Opinion Magazine
Number of visits: 9456897
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ આજે (૧૧)

સુમન શાહ|Opinion - Opinion|25 October 2024

સુમન શાહ

માણસ જેટલો ઍક્ચ્યુઆલિટીમાં જીવતો હતો એટલો હવે વર્ચ્યુઆલિટીમાં જીવે છે. રાત્રે ઊંઘ આવે એટલે એ ન છૂટકે પોતાના ફોનને પડતો મૂકે છે, જો કે રીચાર્જિન્ગમાં મૂકવાનું ભૂલતો નથી. કેટલાકને થાય છે કે વારતહેવારે FB પર જાતભાતના ફોટા મુકાય છે, તે અતિશય છે. માનવતાવાદીઓ એને સામાન્ય માણસનું સુખ કહે છે, એમને માનવ માનવ વચ્ચે ભાઇચારાનો, માણસાઇનો, સેતુ બંધાતો લાગે છે. તેઓ એમ કહે છે કે એના ફોટા એ મૂકે, જોનારાઓને સારું લાગે, એ એમનો નાનો આનન્દ છે, એમાં તમે શું કામ સૂગાવ છો. ફોટા મૂકનારાઓ એને મણિબેન કે પોપટલાલ કહીને જૂનવાણીમાં ખપાવે છે. 

મને મિત્રો પ્રેમવશ ‘ગુડ મૉર્નિન્ગ’ મોકલે છે, ત્યારે અમેરિકામાં અમારે રાત હોય છે, ‘ગુડ નાઈટ’ મોકલે છે, ત્યારે અમારે સવાર હોય છે. તેમછતાં, મને એ શિષ્ટમાન્ય નિર્દોષ વિનિમયમાં શિસ્ત સાચવવાની ટેવ છે, એેટલે, અવારનવાર હું એઓને ‘હૅવા નાઇસ ડે’ લખું જ છું. મારો ભાવ પૂછનાર હરેકને હું પ્રતિભાવ પણ આપું જ છું. પણ કેટલાક તો વ્હૉટ્સઍપ પર કાવ્યો મોકલે, અભિપ્રાય પણ માગે, મૅસેન્જરમાં ય કૉપી-પેસ્ટ કરે, શું કરવાનું? મારા મૌન સામે, ક્રોધમુખી-ઇમોજી મોકલે, અપશબ્દ લખે, શું કરવાનું? 

કહે છે, ફેસબુક પર ગંદી ગાળો લખનારા, યુવતીઓને સૅક્સી ચેષ્ટાઓનાં રીલ્સ મોકલવાના બનાવો પણ બનતા હોય છે. ટ્રૉલિયાઓના ત્રાસનો તો પાર જ નથી.

આનો કશો ઇલાજ નથી, સિવાય કે તમે સહન કરી લો. પણ ટૅક્નોલૉજિ એમ સૂચવે છે કે વિવેક વાપરો, અમે વ્યવસ્થા રાખી છે : એને અન્ફ્રૅન્ડ કરી દો. ભાવ-પ્રતિભાવ કે લાઇક પણ ન કરો, ઇમોજી પ્રયોજો, એ પણ ન કરો, બ્લૅન્ક છોડી દો. 

અલબત્ત, ફેસબુકમાં, ‘ફેસબુક’સ કૉમ્યુનિટી સ્ટાન્ડર્ડ્સ’-ની જોગવાઇ છે. એમની AI-પાવર્ડ સિસ્ટમ હેટ-સ્પીચના કે ભ્રષ્ટ ભાષા-પ્રયોગના વીડિયોઝ કે ગંદી ટૅક્સ્ટને પણ સ્કૅન કરી શકે છે. ફેસબુકના હ્યુમન મૉડરેટર્સ પણ એ કામ કરી શકે છે. જો કે એ બધી સહાય માટે માણસે રીપોર્ટ કરવો પડે, જે ભાગ્યે જ કોઈ કરે છે.

સોશ્યલ મીડિયાના સદુપયોગ વિશે, બૌદ્ધિક ચર્ચાઓ વિશે, આપણે જાગ્રત નથી. બાકી, હિન્દીમાં My Hindi Forum કે અંગ્રેજીમાં Academia.edu, ResearchGate, Reddit, Stack Exchange, Quora કે ગુજરાતીમાં ‘અપના અડ્ડા’, શક્તિસિંહ પરમાર દ્વારા ચલાવાતું ‘ફિલ્લમ’, વિપુલ કલ્યાણીનું ‘ઓપિનિયન’, ‘બાબુ સુથાર’સ પોસ્ટ્સ’, ‘તુષાર રમણ ઓઝા’સ પોસ્ટ’ ‘દ્રુપદ અસ્તિત્વદર્શન’ કે ‘રસુવાર્તાવર્તુળ’-ના ‘પ્રશ્નોત્તર’ જેવાં પ્લૅટફૉર્મ્સ મુક્ત અભિવ્યક્તિનાં, રોકટોક વિનાની મૉકળી ચર્ચાનાં, પક્ષ-પ્રતિપક્ષની રીતે વિમર્શ-પરામર્શનાં ઝડપી અને અતિપારદર્શક સ્થાનો છે. 

ત્યાં જમણેરી અને ડાબેરી બન્ને પોતાને સમજાયેલાં સત્ય રજૂ કરી શકે છે. ત્યાં ટ્રૉલિયાઓને ફાવટ ન આવે, અતાર્કિકો ઉઘાડા પડી જાય. ત્યાં માત્ર લાઇક્સવાળાનું કે વાહ વાહ-વાળાઓનું કામ નહીં, પણ હું તો એમને જ કહું કે ત્યાં જોડાવ અને નાના-મોટા કે ખરા-ખોટા પણ પ્રતિભાવ લખો. અને અધ્યાપકોને કે વિદ્યાર્થીઓને મારે શું કામ કહેવું જોઈએ? તેઓ તો જ્ઞાનની શોધ સાથે જોડાયેલા જ છે ને …

+ +

હરારી કહે છે, વાસ્તવિકતાની રજૂઆતમાં હકીકતોની ઉપેક્ષા કરવામાં આવે છે, કેટલીક હકીકતોને વિકૃત કરવામાં આવે છે. ઉપરાન્ત, રજૂઆતમાં ચૉક્કસાઈ બાબતે પણ તેઓ જુદું જ કહેવા માગે છે : 

બોર્હેસ —

કહે છે કે આપણે વિશ્વને તન્તોતન્ત રજૂ કરવા માગીએ, પૂરેપૂરી ચૉક્કસાઇથી, તો ચૉકક્સાઇ માટેનો આપણો એ પુરુષાર્થ આપણને વન-ટુ-વન સ્કેલમાં ખૅંચી જશે; એટલે કે, એ માટે આપણે વિશ્વ અને તેની રજૂઆતને સરખેસરખાં કદમાપનાં રાખવાં જોઈશે. વાતના સમર્થનમાં હરારી હોર્હે લુઇસ બોર્હેસ[Jorge Luis Borges]ની ૧૯૪૭-માં પ્રકાશિત વાર્તા “An Exactitude in Science”-નું સ્મરણ કરે છે : 

વાર્તામાં, એક કાલ્પનિક સામ્રાજ્ય હોય છે. એની સરહદોના વધુ ને વધુ ચૉક્કસ નક્શા બનાવવાનો ઉદ્યમ શરૂ થાય છે, છેવટે સામ્રાજ્યના માપનો, વન-ટુ-વન સ્કેલનો, પરિપૂર્ણ નક્શો તૈયાર થાય છે, નક્શો એટલો બધો મોટો થયો હોય છે જાણે કે એમાં આખું સામ્રાજ્ય પથરાઈ ગયું. સામ્રાજ્ય = નક્શો, એવી મહત્ત્વાકાંક્ષી રજૂઆતના પ્રોજેક્ટ પાછળ એટલાં બધાં સંસાધનોનો ઉપયોગ થયેલો, કે અન્તે સામ્રાજ્ય તૂટી પડ્યું. પરિણામે, બન્યું એવું કે નક્શો પણ ફાટીતૂટીને વેરવિખેર થઈ ગયો. 

વાર્તાનો સાર આપતાં હરારી કહે છે કે અન્તિમ સ્વરૂપનો નક્શો પણ એ જ કહે છે કે પોતે વાસ્તવિકતાની રજૂઆત છે જ નહીં. અને તેથી, વાસ્તવ = સત્ય પણ કદી યે હશે જ નહીં. 

રજૂઆત-વાસ્તવિકતા-સત્ય વિશેના પોતાના એ મન્તવ્ય સંદર્ભે હરારી એમ સૂચવે છે કે વર્ચ્યુઅલ રીયાલિટી સત્યના ખયાલને જ ખાઈ જશે. એ માટે એમણે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગના ‘મૅટાવર્સ’-નો નિર્દેશ કર્યો છે : 

મૅટાવર્સ —

મૅટાવર્સ એક વર્ચ્યુઅલ યુનિવર્સ છે. વિશ્વને એ હોર્હે લુઇસ બોર્હેસના વન-ટુ-વન સ્કેલની રીતે રજૂ કરવા નથી માગતું, પણ એ આપણા ખરેખરા વિશ્વમાં એક ઉમેરણ બનીને એને રીપ્લેસ કરવા માગે છે. એ બુએનો ઍરિસ કે સૉલ્ટ લેક સિટીની રૅપ્લિકા – અનુકૃતિ – નથી, એ તો, કેટલાક નિયમ અનુસાર અવનવા લૅન્ડસ્કૅપ્સ સહિતની નૂતન વર્ચ્યુઅલ કૉમ્યુનિટીઝ ઊભી કરવા આપણને નિમન્ત્રણ આપે છે. હરારી ઉમેરે છે કે ૨૦૨૪-નું મૅટાવર્સ અવાસ્તવિક અને અતિશયિત આશા કે આકાંક્ષા દીસે છે – overblown pipe dream. 

પરન્તુ આવનારા બે દાયકામાં લાખો-કરોડો લોકો એ વર્ચ્યુઅલ વાસ્તવિકતામાં ઘણુંબધું જીવવા માટે ત્યાં માઇગ્રેટ કરી જશે, જોડે પોતાની સામાજિક અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓ પણ લઈ જશે. અણુઓથી નહીં પણ બીટ્સથી રચાયેલા એ પર્યાવરણમાં બને કે લોકો ત્યાં સમ્બન્ધો બાંધવા જાય, જઈને જોબ કરે, ભાવાત્મક અપ્સ ઍન્ડ ડાઉન્સ પણ અનુભવે. બોર્હેસના વાર્તાસંગત શબ્દો વાપરીને હરારી કહે છે કે સંભવ છે કે દૂરના કોઇ રણમાં તૂટીફૂટી પુરાણી વાસ્તવિકતાના ટુકડા પડી રહ્યા હશે, (પેલા મૅપના હતા એવા) પણ જતન કરીને એને બચાવી લેવાનું મુશ્કેલ છે.

હરારી વાતને વિચારોત્તેજક બનાવવા હમેશાં અતિશયોક્તિ કરતા હોય છે, પણ હું આગવું ફિલ્ટર – ગળણી – વાપરીને અલ્પોક્તિ-સમ સમજણ મેળવી લઉં છું.

બને કે આપણા અનેક ફેસબુક-વાસીઓને ‘મૅટાવર્સ’-ની જાણ ન હોય. જાણ થશે તો પણ તેઓ ત્યાં રહેવા નહીં જાય. ગુજરાતી પોતાના સ્વાર્થને બરાબર ઓળખતો હોય છે. વર્ચ્યુઅલમાંથી ઍક્ચ્યુઅલમાં જવાની પૂરી મથામણ કરી લેતો હોય છે. એવા એક જણનો મને તાજેતરમાં અનુભવ થયો : 

મારું ‘સુમન’ નામ સ્ત્રીઓનું પણ હોઈ શકે છે. બને છે એવું કે એથી લલચાઈને કોઈ ઍફબીફ્રૅન્ડ, કદાચ યુવક, મારી જોડે મૅસેજિન્ગ શરૂ કરે છે : કેમ છો? શું ચાલે છે? હું અમદાવાદથી છું, તમે ક્યાં છો? : હું પણ અમદાવાદનો છું : હું એને સંતોષ થાય એવા જવાબો લખું છું, પણ હું મુદ્દા પર નથી આવતો, એટલે એ આગળ વધે છે : તમે સિન્ગલ છો? : હું સાચો જવાબ આપું છું, હા : એ લખે છે, ઇન્ટરેસ્ટિન્ગ : હું લખું છું, યસ ઇટિઝ. એ એકદમ આગળ વધી જાય છે : તમારું કોઇ અફલાતુન પિક્ચર અપલોડ કરો ને : હું હવે જૂઠું લખું છું : એ તો નથી : ઓ કે, આપણે ફેસ ટુ ફેસ થઇ શકીએ? : હું લખું છું, અફકોર્સ. એ પૂછે છે, કઈ જગ્યાએ. હું કહું છું નૉર્થ્રટ્રેઇલ પાર્કમાં : અમદાવાદમાં એ પાર્ક ક્યાં આવેલો છે? લોકેશન મોકલશો? : હું મૌન સેવું છું. એ પ્રશ્નાર્થનું ઇમોજી મોકલે છે, બીજી વાર મોકલે છે. ઉત્તરમાં હું એને મારા પ્રોફાઇલનો અભ્યાસ કરવા કહું છું. એનો ફુગ્ગો ફૂટી જાય છે.

= = =

(24Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

રાત ગીરવે મુકવી પડી છે

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|25 October 2024

લખાણ પાકું કર્યા પછી રાત ગીરવે મુકવી પડી છે,

કરજ બધું ચૂકતે કરી જાત ઉકરડે ભુખવી પડી છે.

હું પ્રેમને ભીખવા અક્ષય પાત્ર લઈ જગતમાં ફરી વળ્યો છું,

પરાગ રસની રતાશ માટે વસંતને ભૂલવી પડી છે.

બનાવટી હાસ્ય જોઈને શોકમગ્ન મન આફરે ચડ્યું છે,

સમાજની રીત-ભાતને ટાળવા સફર લુણવી પડી છે.

નથી મળ્યો કોઈનો પ્રણય તો’ય દબદબો સાચવી રહ્યો છું,

કશા’જ અડબોથના ઉધારા કર્યા વગર ગુણવી પડી છે. 

અહીં છણાવટ વિના બધી પોલને ઉધાડી કરી રહ્યો છું,

લક્ષ્યાંકને સિદ્ધ-હસ્ત કરવાં દમામથી ગૂંથવી પડી છે.

e.mail : addave68@gmail.com

 

Loading

ઠગાઈથી સગાઈ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 October 2024

રવીન્દ્ર પારેખ

આજની પરિસ્થિતિ એવી છે કે ભારત મારો દેશ છે – એ પ્રતિજ્ઞા ઠગારી લાગે ને પ્રજાને કહેવું પડે કે ભારત મારો નહીં, પણ ભાર તમારો દેશ છે. ભ્રષ્ટાચાર, ઠગાઈ, દુષ્કર્મ, ડ્રગ્સ … વગેરે આખા દેશમાં રાજરોગની જેમ વકરેલાં છે. રાજકીય પક્ષો પ્રજાનું મૂલ્ય મતથી વિશેષ આંકતા નથી ને પ્રજા, સરકાર કોઈ પણ હોય, પોતાની હોજરી ફાટફાટ કઈ રીતે થાય એ સિવાય બીજું કૈં વિચારતી નથી. સરકાર વિકાસમાં રકાસ કરી રહી છે ને પ્રજા સામેનાનો રકાસ કરીને પોતાનો વિકાસ કરી રહી છે. સરકાર કરતાં પ્રજા વધુ ભ્રષ્ટ છે તેનાં અનેક ઉદાહરણો મળે તેમ છે. એમાં વચેટિયાઓ પ્રજાની અને સરકારની ઘોર ખોદવામાં મોખરે છે. એજન્સીઓને, કોન્ટ્રાક્ટરોને સરકારે અને સંસ્થાઓએ કારભાર સોંપી દેતાં તમામ સ્તરે ભ્રષ્ટાચાર, નષ્ટાચાર થઈને રહ્યો છે. સડકો તૂટવા માટે જ બંધાય છે. વરસાદ રસ્તે રસ્તે વહી શકે એ માટે પ્રિ-મોન્સૂન કામગીરી થાય છે. આખી ગાડી ભૂવામાં ઊતરી ન જાય ત્યાં સુધી એ કામગીરી પૂરી થતી નથી.  

બહેરામપુરા-અમદાવાદના જર્જરિત આવાસના કેસમાં હાઇકોર્ટે સોંસરો સવાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એ પૂછ્યો કે સરકારી આવાસ યોજના હેઠળ બંધાયેલા આવાસો દસ-પંદર વર્ષમાં જ જર્જરિત થઈ જાય અને રહેવા લાયક ન રહે તો તમે તપાસ કેમ ના કરી? તળિયા ઝાટક તપાસ તો આખા દેશની કરવા જેવી છે. કેટલી ય ઇમારતો, પુલો વગેરે બને, બને ત્યાં તો જર્જરિત થવાં લાગે છે. કેટલા પુલો તૂટી પડ્યા ને કેટલા તૂટવા પર છે એની તપાસ થાય તો દેહ પર ચામડી ન રહે એટલો ભ્રષ્ટાચાર થયાનું બહાર આવે એમ છે.

બધું જ ખતમ થઈ રહ્યું હોય એવું વાતાવરણ છે. નકલ એટલા સ્તરે વ્યાપી છે કે નકલ જ અસલ લાગે. ઠેર ઠેર નકલી ચીજ વસ્તુઓનો રાફડો ફાટ્યો છે જાણે ! તહેવાર આવે છે ત્યારે જ મીઠાઈની તપાસ ચાલે છે. તહેવારોમાં જ રેડ પડે છે. એ સિવાય કોઈને કોઈ પ્રશ્નો નડતા નથી. એકાદ દિવસમાં જ દિવાળી ટાણે કડીમાં 2,500 કિલો નકલી ઘી, ડીસામાં 2,368 કિલો શંકાસ્પદ તેલ અને મહેસાણામાં 834 કિલો બનાવટી પનીર પકડાતું હોય તો આડે દિવસે બધું શુદ્ધ જ વેચાય છે એવું કઈ રીતે માનવું? પણ, ફૂડ વિભાગ તહેવારો વખતે જ જાગે છે. નકલીનું તો સામ્રાજ્ય ફેલાયું છે. નકલી ઘી-તેલનો એકલ દોકલ પ્રયત્ન નથી થતો, આખેઆખી ફેક્ટરીઓ પકડાય છે. 10 દિવસમાં જ કડીમાંથી નકલી ઘીની બે ફેક્ટરીઓ પકડાઈ, તો ટંકારાના લજાઈ પાસે SMCએ નકલી તેલની ફેક્ટરી પકડી ને 21,488 લિટર ઓઇલની સાથે 23.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ડ્રગ્સમાં પણ એમ જ થયું છેને ! અંકલેશ્વર, પલસાણા, ઉમરગામમાંથી ડ્રગ્સની ફેક્ટરીઓ પકડાઈ છે, એટલું ઓછું હોય તેમ અંકલેશ્વરથી જ ડ્રગ્સ બનાવતી બીજી ફેક્ટરી પણ ઝડપાઈ છે. આ પાપ તો પ્રજા કરે છે ને? એટલે બધાંમાં જ સરકાર જવાબદાર છે એવું નથી.

નકલી ઘી, તેલ, દૂધ, માવો, તો પ્રજાને કરમે ચોંટયાં જ છે, પણ આ નકલ, ખાદ્ય સામગ્રીઓ પૂરતી જ સીમિત નથી, તે અનેક બાબતોમાં વિકસી છે. સરકાર અને અન્ય તંત્રો કદાચ પહોંચી નહીં વળતાં હોય એટલે નકલો વધુ થવા માંડી છે. આમ તો સરકાર બીજાને માટે, કરકસરના ભાગ રૂપે પૂરતો સ્ટાફ રાખતી નથી, એટલે સ્ટાફ સાથે જ ઠગો નકલી સરકારી ઓફિસ ઊભી કરી દે છે. છોટા ઉદેપુરની એ ઓફિસ તો સરકાર પાસેથી ગ્રાન્ટ પણ મંજૂર કરાવી લાવી હતી ને સરકારને એની ખબર પણ પડી ન હતી. દેખીતું છે કે નકલી ઓફિસ ચલાવવા અસલી અધિકારી તો ન ચાલે, એટલે નકલી અધિકારી કે નકલી પોલીસ પણ આપોઆપ જ ઊભાં થઈ જાય છે. નકલી CBIની ખોટ પણ ઠગોએ પ્રજાને સાલવા દીધી નથી. થોડા વખત પર નકલી ટોલ નાકું પણ પકડાયેલું ને તેણે ઘણાંને ટાલ પાડી દીધેલી એવો ખ્યાલ છે. આટલું બધું નકલી હોય ત્યાં નકલી કોર્ટ ને નકલી જજ પણ શું કામ બાકી રહી જાય?

ગાંધીનગરમાં નકલી કોર્ટ બનાવીને અબજો રૂપિયાની 100 એકરથી વધુ સરકારી જમીન, નકલી જજે પોતાને નામે કરી લીધી છે. તાજેતરમાં જ નકલી આર્બિટ્રેશન જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયનનું કૌભાંડ સામે આવ્યું છે. ગાંધીનગરના આદરેજમાં રહેતા ક્રિશ્ચયન પાસે વિદેશી ડિગ્રી હોવાનું કહેવાતું હતું, પણ તેની સામે પણ હવે શંકાઓ થઈ રહી છે. તેણે ટ્રિબ્યુનલ જેવી કોર્ટ ઊભી કરી ને તેમાં નકલી સ્ટાફ પણ રાખ્યો. પાલડીમાં આવેલી સરકારી જમીન હડપવા મોરિસે ખોટો એવોર્ડ હુકમ કર્યો ને અત્યાર સુધી તે પોતાની તરફેણના હુકમો જ કરતો રહ્યો. તેની સામે ફરિયાદો થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો. આર્બિટ્રેટર જજ ન હોવા છતાં ખોટા હુકમો કરીને મોરિસે ગુનાહિત કાવતરું કર્યું. એ વાત કોર્ટના ધ્યાનમાં આવતાં નકલી આર્બિટ્રેટર જજનો ભાંડો ફૂટ્યો ને સરકારી વકીલે મોરિસ સેમ્યુઅલ સામે ફોજદારી પગલાં લેવાની માંગણી પણ કરી.

નકલી જજ સામે નવ વર્ષ પહેલાં પણ અરજી થઈ હતી, પણ કૌભાંડ ચાલતું રહ્યું હતું ને ઓર્ડર પણ પાસ થતા રહ્યા હતા. વકીલની અરજી પણ 2007માં ફગાવાઈ હતી, પણ જજની પ્રેક્ટિસ કોઈ રોકી શક્યું ન હતું. આ નકલી જજ પાસે અલગ અલગ નામના નવ પાસપોર્ટ હતા એ મુદ્દે તે મુંબઇમાં પકડાયો પણ હતો ને પછી જામીન પર છૂટી ગયો હતો. વકીલાતની સનદ ન હતી, છતાં 17 વર્ષથી તે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. કોર્ટમાં રજૂ કરાતા તેનું એક જ રટણ ચાલતું હતું કે તે જ અસલી લવાદ જજ છે ને તેના પુરાવા પણ છે. આ માણસે ભોળા ને નિર્દોષ લોકોને છેતર્યા છે, એટલું જ નહીં, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં આ આરોપી નકલી વકીલ પણ બન્યો હતો. હવે તે જજ નથી, આમ તો ક્યારે ય ન હતો, પણ તેને કોઈ આરોપી તરીકે સંબોધે તે મંજૂર નથી.

વ્યક્તિગત ધોરણે એકબીજાને છેતરવાના તો અનેક કિસ્સાઓ મીડિયામાં આવતા રહે છે ને હવે તો  છેતરપિંડી પણ કરોડોમાં થાય છે. સમજાતું નથી કે કરોડો રૂપિયા, છેતરાવા માટે, લોકો પાસે આવે છે ક્યાંથી? દેશમાં જાણે કોઈ ગરીબ જ રહ્યું નથી ! કોઈને મોંઘવારી લાગતી જ નથી. કરોડોમાં લૂંટાવું કે છેતરાવું હવે સામાન્ય થઈ પડ્યું છે. એટલાં બધાં ક્ષેત્રોમાં છેતરપિંડી અને નકલખોરી ચાલે છે કે સામાન્ય માણસ માટે છેતરાવું અનિવાર્ય થઈ ગયું છે.

ખોરાકમાં નકલી વસ્તુઓથી છેતરનારાઓની ભીડ છે. તહેવારો આવે છે કે બધાંને લૂંટવાનો, છેતરવાનો પરવાનો મળી જાય છે. નકલી ખાદ્યસામગ્રીથી છેતરાયા, તો હવે નકલી ઓફિસ, અધિકારીથી છેતરાવ ! એ રીતે છેતરપિંડીનો ભોગ બનો ને મન થાય કે પોલીસ ફરિયાદ કરવી છે, તો નકલી પોલીસ, નકલી સી.બી.આઈ.થી બચવાનું મુશ્કેલ. એ બધાં પછી ધારો કે અસલી પોલીસ મળ્યો ને અસલી ફરિયાદ પણ થઈ તો ન્યાય મળે જ એની કશી ખાતરી નથી, કારણ કોર્ટ અસલી છે કે જજ અસલી છે એ માપવાનું કોઈ સાધન નથી. અસલી કોર્ટમાં જ જ્યાં ન્યાયના ફાંફાં છે, ત્યાં નકલી કોર્ટમાં ન્યાયની તો કલ્પના જ શી કરવાની? સામાન્ય માણસે ક્યાંક ને ક્યાંક તો નકલખોરીથી ઠગાવાનું જ છે. હવે ઠગાઈથી જ સગાઈ હોય, તો બીજું થાય પણ શું? એવું બને કે કોઈને બદલે કોઈ નકલી જ, જિંદગી જીવી જાય ને પેલો મૂરખની જેમ ખૂણો પાળતો રહી જાય કે કોઈ મરવાનું વિચારે ને કોઇ નકલી જ મરી જાય ને પેલાની મરવાની ઈચ્છા અધૂરી રહે એમ બને. આમ તો અશક્ય લાગતી વાત છે આ, પણ નકલી કોર્ટ સુધી તો આવ્યા જ છીએ, તો કાલ ઊઠીને કોઈ નકલી સરકાર સામે આવે કે કોઈ આખું રાજ્ય કે દેશ જ નકલી નીકળે તો આઘાત ન લાગે એ હદે નકલખોરી વ્યાપક થઈ રહી છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 ઑક્ટોબર 2024

Loading

...102030...376377378379...390400410...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved