Opinion Magazine
Number of visits: 9736338
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી ચલચિત્ર કંકુ (૧૯૬૯) – એક વિહંગાવલોકન

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|29 January 2026

સ્ત્રી જેટલું બોલીને વ્યક્ત કરે છે, એનાથી અનેકગણું એ મૌન રહીને વ્યક્ત કરે છે.

“મને અંધારા બોલાવે, મને અજવાળા બોલાવે” 

સિદ્ધહસ્ત સર્જક અને સાહિત્યકાર પન્નાલાલ પટેલની વાર્તા ‘કંકુ’ પરથી વર્ષ ૧૯૬૯માં બનેલ ગુજરાતી ફિલ્મ ‘કંકુ’ (શ્વેત-શ્યામ) એ જમાનાની નીવડેલ સામાજિક ફિલ્મ કહી શકાય. ફિલ્મી પરિભાષામાં કહીએ તો ‘કંકુ’ એ ગુજરાતી ફિલ્મોની સૌ પહેલી આર્ટ ફિલ્મ પણ કહી શકાય, જેમાં મનોરંજન કરતાં સામાજિક નિસબતને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પન્નાલાલ પટેલની વાર્તાઓમાં ખાસ કરીને ગ્રામીણ પરિવેશની વાસ્તવદર્શી ઘટનાક્રમોનું ગુંફન રહેતું. અમેરિકામાં ફિલ્મ દિગ્દર્શનનું ભણીને આવેલા કાંતિલાલ રાઠોડ નિર્મિત અને દિગ્દર્શિત ફિલ્મ ‘કંકુ’ના મુખ્ય કલાકારો કિશોર જરીવાલા (ખુમોની મુખ્ય ભૂમિકામાં), પલ્લવી મહેતા (કંકુની મુખ્ય ભૂમિકામાં) અને કિશોર ભટ્ટ (મલક ચંદની ભૂમિકામાં) હતાં. આ ઉપરાંત કૃષ્ણકાંત ભૂખણવાલા અને અરવિંદ જોષીએ પણ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. ૧૭મા રાષ્ટ્રિય ફિલ્મ પુરસ્કાર કાર્યક્રમમાં કંકુ ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિચર ફિલ્મનો એવૉર્ડ પ્રાપ્ત થયો હતો, તો ફિલ્મની નાયિકા પલ્લવી મહેતાને ૬ઠ્ઠા શિકાગો આંતરરાષ્ટ્રિય ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ગુજરાતી અભિનેત્રીનો એવૉર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત ફિલ્મના દિગ્દર્શક કાંતિલાલ રાઠોડને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવૉર્ડ પ્રાપ્ત થયો હતો, તો ફિલ્મની પટકથા માટે સર્જક પન્નાલાલ પટેલને શ્રેષ્ઠ પટકથાનો એવૉર્ડ પ્રાપ્ત થયો હતો. પતિના મૃત્યુ પછી સમાજ નિર્મિત વિટંબણાઓ, પારિવારિક દબાણ, પુરુષોની ભૂખાળવી નજર સામે જાતની સુરક્ષા અને સામાજિક રૂઢિચુસ્તતાઓનાં સામા વ્હેણ સામે જીવન જીવવાના વિધવા કંકુના એકલપંડીય સાહસ અને હિંમતનું યથાર્થ નિરૂપણ કંકુ ફિલ્મમાં થયું છે. ફિલ્મ વિશે એક લીટીમાં કહેવું હોય તો એમ કહી શકાય કે શ્વેત-શ્યામ રંગોમાં પણ ફિલ્મ કંકુ વાસ્તવિક જીવનના વિવિધ રંગોનું દર્શન કરાવવામાં સફળ રહી છે. અહીં એક વાતનો ઉલ્લેખ કરવો ઘટે કે ૧૯૩૬માં પન્નાલાલ પટેલ રચિત વાર્તા ‘કંકુ’ પરથી ૧૯૬૯માં ગુજરાતી ફિલ્મ ‘કંકુ’ બની હતી અને ‘કંકુ’ ફિલ્મની અપ્રતિમ સફળતાથી પ્રેરાઈને બાદમાં પન્નાલાલ પટેલે ‘કંકુ’ નવલકથા લખી હતી.

એ વખતની મુખ્યધારા અને અત્યંત રૂઢિચુસ્ત સામાજિક પરિસ્થિતિના સંદર્ભમાં જોઈએ તો જરા હટકે એવી આ ફિલ્મ ખરા અર્થમાં નવા વિચારનો એક એવો સામાજિક તણખો હતો જેણે સામાજિક રૂઢિચુસ્તતાના અભેદ્ય તાણાવાણાને ભેદવાનો પ્રયાસ કર્યો હતો. ઉત્તર ગુજરાતના ગામઠી પરિવેશમાં ચિત્રાંકિત આ આખી ફિલ્મ એક ગ્રામીણ સ્ત્રી કંકુની આસપાસ વણાયેલ છે. ખુમા સાથે લગ્ન કરી ઘરસંસાર માંડતી કંકુ લગ્નજીવનની શરૂઆતના દિવસો ઉત્સાહ, ઉમંગ અને ઉમળકાથી વીતાવી રહી હતી. ખુમાના તૂટ્યા-ફૂટ્યા ઘરને સમારવા-શણગારવાના અને ખેતીનાં કામમાં ખુમાના પગલે પગલું દાબતી કંકુ અદમ્ય ઉત્સાહ સાથે ગૃહસંસારના પ્રારંભના દિવસો વીતાવી રહી હતી. નવોઢા કંકુના ગૃહપ્રવેશથી ખુમાની જિંદગીના રંગો ફુલગુલાબી બન્યા હતા. પણ નિયતિને કંઈક જુદું જ મંજૂર હતું. બિમારી સબબ પતિ ખુમો નાની વયે અવસાન પામે છે અને કંકુનો ચૂડી-ચાંદલો નંદવાય છે. ખુમાનું મૃત્યુ થયું ત્યારે કંકુના પેટમાં ગર્ભ પાંગરી રહ્યો હતો. પતિના વિયોગ અને વિરહે કંકુની જિંદગીના સોનેરી રંગો હરી લીધા. ઘર અને ખેતીના સઘળાં કામ એકલા હાથે સંભાળતી વિધવા કંકુ પૂરા મહિને દીકરાને જન્મ આપે છે. હીરિયાના આગમન પછી કંકુના જીવનમાં એક નવો સંચાર પેદા થાય છે. હીરિયાના પાલન-પોષણ અને ઘરના બીજા કામોમાં કંકુનો સમય પસાર થવા લાગે છે. 

યુવા વયે વિધવા થનાર કંકુ સમક્ષ ખાધેપીધે સુખી-સંપન્ન પુરુષો તરફથી લગ્ન પ્રસ્તાવ આવવા લાગે છે, પણ આર્થિક સંકડામણ અને અર્ધદગ્ધ મનોરથો છતાં હીરિયાનું પાલન-પોષણ અને ખેતીનાં કામને પ્રાધાન્ય આપી કંકુ એ લગ્ન પ્રસ્તાવો ઠુકરાવી દે છે. હીરિયાના ઉછેરમાં મન પરોવી કંકુ સંસારસુખ માંડવાનું ટાળે છે. આર્થિક સંકડામણને લીધે કંકુને બાજુના ગામના શાહુકાર શેઠ મલકચંદ પાસેથી કરજ લેવાની ફરજ પડે છે. નાની વયે વિધુર થયેલ મલકચંદ એક ઠરેલ અને સાલસ વેપારી છે. નાણાભીડને કારણે કંકુને અવારનવાર મલકચંદની દુકાનેથી શાખે રૂપિયા અને માલસામાન લેવા જવું પડે છે. મલકચંદની હાટડીએ કંકુની વારંવારની આવન-જાવનથી બે વિયોગી જીવના હૈયા લગોલગ આવે છે. મલકચંદના રૂદિયે કંકુ પ્રત્યે સ્નેહની સરવાણી ફૂટે છે તો સામે કંકુની સુષુપ્ત મહેચ્છાઓ પણ મલકચંદ સામે મહોરવા લાગે છે, પણ દીકરા અને ઘરની જવાબદારીને કારણે કંકુ પોતાની સુષુપ્ત કામનાઓને સંયમમાં રાખે છે.

વખત જતા હીરિયો ઉંમર લાયક થાય છે. હીરિયાના લગન લેવાય છે. લગ્ન માટે રૂપિયાની જરૂર પડતા કંકુ રૂપિયા લેવા મલકચંદ પાસે જાય છે. મલકચંદની અંધારી હાટડીમાં રૂપિયાની લેતીદેતી વખતે મલકચંદ અને કંકુ સહજ રીતે નજીક આવે છે અને એક નબળી ક્ષણે કંકુ અને મલકચંદ પોતાનો સંયમ ખોઈ એકબીજા સાથે અંતરંગ થઈ જાય છે. મલકચંદ સાથેના ક્ષણિક સહવાસને પગલે કંકુની દેહાકૃતિમાં ફેરફાર થવા લાગે છે. નાના ગામમાં અચાનક કોઈના ઘરનું નળિયું ખસે એની વાત પણ વાયુવેગે ફેલાઈ જાય છે ત્યારે આ તો કંકુ અને મલકચંદના સંબંધની વાત! ગામમાં મોઢા એટલી વાતો થવા લાગી. ગામના મુખી અને બીજા આગેવાનો પણ કંકુની આ સ્થિતિ વિશે ચર્ચા કરી કંકુને કેવી રીતે આમાંથી બહાર લાવવી એ વિશે મુખીને સલાહ આપવા લાગ્યા. આમાંના ઘણા પુરુષોએ તો લાજ-શરમ નેવે મૂકી કંકુ સાથે ફરી લગ્ન કરવા સુધીની પણ વાત કરી નાખી! જો કે એ બધી વાતો પર ધ્યાન આપ્યા વિના કંકુ હીરિયાના લગ્નની તૈયારી આદરે છે. ગામમાં કંકુ વિશે થતી જાતજાતની વાતોથી હીરિયાને પણ પોતાની મા પ્રત્યે અણગમો ઉપજે છે, પણ પછીથી ઘરની નાજુક આર્થિક સ્થિતિ સામે એકલે હાથે બાથ ભીડી વિકટ પરિસ્થિતિનો હિંમતભેર સામનો કરતી વિધવા મા પ્રત્યે તેને માન થવા લાગે છે. 

આખરે રંગેચંગે હીરિયાના લગ્ન થઈ જાય છે. હીરિયાના લગ્ન પછી કંકુ દીકરાને જન્મ આપે છે. સુયાણીએ બાળકનું મોં જોઈને જ કહી દીધું કે દીકરાનો બાપ કોણ છે! દીકરાના જન્મ પછી કંકુ પુન:વિવાહ કરી લે છે અને એ રીતે ઘીના ઠામમાં ઘી પડી જાય છે.

આજથી લગભગ ૫૫ વર્ષ પહેલાના સમયની સાંપ્રત પરિસ્થિતિ જોતા એ સમયે પ્રવર્તમાન સામાજિક રૂઢિઓ સામે એક અલગ વિચાર કહી શકાય એવી આ ફિલ્મની કથાવસ્તુ એ ફિલ્મનું સૌથી ઉજ્જવળ પાસુ છે. નાની વયે વિધવા થતી સ્ત્રીના જીવનની વિતકકથાને ઉજાગર કરતી આ ફિલ્મ આંતરરાષ્ટ્રિય પ્રસિદ્ધિ પામી હતી. કદાચ એ સમયે આ ફિલ્મની કથાવસ્તુની કક્ષાને સમજવા જેટલી સામાજિક સમજણ પ્રવર્તતી નહિ હોય એટલે આંતરરાષ્ટ્રિય કક્ષાએ આ ફિલ્મની નોંધ લેવાઈ હતી. 

ફિલ્મના કેટલાક મહત્ત્વપૂર્ણ અંશો: 

સ્ત્રી વિશે એમ કહી શકાય કે સ્ત્રી જેટલું બોલીને વ્યક્ત કરે છે એનાથી અનેકગણું એ મૌન રહીને વ્યક્ત કરે છે. નાયિકાપ્રધાન કંકુ ફિલ્મ માટે એમ કહી શકાય કે ફિલ્મની નાયિકા ફિલ્મમાં સંવાદો વડે જેટલું વ્યક્ત કરે છે એનાથી અનેકગણી અભિવ્યક્તિ એના મૌન અને હાવભાવમાં થાય છે. કદાચ આ બાબત ફિલ્મનું સૌથી મોટું જમાપાસું છે. 

સામાન્ય રીતે વિધવા સ્ત્રીનું જીવન એટલું સરળ અને સહજ નથી હોતું જેટલું સહજ અને સરળ અન્ય સ્ત્રીઓ માટે હોય છે. કેટલીક સામાજિક પરંપરાઓ, પ્રથાઓ, અને વર્તન તરાહ વિધવાના જીવનને અતિશય વિકટ અને વસમું બનાવી દેતી હોય છે. એ સંદર્ભે જોઈએ તો કંકુ ફિલ્મમાં વિધવા કંકુના પાત્રમાં લાચારી અને વિવશતા નહિ પણ સ્ત્રીની મક્કમતા અને દૃઢતા દર્શાવવામાં આવ્યા છે. ઘણી બધી સામાજિક બાબતોમાં કંકુએ સમાજના વર્તન અને પ્રતિભાવો સામે આંખ આડા કાન કરી પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે કદાચ આ ફિલ્મનું સૌથી સબળ અને મજબૂત પાસું કહી શકાય. આ ફિલ્મ એક મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે અને તે એ કે સ્ત્રી જો મનથી મક્કમ અને અડગ હોય તો સમાજ, સમાજના લોકો કે સામાજિક રૂઢિઓ અને પરંપરાઓ એનું કંઈ બગાડી શકતા નથી. જીવનમાં આવતી પરિસ્થિતિનો વિધવા કંકુ જે બહાદુરી અને હિંમતપૂર્વક પરિસ્થિતિનો સામનો કરી તેમાંથી બહાર આવે છે તે સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ છે. 

આ ફિલ્મનું અન્ય એક જમાપાસુ છે તે એ કે અમુક-તમુક બાબતોમાં વિધવા કંકુની પીઠ પાછળ કાનાફૂસી થવા છતાં કંકુને અન્ય સ્ત્રીઓ અને સમાજ તરફથી જરૂરી સહયોગ પ્રાપ્ત થયો છે, જે આજના કહેવાતા વિકસિત સમાજમાં પણ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. આજનો વિકસિત સમાજ ભૌતિક અને સાધનિક દૃષ્ટિએ ઘણી પ્રગતિ કરી છે પણ કમનસીબે વૈચારિક ઉદારતાની દૃષ્ટિએ હજી ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. આજના કહેવાતા વિકસિત સમાજમાં પણ સ્ત્રી અને એમાં ય ખાસ કરીને વિધવા સ્ત્રી પ્રત્યે અત્યંત સોફિસ્ટિકેટેડ રીતે એક ખાસ પ્રકારનો ભેદભાવ અને વૈચારિક સંકિર્ણતા દાખવવામાં આવે છે. એક વિધવા સ્ત્રીની પોતાની પણ કોઈ ઇચ્છાઓ, આકાંક્ષાઓ, અરમાનો હોય છે એટલી સાદી સમજનો અભાવ એ વિકસિત સમાજની વૈચારિક સંકીર્ણતા કહી શકાય. 

મલકચંદ સાથેના એક દૃશ્યમાં મલકચંદ કંકુને જ્યારે પૂછે છે કે કંકુ તે બીજા લગ્ન કેમ ના કર્યા ત્યારે કંકુ જવાબ આપે છે, “મારા સ્વાર્થ ખાતર મારે હીરિયાને શા માટે ઓશિયાળો બનાવવો, અને આમ પણ મારે બીજા કોઈની તાબેદારી વેઠવી નહોતી.” કંકુના આ જવાબમાં સ્ત્રીની ઉદારતા અને સાથે સાથે મક્કમતાના પણ દર્શન થાય છે, જે પુરુષની સામાન્ય વિચારધારા અને માન્યતાથી તદ્દન અલગ છે. 

ફિલ્મનું સૌથી ઉત્તમ પાસું છે શ્વેત-શ્યામ રંગો તેમ જ છાયા-પ્રકાશની ઓથે કંડારાયેલ જીવનની કેટલીક ઘટનામાળ જેમાં શબ્દો કે સંવાદોને કોઈ સ્થાન નથી. કંકુના પાત્રમાં એ વખતની જાજરમાન કહી શકાય એવી અભિનેત્રી પલ્લવી મહેતાનો અભિયન સહજ છતાં લાજવાબ છે. તેમના અભિનયમાં સંવાદો ઓછા અને મનોભાવો વધુ વ્યકત થાય છે. ફિલ્મનો હાર્દ કહી શકાય એવા કંકુ અને મલકચંદ વચ્ચે અંતરંગ પળોના દૃશ્યને સર્જકે છાયા-પ્રકાશની મદદથી જે રીતે ફિલ્માવ્યું છે એ કાબિલ-એ-દાદ છે. કંકુ અને મલકચંદના હોઠ, આંખો અને ચહેરાના હાવભાવ દ્વારા તેમના આંતરિક આવેગોને જે રીતે વ્યક્ત કરવામાં આવ્યા છે એ ફિલ્મનું વધુ એક જમાપાસુ કહી શકાય.

વેણીભાઈ પુરોહિત રચિત ગીતોને દિલીપ ધોળકિયાના સંગીતથી મઢવામાં આવ્યા છે. હળવા લહેકામાં ઈસ્માઇલ વાલેરાના સ્વરમાં ગવાયેલ “લુચ્ચા રે લુચ્ચા લોચનિયાની લૂમ ઓ ગોરી તારુ રાતું ઝોબનિયું રુમઝુમ…”  બે જુવાન હૈયાઓના આંતરિક ઉમળકાને વ્યક્ત કરતું સુંદર ગીત છે. ગીત સાંભળતી વખતે મન પ્રફુલ્લિત થઈ જાય એવું સુંદર આ ગીત છે. તેમ જ હંસા દવેના સ્વરમાં ગવાયેલ અન્ય એક ગીત “મુને અંધારા બોલાવે, મુને અજવાળા બોલાવે…” ફિલ્મની નાયિકા કંકુના વ્યથિત મનોભાવોને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે. આમ, ફિલ્મના તો ચારે ય ગીતો બહુ સરસ છે, પણ આ બે ગીતો વારે વારે સાંભળવા ગમે એવા છે. 

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

સમતાલક્ષી કોશિશ સામે ‘સવર્ણ’ ઊહાપોહ શીદને 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 January 2026

દાવાનળ? 

યુ.જી.સી. રેગ્યુલેશન અને પ્રજાનો વિરોધ

2012થી જે રેગ્યુલેશન હતા જ એને ચુસ્તદુરુસ્ત કરવાના સુપ્રીમ આદેશના અમલ સામેનો વિરોધ ખુદ સત્તાપક્ષના સમર્થકોમાંથી જ ઊઠે એનો અર્થ એ કે તેઓ નાગરિક  તો શું હિન્દુ પણ થયા નથી 

પ્રકાશ ન. શાહ

ભલા, એવું તે શું નવું ને વળી આકરું છે એમાં કે યુ.જી.સી. રેગ્યુલેશન્સ 2026 સામે કેમ જાણે જંગલના દવ પેઠે ફાટી નીકલે એવો ઊહાપોહ ઊઠી રહ્યો છે – અને તે પણ કમાલ તો જુઓ – સામાન્યપણે જે તબકા મોદી અગર ખાસ તો યોગી ભા.જ.પ.ના ચહેતા અને પહેલા ખોળાના ગણાય છે એમાંથી ? હિંદી અખબારો ને ચેનલોના રિપોર્ટિંગમાં તો બિલકુલ કાસ્ટિસ્ટ જમાબંધી જેવી ભાષા વપરાઈ રહી છે કે અમે સવર્ણો, આ યુ.જી.સી. રેગ્યુલેશન્સ નહીં સ્વીકારી શકીએ. 

હાલના મુખ્ય સત્તાપક્ષ અને વ્યાપક સમર્થક વર્ગ વચ્ચેના આંતરવિરોધ તરીકે પણ આ વાત જોવા તપાસવા જેવી તો છે જ. એ વિશે જરી રહીને થોડી વિગતે વાત કરીએ પણ પહેલાં તો રેગ્યુલેશન્સ 2026 સમજી લઈએ. શિક્ષણ સંસ્થાઓમાં ભેદભાવ ન થાય અને સમાવેશી તેમ સમાનતાલક્ષી વ્યવહાર સચવાય એની આ વાત છે. તે તત્ત્વતઃ નવી નથી. 2012થી આ રેગ્યુલેશન પ્રચલનમાં છે. માત્ર, સર્વોચ્ચ અદાલતે એની સામે આવેલ કેસના ચુકાદામાં શિક્ષણસંસ્થાઓમાં એના અણઅમલ અંગે ચિંતાવશ ચુસ્તદુરુસ્ત ગાઇડલાઇન્સની જરૂરત વિશે આદેશ આપ્યાથી ઘટતા સુધારાવધારા સાથે રેગ્યુલેશન્સ 2026નો નિર્ણય યુ,જી,સી,એ કર્યો છે એટલું જ. હા, એક ઉમેરો – અલબત્ત, સંવાદી ઉમેરો. એમાં કર્યો છે તે માત્ર એટલો અને એટલો જ છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ, એસ.સી. એસ.ટી., સાથે ઓ.બી.સી.નોયે સમાવેશ કર્યો છે. 

જેમ વિદ્યાર્થીઓમાં ઘૃણિતને હિંસ્ર ભેદભાવ (સંભારો રોહિત વેમુલા ને પાયલ તણી પ્રકરણ) પ્રવર્તે છે તેમ શૈક્ષણિક નિમણૂકોમાંયે ખુદ યુનિવર્સિટી સત્તાતંત્ર મૂર્તિમંત્ર ભેદભાવમાં રાચે છે. નમૂના દાખલ કેવળ સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાંથી જ સંબંધિત જુમલો જોઈએ તો 423 જેટલી માન્ય ઓ.બી.સી. બેઠકોમાંથી કેવળ 84 જ ભરાઈ છે, એસ.ટી.-એસ.સી. જુમલોયે એવો જ કંગાળ છે. લોકસભાના ટેબલ પર મુકાયેલ હેવાલ મુજબ તાજેતરનાં વર્ષોમાં સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાંથી 13,500 જેટલા એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. છાત્રો ખડી પડ્યા હતા. એમનું આમ ડ્રૉપ આઉટ થવું બીજા છાત્રો (‘સવર્ણ’) થકી નીચાજોણા કે અલગ પડાયાથી અગર છેક બાદબાકી વશ છોડી ગયા હતા. 

શું 2012 કે શું 2026, આશય તો છાત્રો વચ્ચેના સામાજિક ભેદભાવને રોકવાનો ને સમાવેશી વલણ તેમ જ સમતા પ્રવર્તાવવાનો છે. બીજું, સવર્ણ સવર્ણ હિંસ્ર હોઈ શકતા હાઇપકારા વચ્ચે સમજવાની વાત એ છે કે સમજવાનો વિગતમુદ્દો એ પણ છે કે લિંગભેદ અને દિવ્યાંગતાને ધોરણે પણ આ રેગ્યુલેશન્સમાં નિર્દેશ છે. એક રીતે 2012ના મનમોહન યુગ કરતાં 2026ના મોદી યુગમાં ફરક એ છે કે ત્યારે બાદબાકી (ડિસ્ક્રિમિનેશન) અને હેરેસમેન્ટ (પજવણી)ને વ્યવસ્થિત વ્યાખ્યાબદ્ધ કરાયાં હતાં તે પડતું મૂકાયું છે, અને બંને વાનાં ઘટતી ‘સમજ’ મુજબ અર્થઘટનને આધીન છે. 

ગુજરાતમાં 1985માં માધવસિંહ સોલંકીના શાસનકાળમાં ટર્મ બેસતે જ જે ઉદ્રેક ને ઉત્પાત આપણે જોયો, અનામત મુદ્દે, એનો વડો લાભાર્થી આજે ગુજરાતમાં સત્તારૂઢ છે. એ જ વર્ગ, પટેલ પરિબળનોયે ઠીક લાભાર્થી રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં રાજકોટની બેઠક પર રૂપાલાનું પટેલ હોવું દાવ પર લાગ્યું હતું અને ભા.જ.પ.ની હિંદુત્વ રાજનીતિની મર્યાદા પટેલ વિ. ક્ષત્રિય ઊહાપોહમાં ઉઘાડી પડી ગઈ હતી. અરુણ શૌરી ભા.જ.પ.માં ઊંચી પાયરીએ હોય અને ગુજરાતમાં ભા.જ.પ.ના જ ફકીરભાઈ વાઘેલા શૌરીના આંબેડકર વિષયક પુસ્તકની હોળી કરતા હોય, એ વિરોધ ભા.જ.પ. નાગરિક તો શું હિંદુ પણ પેદા નથી કરી શક્યો એમ સૂચવે છે જે હાલ ભા.જ.પ.ના જ સમર્થકોમાંથી આ રેગ્યુલેશનના વિરોધમાંથી સમજાય છે. 

જો કે એક પ્રત્યાઘાત એવો પણ ઊઠ્યો છે કે સુપ્રીમ કોર્ટે ફરજ પાડ્યાથી જે કરવું પડ્યું છે એને વિશે આ કદાચ ખુદ શાસનપ્રેરિત ઊહાપોહ જ છે. એ જે હોય તે હિંદુત્વ રાજનીતિએ પોતાની સવર્ણવાદી છાપમાંથી બહાર આવવું રહેશે. અને એકંદર રાજકીય ને સામાજિક અગ્રવર્ગે પણ.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 28જાન્યુઆરી 2026

Loading

ક્યારે ય ‘આઉટ ઓફ પ્રિન્ટ’ ન થયેલી નવલકથા 

દીપક મહેતા|Opinion - Literature|29 January 2026

ગ્રંથયાત્રા – 24

બાળકો અને કિશોરો માટેની આ એક અદ્ભુત રસિક વાર્તા છે? હા અને ના. આ એક સાહસ ભરી પ્રવાસકથા છે? હા અને ના. વિક્ટોરિયન યુગના ગ્રેટ બ્રિટનના લોકો, તેમના રીતરિવાજો, તેમની માન્યતાઓ, કેટલીક જાણીતી વ્યક્તિઓ, વગેરેની ઠેકડી ઉડાડતી કટાક્ષકથા છે? હા અને ના. માણસને અંદરથી જોવા અને જાણવા મથતી, તેના ભાવિનો તાગ લેવા મથતી, કંઇક નિરાશાવાદી રૂપકકથા છે આ? હા અને ના. હકીકતમાં આ એક બહુરૂપી સર્જન છે. જેવો વાચક, જેવો સમય, જેવો દેશ તેવો વેશ ધારણ કરી શકતી આ એક અસાધારણ કથા છે. એનું નામ ગલિવર્સ ટ્રાવેલ્સ. 

ઇ.સ ૧૭૨૬માં ચાર ભાગમાં પહેલી વાર ગલિવર્સ ટ્રાવેલ્સ પ્રગટ થઈ. ત્યારથી આજ સુધીમાં તેના કંઈ કેટલાયે અનુવાદ, અનુકરણ, રૂપાંતર થઈ ચૂક્યાં છે. નાટક, ફિલ્મ અને ટી.વી.વાળાઓએ પણ તેનો ઉપયોગ કર્યો છે, પણ મુખ્યત્વે બાળકો માટે. ગલિવર્સ ટ્રાવેલ્સ પહેલી વાર પ્રગટ થઈ ત્યારે તેના ચાર ભાગમાંથી એકે ભાગ પર ક્યાં ય તેના ખરા લેખકનું નામ છાપ્યું જ નહોતું. કથાનાયક પોતે જ જાણે લેખક હોય તેમ પુસ્તક પર લેખક તરીકે ‘લેમ્યુએલ ગલિવર’ એવું નામ છાપેલું. એટલું જ નહીં, ગલિવર જાણે ખરેખરી વ્યક્તિ હોય તેમ તેનું કાલ્પનિક ચિત્ર પણ મુખપૃષ્ઠ પર છાપેલું! પુસ્તકનો આરંભ તેના પ્રકાશક રિચર્ડ સિમ્પસને વાચકોને ઉદ્દેશીને લખેલી નોંધથી થાય છે. પોતાના જિગરજાન દોસ્ત અને દૂરના સગા ગલિવર પાસેથી આ પુસ્તકનું લખાણ પોતાને કઈ રીતે મળ્યું તેની વાત તેમાં તેણે કહી છે. ત્યાર બાદ ગલિવરે પ્રકાશકને લખેલો પત્ર મૂક્યો છે. તેમાં પુસ્તકમાંની કેટલીક વાતો અંગે ગલિવરે પોતાનો બચાવ કર્યો છે અથવા ખુલાસા કર્યા છે. આ પત્ર જાણે ખરેખર કોઈ લેખકે તેના પ્રકાશકને લખ્યો હોય તેવી રીતે લખાયો છે. પણ પત્રને અંતે લખેલી તારીખ – એપ્રિલ ૨, ૧૭૨૭ – તરફ ધ્યાન જાય તો તરત સમજાઈ જાય કે ગલિવરનો પત્ર અને પ્રકાશકની નોંધ, બંને વાસ્તવિક નહીં પણ કાલ્પનિક છે, બનાવટી છે. કારણ ૧૭૨૬ની સાલમાં પ્રગટ થયેલા પુસ્તકમાં ૧૭૨૭માં લખાયેલો પત્ર કઈ રીતે છપાયો હોય? વળી બીજી એપ્રિલની તારીખ પણ પુસ્તકના સ્વરૂપની સૂચક છે. આ પુસ્તકમાં પહેલી એપ્રિલ – એપ્રિલ ફૂલ – ની બનાવટ નથી. પણ વાસ્તવિકતા અને કલ્પના, હકીકત અને બનાવટ, અહેવાલ અને તરંગ, એ બધાનું અહીં અજબ મિશ્રણ છે માટે જ એપ્રિલ ફૂલ પછીના દિવસની તારીખ.

ગલિવરના નામે આ પુસ્તક લખનાર તે આઈરિશ પ્રોટેસ્ટન્ટ પાદરી અને કટાક્ષ લેખક જોનાથન સ્વિફ્ટ. એ જમાનાના બ્રિટનના રાજકારણીઓ પર અને સામાજિક રીતરસમો પર આ કૃતિમાં જે વેધક કટાક્ષો છે તેને કારણે સ્વિફ્ટે લેખક તરીકે પોતાનું નામ છાપ્યું નહોતું. અને છતાં સ્વિફ્ટના વિરોધની ઐસી તૈસી કરીને પ્રકાશકે મૂળ લખાણમાંનો કેટલોક ભાગ કાઢી નાખ્યો હતો. પુસ્તક પ્રગટ થયું તે પછી માત્ર એક જ અઠવાડિયામાં તેની બધી નકલો ખપી ગઈ. ત્યારથી આજ સુધીમાં આ પુસ્તક ક્યારે ય આઉટ ઓફ પ્રિન્ટ થયું નથી. પ્રખ્યાત ફ્રેંચ લેખક અને વિચારક વોલ્તેરે ૧૭૨૮માં સ્વિફ્ટને લખેલું: “જેમ જેમ હું તમારી કૃતિ વાંચતો જાઉં છે તેમ તેમ મેં જે કાંઈ લખ્યું છે તે અંગે હું શરમ અનુભવતો જાઉં છું.” અને પ્રખ્યાત કવિ-વિવેચક ટી.એસ. એલિયટે ૧૯૨૬માં આપેલા ક્લાર્ક લેક્ચર્સમાં સ્વિફ્ટને ‘ધ ગ્રેટેસ્ટ રાઈટર ઓફ ઇંગ્લિશ પ્રોઝ’ તરીકે ઓળખાવ્યો હતો.

ગલિવર્સ ટ્રાવેલ્સના ચાર ભાગમાંથી પહેલા બે ભાગ સૌથી વધુ જાણીતા થયા છે અને તેમાં સ્વિફ્ટની સર્જકતા પણ સોળે કલાએ ખીલી ઊઠી છે. પહેલા ભાગમાં ગલિવર છ ઈંચના વહેંતિયા લીલીપુટોના પ્રદેશમાં જઈ ચડે છે. આ વહેંતિયાઓના રીતરિવાજ, રહેણીકરણી, રાજ્ય-વ્યવસ્થા વગેરેના અદ્ભુત ચિત્રણ દ્વારા લેખકે માણસના વામન સ્વરૂપને પ્રગટ કરવાનું નિશાન તાક્યું છે. આ વહેંતિયાઓ માટે સીધો સાદો, નોર્મલ ગલિવર જેવો માણસ એક અજાયબી બની જાય છે. તેઓ જાતજાતની રીતે ગલિવરને માપવાનો અને પામવાનો પ્રયત્ન કરે છે. તો પુસ્તકના બીજા ભાગમાં એ જ ગલિવર મહાકાય વિરાટ લોકોના દેશમાં પહોંચી જાય છે. આ મહાકાય જીવો જીવે છે તદ્દન વ્યવહારુ ભૂમિકા પર. તેમને ન્યાય-અન્યાય, નીતિ-અનીતિ, સારું-નરસું, જેવા ‘અમૂર્ત’ ખ્યાલોમાં નથી ગતાગમ પડતી કે નથી તેની જરૂર પણ જણાતી. પહેલા ભાગમાં લેખકે માણસના દોષોને સૂક્ષ્મદર્શક કાચ વડે જોયા, તો બીજા ભાગમાં તેને મેગ્નિફાય કરીને બતાવ્યા છે. 

હંસાબહેન મહેતા

તો ત્રીજા ભાગમાં લેખકે પોતાના સમયના વૈજ્ઞાનિકોની હાંસી ઊડાવી છે. લાગાડો શહેરમાં પ્રખર બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો, સંશોધકો, વિચારકો વસે છે. પણ એવા, કે માણસની ડાબી આંખ વિષે વિચારવામાં જ આખી જિંદગી કાઢી નાખે, પણ માણસને જમણી આંખ પણ હોય છે તે હકીકતની તેમને ખબર પણ ન હોય! ઈન્ટરનેટ સાથે જેને થોડી ઘણી પણ લેવાદેવા હોય તેવી કોઈ પણ વ્યક્તિ ‘યાહૂ’ નામથી અજાણી ન જ હોય. પણ તેમાંથી કેટલાને ખબર હશે કે આ ‘યાહૂ’ નામ પહેલવહેલું સ્વિફ્ટે આ નવલકથામાં યોજ્યું હતું. ચોથા ભાગમાં ગલિવર આ યાહૂ લોકોના દેશમાં જઈ ચડે છે. આ યાહૂ એટલે માણસના રૂપમાં અતિશય બળવાન રાક્ષસ. એનાં રંગઢંગ જંગલી, એની રીતભાત જંગલી. પેલું ફિલ્મી ગીત યાદ છે ને – ‘યાહૂ! ચાહે કોઈ મુઝે જંગલી કહે.’ સ્વિફ્ટ કદાચ સૂચવવા માગે છે કે માણસજાતનું ભાવિ આવા યાહૂ બની રહેવાનું જ છે. આ કૃતિના પહેલા બે ભાગનો અફલાતૂન ગુજરાતી અનુવાદ હંસાબહેન મહેતાએ કર્યો હતો જે ‘ગોળીબારની મુસાફરી’ નામથી ૧૯૪૦માં પ્રગટ થયો હતો.

૧૬૬૭ના નવેમ્બરની ૩૦મી તારીખે ડબ્લીન શહેરમાં સ્વિફ્ટનો જન્મ. તેના જન્મ પહેલાં જ પિતાનું તો અવસાન થયેલું એટલે પિતાનો પ્રેમ ન મળ્યો. માતાની ગરીબીને કારણે પહેલાં સૂયાણી પાસે અને પછી તવંગર કાકા પાસે ઉછર્યો. સારસંભાળ મળ્યાં, પણ પ્રેમ ન મળ્યો. બે સ્ત્રીઓ સાથેના પ્રેમપ્રસંગો પણ નિષ્ફળ નીવડ્યા. રાજકારણમાં પડ્યો પણ બંને વખત જે પક્ષમાં હતો તે પક્ષ ચૂટણીમાં હાર્યો એટલે સ્વિફ્ટની રાજકીય મહત્ત્વાકાંક્ષા પૂરી ન થઈ. ચર્ચમાં પણ અપેક્ષા પ્રમાણેનો ઊંચો હોદ્દો ક્યારે ય ન મળ્યો. લગભગ આખી જિંદગી બહેરાપણાથી અને વર્ટીગોથી પીડાતો રહ્યો. ગાંડપણની હદે પહોંચ્યા પછી ૧૭૪૫ના ઓક્ટોબરની ૧૯મીએ સ્વિફ્ટનું અવસાન થયું.

XXX XXX XXX

28 જાન્યુઆરી 2026
e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...37383940...506070...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved