Opinion Magazine
Number of visits: 9552649
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહિલા વિશ્વ કપ અને ભારતીય સંવેદનો …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 November 2025

રવીન્દ્ર પારેખ

મહિલા વન ડે વર્લ્ડ કપની ફાઈનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હતી. હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ, સાઉથ આફ્રિકાની ટીમ સાથે ટકરાઈ અને દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવીને 52 વર્ષે વિશ્વકપ કબજે કર્યો. દક્ષિણ આફ્રિકાની ટીમે મુંબઈના ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં ટોસ જીતીને ભારતીય ટીમને બેટિંગમાં ઉતારી, તો ભારતીય મહિલા ટીમે 7 વિકેટ ગુમાવીને 298 રન કરીને 299 રનનો ટાર્ગેટ દક્ષિણ આફ્રિકા સામે મૂક્યો. ભારત માટે શેફાલી વર્માએ 87, દીપ્તિ શર્માએ 58, સ્મૃતિ મંધાનાએ 45 અને રિચા ઘોષે 34 રન નોંધાવ્યા. (રિચાના નામે સૌથી વધુ 12 સિક્સર વર્લ્ડ કપમાં બોલે છે) દીપ્તિ શર્માએ સૌથી વધુ 5 વિકેટ લીધી, તો દક્ષિણ આફ્રિકા તરફથી આઇબોન્ગા ખાકાએ ૩ વિકેટ લીધી, પણ સાઉથ આફ્રિકા 246 રનમાં ઓલ આઉટ થઈ જતાં વિશ્વકપ ભારતને ભાગે આવ્યો.

ભારતની કોઈ પણ ફોર્મેટમાં આ પહેલી આઈ.સી.સી. ટ્રોફી છે.

ઓસ્ટ્રેલિયા આ ક્પ સાત વાર જીતી ચૂક્યું હતું અને તે ભારત સામે સેમી ફાઈનલમાં આવ્યું હતું. ખરેખર તો એ મેચ વધારે કટોકટી ભરી હતી, કારણ સેમી ફાઈનલમાં ભારત, ઓસ્ટ્રેલિયા સામે એકથી વધુ વખત હારી ચૂક્યું હતું. એ જ સ્થિતિ ફરી એક વાર 2025માં ભારત સામે આવી હતી, પણ જેમિમાહ રોડ્રિગ્સે સેમી ફાઈનલમાં 127 રન ખડકીને ફાઈનલ પ્રવેશની, ભારતની સ્થિતિ મજબૂત કરી દીધી હતી. જેમિમાહે જ સેમી ફાઈનલની જીત પછી કહેલું, આટલે સુધી આવ્યાં, હવે એક જ મેચ બાકી છે. આ વાતથી આખી ભારતીય ટીમમાં નવી ઊર્જાનો સંચાર થયો. વધારામાં શેફાલી વર્માએ ફાઈનલમાં 87 રન કર્યા ને બે મહત્ત્વની વિકેટ લઈને ભારતની જીત પાકી કરી, એટલું જ નહીં, પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મેળવ્યો.

ભારતીય ટીમને વડા પ્રધાને શુભેચ્છાઓ પાઠવી. X પર તેમણે લખ્યું પણ ખરું કે આ ઐતિહાસિક જીત ભવિષ્યની ખેલાડીઓને રમતમાં ભાગ લેવા પ્રેરિત કરશે. પી.એમ. ભારતીય ટીમને મળ્યા પણ ખરા ને ટીમની વાતો પણ સાંભળી. તેમણે બહુ મહત્ત્વની વાત એ કરી કે તમામ ખેલાડીઓ એક દિવસ તેમની સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે વીતાવે. આટલું થશે તો ઘણાં વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે. તમામ ખેલાડીઓએ એ વાત માની પણ ખરી. વિશ્વકપની જીત પર સચિન તેંડુલકરે પણ X પર લખ્યું કે મહિલા ક્રિકેટ ટીમે ખરેખર કંઇ ખાસ કર્યું છે. ટીમે દેશભરની અગણિત યુવા મહિલાઓને બેટ અને બોલ ઉપાડીને મેદાનમાં ઉતરવા અને એ વિશ્વાસ કરવા પ્રેરિત કરી છે કે તે પણ એક દિવસ ટ્રોફી ઉપાડી શકે છે.

આ જીત રેડીમેઈડ નથી. વિશ્વ કપ જીત માટે સંજોગોએ પણ ઘણો ભાગ ભજવ્યો છે. દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ટે તો કહ્યું પણ ખરું કે દક્ષિણ આફ્રિકા 21 વર્ષની શેફાલી વર્માને કારણે હાર્યું. શેફાલીએ મિડલ ઓવર્સમાં જે રીતે 2 વિકેટ લીધી, તેથી દક્ષિણ આફ્રિકા પાછળ પડ્યું ને ગમ્મત જુઓ કે શેફાલી વર્મા વર્લ્ડ કપ માટેની ટીમમાં જ ન હતી. તેને તો ખરાબ ફોર્મને કારણે વન ડે ટીમમાંથી વર્ષ પહેલાં જ ઘર ભેગી કરી દેવાયેલી, પણ બાંગ્લાદેશ સામેની મેચમાં પ્રતિકા રાવલ ઇન્જર્ડ થતાં ફાઈનલમાં તેની જગ્યાએ ઓપનર તરીકે રમવાનું તેડું આવ્યું. આ અણધારી તક મળતાં તે બોલી હતી કે ભગવાને મને કંઇ સારું કરવા મોકલી છે ને એ દર્શકોને જોવા મળ્યું પણ ખરું.

ક્રિકેટમાં જીત એક વ્યક્તિના પ્રયત્નથી મળતી નથી. વ્યક્તિ મહેનત કરે, પણ બાકી ખેલાડીઓનો સાથ ન હોય તો એકલ વ્યક્તિનો પ્રયત્ન જીતમાં ફેરવાતો નથી. સેમી ફાઈનલમાં જેમિમાહે 127 રન કર્યા એ ખરું, પણ તે રન કરવામાં તેને કેપ્ટન સહિત અન્ય ખેલાડીઓનો સાથ મળ્યો ને ભારતનો ફાઈનલમાં પ્રવેશ શક્ય બન્યો, જયારે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટન વોલ્વાર્ટે 101 રન ફટકારીને જેમિમાહ જેવો જ શાનદાર દેખાવ કર્યો, પણ તેને અન્ય ખેલાડીઓનો સાથ ન મળ્યો ને દક્ષિણ આફ્રિકાએ ફાઈનલમાં હારનો સામનો કરવાનો આવ્યો. એવી જ સ્થિતિ જેમિમાહની પણ હતી. 2025 વર્લ્ડ કપમાં બે વાર ઝીરોમાં આઉટ થતાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં જેમિમાહને પડતી મૂકવામાં આવી હતી, પણ વાપસી થઈ, તો બંને મસ્ટ વિન મેચમાં ન્યુઝીલેન્ડ સામે 76 રન અને ઓસ્ટ્રેલિયા સામે અણનમ સદી ફટકારી પોતાનું અને ભારતનું જીત માટેનું સ્થાન પાકું કરી દીધું.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મહિલાઓમાંની ઘણી, સામાન્ય કુટુંબોમાંથી આવે છે. ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 36 વર્ષની છે ને પંજાબના મોગાની છે. તેણે 9 મેચમાં 260 રન બનાવ્યા છે. માતા સતવિંદર કૌર ગૃહિણી છે ને પિતા હરમિંદર સિંહ ભુલ્લર બાસ્કેટ બોલ ખેલાડી છે. 29 વર્ષની સ્મૃતિ મંધાના મુંબઈની બેટર છે ને તેણે 9 મેચમાં 434 રન કર્યા છે. માતા સ્મિતા ગૃહિણી છે, જ્યારે પિતા શ્રીનિવાસ ઉદ્યોગપતિ છે. 25 વર્ષની પ્રતિકા રાવલ દિલ્હીની બેટર છે. તેણે સાત મેચમાં એક ફિફ્ટી અને એક સદી સાથે 308 રન કર્યા છે. તેની માતા રજની ગૃહિણી છે ને પિતા પ્રદીપ રાવલ એમ્પાયર છે. રોહતક, હરિયાણાની શેફાલી વર્માના પિતા સંજીવ વર્મા ઘરેણાંની દુકાન ચલાવે છે અને માતા પરવીન ગૃહિણી છે. 8 મેચમાં 292 રન બનાવનાર જેમિમાહ રોડ્રિગ્સ મુંબઈની છે. માતા લવિતા એક સ્કૂલમાં શિક્ષિકા છે ને પિતા ઇવાન કોચ છે. ઉમા છેત્રીના માતા પિતા ગ્રામીણ મજૂર છે. 27 વર્ષની હરલીન દેઓલ ચંદીગઢની છે. તેણે 7 મેચમાં 169 રન કર્યા છે. તેની માતા ચરણજીત કૌર સરકારી કર્મચારી છે ને પિતા બી.એસ. દેઓલ બિઝનેસમેન છે. સિલિગુડી, પશ્ચિમ બંગાળની રિચા ઘોષે એક ફિફ્ટી સાથે 8 મેચમાં 235 રન કર્યા છે ને તેની માતા સ્વપ્ના એક ગૃહિણી છે, તો પિતા માનવેન્દ્ર પૂર્વ ક્રિકેટર અને એમ્પાયર છે. કોરોના કાળમાં બધું ઠરી ગયું હતું ત્યારે રિચાએ છત પર નેટ લગાવી પ્રેક્ટીસ શરૂ કરી હતી. તેણે મહિલા વન ડેમાં સૌથી ઝડપી 1,000 રન કરવાનો રેકોર્ડ પણ કર્યો. આગ્રાની ઓલ રાઉન્ડર દીપ્તિ શર્મા(28)એ 9 મેચમાં 215 રન કર્યા અને 22 વિકેટ લીધી. એ સાથે તે સૌથી વધુ વિકેટ લેનાર ટોપ ત્રણ બોલરોમાં સ્થાન પામી છે. તેની માતા સુશીલા પૂર્વ પ્રિન્સિપાલ, હાલ ગૃહિણી છે ને પિતા ભગવાને રેલવેમાં કામ કર્યું છે. 25 વર્ષની ઓલ રાઉન્ડર અમનજોત કૌરે 7 મેચમાં 146 રન કર્યા અને 5 વિકેટ લીધી. તેની માતા રણજિત ગૃહિણી છે અને પિતા ભૂપિન્દર સિંહ લાકડાના ઠેકેદાર છે. ઉત્તરાખંડની સ્નેહ રાણાએ 6 મેચમાં 99 રન કર્યા અને 7 વિકેટ લીધી. તેની માતા વિમલા ગૃહિણી છે ને પિતા નટવર સિંહનું અવસાન થયું છે. ધુવારા, છતરપુર(મધ્ય પ્રદેશ)ની કાંતિ ગૌર (22) બોલર છે. તેણે 6 મેચમાં 9 વિકેટ લીધી છે ને તેની માતા નીલમ ગૃહિણી છે, તો પિતા મુન્ના ગૌર પોલીસ કોન્સ્ટેબલ છે. સીમલાની બોલર રેણુકા સિંહે (29) 6 મેચમાં 3 વિકેટ લીધી. તેની માતા સુનિતા ઠાકુર વર્ગ-4ની કર્મચારી છે અને પિતા કેહર સિંહનું મૃત્યુ થયું છે. 25 વર્ષની રાધા યાદવ મુંબઈની છે. તેણે 3 મેચમાં 4 વિકેટ લીધી. તેની માતા ગૃહિણી છે ને પિતા ઓમપ્રકાશ શાકભાજી વેચે છે. 21 વર્ષની શ્રી ચરણી એરામાલે, આંધ્રની છે. તેણે 9 મેચમાં 14 વિકેટ લીધી. પિતા ચન્દ્રશેખર થર્મલ પાવર પ્રોજેક્ટમાં કર્મચારી છે. જોઈ શકાશે કે મોટે ભાગની ખેલાડીઓની માતા ગૃહિણી છે ને પિતા કોચ, એમ્પાયર કે સાધારણ કામગીરી કરે છે.

ટૂંકમાં, સ્ટ્રગલ ઘરમાં છે ને મેદાનમાં તો છે જ !

જીતનું મહત્ત્વ તો છે જ, પણ એને નિમિત્તે ખેલાડીઓનાં અને ભારતીય જનતાનાં સંવેદનો આકાર લે છે એ પણ એટલાં જ મહત્ત્વનાં છે, કારણ મેદાન પર આવતાં પરિણામો એનો જ પડઘો હોય છે. અમનજોત કૌરની વાત કરીએ તો ફાઈનલ મેચમાં તેની દાદીને હાર્ટએટેક આવ્યો હતો, પણ અમનજોતનું ધ્યાન ન ભટકે એટલે પરિવારે તેનાથી વાત છુપાવી. જીત પછી તેના પિતાએ કહ્યું કે આ જીત ટેન્શનમાં અમારે માટે મલમ જેવી છે. રાધા યાદવ કોલિવરી ઝૂપડપટ્ટીમાં ઊછરી છે. શાકભાજી વેચતા તેના પિતા ઓમપ્રકાશ પાસે ક્રિકેટ અકાદમીની ફી ભરવાના પૈસા પણ ન હતા, પણ કોચ પ્રફુલ્લ નાઈકના માર્ગદર્શન અને પોતાની મહેનતથી રાધાએ ટીમ ઇન્ડિયામાં એવું સ્થાન બનાવ્યું કે વિપક્ષી ટીમને માટે એ પડકાર બની ગઈ છે.

મહિલા વિશ્વ કપ ભારત જીતે ને આખો દેશ ઊજવે તે તો સમજાય, પણ એક વીડિયો એવો વાઈરલ થયો છે, જેમાં એક બાળકી સહિત 3 પાકિસ્તાનીઓ ભારતને વિશ્વ કપ મેળવવા બદલ અભિનંદનો આપે છે, એટલું જ નહીં, ટી.વી. પર ગવાઈ રહેલું ‘જન ગણ મન’ દોહરાવે પણ છે. બીજું સંવેદનસભર દૃશ્ય હતું, ખેલાડીઓની ખેલદિલીનું. ફાઈનલ જીત્યા પછી સ્મૃતિ મંધાના, રાધા યાદવ, જેમિમા રોડ્રિગ્સ સહિત ઘણી ભારતીય ખેલાડીઓ દક્ષિણ આફ્રિકી ખેલાડીઓને આશ્વસ્ત કરતી દેખાઈ. એ જોઇને આઈ.સી.સી.એ લખ્યું પણ ખરું કે આ એક બીજા માટેનું માન-સન્માન દર્શાવે છે.

અંતે, ભારતીય વિશ્વ કપ વિજેતા મહિલા ટીમને હૃદયપૂર્વકનાં અભિનંદનો અને શુભેચ્છાઓ પાઠવીએ અને પ્રાર્થના કરીએ કે તેમને હાથે આ દેશની સર્વોત્કૃષ્ટ સેવા થતી રહે … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 નવેમ્બર 2025

Loading

વિશ્વવિજયી મહિલા ક્રિકેટર ખેલાડીઓ : સિદ્ધિ પહેલાંના સંઘર્ષો 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|6 November 2025

સંજય ભાવે

ક્રિકેટમાં વિશ્વવિજેત્રી બનેલી ભારતીય ટીમની મોટે ભાગે બધી ખેલાડીઓ નીચલા મધ્યમ કે ગરીબ ઘરની છે. પાંચ જ ખેલાડીઓ ખૂબ મોટાં શહેરો, મેટ્રો સિટીઝમાંથી આવી છે. બાકીની અગિયાર ખેલાડીઓ કસબા કે સાવ નાનાં ગામોની છે.

બધી ખેલાડીઓએ તેમ જ તેમના પરિવારોએ આર્થિક, સામાજિક, શારિરીક અને માનસિક સંઘર્ષ વેઠેલો છે (જો કે મહિલા કુસ્તીબાજો જેવો નહીં). ખેલાડીઓએ લોકોનાં મહેણાં અને જાકારો વેઠ્યાં છે, ઇજાઓ સહન કરી છે, સારવારના લાંબા ગાળામાં મેદાન છૂટી ગયું છે, ફૉર્મ ગુમાવ્યું છે, ટીમમાંથી પડતા મૂકાવાનું બન્યું છે. 

બીજી બાજુ, ઘરના સભ્યોએ – વિશેષે પુરુષોએ – તેમને સાથ આપ્યો છે. ટેલિવિઝન અને મોબાઈલ, મનોરંજન કે ટાઇમપાસ માટે નહીં પણ ક્રિકેટના ડિસ્ટન્ટ એજ્યુકેશન માટેનાં ખૂબ ઉપયોગી માધ્યમ બન્યાં છે. દેશના ક્રિકેટિન્ગ આઈડોલ્સ આ યુવતીઓ માટે રોલ મૉડેલ્સ બન્યા છે. સાથીઓએ હૂંફ અને વરિષ્ઠ ખેલાડીઓએ માર્ગદર્શન આપ્યાં છે. દેશ માટે તેમ જ વિમેન્સ પ્રિમિયર લીગ માટે રમીને આ ખેલાડીઓ સ્વીકૃતિ, સન્માન અને કંઈક સમૃદ્ધિ પણ પામી છે. ભારતમાં મહિલા ક્રિકેટનું સ્થાન તેમણે ખૂબ ઉન્નત કર્યું છે. આ ખેલાડીઓના પરિવારના પુરુષોએ હિંસક માનસ ધરાવતા મરદોના એક મોટા વર્ગ માટે દાખલો પૂરો પાડ્યો છે. વિશ્વવિજય નિમિત્તે આ બધાં પાસાંને લગતી માધ્યમોમાં જોવા મળતી ધ્યાનપાત્ર માહિતી – ગુજરાતીમાં ઓછા પ્રમાણમાં આવી હોવાની છાપ સાથે – અહીં સંકલિત કરીને મૂકી છે.

દરેક ખેલાડીની રમતનો રેકૉર્ડ અને તેની સિદ્ધિઓ અલબત્ત સંગીન છે. તેની વારંવાર જાણવા મળતી સર્વસુલભ વિગતોને બદલે કારકિર્દીના સામાજિક અને માનવીય પાસાંને આ સંકલનમાં ધ્યાનમાં લીધાં છે. ક્રિકેટના જાણકારો અને પુરુષપ્રધાન વ્યક્તિઓને આ લેખ બિનમહત્ત્વનો  લાગે એમ બને.

‘ધ ઇન્ડિયન એક્સ્પ્રેસ’ વર્તમાનપત્રે ખેલાડીઓના નખચિત્રોનું એક આખું પાનું કર્યું છે જે ‘ટાઇમ્સ’ના એવાં પાનાં કરતાં વધુ રસપ્રદ જણાયું છે. ‘એક્સપ્રેસે’ મથાળું કર્યું છે : Her grit, Her game, Her glory : From Harmanpreet Kaur to Shafali Verma, meet India’s 16 pioneering World Cup winners. આ પાનાંના લેખકો છે વિનાયક મોહનરંગન અને શંકર નારાયણ. આ લેખમાં ક્રમ અને પેટામથાળાં પણ ‘એક્સ્પ્રેસ’નાં રાખ્યાં છે :

n   Inspiring captain – Harmanpreet Kaur, Age : 36, Role:  Middle-order batter, Moga, Punjab

જિલ્લા અદાલતમાં નોકરી કરતા હરમનસિંગ ભુલ્લરની દીકરી માટે બૅટ ખરીદવાની પણ વેત ન હતી. શાળામાં હરમનપ્રીત હૉકી અને ઍથ્લેટિક્સમાં પણ હતી. જો કે તેનું પૅશન ક્રિકેટ હતું. સ્થાનિક ક્રિકેટ કોચ કમલદીશ સિંગે એક વખત તેને છોકરાઓની સાથેની રમતમાં પવનવેગે બૉલિન્ગ કરતી જોઈ. તેના પિતાને સમજાવીને, દીકરીને ગામથી ત્રીસ કિલોમીટર પર આવેલી ક્રિકેટ ઍકેડેમીમાં મૂકી અને ખરચો પણ ભોગવ્યો. હરમનપ્રીતની કૅપ્ટનશીપ હેઠળ મોગા જિલ્લાની ટીમ સતત ચાર વર્ષ વિજેતા રહી. છગ્ગા મારીને શેરીના ઘરોની બારીઓના કાચ તોડનારી હરમન દુનિયાની છ સહુથી વધુ છગ્ગાબાજ મહિલાઓમાં સ્થાન ધરાવે છે. એક આંતરરાષ્ટ્રીય મૅચમાં તેણે 90 મીટર ઊંચો છગ્ગો મારતાં તેના બૅટની તપાસ કરવામાં આવી હતી ! અર્જુન અવૉર્ડ મળ્યા બાદ પણ જ્યારે હરમને પંજાબ પોલીસમાં નોકરી માટે અરજી કરી ત્યારે તેને કહેવામાં આવ્યું : ‘તું કંઈ ભજ્જી (હરભજનસિંહ) છે તે તને નોકરી આપીએ?’ અત્યારે તે રેલવેની કર્મચારી છે. આખરી જીત પછી તરત જ, તે પાંચ વર્ષની લાડલી હોય તેમ બાપાએ તેડેલી હરમન ફોટો / વીડિયોમાં જોવા મળે છે. 

n  Little sister, Big star: Smriti Mandhana (29), Opening batter, Sangli, Maharashtra

સ્થાનિક સ્તરે પિતાની અને રાજ્ય સ્તરે મહારાષ્ટ્રની અન્ડર-16માં મોટા ભાઈની રમત જોતાં મોટી થઈ છે. તેના પિતા કેમિકલ ડિસ્ટ્રિબ્યુટર છે. જાણીતો યુવા સંગીતકાર પલાશ મુછલ સાથેનો સ્મૃતિનો સાતેક વર્ષથી ચાલતો પરિણય આ મહિને લગ્નમાં પરિણમવાનો છે. પલાશ બાવડા પર SM 18 એવું ટૅટુ રાખે છે. આ યુગલના વર્લ્ડ-કપ સાથેના ફોટા, તે જોઈને ચાહકો કહે છે કે  સ્મૃતિએ પલાશને પ્રિ-વેડિંગ ગિફ્ટ આપી !

n  Keeping the faith: Jemimah Rodrigues (25), Batter, Mumbai, Maharashtra

બાન્દ્રાની કૉન્વેટ સ્કૂલમાં ફૂટબૉલ, બાસ્કેટબૉલ અને હૉકીમાં ઉત્તમ દેખાવ કરનારી જેમિમાને ક્રિકેટની તાલીમ તેના પિતાએ આપી. તેમણે શેરીમાં અને જેમિમાની શાળામાં ટીમ બનાવી. ભાંડુપથી દાદર ક્રિકેટ રમવા માટે જવું  જેમિમા, તેના ભાઈ અને પિતાને અઘરું પડતું; એટલે તેમણે બાન્દ્રામાં બે ઓરડાનું ઘર કર્યું. સખત મહેનત કરનારી જેમિમા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટીમમાંથી પડતી મુકાઈ. ગિટાર વગાડવાની અને નાચવા-ગાવાની શોખીન જેમિમાને તેના નાચ-ગાનના વીડિયોઝને કારણે મીડિયાના નવરાઓએ ‘ટિકટૉક ગર્લ’ તરીકે નાહકની વગોવી. ક્રિકેટના તેના ઉત્તમ દેખાવને કારણે ખાર જિમખાનાએ તેને ત્રણ વર્ષ માટે માનદ્દ સભ્યપદ આપ્યું હતું. પણ ક્લબની ચૂંટણીના કારસામાં તેના પિતા પર એવો આરોપ મૂકવામાં આવ્યો કે તેઓ ક્લબમાં ધર્મપરિવર્તન માટેની સભાઓ યોજે છે. જેમિમા અને તેનો પરિવાર ખૂબ શ્રદ્ધાળુ છે. જેમિમા તેની ઇસુશ્રદ્ધા મેદાન ઉપર અને મીડિયામાં ભાવુકપણે વ્યક્ત કરતી રહી છે. આ બંને કારણોસર ઝનૂનીઓ ટ્રોલસેન બળાત્કાર અને ખૂનની ધમકીઓ પણ આપી. ભય, ચિંતા અને રમતના માનસિક દબાણને કારણ જેમિમાને હતાશામાં સરી પડી. તે તેની મા પાસે કલાકો રડતી. સારવાર તેમ જ પરિવારના ટેકા અને સાથી ખેલાડીઓની હૂંફે તેને સ્વસ્થતા પાછી અપાવી.  

n  Agra’s Wonder Woman: Deepti Sharma (28), All rounder, Agra, Uttar Pradesh

દિપ્તી તેના ક્રિકેટ રમતા ભાઈની સાથે બધે જતી. એક વખત તેણે બૉલ ફેંક્યો. જોગાનુજોગ  ત્યારે એ જગ્યાએ એકલવ્ય ઍકેડેમીના કોચ એવા ભારતના પૂર્વ ખેલાડી હેમલતા કાલા હાજર હતા. દડાની ગતિ અને દિપ્તીની તાકાત પારખીને તેમણે દિપ્તીને રમતી કરી. ત્યાર બાદ બહેનને પૂરા સમયની તાલીમ આપવા માટે ભાઈએ તેની કૉર્પોરેટ નોકરી છોડી દીધી. તાજમહેલથી નવ કિલોમીટર પહેલાં આવેલા શાહગંજ વિસ્તારની અવધપુરી કૉલોનીમાં આવેલા દિપ્તીના ઘરની ગલીના નાકે ‘અર્જુન અવૉર્ડ સમ્માનિત ક્રિકેટર દિપ્તી શર્મા માર્ગ : સાર્વજનિક વિકાસ સમિતિ અવધપુરી આપકા હાર્દિક સ્વાગત કરતા હૈ’ એવું પાટિયું છે. દિપ્તી અત્યારે ઉત્તર પ્રદેશ પોલીસમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ છે.

n  Siliguri’s six-hitter: Richa Ghosh (22),Wicketkeeper-batter, Siliguri, West Bengal

માનબેન્દ્ર ઘોષે તેમની દીકરીને બારીઓના કાચને ભોગે પણ ચોગ્ગા અને છગ્ગા મારવા માટે જ પ્રોત્સાહન આપ્યું. કોલકાતા જઈને દીકરીને તાલીમ આપી શકાય તે માટે તેમણે પોતાનો વ્યવસાય છોડ્યો અને આવક માટે પાર્ટ-ટાઇમ અમ્પાયર તરીકેનું કામ સ્વીકાર્યું. 

n  The Viral Catch: Harleen Deol (27), Top-order batter, Chandigarh

ઇંગ્લેન્ડ સામે નૉર્ધૅમ્ટનમાં જુલાઈ 2021માં રમાયેલી ટ્વેન્ટી ટ્વેન્ટી ઇન્ટરનૅશનલમાં હર્લિને ઝડપેલા ઍક્રોબૅટિક કૅચનો વિશ્વવિખ્યાત વીડિયો ઝગઝોરી દેનારો છે. જો કે તેના ઘર કે માહોલમાં ક્યાં ય સ્પોર્ટ્સ ન હતું. પણ હર્લિનની ક્રિકેટ માટેની રઢ જોઈને મા-બાપે તેને ધરમશાલાની ઍકેડેમી મૂકી, જેમાં તેનું ઘડતર થયું.  

n  Scholar, opener: Pratika Rawal (25), Opening batter, Delhi

રમત સાથે  અભ્યાસનું સંતુલન જાળવનારી પ્રતિકા રાવળ દસમા અને બારમામાં 90% થી વધુ માર્ક્સ લાવીને દિલ્હીની જિસસ અને મૅરી કૉલેજમાંથી મનોવિજ્ઞાન સાથે બી.એ. થયેલી છે. તે બાસ્કેટ બૉલમાં શાળા કક્ષાએ નૅશનલ ગેમ્સમાં સુવર્ણચન્દ્રક મેળવી ચૂકી છે. કેબલ ટેલિવિઝન સર્વિસનો વ્યવસાય કરતા તેના પિતા પ્રદીપ સર્ટિફાઇડ અમ્પાયર પણ છે. તેમણે દીકરીને  રોહતક રોડ જિમખાનામાં પ્રવેશ અપાવ્યો. આ પહેલ બાદ ત્રીસ છોકરીઓ ત્યાં જોડાઈ. જો કે પગની ગંભીર ઇજાને કારણે તે વર્લ્ડ કપ ફાઇનલ ન રમી શકી. પણ જીત પછી મેદાન પરના તરતના જશ્નમાં અને વર્લ્ડ્ કપ સ્વીકારતી વખતે સ્મૃતિ તેને યાદ કરીને વ્હીલચેરમાં પોડિયમ લઈ આવી તે હૃદયસ્પર્શી દૃશ્ય હતું. 

n  Girl from the hills: Uma Chetry (23), Wicketkeeper-batter, Golaghat, Assam

ઉમાનાં માબાપ ખેતમજૂર છે, બે મોટા ભાઈઓ પેડલ રિક્શા ચલાવે છે, બીજા બે બંગલુરૂમાં પ્રાઈવેટ સિક્યુરિટીમાં છે. બ્રહ્મપુત્રના દક્ષિણ કિનારે, ગુવાહાટીથી સવા ત્રણસો કિલોમીટર દૂર પાંચ હજારની વસ્તીવાળા કંધુલીમારી ગામના ધૂળિયા રસ્તા પર ઉમા છોકરાઓ સાથે ક્રિકેટ રમતી થઈ. મા દીપા હિમ્મત આપતાં, કેમ કે તે જોતી હતી કે નાની ઉમા માટે ક્યારેક એક લાકડીના બૅટ અને બટાકા બૉલથી બની જતાં. પછી માએ પ્લાસ્ટિકનાં બૅટ-બૉલ લાવી આપ્યાં. બે કલાક ચાલીને શાળાએ જવું પડતું, દસમા પછી ઘરની જવાબદારીઓને લીધે ભણતર છૂટી ગયું. પણ ફૂટબૉલ ચાહક રાજ્યમાં ભલા સ્થાનિક ક્રિકેટ કોચ મેહબૂબ આલમ અને રામ મોહન જેવા તેમ જ અધિકારી અજોય શર્માએ આંગળી પકડી. જો કે બોકખાટ કસબાના તાલીમ કેન્દ્રમાં દરરોજ સોળ કિલોમીટર ચાલીને જવું પડતું. પડતા મૂકાવાનું આવ્યું, નબળા દેખાવના તબક્કા પણ આવ્યા. બધી વખતે, ક્રિકેટમાં કશું ભાગ્યે જ સમજનાર મા અને ઉમાની પોતાની મક્કમતાએ રસ્તો બતાવ્યો. ઉમા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ટીમમાં સ્થાન મેળવનારી પહેલી મહિલા ખેલાડી બની. રાત્રે ભૂખ્યા પેટે સુવું પડે તેવા દા’ડાથી  વર્લ્ડ પ્રિમિયર લીગના કૉન્ટ્રાક્ટ સુધીનો ઉમાનો ખડતર પ્રવાસ અચંબો આપનારો છે.

n  Tribal star: Kranti Gaud (22), Fast bowler, Ghuwara, Madhya Pradesh

બુંદેલખડના મધ્યમાં આવેલા વીસ હજારની વસ્તીવાળા ઘુવારા ગામમાં ક્રિકેટ તાલીમ માટેની કોઈ સગવડ નથી. ગામના એક માત્ર મેદાનમાં છોકરાઓ ટેનિસ બૉલથી ક્રિકેટ રમે છે. આદિવાસી સમુદાયના પોલીસ કૉન્સ્ટેબલ મુન્નાજીના ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓમાંથી સહુથી નાની ક્રાન્તિ છોકરાઓ સાથે રમતી. તેની પર છત્તરપુર પંથકમાં ક્રિકેટને પ્રમોટ કરનારા કોચ રાજીવ બિલથરેનું ધ્યાન પડ્યું અને તાલીમ શરૂ થઈ. ખર્ચ માટે માએ ઘરેણાં ગિરવે મૂક્યાં, દાણા ઉધાર માગીને દિવસો ખેંચ્યા. ક્રાન્તિ ટોચો સર કરતી ગઈ. વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમ સામેની કામગીરીથી મૅન ઑફ ધ મૅચ મેળવીને વતનમાં બે રૂમ રસોડાના ઘરે પાછી આવી; અને જોયું કે તેને મહેણાં-ટોણાં મારનાર લોકોનું ગામ હવે ક્રાન્તિને રમતી જોવા માટે એલ.ઇ.ડી. ટેલિવિઝન લાવ્યું છે ! 

n  Comeback queen: Sneh Rana (31), Spin, all-rounder, Dehradun, Uttarakhand

ઘૂંટણની ગંભીર ઇજાને કારણે સ્નેહને બે વર્ષની કમગીરી પછી 2016માં ટીમની બહાર મૂકાવું પડ્યું. તે પાંચ વર્ષ સુધી પાછી ન આવી શકી. જૂન 2021માં ફરીથી પસંદ થઈ તે જોવા તેના ખેડૂત પિતા ભગવાનસિંગને બે મહિના વધુ આયુષ્ય ન મળ્યું. તેના ક્રિકેટને દિલોજાનથી ટેકો તેના પિતાએ આપ્યો હતો. તેનાં મા અને મોટી બહેન પણ તેમાં સામેલ હતાં. સ્નેહને નવમા વર્ષે દહેરાદૂનમાં  કિરણ શાહની  લિટલ માસ્ટર્સ ક્રિકેટ ઍકેડેમીમાં દાખલ કરી હતી. જો કે તેનું ક્રિકેટ તો દેહરાદુનથી દસ કિલોમીટર પર આવેલા હજાર માણસની વસ્તીવાળા તેના સિનૌલા ગામના ખેતરોમાં તે છોકરાઓની સાથે શરૂ થઈ ચૂક્યું હતું. પહેલા દરજ્જાની રમતમાંથી પાંચ વર્ષના અંતર દરમિયાન તે સારવાર લેવાની સાથે ડોમેસ્ટીક ક્રિકેટમાં રમતી રહી. ચાહકો તેને ‘કમબૅક ક્વીન’ કહે છે. એક ફોટોમાં વિશ્વકપ હાથમાં રાખીને તે કહી રહી છે : ‘ધિસ વન ઇઝ ફૉર યુ, પાપા !’

n  Doing it for late dad: Renuka Singh Thakur (29), Pacer, Shimla, Himachal Pradesh

સ્નેહના પિતાના મૃત્યુ બાદ માતા સુનીતાબહેન અને ભાઈ વિનોદે તેને ક્રિકેટમાં આગળ વધારી. પિતાએ પુત્રનું ક્રિકેટપ્રેમને કારણે પાડ્યું હતું. માતાને હિમાચલના ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં પિતાની જગ્યાએ નોકરી મળી. છસો માણસની વસ્તી ધરાવતું તેનું ગામ પારસા શિમલાથી સવાસો કિલોમીટર પર છે. નાનપણથી જ ક્રિકેટની લગન ધરાવતી સ્નેહાને કાકા ભુપિન્દરસિંહની સલાહથી ધરમશાલાની ઍકેડેમીમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેણે પવન અને રેણુકા સિંહના પાસે તાલીમ મેળવી.

Leaving Home : Arundhati Reddy (28), Pace all-rounder, Hyderabad

અરુંધતી 2018માં ટ્વેન્ટી ટ્વેન્ટીમાં આવી ચૂકી હતી, પણ તેને વન ડે ઇન્ટરનૅશનલમાં પસંદગી પામતા છ વર્ષ લાગ્યાં. વૉલીબૉલના પૂર્વ  ખેલાડી માતાના ટેકે તે ક્રિકેટમાં પ્રવેશી. મહિલા ટીમના પૂર્વ ફીલ્ડિન્ગ કોચ બિજુ જ્યૉર્જે તેને દીકરીની જેમ સંભાળી. અનેક વખત બાકાતીના દિવસોમાં અરુને હિમ્મત આપી. તેને કેરાલામાં વધુ સારા માહોલમાં રાખી. વર્લ્ડ પ્રિમિયર લીગને કારણે પૈસાનો ઘણો આધાર મળ્યો. ‘સ્પોર્ટસ સ્ટાર’ના એપ્રિલ 2024ના અંકના લેખમાં બિજુએ અરુની  જિંદગી વિશે વિગતે વાત કરી છે. તેમાં અરુંધતી એમ કહેતી ટાંકવામાં આવી છે કે ‘હું એક ક્રિકેટ ટ્રૅજિક છું કે જે બોગદાને છેડે મેઘધનુષ જોવા ઝંખી રહી હોય.’ આખરે તેને મેઘધનુષ હાથ લાગ્યું છે. 

n  Cricket migrant : Radha Yadav (25), Spin all-rounder, Baroda, Gujarat

રાધાના પિતા ઓમપ્રકાશે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાંથી મુંબઈમાં વસીને કાંદિવલીના ફૂટપાથ પર શાકભાજી અને કરિયાણાની નાની દુકાન કરી છે, જેના માટે તેમને દબાણવાળાનો સતત ડર રહે છે. સ્લમ રિડેવલપમેન્ટ યોજના હેઠળ બનેલા પચીસ ચોરસ વારના ઘરમાં નવ માણસોનું કુટુંબ રહે છે. પિતા અને બે ભાઈઓ સખત મહેનત કરે છે. રાધાનું શાળાનું ભણતર માંડ થયું છે. પણ એક જગ્યાએ તેની રમત જોઈને ઉદારદિલ કોચ પ્રફુલ્લ નાઈક ઓમપ્રકાશને સમાજવીને રાધાને વડોદરા લઈ આવ્યા. વધુ તાલીમ તેને મિલિન્દ વારવાડકરની કૃગારા ઍકેડેમીમાં મળી. આ કોચને નિષ્ઠાવાન અને બાહોશ રાધા એટલી વહાલી છે કે એમણે તેનું નામ સંસ્થાના નામમાં સમાવ્યું છે. તેમની દીકરી કૃણાલિનીનો ‘કૃ’, દેવી ગાયત્રીનો ‘ગા’ અને ખેલાડી રાધાનો રાધા (યાદવ) – કૃગારા ! 

n  Dad carved her bat : Amanjot Kaur (25), Pace all-rounder, Chandigarh

પંજાબના મોહાલીમાં મિસ્ત્રીકામ કરનારા ભુપિન્દરસિંહે એક સાંજે જોયું કે ફળિયાના બાળકો તેમની દીકરી અમનજોતને એટલા માટે રમાડતા નથી કે તેની પાસે બૅટ નથી. તેઓ દુકાને ગયા અને રાત્રે મોડે સુધી જાતે એક બૅટ બનાવીને દીકરી માટે લઈ આવ્યા. દાદીમા ‘બીઈજી’ આંગણામાં બેઠાં બેઠાં નાનકડી પૌત્રીને રમતી જોઈ રાજી થતાં. કમનસીબે વિશ્વકપ વખતે જ બીઈજી આઈ.સી.યુ.માં હતાં. અમન ચૌદ વર્ષની થઈ એટલે પિતાએ તેને નાગેશ ગુપ્તાની ઍકેડેમીમાં દાખલ કરી. ટ્વેન્ટી ટ્વેન્ટીના ડેબ્યુ બાદ પીઠના ફ્ર્રૅક્ચર અને લિગામેન્ટની ઇજાને કારણે તેણે લાંબા સમય માટે રમતથી દૂર રહેવું પડ્યું. જો કે મુંબઈ ઇન્ડિયન્સથી તે પાછી આવી. વિશ્વકપની જીત પછીના તરતનાં દૃશ્યોમાં આનંદના આંસુને ખાળી ન શકતા અમનના પિતા જોવા મળે છે.

n  Athletics’ loss, cricket’s gain : Sree Charani (21),Spinner, Kadapa, Andhra Pradesh

શ્રીના મામા કિશોરકુમાર રેડ્ડી આંધ્રના રાયલસીના પાવર પ્લાન્ટની ક્રિકેટ ટીમમા હતા. નાની ભાણી તેમની સાથે પ્લસ્ટિક બૅટથી રમતી. શાળામાં તે બૅડમિન્ટન, કબડ્ડી અને ઍથલેટિક્સમાં આગળ હતી. શાળાએ દસમા ધોરણમાં તેને હૈદરાબાદ મોકલીને ઍથલેટિક્સની વિશેષ તાલીમ પણ અપાવી. ત્યાં ભારતના પૂર્વ પસંદગીકાર એમ.એસ.કે. દાસે તેનું હીર પારખીને તેને ક્રિકેટમાં જવાનું ભારપૂર્વક સૂચવ્યું. દક્ષિણ આન્ધ્ર પ્રદેશના યેરામાલાપલ્લી કસબાની રહીશ શ્રીને તેની માતાએ પ્રોત્સાહન આપ્યું હતું, પિતાને સમજતા એકાદ વાર લાગી હતી.

n  Once posed as a boy : Shafali Verma (21), Opening batter, Rohtak, Haryana

‘યંગ ગૉડેસ ઑફ ક્રિકેટ’, ‘વિરુ ઑફ વિમેન્સ ક્રિકેટ’, ‘હરિયાણા રૉકસ્ટાર’ વગેરે નવાજેશ પામનાર શેફાલીના પિતા સંજીવ, મોટો ભાઈ સાહિલ અને નાની બહેન નાન્સી હાડોહાડ ક્રિકેટપ્રેમી છે. જ્વેલરીની નાની દુકાન ધરાવતા પિતા તેને ખભે બેસાડીને મૅચો જોવા લઈ જતા. લેગ સ્પિનર સાહિલ અને પિતા શેફાલીને કલાકો સુધી નેટપ્રૅક્ટિસ આપતા. છોકરી હોવાથી રોહતક ઍકેડેમીએ તેને પ્રવેશ આપ્યો ન હતો. કેટલાક લોકો મહેણાં પણ મારતા. એ દસ વર્ષની હતી ત્યારે એક વખત તેનો ભાઈ માંદો પડ્યો. એટલે પિતાના કહેવાથી તે વાળ કપાવીને છોકરાના વેશે સાહિલની જગ્યાએ સ્કૂલ-લેવલ મૅચમાં રમીને ‘મૅન ઑફ ધ ટુર્નામેન્ટ’ બની. આ જ નુસખો શ્રીનારાયણ ઍકેડેમીમાં પ્રવેશ માટે પણ કામ લાગ્યો. ચડતીપડતી થતી રહી. અલબત્ત, સર્વોચ્ચ શિખરે પહોંચાડનારી મૅચમાં તેનો હિસ્સો મહત્ત્વનો હતો. 

[કોલાજ સૌજન્ય : પરીક્ષિત]
06 નવેમ્બર 2025
(2,000 શબ્દો)
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

ઓગણીસમી સદીની એક બહુરૂપી પ્રતિભા 

દીપક મહેતા|Opinion - Opinion|6 November 2025

નામ : કેખુશરો નવરોજજી કાબરાજી 

ગામ : મુંબઈ

કામ : પત્રકારત્વ 

પણ મનનું ધામ તો નાટક અને રંગભૂમિ 

કેખુશરો કાબરાજજી

૧૮૪૨ના ઓગસ્ટની ૨૧મી તારીખે મુંબઈના કોટ વિસ્તારમાં આવેલી ગોલવડ ગલ્લીમાં આવેલા ઘરમાં જન્મ. મૂળ વતન સુરત. ૧૮૧૨ના અરસામાં કેખુશરોના બાવા નવરોજજીનો જન્મ. પહેલી નોકરી બોમ્બે ગેઝેટ નામના અંગ્રેજી અખબારમાં. એટલે ઘણા પારસી એમને ‘નવરોજજી ગેઝેટ’ તરીકે ઓળખે. પછી જોડાયા આજના ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના પુરોગામી ‘બોમ્બે ટાઈમ્સ’માં. ૧૮૫૦માં દફતર આશકારા છાપખાનાના ભાગીદાર બન્યા. બે વરસ પછી ‘ચિત્રજ્ઞાન દર્પણ’ નામનું સામયિક ખરીદીને એકાદ વરસ ચલાવ્યું. પછી ખરીદ્યું ‘બાગે નસીહત.’ આય બાગે એવણને બરબાદ કરી નાખ્યા. અમુક લખાણને કારણે ગોવર્ધન ભાણજીની વિધવાએ બદનક્ષીનો દાવો માંડ્યો જે નવરોજજી હારી ગયા. ૧૮૫૮ના જુલાઈની ૧૫મીએ આવેલા ચુકાદા પ્રમાણે તેમણે પોતાના પત્રમાં જાહેર માફી માગવાની હતી અને ફરિયાદી બાઈને કેસ અંગે થયેલો બધો જ ખરચ ચૂકવી દેવાનો હતો. માફી તો માગી, પણ ખરચ ભરપાઈ કરવા જેટલા પૈસા હતા નહિ. એટલે નાદારી નોંધાવવી પડી. પૈસેટકે પાયમાલ થઈ ગયા. 

ઘરની જવાબદારી હવે કેખુશરો પર આવી પડી. અભ્યાસ છોડીને મહિને ચાર રૂપિયાના પગારની નોકરી ‘પારસી મિત્ર’માં લેવી પડી. ત્યારથી જીવનના અંત સુધી કેખુશરો વ્યવસાયે પત્રકાર જ રહ્યા. પણ ‘પારસી મિત્ર’ની નોકરી ઝાઝો વખત કરી શક્યા નહિ. કારણ તેમનાં મમ્મા ગંભીર માંદગીને કારણે પથારીવશ થયાં. એટલે ઘરનાં બધાં જ કામ કેખુશરોને માથે આવી પડ્યાં. પણ ઘરમાં બીજું કોઈ કમાનાર નહિ, અને મમ્માની માંદગીનો ખરચ વધારામાં. એટલે થોડા વખત પછી મહીને વીસ રૂપિયાના પગારે ‘જામે જમશેદ’ અખબારમાં રિપોર્ટર તરીકે જોડાયા. પછી તેના મદદનીશ તંત્રી બન્યા. માલિકો સાથેના મતભેદને કારણે તંત્રી સોરાબજી મંચેરજી છૂટા થતાં કેખુશરોને તંત્રીની જવાબદારી માલિકોએ સોંપી. એ વખતે તેમની ઉંમર ૧૭ વરસની! પણ આ કામ કેખુશરો માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું. કારણ તેમનાં લખાણો ઉપર દેખરેખ રાખવા માલિકોએ કુંવરજી રૂસ્તમજી મોદીની નિમણૂંક કરેલી. કેખુશરોનું વલણ પહેલેથી સુધારાવાદી. જ્યારે ‘જામે’ હતું કટ્ટર રૂઢિવાદી. એટલે કેખુશરોનાં લખાણો પર રોજ કુંવરજીની કાતર ફરે. પરિણામે એવી ગેરસમજ ફેલાય કે કાબરાજી સુધારાના વિરોધી છે.

એક વખત મુંબઈમાં ખેતવાડીમાં આવેલી ‘જ્ઞાન વર્ધક સભા’એ કાબરાજીનું જાહેર ભાષણ ગોઠવ્યું. વિષય હતો ‘સ્ત્રી જાતિ.’ શ્રોતાઓમાંના એક હતા પ્રખ્યાત સમાજ સુધારક કરસનદાસ મૂળજી. કેખુશરોના વક્તવ્ય અને વિચારોથી પ્રભાવિત થયા. થોડા વખતમાં બન્ને નજીક આવ્યા. જામેના તંત્રી તરીકે રોજ જે માથે વીતતી હતી તેની ખબર પડતાં કરસનદાસે ‘રાસ્ત ગોફતાર’ સામયિકમાં જોડાવા આમંત્રણ આપ્યું. ૧૮૫૧માં મુંબઈમાં થયેલાં પારસી-મુસ્લિમ રમખાણો પછી લોકો અને સરકાર સુધી પારસીઓની વાત પહોંચાડવા માટે દાદાભાઈ નવરોજીએ ૧૮૫૧ના નવેમ્બરની ૧૫મી તારીખથી ‘રાસ્ત ગોફતાર’ શરૂ કરેલું. બીજી બાજુ ૧૮૫૨માં કરસનદાસ મૂળજીએ ‘સત્ય પ્રકાશ’ શરૂ કરેલું. ૧૮૬૧માં તે ‘રાસ્ત ગોફતાર’ સાથે જોડાઈ ગયું. કેટલાક પારસીઓએ ૧૮૫૭ની પહેલી જાન્યુઆરીથી ‘સ્ત્રીબોધ’ નામનું માસિક શરૂ કરેલું. ૧૯૪૭ પહેલાંના હિન્દુસ્તાનનું એ સૌથી પહેલું સ્ત્રીઓ માટેનું સામયિક. એવું ઠરાવાયું કે કેખુશરો ‘રાસ્ત ગોફ્તાર’ના મદદનીશ તંત્રી તરીકે કામ કરે. પગાર પચાસ રૂપિયા. સાથોસાથ ‘સ્ત્રીબોધ’ના તંત્રી તરીકે પણ કામ કરે. પગાર રૂપિયા ત્રીસ. ૧૮૬૩ના માર્ચની ૧૩મી તારીખે કરસનદાસ વિલાયતની મુસાફરીએ જતાં કાબરાજી ‘રાસ્ત ગોફતાર’ના તંત્રી બન્યા અને ૪૦ વરસ સુધી એ જવાબદારી સંભાળી. તેવી જ રીતે ૧૯૦૪ના એપ્રિલની ૨૫મીએ બેહસ્તનશીન થયા ત્યાં સુધી કાબરાજી ‘સ્ત્રીબોધ’ના તંત્રીપદે રહ્યા. કાબરાજી પછી તેમનાં પુત્રવધૂ પૂતળીબાઈ ૧૯૧૨થી ૧૯૪૨ સુધી ‘સ્ત્રીબોધ’નાં તંત્રી રહ્યાં.    

શરૂઆતનાં વર્ષોમાં ‘સ્ત્રીબોધ’ યથા નામ તથા ગુણ હતું. સ્ત્રીઓને માહિતી અને બોધ આપતાં લખાણો – અલબત્ત, બધાં પુરુષોએ લખેલાં – તેમાં છપાતાં. કાબરાજી તંત્રી થયા એ પછી તેમણે તેની કાયાપલટ કરી નાખી. નાટક, નવલકથા, કથા, કવિતા, રેખા ચિત્રો, વગેરે સામગ્રી ધીમે ધીમે ઉમેરતા ગયા. અને કવિતાને બાદ કરતાં, બીજા પ્રકારોના નમૂના પોતે જ રચીને પ્રગટ કર્યા. અલબત્ત, તેમની ઘણીખરી કૃતિઓ મૌલિક નહિ, પણ અંગ્રેજી કૃતિઓથી પ્રેરિત હતી. પણ પારસી કે હિંદુ સમાજના પરિવેશમાં તેઓ એવી સિફતથી મૂળ કૃતિનું રૂપાંતર કરતા કે સામાન્ય વાચકને તો આ રૂપાંતર છે એવો વહેમ પણ ન જાય. 

૧૯મી સદીના એક કાલ ખંડને આપણે ‘સુધારક યુગ’ એવું નામ તો આપી દીધું, પણ પછી વાત કરી માત્ર હિન્દુ સમાજને ધ્યાનમાં રાખીને થયેલી સુધારાની ચળવળની. પારસી કે મુસ્લિમ સમાજ અંગે થયેલી સુધારાની ચળવળ વિષે વિચાર્યું-લખ્યું જ નહિ! કાબરાજી અને બીજા આગેવાનોએ પારસી સમાજમાં પણ સુધારા માટે ચળવળ ચલાવવી પડી હતી. કેવી હતી એ જમાનામાં પારસી સમાજની સ્થિતિ? પારસી સ્ત્રી પતિની સાથે પણ ખુલ્લી ઘોડા ગાડીમાં બહાર નીકળી શકતી નહિ. માફા કે ગાડીના બધા પડદા પાડ્યા પછી જ પારસી સ્ત્રી તેમાં બેસી શકે. પારસી સ્ત્રીઓ ઘરની બહાર છત્રી કે પગરખાં વાપરી શકતી નહિ. બહુ બહુ તો લાકડાની સપાટ પહેરી શકતી. ૧૮૬૩માં માણેકજી ખરશેદજીએ બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી એલેક્ઝાન્ડ્રા ગર્લ્સ સ્કૂલ પોતાના ભાયખળાના બંગલામાં શરૂ કરી ત્યારે કોમમાં જબરો ઊહાપોહ થયો. છોકરીની જાતને તે વળી બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ અપાય? એ વખતે કાબરાજીએ મહિનાઓ સુધી ‘રાસ્ત-ગોફતાર’માં કન્યા કેળવણીની તરફેણમાં લેખો લખ્યા.  

કાબરાજી પત્રકાર ઉપરાંત ઉમદા લેખક પણ હતા. રંગભૂમિ પર ભજવવા માટે કાબરાજીએ મોટી સંખ્યામાં નાટકો લખ્યાં, જેમાંનાં ઘણાં રૂપાંતરો હતાં. તખ્તાલાયકી એ તેમનાં નાટકોનો સૌથી મોટો ગુણ. કાબરાજીનું પહેલું નાટક શેરના સવાશેર ૧૮૬૩માં ‘સ્ત્રીબોધ’માં પ્રગટ થયું અને છેલ્લું નાટક ધીરજનું ધન ૧૮૭૧માં. તેમનાં બીજાં કેટલાંક નાટકો : જમશેદ, નિંદાખાનું, ભોલી જાન, વિનાશ કાલે વિપરિત બુદ્ધિ, બેજન અને મનીજેહ, નંદબત્રીસી. 

કાબરાજીને હાથે એક બીજું મહત્ત્વનું કામ થયું તે આજે સાવ ભૂલાઈ ગયું છે. એ કામ તે શેકસપિયરનાં નાટકોને ગુજરાતીમાં અવતારવાનું. અલબત્ત, એ સીધા અનુવાદો નથી. પારસી સમાજ અને જીવનના ઢાંચામાં ઢાળેલાં રૂપાંતરો છે. ‘સ્ત્રીબોધ’ના મે ૧૮૬૧ના અંકમાં ‘નઠારી ફરંગીજ ઠેકાંણે આવી’ નામથી શેકસપિયરના The Taming of the Shrewના રૂપાંતરનું પ્રકાશન શરૂ થયું અને એ જ વરસના સપ્ટેમ્બર અંકમાં પૂરું થયું. સુરતમાં નવી શરૂ થયેલી પારસીઓની નાટક મંડળીએ ૧૮૬૧ના નવેમ્બરની પાંચમી તારીખે આ નાટક ભજવ્યું. પશ્ચિમ ભારતમાંના પારસીઓની તવારીખ માટે સોનાની ખાણ જેવા ‘પારસી પ્રકાશ’માં આ અંગે કહ્યું છે : 

(પારસી પ્રકાશ, દફતર બીજું, પાનું ૨૨, જોડણી મૂળ પ્રમાણે) 

ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં પણ સુરતમાં થયેલી આ નાટકની ભજવણી ખૂબ મહત્ત્વ ધરાવે છે. પહેલવહેલું ગુજરાતી નાટક પારસીઓની એક નાટક મંડળીએ મુંબઈમાં ૧૮૫૩ના ઓક્ટોબરની ૨૯મી તારીખે સાંજે ભજવ્યું, જગન્નાથ શંકરશેઠે ગ્રાન્ટ રોડ પર બંધાવેલા થિયેટરમાં. અમદાવાદમાં પહેલવહેલું ગુજરાતી નાટક ભજવાયું તે ૧૮૮૮માં, કેશવલાલ શિવરામ અધ્યાપકે લખેલું નાટક ‘સંગીત લીલાવતી’. એટલે કે આજના ગુજરાત રાજ્યના પ્રદેશમાં સૌથી પહેલું ભજવાયેલું નાટક તે સુરતમાં ભજવાયેલું કાબરાજીનું ‘નઠારી ફરંગીજ ઠેકાંણે આવી’.

ઐતિહાસિક દૃષ્ટિએ કાબરાજીની નવલકથાઓ પણ મહત્ત્વ ધરાવે છે. કારણ એ નવલકથાઓ દ્વારા કાબરાજીએ ગુજરાતીમાં ધારાવાહિક નવલકથા છાપવાની શરૂઆત કરી. તેમની પહેલી નવલકથા ‘ભોલો દોલો’ (૧૨૦ પ્રકરણ) ઓગસ્ટ ૧૮૭૧થી ડિસેમ્બર ૧૮૭૩ દરમ્યાન ‘સ્ત્રીબોધ’માં પ્રગટ થઈ હતી. ભલે રૂપાંતરિત, પણ આપણી ભાષાની એ પહેલી ધારાવાહિક નવલકથા. ત્યાર બાદ ‘પરણવું કે નહિ પરણવું’, ‘આગલા વખતની બાયડીઓ અને હાલના વખતની છોકરીઓ’, ‘પાતાલ પાણી ચલાવે’, ‘મિજાજી હોસ્નઆરા કેમ ઠેકાણે આવી’, ‘પૈસા! પૈસા! પૈસા!’, ‘દુખિયારી બચુના દુઃખનાં પહાડ’, ‘સોલીને સુધારનાર સુની’, ‘ગુમાસ્તાની ગુલી ગરીબ’, ‘વેચાયલો વર’, ‘ભીખો ભરભરિયો’, ‘હોશંગ બાગ’, ‘ખોહવાયલી ખટલી’, ‘મીઠી મીઠ્ઠી’, ‘ચાલીસ હજારનો ચાનજી’, અને ‘ખૂનનો બદલો ફાંસી’, જેવી નવલકથાઓ ‘સ્ત્રીબોધ’માં હપ્તાવાર પ્રગટ થઈ. છેલ્લી નવલકથા ‘સોલી શેઠની સુનાઈ’ ૧૯૦૪માં. આમ, ૧૮૭૧થી ૧૯૦૪ સુધી સતત ૩૩ વર્ષ ‘સ્ત્રીબોધ’ કાબરાજીની ધારાવાહિક નવલકથા પ્રગટ કરતું રહ્યું. 

ગુજરાતીની પહેલવહેલી ધારાવાહિક નવલકથા ‘ભોલો દોલો, સ્ત્રીબોધ, ઓગસ્ટ ૧૮૭૧

કસરતશાળા અને નાટકશાળા વચ્ચે સંબંધ હોવાનો વહેમ પણ કોઈને ભાગ્યે જ જાય. પણ કાબરાજીની બાબતમાં કસરતશાળા જ તેમને નાટકશાળા તરફ ખેંચી ગઈ. પારસી યુવાનોની શરીર સંપત્તિ વધારવા માટે બીજા કેટલાક મિત્રો સાથે મળીને ૧૮૬૭માં તેમણે ‘કસરતશાળા સ્થાપક મંડળી’ બનાવીને કસરતશાળા શરૂ કરી. પણ થોડા વખત પછી પૈસાને અભાવે તે બંધ કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ. ત્યારે નાટક ભજવીને તેની આવક દ્વારા કસરત શાળા જીવતી રાખવાનો વિચાર કાબરાજીને આવ્યો. પારસીઓમાં ‘ફલૂઘૂસ’ તરીકે ઓળખાતા ફરામજી ગુસ્તાદજી દલાલની બંધ પડેલી નાટક મંડળીનો સરંજામ કાબરાજીએ મેળવ્યો. પારસી છોકરાઓને ભેગા કર્યા. શેક્સપિયરના નાટક કોમેડી ઓફ એરર્સનું પોતે જ રૂપાંતર કર્યું. પોતાના ‘રાસ્ત ગોફતાર’ દ્વારા મોટે પાયે આગોતરી જાહેરાત કરી. અને નાટક ભજવીને ભેગી થયેલી ૧,૪૦૦ રૂપિયાની રકમ કસરતશાળાને, ખર્ચ બાદ કર્યા વિના, આપી દીધી.

ખરું જોતાં હાથમાં લીધેલું કામ તો પૂરું થયું હતું. ભેગાં કરેલાં બધાં ફદિયાં તો આપી દીધાં, પણ નાટક ભજવવા માટે ભેગા કરેલા પોરિયાઓનું હવે કરવું શું? ફરી ફરામજીની મદદ લઈને એક નવી નાટક મંડળી ઊભી કરવાનો વિચાર આવ્યો. પણ અગાઉ કરતાં કૈંક જૂદું કરવાની ધગશ. અગાઉની પારસી નાટક મંડળીઓમાં તેના બધા નટ ભાગીદાર રહેતા. કાબરાજીએ ત્રણ-ચાર માલિક અને બીજા બધા પગારદાર નોકરો એવું માળખું રાખ્યું. વળી આ મંડળીને સલાહ-સૂચન આપવા માટે જાણીતા વિદ્વાનો અને શ્રીમંતોની એક કમિટી બનાવી. નાટક કંપનીના નિયમો ઘડ્યા તેમાં એક નિયમ એવો રાખ્યો કે કોઈ પણ નવું નાટક સૌથી પહેલાં માત્ર આ કમિટીના સભ્યોને જ બતાવવું. અને તેમની મંજૂરી મળે તો જ તેના જાહેર પ્રયોગ કરવા. એ જમાનાના અગ્રણી લેખક, પત્રકાર, સમાજ સુધારક સોરાબજી શાપુરજી બંગાળીએ નામ પાડ્યું વિક્ટોરિયા નાટક મંડળી.

પણ આ વિક્ટોરિયા નાટક મંડળી શરૂ ક્યારે થઈ? કોઈએ કહ્યું ૧૮૬૭માં થઈ, કોઈએ કહ્યું ૧૮૬૮માં. કોઈ કહે છે મુંબઈમાં થઈ, કોઈ કહે છે કે ના, ના, સ્થાપના તો દિલ્હીમાં થયેલી!  ખુદ કાબરાજી જેના તંત્રી હતા તે ‘રાસ્ત ગોફતાર’નો હવાલો આપીને પારસી પ્રકાશ (દફતર ૨, પાનું ૨૫૩) નોંધે છે કે કાબરાજીએ વિક્ટોરિયા નાટક મંડળીની સ્થાપના ૧૮૬૮ના મે મહિનાની ૧૬મી તારીખે મુંબઈમાં કરી હતી. જે સલાહકાર સમિતિ બનાવી તેના પ્રમુખ હતા વિનાયકરાવ જગન્નાથ શંકરશેઠ અને સમિતિના એક સભ્ય હતા ડો. ભાઉ દાજી. બાકીના સાત સભ્યો જાણીતા પારસીઓ હતા. કાબરાજી પોતે સમિતિના સેક્રેટરી હતા. આ નાટક મંડળીના પહેલવહેલા માલિકો હતા : દાદાભાઈ ઠુંઠી, ફરામજી ગુસ્તાદજી દલાલ, કાવસજી નસરવાનજી કોહીદારૂ, અને હોરમસજી મોદી. વખત જતાં આ નાટક મંડળીએ પોતાનાં નાટક ભજવવા માટે ગ્રાન્ટ રોડ પર વિક્ટોરિયા થિયેટર બંધાવ્યું હતું. 

પણ આ નાટક મંડળી સાથેનો કાબરાજીનો સંબંધ ઝાઝો ટક્યો નહિ. માલિકો સાથેના મતભેદને કારણે તેઓ છૂટા થયા અને ‘નાટક ઉત્તેજક મંડળી’ સ્થાપી. તેણે પહેલું નાટક ભજવ્યું તે કાબરાજીનું જ લખેલું ‘સૂડી વચ્ચે સોપારી.’ પણ તે ઝાઝું ચાલ્યું નહિ. કાબરાજીએ નક્કી કર્યું કે હવે પારસી નહિ પણ હિંદુ નાટક ભજવવું. એ જમાનાના જાણીતા નાટકકાર રણછોડભાઈ ઉદયરામ અને કાબરાજી મિત્રો. એટલે કાબરાજીએ તેમની પાસે નાટકની માગણી કરી. અને હરિશ્ચન્દ્ર નાટક રણછોડભાઈએ તેમને આપ્યું. મૂળ તમિળ નાટકના અંગ્રેજી અનુવાદનો રણછોડભાઈએ ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. રણછોડભાઈની પરવાનગી લઈને કાબરાજીએ નાટકમાં કાપકૂપ કરી, ગીતો ને નૃત્યો ઉમેર્યાં. ત્રણેક ગીતો રણછોડભાઈએ લખી આપ્યાં. કવીશ્વર દલપતરામનું એક પદ અને એક ગરબી ઉમેર્યાં, અને એક પદ કવિ નર્મદનું ઉમેર્યું. બાકીનાં ગાયનો કાબરાજીએ પોતે લખ્યાં. ખમાજ રાગની ઠુમરી પર અને પીલુ રાગમાં ગવાતી ગરબી પર નાચની તક ઊભી કરી. ૧૮૭૬માં રણછોડભાઈના અને પોતાના નામ સાથે આ નાટક છાપીને કાબરાજીએ પ્રગટ કર્યું. કાબરાજીએ ‘હરિશ્ચન્દ્ર’નાં રિહર્લસર શરૂ કર્યાં. એક બાજુથી ‘શુદ્ધ’ ગુજરાતી ગાવા-બોલવાની તાલીમ પારસી પોરિયાઓને આપતા જાય, બીજી બાજુથી વેશભૂષા, પડદા, સાધન-સામગ્રી એકઠી કરતા જાય. એટલું જ નહિ, એ બધાંનો ઉપયોગ કરવાની પારસી એક્ટરોને ટેવ પાડતા જાય. આ નાટક અંગે કાબરાજીને એટલો તો આત્મવિશ્વાસ કે ભજવવા માટે મુંબઈના ધોબી તળાવ પરની ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટની જગ્યા આખા એક વર્ષ માટે ભાડેથી મેળવી. અને ૧૮૭૪માં ખેલ શરૂ કર્યા. ખેલ વખતે દર્શકોની એટલી ભીડ થતી કે એ ઈમારતના દરવાજા ખેલ શરૂ થતાં પહેલાં અડધા કલાકે બંધ કરી દેવા પડતા. અને એ જમાનામાં એક વરસમાં તેના કેટલા પ્રયોગ થયા હશે? પૂરા અગિયાર સો. આ નાટકમાંથી ‘નાટક ઉત્તેજક મંડળી’ને એટલી કમાણી થઈ કે તેમાંથી તેણે ખાસ પોતાનાં નાટક ભજવવા માટે મુંબઈમાં ક્રાફર્ડ માર્કેટ પાસે નવું થિયેટર બંધાવ્યું. 

તેમાં પહેલું નાટક ભજવાયું તે રણછોડભાઈ ઉદયરામનું ‘નળ-દમયન્તી નાટક.’ આ નાટક જોવા માટે હિંદુ સ્ત્રીઓ બહુ મોટી સંખ્યામાં આવવા લાગી. પણ સાથે આવેલાં બાળકો રડતાં ત્યારે એક્ટરોને અને બીજા પ્રેક્ષકોને ખલેલ પડતી. એટલે નાટક કંપનીના કેટલાક ભાગીદારો કહે કે  બાળકોને સાથે લાવવાની મનાઈ ફરમાવીએ. પણ કાબરાજીએ જુદો રસ્તો લીધો. પહેલું તો બપોરે ખાસ ‘જનાના ખેલ’’શરૂ કર્યો અને એ વખતે પણ થિયેટરની લોબીમાં ઘોડિયાં મૂકાવ્યાં અને તેમાં સૂતેલાં બાળકોનું ધ્યાન રાખવા ખાસ માણસો રાખ્યા. તે પછી તો આ નાટકની લોકપ્રિયતા બેહદ વધી ગઈ. એટલે ત્રણ મહિના સુધી રોજે રોજ આ નાટક ભજવવું પડ્યું. ત્યાર બાદ આ જ થિયેટરમાં કાબરાજીએ કવિ નર્મદનું ‘રામજાનકીદર્શન’ નામનું નાટક કેટલાક ફેરફાર અને ઉમેરા સાથે ‘સીતાહરણ’ નામથી ૧૮૭૮માં ભજવવાનું શરૂ કર્યું. એ ખેલ વખતે ઘણા હિંદુ પ્રેક્ષકો ઊભા થઈને રામ-સીતાનાં પાત્રો ભજવનાર નટોને પગે લાગતા. 

પોતાના, નટોના, અને પોતાની નાટક કંપનીના સ્વમાનનો પણ કાબરાજી પૂરો ખ્યાલ રાખતા. એક વખત એક અમીરે પોતાના બંગલામાં નાટક ભજવવા આમંત્રણ આપ્યું. બધા ખર્ચ ઉપરાંત માત્ર એક ખેલ માટે એક હજાર રૂપિયા (એ વખતે ઘણી મોટી રકમ) આપવાની ઓફર કરી. બીજા ભાગીદારો તૈયાર હતા, પણ કાબરાજીએ કહ્યું કે આપણે કાંઈ મદારી નથી કે કોઈને ઘરે જઈને ખેલ કરીએ. આવું કરીએ તો ‘જેન્ટલમેન’ ખેલાડીઓની મંડળીને અને તેની મોભાદાર કમિટીને નીચાજોણું થાય. એટલે તેમણે વિનયપૂર્વક એ દરખાસ્તનો અસ્વીકાર કર્યો. થોડા વખત પછી વધુ મોટી મુશ્કેલી. નાટક ઉત્તેજક મંડળીની કમિટીના એક સભ્યને ઘરે લગ્નપ્રસંગે નાટક ભજવવા એ સભ્યે જણાવ્યું અને તે માટે ૫૦૦ રૂપિયા આપવાની તૈયારી બતાવી. ઘણા સભ્યોને થયું કે હવે કાબરાજી બરાબરના ફસાયા છે. પણ કાબરાજીએ દલીલો કરીને બહુમતિ સભ્યોને પોતાની સાથે લઈ લીધા અને આ આમંત્રણ પણ સ્વીકાર્યું નહિ.

ભલે આડકતરી રીતે, પણ કાબરાજીએ ભજવેલું હરિશ્ચન્દ્ર નાટક મુંબઈમાં બિન-પારસી ગુજરાતી રંગભૂમિના મંડાણનું નિમિત્ત બન્યું. મુંબઈની નિશાળોના કેટલાક ગુજરાતી મહેતાજીઓ – એ વખતે ‘શિક્ષક’ શબ્દ પ્રચલિત નહોતો થયો – હરિશ્ચન્દ્ર નાટકનો એક ‘સોલ્ડ આઉટ’ શો મેળવવા માટે નાટક ઉત્તેજક મંડળીના ફરામજી ગુસ્તાદજી દલાલ ઉર્ફે ‘ફલુઘૂસ’ પાસે ગયા. તેઓ દાયકાઓથી પારસી રંગભૂમિ સાથે સંકળાયેલા હતા, રણછોડભાઈના મિત્ર હતા. પણ સ્વભાવે આખાબોલા જ નહિ, કડવાબોલા અને તોછડા. મહેતાજીઓએ એક શો માટે ૩૦૦ રૂપિયા આપી શકશું એમ કહ્યું. ફરામજી કહે કે ૫૦૦ કરતાં એક દમડી બી ઓછી નહિ લઉં. મહેતાજીઓ કહે : એટલા બધા તો અમને ન પરવડે. ફલુઘૂસ તાડૂક્યા : ‘જા, જા, વાનિયા! તારે વેપલો કરવો હોય તો મૂક ૫૦૦ મારી ટેબલ પર, નહિતર નીચી મૂંડી કરી ચાલતો થા.’ આ સાંભળી નરોત્તમ નામના મહેતાજીને લાગી આવ્યું. કહે : ‘વાંધો નહિ. અમે અમારી હિંદુ નાટક મંડળી કાઢશું’. આ સાંભળી ફલુઘૂસ વધારે વિફર્યા : ‘અલ્યા વાનિયા! તું સ્ટેજ ઉપર એક ઉંદરડી સરખી પન ચલાવી નહિ સકે!’  

દુભાયેલા મહેતાજીઓ ગયા રણછોડભાઈ પાસે. કહે : મરાઠીમાં નાટક મંડળીઓ નાટક કરે, હિન્દી નાટકો ભજવાય, પારસી નાટક મંડળીઓ નિયમિત રીતે નાટકો કરે. તો ગુજરાતી નાટક મંડળી કેમ નહિ? રણછોડભાઈએ પહેલાં તો તેમને વારવાનો પ્રયત્ન કર્યો : ‘નાટક કરવાં એ કાંઈ ખાવાના ખેલ નથી. ના આવડે તો આ ધંધો, સમય, પૈસા ને આબરૂ ખોવાનો ધંધો બને.’ પણ મહેતાજીઓ અડગ છે તેવી ખાતરી થતાં રણછોડભાઈએ ૧૮૬૬માં પ્રગટ થયેલ પોતાના ‘લલિતા દુઃખદર્શક નાટક’ની પાંચ નકલ કબાટમાંથી કાઢીને મહેતાજીઓના હાથમાં મૂકી. કહે : ‘પહેલાં આ વાંચી જાવ. પછી મારી પાસે આવજો.’ નરોત્તમ મહેતાજીએ તરત જવાબ આપ્યો કે આ નાટક મેં ૬૫ વખત વાંચ્યું છે. બીજા, જયશંકર કહે કે મેં ૭૫ વાર વાંચ્યું છે. 

રણછોડભાઈને ખાતરી થઈ કે આ લોકો ખાલી વાતો કરતા નથી, મહેનત કરવા પણ તૈયાર છે. એટલે નવ કલાક ચાલે એટલા લાંબા નાટકમાં કાપકૂપ કરીને તેને પાંચ કલાકનું બનાવ્યું. ૧૮૭૮ના જૂનની પાંચમી તારીખે રણછોડભાઈના આશીર્વાદ સાથે ‘ગુજરાતી નાટક મંડળી’ની સ્થાપના થઈ. મુંબઈની આ પહેલી બિન-પારસી ગુજરાતી નાટક મંડળી. લલિતા દુઃખદર્શકનું દિગ્દર્શન કરવાની જવાબદારી પણ રણછોડભાઈએ ઉપાડી. નાટક મંડળીઓ સાથે કાબરાજી જે શરત કરતા તે જ શરત રણછોડભાઈએ પણ કરી : પહેલો પ્રયોગ માત્ર આમંત્રિતો માટે. તેમને પસંદ પડે તો જ જાહેર પ્રયોગ. ગ્રાન્ટ રોડ પરના વિક્ટોરિયા થિયેટરમાં પહેલો પ્રયોગ થયો તે આમંત્રિતોને ખૂબ પસંદ પડ્યો. રાતે આઠ વાગે શરૂ થયેલો ખેલ વહેલી સવારે સાડા ત્રણે પૂરો થયો. પછી તો ગુજરાતી નાટક મંડળીએ તેના ૯૦ જેટલા પ્રયોગ કર્યા. આપણે ત્યાં એક એવો ખ્યાલ વહેતો થયો છે કે ‘જૂની રંગભૂમિ’ એટલે ભાંગ વાડી અને દેશી નાટક સમાજ. પણ હકીકતમાં આ ગુજરાતી નાટક મંડળી દ્વારા બિન—પારસી ‘શુદ્ધ’ ગુજરાતી નાટક મંડળીઓની શરૂઆત થઈ.

૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસની સ્થાપના થઈ ત્યારે કાબરાજી તેના પ્રશંસક હતા. પણ પછી ધીમે ધીમે કાઁગ્રેસ વિરોધી અને બ્રિટિશ સરકાર તરફી બની ગયા. છતાં ગાંધીજી તેમને મળવા જતા. ૧૯૪૫માં આગાખાન જેલમાંથી છૂટ્યા પછી ગાંધીજી નબળી તબિયતને કારણે આરામ કરવા એક મહિનો પાંચગણી રહેલા. ત્યાંની બાથા સ્કૂલમાં કાબરાજીનાં પૌત્રી જરબાનુને મળવાનું થયું. ત્યારે ગાંધીજીએ કહેલું : “કાબરાજી તો એડિટર હતા, અને મેં તો બધા એડિટરોની સીડી ભાંગેલી. તે વેળા મારી કિંમત હતી બદામની. ‘મહાત્મા’ તો પાછળથી થયો – એ તો બધા ઢોંગ. કાબરાજી સરકાર પક્ષના હતા પણ પાછળથી મારી ઉપર જરા પ્રસન્ન થયેલા.” પછી કહે : “એક વાર કાબરાજીની દીકરીઓએ મુંબઈમાં ‘બોલે તેનાં બોર વેચાય’ ગીત ગાયેલું તે ગીત હજી મારા કાનમાં ગણ ગણ ગણ ગણ થઈ રહ્યું છે. તે તમને આવડે છે?” સારે નસીબે જરબાનુએ વડીલો પાસેથી આ ગીત સાંભળેલું. એટલે તે જ દિવસે સ્કૂલની થોડી છોકરીઓને તૈયાર કરાવી બીજે દિવસે સવારની પ્રાર્થના સભામાં ગવડાવ્યું. ‘સ્ત્રીબોધ’ના ૧૯૪૫ના સપ્ટેમ્બર-ઓક્ટોબર અને નવેમ્બર, એમ બે અંકમાં પ્રગટ થયેલા ‘પાંચગણીમાં મહાત્માજી’ લેખમાં જરબાનુ લખે છે : “આ ગીત જે રીતે અમે ગાયું તે કાંઈ બાપુજીને પસંદ પડ્યું નહિ. કહેવા લાગ્યા કે “તે બહેનો તો સરસ ગાનારી હતી. એ ગીતનો રાગ તો ઊંચે જાય છે. પણ હું કંઈ તમારા ગાયનની ટીકા કરવા નથી માગતો.”   

કાબરાજીના અવસાન પછી કવિ અરદેશર ફરામજી ખબરદારે લખ્યું :

લેખકનો સરદાર ગયો, નિજ લેખણની તલવાર ચલાવી;

કોણ હવે સરદારી ધરી રણમાંહે રહે અતિ શૌર્ય મચાવી!

બંધ થયો મધુ વાણીપ્રવાહ, ગયો કહિ અમૃતપાન કરાવી? 

કેખુશરો! લઇ તેજ ગયો, અમ માટ રહી અહિ વાટ અંધારી.  

E.mail :  deepakbmehta@gmail.com
પ્રગટ : “ઊહાપોહ:૨”; જુલાઈ–સપ્ટેમ્બર 2025 

Loading

...102030...37383940...506070...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved