભટકી રહ્યા છો.

ભારતમાં આઝાદી પહેલાં અને પછી જેટલા પક્ષો અસ્તિત્વમાં આવ્યા છે, એ કોઈને કોઈ ધ્યેય અને વિચારધારાથી પ્રેરાઈને સ્થપાયા છે. કાઁગ્રેસ મુખ્ય પક્ષ હતો અને તેની વિચારધારા જે લોકોને સ્વીકાર્ય નહોતી એ લોકોએ પોતાનો નોખો પક્ષ સ્થાપ્યો હતો અને આઝાદી પછી કાઁગ્રેસની પ્રાથમિકતા જે લોકોને સ્વીકાર્ય નહોતી એ લોકોએ કાઁગ્રેસમાંથી બહાર નીકળીને નોખો પક્ષ સ્થાપ્યો હતો. મુસ્લિમ લીગ, હિંદુ મહાસભા, દ્રવિડ મુનેત્ર કળગમ, ભારતીય જનસંઘ વગેરે કાઁગ્રેસની વિચારધારાને નકારનારા પક્ષો હતા અને સમાજવાદી પક્ષ, સ્વતંત્ર પક્ષ વગેરે કાઁગ્રેસની પ્રાથમિકતાને નકારનારા પક્ષો હતા.

પણ પછી આ બધા પક્ષો સંસદીય લોકશાહીમાં ચૂંટણીકીય અખાડામાં ઉતર્યા અને ચૂંટણી જીતવા એટલા બધા સમાધાનો કરવા માંડ્યા કે ધ્યેય અને વિચારથી ક્યાં ય દૂર નીકળી ગયા. એટલી હદે ખરડાઈ ગયા કે મૂળ ચહેરો જ ગુમાવી દીધો. વિચારનિષ્ઠ રહીને, સમાધાનો કર્યા વિના શીલ જાળવીને મંજીલ સુધી પહોંચવું એ કપરું કામ છે અને ચૂંટણીના મેદાનમાં પરાજય પછી પરાજય પચાવવો અઘરો હોય છે. હતાશા વ્યાપી વળી, ધીરજ ગુમાવી દીધી, પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ પક્ષાંતર કરવા માંડ્યા ત્યારે ટકી રહેવા માટે સમાધાનો કરવા પડ્યા અને વિચારનિષ્ઠ તેમ જ ધ્યેયનિષ્ઠ નેતાઓ સમાધાનો કરવા માંડ્યા. પ્રમોદ મહાજને એના તરફ ઈશારો કર્યો હતો. મીડિયા પાસેથી તેમણે વ્હીસલની અપેક્ષા રાખી હતી. જો આજે તેઓ હયાત હોત તો એવી અપેક્ષા ન રાખી હોત. જે લોકોએ વ્યવસ્થામાં પરિવર્તન કરવાની વાતો કરી હતી અને આશા જગાડી હતી એ લોકો પણ વ્યવસ્થાનો શિકાર બની ગયા. ૧૯૭૭માં જનતા પાર્ટી, ૧૯૮૯માં વિશ્વનાથ પ્રતાપસિંહ, ૧૯૮૪માં એન.ટી. રામારાવ આવાં ઉદાહરણ છે. ટૂંકમાં રાજકારણને બદલવા નીકળેલા લોકોને રાજકારણે બદલી નાખ્યા. આ લખનાર જેવા અનેક લોકોએ તેમના દાવા પર ભરોસો રાખીને તેમની પાલખી ઉઠાવી હતી અને છેતરાયા હતા. 

પણ એ છેતરપિંડી નહોતી, તેમની ઉપર કહી એવી મજબૂરી હતી. ટકી રહેવા માટે તેઓ સમાધાનો કરવા માંડ્યા અને એ રીતે પ્રજાની અપેક્ષાનો ભંગ કર્યો હતો. ઈરાદો તેવો નહોતો, મજબૂરી હતી. ટકી રહેવાની મજબૂરી. 

અરવિંદ કેજરીવાલ

ભારતના સંસદીય રાજકારણના ઇતિહાસમાં અરવિંદ કેજરીવાલ પહેલો એવો માણસ છે જે શુદ્ધ છેતરપીંડીના ઈરાદાથી રાજકારણમાં પ્રવેશ્યો હતો, અને આ હું ૨૦૧૧થી કહેતો આવ્યો છું. એ પહેલો એવો રાજકીય નેતા છે જેની કોઈ વિચારધારા જ નથી અથવા છે તો એ હિન્દુત્વવાદી વિચારધારા છે જેને તે છૂપાવે છે. અરવિંદ કેજરીવાલ પહેલો એવો રાજકારણી છે જે સાધનશુદ્ધિમાં માનતો નથી. લોકોનો ઉપયોગ કરીને ફગાવી દેવાની નિર્દયતા રાજકારણમાં સર્વત્ર જોવા મળે છે, પણ અરવિંદ કેજરીવાલ જેટલો નિર્દયી માણસ બીજો કોઈ જોયો નથી. અને સરળીકરણ? જટિલ પ્રશ્નનું સરળીકરણ કરીને ચપટી વગાડતા ઈલાજ કરી આપીશ એવું જૂઠશાસ્ત્ર વિકસાવવામાં અરવિંદ કેજરીવાલ નરેન્દ્ર મોદીના ગુરુ છે. લોકપાલ આવવા દો બધા દુઃખદર્દ મટી જશે એ રાહે મને વડા પ્રધાન બનાવો ચપટી વગાડતા બધાં દુઃખદર્દ મટી જશે. અનુક્રમે ૨૦૧૧-૨૦૧૨માં અને ૨૦૧૪માં તમે આ સાંભળ્યું હશે. 

વાત એમ છે કે ૨૦૦૯ પછી દેશમાં નિરાશાજનક સ્થિતિ પેદા થવા લાગી હતી. આર્થિક વિકાસ અટકી ગયો હતો, ક્રુડના ભાવ વધવા માંડ્યા હતા, મોંઘવારી વધવા માંડી, રૂપિયો ડોલર સામે સોંઘો થતો ગયો, આર્થિક સાથે વહીવટી તેમ જ ન્યાયતંત્રમાં થવા જોઈતા સુધારાઓના અભાવમાં ક્રોની કેપિટલિસ્ટોએ સરકારનો ભરડો લીધો હતો, ભ્રષ્ટાચાર વધવા માંડ્યો, ત્રાસવાદી ઘટનાઓ અવારનવાર ઘટતી હતી, મિશ્ર સરકાર હતી અને તેમાં વડા પ્રધાન ડૉ મનમોહન સિંહ નખશીખ સજ્જન હતા. ખોટું બોલવાનું તો બાજુએ રહ્યું, ખોટું વિચારતા પણ તેમને નહોતું આવડતું. એ સમયની વ્યાપક નિરાશાને કાઁગ્રેસ વિરોધી હવામાં ફેરવી શકાય એમ હતું અને એ કામ કરવા માટે અરવિંદ કેજરીવાલને પસંદ કરવામાં આવ્યા હતા. 

કોઈ પ્રકારનો અંગત રાજકીય એજન્ડા નહીં ધરાવતા અને સ્વચ્છ શાસન તેમ જ લોકકલ્યાણ ઇચ્છનારા નાગરિક સમાજને સાથે લેવાનો હતો. આ સમાજ પરિવર્તનનો કારક નીવડે છે. પણ સમસ્યા એ હતી કે આ નાગરિક સમાજ એકંદરે સેક્યુલર અને ઉદારમતવાદી છે એટલે એવા માણસની જરૂર હતી જે એની વચ્ચે વિચારતો તો હોય, પણ તેમના જેવું વ્યાપક વૈચારિક દર્શન પ્રગટ ન કરતો હોય. વિચારધારાની જગ્યાએ સુધારા(એક્શન)ની વધારે વકીલાત કરતો હોય અને નિરાશ સમાજને ક્વિક એક્શનની જરૂર હતી. બસ, ભ્રષ્ટાચારમુક્ત ભારત. એક જ લક્ષ્ય અને એક જ સંકલ્પ. છે કોઈ શિવધનુષ ઉઠાવનાર? છોકરાઓને સાથે લઈને હું એ કરવા તૈયાર છું. કૃષ્ણએ ગોવાળિયાઓની સાથે મળીને ગેડીદડો યમુનામાંથી બહાર કાઢવાનો સંકલ્પ કર્યો હતો એમ. લોકોને કૃતિ કરનારા સંકલ્પબદ્ધ માણસ જોઈતો હતો અને કેજરીવાલ આવો એક માણસ હતો. 

એ પછી એવા કોઈ માણસની જરૂર હતી જે સાદગીપૂર્વકનું જીવન જીવતો હોય, શુદ્ધ ચારિત્ર્યવાન હોય અને લોકકલ્યાણ માટે ઘસાતો હોય. અને અરવિંદ કેજરીવાલ પહેલાં અમદાવાદ ગાંધીવાદી નેતા ચુનીભાઈ વૈદ્ય પાસે ગયા અને તેમને કહ્યું કે તમારા નેતૃત્વમાં દિલ્હીમાં ભ્રષ્ટાચાર વિરોધી (કાઁગ્રેસ વિરોધી વાંચો) આંદોલન કરવું છે અને તમારે અમારું નેતૃત્વ કરવું જોઈએ. ચુનીભાઈ વૈદ્યે સંપૂર્ણક્રાંતિ આંદોલન જોયું હતું એટલે તેમણે સંપૂર્ણ વ્યવસ્થા પરિવર્તનના આયામો વિષે સવાલ કર્યા જેમાં આ ભાઈને જવામાં જરા ય રસ નહોતો. તેમને તો લોકપાલના સરળીકરણમાં રસ હતો. જો સમગ્ર વ્યવસ્થાની વાત આવે તો એમાં વિચારધારા(અને એ પણ પ્રગતિશીલ)ના વિવિધ દૃષ્ટિકોણ આવે અને એમાં તેમને રસ નહોતો. અરવિંદ કેજરીવાલને બ્રીફ આપવામાં આવી હતી કે નાગરિક સમાજને સાથે લઈને હતાશ અને અધીરી થયેલી પ્રજાને કાર્યસંકલ્પનું વચન આપીને બાથમાં લેવાની છે, ન્યાય અને સમાનતા આધારિત વિચારધારાના પ્રદેશમાં પ્રવેશવાનું નથી. ટૂંકમાં વિચારનારા નાગરિક સમાજને સાથે રાખીને દૂર રાખવાનો છે. મુંબઈના મયંક ગાંધીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં એક ભાઈ છે જે દરેક રીતે ચુનીભાઈ વૈદ્ય જેવા છે, ખાદી પણ પહેરે છે, પરંતુ તેમને રાજ્યવ્યવસ્થા અને તેની વિચારધારા સાથે કોઈ સંબંધ નથી. તેઓ અન્ના હજારે પાસે ગયા અને એ પછી જે બન્યું એ ઇતિહાસ છે. 

આ લખનારને ત્યારે જ એમ લાગવા માંડ્યું હતું કે આ પરિવર્તન માટેનું આંદોલન નથી, પણ કાઁગ્રેસને ખતમ કરી નાખવા માટેનો ખેલ છે. એમ લાગવા માંડવાનું એક કારણ એ હતું કે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની તૈયારી માટેની પ્રારંભિક બેઠકો દિલ્હીમાં વિવેકાનંદ ફાઉન્ડેશનમાં થતી હતી, જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સંસ્થા છે. બીજું કારણ એ હતું કે બરાબર એ જ સમયે સી.એ.જી.ના વિનોદ રાયે ભ્રષ્ટાચારના આંકડા આપવામાં રાયનો પર્વત કર્યો હતો. એક પણ કૌભાંડ નરેન્દ્ર મોદીની સરકાર સાબિત કરી શકી નથી. અને ત્રીજું કારણ એ હતું કે પાળેલા મીડિયા દિવસરાત ભ્રષ્ટાચારનો ભય અને શ્રવણકુમારના સરળીકરણનો મહિમા કરતા થાકતા નહોતા. જાણે કે દેશમાં આ એક જ પ્રશ્ન હોય. અન્ના હજારેના ઉપવાસ લંબાયા અને તેમની જિંદગી જોખમમાં મુકાઈ ગઈ હોવા છતાં શ્રવણકુમાર સમાધાન નહોતા કરતા. છેવટે મહારાષ્ટ્રના નેતાઓએ અન્નાને ખેલ સમજાવ્યો હતો અને તેમાંથી બહાર કાઢ્યા હતા. 

અહી સુધીનો ખેલ તો પટકથા મુજબ ભજવાયો પણ એ પછી અરવિંદ કેજરીવાલે પટકથા ફગાવી દીધી તેની વાત આવતા સપ્તાહે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 ફેબ્રુઆરી 2025

Loading

હથકડી સાથે અમેરિકાથી આવેલા ગુજરાતીઓ ક્યાં ગૂમ થઈ ગયા છે?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|16 February 2025

હેમંતકુમાર શાહ

પાંચમી ફેબ્રુઆરીએ અમૃતસર ખાતે અમેરિકાનું લશ્કરી વિમાન ગેરકાનૂની રીતે અમેરિકામાં ઘૂસેલા ૧૦૪ ભારતીયોને લઈને આવ્યું હતું. એમાં ઘણા ગુજરાતીઓ પણ હતા.

આ બધા ગુજરાતીઓ ક્યાં ગયા એ સમજાતું નથી. શું તેઓ ગુજરાતમાં તેમના વતન પાછા આવ્યા કે પછી તેઓ ગુજરાતી હતા, પણ ગુજરાતમાં રહેતા નહોતા એટલે જ્યાંના હતા ત્યાં ગયા? 

આજે દસ દિવસ થયા પણ તેઓ ગુજરાત પરત આવ્યા હોય, ટ્રેનમાં કે બસમાં કે કારમાં; પણ તેમના આગમનના કોઈ ફોટા અખબારોમાં પ્રસિદ્ધ થયાનું જાણમાં નથી આવ્યું! ટી.વી. ચેનલો ઉપર પણ તેમના આગમનના વીડિયો જોવા મળ્યા નથી. 

આવું કેમ? શું નરેન્દ્ર મોદીની સરકાર અને ભૂપેન્દ્ર પટેલની સરકાર ઇચ્છતી નથી કે તેમની અખબારો અને ટી.વી. ચેનલોમાં મુલાકાતો લેવાય? શું તેમને ગુપચૂપ પોતાના ઘેર પહોંચી જવાનો અને કોઈને પણ કશું નહીં કહેવાનો આદેશ આપવામાં આવ્યો છે? જો તેઓ કશું કહે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે એવી કોઈ ધમકી સરકારી સૂત્રોએ તેમને આપી છે? સરકારે જ એમને ગૂમ કરી દીધા છે કે શું? 

બંને સરકારો હકીકતો પ્રસિદ્ધ થાય તેનાથી કેમ ગભરાય છે? લોકોને હકીકતો જાણવાનો અધિકાર ખરો કે નહિ? અમેરિકન સરકારે તેમની સાથે હથકડી પહેરાવવા ઉપરાંત જે વ્યવહાર કર્યો હોય તેની જાણકારી ભારતના ગુજરાતી નાગરિકોને મેળવવાનો અધિકાર ખરો કે નહીં? 

એક સવાલ એ પણ છે કે અમેરિકાનું લશ્કરી વિમાન ભારતના સરહદી શહેર અમૃતસરમાં કેમ આવ્યું? દેશની રાજધાની તો દિલ્હી છે, અમૃતસર નહિ. સરકારે અમૃતસરમાં વિમાનને ઊતરવાની મંજૂરી કેમ આપી? એને દિલ્હી આવવાનું કેમ કહેવાયું નહીં? 

બધી ટી.વી. ચેનલો અને અખબારો આ બાબતે ચૂપ કેમ છે? 

તા. ૧૫-૦૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...382383384385...390400410...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved