Opinion Magazine
Number of visits: 9664754
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘આનંદ’માં ખન્ના અને અમિતાભનું ભેગા થવું પણ એક ફિલ્મી કહાની જેવું છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 February 2025

રાજ ગોસ્વામી

એવા સમાચાર છે કે હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાની પૌત્રી નાઓમિકા સરણ અને વર્તમાન સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ મારફતે હિન્દી સિનેમામાં અવતરણ કરી રહ્યાં છે. નાઓમિકા, રાજેશ-ડિમ્પલ કાપડિયાની નાની પુત્રી રિંકી ખન્ના અને બિઝનેસમેન સમીર સરણની પુત્રી છે. અગસ્ત્ય, અમિતાભ-જયાની પુત્રી શ્વેતા બચ્ચન અને બિઝનેસમેન નિખિલ નંદાનો પુત્ર છે.

ખન્ના-બચ્ચન પરિવારની ત્રીજી પેઢી પહેલીવાર એક સાથે પડદા પર આવશે. અગાઉ, 55 વર્ષ પહેલાં ‘આનંદ’ ફિલ્મમાં રાજેશ અને અમિતાભ પહેલીવાર સાથે આવ્યા હતા. આ ફિલ્મ તેની સંવેદનશીલ વાર્તા અને અભિનય માટે તો યાદગાર છે જ, પરંતુ તેને એટલા માટે પણ યાદ કરવામાં આવે છે કારણ કે તે વખતે રાજેશ ખન્નાનો સિતારો બુલંદ હતો અને અમિતાભની તેમાં સહાયક હીરોની ભૂમિકા હોવા છતાં, એક જુસ્સાદાર અભિનય દ્વારા તે દર્શકોના મન પર અમીટ છાપ છોડી ગયો હતો. 

આપણે અગાઉ ‘આનંદ’ ફિલ્મની વાર્તા અને તેનાં અન્ય પાસાઓ વિશે ઘણી વાત કરી ગયા છીએ. આજે આપણે એ જાણવાની કોશિશ કરીએ કે હિન્દી સિનેમાના બે મોટા સ્ટારની જોડી કેવી રીતે બની હતી અને એ અનુભવ કેવો હતો.

એ વાત જાણીતી છે કે રાજેશ અને અમિતાભ માત્ર બે જ ફિલ્મોમાં સાથે આવ્યા; 1971માં ‘આનંદ’માં અને 1973માં ‘નમક હરામ’માં. બંનેનું નિર્દેશન હૃષિકેશ મુખર્જીએ કર્યું હતું. બંને ફિલ્મોને ઘણી ચાહના મળી હતી અને દર્શકોએ બંનેને વધુ ફિલ્મોમાં સાથે જોવાની આશા પણ રાખી હતી, પરંતુ બે ફિલ્મો પછી બંને વચ્ચે વ્યક્તિગત રીતે અંતર આવી ગયું હતું.

‘આનંદ’ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી, પરંતુ ડૉ. ભાસ્કર બેનર્જીની ભૂમિકામાં અમિતાભના અભિનયની સારી એવી નોંધ લેવાઈ હતી એ ખન્નાને ગમ્યું નહોતું. મુખર્જીએ 1973માં ‘નમક હરામ’માં આ સફળ જોડીને પુનરાવર્તિત કરી હતી. 

આ ફિલ્મ પણ ખૂબ જ સફળ રહી હતી, પરંતુ તેના શૂટિંગ દરમિયાન રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનના સંબંધોનું સમીકરણ બદલાઈ ગયું હતું. ‘નમક હરામ’ના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનની પ્રસિદ્ધિ વધી રહી હતી, જ્યારે રાજેશ ખન્નાનો સ્ટાર પાવર ઓછો થઈ રહ્યો હતો. ખન્નાએ અમિતાભને એક સહકલાકારને બદલે એક પ્રતિસ્પર્ધી તરીકે જોવાનું શરૂ કર્યું હતું.

‘નમક હરામ’માં રાજેશ ખન્નાનો આગ્રહ હતો કે તેનું પાત્ર (સોમુ સિંહ) અંતે મરી જાય. ‘આનંદ’માં એવું જ હતું અને દર્શકોને હીરો મરી જાય એ ગમતું હતું. કહેવાય છે કે અમિતાભને એ કલાઇમેકસ પસંદ નહોતો આવ્યો. તેના પાત્ર વિકીના ભાગે સોમુના મોતનો બદલો લેવાનું આવ્યું હતું.  

ફિલ્મ રિલીઝ થઇ તે પછી ખન્નાની અપેક્ષાથી ઊંધું થયું. તેના પાત્રનો કરુણ અંત આવતો હોવા છતાં. અમિતાભ તેના આક્રમક અભિનય દ્વારા દર્શકોની વાહવાહી લૂટી ગયો. ખન્નાના અહંકારને તેની ઠેસ પહોંચી અને પછી બંનેએ ક્યારે ય સાથે કામ ન કર્યું. 

પહેલીવાર ‘આનંદ’માં બંને કેવી રીતે ભેગા થયા તેની પણ દિલચસ્પ વાત છે. તમે જાણો છો તેમ, આ ફિલ્મ આનંદ સહેગલ (રાજેશ ખન્ના) નામના એક એવા માણસ વિશે હતી, જે કેન્સરમાં મરી જવાનો છે ,પરંતુ તેના અંતિમ દિવસો તે હસી-ખુશીમાં વિતાવે છે. ડૉ. ભાસ્કર બેનર્જી તેનો ટેકો બને છે અને આનંદની સકારાત્મકતાથી અંજાઈ જાય છે.  

મુખર્જીએ 1998માં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ નિર્માતા-અભિનેતા રાજ કપૂર સાથેના તેમના સંબંધો પર આધારિત હતી. રાજ કપૂરને એક વાર નાડીની સમસ્યા થઇ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તે વખતે ઘણા ખુશ મિજાજમાં રહેતા હતા. 

મુખર્જી અંગત અને વ્યવસાયિક રીતે તેમની સાથે એટલા જોડાયેલા હતા કે તેમને એવી ચિંતા સતાવા લાગી હતી કે રાજજીને કંઇક થઇ જશે તો મારું શું થશે? એમાંથી જ હસમુખા આનંદ સહેગલ અને પરેશાન ડૉ. ભાસ્કર બેનર્જીના પાત્રનો જન્મ થયો હતો. ફિલ્મમાં આનંદ પંજાબી છે અને ભાસ્કર બંગાળી, તે યોગાનુયોગ નથી. અસલ જીવનમાં રાજજી પંજાબી હતા અને મુખર્જી બંગાળી.

ફિલ્મમાં ભલે રાજેશ ખન્નાના પાત્ર માટે દર્શકોને સહાનુભૂતિ હતી અને તે જ આકર્ષણનું કેન્દ્ર હતો. ફિલ્મનું શીર્ષક પણ તેના નામ પરથી જ હતું, પરંતુ અમિતાભની ભૂમિકા પ્રમુખ હતી. દર્શકોને આનંદનો પરિચય પણ ડૉ. ભાસ્કર મારફતે જ થાય છે. એટલે ફૂટેજની દૃષ્ટિએ પણ એ ભૂમિકા લાંબી હતી. ફિલ્મ ડૉ. ભાસ્કરે લખેલા પુસ્તકના વિમોચનથી શરૂ થાય છે અને આનંદના મોત પર તેની વ્યથા સાથે પૂરી થાય છે. 

ફિલ્મમાં, અંતે રાજેશ ખન્નાના પાત્રનું અવસાન થાય છે, પરંતુ તેના જવાથી ડૉ. ભાસ્કરને જે આઘાત લાગે છે અને ‘બાબુ મોશાય, જિંદગી લંબી નહીં બડી હોની ચાહીએ’ વાળા દૃશ્યમાં અમિતાભે પાત્રના દુઃખ, ગુસ્સો, નારાજગી અને અસહાયતાને જે રીતે ઠાલવી દીધી હતી તેની અસર દર્શકો પર વધુ ગંભીર પડી હતી.

ફિલ્મના પટકથા-સંવાદ લેખક અને ગીતકાર ગુલઝાર તેમના પુસ્તક Actually … I Met Them : A Memoirમાં લખે છે કે આનંદની ભૂમિકા કિશોર કુમાર કરવાના હતા, પરંતુ કોઈ કારણસર કિશોરે એવાં નખરાં કર્યાં કે મુખર્જીએ પછી ખન્નાને લેવાનું નક્કી કર્યું. એમ તો તેમણે ધર્મેન્દ્રને લેવા માટે પણ વિચાર કર્યો હતો. એમાં ધર્મેન્દ્ર નારાજ પણ થઇ ગયો હતો.

ઇન ફેક્ટ, ગુલઝાર પાસેથી જ ખન્નાને ફિલ્મના વિષયની ખબર પડી હતી અને તેણે જ આગ્રહ કર્યો હતો કે મારે આ ફિલ્મ કરવી છે. મુખર્જીને આશ્ચર્ય થયું હતું કે સુપરસ્ટાર કક્ષાના ખન્નાને “આનંદ” જેવી નાની ફિલ્મ કરવી છે. તેમણે બે શરતો મૂકી હતી : એક, બહુ પૈસા નહીં મળે, અને બે, શુટિંગ માટે સળંગ તારીખો આપવાની, વચ્ચે કોઈ ખાડો નહીં. ખન્નાએ બંને શરતો માની લીધી હતી.

ખન્નાની પસંદગી થયા પછી, ડૉ. ભાસ્કરની ભૂમિકા માટે મુખર્જીએ તેમના વતન બંગાળના બે મહારથી ઉત્તમ કુમાર અને સૌમિત્ર ચેટરજીનો વિચાર કર્યો હતો. અમિતાભ બચ્ચનની ત્યારે કોમેડિયન મહેમૂદ સાથે સારી દોસ્તી હતી. ઇન ફેક્ટ, તે કલકત્તાની નોકરી છોડીને મુંબઈ આવ્યા ત્યારે મહેમૂદે જ તેમને આશરો આપ્યો હતો.

મહેમૂદને ખબર હતી કે ‘આનંદ’ ફિલ્મમાં ડૉ. ભાસ્કરની ભૂમિકા માટે અભિનેતાની તલાશ જારી છે. એમ તો કિશોર કુમારની સાથે મહેમૂદને લેવાની વાત પણ હતી, પરંતુ એ વાત ન બની એટલે જ્યારે ખન્નાનું નામ નક્કી થયું ત્યારે મહેમૂદે અમિતાભને આ ભૂમિકા ઝડપી લેવા સલાહ આપી હતી. મહેમૂદે કહ્યું હતું, “તારે કશું કરવાનું જ નથી. તારે તો ખન્ના સાથે ટીંગાઈ જવાનું છે.”

કપિલ શર્માના એક જૂના એપિસોડમાં આવેલા અમિતાભે પણ કહ્યું હતું કે મારે તો એ વખતે કામની તલાશ હતી અને એક સુપરસ્ટાર સાથે કામ કરવા મળતું હોય એ તો કેવા નસીબની વાત હતી! 

એક બીજા ઇન્ટરવ્યુમાં અમિતાભે કહ્યું હતું કે ‘આનંદ’ જે દિવસે રિલીઝ થઇ ત્યારે સવારે તેમને કારમાં પેટ્રોલ ભરાવાનું હતું. ત્યારે કોઈએ તેમના તરફ જોયું પણ નહોતું. સાંજે એ ફરી પેટ્રોલ પંપ પર ગયા, ત્યારે તેમનો ચહેરો જાણીતો થઇ ગયો હતો. 

એ દિવસે, એક નવા સુપરસ્ટારનો ઉદય થયો હતો. 

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 19 ફેબ્રુઆરી 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પાબ્લો નેરુદા : પ્રેમકાવ્યો 

ભાવાનુવાદ : સુમન શાહ|Poetry|20 February 2025

If You Forget Me : તું જો મને ભૂલે 

પણ જો 

હરરોજ હર કલાકે 

તને થાય કે તું મારા માટે જ સરજાઈ છું

અને એમાં હઠીલી મીઠાસ પણ હોય  

પણ જો 

હરરોજ એક પુષ્પ મને શોધતું 

તારા હોઠ સુધી પ્હૉંચી જાય

ઓ પ્રિયા 

પ્રિયા ઓ

એથી તો મારી એ જ અગન ભભૂકશે,  

ન બુઝાશે, ન ભુલાશે. 

પણ જો 

મારો પ્રેમ તારા પ્રેમને પોષશે 

હે પ્રિયા 

હમેશાં

તો એ મારા બાહુથી તારા બાહુમાં 

રક્ષિત હશે

તું જીવીશ ત્યાંલગી

= = = 

(From :”Twenty Love Poems and a Song of Despair” : Tr. by W S Merwin )

૨

Tomorrow We Will Only Give Them a Leaf : 

આવતી કાલે એ લોકોને આપણે … 

આવતી કાલે એ લોકોને આપણે

આપણા પ્રેમવૃક્ષનું માત્ર એક પર્ણ આપશું

પર્ણ પડશે 

ધરતી પર 

જાણે એ આપણા હોઠોથી બન્યું હશે

જાણે એ આપણા ચુમ્બનથી બન્યું હશે

પડશે 

આપણી અદૃશ્ય ઊંચી અટારીએથી 

નીચે

કેમ?

બતાવવા એ લોકોને કે એક સાચા પ્રેમની 

અગન અને કુમાશ શું હોય છે

= = =

(It is a well known quotation)
(19Feb25USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભીખો

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|20 February 2025

“એ ય આઘો ખસ, ક્યાં સવાર સવારમાં આ લપ વળગી ?” સવારમાં તાજા ગરમા ગરમ ગાંઠિયા લેવા માટે ફરસાણવાળાને ત્યાં ભીડ હતી. અને આ જે કહેવામાં આવ્યું હતું તે ભીખાને ઉદેશીને કહેવામાં આવ્યું હતું. ભીખો ભિખારી નહોતો પણ સંજોગોએ તેના આવા હાલ કરી મુક્યા હતા. સવારે કોઈને રામ વસે અને પચાસ ગ્રામ ગાંઠિયા જો ભીખાને મળી જાય તો તે બીજા દિવસની સવાર સુધી ખેંચી નાખતો. પણ હમણાં ત્રણ દિવસથી ભીખાનાં રામ પણ રિસાણા હોય તેમ ત્રણ દી’થી મોમાં અન્નનો દાણો નહોતો ગયો, એટલે આજે ભીખામાં ભૂખની તલપાપડ વધારે હતી.

ભીખાને ઉદ્દેશીને કહેવાયેલા શબ્દો સાંભળી, વળી કોઈક બોલ્યું, “કે તેને ક્યાં કોરોનામાં સંભાળ રાખવાની ખબર પડે છે, દોડ્યો આવે છે નજીક.” હકીકતમાં ત્યાં ઊભેલામાંથી કોઈ ભીખાની પાસે જાય એમ નહોતા, તો પછી હાથ મેળવવાની, ભેટવાની કે પાસે ઊભા રહેવાની વાત જ ઊભી થતી નહોતી. વળી જોવાની ખૂબી એ હતી કે જે લોકો આ ચર્ચા કરતા હતા, એ લોકો તો જલદી ગરમ ગરમ ગાંઠિયા લેવા માટે લગોલગ લાઈનમાં ઊભા હતા, કોરોનાને ભૂલીને.

અજય એક મોલનો માલિક હતો. તે રોજ અહીંથી પસાર થતો અને ભીખાવાળું દૃશ્ય જોતો હતો. આજે તેને ઊભા રહેવાનું મન થયું. તેને લાગ્યું કે લોકો દ્વારા એક ગરીબ, અસહાય માણસની ભૂખની ઉપેક્ષા અને લાગણીનું હનન થાય છે. તે ભીખા પાસે આવ્યો, પ્રેમથી જોયું અને ભીખાને સો ગ્રામ ગાંઠિયા લઈ તેને ખાવા માટે આપ્યા. ભીખો તો ત્રણ દી’નો ભૂખ્યો હતો. તરત જ ગાંઠિયા ખાવા લાગ્યો. અજય શાંતિથી આ બધું જોઈ રહ્યો હતો. વળી કોઇકે કહ્યું, “અજયભાઈ આનું તો આ રોજનું છે. ખોટી ટેવ ન પાડતા.” અજયે વાત પર ધ્યાન આપ્યા વગર ભીખાને પૂછ્યું, “હજી વધારે જોઈએ છે?” ભીખાએ નમસ્તે કરી ના પાડી. ભીખો સો ગ્રામ ગાંઠિયા ખાઈને તૃપ્ત થઈ ગયો હતો.

આ સિલસિલો થોડો સમય ચાલ્યો. પછી અજયે વિચાર્યું. ભીખો કાઈ મોટી ઉંમરનો નથી. કાંઈક ભણ્યો પણ હશે? જો તેને મદદ કરવામાં આવે તો કંઈક બને પણ ખરો. આમ તેને ભીખ માગતા જ્યાં, ત્યાં આથડવું ન પડે. ભીખાની સાથે વાત કરી. ભીખો થોડુંક લખતા વાંચતા શીખ્યો હતો. માબાપ ગુજરી ગયાં એટલે સગાં સંબંધીઓએ જે કંઈ માલ મિલ્કત હતી તે પડાવી લેવા ઘરમાંથી કાઢી રસ્તે રખડતો કરી દીધો હતો. અને આવી લઘરવઘર દશામાં કામ પણ કોણ આપે. એટલે ભીખો, ભીખ માગીને પેટ ભરતો હતો.

ભીખાની વાત સાંભળી. અજયે ભીખાને રહેવાની વ્યવસ્થા કરી આપી. પોતાનાં મોલમાં કામ પર રાખીને નાનું નાનું કામ સોંપવાનું ચાલુ કર્યું. ભીખાને તો અજય શેઠ દેવ સમાન હતા. પૂરી નિષ્ઠાથી અને લગનથી કામ કરતો. ક્યાંક કંઈ ખોટું થાય કે નુકસાન થાય એવું લાગે એટલે અજયનું ધ્યાન દોરતો. અજયનો પણ વિશ્વાસ ભીખા ઉપર વધતો જતો હતો. અજય, વધારે ને વધારે જવાબદારીવાળું કામ પણ ભીખાને સોપતો જતો હતો.

મોલમાં જે જૂના કામ કરતા માણસો હતા, તે અકળાતા હતા. કે થોડા સમયથી આવેલો આ ભીખો, શેઠનો માનીતો થઈ ગયો. કામ તો આપણે પણ કરીએ છીએ. ધૂંધવાટ વધતો ગયો. આ ચણભણાટ અને મોલમાં કામ કરતા માણસોની અકળામણ અજય સુધી પહોંચી ગઈ હતી. પણ અજય શાંત રહ્યો તેને ભીખા ઉપર અને ભીખાની નિષ્ઠા ઉપર સંપૂર્ણ ભરોસો હતો. ભીખાને પણ વાતની ખબર પડી. 

ભીખો, અજય પાસે ગયો. “ભીખા, કંઈ કામ છે?” ભીખો મૂંગો ઊભો રહ્યો. ભીખો, પોતે દોષિત હોય એવી લાગણી અનુભવવા લાગ્યો હતો, કે અજય શેઠનાં કામમાં મારા લીધે ગરબડ ઊભી થઈ અને મોલમાં કામ કરતા માણસો નારાજ થઈ ગયા. હવે અજયશેઠનું કામકાજ મારા લીધે બગડશે.

ભીખાને શાંત જોઈ અજયે કહ્યું. “ભીખા આમાં તારો કોઈ દોષ નથી. તું તો નિષ્પૃહી માણસ છો. તને સમજવામાં બીજા લોકોએ ભૂલ કરી છે. હું બધું સંભાળી લઈશ તું તારે તારું કામ કર્યે જા. મોલમાં કામ કરતા માણસોની ચિંતા કરવી રહેવા દે.”

તે દિવસે અજયે મોલનાં કર્મચારીઓની મિટિંગ બોલાવી. ભીખાને હાજર નહોતો રાખ્યો, એમ સમજીને કે ભીખો પોતા વિષેની વાત સાંભળીને નાનપ ના અનુભવે. અજયે મોલમાં કામ કરતા માણસોને ભીખા વિશેની આખી વાત કરી. ભીખાની સૂઝની, કાર્યદક્ષતાની, ઇમાનદારીની અને વિશેષ તો કામની લગનીની વાત કરી. અજયે પૂછ્યું, “તમે તમારા નિયત કામનાં કલાકથી વધારે કામ કરો છો? કામ બાકી રહી ગયું હોય તો એ પૂરું કરવા વધારાનો સમય આપીને રોકાવ છો?” “નહીં ને” “તો ભીખાના તો કામનાં કલાક નક્કી જ નથી. એ ચોવીસ કલાક મોલમાં હાજર હોય છે. અજયશેઠના બિઝનેસ સિવાય બીજું કંઈ તેને દેખાતું જ નથી.” “છે, આ વાતનો કોઈ જવાબ તમારી પાસે? તમે ભીખાને તમારી રીતે જોયો અને તેનું મૂલ્યાંકન કર્યું. પણ આ વાત ક્યારે ય તમે વિચારી કે અમલમાં મૂકી છે?”

મોલનાં કર્મચારીઓ પાસે તેનો કોઈ જવાબ નહોતો. કારણ કે બધા નિયત સમયમાં સોંપેલ કામ જ કરતા હતા. જ્યારે ભીખાને તો અજયશેઠ દેવ અને મોલ તેનું મંદિર હતું એ જ તેની દુનિયા હતી. મોલનાં કર્મચારીઓને તે દિવસે ભીખો સમજાણો અને ભીખાને પ્રેમથી મોલનાં કુટુંબનાં સભ્ય તરીકે સ્વીકારી લીધો. બધાંએ કહ્યું, “ભીખા, તું અમારો જ નહીં પણ આ મોલનો હીરો છે.”

અજયના મુખ ઉપર પોતાના નિર્ણયના પરિણામના સંતોષનું સ્મિત હતું અને ભીખાને સ્વજનો, જીવન જીવવાનું ભાથું મળ્યાનો આનંદ હતો.

ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com

Loading

...102030...376377378379...390400410...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved