Opinion Magazine
Number of visits: 9552439
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિતોના મસીહા: ભાષા, જાતિ, ધર્મની વિવિધતાને બંધારણમાં વણી

સનત મહેતા|Opinion - Opinion|19 April 2015

હજારો વર્ષ જૂની વેદનાઓ, મરેલાનાં રુધિર અને જીવતાનાં આંસુડાની પરવા કરનારા ‘મૂકનાયક’

14મી એપ્રિલ 2015ના રોજ ભારતના બંધારણના ઘડવૈયા, હજારો વરસો સુધી અમાનવીય જીવન જીવવાની વિવશતા ભોગવનારા કરોડો દલિતોના હામી અને પોતાનું સમગ્ર જીવન એમના માટે અર્પણ કરનાર બાબાસાહેબ આંબેડકરનો 125 જન્મદિન ઉજવાયો. શાસન પરની સરકારોએ દલિતોને અવનવી લલચાવનારી યોજનાઓ જાહેર કરી સાથોસાથ પોતાની તસવીરો છપાવી. રોજિન્દી સરકારીછાપ ઉજવણી કરી લીધી. સમાજના પ્રેરક આગેવાનો તરીકે દલિતો તરફના હિન્દુ સમાજના અમાનવીય વલણના પ્રાયશ્ચિતરૂપે અસ્પૃશ્યતા નાબૂદ કરવા સૌથી મોટો પ્રયાસ ગાંધીએ કર્યો અને એવો જ મોટો પણ, પોતે મહાર હતા એટલે જિંદગીમાં આ વેદના વેઠી અસ્પૃશ્યતા સામે જેહાદ આંબેડકરે જગાવી પ્રયાસ કર્યો. કોઈને ગમે કે ન ગમે; પણ ભારતના આ અમાનવીય વલણ સામે રાજકીયપક્ષ તરીકે અઠ્ઠાસી વરસ પૂર્વે, 1927માં કોંગ્રેસે સૌથી પહેલા, અસ્પૃશ્યતા નિવારણનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. ત્યારે એ સમયે પ્રવર્તતી, રૂઢિચૂસ્તતાની બોલબોલાના માહોલમાં, ન્યાય અને સદ્દભાવનાની દૃષ્ટિએ પ્રસ્તાવને સ્વીકારવા વિનંતી કરી હતી.

આના બીજ તો 1852માં વવાયા હતા. જ્યારે જ્યોતિબા ફૂલેએ પૂનાના નાનાપેઠના ભોકરવાડીમાં મહાર માંગ બાળકો માટેની શાળાનો પોતાના ઘરમાં પ્રારંભ કર્યો હતો. મહાત્મા જ્યોતિબા ફૂલે પછી, શિવરામ કાંબળે; વિઠ્ઠલ રામજી શિન્દે, કોલ્હાપુરના શાહુ મહારાજ, વડોદરાના સયાજીરાવ ગાયકવાડ અને મોહનદાસ ગાંધીએ દોર મજબૂત બનાવ્યો. 1920માં બાબાસાહેબ અભ્યાસ પૂરો કરી િસડનહામ કોલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા અને તા. 31-3-1920ના દિવસે અસ્પૃશ્યોના દુ:ખ અને વેદનાને વાંચા આપવા “મૂકનાયક’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. “મૂકનાયક’ સાપ્તાહિક શરૂ કરી આંબેડકરે કર્તવ્યપથ પર પ્રયાણ શરૂ કર્યું.

ત્રણ મહિનામાં, 21 માર્ચ 1920ના રોજ કોલ્હાપુર રાજ્યના માણગાંવમાં કોલ્હાપુરના રાજા છત્રપતિ શાહુ મહારાજના નેતૃત્વમાં અસ્પૃશ્યોની પરિષદ યોજાઈ. પરિષદના અધ્યક્ષપદેથી આંબેડકરે પોતાના પ્રવચન દ્વારા દલિતોના ઉદ્ધારનો નવો માર્ગ બતાવ્યો. બાબાસાહેબનું પ્રભાવી પ્રવચન સાંભળી શાહુ મહારાજને એટલો અાનંદ થયો કે, એમણે કહ્યું કે – “હવે અસ્પૃશ્ય સમાજને એનું દુ:ખ સમજનારા સાચા નેતા મળ્યા છે. હવે આ પછી અસ્પૃશ્ય સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનવાનું છે.’ બન્યું પણ એમ જ. આંબેડકરે રૂઢિચુસ્ત સમાજના ભાર નીચે દબાયેલા દલિત સમાજમાં સ્વાભિમાન અને મહત્ત્વકાંક્ષા જગાડવા અને પોતાના હક્ક માટે જાગૃત થવા હાકલ કરી. બ્રિટિશરોએ યોજેલી ગોળમેજી પરિષદ અને આગળ જતાં ગાંધી સાથેનો વિવાદ અને ગાંધીજીના 21 દિવસના ઉપવાસ જેવી કટોકટીઓ આવીને ગઈ પણ બાબાસાહેબ ક્યારે ય ન ઝૂક્યા. ઘણાએ એના વિવિધ અર્થઘટન કર્યાં છતાં મૂળ હકીકત એજ રહી કે, ગાંધી અને આંબેડકર દલિતોને ન્યાય આપવા ઝઝૂમનાર બે સર્વોચ્ચ નેતા બની ગયા.

આંબેડકરને સમજવા એમના ગુરુ અને તેમના વિચારોને સમજવા પડે. આંબેડકરના ત્રણ ગુરુ હતા. એક બુદ્ધ; બીજા જ્યોતિબા ફૂલે અને ત્રીજા કબીર. અસ્પૃશ્યતા માટે ગાંધી વારંવાર લડતા ત્યારે ખુદ કોંગ્રેસમાં એવો વર્ગ હતો કે, જે ગાંધીજીને આના કારણે સ્વરાજના આંદોલન નબળું પડી જશે એવો ડર બતાવતા, પણ ગાંધી તો પોતાના વિચારમાં સ્પષ્ટ હતા. એમને અસ્પૃશ્યતા પ્રવર્તતી હોય એવું સ્વરાજ મંજૂર નહોતું. 1945માં તો આંબેડકરે, ‘What Congress and Gandhi have done to the Untouchables?’ પ્રગટ કરી ગાંધી અને કોંગ્રેસ આંદોલન પર હુમલો કર્યો પણ છતાં ય ગાંધીએ કોઈ જવાબ ન વાળ્યો. એથી ઊલટું 1947 અને 1948માં ન ધારેલું બન્યું. ગાંધી, આંબેડકર, સરદાર અને વડાપ્રધાન જવાહરલાલ નેહરુ વચ્ચે સંબંધ બંધાયો.

પરિણામે આંબેડકર સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળના સભ્ય બન્યા અને એ પછી આંબેડકરના નેતૃત્વમાં ભારતનું બંધારણ ઘડાયું. ગાંધીના મનમાં આંબેડકરની અસ્પૃશ્યો તરફની લાગણી અને વેદનાઓમાંથી જન્મેલી ઉત્કૃષ્ટ સમાનતાની ભાવનાને બંધારણમાં વણી લેવાની ઈચ્છા હતી. ગાંધી, નેહરુ અને સરદારની ત્રિપુટીને ભારતના બંધારણના ઘડતરમાં સમાનતા, બંધુત્વ અને પ્રત્યેક ભારતવાસીને પોતાની સ્વતંત્રતા મળે એવી ઈચ્છા હતી. આંબેડકરે પણ ભારતની ભાષા, જાતિ, ધર્મ જેવી વિવિધતાને સંકોરી વિવિધતામાં એકતાને બંધારણમાં વણી લીધી.

કુદરતનો કરિશ્મા તો એ છે કે, 1946ના ડિસેમ્બરમાં મ્યુરીએલ લેસ્ટર જેઓ ગોળમેજી પરિષદ વખતે ગાંધીજીની યજમાન હતા તેમણે બાબાસાહેબને સંકેત આપ્યો કે, કોંગ્રેસ આંબેડકરને કેન્દ્રીય પ્રધાનમંડળમાં સામેલ કરી એમની વિદ્વતા અને નેતૃત્વનો ઉપયોગ કરે. સમય વીતે છે તેમ આંબેડકરની સ્મૃિત વધુને વધુ વ્યાપ્ત થતી જાય છે. છેલ્લે આંબેડકર હિન્દુ તરીકે મરવા નહોતા ઈચ્છતા એટલે બૌદ્ધ બની ગયા. જ્યોતિબા ફૂલેનો શિક્ષણ પ્રયાસ; બુદ્ધનો ધર્મ અને સંઘને જોડવાનો વિચાર અને કબીરની સમરસતા સ્થાપવા બાબાસાહેબ સદાય યાદ રહેશે.

સનત મહેતા લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.

સોજન્ય : “દિવ્ય ભાસ્કર”, 16 અૅપ્રિલ 2015

Loading

ઘટના અને અર્થઘટન – સ્ત્રીની આંખે

સોનલ શુક્લ|Opinion - Opinion|19 April 2015

ઉષાબહેન ત્રિવેદીએ 12 અૅપ્રિલ 2015ના રોજ, ટૂંકી માંદગીમાં ચિર વિદાય લીધી. મુંબઈના ગામદેવી વિસ્તારના લેબરનમ રોડ પરે આવેલા ‘મણિ ભવન’ ગાંધી સંગ્રહાલયના મકાનમાં, ભોંય તળિયે સમૃદ્ધ પુસ્તકાલય અને વાંચનાલય છે, અને ઉપરને માળે ખૂબ કાળજીએ ઊભું કરેલું એક ઉત્તમ સંગ્રહાલય છે. આ પુસ્તકાલયનાં પહેલાં ગ્રંથપાલ તરીકે ઉષાબહેન હતાં. એમણે આ પદે રહી 1958થી 1996 સુધી અનેરી સેવા આપી. સન 1996થી એ મણિ ભવન સંસ્થાના એક ટૃસ્ટી હતાં.

પાંચ દાયકા ઉપરાંતનો નિજી પરિચય. 1962થી મુંબઈ હતો. કૉલેજ-કાળ વેળા ગામદેવીમાં જ અને તેથી મણિ ભવનમાં નિયમિત જવાને કારણે ઉષાબહેન જોડે ય નજીકનો સંબંધ બંધાયો. આ પુસ્તકાલયમાંથી પુસ્તકો, સામયિકો બહુ નિરાંતે જોયાં છે, વાંચ્યાં છે. એ દિવસોમાં દર શુક્રવારે સાંય પ્રાર્થના થતી. ગણપતિશંકરભાઈ દેસાઈની આગેવાનીમાં કલાકેક બંદગી થતી. ત્યારે પિનાકિન ત્રિવેદી પણ હાજર રહેતા અને ભાવવાહી કંઠે સરસ હલકારે ભજન ને ધૂન પણ ગાતા. શાંતિનિકેતનમાં પિનાકિનભાઈ સંગીત શીખેલા. એમણે કાવ્યો ય રચ્યાં છે અને વિનોબાજી જોડે પદયાત્રામાં ય સામેલગીરી કરેલી છે. એમના આ દીકરી ઉષાબહેન, મારા માટે ય ભાવ રાખતાં. છેવટે, દાયકા પહેલાં, એક મિલનમાં પધારેલાં અને ભાવપૂર્વક શાલ ઓઢાડીને વિદાય થયાં હતાં.

મણિ ભવનમાં, એ દિવસોએ, વખતોવખત, શાંતિલાલ શાહ, વી,એસ, પાગે, ભારદેજી, મુકુન્દરાવ ચૌધરી, રફીક ઝકરિયા જેવા રાજકારણી આવતા, તો આલૂબહેન દસ્તૂર, ઉષાબહેન મહેતા, હિમ્મત ઝવેરી, જેવાં જેવાં અનેક કર્મશીલો ય આવતાં રહેતાં.

વારુ, થોડાંક વરસો પહેલાં, સોનલબહેન શુક્લનો આ લેખ “મુંબઈ સમાચાર”માં પ્રગટ થયેલો. ઉષાબહેનનાં સ્મરણોને વાચા આપતી ચોપડી લેખમાં કેન્દ્રસ્થાને છે. “જન્મભૂમિ પ્રવાસી”માં ઉષાબહેન ત્રિવેદીએ એમનાં સંભારણાં રૂપે એક લેખશ્રેણી આપી હતી. એ લેખોને આધારે તૈયાર થયેલું આ અંગ્રેજી પુસ્તક છે. આશા રાખીએ કે આ મૂળ ગુજરાતી લેખોની હવે ચોપડી પણ થાય.

િદવંગત ઉષાબહેન ત્રિવેદીને આપણી  દિલ્લી વિદાય વંદના હજો.

− વિપુલ કલ્યાણી

•••••••

“કેમ મને નવું રજિસ્ટર આપો છો? શું હું પહેલો મુલાકાતી છું? મને સામાન્ય મુલાકાતીઓ માટેનું રજિસ્ટર આપો. હું એમાં જ સહી કરીશ.”



— જવાહરલાલ નહેરુ



"જો ગાંધીજી એર કંડિશન્ડ રૂમ કે લિફટ વગરના આ મકાનમાં રહી શકે તો હું અને મારા પત્ની શું કામ નહીં ?”



— માર્ટિન લ્યુથર કિંગ જુનિયર



આવી અનેક અણજાણીતી માહિતી પ્રગટ થાય છે એક દસ્તાવેજમાં. ‘મણિ ભવન’ એટલે કે મુંબઈમાંના મહાત્મા ગાંધીના નિવાસસ્થાનની કથા પ્રગટ કરે છે. પાંચ હજાર વર્ષના લાંબા ઇતિહાસવાળા આપણા દેશમાં છેલ્લાં પચાસ વર્ષનો ઇતિહાસ ભુલાઈ જતો હોય છે. મણિભવન ગાંધી સંગ્રહાલયના કર્મનિષ્ઠ ભૂતપૂર્વ લાઈબ્રેરિયન ઉષા એસ. ત્રિવેદી એમના પોતાના મણિભવન સાથેનાં પચાસ વર્ષનાં સંસ્મરણોમાં આવી કેટલીયે વાતોનું દસ્તાવેજીકરણ કરે છે, જે આ સંસ્થાના ઇતિહાસ માટે અતિશય મહત્ત્વનું રહેશે. માત્ર ત્રેંસઠ પાનાનું મણિભવન ગાંધી સંગ્રહાલય આ પ્રકાશન અંગ્રેજીમાં છે પણ એનો દરેક ભાષામાં અનુવાદ થાય તે સારા એવા ભંડોળવાળી ગાંધીજીના નામ સાથે જોડાયેલી સંસ્થાઓએ જોઈ લેવાની આવશ્યકતા છે. ઉષાબહેન આજે પણ મણિભવનથી અળગાં થયેલાં નથી. ત્યાંના મહત્ત્વના પ્રસંગો કે કાર્યક્રમો વખતે તો એ જરૂર તમને જોવા મળે. ૧૯૫૮માં યુવાન અને નવાસવા લાઇબ્રેરિયન તરીકે એમણે મણિભવનમાં પ્રવેશ કર્યો ત્યાર પછીના અડધા દાયકાની કથામાં લેખક આ હોદ્દા ઉપરના અને ત્યાર પછીના ગાળાની વાત ભાવનાત્મક તેમ જ માહિતી પ્રચૂરતા સાથે રજૂ કરે છે. એમની કરિયર અને મણિભવનની લાઈબ્રેરીનો ઇતિહાસ સાથોસાથ ચાલે છે.



‘પેલા પરદેશીઓ જાય છે ત્યાં જવાનું છે ને! રસ્તો મને ખબર છે.’ ચર્ચગેટ વિસ્તારમાંથી મણિભવન જવા નીકળનાર મુલાકાતીઓને હજી ગયા અઠવાડિયે જ એક ટેક્સીવાળાએ કહ્યું. આપણા શિક્ષિત જડભરતોને લાઈબ્રેરીઓ અને મ્યુિઝયમોને કેટલીક પડી હોય? ટૂરિસ્ટો માટેની મુંબઈમાં જોવાલાયક સ્થળોની યાદીમાં ગાંધી સંગ્રહાલયનું નામ હોય એટલે હાથમાં ચોપડી લઈ શોધતાં આવે, જેમ મહાલક્ષ્મી મંદિર અને ધોબીઘાટ જાય તેમસ્તો. અલબત્ત, કેટલાંક ગાંધીજીના નામથી અજાણ નથી. દેશીવિદેશી અભ્યાસીઓ તો આવે, આવે અને આવે જ. આ લોકોને હંમેશાં ત્યાંની લાઈબ્રેરી અને લાઈબ્રેરિયન યાદ રહી ગયા હશે. કમ્પ્યુટરોએ વર્ગીકરણ અને દસ્તાવેજ કે પુસ્તકપ્રાપ્તિ સરળ બનાવ્યાં તે અગાઉ પણ ચીવટથી આધુનિક લાઈબ્રેરિયનોએ લાઈબ્રેરીઓનો ઉપયોગકર્તાઓને સવલત આપવા ઘણું કામ કરેલું છે. સૌ પહેલાં તો એ કે દાયકાઓથી હવે લાઈબ્રેરી એટલે ગ્રંથાલય કે ગ્રંથભંડાર નથી રહ્યા પણ એમાં દસ્તાવેજો, સામયિકો, ફોટા, ફિલ્મો અને રમતો સુધ્ધાં હોય છે. બીજું કે લાઈબ્રેરીના પોતાના કાર્યક્રમો હોય છે જેમાં તેઓ વાચકો અને સામાન્ય જનતા સુધી પહોંચી શકે. મણિભવન પાસે જે કાંઈ ગાંધીજીને લગતાં પુસ્તકો હતાં તેમાંથી એક લાઈબ્રેરી ઊભી કરવાનું સદ્દભાગ્ય લેખકને પ્રાપ્ત થયું. લાઈબ્રેરીનું ઉદ્દઘાટન કરવા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ પોતે આવ્યા. એ પોતે બે માળ ચડી ન શકે એટલે એમને ખુરશીમાં બેસાડી ચાર જણે લઈ જવાના હતા. મુંબઈ રાજ્યના શિક્ષણમંત્રી અને મણિભવન સ્થિત સંસ્થાના અધ્યક્ષ શાંતિલાલ શાહે પોતે ખુરશીમાં બેસી ચાર જણને પ્રેક્ટિસ કરાવી કે ભૂલચૂક વગર ખુરશી કેવી રીતે ઉપર ચડાવાય. પ્રાઈવેટ મુલાકાતે આવી ચડેલા જવાહરલાલ નહેરુ તસવીર પ્રદર્શનમાં એક છબી આગળ ક્ષણવાર ઊભા રહી જાય છે ને કહે છે, ‘આ ફોટામાં છેલ્લે દેખાય છે તે કોણ છે, ખબર છે? એ મારાં પત્ની કમળા છે.’ આજ મકાનમાં નહેરુની કેટકેટલી સ્મૃિતઓ જળવાઈ હશે? આમ તો રસ્તાના નામ બદલી પોતાના પરિવારની કે પોતાને પ્રિય વ્યક્તિઓનાં નામ મુકાવવા પડાપડી થતી હોય છે પણ એ બધામાં રસ્તા પરનાં લેબરનમ વૃક્ષો અને તે ઉપરથી પહેલું નામ લેબરનમ માર્ગ જળવાઈ રહ્યા છે તેનું કારણ ગામદેવીમાં આવેલું એક નાનકડું લાલ મકાન મણિભવન એક હેરિટેજ છે, જાળવવા માટે રાખવાનો સૌને મળેલો વારસો છે. આસપાસ બંગલા તૂટીને બહુમાળી ઈમારતો થઈ છે અને થતી જાય છે પણ મણિભવન અકબંધ છે અને વીતેલા સમયના મુંબઈની નિશાની છે.



એ વાત સાચી કે મણિભવનની લાઈબ્રેરી વિશેષ અભ્યાસ માટેની લાઈબ્રેરી છે. ગાંધીજી તેમ જ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ વિષયો ઉપર કામ કરનારને માટે એ ખાસ ઉપયોગી છે, પરંતુ એ લાઈબ્રેરી સ્કોલરો પૂરતી મર્યાદિત રહેતી નથી. લેખક મણિભવન દ્વારા યોજાતી વિદ્યાર્થીઓ માટેની નિબંધ, કવિતા વગેરેની ગાંધીજી વિશેની સ્પર્ધાઓનો ઉલ્લેખ કરે છે. લેખકની ખૂબી છે કે જેટલા ઉત્સાહથી એ આચાર્ય કૃપલાણી કે જયપ્રકાશ નારાયણ જોડેના અનુભવો વર્ણવે છે એટલા જ ઉત્સાહ અને આનંદથી આ બાળકો કે કિશોર – કિશોરીઓ સાથેનાં શિબિરો કે સ્પર્ધાઓ વર્ણવે છે. એમને દિલ્હી જવાનું આમંત્રણ મળ્યું અને લેખક જોડે ગયા તે સૌ પણ એમને માટે અમૂલ્ય આનંદનો પ્રસંગ છે. પંદર વીસ હજાર વિદ્યાર્થીઓ અને અઢીસોત્રણસો શિક્ષકો અને વિખ્યાત વ્યક્તિઓ ગાંધીદિન નિમિત્તેના કાર્યક્રમોમાં ભાગ લે છે. આવા એક કાર્યક્રમમાં એક છોકરાએ કવિતાના પઠનને બદલે એ ગાઈને સંભળાવી. બહુ સરસ એણે ગાયેલું અને ઈનામ જીતેલો. એક વાર એક મોટા કાર્યક્રમમાં હવે યુવાન બનેલો ગાયક એમની પાસે આવ્યો અને નમન કરીને એણે પૂછ્યું, ‘મને ઓળખ્યો?’ લેખકે ઓળખ્યો. એ હતો ઘરાણા/રૂપકુમાર રાઠોડ. જામનગરના ઓછા જાણીતા ઘરાણાના ગાયકગુરુ ચત્રભુજ રાઠોડનો ફેલોશીપ હાઈસ્કૂલમાં ભણેલો દીકરો અને નદીમ – શ્રવણમાંના શ્રવણકુમારનો નાનોભાઈ.



ગાંધી વિચારને અનુરૂપ સંસ્થાઓ જોડે મળીને મણિભવન ગાંધી સંગ્રહાલય કામ કરે છે. અહીં છ કલાકની લાંબી દસ્તાવેજી ફિલ્મના નિર્માણનું કામ કઈ રીતે થયું, પોતાની ફિકશન ફિલ્મ ‘ગાંધી’ માટે અભ્યાસ કરવા રિચાર્ડ એટનબરો આવ્યા તે સાથે દસ્તાવેજો એકઠા કરી વિઠ્ઠલભાઈ ઝવેરીએ કઈ રીતે કામ કર્યું અને ગાંધી મ્યુિઝયમનું પણ સર્જન કર્યું તેની માહિતી મળે છે. આપણા સાંસ્કૃિતક વારસાને સમજવા માટે જરૂરી છે કે કેટકેટલા જાણીતા અને વગર જાણીતા લોકોએ પૂરા મહેનત, પ્રતિબદ્ધતા અને સમર્પણ દ્વારા આ સંસ્થાનું સર્જન કર્યું છે. એકેનું નામ રહી ન જાય તેની લેખકે કાળજી લીધી છે; નથી લીધી માત્ર પોતાની બડાઈ હાંકવાની. એ માટે વાચકો એમના કૃતજ્ઞ રહેશે. લખાણમાંથી એક પ્રકારની સજ્જતા સાથેની, જાણકારીની વિનમ્રતા પ્રગટ થાય છે. માત્ર એક જ વાર લખે છે કે એમના પિતા પિનાકીન ત્રિવેદીનો એમને સાથ હતો. મણિભવન એ તો આમ પણ પિનાકીનભાઈનું આરાધ્ય સ્થાન, રવીન્દ્રનાથના વિદ્યાર્થી પૂરા દેશપ્રેમથી રંગાયેલા હતા. કેવળ નિઃસ્વાર્થી વિદ્વાનના ચહેરા પર જ ઝળકે તેવા એમના સ્મિતની ઝલક લેખક ઉષાબહેન એસ. ત્રિવેદીના ચહેરા ઉપર જોવાની તક મણિભવનની લાઈબ્રેરી વાપરી ચૂકનાર અને ઉષાબહેનના નિષ્ણાત માર્ગદર્શન અને સહાય લેનારને મળી ચૂકી હશે.



પુસ્તકમાં પ્રુફ રીડિંગ ફરી કરવાની જરૂર છે પણ તે આવનાર આવૃત્તિઓમાં થઈ જશે એમ આશા રાખીએ, તે સિવાય તો આ પ્રકાશન માટે મણિભવનના વહીવટકારોને અભિનંદન.

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=62372

Loading

Fair & Ugly : રાધા ક્યું ગોરી, મૈં ક્યું કાલા ?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 April 2015

ફેર અને લવલી ક્રીમનો પહેલો ખરીદદાર કદાચ કૃષ્ણ હોત !

ઓ…કે, ગેટ ધીસ સ્ટ્રેઇટ, રાજીવ ગાંધીએ કોઈ નાઇજિરિયન મહિલા સાથે શાદી રચાવી હોત, અને એનો રંગ ગોરો ન હોત, તો કોંગ્રેસે એનું નેતૃત્વ ન સ્વીકાર્યું હોત, એવું મોદી સરકારના મંત્રી ગિરિરાજસિંહ જ નહીં, આ દેશની બહુમતી આમ જનતા પણ માને છે. ફર્ક એટલો છે કે ગિરિરાજ અને શરદ યાદવ જેવા નેતાઓ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો ઉપયોગ કરીને બેવકૂફીની સાબિતી આપે છે, જ્યારે આપણા જેવા મેંગો પીપલ, ડિપ્લોમેટિક સાયલન્સ પાળીને, ‘ગોરી, સુંદર, ઊંચી અને નાક-નકશાવાળી’ કન્યાવાળી ટચૂકડી જાXખની ખાક — છાનીએ છીએ.

બૂમાબૂમ થઈ એટલે ગિરિરાજસિંહે ‘અગર સોનિયાજી યા રાહુલજી કો બુરા લગા હો તો’ કહીને માફી માગી લીધી. સોનિયાજી તો કંઈ બોલ્યાં નહીં (અને રાહુલજી તો અજ્ઞાતવાસમાં મૌન ધારણ કરીને ચિંતન કરી રહ્યા છે, પણ જેમને ‘બૂરુ’ લાગવા જેવું હતું, એ નાઇજિરિયન હાઇ કમિશનર બોલ્યા, ‘નાઇજિરિયન પ્રજાનું અપમાન થયું છે અને અમે સરકારને લાગણી પહોંચાડીશું.’

બીજા નંબરે જો કોઈએ ‘બૂરુ’ માનવા જેવું હોય, તો અમે અને તમે મેંગો પીપલ છીએ, જેમણે સોનિયા ગાંધીને સતત વોટ આપીને સત્તાના સિંહાસન પર બેસાડ્યાં છે. ગિરિરાજના અનાડી વિધાનમાં સચ્ચાઈ છે. આપણે બધા જ ઘાતકી રીતે રંગભેદી છીએ. ભારતમાં બેડરૂમથી લઇને બોર્ડરૂમ સુધી, કાળી ચામડી પ્રત્યે ભેદભાવ એકદમ સ્પષ્ટ છે. 2009માં અમુક મહિલાઓએ ‘ડાર્ક ઇઝ બ્યૂિટફુલ’ નામના સંગઠનની સ્થાપના કરી હતી. ચાર વર્ષ પછી, એમાં જોડાયેલી અભિનેત્રી નંદિતા દાસ કહે છે, ‘આપણે ત્યાં કાળા રંગને લઈને હીણ ભાવના છે. હું પોતે શ્યામ છું અને બચપણથી જ મને એ અહેસાસ કરાવવામાં આવતો હતો કે મારા રંગમાં કંઈક કમી છે.'

આપણે ત્યાં ગોરો રંગ સુંદરતાનો પર્યાય છે. તમે સવારે છાપાં ખોલો, બ્યૂટી મેગેઝિન ઉથલાવો, ટીવી સીરિયલ જુઓ કે સિનેમા જોવા જાવ, એ લોકો કોઈ ને કોઈ રીતે સતત એનો અહેસાસ કરાવતા રહે છે કે તમારી સુંદરતા પર્યાપ્ત નથી. બોલિવૂડની સચ્ચાઈ એ છે કે મિથુન ચક્રવર્તી હોય કે રેખા, કલાકારોને ગોરા બનાવીને પરદા પર પેશ કરવામાં આવે છે. માઇકલ જેક્શનની શોહરત જ બ્લેક મ્યુિઝકની દુનિયામાંથી આવી હતી, પણ એની પાસે સાંબેલાધાર પૈસા આવી ગયા, એટલે એ દવાઓના સહારે ગોરો થઈ ગયો.

ભારતમાં કાળી ચામડીને ગોરી બનાવતી ફેરનેસ ક્રીમનો કારોબાર 2,200 કરોડનો છે. એક્ટર શાહરરુખ ખાને પુરુષો માટેની ફેરનેસ ક્રીમ પણ લોન્ચ કરી છે. એની પાછળ એ હકીકત છે કે સ્ત્રીઓ માટેની પ્રખ્યાત ક્રીમ ફેર એન્ડ લવલીના કુલ વેચાણમાંથી 30 પ્રતિશત પુરુષ ખરીદદાર છે. કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીનું પૂરું જોર સંસારની હરેક છોકરીને ગોરી અને સેક્સી બનાવવા ઉપર છે. તમે કોઇ એવી ક્રીમ જોઈ છે, જે ગોરી ચામડીને કાળી બનાવે અને એની જબ્બર ડિમાન્ડ હોય? એ એન્ડ એમ નામની પત્રિકાએ વર્ષો પહેલાં એક સર્વેમાં કહેલું કે ગોરી ક્રીમોની સૌથી વધુ ડિમાન્ડ દક્ષિણ ભારતમાં છે. બે-ત્રણ વર્ષ પહેલાં બજારમાં સ્ત્રીના પ્રાઇવેટ પાર્ટને ગોરા બનાવવા માટેની ક્રીમ પણ આવી હતી.

દિલ્હી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રી જાનકી અબ્રાહમ કહે છે કે, ‘પારંપરિક જાતિવાદમાં ગોરી ત્વચાને ઊંચો દરજ્જો મળ્યો છે, કારણ કે બ્રાહ્મણો ગોરા રંગના હતા. બ્રિટિશરો ભારતમાં આવ્યા એટલે ગોરો રંગ સત્તા અને તાકાત સાથે જોડાઈ ગયો.’ સમાજવાદી રામમનોહર લોહિયા કહેતા હતા કે સૌંદર્યની વ્યાખ્યા વિકૃત રાજનીતિમાંથી આવી છે. ગોરી ચામડીવાળા યુરોપિયનો પાસે દુનિયાની જેટલી સત્તા અને સમૃદ્ધિ હતી એટલી શ્યામ રંગી પ્રજા પાસે રહી નથી. લોહિયા લખે છે, ‘અગર આફ્રિકાની નિગ્રો જાતિએ ગોરાઓની જેમ દુનિયા પર રાજ કર્યું હોત, તો સ્ત્રીઓની સુંદરતાની પરખ જુદી રીતે થઈ હોત.’

રંગોની રાજનીતિ, આપણી જાણ બહાર બચપણથી જ શરૂ થઈ જાય છે. તમે અને હું એવાં કોમિક્સ વાંચી-જોઈને વયસ્ક થયા છીએ, જેમાં બધા જ દેવ ગોરા યા ગુલાબી હતા અને બધા જ દાનવો શ્યામ હતા. જે સારું છે, સુંદર છે, શ્રેષ્ઠ છે તે ગુલાબી છે અને જે બદત્તર છે, બદસૂરત છે, કનિષ્ઠ છે તે શ્યામ છે. ઇન્દ્ર, બ્રહ્મા અને દુર્ગા ફૂલગુલાબી છે. વિષ્ણુ, રામ અને કૃષ્ણ (શ્યામ નહીં) ભૂરા છે.

આપણે કૃષ્ણના શ્યામ રંગમાં ય બ્લૂ રંગ જોઈએ છીએ (કારણ કે ભૂરો રંગ દિવ્યતાનો, આકાશનો રંગ છે) તે શ્યામ રંગ પ્રત્યેનો આપણો ભેદભાવ છે. ઓરિસ્સાની પટ્ટાચિત્ર પેઇન્ટિંગ કળામાં કૃષ્ણ અને વિષ્ણુનો રંગ કાળો છે, પરંતુ બળરામ અને શિવને દોરતી વખતે સફેદ રંગ વપરાય છે. કૃષ્ણને શ્યામ રંગના કારણે હીણતાની ભાવના છે. રાજ કપૂરની ફિલ્મ ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’માં હિન્દી ભાષાના પ્રખર કવિ પંડિત નરેન્દ્ર શર્મા લખે છે, ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્યું ગોરી, મૈં ક્યો કાલા?’ એ ગીતમાં મા યશોમતી કંઈ કેટલા ય ખુલાસા કરે છે પણ પેલાને ગળે નથી ઊતરતા. ફેર અને લવલી ક્રીમનો પહેલો ખરીદદાર કદાચ કૃષ્ણ હોત!

ડિસ્કો ડાન્સર નામની ફાલતુ ફિલ્મમાં રાજેશ ખન્ના ભલે ‘ગોરો કી ના કાલો કી, દુનિયા હૈ દિલવાલો કી’ના આસમાની ખ્વાબ જોતો હોય, જમીની હકીકત એ છે કે ઉત્તરીય અફઘાનિસ્તાનમાંથી ઉત્તર ભારતમાં ઘૂસેલી આર્ય આદિવાસી પ્રજાએ કાળા ભારતીયોને ભાન કરાવ્યું કે દુનિયા તો ગોરા લોકોની છે. આર્યો ઉત્તરીય યુરોપની નોર્ડીક જાતિના હતા જેમની આંખનો અને વાળનો રંગ હળવો અને ત્વચાનો ગોરો હતો અને જેમની ખોપરી લાંબી અને પાતળી હતી.

સાચા ખોટાની તો ખબર નથી પણ ઘણા લોકો માને છે કે ઇન્દ્ર જેવા આર્ય દેવતા ગોરા ચીટ્ટા હતા. કેટલાક લોકો શિવને દ્રાવિડિયન દેવતા ગણે છે. તમામ દેવીઓમાંથી એક માત્ર ભદ્રાકાળી જ શ્યામ છે અને એનું સ્થાન ઘર બહાર, જંગલમાં છે. સ્મશાનમાં તાંત્રિકો એને પૂજે છે. અભ્યાસુઓ કહે છે દેવી-દેવતાઓના રંગભેદની આ ‘સ્વર્ગીય’ વ્યવસ્થા આપણી વર્ણવ્યવસ્થામાં પણ એટલી જ સ્પષ્ટ રીતે આવી છે. જે ઉપર છે, સત્તામાં છે તે બ્રાહ્મણ અને ક્ષત્રિય ગોરા છે અને જે નીચે છે, સેવામાં છે તે શુદ્ર શ્યામ છે. ‘વર્ણ’ શબ્દનો અર્થ જ રંગ થાય છે.

કૃષ્ણ અને શ્યામનો સંજ્ઞા અને વ્યક્તિવાચી સંજ્ઞા તરીકે એક જ અર્થ થાય છે : ‘કાળો. પરંતુ આપણે શ્યામને અપનાવવા એમાં બ્લૂ કલર ઉમેરી દીધો અને કાળાને તિલાંજલિ આપી. આ કારણથી જ હિન્દુઓમાં વ્યક્તિવાચી સંજ્ઞા તરીકે શ્યામભાઈ (દાખલા તરીકે શ્યામ બેનેગલ) સ્વીકાર્ય છે પણ કાળુભાઈ નહીં. ‘શોલે’ ફિલ્મમાં ‘તેરા ક્યા હોગા, કાલિયા?’વાળો ડાકુ માત્ર નાકામ અને નાલાયક જ નહીં, ચામડીથી પણ કાળો છે. કોઈને વિચાર આવે ખરો કે ગબ્બર, જે સરદાર છે, સત્તામાં છે તે ઊજળો, ક્ષત્રિય છે?’

ગિરિરાજ સિંહની જેમ આપણા ઘણા ખરા વ્યવહાર-વિચાર આપણી સામાજિક-પારિવારિક સોચમાંથી આવે છે. અને જે ‘આગેથી ચલી આઈ’ તેની સામે આપણે સવાલ નથી ઉઠાવતા. આપણે એને સત્ય અને એક માત્ર સત્ય ગણીને અનુસરતા રહીએ છીએ. શ્યામવર્ણી શાબાના આઝમી નાની હતી ત્યારે એનામાંથી શ્યામ રંગની હીણતા દૂર કરવા પિતા કૈફી આઝમીએ સોનેરી વાળ અને બ્લૂ આંખોવાળી ગુડિયાને બદલે કાળી ત્વચા અને આંખોવાળી ઢીંગલી સાથે રમતાં શીખવ્યું હતું. કૈફીએ ત્યારે શબાનાને કહેલું, ‘શ્યામ હોવું એ સારી વાત છે, અને કાળા હોવું એ તો સુંદરતાની નિશાની છે.’ આવાં મા-બાપ ક્યાં મળે?

આજે તો પ્રકૃતિદત્ત કાળી ચામડી ઘસાઈ રહી છે. બજારને ગોરો રંગ જોઈએ છીએ. પરિવારને ગોરી વહુ જોઈએ છીએ. જે સમાજમાં ગુણવત્તાને બદલે રંગ પર વધારે જોર હોય અને જે સમાજમાં પુરુષ ‘ચાંદવી કા ચાંદ હો યા આફતાબ હો’ની મુગ્ધતામાં ભરાયેલો હોય, ત્યાં કંઈ કેટલી ય શબનાઓનાં ગુણ શ્યામ રંગની પ્રેતછાયામાં ઢંકાયેલા રહી જાય છે.

તમારા-મારા કરતાં જેને ભારતીય માનસિકતાનો સારો એવો અનુભવ થઈ ચૂક્યો છે તે સોનિયાજી શું કામ ‘બૂરું’ માને? ગિરિરાજની પહેલાં દક્ષિણ એશિયાઈ સમાજના અભ્યાસુ બ્રિટિશ લેખક પેટ્રીક ફ્રેન્ચે ‘ઇન્ડિયા : અ પોટ્રેટ’ કિતાબમાં લખ્યું હતું :

‘બાળ ઠાકરેએ ભલે સોનિયાની મશ્કરી કરી હોય, મોટા ભાગના મતદારો એને ‘ગોરી ચામડી’ની ગણતા નથી. એના હળવા બદામી વર્ણથી એ ઉત્તર ભારતમાંથી આવતા ઉચ્ચ વર્ણીય નહેરુ ખાનદાનની જ લાગે છે. એ જો ઉત્તરીય યુરોપની બ્લોન્ડ કે આફ્રિકન હોત તો કદાચ ભારતની નેતા બની ન હોત.’

https://www.facebook.com/raj.goswami.31/posts/944381735612170:1

Loading

...102030...3,7713,7723,7733,774...3,7803,7903,800...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved